Opinion Magazine
Number of visits: 9770499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાળકો પરના બળાત્કાર કેવી રીતે અટકાવી શકાય?

વિશાલ શાહ|Opinion - Opinion|11 December 2015

વર્ષ ૧૯૨૬માં અમદાવાદ ટેક્સ્ટાઈલ ઉદ્યોગના મહારથી અંબાલાલ સારાભાઈએ મિલોના કમ્પાઉન્ડમાં રખડતા ૬૦ જેટલા કૂતરાને મરાવી દીધા હતા. શેઠ અંબાલાલ જેવી વ્યક્તિ વગરવિચાર્યે આવું કૃત્ય તો કરે નહીં, એટલે તેમણે કૂતરા મારવાની મંજૂરી આપતા પહેલાં ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. આ કૂતરાઓનો ત્રાસ વધી ગયો હોવાથી ગાંધીજીએ જ તેમને આ કામની મંજૂરી આપી હતી. આમ છતાં, કૂતરા મરાવ્યા પછી અંબાલાલને સ્વાભાવિક રીતે જ જોરદાર પસ્તાવો થયો એટલે તેઓ ફરી એકવાર ગાંધીજીને મળવા ગયા. જો કે, 'અહિંસાના પૂજારી' એવા ગાંધીજી પછીયે પોતાની વાતને વળગી રહ્યા. એટલું જ નહીં, વર્ષ ૧૯૨૬માં 'યંગ ઈન્ડિયા'માં ગાંધીજીએ રખડતા કૂતરાના નાશને મંજૂરી આપતા અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનના કાયદાનું સમર્થન પણ કર્યું. જે ગાંધીજીના જન્મદિવસને દુનિયા 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે ઊજવે છે તેમણે શેઠ અંબાલાલને આપેલી મંજૂરી આજે ય એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ તરીકે ચર્ચા અને વિવાદનો મુદ્દો બની શકે છે. તો પણ આ વાત ગાંધીજીએ સમજી-વિચારીને જ કરી હશે એમાં કોઈ શંકા નથી.

***

નાઉ કટ ટુ ઓક્ટોબર ૨૦૧૫.

દિલ્હીમાં અઢી અને પાંચ વર્ષની બે બાળકી પર બળાત્કારો થયા. આ ઘટના પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાગ જોઈને તરત જ મોદી સરકાર સામે રાજકીય નિવેદનો ફટકારવાનું શરૂ કર્યું હતું. કેજરીવાલનું કહેવું હતું કે, દિલ્હી પોલીસનો કંટ્રોલ અમને સોંપો પછી જુઓ …  કેજરીવાલ એવું કહેવા માગતા હતા કે, મારી પાસે પોલીસ હશે તો બળાત્કારો જ નહીં થાય? ખરેખર એવું શક્ય જ નથી. શહેરના દરેકે દરેક બાળકને તો જ્યાં લૉ એન્ડ ઓર્ડર જડબેસલાક છે એવા દેશોમાં ય સુરક્ષા આપવી શક્ય નથી. એ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી લઈને કડકમાં કડક કાયદા-કાનૂન બનાવવા જ પડે. આ મુદ્દે કેજરીવાલ સરકાર રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત હતી ત્યાં જ બે બાળકીઓના બળાત્કારોના સમાચારો પર છોટા રાજન, બિહાર ચૂંટણીની બેલગામ નિવેદનબાજી અને લેખકોની એવોર્ડ વાપસીના 'હાઈ ન્યૂઝ વેલ્યૂ' ધરાવતા સમાચારોએ કબજો લઈ લીધો.

… પણ આ ચર્ચા બંધ થયાના થોડા જ દિવસમાં મદ્રાસ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ એન. કિરુબકરમે એક બ્રિટિશરના બાળક પરના જાતીય શોષણના કેસમાં 'બાળકોના બળાત્કારીઓ'ને નપુંસક બનાવી દેવાનું સૂચન કરતા ફરી એકવાર બાળકો પર થતા બળાત્કારોનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આ ચુકાદો આપતી વખતે કિરુબકરમે નોંધ્યું છે કે, ''બાળકો પરના બળાત્કારો અટકાવવા હું બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન કરું છું. આ પ્રકારના કાયદા 'જાદુઈ પરિણામો' આપી શકે છે. અત્યારના જૂના કાયદા આ દૂષણને અટકાવવા પૂરતા કડક નથી. રસાયણોની મદદથી આવા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાના કાયદા અમેરિકા સહિતના અનેક વિકસિત દેશોએ સ્વીકાર્યા છે. અત્યારે ય બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદા છે અને આપણે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-૨૦૧૨ પણ બનાવ્યો છે. તો પણ વર્ષ ૨૦૧૨માં ૩૮,૧૭૨ બાળકો સામે જાતીય હિંસા આચરાયાના કિસ્સા નોંધાયા હતા, જ્યારે ૨૦૧૪માં આ આંકડો વધીને ૮૯,૪૨૩એ પહોંચી ગયો છે …'' જસ્ટિસ એન. કિરુબકરમે ચુકાદો આપતી વખતે દિલ્હીની બે બાળકીઓના બળાત્કારની ઘટનાને પણ યાદ કરી હતી અને આ ઘટનાઓને 'લોહીથી લથબથ અને ભયાવહ' ગણાવી હતી.

બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન એન. કિરુબકરમે લાગણીમાં આવી જઈને નહીં પણ વિવિધ તર્કના આધારે જ કર્યું હતું. આમ છતાં, આ સૂચનને વિવાદાસ્પદ કહીને ભૂલાવી દેવાનો પ્રયાસ થયો હતો. જો ગાંધીજીએ ત્રાસ ફેલાવતા કૂતરા મારવાની મંજૂરી આપી હતી તો પછી બાળકો પર આટલું જઘન્ય, હલકું અને ક્રૂર કૃત્ય કરનારા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવામાં શું વાંધો હોવો જોઈએ? એવી કલ્પના નહીં કરતા કે, બળાત્કારી પર આરોપ સાબિત થાય એટલે તેને હિંસક રીતે નપુંસક બનાવી દેવાતો હશે! જે દેશોમાં આવા કાયદા છે ત્યાં બળાત્કારીને પીડા ના થાય એવી કેમિકલની મદદથી આ કામ પાર પડાય છે. આ ઓપરેશન પછી વ્યક્તિના મન પર સેક્સના વિચારો બળાત્કારો કરવા પ્રેરાય એટલા હાવી થઈ શકતા નથી. આ પ્રકારના 'અહિંસક' કાયદાનો વિરોધીઓનું કહેવું છે કે, શું આપણે 'આંખના બદલામાં આંખ' લે એવા સમાજની રચના કરવી છે?, આવી સજા કરવાથી બળાત્કારો ઓછા થઈ જશે?, શું આપણે આવા ગુના અટકાવવા સામાજિક શિક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ? આ દલીલો કરનારાને એટલું જ કહેવાનું કે, દિલ્હીના બહુચર્ચિત સામૂહિક બળાત્કાર કેસ પછી ઘણાં કાયદાકીય સુધારા થયા છે. શું આ સુધારાનો લાભ મહિલાઓને નથી મળ્યો? અને કાયદાથી ગુનાખોરી નહીં અટકે એ દલીલ પણ અર્ધસત્ય અને છેતરામણી છે. કાયદા હોવા છતાં વધતી જતી ગુનાખોરીના આંકડા આપી દેવાથી આ દલીલ સાચી નથી ઠરતી. એનો અર્થ એ નથી કે કાયદાકીય સુધારા જ નહીં કરવાના અથવા કડક કાયદા હોવા જ ના જોઈએ. લોકો જેવા હોય એવા કાયદા બનાવવા જ પડે.

રહી વાત શિક્ષણ અને સામાજિક જનજાગૃતિની – તો અમેરિકા, યુરોપિયન દેશો અને જાપાન, દક્ષિણ કોરિયા જેવા વિકસિત દેશોમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. ભારતમાં પણ સદીઓથી શિક્ષણ અપાય જ છે. આમ છતાં, આવા કિસ્સા વધી રહ્યા છે એટલે જ આ દેશોએ પણ બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદા સ્વીકાર્યા છે, સ્વીકારવા પડ્યા છે. ડેનમાર્ક, નોર્વે, સ્વિડન જેવા સ્કેિન્ડનેવિયન દેશો તેમ જ સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપોર અને જાપાન જેવા દેશોમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ ઓછું છે, તો ત્યાં કદાચ આવા કાયદાની જરૂર ના હોય. એનો અર્થ એ નથી કે, આપણે પણ એમની અક્કલ વિનાની નકલ કરવાની. વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાં સ્થાન ધરાવતો દક્ષિણ કોરિયા એશિયાનો પહેલો દેશ છે, જેણે વર્ષ ૨૦૧૧માં બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનો કાયદો બનાવ્યો છે. અમેરિકાના સાત રાજ્યમાં આવા કાયદા છે અને બીજા રાજ્યોમાં પણ આ કાયદાની માગ થઈ રહી છે. ઈન્ડોનેશિયામાં ટૂંક જ સમયમાં આવો કાયદો અમલી થવાનો છે. પોર્ટુગલમાં ખુદ બળાત્કારીને નપુંસક બની જવાનો વિકલ્પ અપાય છે. એટલે કે, તેની મરજી વિરુદ્ધ નહીં પણ જો તે ઈચ્છે તો તેને નપુંસક બનાવી દેવાય છે. ઈઝરાયેલ કે આર્જેન્ટિનામાં જે તે ગુનાની ક્રૂરતાને ધ્યાનમાં રાખીને નપુંસક બનાવવાની સજા અપાય છે.

બાળકો સાથે આવું કૃત્ય થાય ત્યારે ફરિયાદ કરશો તો ન્યાય ચોક્કસ મળશે અને બળાત્કારીનો ગુનો સાબિત થતા જ તેને આકરામાં આકરી સજા ફટકારાશે એવો સંદેશ આપવા પણ અત્યારના કાયદામાં ધરખમ સુધારા જરૂરી છે. નવી દિલ્હીમાં જ દર અઠવાડિયે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના સરેરાશ ચાર બાળક (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર થાય છે, જેમાં એક, બે અને ત્રણ વર્ષની બાળકીઓ પણ સામેલ હોય છે. વળી, આ તો પોલીસ ચોપડે નોંધાતા આંકડા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે બાળકી પર બળાત્કારના હોબાળા પછી અરવિંદ કેજરીવાલ સરકારે કેટલાક રાષ્ટ્રીય અખબારોમાં જાહેરખબર આપીને બાળકોના બળાત્કારીઓને સજા આપવા જનમત માગ્યો છે. આ જાહેરખબરમાં પહેલો જ સવાલ એ છે કે, શું બાળકો સાથે જઘન્ય અપરાધ કરનારાને ઓછામાં ઓછી 'આજીવન કારાવાસ' કે 'ફાંસી' થવી જોઈએ? આ જાહેરખબરમાં બળાત્કાર જેવા ગુનામાં બાળ-ગુનેગારની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૫ વર્ષ કરવા અંગે પણ સૂચન મંગાયું છે. જો ૧૨-૧૪ વર્ષનો સ્કૂલે જતો હટ્ટોકટ્ટો બચ્ચો કોઈ બાળકી સાથે આવું કૃત્ય કરે તો તેને બાળ-ગુનેગાર કેવી રીતે માની શકાય? દિલ્હી સરકારે આપેલી જાહેરખબર જ સાબિત કરે છે કે, અરવિંદ કેજરીવાલ સરકારને પણ કાયદાકાનૂન બદલવા 'જનસમર્થન' જોઈએ છે.

બળાત્કાર એ બળાત્કાર છે એની સરખામણી ના થઈ શકે પણ મહિલા અને બાળક પરના બળાત્કારના ગુનાના કેટલાક પાયાના તફાવત સમજવા જરૂરી છે. સ્ત્રીઓ પરના બળાત્કારમાં તે હિંમત દાખવીને પોલીસ-અદાલતમાં ન્યાય માટે જઈ શકે છે, જ્યારે દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર બળાત્કારના કિસ્સામાં તેઓ ફરિયાદ સુધ્ધાં નથી કરી શકતા. મોટા ભાગના કિસ્સામાં બાળકો ખૂબ જ ડરી ગયાં હોય છે. આ કારણોસર પોલીસ અને અદાલતે અપહરણ થયું હોય તો તેના પુરાવા, બાળક પર આચરાયેલી દેખીતી હિંસા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે બળાત્કારી સામે કેસ કરવો પડે છે. બળાત્કાર પછી સ્ત્રીને જીવનભર ઘોર અપમાન અને અન્યાયનો ડંખ રહી જાય છે. અનેક કિસ્સામાં બળાત્કાર માટે પણ યુવતી જ જવાબદાર હોય એમ પરિવારજનો 'યુવતી જ ગુનેગાર' હોય એવું વર્તન કરે છે. આ સ્થિતિમાં બળાત્કારીઓ (અને એસિડ ફેંકનારા) પુરાવાના અભાવે છૂટી જઈને કોર્ટ રૂમમાંથી હસતા હસતા બહાર આવે ત્યારે યુવતીની સ્થિતિ શું હોય એ સમજાવવા ગમે તેવા શબ્દો ઓછા પડે! એવી જ રીતે, બાળકે કોઈ વ્યક્તિ સામે આવી ફરિયાદ કરી હોય તો ખુદ માતાપિતા ‘એ તો મસ્તી’ કરતા હશે એવું કહીને બાળકને વાત ભૂલાવવાનો પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ બાળક સામે છૂટથી હરીફરી રહી હોય અને આ બાળક સિવાય કોઈ આ વાત જાણતું ના હોય એવું પણ હોઈ શકે છે. બળાત્કાર અને ક્યારેક તો ખૂબ લાંબા સમય સુધી થયેલાં જાતીય શોષણનાં કારણે બાળકના કુમળા માનસને ભયાનક માનસિક આઘાત લાગ્યો હોય છે.

આ મુશ્કેલીના મૂળમાં પણ કડક કાયદાનો અભાવ સૌથી મોટું પરિબળ છે. પોલીસ-અદાલતના શરણે જઈને પણ ન્યાય મળવાની શક્યતા નહીંવત હોવાથી જ માતા-પિતા ફરિયાદ કરતા ખચકાય છે. સમાજના ડરે અને બાળકનું ભવિષ્ય બગડશે એવું મન મનાવીને પણ ફરિયાદ નથી થતી. જો બળાત્કારીને સજા જ ના થઈ હોય તો બાળકની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ માનસિક આઘાતમાંથી બહાર આવવાના બદલે વધુને વધુ અન્યાય, અપમાન અને જબરદસ્ત આક્રોશની લાગણીથી પીડાય એવી શક્યતા અનેકગણી વધારે હોય છે. આ સ્થિતિ એક નવા 'ગુનેગાર'ને જન્મ આપે એવી શક્યતા વધી જાય છે. વર્ષ ૨૦૧૪માં ૮૯,૪૨૩ બાળકો જાતીય શોષણનો ભોગ બન્યાં પણ તેમાંથી ન્યાય કેટલાને મળ્યો કે મળશે? કદાચ એટલે જ જાતીય શોષણનો ભોગ બનેલાં બાળકો માટે કામ કરતી ગોવાની 'સ્ટોપ ચાઈલ્ડ એબ્યુસ નાઉ' જેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ જસ્ટિસ એન. કિરુબકરમના સૂચનને આવકાર્યું છે.

છેલ્લાં એક દાયકામાં બાળકો પરના બળાત્કારમાં ૩૩૬ ટકાનો વધારો થયો હોવા છતાં કડક કાયદા બનાવવા દિલ્હીના સામૂહિક બળાત્કાર જેવી કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી હોય એ હદે તંત્ર ઉદાસીન છે.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે

વિશાલ શાહ|Opinion - Opinion|11 December 2015

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
આજ મૈં વારિસ શાહ સે કહતી હું અપની કબ્ર મેં સે બોલો
ઔર ઈશ્ક કી કિતાબ કા, કોઈ નયા પૃષ્ઠ ખોલો
પંજાબ કી એક બેટી રોઈ થી, તુને એક લંબી દાસ્તાન લિખી
આજ લાખો બેટિયા રો રહી હૈ, વારિસ શાહ તુમસે કહ રહી હું
એ દર્દમંદો કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશો સે અટા પડા હૈ, ચિનાબ લહુ સે ભરી પડી હૈ
કિસી ને પાંચો દરિયા મેં, એક ઝહર મિલા દિયા હૈ
ઔર યહી પાની, ધરતી કો સિંચને લગા હૈ
ઈસ જરખેજ ધરતી સે, ઝહર ફૂટ નિકલા હૈ
દેખો સુર્ખી કહાં તક આ પહુંચી, ઔર કહર કહાં તક આ પહુંચા
ફિર ઝહરીલી હવા ઈન જંગલો મેં ચલને લગી
ઉસમેં હર બાંસ કી બાંસુરી, જેસે એક નાગ બના દી
નાગો ને લોગો કે હોઠ ડંસ લિયે, ઔર ડંખ બઢતે ચલે ગયે
ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
હર ગલે સે ગીત ટૂટ ગયા, હર ચરખે કા ધાગા છૂટ ગયા
સહેલિયાં એકદૂસરે સે છૂટ ગઈ
ચરખો કી મહેફિલ વીરાન હો ગઈ
મલ્લાહોં ને સારી કશ્તિયાં, સેજ કે સાથ હી બહા દી
પીપલો ને સારી પેંગે, ટહનિયો કે સાથ તોડ દીં
જહાં પ્યાર કે નગ્મે ગૂંજતે થે, વહ બાંસુરી જાને કહાં ખો ગઈ
ઔર રાંઝે કે સબ ભાઈ, બાંસુરી બજાના ભૂલ ગયે
ધરતી પર લહૂ બરસા, કબ્રેં ટપકને લગી
ઔર પ્રીત કી શહજાદિયાં, મજારો મેં રોને લગી
આજ સબ કૈદો બન ગયે, હુસ્ન ઈશ્ક કે ચોર, મૈં કહાં સે ઢૂંઢ લાઉં
એક વારિસ શાહ ઔર …

***

હૃદય ચીરી નાંખતા આ શબ્દો વિખ્યાત પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના છે. વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા થયા ત્યારે પંજાબના પણ ભાગલા થયા, અને એ વખતની દર્દનાક સ્થિતિ જોઈને અમૃતા પ્રીતમે ચિશ્તી પરંપરાના પંજાબી સૂફી કવિ પીર સૈયદ વારિસ શાહને સંબોધીને આ અપીલ કરી હતી. વારિસ શાહ અઢારમી સદીમાં પંજાબી લોકસાહિત્યની લોકપ્રિય લવ-ટ્રેજેડી હીર-રાંઝાના આધારે કાવ્યાત્મક વાર્તા લખીને અમર થઈ ગયા. આમ તો આ કવિતા ભાગલાના દર્દમાંથી જન્મી છે પણ અત્યારના પંજાબની સ્થિતિ જોઈને પણ આ કાવ્યાત્મક શબ્દો યાદ આવી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ધુમાડામાં લપેટાયેલા ઉત્તર ભારતની તસવીરો પ્રસિદ્ધ કરી હતી. એક સમયે આખા દેશની હરિયાળી ક્રાંતિનું પ્રતીક ગણાતું પંજાબ આજે આવી વગર વિચાર્યે કરેલી 'ક્રાંતિ'ના કારણે જ આ મુશ્કેલીમાં સપડાયું છે. આ મુશ્કેલીના મૂળ કેટલાં ઊંડા છે એ સમજવા જેવું છે. વર્ષ ૧૯૫૩થી ભારત સરકારે જંગી ઉત્પાદન આપતા હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન પંજાબના ખેડૂતોએ હાઈબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો. આ બિયારણોનો પંજાબ સહિત દેશમાં જ્યાં પણ ઉપયોગ થયો ત્યાં કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. હવે ખેડૂતો પૈસાદાર થઈ રહ્યા હતા અને ખુશ હતા. જો કે, આ ખુશી બહુ લાંબુ ના ટકી અને ખેડૂતોએ અમેરિકન બોલવોર્મ નામના દુશ્મનનો સામનો કરવાનો આવ્યો. અમેરિકન બોલવોર્મ કપાસમાં થતી ફૂદ્દા જેવી જીવાત છે, જેને ખેડૂતો સફેદ માખી તરીકે ઓળખે છે. નેવુંના દાયકાથી આ જીવાતના કારણે પંજાબમાં કપાસના પાકની બરબાદી વધવા લાગી. હવે આ માખીની જનીનિક સિસ્ટમે જંતુનાશકોનો સામનો કરવાનું શીખી લીધું હતું. પરિણામે તેના પર લાખો ટન જંતુનાશકોની પણ કોઈ જ અસર થતી નહોતી અને જમીન વધુને વધુ ઝેરી થઇ રહી હતી.

હાઈબ્રિડ બિયારણોના ઉપયોગ પહેલાં કપાસમાં થતી જીવાતો આટલી ખાઉધરી અને બેકાબૂ નહોતી. એ પહેલાં પણ પાક પર જીવાત હુમલા કરતી જ હતી, પણ ખેડૂતો માટે ય ઘણું બધું બચતું હતું. અમેરિકન બોલવોર્મે પંજાબમાં કપાસના પાકને ખદેડવાનું ચાલુ કર્યું એ પછી રાજ્ય સરકારે ખરીદીની ખાતરી અને ટેકાના ભાવની જાહેરાતો કરીને ત્યાંની જમીનમાં 'એલિયન' કહેવાય એવો ડાંગરનો પાક લેવા ખેડૂતોને લલચાવ્યા. ખેડૂતો તો આમ પણ કપાસના પાકની બરબાદીથી કંટાળ્યા હતા એટલે તેમણે ડાંગરનો પાક લેવાનું શરૂ કર્યું. અહીં કપાસનો પાક કુદરતી રીતે જ વધારે થતો હતો પણ ડાંગર અહીંની ઈકોલોજી (પરિસ્થિતિવિજ્ઞાન) માટે નવો પાક હતો. ડાંગરને કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી વધારે જોઈતું હતું. કપાસનો પાક તો કેનાલના પાણીથી પણ લઈ શકાતો હતો પણ ડાંગર 'પિયક્કડ' હતી. એટલે ખેડૂતોેએ ટયૂબ વેલોથી જમીનનું પાણી બેફામ ખેંચવાનું ચાલુ કર્યું. અત્યારે પણ દેશભરમાં જમીન નીચે પાણીનું સૌથી વધારે ઊંડું સ્તર (ઓછામાં ઓછા ૮૦ ફૂટથી વધુમાં વધુ ૫૦૦ ફૂટ) પંજાબમાં છે. ૨૯મી નવેમ્બર, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં પંજાબ સરકાર અને રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તમે ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા માટે પ્રોત્સાહિત કરો કારણ કે, જમીન નીચેના પાણીનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે.

આખરે ખેડૂતો ખેતરો બાળે છે કેમ એ સમજવા પણ આટલું જાણવું જરૂરી હતું. હવે વાંચો આગળ.

પહેલાં ઓછા ખર્ચે કપાસનો પાક લેવાતો અને ખેડૂતો નફો કરતા, પરંતુ ડાંગરનો પાક લેવા સિંચાઈ, ખાતર અને જંતુનાશકો સહિતનો ખર્ચ વધારે થાય છે. ખેડૂતોના બજેટ પર ચોખા બજારના નકારાત્મક પરિબળો પણ હાવી રહે છે. આ સ્થિતિમાં ડાંગરનો પાક લેતા ખેડૂતોની નફાકારકતા ઘટી રહી હોવાથી તેઓ ખરીફ પાક લેતા ખેતરોનું નીંદણ બાળી નાંખે છે. હાલ પંજાબમાં જ્યાં પણ ખેડૂતો ખેતરો બાળીને છેક દિલ્હી સુધી પ્રદૂષણ કરી રહ્યા છે, એ મોટા ભાગે ડાંગરનું નીંદણ બાળવાથી થયેલું છે. ખેડૂતોના આ પગલાં પાછળ 'ડાંગરનું આગવું અર્થતંત્ર' જવાબદાર છે, એ વાત ઉદાહરણથી સમજીએ.

જેમ કે, હરિયાળી ક્રાંતિમાં કમાયેલા અને પૂર્વજોની મસમોટી જમીન ધરાવતા અનેક જમીનદાર ખેડૂતો ડાંગરનો પાક લેવામાં નિષ્ણાત હોય એવા ખેડૂતોને પોતાની જમીન પ્રતિ એકર ભાડાપટ્ટે આપે છે. ધારો કે, મોટા ખેડૂતે પ્રતિ એકર ભાડું રૂ. ૪૫ હજાર નક્કી કર્યું છે. હવે નાનો ખેડૂત કે ભાગીદાર બાસમતી ચોખાનો પાક લેવા પ્રતિ એકર બીજા રૂ. ૧૦ હજાર ખર્ચે છે. જે તે વર્ષે બાસમતીનો બજાર ભાવ ઓછો હોય તો પણ પ્રતિ એકર રૂ. ૩૦-૩૫ હજાર મળી જાય છે. આ કમાણીમાંથી પણ જેની પાસે જમીન નથી એ ખેડૂતે પ્રતિ એકર રૂ. ૨૫ હજાર જેટલી બચત કરવાની છે કારણ કે, ડાંગરનો પાક લેવાઈ જાય પછી એણે ઘઉં વાવીને ગુજરાન ચલાવવાનું છે. આ સ્થિતિમાં નીંદણને ફરી જમીનમાં દાટીને જમીન વધુ ફળદ્રુપ બનાવી શકાય છે. જો કે, ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોય તો પણ આવું નથી કરતો કારણ કે, નીંદણને પાછું જમીનમાં દાટવા પ્રતિ એકર રૂ. પાંચેક હજારનો ખર્ચ આવે છે. જો ખેડૂતે જમીન ભાડા પટ્ટે લીધી હોય તો તેણે જમીન ખોદવા ટ્રેક્ટર ભાડે લેવું પડે છે અને નીંદણ ફરી જમીનમાં દાટવા મજૂરી ચૂકવવી પડે છે. આ સ્થિતિમાં ખેડૂતો આખેઆખું ખેતર જ બાળી નાંખે છે, ભલે પછી દિલ્હીમાં ગમે એટલા લોકો શ્વાસોચ્છવાસના રોગોથી મરે કે આખો તાજમહેલ કાળો થઈ જાય.

પહેલાં હાઈબ્રિડ કપાસ અને પછી ડાંગરનો પાક અવૈજ્ઞાનિક રીતે લેવાથી પંજાબની ઈકોલોજીમાં ભંગાણ પડી ચૂક્યું છે. પંજાબ જ નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વત્તેઓછે અંશે આવી  રીતે ખેતરો બાળવાનું ચાલુ છે. ખેતરો બાળવાનું અટકે એ માટે રાજ્ય સરકારો છ મહિનાની જેલથી લઈને દંડ ફટકારવાના નિયમો બનાવી ચૂકી છે, જેની ખાસ કોઈ અસર થઈ નથી. આ બરબાદી અહીં અટકી નથી પણ કદાચ વધારે ભયાવહ્ રીતે શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં ભારત સરકારે બીટી કોટન બિયારણોને મંજૂરી આપી. હાઈબ્રિડ બિયારણોથી અમેરિકન બોલવોર્મ બેકાબૂ બની એટલે ડાંગરનો પાક લેવાનું શરૂ કરાયું, ડાંગરથી ઈકોલોજી ખોરવાઈ એટલે આવ્યા બીટી કોટન બિયારણો. સ્વાભાવિક રીતે જ ડાંગરથી કંટાળેલા ખેડૂતોએ કપાસમાંથી નફો કરવાની લાલચે બીટી કોટન હોંશેહોંશે અપનાવ્યા. મોન્સાન્ટો કંપનીએ અમેરિકન બોલવોર્મને મારવાનું ઝેર વનસ્પતિ પોતે જ પેદા કરે એવા બિયારણો વિકસાવ્યા હતા. એટલે કે, આ બિયારણોમાંથી જીવાત પોષણ મેળવે એવા જ તેના રામ રમી જાય. મોન્સાન્ટોનો દાવો હતો કે, આ બિયારણો જોરદાર ઉત્પાદન કરશે અને જીવાતને મારવા જે ઝેર ઉત્પન્ન કરે છે તેનાથી આપણને બીજું કોઈ નુકસાન નથી. જો કે, એવું કશું થયું નહીં.

ઊલટાનું હાઈબ્રિડ બિયારણોમાં જીવાત પડવાથી જંતુનાશકોનો તેમ જ ડાંગરનું ઉત્પાદન વધારવા કરેલા રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી પંજાબના જમીન-હવા-પાણી 'કાળા અને નીલા' પડી ગયા છે. હવે બીટી કોટન બિયારણોમાં પણ અમેરિકન બોલવોર્મ ત્રાટકે છે અને પાક બરબાદ થઈ જાય છે. આ 'વિષચક્ર'ના કારણે જ અત્યારે દેશમાં કેન્સરના સૌથી વધારે દર્દીઓ પંજાબમાં છે. દેશમાં કપાસ પકવતા સૌથી મોટા ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સરેરાશ ૯૦ ટકા ઉત્પાદનમાં બીટી કોટન બિયારણોનો ઉપયોગ થયો છે. ખોટા નિર્ણયોએ પંજાબના સામાજિક, આર્થિક અને આરોગ્ય માળખા પર ઊંડો ઘા કર્યો છે. જો હવેની સરકારો બિયારણો અને જંતુનાશકોના ઉપયોગમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ નહીં વધે તો કદાચ પંજાબની જેમ આખો દેશ કલ્પના બહારની મુશ્કેલીઓનો સામનો કરશે.

હરિયાળી ક્રાંતિમાં આપણે સિંચાઈ, ટપક સિંચાઈ, જમીન સુધારા, કૃષિ લોન, કૃષિને લગતા વિવિધ ખાતાનું એકીકરણ, ટેક્નોલોજી પર પણ ભાર મૂક્યો હતો. આપણે હજુયે આ દિશામાં વધુ સારી રીતે આગળ  વધી શકીએ છીએ અને એવું કરવું એ પંજાબ જ નહીં આખા દેશના હિતમાં છે.

—

e.mail : vishnubharatiya@gmail.com

Loading

મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પીછે તૂ દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે

તેજસ વૈદ્ય|Opinion - Literature|10 December 2015

સંસ્કૃતમાં જે દરજ્જો કાલિદાસનો છે, અંગ્રેજી સાહિત્યમાં જે દરજ્જો શેક્સપિયરનો છે એ જ દરજ્જો ઉર્દૂ સાહિત્યમાં મિર્ઝા ગાલિબનો છે. અસદ ઉલ્લાહ ખાં 'ગાલિબ' થઈ તો ઓગણીસમી સદીમાં ગયા પણ તેઓ વીસમી-એકવીસમી સદીમાં વધુ મહેસૂસ થયા. ડિસેમ્બરની ૨૭ તારીખે જન્મેલા ગાલિબની રચનાઓ આજે બસ્સો વર્ષ પછી પણ ખૂબ પ્રસ્તુત લાગે છે. આગામી બસ્સો-પાંચસો વર્ષ પછી પણ ગાલિબ એટલા જ પ્રસ્તુત રહેવાના છે

એવું કહેવાય છે કે મુઘલોએ ભારતને ત્રણ અણમોલ તોહફા આપ્યા. એક ઉર્દૂ જબાન, બીજો તાજમહાલ અને ત્રીજો મિર્ઝા ગાલિબ.

દૂરદર્શન પર ૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં 'મિર્ઝા ગાલિબ' સિરિયલ આવતી હતી. ગુલઝારે તૈયાર કરેલી એ સિરિયલમાં સંગીત જગજિતસિંહનું હતું. નસિરુદ્દીન શાહે એમાં મિર્ઝા ગાલિબનો રોલ એ અદાયગીથી ભજવ્યો હતો કે આજે પણ ગાલિબનો ઉલ્લેખ નીકળે ત્યારે મનમાં નસિરુદ્દીન શાહનું જ એ ચિત્ર ખડું થાય.

મિર્ઝા ગાલિબ ભારત-પાકિસ્તાનના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ-બૌદ્ધિકોમાં તો હંમેશાં આદર પામતા જ રહ્યા છે. ભારતના યુવાઓમાં ગાલિબની જે લોકપ્રિયતા પ્રસરી છે એમાં એ સિરિયલનું પણ પ્રદાન છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ઠરે. એ સિરિયલમાં જગજિતસિંહે કંપોઝ કરેલી ગાલિબની ગઝલો પછી કેસેટ-સીડી સ્વરૂપે રિલીઝ થઇ હતી અને એનું ધૂમ વેચાણ થયું હતું. નવી પેઢીની ગાલિબ વિશે જે જાણકારી બની છે એમાં એ સંગીતનો પણ મોટો રોલ છે.

સાયગલ, મેહદી હસન, બેગમ અખ્તર, લતા મંગેશકર, એહમદ હુસૈન-મોહમ્મદ હુસૈન, ગુલામઅલી જેવા ટોચના ગાયકો સહિત અનેક ગાયકોએ ગાલિબની રચના ગાઈ છે. એ રીતે ઉત્તરોત્તર ગાલિબ લોકો સુધી પહોંચતા રહ્યા છે. ગઝલગાયકોમાં તો ગાલિબની રચના ગાવી એ સ્ટેટસ ગણાય છે.

કલ્પનાને નહીં અનુભવોને શાયરીમાં ઉતાર્યા

મિર્ઝા ગાલિબ અગાઉની શાયરી ઇશ્ક-આશિકી, શરાબ-શબાબ, ઝુલ્ફ -કમર જેવા શૃંગાર તેમ જ અધ્યાત્મના કેટલાક ટિપિકલ એટલે કે ઢાંચાઢાળ કલ્પનોમાં સેટ થઈ ગઈ હતી. ગાલિબે જ સૌ પ્રથમ માનવ મનના વિવિધ ભાવોને શાયરીમાં ઉજાગર કર્યા. માનવ મનના કેટલાંક સૂક્ષ્મ ખયાલાતને એ રીતે ઉજાગર કર્યા કે એ અગાઉ કોઈ કવિ એવું કરી શક્યા નહોતા. રોજબરોજનાં જીવનની પરેશાનીઓ અને પેચીદાં દર્દોને ગાલિબે ગઝલમાં ઉતાર્યાં. માણસની લાચારીને તેણે શાયરીનું અંગ બનાવી. ગાલિબની વિશેષતા એ હતી કે નિરાશાવાદને પણ બૌદ્ધિક ચમત્કૃિત સાથે રજૂ કરતા હતા. એમાં ગૂઢાર્થ રહેતો હતો, માત્ર લાચારી નહીં, જેમ કે,

ગાલિબનો શેર છે –

આહ કો ચાહીયે ઇક ઉમ્ર અસર હોને તક,
કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક.

આ જ ગઝલનો આગળનો શેર જુઓ,

દામ-એ-હર-મૌજ મેં હૈ હલ્કા-એ-સદ-કામ-એ-નહંગ
દેખેં ક્યા ગુજરે હૈ કતરે પે ગુહર હોતે તક

દરિયામાં જે મોતી પાકે છે એ એક દરિયાના એક ટીપામાંથી જ તૈયાર થાય છે. હવે ગાલિબની શેર ગહેરાઈ જુઓ ગાલિબ કહે છે કે દરિયાના પ્રત્યેક મોજા (દામ-એ-હર-મૌજ) જાણે વિકરાળ દૈત્યની જેમ સાંકળ બનાવીને (હલ્કા-એ-સદ-કામ-એ-નહંગ) ત્રાટકી રહ્યા છે. હવે જોવાનું છે કે ટીપું (કતરે) મોતી (ગુહર) બને ત્યાં સુધીમાં એના પર કેટલું વિતે છે.

પરવત-એ-ખુર સે હૈ શબનમ કો ફના કી તાલિમ
મૈં ભી હઁૂ એક ઇનાયત કી નજર હોને તક

ગાલિબ પ્રિયતમાને ઉદ્દેશીને કહે છે, સૂરજના પહેલા કિરણ(પરવત-એ-ખુર )થી ફના થઈ જવાની ઝાકળ(શબનમ)ને તાલીમ મળી છે. જેવો તમે મને એ ઇનાયતભરી નજરે જોશો એવો તરત હું ફના થઈ જઇશ. – પ્રેમને આટલી બારીકાઈથી કદાચ જગતના મહાન પ્રેમીઓએ પણ નહીં જોયો હોય.

સમાજનો બૌદ્ધિક વર્ગ જ્યારે શેર-શાયરીથી અસ્પૃશ્યતા પાળતો હતો ત્યારે ગાલિબે ગઝલને એ ઇન્ટેલેક્ચ્યુઅલ ગરિમા આપી કે એ વર્ગ પણ એમાં રસ લેતો થયો. આવું અગાઉ થયું નહોતું. તેના કેટલાક શેરો વાંચો તો લાગે કે આ તો કોઇ શાયરે નહીં પણ મનોવૈજ્ઞાનિકે રચ્યા લાગે છે, જેમ કે, ગાલિબનો શેર છે …

દર્દ મિન્નત કશે-દવા ન હુઆ,
મૈં ન અચ્છા હુઆ બુરા ન હુઆ.

હવે આ શેરનું ઊંડાણ જુઓ, કવિ કહેવા માગે છે કે 'દવા દર્દનો ઉપચાર ન કરી શકી કે ન તો મિન્નત (માનતાઓ) કામ લાગી. હું સારો ન થયો ને ખરાબ પણ ન થયો.'

હવે આ જ શેરમાં સમાયેલો બીજો અર્થ જુઓ, 'દવા દર્દનો ઉપચાર ન કરી શકી કે ન તો માનતાઓ કામ લાગી. – હું સારો ન થયો એ ખરાબ નથી થયું.' દરેક વ્યક્તિ ગાલિબની શાયરીમાંથી પોતાના સંજોગો અને સમજ અનુસાર અર્થ તારવી શકે.

આ જ ગઝલનો બીજો શેર જુઓ.
કિતને શીરીં હૈ તેરે લબ કે – રકિબ,
ગાલિયઁા ખા કે બેમઝા ન હુઆ,

તારા હોઠની મીઠાશ એવી છે કે તે દુશ્મનને ગાળો દીધી એ છતાં પણ તેને એ મીઠી લાગી.

સમયને અતિક્રમી ગયેલો શાયર 

કોઈ પણ રચના-સાહિત્યનું ખરું પાણી એનાં ભવિષ્યનાં વર્ષોમાં મપાતું હોય છે. 'જાને ભી દો યારો' આજે સિનેમાની સિમાસ્તંભ સમાન ફિલ્મ ગણાય છે પણ જ્યારે રિલીઝ થઈ ત્યારે સરિયામ નિષ્ફળ નીવડી હતી. આજે 'જાને ભી દો યારો' ફિલ્મ પર સેમિનાર અને વર્કશોપ્સ થાય છે, તેથી કોઇ કૃતિ કેટલી દમદાર છે એ જ્યારે બહાર પડે છે ત્યાર કરતાં એનો ભવિષ્યનો સમય એની કાળજયિતા નક્કી કરતો હોય છે. મિર્ઝા ગાલિબ સાથે પણ એવું જ થયું હતું. ગાલિબ વિશે કહેવાય છે કે તે પોતાના યુગમાં જ અનેક યુગને સંકોરી બેઠેલા શાયર હતા. ગાલિબ તેમના સમયમાં એટલા ઓળખાયા નહોતા પણ તેમના ગયા પછી તેમની ઓળખ દિલ્લીના કુતુબમિનાર જેવી એટલે કે બુલંદ બની હતી. ગાલિબની મજા એ છે કે બસ્સો વર્ષે પહેલાં તેમણે લખેલી રચનાઓ આજે વાંચો તો એમ જ લાગે કે આ તો આજના સમયનું બયાન છે. આજથી પચાસ વર્ષ પછી પણ જે વાંચશે એને એવું લાગશે કે આ તો અત્યારના સમયનો દસ્તાવેજ છે.

તેમની રચનાઓના કેન્દ્રમાં 'વ્યક્તિ' છે. એ વ્યક્તિ પણ કોઈ દેવત્વ કે આદર્શ સાથે નથી પણ ઇન્સાનના રૂપે જ છે. બીજી વાત એ કે ગાલિબના શેરો સવાલ ઉઠાવે છે. દુનિયાના તમાશા પર સવાલ ઉઠાવે છે, પોતાના યુગ પર સવાલ ઉઠાવે છે. વિચારમાં જો ભવ્ય ઊંડાણ હોય અને એ વિચાર કાળને અતિક્રમીને જોઈ શકતો હોય તો એ વિચાર કોઈ પણ ભાષાનો હોવા છતાં જગતમાં પહોંચે છે. કબીરે જે બોલીમાં દોહા રચ્યા હતા એ બોલી હવે બોલાતી નથી પણ કબીરની રચનાઓ કાળને ચીરીને સમય વચ્ચે અણનમ ઊભી છે. ગાલિબ વિષે પણ એ જ વાત સાચી ઠરે છે.

વાયા મસ્તક, હૃદય તરફ ગયેલો શાયર

ભારતમાં મિર્ઝા ગાલિબનાં નામની પોસ્ટલ સ્ટેમ્પ રજૂ થઈ છે. પાકિસ્તાનમાં પણ ગાલિબનાં નામની સાથે પોસ્ટલ સ્ટેમ્પ અને ફર્સ્ટ ડે કવર રિલીઝ થયાં છે. તકલાદી પરંપરાઓ અને તકવાદી માન્યતાઓને ગાલિબે અડફેટે લીધી હતી. ધાર્મિક જટિલતાઓનો તેણે વિરોધ કર્યો હતો અને માનવતાવાદી દૃષ્ટિકોણ પર ભાર મૂક્યો.

શાયર નિદા ફાઝલી કહે છે કે, "ગાલિબ એવા પહેલા શાયર હતા જેમણે સાંભળેલી માન્યતાઓ અને પરંપરાગત મૂડ પ્રમાણે રીતે રચાતી ગઝલને આધારે નહીં પણ જીવેલા પ્રસંગો અને સંજોગોમાંથી શાયરી સર્જી હતી.

ગાલિબ ભારતવર્ષની મોટી ઉપલબ્ધિ છે, તેમની ભાષા ઉર્દૂ હતી પણ તેઓ ઘરેણું તો સમગ્ર હિંદુસ્તાનનું છે. ભારતની ભાગ્યે જ કોઈ ભાષા હશે જેમાં ગાલિબની રચનાઓ ન ઝિલાઈ હોય.

ગુજરાતી કવિ શોભિત દેસાઈનો ઉર્દૂ શાયરીનો ઊંડો અભ્યાસ છે. તેઓ મિર્ઝા ગાલિબ વિશે વ્યાખ્યાનો આપે છે. એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે "ઉત્ક્રાંતિની તવારિખ તપાસીએ તો માનવનો વિકાસ મસ્તિષ્ક તરફનો રહ્યો છે. હૃદય લાખ વર્ષ પહેલાં પણ એવું જ હતું જેવું આજે છે. ગાલિબ એટલે જ લોજિશ્યનના લિબાસમાં ગઝલમાં વિહર્યા. ગાલિબની કૂચ મસ્તકના માઇલસ્ટોનને સર કર્યા બાદ હૃદય સુધી પહોંચવાની રહી."

ગાલિબનો કાળ હિંદુસ્તાનના ઇતિહાસનો એ કાલખંડ હતો જ્યારે મુઘલિયા સલ્તનતના કાંગરાઓ તૂટી રહ્યા હતા, તેમની પરંપરાઓ તૂટી રહી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દેશમાં પોતાનો વિસ્તાર ફેલાવી ચૂકી હતી. તેથી આ યુગપલટાની દૃષ્ટિએ પણ ગાલિબની રચનાઓનો અભ્યાસ અગત્યનો બની રહે છે.

૨૭ ડિસેમ્બર, ૧૭૯૭માં આગરામાં જન્મેલા અસદ ઉલ્લાહ ખાં 'ગાલિબ' ૧૩ વર્ષની ઉંમરે દિલ્લી ગયા અને પછી તેમના ઇન્તેકાલ સુધી દિલ્લીમાં જ રહ્યા. તેમના જીવનની તવારીખ પર નજર કરીએ, તેમના પિતા અબ્દુલ્લાબેગ ખાં અને દાદા કુકાનબેગ ખાં હતા. ૧૮મી સદીના મધ્યમાં તુર્ક કુકાનબેગ પોતાનાં વતન સમરકંદથી હિંદુસ્તાન આવ્યા હતા. શાહઆલમ બીજાને ત્યાં સિપાઈ તરીકેની નોકરી કરી હતી, ત્યાં એ પચાસ ઘોડેસવારોના નાયક બન્યા હતા. પછી જયપુરનાં સૈન્યમાં જોડાયા હતા. છેલ્લાં વર્ષોમાં આગ્રામાં સ્થાયી થયા હતા. પિતાની જેમ અબ્દુલ્લાબેગે પણ સૈન્યમાં નોકરી કરી હતી. ગાલિબના કાકા નસરૂલ્લાહ બેગ પણ મરાઠાઓનાં સૈન્યમાં હતા.

ગાલિબના પિતા લખનૌમાં નવાબ આસિફુદ્દૌલાના સૈન્યમાં હતા. એ પછી હૈદરાબાદના નવાબ નિઝામઅલી ખઁાને ત્યાં સિપાઈ હતા. છેલ્લે અલવરમાં રાવરાજા બખ્તાવરસિંહની નોકરી કરી હતી, એ દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જમીનદારોના ઉપદ્રવ સામે રાજાએ મોરચો માંડયો એમાં લડતાં લડતાં તેઓ ગુજરી ગયા હતા હતા. ૧૮૦૨માં તેઓ ગુજરી ગયા ત્યારે ગાલિબની ઉંમર પાંચ વર્ષ હતી. એ પછી ગાલિબ તેમના કાકા નસરૂલ્લાહ પાસે રહ્યા. કાકા તેમને ખૂબ લાડ કરતા હતા પણ કુદરતનો ખેલ ન્યારો હતો. ૧૮૦૬માં કાકા પર હાથી પડયો અને તેઓ ગુજરી ગયા હતા. મતલબ કે માત્ર દશ વર્ષની ઉંમરે ગાલિબે બીજી વખત 'બાપ' ગુમાવ્યા હતા. એ પછી તેઓ પોતાની નાનીને ત્યાં રહેવા આવી ગયા હતા. કાકા ગુજરી ગયા પછી મહારાવ બખ્તાવરસિંહે અંગ્રેજ સરકારના લોર્ડ લેકને ભલામણ કરી એટલે ગાલિબના પરિવારને વર્ષે રૂપિયા દશ હજારનું માતબર પેન્શન આપવાનું મંજૂર થયું, જો કે એક જ મહિનામાં પેન્શનની રકમ અડધી થઈ ગઈ હતી, એમાંથી પણ બે હજાર કોઈ ખ્વાજા હાજી નામના શખ્સને મળતા હતા, તેથી ગાલિબના પરિવારને તો વર્ષે ૩,૦૦૦ જ મળતા હતા. ગાલિબની માતા શ્રીમંત પરિવારનાં હતાં, તેથી માતા જીવતાં હતાં ત્યાં સુધી કુટુંબને કોઇ આર્થિક તકલીફ પડી નહોતી.

૧૩ વર્ષે લગ્ન

તેર વર્ષની ઉંમરે ગાલિબનાં લગ્ન દિલ્લીના એક ખાનદાની નવાબ ઇલાહી બખ્શ ખાન 'મારૂફ'ની દીકરી ઉમરાવ બેગમ સાથે થયાં હતાં. ઉમરાવ બેગમની ઉંમર ૧૧ વર્ષ હતી. લગ્ન પછી ગાલિબ ૧૮૧૨-૧૩માં દિલ્લી જતા રહ્યા હતા. ગાલિબના પૂર્વજો સિપાઈ હતા, તેથી ગાલિબ આમ તો સિપાઈબચ્ચા હતા પણ રવાડે ચડી ગયા શાયરીને. તેઓ આગરામાં હતા ત્યારે ૧૧ વર્ષની ઉંમરે જ શાયરી લખવાની શરૂ કરી દીધી હતી. ફારસીના મશહુર શાયર 'બેદિલ'ની તરજ પર તેમણે કેટલીક રચનાઓ રચી હતી, જેમાં રચનાવલી ફારસી ઢબની હતી. પંદરથી પચ્ચીસ વર્ષના ગાળા દરમ્યાન ગાલિબને ભાન થયું કે મારી અગાઉની કેટલીક રચનાઓ પેચીદી હતી તેથી તેમણે જ એ કેટલીક રચનાઓ રદ કરી હતી.

ગાલિબ દિલ્લી આવી ગયા, પરણી ગયા પણ નભતા તો પેન્શનને ટેકે જ હતા. અધૂરામાં પૂરુંં અંગ્રેજ સરકારનું પેન્શન પૂરેપૂરુંં મળતું નહોતું. એ સિલસિલામાં ગાલિબે એક અરજી કલકત્તામાં કરી હતી, જેની સુનાવણી માટે તેઓ બે વર્ષ કલકત્તા રહ્યા હતા, છતાં પેન્શન મામલે તેમને કોઈ રાહતવાળો જવાબ મળ્યો નહોતો. અધૂરામાં પૂરુંં ગાલિબનો નાનો ભાઈ યુસુફ જેના પ્રત્યે ગાલિબને ખૂબ પ્રેમ હતો તે માનસિક રીતે વિક્ષિપ્ત થઈ જતાં તેના પરિવારની જવાબદારી ગાલિબને માથે આવી ગઈ હતી.

મતલબ કે બાળપણ પૂરેપૂરુંં ઠાઠમાઠથી વિતાવનાર ગાલિબની માથે જોખમ અને જવાબદારી એક સામટાં ત્રાટક્યાં હતાં.

૧૮૫૭નો વિપ્લવ અને ગાલિબ

દિલ્લી આખરી મુઘલિયા સલ્તનત હતી, તેના નવાબ બહાદુરશાહ ઝફર પોતે શાયર હતા અને કલાના કદરદાન હતા. તેમના ઉસ્તાદ શેખ ઇબ્રાહીમ ઝોકનું ૧૮૫૪માં નિધન થતાં તેમણે ગાલિબને ઉસ્તાદનો દરજ્જો આપ્યો હતો, તેમણે ગાલિબને મુઘલવંશનો ઇતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું અને ખિતાબોથી નવાજ્યા હતા. ગાલિબને માસિક વેતન મળતું હતું, જો કે એ સુખના દાડા પણ લાંબુ ટક્યા નહીં. ૧૮૫૭માં વિપ્લવ થયો અને પરિસ્થિતિ પલટાઈ ગઈ. ગાલિબને મળતું બહાદુરશાહ ઝફરનું માસિક વેતન અને અંગ્રેજ સરકારનું પેન્શન બંધ થયું. ૧૮૫૭ પછી ગાલિબની લાઇફમાં પરેશાનીઓએ ઘેરો ઘાલ્યો હતો. ૧૮૫૭ના વિપ્લવને પગલે અંગ્રેજ સેનાએ દિલ્લીમાં કાળો કેર વર્તાવ્યો હતો, એ જ દિવસોમાં ગાલિબના ભાઈનું મોત થયું અને તેમના જનાજાને તેઓ કાંધ પણ ન આપી શક્યા. ગાલિબની સગી બહેનનો મોટો દીકરો આશૂર બેગ પોતાના દીકરા સાથે અંગ્રેજોની ગોળીઓનો શિકાર બન્યો. ગાલિબના ઘણા સંબંધી, દોસ્તો માર્યા ગયા. કેટલાકને ફાંસીએ લટકાવાયા, કેટલાક દિલ્લી છોડીને ચાલ્યા ગયા, ગાલિબ એકલા-અટૂલા રહી ગયા હતા. એ વખતની તેમની માનસિક પરિસ્થિતિ તેમણે લખેલા પત્રોમાં ઝળકે છે. એક પત્રમાં તેઓ લખે છે … મેરા હાલ ખુદા કે અલાવા કોઈ નહીં જાનતા. કહને કો હર કોઈ ઐસા કહ સકતા હૈ, મગર મૈં અલી કો ગવાહ કર કે કહેતા હું કે ઈન મૃતકો કે શોક મેં ઔર જીવિતોં કે બિછડને કે દુઃખમેં સારી દુનિયા મેરે લિયે અંધકારમય હૈ. યહાં અમિર ઔર ખાતેપીતે લોગોં કે બીવી-બચ્ચે ભીખ માગતે ફિરે ઔર મેં દેખું, ઇસ મુસીબત કો બર્દાશ્ત કરને કે લિયે જિગર ચાહીયે. ઇતને યાર મરે કિ અબ જો મૈં મરું તો કોઈ રોનેવાલા ભી ન હોગા. ગાલિબનાં જીવનના છેલ્લાં વર્ષો ખૂબ ખરાબ રહ્યાં. સાંભળવાની શક્તિ જતી રહી હતી. બીમારીઓએ ગાલિબને ઘેરી લીધા હતા.     

છેલ્લા દિવસો

ગાલિબના અંતિમ દિવસો વિશે વર્ણન કરતાં તેમના શાગિર્દ અલ્તાફ હુસૈન હાલીએ લખ્યું હતું કે "મોતના થોડાં વર્ષ અગાઉ તેમનું ચાલવાનું સાવ બંધ થઈ ગયું હતું. મોટે ભાગે પલંગ પર જ પડયા રહેતા હતા. ખોરાક ઓછો થઈ ગયો હતો. એવી પરિસ્થિતિમાં પણ તેઓ પત્રના જવાબ આપતા હતા. પોતે લખતા અથવા તો કોઈને બોલાવીને તેમની પાસે લખાવતા હતા. જે દિવસે એમનું નિધન થયું એના એક દિવસ અગાઉ હું તેમને મળવા ગયો હતો. એ દિવસે તેમની તબિયત સારી વર્તાતી હતી. નવાબ અલ્લાઉદ્દીન ખાને મોકલેલા પત્રનો તેઓ જવાબ લખાવી રહ્યા હતા. તેમણે ગાલિબના ખબરઅંતર પૂછયા હતા. જવાબમાં ગાલિબે ફારસીનો એક શેર લખાવ્યો હતો અને એક વાક્ય લખાવ્યું હતું. વાક્ય હતું, "મેરા હાલ મુજસે ક્યા પૂછતે હો, એકાધ રોજ મેં પડોશિયોં સે પૂછના.' એના બીજા દિવસે ગાલિબે જન્નતની હકીકત જાણવા દુનિયાને અલવિદા કહી દીધી હતી. ૭૧ વર્ષ ૧ મહિનો અને ૨૦ દિવસ તેઓ જીવ્યા હતા.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 09 ડિસેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3195273

Loading

...102030...3,7323,7333,7343,735...3,7403,7503,760...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved