Opinion Magazine
Number of visits: 9664854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રો. અશ્વિન કારીઆની નજરે

અશ્વિન કારીઆ|Opinion - Opinion|4 March 2025

(૧) આપણા લોક–પ્રતિનિધિઓ

અશ્વિનકુમાર કારિયા

એ જાણીતી વાત છે કે ભારત આઝાદ થયા પૂર્વે દેશમાં રાજાશાહીનો અમલ હતો. દરેક રાજ્ય-શાસનનો વહીવટ અને કાનૂનો અલગ અલગ હતા. કેટલાંક રજવાડાંઓમાં ‘રાજાનો શબ્દ એ જ કાયદો’નું ચલણ હતું. પરંતુ આઝાદીની ઉષા સાથે થોડા સમયમાં જ બંધારણના અમલ સાથે પ્રજાના કોઈ વર્ગ સાથે એકતરફી ભેદભાવ નાબૂદ થવા સાથે પ્રજાના તમામ વર્ગોને સ્પર્શતા સમાન કાયદાઓ ઘડાયા. બંધારણ સર્વોચ્ચ કાનૂન તરીકે સ્થાપિત થયું. ૨૦૧૪ સામાન્ય ચૂંટણીઓમાં ભા.જ.પ.નો વિજય થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ગૃહને નમન કરી જાહેર કર્યું કે “આપણે લોકશાહીના મંદિરમાં છીએ. દેશના બાંધવો માટે આપણે ખુલ્લા મન સાથે કામ કરીશું. કાર્ય અને જવાબદારી એક જ સિક્કાની બે બાજુ છે.” પરંતુ લોકસભાના છેલ્લા સત્રમાં સંસદમાં થયેલ ધમાલનાં દૃશ્યો ચિંતાજનક છે. આ દૃશ્યો આપણા લોક-પ્રતિનિધિઓની લોકશાહી તરફની પ્રતિબદ્ધતા વિશે શંકા જન્માવે છે.

બંધારણના શરૂઆતના શબ્દો સૂચવે છે કે બંધારણ લોકો દ્વારા ઘડાયેલ છે. બંધારણ સભાની આ ચર્ચા દરમ્યાન પુરુષોત્તમદાસ ટંડને કહેલું, “લોકો એટલે તમામ લોકો.” મીનૂ મસાણીએ ગાંધીજીને ટાંકી કહ્યું છે કે “રાજ્ય લોકો માટે છે અને રાજ્ય લોકકલ્યાણ માટેનું સાધન છે. લોકો ચડિયાતા છે અને રાજ્ય ગૌણ છે.” આપણા સાંસદો બંધારણ સભાનો આ સંદેશ વિસરી ગયા છે. શ્યામાપ્રસાદ મુખરજીએ પણ લોક-અપેક્ષા વ્યક્ત કરતાં કહ્યું છે કે, “અનેક અવરોધો છતાં ભારતને મહાન બનાવવા આપણે કાર્યરત રહીશું. આપણે મજબૂત અને સંગઠિત રહીશું. આ માતૃભૂમિ આ કે તે સમૂહ, કે વર્ગની નહીં પરંતુ દરેક સ્ત્રી, પુરુષ અને બાળકની છે અને તેમાં કોઈ જાતિ કે જ્ઞાતિને સ્થાન નથી.” બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આ સંદેશને વાચા આપતાં કહ્યું, “જો આપણે સંનિષ્ઠ રહીએ, જો આપણે એકબીજાના અભિપ્રાયનું સન્માન કરીએ, તો આપણે કોઈ પણ પ્રશ્નના મૂલ સુધી પહોંચીશું અને એકબીજાની વાસ્તવિક તકલીફો સમજીશું. કોઈને એમ વિચારવાની તક રહેશે નહીં કે તેનો અભિપ્રાય સન્માનવામાં આવેલ નથી.”

આંબેડકરના મતે પ્રમુખશાહી કરતાં સંસદીય લોકશાહી સરકાર વધુ ઇચ્છનીય એટલા માટે હતી કે કારોબારી પર પ્રસ્તાવો, ચર્ચા, પ્રશ્નોત્તરી, વગેરેના માધ્યમથી સંસદનો અંકુશ રહે છે. પરંતુ આજકાલ સંસદમાં ચર્ચા કે પ્રસ્તાવોને સ્થાન નથી. ગણતરીની મિનિટોમાં ખરડાઓ સંસદમાં પસાર થઈ જાય છે. દેશના અતિ મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં નથી આવતી. પરિણામે વિરોધ પક્ષોના વિરોધના કારણે હોબાળો અને ધમાલ થાય છે. અનેક વખત સંસદનાં બંને ગૃહો મોકૂફ રાખવાની ફરજ પડે છે. અનેક સાંસદોને સસ્પેન્ડ કરી તેમને ચર્ચામાં ભાગ લેતા અટકાવવામાં આવે છે. સંસદમાં ચર્ચા અને પ્રશ્નોત્તરી તેનો પ્રાણ છે. પરંતુ તેના પર લીંપણ થયેલ હોવાનો ઘાટ છે.

જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં કહેલ, “ભારતની પ્રગતિનો માર્ગ મૈત્રી, સહકાર અને શુભેચ્છાથી શરૂ થાય છે.” કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ડૉ. આંબેડકર વિશે કરેલ કેટલાંક ઉચ્ચારણોને લઈને પણ સંસદમાં હોહા સર્જાઈ હતી. ડૉ. આંબેડકરે બંધારણ સભામાં કહેલ, “આપણે મોટા સમૂહને સાથે લઈ ચાલવાનું છે અને તમામ સમૂહો માટે સમાન નિર્ણય લઈ સહકારથી એવા રસ્તા પર કૂચ કરવાની છે કે જે આપણને એકતા તરફ દોરી જાય. તેથી આપણે સૂત્રોને બાજુ પર મૂકીએ, ડરામણા શબ્દો ન પ્રયોજીએ, વિરોધીઓ તરફ પૂર્વગ્રહ ન રાખીએ કે જેથી તેઓ વિકાસકૂચમાં સાથે રહી શકે.” શું આપણે એવી આશા ન રાખી શકીએ કે અપમાનજનક શબ્દો પાછા ખેંચી લેવામાં આવે અને રેકર્ડ પરથી તે શબ્દો દૂર કરવામાં આવે ? દરેકે અન્ય સાથે સંવાદ કરવો જોઈએ અને બીજાની વાત ધીરજથી સાંભળવી જોઈએ.

દેશમાં ગરીબી, નિરક્ષરતા, બેરોજગારી, પ્રદૂષણ, વસ્તી વધારો, આર્થિક તેમ જ સામાજિક અસમાનતા જેવા અનેક પ્રાણપ્રશ્નો છે. સાંસદોએ તેની વિચારણા કરી તેનો ઉકેલ લાવવાનો છે. બંધારણ લોક કલ્યાણને વરેલું છે. સંસદમાં લોકહિતની વાત થવી જોઈએ, સત્તા કેન્દ્રિકરણ બંધારણ એજન્ડામાં નથી. લોકશાહીને મજબૂત બનાવવાની જરૂર છે. સંસદમાં થતા બૂમ-બરાડાથી ખર્ચ અને સમયની બરબાદી થશે. તેનાથી લોકશાહી મજબૂત બનવાના બદલે પાંગળી થશે. બંધારણ ઘડવૈયાઓનું શું આ અપમાન નથી ?

(માહિતી સૌજન્ય : દુષ્યંત દવેનો ડિસેમ્બર 24, 2024 ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયેલ લેખ)

•••

(૨) કાચા કામના કેદીઓની વહારે સર્વોચ્ચ અદાલત

દેશમાં ન્યાયતંત્ર અદાલતોમાં આશરે ૫ કરોડ કરતાં વધારે કેસોના ભરાવાનો પ્રશ્ન તાકીદે ઉકેલ માગે છે. તેની સાથે જ ન્યાયતંત્ર સાથે સંબંધિત જેલોમાં કેદીઓનો ભરાવો, કેસની સુનાવણી થયા વિના કેદમાં સબડતાં સ્ત્રીઓ અને બાળકો સાથે હજારો કેદીઓની દયનીય હાલતનો પ્રશ્ન પણ તાત્કાલિક સમાધાન માગે છે. પરંતુ આ કેદીઓની વ્હારે હવે સર્વોચ્ચ અદાલતે કદમ ઉઠાવેલ છે અને ચોક્કસ વર્ગીકરણની મર્યાદામાં સમાવિષ્ટ થતા કેદીઓને જેલમાંથી મુક્તિની આશા જાગી છે.

એ જાણીતું છે કે ગત જુલાઈથી ત્રણ મહત્ત્વના જૂના કાયદાઓ રદ્દ કરી તેના સ્થાને નવા કાનૂનો અમલમાં લાવવામાં આવેલ છે. તે પૈકીના જૂના ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩, ક. ૪૩૯ – એની જોગવાઈ નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩, ક.૪૭૯માં યથાવત્ જાળવી રખાયેલ છે. જૂના કાયદાની જોગવાઈ (ક.૪૩૬એ) મુજબ જે ગુનેગારે કાયદાથી નિયત કરાયેલ ગુરુત્તમ (મેક્સીમમ) સજાની અર્ધી સજા (સમય) જેલમાં ગુજારેલ હોય તેને જામીન પર મુક્ત કરવાની જોગવાઈ હતી. પરંતુ નવા કાયદાની ક.૪૭૯માં જામીન અંગેની આ જોગવાઈ વધુ ઉદાર બનાવાયેલ છે. આ કલમની જોગવાઈ મુજબ સજાના અર્ધા સમયને ઘટાડીને ૧/૩ સમય નિયત કરાયેલ છે. એટલે કે જે ગુનેગાર (આરોપી) કાયદાએ નિયત કરેલ ગુરુત્તમ સજાનો ૧/૩ સમય પણ જેલમાં ગુજારેલ હોય તો તેને જામીન પર મુક્ત કરવામાં આવશે. આ નવા કાયદામાં આરોપીને મુક્ત કરવાની જોગવાઈ હજુ વધારે હળવી દાખલ કરાયેલ છે. આ જોગવાઈ મુજબ જે પ્રથમ વખત કોઈ ગુનાનો આરોપી હોય (એટલે કે તેને અગાઉ ક્યારે ય કોઈ ગુના બદલ સજા થયેલ ન હોય) તે વ્યક્તિ જો ૧/૩ સજા જેલમાં ભોગવે તો તેને અદાલત તરફથી ખત (બોન્ડ) પર મુક્ત કરવામાં આવશે.

તંત્ર સામે આપણી એ કાયમી ફરિયાદ રહી છે કે કાયદાના અસરકારક અમલનો અભાવ છે. ગુનેગારને આ સંજોગોમાં તેમને લાભકારક જોગવાઈનો અમલ થતો ન હતો. આથી લાખો કાચા કામના કેદીઓ તેમની સામેના ગુનાની સુનાવણી ન થવાથી જેલની દોઝખ દશામાં સબડી રહ્યા હતા. દેશના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે (જસ્ટીસ આર.સી. લાહોટી) જેલોમાં કેદીઓનો ભરાવો, હવાલાત મૃત્યુ (કસ્ટોડીયલ ડેથ), તાલીમ પામેલા જેલ કર્મચારીઓની અછત, વગેરે મુદ્દાઓ તરફ પત્ર લખી સર્વોચ્ચ અદાલતનું ધ્યાન દોર્યું. જાહેર હિતની આ અરજીની સુનાવણીમાં અદાલત મિત્ર (amicus curial) ગૌરવ અગ્રવાલે રજૂઆત કરી કે. ક.૪૭૯નો વહેલામાં વહેલી તકે અમલ કરી, કાચા કામના કેદીઓને જામીન પર મુક્ત કરવાની જરૂર છે અને તેનાથી જેલોમાં ભીડનો પ્રશ્ન પણ હલ થશે.

સર્વોચ્ચ અદાલતે ગત ૨૩ ઑગસ્ટના રોજ હુકમ કરી ક.૪૭૯નો લાભ નવા કાયદા પૂર્વે જૂના કાયદા હેઠળ જેલમાં રહેલ પ્રથમ વખતના ગુનેગારોને પણ મળવા ઠરાવેલ છે. અદાલતે તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોને તેમને ત્યાં જેલોમાં રહેલા કાચા-કામના કેદીઓની કુલ સંખ્યા, આવા કેદીઓની જામીન પર મુક્ત થવા થયેલ અરજીઓ, અને મુક્ત કરાયેલ આવા કેદીઓની સંખ્યા સાથે બે માસમાં સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો. ખરેખર તો આ કલમથી આવા કેદીઓને સજાનો ૧/૩ સમય પૂરો થયે, મુક્ત કરવાની જેલ સુપ્રિન્ટેન્ડન્ટની ફરજ છે. પરંતુ તેમાં નિષ્કાળજી છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે કુલ ૩૬ રાજ્યો તેમ જ સંઘ પ્રદેશોમાંથી માત્ર ૧૯ સોગંદનામાં રજૂ કરેલ છે.

કાચા કામના કેદીઓના ચોંકાવનારા આંકડાઓ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોની ડિસેમ્બર ૨૦૨૩માં પ્રગટ થયેલ વિગત પ્રમાણે દેશમાં કેદીઓની કુલ સંખ્યા ૫,૭૩,૨૨૦ છે. અને તેમાંથી કાચા કામના કેદીઓની સંખ્યા ૪,૩૪,૩૦૨ છે. એટલે કે કુલ કેદીઓની સંખ્યાના ૭૫.૮ ટકા કેદીઓ કાચા કામના કેદીઓ છે. જેલોમાં રહેલ કુલ કેદીઓમાં ૨૩,૭૭૨ મહિલાઓની સંખ્યા છે. અને તેમાં ૧૮,૧૪૬ કાચા કામના કેદીઓ (મહિલાઓ) છે. આ સંખ્યા ૭૬.૩૩% છે. ડિસેમ્બર ૩૧, ૨૦૨૨ના રોજ ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં રહેલ કાચા કામના કેદીઓની સંખ્યા ૮.૬ ટકા છે.

•••

(૩) રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ – ભા.જ.પ. અને ડૉ. આંબેડકર

સંસદની છેલ્લી બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહે ડૉ. આંબેડકર વિશે કરેલ કેટલાંક ઉચ્ચારણો વિરોધ પક્ષોને અપમાનજનક લાગતાં, મોટો હોબાળો થયો, સામસામાં વિરોધ પ્રદર્શનો થયાં અને સંસદના ગૃહોમાં માંડ ૫૦ ટકા જેટલું કામકાજ હાથ ધરી શકાયું.

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ – ભા.જ.પ.ને ડૉ. આંબેડકર સાથે શરૂઆતમાં અણગમતો નાતો હતો અને રાજકીય સમીકરણો ૧૯૭૭થી બદલાવા લાગતાં, હવે તેમના તરફ માન અને પ્રેમ દર્શાવાઈ રહ્યાં છે. તા. ૧૩ ઑક્ટોબર ૧૯૩૫માં કચડાયેલ વર્ગોની પરિષદ મુંબઈમાં યોજાઈ હતી અને તેમાં ડૉ. આંબેડકરે જાહેર કરેલ કે પોતાનો જન્મ ભલે હિંદુ તરીકે થયો, પરંતુ તેઓ હિંદુ તરીકે મૃત્યુ પામવા ઇચ્છતા નથી. આ પરિષદ પછીના તરત બીજા વર્ષે મુંબઈમાં મળેલ દલિત સમાજની સભામાં તેમણે આ વાતનું પુનરુચ્ચારણ કરી હિંદુ ધર્મ ત્યાગવાનો પોતાનો નિર્ણય જાહેર કરેલ હતો. જાણીતા ઇતિહાસકાર કીથ જણાવે છે કે ડૉ. આંબેડકરની આ જાહેરાતે હિંદુ રાષ્ટ્રવાદીઓનાં મનમાં ચિંતા જન્માવી હતી. તેના પગલે સાવરકરના નાના ભાઈએ આંબેડકર અને હિંદુ ધર્મના પ્રચારક મસુરકર મહારાજ વચ્ચે એક બેઠકનું આયોજન કરેલ.

૧૯૩૫નાં શરૂઆતનાં વર્ષોમાં લાહોર સ્થિત અને આર્યસમાજ તેમ જ હિંદુ મહાસભા સાથે સંલગ્ન જાતપાત તોડક મંડળ સંગઠને ‘જાતિની નાબૂદી’ વિષય પર ડૉ. આંબેડકરનું પ્રવચન રદ કરેલ હતું. હિંદુ મહાસભાએ આ મુદ્દે ડૉ. આંબેડકર સાથે ચર્ચા કરવા તેના પૂર્વપ્રમુખ બી. એસ. મુનજીને નીમ્યા હતા. સાવરકરના નાના ભાઈ વી.ડી. સાવરકર આંબેડકરના પ્રશંસક હતા અને તેમની સાથે સહકાર સાધવાની તેમની ઇચ્છા હતી, જે પૂરી થઈ શકી ન હતી. વી.ડી. સાવરકરે આંબેડકરના મહાડ અને નાસિક સત્યાગ્રહને બિરદાવેલ હતા. આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશને તેમણે હિંદુ સંસ્કાર અને માનવતા વિરુદ્ધની થિયરીને વી.ડી. સાવરકરે ટેકો આપેલ હતો.

આંબેડકરે સાવરકરને રત્નાગીરી જિલ્લામાં થયેલ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આમ છતાં આંબેડકરનું હિંદુ મહાસભા કે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સાથે રાજકીય જોડાણ શક્ય બન્યું ન હતું. આંબેડકરે અનુસૂચિત જાતિ મહાસંઘના ૧૯૫૧માં જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ જણાવ્યું કે હિંદુ મહાસભા અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ જેવાં પ્રત્યાઘાતી પરિબળો સાથે પોતે જોડાણ કરશે નહીં.

આઝાદી બાદ પણ હિંદુ રાષ્ટ્રવાદીઓને આંબેડકર સાથે મનમેળ થયો નહીં. કાયદા પ્રધાન તરીકે આંબેડકરે હિંદુ કાયદામાં સુધારા સૂચવતો ‘હિંદુ કોડ બિલ’ રજૂ કર્યો ત્યારે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે તેનો જોરદાર વિરોધ કર્યો. ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ આ ખરડાને હિંદુ સંસ્કૃતિ પર આક્રમણ તરીકે વર્ણવેલ. સામયિક ‘ઓર્ગેનાઈઝર’માં ૧૯૪૯માં પ્રગટ થયેલ એક લેખમાં આ ખરડાને અનૈતિક, હિંદુ ધર્મ વિરોધી અને ક્રૂર ગણવામાં આવેલ. હિંદુ રાષ્ટ્રવાદીઓ તેમ જ કેટલાક કૉંગ્રેસી રૂઢિચુસ્તોના વિરોધના પરિણામે આ ખરડો પડતો મુકાવાથી નારાજ આંબેડકરે પ્રધાન-મંડળમાંથી રાજીનામું આપેલ.

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના અભિગમમાં બદલાવ

આંબેડકરે ૧૯૫૬માં આશરે ૫ લાખ દલિતો સાથે બૌદ્ધધર્મમાં કરેલ ધર્માંતરથી હિંદુ રાષ્ટ્રવાદીઓને આંચકો લાગ્યો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે અહીંથી પોતાની રણનીતિ બદલી. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે આંબેડકરની પ્રશંસા કરવાનું શરૂ કર્યું અને તે માધ્યમથી દલિતો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. અધૂરામાં પૂરું કેટલાક નીચલા વર્ણના હિંદુઓએ તામિલનાડુના તિરૂનેવલી જિલ્લામાં ૧૯૮૧માં મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની ટોચની સંસ્થા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ અનામત જોગવાઈનું સમર્થન કર્યું. સંઘે ૧૪ એપ્રિલ, ૧૯૮૩માં આંબેડકર અને હેડગેવર, બંનેના જન્મ દિવસની મહારાષ્ટ્રમાં ઉજવણી કરી. સંઘે ૧૯૯૦માં આંબેડકર તેમ જ જ્યોતિબા ફુલેનું જન્મ શતાબ્દી વર્ષ પણ ઊજવ્યું. વી.પી. સિંગ રાજીવ ગાંધી સામે બળવો કરી ભા.જ.પ.ના ટેકાથી વડા પ્રધાન પદે આરૂઢ થયા. તેમની સરકારે આંબેડકર પ્રતિ આદર પ્રગટ કરવા અને તેમનો વારસો જાળવવા શ્રેણીબદ્ધ પગલાંઓ લીધાં. આંબેડકરને મરણોત્તર ‘ભારતરત્ન’ ખિતાબ અર્પણ કરાયો. તેમનું તૈલચિત્ર સંસદના મધ્યસ્થ ખંડમાં મુકાયું અને અનુસૂચિત જાતિ-જનજાતિ વિરુદ્ધ અત્યાચાર નિવારણ કાનૂન પસાર કરાયો. આ બધાની પાછળ આશય દલિત મતબેંક પર કબજો જમાવવાનો હતો.

૨૦૧૪માં કેન્દ્રમાં ભા.જ.પે. સત્તા સુકાન સંભાળ્યા બાદ વડા પ્રધાન મોદીએ પોતાનાં જાહેર ભાષણોમાં ડૉ. આંબેડકરના પ્રદાનની અનેક વાર પ્રશંસા કરી છે. કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જૂએ તા. ૧૪-૧૨-૨૦૨૪ના રોજ લોકસભામાં જાહેરાત કરી કે મોદી સરકારે આંબેડકર સાથે સંબંધિત પાંચ તીર્થ સ્થાનો વિકસાવવા નિર્ણય લીધો છે. તેમાં આંબેડકરનું મધ્ય પ્રદેશમાં આવેલું જન્મ સ્થળ, લંડનમાંનું તેમનું ઘર સમાવિષ્ટ છે. ઉપરાંત બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરીઅલની સ્થાપના કરાયેલ છે. મુંબઈના ‘ચૈતન્ય-ભૂમિ’નો વિકાસ વિચારણા હેઠળ છે. આંબેડકરની ૪૩૦ ફૂટ ઊંચી પ્રતિમા મુંબઈમાં સ્થાપવામાં આવનાર છે. સંઘ સંચાલક મોહન ભાગવતે બિહાર ચૂંટણી સભામાં ૨૦૧૫માં અનામત જોગવાઈની સમીક્ષા કરવાનું સૂચન કરેલ. ભા.જ.પ.ને તેનાથી નુકસાન થવાની ભીતિ જણાઈ. મોહન ભાગવતે તરત જ પોતાની ભૂલ સુધારી અને વિજયાદશમીના રોજ મળેલ સભામાં આંબેડકરની પ્રશંસા કરી હતી. ગત ૬ સપ્ટેમ્બરના રોજ મોહન ભાગવતે નાગપુરમાં જાહેરાત કરી હતી કે સમાજમાં જ્યાં સુધી ભેદભાવ છે ત્યાં સુધી અનામત જોગવાઈ ચાલુ રહેવી જોઈએ.

(માહિતી સૌજન્ય : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ તા. ૨૧-૧૨-૨૦૨૪ના અંકમાં વિકાસ પાઠકનો પ્રગટ લેખ)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 15-16 તેમ જ 18 

Loading

વિજ્ઞાનપ્રેમી સ્વામી વિવેકાનંદ

વિકાસ ઉપાધ્યાય|Opinion - Opinion|4 March 2025

સ્વામી વિવેકાનંદ

આપણે સ્વામી વિવેકાનંદને વિશ્વમાં પ્રથમ વાર સનાતન ધર્મ – સંસ્કૃતિનો ધ્વજ લહેરાવનાર પ્રખર સંન્યાસી અને રાષ્ટ્રની યુવાશક્તિના જ્વલંત પ્રતીક તરીકે ઓળખીએ છીએ. અનેક મહાનુભાવોએ એમના અંગે ખૂબ જ ઉચ્ચ અભિપ્રાયો દર્શાવ્યા છે. શિકાગોના એમના વ્યાખ્યાનની ખ્યાતિ આજે પણ એટલી જ અકબંધ છે ત્યારે સ્વામી વિવેકાનંદના રાષ્ટ્રવાદી અને પ્રગતિશીલ દૃષ્ટિવંત વિચારોએ દેશ-વિદેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કેવો પ્રભાવ પાથર્યો હતો એની થોડી વાત કરવી જોઈએ.

સ્વામી વિવેકાનંદ જ્યારે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા જાપાનથી અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે તેમનો મેળાપ જમશેદજી તાતા સાથે થયો હતો. જમશેદજી તાતા પણ અમેરિકામાં યોજાયેલા કોલમ્બિયન ઉદ્યોગ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. સ્વામીજી, પ્રગતિશીલ વિચારોથી, શિક્ષણ, વિજ્ઞાન – ટેકનોલોજી અને ઉદ્યોગોના દેશમાં આગમનથી જ દેશનું દળદર ફિટશે એમ માનતા તેથી તેમણે જમશેદજી તાતાને જણાવ્યું કે તેઓ માત્ર વેપાર જ નહીં, દેશમાં જ ઉદ્યોગ સ્થાપવાનું વિચારે અને એનાથી પણ આગળ વધીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દેશમાં જ એનું શિક્ષણ-સંશોધન થઈ શકે એવી વ્યવસ્થા માટે કોઈ સંસ્થાની જરૂર હોવાનું પણ જણાવ્યું.

જમશેદજી તાતાએ ભારતમાં આવી એ માટે પ્રયત્નો શરૂ કર્યા પણ બ્રિટિશરો ભારતમાં આવી કોઈ સંશોધન સંસ્થા સ્થપાય એવું ઇચ્છતા ન હતા એટલે કાર્ય પ્રગતિમાં આવતું નહીં. અંતે જમશેદજી તાતાએ ખુદ એક પત્ર પાઠવી સ્વામી વિવેકાનંદ પાસે મદદ માગી. પોતાના પ્રતિનિધિને પણ મળવા મોકલ્યા. એટલે સ્વામીજીએ ભગિની નિવેદિતાને આ કાર્યમાં જોડી દીધાં. સ્વામીજીએ ‘પ્રબુદ્ધ ભારત’માં એક વિસ્તૃત લેખ લખી સૌને મદદરૂપ થવા અનુરોધ કર્યો. બેંગ્લોરનાં મહારાણીને પત્ર લખી આ માટે જમીન પણ મેળવી આપવામાં મદદ કરી. ભગિની નિવેદિતાએ અમેરિકા અને બ્રિટનમાંથી પણ દબાણ ઊભું કર્યું અને ઈ.સ. ૧૯૦૯માં બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની સ્થાપના થઈ. જો કે કમનસીબી એ રહી કે આ સંસ્થાની સ્થાપના માટે પ્રેરણા કરનારા સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૯૦૨માં મહાસમાધિને પામી ગયા અને જમશેદજી તાતાનું ઈ.સ. ૧૯૦૪માં જ નિધન થઈ ગયું. આ સંસ્થાની ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને સંશોધનમાં કેટલી મોટી ભૂમિકા રહેલી છે એ આજે કોઈથી અજાણ્યું નથી.

ભારતીયો વિજ્ઞાનના ક્ષેત્રમાં, સંશોધનના ક્ષેત્રમાં આગળ આવે એ એમનું એક સ્વપ્ન રહ્યું હતું. તેઓ આવી પ્રગતિ જોઈ રાજી થતા હતા. જ્યારે તેઓ પેરિસની યાત્રાએ હતા ત્યારે ત્યાં યોજાયેલી ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑફ ફિઝિક્સમાં થતાં પ્રવચનો સાંભળવા પણ ગયા હતા. એમાં જગદીશચંદ્ર બોઝે રજૂ કરેલા સંશોધનપત્રથી અને કોઈ ભારતીયએ વિશ્વમાં વિદ્વાનો સમક્ષ ભારતીય ચિંતન અને વિજ્ઞાનને મૂર્તરૂપે રજૂ કરતા એમના વક્તવ્યથી ખૂબ ગૌરવાન્વિત થયા હતા. પછી તો તેમણે જગદીશચંદ્ર બોઝને તેમના સંશોધનની પેટન્ટ માટે પણ અનુરોધ કર્યો હતો અને જ્યારે જગદીશચંદ્ર બોઝે એ માટે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે સિસ્ટર નિવેદિતા અને એમના એક  અનુયાયી સારા ઓલે બુલને આ કામ સોંપી, અરજી કરાવી ઈ.સ. ૧૯૦૪માં પ્રથમ સેમિકન્ડક્ટર સેલ અને ફોટોવોલેટિક સેલ માટે અમેરિકામાં પેટન્ટ મેળવી હતી. સ્વામી વિવેકાનંદને ભારતીય વિજ્ઞાન અને વિજ્ઞાનીઓના કામની કેટલી કદર અને ચિંતા હતી એ આમાં જોઈ શકાય છે. સિસ્ટર નિવેદિતા તો જગદીશચંદ્ર બોઝના કૌટુંબક મિત્ર પણ બની રહ્યાં હતાં.

અમેરિકા અને યુરોપમાં પણ સ્વામી વિવેકાનંદનાં પ્રવચનોની ખ્યાતિ જબરદસ્ત ફેલાઈ હતી અને એનાથી પ્રભાવિત થનારાઓમાં ત્યાંનો પ્રબુદ્ધ વર્ગ ઉપરાંત અનેક વિજ્ઞાનીઓ પણ હતા. આધુનિક મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના એક દિગ્ગજ મનોવિજ્ઞાની ન્યૂયોર્કની હાર્વર્ડ યુનિવર્સિટીના વિલિયમ જેમ્સ પણ એમાંના એક હતા. આ યુનિવર્સિટીમાં સ્વામીજીએ ભારતીય મનોવિજ્ઞાનના મૂળગ્રંથ જેવા પતંજલિ યોગદર્શનના વર્ગો ચલાવ્યા હતા. જેના ફળ સ્વરૂપે રાજયોગ નામનું પુસ્તક મળ્યું હતું.

સ્વામી વિવેકાનંદ વિજ્ઞાનજગતના તત્કાલીન પ્રવાહોથી પણ વાકેફ હતા. જેમ કે ઉત્ક્રાંતિ અંગેની ચાર્લ્સ ડાર્વિનની થિયરી બાબતે પણ તેમનો પોતાનો મત હતો. તેઓ ડાર્વિનની થિયરીમાં કંઈક ખૂટે છે એમ માનતા. સ્વામી વિવેકાનંદની વિદ્વત્તાથી પ્રભાવિત હાર્વર્ડ અને કોલંબિયા યુનિવર્સિટીએ તો તેમને ત્યાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક આપવાની પણ તૈયારી દર્શાવી દીધી હતી. એ રીતે લોર્ડ કેલ્વિન અને હોમ્લહોલ્ટઝ જેવા પ્રખર વિજ્ઞાનીઓ પણ સ્વામીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. જો કે વિજ્ઞાનીઓમાં સૌથી ઘેરો પ્રભાવ જાણીતા ભૌતિકશાસ્ત્રી નિકોલા ટેસ્લા પર પડ્યો હતો. તેમણે અલ્ટરનેટિવ કરન્ટ અને ટેસ્લા કોઈલની શોધ કરી ડંકો વગાડી દીધો હતો. નિકોલા ટેસ્લાની સ્વામીજી સાથેની મુલાકાત સારા બનહાર્ટ નામની વિખ્યાત અભિનેત્રીના આમંત્રણને કારણે થઈ હતી. ત્યાં ટેસ્લા સાથે તેમની વાતચીત દરમિયાન નિકોલા ટેસ્લાએ સ્વામીજી પાસે અદ્વૈત તત્ત્વજ્ઞાન અને વેદાંતની વાતોનો પરિચય મેળવ્યો. આકાશ, પ્રાણ અને બ્રહ્મ જેવી વેદાંતની વિભાવનાઓથી પ્રથમ વાર જ પરિચિત થયાં અને તેઓ જે દિશામાં શોધ કરી રહ્યાં હતાં એની ભૂમિકા પશ્ચિમ નહીં પરંતુ હિંદુ અને બૌદ્ધ તત્ત્વજ્ઞાન સાથે સમાનતા ધરાવતી જણાઈ.

એનાથી ટેસ્લા ઘણાં પ્રભાવિત થયાં. સ્વામી વિવેકાનંદે તેમને સાંખ્યદર્શનમાં દ્રવ્ય અને ઊર્જાની એકરૂપતા કેવી રીતે વ્યક્ત થાય છે એ પણ સમજાવ્યું. એ મુજબ નિકોલા ટેસ્લાને એવી પ્રતીતિ થઈ કે તેઓ આ બાબત ગણિતીય સૂત્રોની મદદથી સ્થાપિત કરી શકે એમ છે. જો નિકોલા ટેસ્લા એ કરી શકે તેમાં સ્વામી વિવેકાનંદને ખૂબ રસ અને ઉત્સુકતા હતી. કારણ કે આ રીતે ભારતીય તત્ત્વજ્ઞાન અને વેદાંતને આધુનિક વિજ્ઞાનનો આધાર પ્રાપ્ત થઈ શકે એમ હતો. અલબત્ત, નિકોલા ટેસ્લા દ્રવ્ય અને ઊર્જા એ જુદા નથી, સર્વોચ્ચ ચેતનામાંથી નિષ્પન્ન થાય છે એવી વેદાંતના તત્ત્વજ્ઞાનને ગણિતીય પરિભાષામાં વ્યક્ત કરી શક્યાં નહીં, પરંતુ ૧૦ વર્ષ બાદ માત્ર ૨૬ વર્ષના ઓલ ટાઈમ જીનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ઈ.સ. ૧૯૦૫માં એમના વિખ્યાત સાપેક્ષવાદના સિદ્ધાંતના વિખ્યાત સૂત્રમાં એ પ્રતિપાદિત કર્યું, ત્યારે ટેસ્લા તો વિદ્યમાન હતાં પણ સ્વામી વિવેકાનંદ સમાધિસ્થ થઈ ચૂક્યા હતા. જો તેમણે જીવતે જીવ આઇન્સ્ટાઇનનું આ સંશોધન – સમીકરણ જાણ્યું હોત તો તેમનો રાજીપો કંઈક અલગ જ હોત. નોંધવા જેવું એ છે કે સ્વામી વિવેકાનંદ અને ટેસ્લા દ્રવ્ય-ઊર્જાની અવિનાશિતા અને એકરૂપતાની ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન માંડ ૧૬ વર્ષના તરુણ હતા !

આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદે આધુનિક વિજ્ઞાન પર ત્યારે અને ત્યાર પછી ક્વોન્ટમ થિયરી, પાર્ટિકલ ફિઝિક્સ, સ્ટ્રીંગ થિયરી એમ આજ સુધી કેવો ઘેરો પ્રભાવ પાથર્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. સ્વામી વિવેકાનંદે વેદાંત અને ભારતીય દર્શનોની વાતો પહેલાં જ વિદેશની ધરતી સુધી પહોંચાડી દીધી હતી એટલે ત્યારબાદ પાશ્ચાત્ય વિજ્ઞાનની વિભાવનાઓના ચિંતનમાં ભારતીય તત્ત્વજ્ઞાન અને દર્શનની ઝલક આજ સુધી વર્તાતી જોવા મળે છે, એમ કહેવામાં કશું ખોટું ન હોઈ શકે. સ્વામી વિવેકાનંદ વિજ્ઞાનનું ધ્યેય અને હેતુ વિશ્વવાસ્તવમાં દેખાતી વિવિધતામાં એકતાને શોધવાનો છે એમ માનતા. આજે પણ વિજ્ઞાનની દરેક શાખા પોતપોતાના ક્ષેત્રમાં એ જ દિશામાં આગળ વધતી જણાય છે.

પ્રગટ : “જન્મભૂમિ પ્રવાસી”; ૧૨-૧-૨૦૨૫
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 21-22  

Loading

મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ – ૫

રામચંદ્ર ગુહા [અનુવાદ : ડંકેશ ઓઝા]|Gandhiana|3 March 2025

નહેરુને વખોડવાની કસરત જેમને ભારતના ઇતિહાસની કોઈ સમજણ કે દૃષ્ટિ નથી તેઓ કર્યા કરે છે. એ લોકો અનાયાસ કેટલાકને સારા અને કેટલાકને ખરાબ ઠેરવતા રહે છે. સામાજિક કર્મશીલોને કોઈકને કાળા, કોઈકને ધોળા ચીતરવાનું ગમતું હોય છે. અગાઉ આ લક્ષણ માકર્સવાદીઓનું હતું, હવે દુ:ખ સાથે કહેવું પડે છે કે તે પ્રબુદ્ધ પર્યાવરણવાદીઓનું પણ બન્યું છે. વ્યક્તિઓના વિચારો અને કાર્યોને સાચા સંદર્ભમાં રજૂ કરવાં જોઈએ. આ કામ ઇતિહાસકારનું છે. એવું કરતી વખતે ઇતિહાસકાર પણ ઓછાવત્તા અંશે કર્મશીલની માન્યતાઓ મુજબ કરી બેસતો હોય છે. આ અર્થમાં જ પર્યાવરણવાદીઓએ નહેરુનું ચિત્રણ કાળા રંગે કર્યું છે, જેનો હું પ્રતિવાદ કરું છું.

એ જ ભાવના સાથે ગાંધીનું જે ચિત્રણ કર્યું છે તેની પણ વાત કરી રહ્યો છું. મેં અગાઉ જણાવ્યું છે તેમ ગાંધીનું ઐતિહાસિક વ્યક્તિત્વ વિચારવૈભવથી ભરેલું છે, એમાં અન્યાયી કાયદાઓ સામેનો વિરોધ પણ છે. આ વાત પર્યાવરણ ચળવળને અંગે પણ મહત્ત્વની સાબિત થાય છે. આટલી વાત તો બિનવિવાદાસ્પદ છે. પણ હવે કદાચ એ પૂછવાનું રહે છે કે ગાંધીનો વિચાર-વારસો એવું કંઈ ધરાવે છે, જે આ ચળવળને મર્યાદિત કરે ? અથવા એથી સરળ રીતે એવું પૂછી શકાય કે આજે પર્યાવરણ અને સમાજ પુનર્નિર્માણના બધા સવાલોના જવાબ ગાંધી આપી શકે એમ છે ? કેટલાક પર્યાવરણવાદીઓ દૃઢપણે માને છે કે ગાંધીમાં બધા સવાલોના જવાબ છે. તાજેતરમાં એક મિત્રે દાવો કરેલો કે, “પ્રત્યેક પર્યાવરણ ઘટના, કટોકટી કે પડકાર સમયે ગાંધીમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે તેમ છે.” એમણે ભલે જે કહ્યું હોય તે, મારું માનવું છે કે ગાંધીમાં બધા સવાલોના જવાબ મળતા નથી અને ક્યારેક તો તેમણે સાચા પ્રશ્નો પણ ઊભા કર્યા નથી.

હવે હું મારી સ્પષ્ટતા કરું છું. પર્યાવરણ ચળવળ બાબતે મહાત્મા ગાંધીનો વારસો ખાસ કરીને બે બાબતોએ ઘણો મર્યાદિત રહ્યો છે. મોટાભાગના આપણા પર્યાવરણવાદીઓની નજર ખાસ કરીને ગ્રામીણ ક્ષિતિજો તરફ કેન્દ્રિત છે. ગાંધીની માફક તેમના આજના અનુયાયીઓને નગરના સંદર્ભની ઓછી ખબર છે. નગરના સામાજિક અને પર્યાવરણીય પ્રશ્નો વિશે તેઓ બહુ સ્પષ્ટ નથી. તેઓ જ્યારે ઉગ્રતાપૂર્વક શહેરી-ઔદ્યોગિક જીવનશૈલીની ટીકા કરે છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે સમય બદલાતાં ભારત પણ બહુ મોટી શહેરી વસતિ ધરાવતું થયું છે. જે નગરના મિત્રોના આમંત્રણથી હું અહીં આવીને બોલી રહ્યો છું તેણે આપણને આ અંગેના ઘણા પ્રશ્નોથી સભાન પણ કર્યા છે.

ઝડપી અને આડેધડ થતા શહેરીકરણને કારણે જે પર્યાવરણીય સમસ્યાઓ પેદા થાય છે તે આપણે બધા જાણીએ છીએ : ભયંકર પ્રદૂષણ, એની સાથે વધતી ગીચતા અને પેદા થતો રોગચાળો, પાણીની તીવ્ર અછત, આરોગ્ય અને ગૃહનિર્માણ અંગેની અત્યંત અપૂરતી સુવિધાઓ, ભારે બિનકાર્યક્ષમ વાહનવ્યવહાર વ્યવસ્થા – આ બધું જ ઊર્જા બચાવ, ઊર્જા સંચયન અને પર્યાવરણની દૃષ્ટિએ જોવાનું રહે છે. આ સમસ્યાઓ સામે સક્રિયતાથી ઝૂઝવામાં અને આપણાં શહેરો અને કસબાઓને સારી રીતે રહેવા યોગ્ય બનાવવામાં આપણા પર્યાવરણવાદીઓને ગાંધીમાંથી મદદ મળી શકે એમ નથી. કારણ એટલું જ કે એમની નજર ગામ તરફ હતી અને પીઠ શહેર તરફ.

નગરની માફક જંગલનું પણ ગાંધીને કોઈ આકર્ષણ નથી. પરિસર વ્યાખ્યાનમાળાના ગત વર્ષના વ્યાખ્યાનમાં બિટ્ટુ સહેગલે વિચારવંત રીતે કહેલું કે આપણા કેટલાક પર્યાવરણીય કર્મશીલો પાસે પ્રકૃતિના સંવર્ધન માટે કોઈ સમય નથી. તેઓ તે બાબતને અગ્રવર્ગની ઘેલછા તરીકે જુએ છે. વક્રોક્તિ કહી શકાય તે હદે ગાંધીને આવા ઉજ્જડ પ્રદેશ કે જંગલોની કશી પડી નથી. એ ખરું કે એમના શાકાહારીપણા અને અહિંસાની જીવનશૈલીને કારણે એમને બધા જીવો પ્રત્યે સન્માન હતું. પણ વણખેડાયેલા કુદરતી પ્રદેશોની ભવ્યતા તરફ તેમની કોઈ નજર ન હતી. એવું એ કારણે પણ હોઈ શકે કે ગાંધી અત્યંત વ્યવહારુ માણસ છે. એમને રોમેન્ટિક બાબતો સાથે ભાગ્યે જ કંઈ લેવાદેવા છે. બીજી તરફ નહેરુ બંનેમાં સૌથી વધુ રોમેન્ટિક છે. ભારતના કુદરતી સૌંદર્યથી અભિભૂત મુદ્રામાં છે. નહેરુના મૃત્યુ પૂર્વેના પોતાની ઇચ્છા દર્શાવતા લખાણમાં પણ એમને અહીંની ભૂમિ, પર્વતો, નદીઓ વગેરે સાથે કેવો અનન્ય લગાવ છે એ સુપેરે વ્યક્ત થયો છે.

ગાંધી અને નહેરુ વચ્ચેના વિરોધાભાસ દર્શાવતો એક ટુચકો એડવર્ડ થોમ્સનનો છે. તેઓ અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી અને લેખક હતા. ગાંધી અને નહેરુના ગાઢ મિત્ર પણ હતા. જ્યારે ૧૯૩૭ના અંગ્રેજ ભારતમાં જુદા જુદા પ્રાંતોમાં કૉંગ્રેસનાં મંત્રી મંડળો રચાઈ રહ્યાં હતાં ત્યારે થોમ્સને ખૂબ પ્રયત્ન કરેલો કે આ રાષ્ટ્રવાદી નેતાઓ નાશના આરે આવેલી વન્ય પ્રજાતિઓ બાબતે પણ કંઈક રસ લે. જ્યારે આ મુદ્દે થોમ્સને ગાંધી સાથે વાતચીત કરી ત્યારે મહાત્માએ એને મજાક ગણી હસી કાઢતાં કહેલું : “અમારે તો કાયમ બ્રિટિશ સિંહ જ જોઈશે.” પછી થોમ્સન તરફ જોતાં લાગ્યું કે તે નિરાશ થયા છે તેથી આગળ ઉમેર્યું કે તમે જવાહરલાાલને વાત કરો. એમને એમાં રસ પડશે. નહેરુએ ખરેખર રસ લીધો. કૉંગ્રેસશાસિત બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે એની ચર્ચા પણ કરી. વળી નહેરુએ કંઈક ગૌરવ સાથે થોમ્સનને થોડા સમય બાદ અહેવાલ આપતાં કહ્યું પણ ખરું કે મદ્રાસ પ્રાંતના મુખ્ય પ્રધાન સી. રાજગોપાલાચાર્યે હમણાં જ પેરિયાર નેચર રીઝર્વની યોજના અમલમાં મૂકવા વિચાર્યું છે.

આમ, કુદરતપ્રેમીઓ અને શહેરી પર્યાવરણવાદીઓને મહાત્મા ગાંધી તરફથી કોઈ સીધી સહાય મળે તેમ લાગતું નથી. પણ ગાંધી જંગલો અને શહેરો વચ્ચેનાં સાત લાખ ગામોમાં ખૂબ ફર્યા છે અને એ વિશે ખૂબ બોલ્યા પણ છે. એમના જીવનમાં વિચાર કરતાં અમલ વધુ મહત્ત્વનો રહ્યો છે. ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ અર્થતંત્ર અને કુદરતી પર્યાવરણ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા અને પર્યાવરણનો નાશ કરતી વિનાશક યોજનાઓનો તેમણે પ્રતિકાર પણ કર્યો છે. આમાંથી આપણે શીખવા જેવું એ છે કે આપણે શહેરમાં રહેતા હોઈએ કે જંગલમાં પણ વ્યક્તિગત રીતે આપણે સાદગીપૂર્ણ જીવન જીવીએ. તે માટે પ્રયત્ન કરીએ અને ધરતી પાસેથી શક્ય તેટલું ઓછું લઈએ. આમ એક અર્થમાં પર્યાવરણની ચળવળે મહાત્મા ગાંધી તરફ હંમેશ માટે પાછા ફરવાપણું છે. તો બીજી રીતે એમનાથી આગળ પણ જવાનું છે.

સંદર્ભો વિશે નોંધ –

ગાંધીજીનો સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથાવલીના ૯૦ જેટલા ગ્રંથો અભ્યાસપૂર્ણ છે અને પાયાની વિગતો પૂરી પાડનાર છે. મારા ગાંધીના પર્યાવરણવાદી તરીકેના પુનર્મૂલ્યાંકનના મર્યાદિત હેતુ અર્થે મેં ત્રણ મૂલ્યવાન સંપાદનો પર આધાર રાખ્યો છે.

૧.      ઇન્ડસ્ટ્રીયલાઈઝ એન્ડ પેરિશ ! – સંપાદન : આર.કે. પ્રભુ (નવજીવન, ૧૯૬૬)

૨.      વિલેજ સ્વરાજ – સંપાદન : એચ.એમ. વ્યાસ, (નવજીવન-૧૯૬૨)

૩.      માય પિક્ચર ઓફ થ્રી ઇન્ડિયા. સંપાદન : આનંદ ટી. હિંગોરાની (પર્લ પબ્લિકેશન્સ-૧૯૬૫)

જે.સી. કુમારપ્પાનાં બે મહત્ત્વનાં પુસ્તકો :

૧.      વ્હાઈ ધ વિલેજ મુવમેન્ટ ? બીજી આવૃત્તિ, હિન્દુસ્તાન પબ્લિશિંગ, ૧૯૩૮.

૨.      ધ ઈકોનોમી ઓફ પરમેનન્સ, બીજી આવૃત્તિ અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ, ૧૯૪૮

કુમારપ્પાના વિચારો વિશે મેં વિગતે ઈકોનોમીક એન્ડ પોલિટિકલ વીકલીના ૪-૧૧-જાન્યુઆરી, ૧૯૯૨ના અંકમાં લખ્યું છે.

અંતે મીરાંબહેનનાં લખાણોનું એક સુંદર પુસ્તક એમનાં સાથીદાર કૃષ્ણામૂર્તિ ગુપ્તાએ સંપાદિત કર્યું છે, જેનો મેં આધાર લીધો છે. તે વિશે ખાદી ગ્રામોદ્યોગ સામયિકના નવેમ્બર ૧૯૯૨ના અંકમાં મેં લખ્યું છે.

મીરાંબહેનના લેખોમાંથી અને અંજલિ લેખોમાંથી ચયન કરેલું પુસ્તક કૃષ્ણામૂર્તિ ગુપ્તાએ સંપાદિત કર્યું છે, જેનું શીર્ષક છે – મીરાંબહેન : જન્મ શતાબ્દી ગ્રંથ (હિમાલય સેવા સંઘ, ૧૯૯૨)

ઉપસંહાર

આ આખું વ્યાખ્યાન ૧લી ઑક્ટોબર ૧૯૯૩ના રોજ પૂણે ખાતે પરિસર વ્યાખ્યાનમાળામાં અપાયેલ, જેમાં તે પછી બહુ ઓછા ફેરફાર કરવામાં આવ્યા છે. વ્યાખ્યાને તે સમયે પણ સારી ચર્ચા જગવેલી. શ્રોતાગણમાંથી ઘણાએ વેધક ટિપ્પણીઓ – ટીકાઓ કરેલી. આ ચર્ચાઓના સંદર્ભે મેં લેખિત વ્યાખ્યાનમાં ચર્ચા સંદર્ભે કોઈ ફેરફાર કરવાનું યોગ્ય માન્યું નથી. તેમ છતાં આગળ પણ એ મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલતી રહે તે માટે ચર્ચામાં ઉપસ્થિત થયેલા મહત્ત્વના મુદ્દા નીચે રજૂ કરું છું.

સૌથી પહેલો પ્રશ્ન વસતિનો છે. એવું સૂચવાયેલું કે વસતિ વધારો નાથવામાં આપણે પૂરા સફળ થતા નથી, એ મુદ્દા પર જરૂરી ભાર મૂકી શકતા નથી. આપણી પર્યાવરણ ચળવળને તેથી પણ ઘણી અસર થાય છે. તેથી તે નિષ્ફળ રહે છે. તેનું એક કારણ એ છે કે ગાંધી પોતે જન્મદર અટકાવવાની આધુનિક પદ્ધતિઓ બાબતે ઘણું સંકુચિત વલણ ધરાવતા હતા. જો કે આ વાતનો શ્રોતાગણમાંથી જ અન્ય સભ્યોએ વિરોધ કરેલો. કહેલું કે ગાંધી જિંદગીની પવિત્રતામાં માનતા હતા. એ અર્થમાં માનવ-શરીરનું કુદરતી સન્માન જળવાવું જોઈએ તેવું માનતા હતા. તેથી જ ગર્ભનિરોધના વિરોધી હતા. આજે હોર્મોન શરીરમાં દાખલ કરવા અને ફળદ્રુપતા પેદા થાય તેવી સર્જનાત્મક ટેકનોલોજી જે પ્રમાણમાં વધી છે, તેનાથી આખરે તો મહિલાઓના અધિકારની અવગણના થાય છે. એ બધું તેમણે જોયું હોત તો ગાંધીને પોતાનો વિરોધ બળવત્તર જણાયો હોત.

વસતિના પ્રશ્નને હું સ્પર્શ્યો ન હતો. પણ મેં નગર અને ગ્રામીણ જીવનની જે વિસંવાદિતાની વાત કરી હતી તેને કેટલાકે ગાંધીના વિચારોનું અતિસરલીકરણ ગણાવ્યું હતું. એક મિત્રે ખૂબ સુંદર રીતે કહ્યું કે ગાંધીએ નગર પ્રત્યે પીઠ નહોતી કરી. તેઓ માત્ર ગામના પ્રશંસક ન હતા. પણ તેઓ પેલી વિસંવાદિતાથી ઉપરનું વિચારતા હતા, જેમાં ગામ અને શહેર બંનેનું એવું સંયોજન થાય કે ગામ અને શહેરના ભેદ ઓગળી જાય.

નહેરુ અને કુમારપ્પા વચ્ચેના મતભેદ અંગે અને સ્વતંત્ર ભારતના તે બંનેના આયોજન વિશેના વિચારો અંગે એક મિત્રે સરસ સૂચવ્યું કે તમે વિનોબા ભાવેના વિચારોની ઉપેક્ષા કરી છે. આયોજનને પેલા બે ઉપરાંત વિનોબાની નજરે પણ જોવાની જરૂર છે. એવું પણ સૂચવાયું કે કુમારપ્પા ચોખલિયા હતા અને એમની ગાંધી વિશેની સમજ ઘણી સંકીર્ણ હતી. એમાંથી એમનું એક આગવું કલ્પનાજગત ઊભું થયેલું હતું. જેને પરિણામે તેઓ નહેરુના આધુનિક વિકાસના વિચારોને સ્વીકારી નહિ શકેલા. વિનોબા આ વાત બરાબર સમજેલા. ૧૯૫૦ના દસકમાં ભારત વ્યાપક રીતે નહેરુના વિચારોની તરફેણમાં હતું તે સમજી શકેલા. પરિણામે વિનોબાએ આર્થિક વિકાસની તરાહને સમયોચિત માનીને તેનો ઇન્કાર પણ નહોતો કર્યો અને તેની ઉપેક્ષા પણ નહોતી કરી. પરંતુ વિનોબાનો પ્રયાસ વિકાસને ઊંચે લઈ જવાનો અને તીવ્રતાને મૃદુ બનાવવા તરફનો રહ્યો. આ અર્થમાં એવું પણ કહી શકાય કે વિનોબા ગાંધી અને નહેરુના વિચારોની વચ્ચે કડીરૂપ બની રહ્યા.

એકંદરે મને મિત્રો દ્વારા એ યાદ દેવડાવવામાં આવ્યું કે નહેરુની સાથે જે વ્યાપક બૌદ્ધિક સર્વસંમતિ હતી એ વધુ પડતા મોટા ઔદ્યોગિકીકરણની આવશ્યકતા સંદર્ભે જ ન હતી. પણ ખાસ તો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંદર્ભે એ સર્વસંમતિ હતી. બૌદ્ધિકો માનતા હતા કે માનવને જ્ઞાનમાં અમર્યાદ રીતે આગળ વધવામાં આધુનિક વિજ્ઞાન જરૂરી છે. આધુનિક ટેકનોલોજીથી જ વ્યાપક સમાજનું કલ્યાણ શક્ય બનશે. એટલે નહેરુ મોડેલને વિકાસના મોડેલ તરીકે જોવાય છે ત્યારે તેના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સંયોજનની સ્વીકૃતિ પડેલી છે. વિકાસ પ્રક્રિયાનો એ માર્ગ છે. જો કે આજે બની એવું આવ્યું છે કે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના દાવાઓ પોકળ પુરવાર થયા છે. કારણ કે તે બે દ્વારા વ્યાપક પ્રજાનું વ્યાપક કલ્યાણ થયું નથી. પણ કેટલાક અગ્ર વર્ગના હાથમાં સત્તા અને સમૃદ્ધિ કેન્દ્રિત થયાં છે. એ વર્ગ પર્યાવરણના સામૂહિક વિનાશ માટે જવાબદાર છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ફેબ્રુઆરી 2025; પૃ. 09-10

Loading

...102030...364365366367...370380390...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved