Opinion Magazine
Number of visits: 9554855
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સ્વચ્છ ભારત’ માટે કરાયેલો ઐતિહાસિક ‘કોરસપોન્ડન્ટ કોર્સ’

વિશાલ શાહ|Opinion - Opinion|9 February 2016

લંડનમાં પ્રતિ એકર ૪૧ લોકો રહે છે, બોમ્બેમાં ૫૨, અમદાવાદ શહેરમાં ૮૩, પણ ચારે ય તરફ દીવાલો ધરાવતા નાનકડા સરસપુર ગામમાં પ્રતિ એકર ૯૯.૯ લોકો રહે છે. અમદાવાદના એક ભાગમાં તો પ્રતિ એકર ૧૧૪ લોકો રહે છે. અહીં ૭૦ ટકા વસતી હિંદુ, ૨૦ ટકા મુહમ્મદો અને દસ ટકા બૌદ્ધોની છે. જો કે, આશરે ૧,૧૨,૦૦૦ની વસતીએ ખ્રિસ્તીઓની વસતી કેટલી છે? આ ખ્રિસ્તી શાસકોની સંખ્યા નહીંવત બરાબર એટલે કે માત્ર ૨૬૪ છે.

વસતીની ગીચતા અને સ્વચ્છતાની વાત સમજાવવા ફ્લોરેન્સ નાઇટિંગલે જુલાઈ ૧૮૭૯માં 'એ મિશનરી હેલ્થ ઓફિસર ઈન ઇન્ડિયા' નામના લેખમાં અમદાવાદના સરસપુર વિસ્તારની વસતીના આંકડા ટાંક્યા હતાં. એટલે કે, અમદાવાદના પહેલા મેયર રણછોડલાલ છોટાલાલની કામગીરી વખાણવા લખેલા પત્રના આશરે દસ વર્ષ પહેલાં નાઇટિંગલ પાસે આ માહિતી હતી. આટલાં વર્ષો પહેલાં ભારતના જાહેર આરોગ્યથી લઈને સ્વચ્છતાના પ્રશ્નો ઉકેલવા નાઇટિંગલે કેવી ઝીણી ઝીણી વિગતો ભેગી કરી હતી તેનું આ નાનકડું ઉદાહરણ છે. આટલું નોંધીને નાઇટિંગલ અમદાવાદના 'ખાળકૂવા'ની મુશ્કેલીઓની વાત સમજાવે છે.

નાઇટિંગલે લખ્યું છે કે, ''આ ખાળકૂવા શું છે? બદલો લેવા આવેલા કોઈ દેવદૂત? હિંદુ દેવી? કોઈ કુદરતી શક્તિ? આ ત્રણ ફૂટ વ્યાસ ધરાવતો વીસેક ફૂટ ઊંડો ખાડો હોય છે, જે જમીનની નીચે મળનો નિકાલ કરવા ઘરની બાજુમાં ખોદાયો હોય છે. ૩૦ કે ૪૦ વર્ષમાં આ ખાડાની એકાદ વાર સફાઈ થાય છે. તેના લીધે આખા શહેરના કૂવાનું પાણી ખૂબ જ ગંદુ થઈ ગયું છે. આપણને એ સાંભળીને આશ્ચર્ય ના થવું જોઈએ, થોડું હકારાત્મક રીતે, કે આ પાણીનો બગીચા માટે ઉપયોગ નથી થતો, એ પાણીથી ફૂલો નાશ પામે છે. શું આ પાણીથી બાળકો ના મરી જાય? …'' આ લેખમાં અમદાવાદમાં ફેલાયેલા રોગચાળાને 'દેવી પ્રકોપ' સાથે જોડી દેવાયો હતો એનો પણ ઉલ્લેખ મળે છે.

નાઇટિંગલની મુખ્ય ચિંતા એ હતી કે, બ્રિટિશ પ્રેસિડેન્સી હેઠળ બોમ્બે પછી સૌથી મોટું શહેર અમદાવાદ હોવા છતાં ત્યાં તાવના કારણે આટલા બધા લોકોનાં મૃત્યુ કેમ થાય છે? બોમ્બે મહાકાય શહેર હોવા છતાં તાવના કારણે ત્રણ ગણા ઓછાં મૃત્યુ થતાં હતાં, પરંતુ અમદાવાદમાં દર હજારે ૪૬ લોકો પાણીજન્ય રોગોથી કમોતે મરી જતા હતા. નાઇટિંગલનાં લખાણોમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના પ્રશ્નોની સાથે સાથે ગરીબો-નિરક્ષરો-વંચિતો માટેની નિસબત ઊડીને આંખે વળગે છે. જેમ કે, બે ભાગમાં લખાયેલા આ અત્યંત લાંબા લેખમાં નાઇટિંગલે નોંધ્યું છે કે, ''અમદાવાદમાં એક જૂની કહેવત છે. અમદાવાદ ત્રણ તાંતણે લટકી રહ્યું છે, એક કપાસ, બીજું રેશમ અને ત્રીજું સોનું. એટલે કે, અમદાવાદ આ ત્રણેયના વેપારમાં સ્વનિર્ભર છે. અફસોસ કે, ગરીબ વણકરોના ભોગે! આ તાંતણાની મદદથી તેમનું નસીબ તેમના મગજમાં નહીં પણ તેમના પગના તળિયાની નીચે લટકી રહ્યું છે …''

ભારતમાં મોટા ભાગના લોકો દેવાના બોજ તળે દટાયેલા છે અને જમીનદારો ગરીબોને ઊંચા વ્યાજે પૈસા ધીરે છે, એ વિશે પણ નાઇટિંગલે જબરદસ્ત વિગતો ભેગી કરી હતી. આ વિગતો ટાંકીને તેમણે લાગતા-વળગતા લોકોને સરકારી લોનને પ્રોત્સાહન આપી વ્યાજખોરીનું દૂષણ બંધ કરાવવા પણ અપીલ કરી હતી. આવાં લખાણો વાંચીને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, નાઇટિંગલે ભારત વિશે કેવી માહિતી ભેગી કરી હશે! અહીં અમદાવાદનું ઉદાહરણ આપીને તેમના કામનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ તેમણે ભારતના સ્વચ્છતા અને જાહેર આરોગ્યના પ્રશ્નો સમજવા જે તે શહેર-નગરોના જાતિ આધારિત વસતીના આંકડા, રીતિરિવાજો, પરંપરા, પ્રજાની આદતો-કુટેવો, મ્યુિનસિપાલિટીઓનું કામકાજ, ભારતીય અને બ્રિટિશ સરકારી અધિકારીઓનું વલણ તેમજ સ્થાનિક સંસ્કૃિત વિશે અત્યંત ઊંડી માહિતી મેળવી હતી.

ભારતને સમજવા નાઇટિંગલે ડિસેમ્બર ૧૮૫૭થી સખત વાંચન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા માટે રચાયેલા રોયલ કમિશનમાં ભારતીયોની ચિંતા કરે એવા જવાબદાર સભ્યોની નિયુક્તિ માટે સઘન પ્રયાસ કર્યા હતા. નાઇટિંગલે બ્રિટિશ રાજને અપીલ કરી હતી કે, તમારે રાજકારણ સિવાયના અત્યંત મહત્ત્વના કહી શકાય એવા જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, દુકાળ-પૂર જેવી કુદરતી આફતોમાં રાહત કાર્યો, રોગચાળો, જેલોની સ્થિતિ, નર્સોને યોગ્ય તાલીમ, નર્સિંગ કોલેજો અને લોક ભાગીદારીના પ્રશ્નોમાં પણ રસ લેવો જોઈએ. આ માટે તેમણે વાઇસરોય, ભારતના વહીવટમાં સામેલ ઉચ્ચ બ્રિટિશ અને ભારતીય અધિકારીઓ, રાજકારણીઓ સાથે પત્રવ્યવહાર કરીને ગાઢ સંપર્ક બનાવ્યા હતા. સખત પત્રવ્યવહાર કરવા પાછળ નાઇટિંગલનો એકમાત્ર હેતુ ભારત વિશે માહિતી મેળવીને તેના ઉકેલ શોધવાનો હતો.

આ વિશિષ્ટ પ્રકારનો 'કોરસપોન્ડન્ટ કોર્સ' ચાલુ કર્યાનાં સાત જ વર્ષ પછી ૧૮૬૪માં નાઇટિંગલે 'સજેશન્સ ઈન રિગાર્ડ ટુ સેનિટરી વર્ક્સ રિક્વાયર્ડ ફોર ઈમ્પ્રુિવંગ ઈઇન્ડિયન સ્ટેશન્સ' શીર્ષક હેઠળ લખાયેલા પેપરમાં શહેરોને સ્વચ્છ કરવા ઊંડા ટેકનિકલ સૂચન કર્યાં હતાં. તેમાં ગટરોની ડિઝાઈન, ઢાંકણાં, ખાળમોરીઓ, ગંદવાડનો નિકાલ કરતી પાઈપો, જુદી જુદી ગટરોમાં ઉપયોગમાં લેવાતી ટાઈલ્સનું માપ અને તેનો આકાર, ગટર સિસ્ટમની ડિઝાઈન અને ગંદકીનો નિકાલ ક્યાં-કેવી રીતે થવો જોઈએ એની ચિત્રો સાથેની સમજૂતી અપાઈ છે. જો કે, આ પેપરમાં રોયલ કમિશનના કેટલાક અધિકારીઓ સાથે નાઇટિંગલના હસ્તાક્ષર નથી, પરંતુ તેમણે ભારતમાં અનેક લોકોને સ્વખર્ચે તેની નકલો મોકલી હતી, એના પુરાવા મોજુદ છે. 

નાઇટિંગલે વર્ષ ૧૮૯૩થી ૧૮૯૬ વચ્ચે 'હેલ્થ લેક્ચર્સ ફોર ઇન્ડિયન વિલેજીસ' અને 'હેલ્થ મિશનરીઝ ફોર રૂરલ ઇન્ડિયા' નામના પેપર પણ રજૂ કર્યાં હતાં. આ પેપર્સ તૈયાર કરવા તેમણે ભારતમાં નિયુક્ત સ્કોટલેન્ડના ઉચ્ચ સરકારી અધિકારી વિલિયમ વેડરબર્ન તેમ જ સમાજસુધાર-પત્રકાર બહેરામજી મલબારી પાસેથી માહિતી મેળવી હતી. નાઇટિંગલે ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા અને આગા ખાન જેવા રાજકારણીઓ સાથે પણ પત્રવ્યવહાર કરીને વિશિષ્ટ સંબંધ વિકસાવ્યો હતો. ફક્ત પત્રવ્યવહાર કરીને તેઓ વર્ષ ૧૮૯૭-૯૮ સુધી ઇન્ડિયન સેનિટરી પેપર્સ મંગાવી શક્યાં હતાં, જેનો હેતુ અભ્યાસ કરીને સ્વચ્છતાના પ્રશ્નોનો કાયમી ઉપાય શોધવાનો હતો.

નાઇટિંગલે ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૪ના રોજ હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી આઠમી 'ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હાઇજિન એન્ડ ડેમોગ્રાફી'માં 'વિલેજ સેનિટેશન ઓફ ઇન્ડિયા' નામનું પેપર રજૂ કર્યું હતું. આ પેપરમાં તેમણે મહિલાઓનાં આરોગ્યની સ્થિતિનો અભ્યાસ કરીને મહિલા નર્સિંગ કોલેજો અને નર્સોને તબીબો જેવી વિશિષ્ટ તાલીમની હિમાયત કરી હતી કારણ કે, તેઓ જાણતાં હતાં કે ભારતમાં લાખો હિંદુ અને મુહમ્મદ (મુસ્લિમ માટે નાઇટિંગલ મુહમ્મદ શબ્દનો ઉપયોગ કરતાં) સ્ત્રીઓ પરદામાં રહેતી હોવાથી પુરુષ તબીબ પાસે જવાનું ટાળે છે. તેઓ માનતાં હતાં કે, ભારતમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યના પ્રશ્નો ઉકેલવા સ્ત્રીઓની સક્રિય ભાગીદારીની જરૂર છે.

'ઇન્ડિયન ઓપિનિયન'માં ગાંધીજીએ નાઇટિંગલ વિશે લખ્યું હતું કે, ''જ્યાં આવી સ્ત્રીઓ જન્મ લેતી હોય એ દેશ સમૃદ્ધ હોય એમાં આશ્ચર્ય ના થવું જોઈએ. ઇંગ્લેન્ડ તેની લશ્કરી તાકાતના કારણે નહીં પણ આવાં પુરુષો-સ્ત્રીઓની પ્રશંસનીય કામગીરીના કારણે વિશાળ પ્રદેશો પર રાજ કરે છે…'' 'ઇન્ડિયન ઓપિનિયન'માં નાઇટિંગલના ત્યાગ અને ચત્કારિક રીતે મૃત્યુદર ઘટાડયો એ વિશે ગાંધીજીએ કરેલા ઉલ્લેખો મળે છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૧૮૭૯ના સંખ્યાબંધ લેખોમાં નાઇટિંગલે મીઠા પરના લદાયેલા ૪૦ ટકા વેરાનો સખત વિરોધ કર્યો હતો.

ભારતમાં ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લેતું 'કલેક્ટેડ વર્ક્સ ઓફ ગાંધી'નું કામ થયું છે, એવી જ રીતે કેનેડાના મહિલા પ્રોફેસર લિન મેક્ડોનાલ્ડની આગેવાનીમાં 'કલેક્ટેડ વર્ક્સ ઓફ ફ્લોરેન્સ નાઇટિંગલ'ના ૧૬ દળદાર ગ્રંથો તૈયાર થયા છે. આ ગ્રંથોમાં નાઇટિંગલના પ્રકાશિત-અપ્રકાશિત તમામ પત્રો, પેપર્સ, લેખો, ચર્ચાપત્રો (લેટર્સ ટુ એડિટર) તેમ જ બ્રિટિશ સરકાર અને રોયલ કમિશન સાથેના સંપૂર્ણ પત્રવ્યવહારને સમાવી લેવાયો છે. આ ૧૬ પૈકી નવમા અને દસમા ભાગમાં નાઇટિંગલે ચાર દાયકા સુધી ભારત પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એની આશ્ચર્યજનક માહિતી મળે છે. નવમા ભાગનું નામ છે, 'ફ્લોરેન્સ નાઇટિંગલ ઓન હેલ્થ ઈન ઇન્ડિયા' અને દસમા ભાગનું નામ છે, 'ફ્લોરેન્સ નાઇટિંગલ ઓન સોશિયલ ચેન્જ ઈન ઇન્ડિયા'. આ બંને ગ્રંથમાં સમાવેલી માહિતી આજે ય પ્રસ્તુત અને ઉપયોગી છે.

ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ ૧૨મી મે, ૧૮૨૦માં થયો હતો. વિશ્વભરમાં આ દિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઊજવાય છે. આ દિવસે ભારત સરકાર નર્સિંગમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ 'નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ આપે છે. કદાચ આ કારણોસર નાઇટિંગલ આજે ય ભારતમાં 'પેલા અંગ્રેજ નર્સ' તરીકે થોડાં ઘણાં જાણીતાં છે કારણ કે, નર્સિંગ રિફોર્મ્સ સિવાય તેમણે શું કર્યું એ હજુયે લોકો સુધી પહોંચ્યું નથી.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

ઇતિહાસ ભણવા માટેનો અર્થાત્ શીખવા અને સમજવા માટેનો વિષય છે, વેર વાળવા માટેનો નથી

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|8 February 2016

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલી સિસિલ રહોડ્સ મસ્ટ ફૉલ મૂવમેન્ટ અને ઇતિહાસબોધ, આજકાલ જાણે આખી દુનિયા અશાંત અને આંદોલિત છે. ઑક્સફર્ડમાં આફ્રિકન વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું જે કહે છે, રહોડ્સ મસ્ટ ફૉલ. તેમની માગણી એવી છે કે કૅમ્પસમાંથી સિસિલ રહોડ્સનું પૂતળું હટાવવું જોઈએ અને રહોડ્સ સ્કૉલરશિપ મોટા પ્રમાણમાં લૂંટના વળતર તરીકે આફ્રિકન વિદ્યાર્થીઓને આપવી જોઈએ

તમે કદાચ સર સિસિલ રહોડ્સનું નામ નહીં સાંભળ્યું હોય, પણ સાઉથ આફ્રિકાના એક દેશ ર્હોડેશિયાનું નામ સાંભળ્યું હશે જે અત્યારે ઝિમ્બાબ્વે તરીકે ઓળખાય છે. તમે વિશ્વની સૌથી મોટી ડાયમન્ડ કંપની ડી બિયર્સનું નામ પણ સાંભળ્યું હશે અને કેટલાક પથન-પાઠનમાં રસ લેનારા વાચકોએ ઑક્સફર્ડ યુનિવર્સિટીની વિશ્વપ્રસિદ્ધ રહોડ્સ સ્કૉલરશિપ વિશે પણ સાંભળ્યું હશે. સર સિસિલ રહોડ્સ એના જનક હતા. મૂળ બ્રિટિશ સર સિસિલ રહોડ્સ કમાવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં એટલુંબધું કમાયા હતા કે આજે પણ નાણાંના કોથળા ખાલી નથી થયા.

કહેવાની જરૂર નથી કે એ કમાણી શોષણ આધારિત હતી. હીરાની ખાણોમાં ગરીબ કાળા ખાણિયા મજૂરો સાથે જે અત્યાચારો થયા હતા એ કમકમાં આવે એવાં હતાં. સિસિલ રહોડ્સે માત્ર અત્યાચારો નહોતા કર્યા, અત્યાચારોને વાજબી ઠેરવ્યા હતા. તેઓ એમ માનતા હતા કે ઍન્ગ્લો સેક્શન પ્રજા જ વિશ્વની સર્વોચ્ચ પ્રજા છે અને વિશ્વ પર આધિપત્ય ધરાવવાનો તેમનો ઈશ્વરદત્ત અધિકાર છે. તેઓ વંશવાદી અને સંસ્થાનવાદી એમ બન્ને હતા અને ઉપરથી દયાહીન પણ હતા. ૧૯૦૨માં ૪૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણીને આફ્રિકા ગયેલા સિસિલ રહોડ્સે તેમના વિલમાં કરેલા નિર્દેશ મુજબ મોટી રકમ યુનિવર્સિટીને આપીને ૧૯૦૩માં રહોડ્સ સ્કૉલરશિપ શરૂ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સત્તાવાળાઓએ ત્યારે યુનિવર્સિટીના કૅમ્પસમાં ઊંચા ઓટલા પર રહોડ્સનું પૂરા કદનું પૂતળું મૂક્યું હતું જે આજે હવે વિવાદનો વિષય બન્યું છે.

આજકાલ જાણે આખી દુનિયા અશાંત અને આંદોલિત છે. સોશ્યલ મીડિયા આને માટે મુખ્યત્વે જવાબદાર છે. ઑક્સફર્ડમાં આફ્રિકન વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું જે કહે છે : રહોડ્સ મસ્ટ ફૉલ. એ આંદોલનને બીજા માનવતાવાદી વિદ્યાર્થીઓનો, ફૅકલ્ટી-મેમ્બર્સનો અને નોમ ચોમ્સ્કી જેવા વિશ્વપ્રસિદ્ધ પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો ટેકો સાંપડી રહ્યો છે. તેમની માગણી એવી છે કે કૅમ્પસમાંથી સિસિલ રહોડ્સનું પૂતળું હટાવવું જોઈએ અને રહોડ્સ સ્કૉલરશિપ મોટા પ્રમાણમાં લૂંટના વળતર તરીકે આફ્રિકન વિદ્યાર્થીઓને આપવી જોઈએ.

તમને શું લાગે છે, તેમની માગણી ઉચિત છે? આનો ઉત્તર સામાજિક નિસરણી પર તમે કયા પગથિયે ઊભા છો એના પર નિર્ભર છે. જેમણે શોષણ અનુભવ્યું નથી એ શોષણની યાતના ક્યારે ય અનુભવી નહીં શકે. એક જ પરિવારમાં રહેતા હોવા છતાં અને એક સરખી સામાજિક પૃષ્ઠભૂમિ હોવા છતાં સ્ત્રીની પીડા પુરુષ નથી સમજી શકતો. બીજી બાજુ જેમનું શોષણ થયું છે અને જેમણે શોષણ અનુભવ્યું છે તે સમાજ જ્યારે જાગ્રત થાય છે અને ન્યાય અને સમાનતાનાં મૂલ્યો સમજતો થાય છે ત્યારે જૂના ઘા દુઝતા રાખવામાં તેમને એક પ્રકારનું સમાધાન મળતું હોય છે. તમે શોષક સમાજના સભ્ય છો અથવા શોષકોના વારસો છો એ વિશે આંગળી ચીંધવામાં તેમને સમાધાન મળે છે. પોતાને વ્યવસ્થાના શિકાર (વિક્ટિમ) ગણાવવામાં અને બીજાને ગુનેગાર ગણાવવામાં સમાધાન મળે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના કૅમ્પસમાં આ જ બની રહ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉદાસીન છે અને બીજા કેટલાક વિદ્યાર્થીઓ ભૂતકાળનું વેર વાળવા માગે છે. રહોડ્સ મસ્ટ ફૉલની માગણીના ટેકામાં ૨૪૫ મત પડ્યા હતા અને વિરુદ્ધમાં ૨૧૨ મત પડ્યા હતા. શોષિત સમાજના વારસો મતદાનમાં જીતી શકે એટલી હદે જાગ્રત અને સંગઠિત થઈ રહ્યા છે અને તેમને શોષકોના વારસોનો સુધ્ધાં ટેકો મળી રહ્યો છે એ આનંદની વાત છે, પરંતુ આ અભિગમ યોગ્ય છે?

ઇતિહાસ ભણવા માટેનો અર્થાત્ શીખવા-સમજવા માટેનો વિષય છે, વેર વાળવા માટેનો નથી. સંસ્થાનવાદ, વંશવાદ, પુરોહિતવાદ કે મનુવાદ, સામંતવાદ, પુરુષાધિપત્યવાળો લિંગવાદ વગેરે એક જમાનામાં પ્રવર્તતા હતા અને આજે પણ કેટલેક અંશે પ્રવર્તે છે તો એ સ્થળ-કાળની એક પ્રક્રિયા છે અને એ સતત બદલાતી રહે છે. આજે આપણે જેને અન્યાય કે અમાનવીયતા સમજીએ છીએ એ એ જમાનામાં સ્વાભાવિક રીતરસમ હતી. સિસિલ રહોડ્સના વિચારો અને કાર્ય તેમના યુગની વિચારધારા અને રસમોનું પરિણામ હતું. જમશેદજી જીજીભાઈ ચીનમાં અફીણની નિકાસ કરીને પૈસા કમાયા હતા. ભાયખલા અને અગાસી ર્તીથમાં જૈન દેરાસર બંધાવનારા મોતીશા શેઠ પણ અફીણના ધંધામાં કમાયા હતા. ૧૮૬૧માં અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિન્કને જ્યારે ગુલામીના વ્યાપાર પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે અમેરિકન રાજ્યોએ કેન્દ્ર સરકાર સામે બળવો કર્યો હતો. અત્યારે એ જ અમેરિકામાં અશ્વેત બરાક ઓબામા પ્રમુખ છે અને ખૂબ લાડલા પ્રમુખ છે. ટૂંકમાં કહીએ તો, હજી ગઈ કાલ સુધી સમાજમાં જેનું-તેનું આધિપત્ય એ વાસ્તવિકતા હતી અને ન્યાયયુક્ત સમાજ એ આજના અને આવતી કાલના સમાજનું લક્ષ છે.

ન્યાયયુક્ત સમાનતા આધારિત સમાજના નિર્માણ માટેની આજની લડાઈમાં ઇતિહાસની સમજ ઉપયોગી નીવડે છે, પરંતુ બની એવું રહ્યું છે કે આજની લડાઈ માટે ઇતિહાસનો સાધન તરીકે જ નહીં, ઓજાર અને શસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો જમશેદજી જીજીભાઈનું પૂતળું ચીનમાં હોત તો તેમના પૂતળાના પણ એ જ હાલ થયા હોત જે સિસિલ રહોડ્સના પૂતળાના થઈ રહ્યા છે. ઇતિહાસનો અને ઐતિહાસિક પાત્રોનો ઇતિહાસબોધ તરીકે ઉપયોગ કરીને એને ભૂલી જવા જોઈએ. ઑક્સફર્ડ યુનિવર્સિટીના અંદાજે ૮૦૦ વર્ષ જૂના કૅમ્પસમાં ઇતિહાસના અનેક માઇલસ્ટોન્સ અલગ-અલગ સ્વરૂપમાં ઊભા છે એમાં સિસિલ રહોડ્સ એક છે અને તેમના પૂતળાને એ રીતે જોવું જોઈએ. વેર વાળવાથી ઇતિહાસ ભૂંસાઈ જવાનો નથી.

તો પછી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગનું નામ બદલવાનું શું ઔચિત્ય? એ તો આના કરતાં પણ વિકૃત ઘટના છે. ઑક્સફર્ડમાં જે બની રહ્યું છે એ આધિપત્યરહિત સમાજના નિર્માણ માટેની આજની લડાઈમાં સિસિલ રહોડ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, પરંતુ ઔરંગઝેબને ટાર્ગેટ કરવા પાછળનું કારણ હિન્દુઓના આધિપત્યને સ્થાપિત કરવાનું છે. સિસિલ રહોડ્સના પૂતળાને હટાવવાની માગણી કરનારાઓ આધુનિક માનસ અને વલણ ધરાવે છે એટલું તો સ્વીકારવું જોઈએ, જ્યારે ઔરંગઝેબનું નામ હટવાનારાઓ પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માગતા મધ્યકાલીન જુનવાણી માનસ ધરાવનારાઓ છે. વિચારી જુઓ. જો તમે સિસિલ રહોડ્સના પક્ષે હો તો ઔરંગઝેબના પક્ષે પણ ઊભા રહેવું જોઈએ. છે આટલી પ્રામાણિકતા?

સૌજન્ય : ’કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2016

http://www.gujaratimidday.com/features/columns/history-is-to-learn-and-understand-not-for-to-take-revenge-2

Loading

લેતી-દેતીનો ધાર્મિક વ્યવહાર અને આપણું ભ્રષ્ટાચારનું DNA

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 February 2016

આપણી બિરાદરીની ભાવના સાથે રૂપિયાનો વ્યવહાર જોડાયેલો છે એટલે ભ્રષ્ટાચારથી આપણે બહુ વિચલિત થતા નથી

પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી આક્રમણ થયું એમાં પાકિસ્તાનનું ભલું (અને ભારતને નુકસાન) થયું કે નહીં એ તો અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ઊંચા અવાજે બૂમાબૂમ થઈ એમાં નરેન્દ્ર મોદીના દ્વિતીય આત્મા (ઓલ્ટર ઇગો) અરુણભાઇ જેટલીને ફાયદો થઈ ગયો. મોદી સરકાર એના શાસનકાળના સૌથી મોટા દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન કાૈભાંડનો સામનો કરી રહી હતી તે કૌભાંડ પઠાણકોટ હુમલાના શોરબકોરમાં ખોવાઇ ગયું.

અગાઉ સુષ્મા સ્વરાજ, સ્મૃિત ઇરાની, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ સામે ગડબડીના આક્ષેપ થયા ત્યારે ય મોદી સરકાર એમની પડખે ઊભી રહી હતી. નરેન્દ્ર મોદી ‘હું કોંગ્રેસ કરતાં વધુ પવિત્ર છું’ અને ‘હું ભ્રષ્ટાચારમુક્ત સરકાર આપીશ’ એવા વચન સાથે સરકારમાં આવ્યા હતા. એની કોઈ જવાદબારી લેવાને બદલે સરકાર જે રીતે આક્ષેપોને અવગણી રહી છે તેની ખાસ્સી ટીકા થઈ રહી છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મોદીને પત્ર લખીને લોકપાલ આંદોલનના પ્રણેતા અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘મોદી સરકાર અને યુ.પી.એ.ની સરકાર વચ્ચે કોઈ ફર્ક દેખાતો નથી.’ હઝારેએ આ પત્રમાં એમ પણ લખ્યું હતું કે મનમોહનસિંહની સરકાર સામે મેં જ જબરદસ્ત આંદોલન છેડ્યું હતું, પણ મનમોહને મારા પત્રોનો જવાબ આપવાની તમા રાખી હતી જ્યારે તમે તો મન કી બાતમાં ય ભ્રષ્ટાચારની વાત કરતા નથી કે નથી મને જવાબ આપતા.

ભારતમાં સરકારો બદલાય છે અને સરકારોની ખાતરીઓ બદલાય છે, પણ ભ્રષ્ટાચારમાં કશું બદલાતું નથી. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલનો એક તાજો અહેવાલ કહે છે કે ભારતમાં ભ્રષ્ટાચારમાં કોઈ કમી આવી નથી. ભારતના મુકાબલે પાકિસ્તાને એના કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં સુધાર કર્યા છે પણ ભારતની સ્થિતિ 2014 જેવી જ છે. ભારત ત્યારે ય 38 નંબરે હતું અને આજે ય ત્યાં જ છે. આ સંસ્થાના એશિયા પ્રદેશના ડાયરેક્ટરે એક ઇ-મેઈલમાં કહ્યું હતું કે ભારતમાં સામાન્ય ચૂંટણી અને દિલ્હીની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર વિરોધી બહુ ખાતરીઓ આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી.

રિઝર્વ બેંકના ચેરમેન રઘુરામ રાજને એક વક્તવ્યમાં કહેલું કે, ‘ભારતમાં એક વિષચક્ર છે. ગરીબ અને જરૂરતમંદ લોકોને રાજકારણીની મદદની જરૂર હોય છે. ચોર રાજનેતાને વેપારીના ફંડની જરૂર હોય છે. વેપારીને સરકારના કોન્ટ્રાક્ટ અને દયા-નજરની જરૂર હોય છે. રાજકારણીને સત્તામાં આવવા ગરીબ અને જરૂરતમંદોના વોટની જરૂર હોય છે. એકબીજા પરની આ નિર્ભરતા એટલી મજબૂત છે કે એને તોડવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.’ ભારતમાં ભ્રષ્ટાચારનું જીન (વંશાણુ) શોધાય તો એ કેન્સર જેવું નીકળે. ભ્રષ્ટાચાર ભારતીય સમાજના ડીએનએમાં વણાયેલો છે, એવો તર્ક વાહિયાત નથી.

દુનિયાનાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં ભારતમાં ધર્મ ટ્રાન્સેક્શનલ (લેતી-દેતી) છે. આપણે ભગવાનને રૂપિયા-પૈસાની ભેટ ચઢાવીએ છીએ અને ઇચ્છા રાખીએ છીએ કે ભગવાન આપણને આઉટ-ઓફ-ટર્ન મદદ કરે. મંદિરની અંદર આને પ્રસાદ કે ભેટ કહેવાય, મંદિરની બહાર રિશ્વત. જેની જેટલી શક્તિ, ગરીબ માણસ રૂપિયા-દસ રૂપિયાની ભેટ મૂકે, ધનવાન હોય એ સોનાના બિસ્કિટ ચઢાવે. ભારતમાં દરેક ધાર્મિક સેવાના બદલામાં પૈસાનો વ્યવહાર થાય છે. એટલા માટે જ ભારતીય સંસ્કૃિતમાં પૈસાનો વ્યવહાર હંમેશાં શુભ જ મનાયો છે. સ્ત્રી લગ્ન કરીને ઘરમાં આવે ત્યારે સાથે રોકડ રૂપિયા અને કીમતી વસ્તુ લઈને આવે એ માત્ર વિનિમય જ નથી, એ લેતી-દેતી પવિત્ર સંકેત પણ મનાય છે. આપણા દરેક વ્યવહારમાં પૈસાનો વિનિમય છે. સંબંધી મહેમાન ઘરના વડીલને ચરણસ્પર્શ કરે તો બદલામાં રૂપિયા અપાય છે. દિવાળીમાં પરિવારના સભ્યોને રોકડ નોટો અપાય છે. વિવાહ કે લગ્નની વિધિ રૂપિયાની લેવડ-દેવડથી પાકી થાય છે.

આપણી બિરાદરીની આ ભાવના સાથે રૂપિયાનો વ્યવહાર જોડાયેલો છે. એટલે ભ્રષ્ટાચારથી આપણે બહુ વિચલિત થતા નથી. બિરાદરીની આ જ ભાવનાથી ભ્રષ્ટાચારના આરોપો છતાં જયલલિતાને લોકો પુન: સત્તાસ્થાને બેસાડે છે. આપણે જેને ડાકુ, લૂંટારા કે ઠગ કહીએ છીએ એ સૌ પોતે પોતાની બિરાદરી કે સમુદાયમાં હીરો રહ્યા છે. એક્ચુઅલી આપણે ભ્રષ્ટ કે પાપી વ્યક્તિને બરદાસ્ત કરી લઇએ છીએ તેનું બીજું એક કારણ પુનર્જન્મની આપણી ધારણા છે. આપણે માનીએ છીએ કે જીવન સાઇકલની જેમ ચાલતું રહે છે અને એ ચક્રમાં માણસ વિકસિત થતો રહે છે, હાલત બદલાતી રહે છે. આપણી ધારણામાં પ્રત્યેક વ્યક્તિ એનાં આ જન્મનાં કર્મોનાં ફળ બીજા જન્મમાં ભોગવે છે એટલે આ જન્મનો પાપી બીજા જન્મમાં પુણ્યશાળી બને છે અને આજે જે શ્રેષ્ઠ છે તે ભાવિમાં કનિષ્ઠ બને છે.

સાત પેઢી ખાય તેટલી સંપત્તિ ધરાવતા લોકો આપણી તાળીઓ મેળવે છે અને આપણા આદર્શ પણ છે. અતિ લોભ તે પાપનું મૂળ છે એવું કોણ માને છે? પૈસો હાથનો મેલ છે એવું કોણ બોલે છે? અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમણે સ્કૂલો બનાવી હતી. ભારતીયો પશ્ચિમમાં ગયા તો એમણે મંદિરો બાંધ્યાં. મંદિરો એ ઇશ્વર પ્રત્યેની ભક્તિ નથી. (જે ઘરની ચાર દીવાલો વચ્ચે પણ શક્ય છે.) મંદિરો ઇચ્છાપૂર્તિનું સ્થળ છે. જે દેશમાં લેતી-દેતીને ધાર્મિક અને સામાજિક સ્વીકૃતિ મળી હોય તે દેશમાં ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થાય? મળીએ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 ફેબ્રુઆરી 2016

Loading

...102030...3,6133,6143,6153,616...3,6203,6303,640...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved