Opinion Magazine
Number of visits: 9553021
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભોગીલાલ ગાંધી, સેવા રૂરલ, પુસ્તક મેળો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|21 May 2016

ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ

ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (સંપાદન : પ્રકાશ ન.શાહ, રમણ સોની અને અન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૬, રૂ. ૫૨૫/-) : ‘બુદ્ધનિષ્ઠ કર્મશીલનું વિરલ દૃષ્ટાન્ત’ એવા લેખક, સંપાદક, ચિંતક, પત્રકાર અને પ્રકાશક ભોગીલાલ ગાંધી (૧૯૧૧-૨૦૦૧) નવી પેઢી માટે સાવ જ અજાણ્યા બની જાય અને તેમની વૈચારિક મહત્તાને સમજનારી પેઢી અસ્ત પામે તે પહેલાં પરિષદે આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું તે સારું થયું. ભોગીભાઈના એકંદર જીવનકાર્ય વિશે તસવીરો સહિતની જરૂરી માહિતી, તેમના વિચારવિશ્વનો અંદાજ અને તેમના હરફનમૌલા વ્યક્તિત્વનું ચિત્ર આ પાંચસો બાસઠ પાનાનું પાકી બાંધણીનું પુસ્તક આપે છે. તેના પહેલા વિભાગના ચારસો પાનાંમાં ‘ઉપવાસી’ના પચીસેક વૈચારિક પુસ્તકોમાંથી ચૂંટેલાં બાવીસ લખાણો છે. જેમાં ગાંધીવિચાર, સર્વોદય, લોકશાહી સમાજવાદ ઉપરાંત તેમને વિશેષ આકર્ષી ગયેલા હર્બર્ટ રીડ, ટૉલ્સ્ટૉય, શરચ્ચન્દ્ર, માર્ક્સ અને દુર્ગારામ મહેતા સહિત અનેક વિષયો પરનાં લખાણોનો સમાવેશ થાય છે. ભોગીલાલ ગાંધી જેવા વૈચારિક વ્યાપ સાથે સતત ગંભીરતાપૂર્વક લખતા રહેનારા લેખકો આપણે ત્યાં હવે ઓછા છે.

સામાન્ય વાચકને ધ્યાનમાં લઈને સંપાદન કરવામાં આવે તો ‘ભોગીલાલ ગાંધી અને તેમનાં પુસ્તકો’ વિભાગ પુસ્તકની શરૂઆતમાં મૂકવા જેવો છે. તેમાં ભોગીલાલ વિશેના ચરિત્રલેખો, તેમના ‘સાધના’ કાવ્યસંગ્રહ, ‘મિતાક્ષર’ લેખસંગ્રહ અને તેમણે વ્રત તરીકે ચલાવેલ વિચારપત્ર ‘વિશ્વમાનવ’ વિશેના લેખો છે. ત્રીજા વિભાગમાં કુટુંબીજનોનાં સંસ્મરણો છે. તેમાં (અને બીજા ભાગના વ્યક્તિચિત્રોમાં)  ભોગીભાઈ તેમ જ પ્રેમાળ અને  પ્રબુદ્ધ  સુભદ્રાબહેનનાં સભર દામ્પત્યજીવન વિશે વાંચવા મળે છે. સુભદ્રાબહેનનું પક્ષીવાત્સલ્ય, ભોગીભાઈની સંપત્તિનિર્લેપતા, ઉભયનો આતિથ્યાચાર, અપાર સ્નેહથી  પુત્રવધૂ નંદિની સાથેનું ભોગીભાઈનું અનુકૂલન (ઘર તેમણે દીકરા અમિતાભ નહીં પણ નંદિનીને નામે કર્યું હતું) જેવી હૃદયસ્પર્શી યાદો મળે છે.

અત્યારના સમયના કોઈ પણ સારા સંપાદનમાં હોવી જોઈએ તેવી કેટલીક બિલકુલ દેખીતી  બાબતો – ગુજરાતના શ્રેષ્ઠ-કનિષ્ઠ બંને કોટિના થઈને કુલ આઠ સાક્ષરોની બનેલી ટુકડીએ સંપાદિત કરેલા – આ મહત્ત્વના ગ્રંથમાં ચૂકી જવાઈ છે, જેને કારણે તેનું સંદર્ભમૂલ્ય ઓછું થાય છે. જેમ કે, ભોગીલાલભાઈની જીવનરેખા જે પ્રકાશભાઈના લેખમાં છે તે માહિતીના ઉમેરણ અને સાલવારી સાથે વધુ ઉપયોગી માંડણીથી પરિશિષ્ટ તરીકે મૂકી શકાઈ હોત. એવું જ લેખકના ગ્રંથોની બાબતમાં પણ થઈ શક્યું હોત. ઉપરાંત આવા પટવાળા ગ્રંથમાં એક કે વધુ સૂચિ કેટલી જરૂરી છે તે ભાગ્યે જ સમજાવવાનું હોય. વૈચારિક સ્તરે બે મુદ્દા. એક, ‘ઉપવાસી’ના સામ્યવાદથી ગાંધીવાદ તરફના અને વિવેકવાદથી ચમત્કાર-સમર્થન સુધીના સંક્રમણને લગતાં તેમનાં ખુદના અને/અથવા અભ્યાસીઓનાં લખાણોએ મૂલ્યવર્ધન કર્યું હોત. બીજો મુદ્દો, ‘સંપાદકીય’ થકી સંપાદક ટુકડીને ખુદને આ ગ્રંથની અંદરની સામગ્રી વિશેની હકીકતો નોંધવા સિવાય ભોગીલાલ ગાંધી અને તેમના વિચારવિશ્વ વિશે કશું કહેવાનું બનતું નથી તે આશ્ચર્યજનક છે.

સેવા રૂરલ ઝઘડિયાને દર્શક ફાઉન્ડેશનનો ગ્રામપુનરુત્થાન ઍવોર્ડ

શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશન સન્માન સમારંભ ગુજરાત દિનની પૂર્વ સંધ્યાએ યોજાયો. સાહિત્ય માટેનું સન્માન  વાર્તાકાર હિમાંશી શેલતને મૂલ્યનિષ્ઠ  સર્જન માટે આપવામાં આવ્યું. ગ્રામ પુનરુત્થાન માટેનો ઍવૉર્ડ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલી ‘સેવા રૂરલ’ સંસ્થાને આપવામાં આવ્યું. ‘સેવા’ શબ્દ ‘સોસાયટી ફૉર એજ્યુકેશન વેલફેર ઍન્ડ ઍક્શન’ અંગ્રેજી નામના અદ્યાક્ષરોનો બનેલો છે. ઍવૉર્ડ કાર્યક્રમ ‘સેવા’ના પ્રાંગણમાં યોજાયો હતો.

સેવા રૂરલ સંસ્થા આદિવાસી તેમ જ ગરીબ દરદીઓ માટે માનવામાં ન આવે તેવા ઓછા દરે ઉત્તમ તબીબી સારવાર પૂરી પાડવાનું કામ ત્રણ તપ કહેતાં, છત્રીસ વર્ષથી વ્યક્તિગત કે સંસ્થાકીય પ્રસિદ્ધિથી અલિપ્ત રહીને કરી રહી છે. દેખીતી રીતે જ અભાવગ્રસ્ત એવા સેંકડો દરદીઓથી ભરેલી સુસજ્જ, સુવ્યવસ્થિત અને સૌજન્યપૂર્ણ હૉસ્પિટલની મુલાકાત નતમસ્તક બનાવે છે. સહુથી મહત્ત્વની વાત એ કે અહીં દર વર્ષે ઓ.પી.ડી.ના ૫૫% અને દાખલ કરેલામાંથી ૮૫% જેટલા દરદીઓને વિનામૂલ્યે સારવાર મળે છે. દર વર્ષે ઓ.પી.ડી.માં એક લાખ દરદીઓ આવે છે. દાખલ થનારાની વાર્ષિક સંખ્યા સોળ હજાર, પ્રસૂતિ ચાર હજાર, જુદાં જુદાં ઑપરેશન્સ સાત હજાર-પછાત વિસ્તારમાં, શહેરથી દૂર આવેલી, રિપીટ – શહેરથી દૂર આવેલી, આ હૉસ્પિટલનો લાભ ગામ ૨૬૦૦ ગામોને મળે છે. અહીં પૂર્ણ સમયના વીસ તબીબો સેવારત છે. નજીવા દરે સારવાર, દરદી માટે મફત અને સગાં માટે રાહતદરે ઉત્તમ ભોજન, ખૂબ ઓછી કિંમતે દવા અને ચશ્માં, આંખની સારવાર સ્ત્રીઓના રોગ અને અન્ય ઑપરેશનો માટેની શિબિરો, તાલીમ અને રોજગારના ઉપક્રમો જેવી અનેક બાબતો નોંધી શકાય.

દર્શક ફાઉન્ડેશનના મનસુખ સલ્લાએ સન્માન અવસર માટેની પત્રિકામાં સેવા રૂરલનો પરિચય આપ્યો છે. તેમાં તેના કાર્યને સમજવા માટે અનિવાર્ય બે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે જે વસાવી લેવાનો મનસૂબો પત્રિકા વાંચતી વખતે જ કરી લીધો હતો. પણ યજમાનોએ આ બંને પુસ્તકો ભેટ આપ્યાં. ઉપર્યુક્ત વિગતો તેમાંથી મળે છે. ‘વલોણું’ નામનું પુસ્તક સંસ્થાએ ઓગણીસમી ડિસેમ્બર, ૨૦૧૦ ના રોજ ત્રીસ વર્ષ પૂરાં કર્યાં તે નિમિત્તે તૈયાર થયું છે. સંસ્થાના ‘વલોણું’ નામના ૧૯૮૬થી બહાર પડતા ત્રૈમાસિક મુખપત્રના ચૂંટેલા છાંસઠ આરંભિક લેખો અહીં મૂકવામાં આવ્યા છે. એકસો પંદર પાનાંના આ પુસ્તકમાં તબીબો સહિતના કાર્યકર્તાઓને થયેલા અનુભવો અને અનુભવાયેલા સંવેદનોનું બયાન છે. સાથે સંસ્થાના વિવિધ ઉપક્રમોનો તપસીલ પણ મળે છે. આ પુસ્તકમાં એક બાજુ ગરીબ દર્દીઓનાં વીતક છે : જોખમભરી સુવાવડો, માતા અને બાળકની તંદુરસ્તીના સવાલો, અંધશ્રદ્ધા-અજ્ઞાન, ઍનિમિયા અને અંધાપો, મજબૂરી અને ગેરસમજ. સાથે ગરીબી-બેકારી-નિરક્ષરતા, માહિતીની ઉણપ, સમાજની કઠણાઈ, પાણી-વીજળી-રસ્તા-સાધન-શિક્ષણનો અભાવ જેવા અનેક અવરોધો છે. વળી, હિતશત્રુઓના કાવાદાવા અને સત્યકેન્દ્રી  સંઘર્ષકથાઓ છે. ભૂલ-સ્વીકાર માટેની સંસ્થાની પ્રામાણિકતા અને સુધારા માટેની તત્પરતાના કિસ્સા  છે. સરકાર અને સંસ્થાઓ સાથેનાં જોડાણ છે.  સાક્ષરતા, તાલીમ અને રોજગારી માટેના હૃદયપૂર્વકના પ્રયત્નો છે. સમજ-સહકાર-સંવાદિતા-સ્વમૂલ્યાંકન અને સતત નિઃસ્વાર્થ સેવાપરાયણતા સ્થાયી ભાવ છે. પુસ્તકના પ્રવેશક ‘પ્રગટ ચિંતનની સરવાણી’ માં પિંડવળ-બિલપુડીના મોટા  સમાજસેવક ભીખુ વ્યાસ લખે છે :

તળ ગ્રામ સ્તરે કામ કરતા નાના, અદીઠ અને અલ્પશિક્ષિત સેવક-સેવિકાઓ ‘વલોણું’માં એક અનોખા મિજાજમાં પ્રગટ થાય છે, તેમને જાણે સ્વયંભૂ વાચા ફૂટી છે … સેવા રૂરલ એ પ્રચલિત અર્થમાં સંઘર્ષને વરેલું જૂથ નથી. આરોગ્યને કેન્દ્રમાં રાખીને સમાજ પુનરુત્થાન તેની દિશા છે. તો પણ સંઘર્ષ અનિવાર્ય બની જાય ત્યાં તેને ટાળવાની નહીં પણ, પણ મૂલ્યોને જાળવી તેમાંથી સુપેરે પસાર થવાની ભરચક કોશિશ પણ નજરઅંદાજ કરી શકાય તેવી નથી.

સેવા રૂરલના બીજા પુસ્તકનું નામ છે ‘ધન્યતાની કેડીએ એકબીજાને સથવારે …’. વીતેલા વર્ષના આખરી દિવસે, સેવાના પાંત્રીસમા વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાની ‘ગરીબો-કેન્દ્રિત અને મૂલ્યલક્ષી અવિરત યાત્રા’નું પરિદૃશ્ય અનેક રંગીન છબિઓ સાથેની પદ્ધતિસર રજૂ થયેલી પુષ્કળ માહિતી આ સ્મરણિકામાં મળે છે. ‘ધન્યતાની કેડીએ …’ પુસ્તક સપનાં, કાર્યક્રમો અને ફળશ્રુતિ એવા વિભાગોમાં વહેંચાયેલું છે. ઇલાબહેન ર. ભટ્ટે લખેલા પ્રવેશકનું યથાર્થ શીર્ષક છે ‘સેવાકાંક્ષીની સાર્થકતા’.

પુસ્તકમેળામાંથી મળ્યાં …

દર વર્ષની જેમ, ધખતા ઉનાળામાં પુસ્તકમેળો યોજીને સુધરાઈએ સાંસ્કૃિતક ઓરતા પૂરા કર્યા. ઉનાળામાં વાતાનુકૂલિત સગવડોથી પુસ્તકમેળો યોજવાનો ખ્યાલ તુઘલખી છે. પુસ્તકવિક્રેતાઓની રેઇન્જ અને ગુણવત્તાવાળા પુસ્તકોનો અભાવ હતો. તેને કારણે,  સંસાધનોના ટાળી શકાય તેવા બગાડથી ઊભી કરવામાં આવેલી, પુસ્તકેતર ચમકદમક વધુ આભાસી લાગતી હતી. થોડાક અપવાદો બાદ કરતાં  પુસ્તકોની વાત બાજુએ રાખીએ તો  અહીં મનોરંજન માટે ઘણું હતું. દરેક વાદળમાં એક રૂપેરી કોર હોય છે એ મતલબની અંગ્રેજી કહેવત છે. તે મુજબ કેટલાંક સારાં પુસ્તકો વસાવી શકાયાં તેના વિશે …

બિલીફ ઇન ધ બૅલટ (પબ્લિકેશન્સ ડિવિઝન, નવી દિલ્હી, ૨૦૧૬, રૂ.૩૦૦/-)ઃ  ભારતના ચૂંટણી પંચે તૈયાર કરાવેલા આ પુસ્તકનું પેટા મથાળું છે ‘હન્ડ્રેડ હ્યૂમન સ્ટોરિઝ ફ્રૉમ ઇન્ડિયન ઇલેક્શન્સ’. વિશ્વભરમાં જાણીતી ભારતની ચૂંટણીઓને લગતી માનવરસની આ કથાઓ ચૂંટણી ફરજ બજાવનાર વ્યક્તિઓ તેમ જ પત્રકારોએ લખેલી છે. તેમાં ફરજપરસ્તી અને હિંમત, નાગરિક સભાનતા અને આશા, નિશ્ચય અને પ્રયત્ન, તત્પરતા અને પ્રેરણાના કિસ્સા છે. ભારતના ઉત્તર, પૂર્વોત્તર, પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ એમ ચાર વિભાગમાં આ સ્ટોરિઝનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પહેલી કથા જમ્મુ-કાશ્મિરની બે હજાર નવની ચૂંટણી વિશેની છે. સાડા તેર હજાર ફૂટની ઊંચાઈએ આવેલા રાલાકુંગ મતદાન મથકમાં ત્રેવીસ અને ફેમાના ચૌદ મતદારો નોંધાયેલા હતા. તેમના માટે કુલ ચોવીસ ચૂંટણી કર્મચારીઓની બે ટુકડીઓ હતી. તેમને આ દુર્ગમ જગ્યાએ ખરાબ હવામાનને કારણે હવાઈ માર્ગે લઈ જઈ શકાયા નહીં. પહેલો તબક્કો રસ્તા પરથી વાહનમાં શક્ય બન્યો. પણ પછીના અડતાળીસ કિલોમીટર ઘૂંટણ સુધીના બરફમાં થઈને ચાલતા કાપવા પડ્યા અને મતદાન થયું!

ગુજરાતની ચાર સ્ટોરિઝમાં પહેલી ત્રીસેક કલાક સળંગ કામ કરતા રહેનારા બે કર્મચારીઓ વિશેની છે. તે પછી, અંજાર તાલુકાના રત્નાલ ગામે વર્ષોથી મતદાન કરનાર સંપૂર્ણ અપંગ નાગરિક ધનજીભાઈ આહિર વિશે વાંચવા મળે છે. ચૂંટણી પંચના કર્મચારીઓએ પછાત રાજુલા મતવિસ્તારમાં મતદાનનું પ્રમાણ શી રીતે વધાર્યું તેની વાત છે. બનાસકાંઠામાં રાવળ, ભરથરી, વાદી અને સરણિયા એવી ચાર વિચરતી અને વિમુક્ત જાતિઓને ચૂંટણીકાર્ડ શી રીત મળ્યા તેનું બયાન છે. રાજકોટમાં નિયમિત મતદાન કરતાં સો કરતાં વધુ ઉંમરના ૧૨૯ મતદારોની સરસ વાત પણ જાણવા મળે છે. સૂઝથી ડિઝાઈન થયેલું આ મહત્ત્વનું અને આકર્ષક પુસ્તક ઝડપથી છૂટી પડે તેવી બાંધણીવાળું અને ભારેખમ શા માટે  બનાવ્યું હશે તે તો નિર્વાચન આયોગ જ જાણે!

લાઇવ્ઝ ઇન ધ વિલ્ડરનેસ : થ્રી ક્લાસિક ઇન્ડિયન ઑટોબાયોગ્રાફીઝ (ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ,૨૦૦૯, રૂ. ૪૫૦/-) :  માનવભક્ષી શ્વાપદોના જાણીતા શિકારી અને વન્યજીવન નિષ્ણાત જિમ કૉર્બેટ(૧૮૭૫-૧૯૫૫)ની આત્મકથા છે ‘માય ઇન્ડિયા’ (૧૯૫૨). માનવવંશશાસ્ત્રી અને બૈગા તેમ જ ગોંડ આદિવાસીઓ માટે કામ કરનાર કર્મશીલ વેરિયર એલ્વિન(૧૯૦૨-૧૯૬૪)ની આત્મકથા છે ‘ધ ટ્રાઇબલ વર્લ્ડ ઑફ વેરિયર એલ્વિન’ (૧૯૬૪) અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિમાન પક્ષીવિદ સલીમ અલી(૧૮૯૬-૧૯૮૭)ની આત્મકથા છે ‘ધ ફૉલ ઑફ અ સ્પૅરો’ (૧૯૮૪). આ ત્રણેય મહાનુભાવોની આત્મકથાના હિસ્સા ત્રણસો ત્રીસ પાનાંના ઉપર્યુક્ત પુસ્તકમાં કેટલીક છબિઓ  અને મનોહર રેખાચિત્રો (ચિત્રકારનું નામ જણાવેલ નથી !) સાથે વાંચ વા મળે છે. અગ્રણી સંશોધક, ઇતિહાસકાર  અને રાજકીય વિશ્લેષક રામચન્દ્ર  ગુહાએ ચમકદાર પ્રસ્તાવનાની શરૂઆતમાં લખ્યું છે : ‘ભારતીય આત્મકથા પર ગાંધી, નહેરુ અને નિરદ ચૌધરીની આત્મકથા-ત્રયી(ટ્રાયમ્વુરેટ)નો પ્રભાવ છે ….’ ત્યાર બાદ ગુહા કૉર્બેટ, એલ્વિન અને સલીમ અલીનાં સ્વકથનોની મહત્તા સમજાવે છે. 

રાજકોટના પ્રવીણ પ્રકાશનના બે રસપ્રદ પુસ્તકો મળ્યાં. ‘અમારું વાચનવિશ્વ’ જેમાં રેખા દવેના સંપાદનમાં ‘સાહિત્યસર્જકોની વાચનયાત્રા’ વિશેની કેફિયતો છે. જોરાવસિંહ જાદવ સંપાદિત ‘લોકસાહિત્યની અશ્વકથાઓ’ પુસ્તક મળ્યું. હમણાં ભારતીય જનતા પક્ષના રાજકીય માનવપશુ સમા એક ધારાસભ્યે દહેરાદૂનમાં સત્તાધારી કૉંગ્રેસ સામેનાં દેખાવો દરમિયાન પોલીસના હાથમાંથી લાકડી છીનવી લઈને શક્તિમાન નામના અશ્વ પર વીંઝી. આ ઉમદા માદાએ પહેલાં તેનો પગ અને પછી જીવ ગુમાવ્યો. એ વિશે વિચારતાં-વાંચતાં-લખતા એમ થતું હતું કે અશ્વોની ઉમદાઈ વિશે કશુંક વાંચવા મળે તો કેવું સારું, અને હવે આ પુસ્તક મળ્યું. નૅશનલ બુક ટ્રસ્ટના સ્ટૉલમાં હિમાંશી શેલતે અનુવાદિત કરેલું પુસ્તક મળ્યું ‘કૂતરાની તાલીમ વિશે સંપૂર્ણ માર્ગદર્શન’ (૨૦૧૨), લેખક ગૌતમ ઉન્ની. હિમાંશી બહેનનાં પુસ્તકોની બિલકુલ હમણાંની સૂચિમાં પણ આ પુસ્તકનો ઉલ્લેખ નથી. એટલે એમની સાથે ફોન પર વાત કરી. એમણે કહ્યું, ‘હું તો ભૂલી જ ગઈ હતી કે મેં એ કામ કર્યું છે!’                        

૧૧ મે, ૨૦૧૬

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 16-17

Loading

લોકસંગીતના બત્રીસ કોઠે દીવા પ્રગટાવનારાં દિવાળીબહેન ભીલ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|21 May 2016

સાદગી અને હૈયાનો વલવલતો ભાવ બેઉ ભેગા મળીને જ્યારે લોકસંગીતનો લિબાસ ઓઢે ત્યારે તેને દિવાળીબહેન ભીલ કહેવાય. તળપદો લહેકો, સ્ફટિકવત્ રણકો, અવાજમાં કરુણા અને આર્દ્રતા એવા લથબથ કે સાંભળનારના રૂદિયાના નગારે જ સીધો ઘા કરે.

થોડા મહિના અગાઉ જૂનાગઢ જવાનું થયું ત્યારે નક્કી જ હતું કે દિવાળીબહેન ભીલને મળવાનું જ છે. જૂનાગઢ પહોંચ્યાને બીજે જ દિવસે પત્રકારમિત્રને ફોન જોડ્યો કે દિવાળીબહેન ક્યાં રહે છે? જવાબ મળ્યો, “ગાંધીગ્રામ વિસ્તારમાં જઈને પૂછશો એટલે કોઈ પણ વ્યક્તિ તેમનું ઘર બતાવી દેશે.” આથમતે ટાણે સાંજે તેમના ઘરે પહોંચ્યો તો આંગણું દિવાળીબહેનથી ઝળહળતું હતું. તેઓ આંગણાંમાં જ બેઠાં હતાં. વાતોનો દૌર શરુ થયો. 

તમે લોકસંગીત કેવી રીતે શીખ્યાં – એવું પૂછતાં જ હસતાં હસતાં દિવાળીબહેન કહે કે “હું  સંગીત શીખી જ નથી. મોંઘી બા એટલે કે મારી બા ખૂબ ગાતાં. તેમને અમે સાંભળતાં. તેમને સાંભળતાં સાંભળતાં હું ય ગાતી. સંગીતનું જે શિક્ષણ કહેવાય એવું તો ક્યારે ય લીધું જ નથી.”

સંગીતનું શિક્ષણ તો જવા દો સાદું મૂળભૂત શાળાકીય શિક્ષણ પણ દિવાળીબહેને લીધું નથી. દિવાળીબહેન કહે છે કે, “મારી બા અભણ ને હું ય અભણ. મને સહી કરતાં ય માંડ આવડે.” દિવાળીબહેન ભીલની ગાયકી ભાવબળકટ ગાયકી છે. લોકસંગીત હંમેશાં ભાવપ્રધાન હોય છે. લોકસંગીતમાંથી જ શાસ્ત્રીય સંગીત અને એની રાગદારીઓ જન્મ્યાં છે. તેથી શાસ્ત્રીય સંગીતનું મૂળ પણ લોકસંગીત છે. 

શાળા-કોલેજનાં શિક્ષણની અનિવાર્યતાને ક્યારે ય નકારી ન શકાય, પણ શિક્ષણની આડઅસરને લીધે વ્યક્તિમાં વ્યાવહારિક ઔપચારિકતા તો આવી જ જાય છે. દિવાળીબહેને સ્કૂલનું શિક્ષણ નહોતું લીધું, તેથી તેઓ બનાવટ વિનાના નખશીખ નક્કર રહી શક્યાં, એવું માનવાનું મન થાય. પોતે ફોક-સીંગર છે, એવી સભાનતા તો તેમનામાં ક્યારે ય રહી જ નથી. તેથી પોતે મહાન ગાયક છે, એવો આછોપાતળો અહમ્‌ પણ તેમના વ્યક્તિત્વમાં ડોકાતો-પરખાતો નથી. વિશ્વના અનેક દેશોમાં જઈને ગાનારાં દિવાળીબહેન જૂનાગઢમાં કોઈ શેરીમાં ગાવાં બોલાવે તો એટલી જ સહજતાથી ગાવાં જાય. 

તમે ક્યા ક્યા દેશમાં જઈ આવ્યાં? એ સવાલનો જવાબ આપતાં દિવાળીબહેન કહે છે કે “હું અમેરિકા ચાર-પાંચ વખત ગઈ છું. એ ઉપરાંત એવા એવા દેશોમાં જઈ આવી છું કે એનાં નામ પણ મને નથી આવડતાં. મને તો ક્યારેક એવું લાગે છે કે સંગીતને બહાને મેં બ્રહ્માંડ ફરી લીધું.”

બ્રહ્માંડ ફરી લીધું પણ ધરી તો જૂનાગઢને જ રાખી. ઘણા કલાકારો નાનાં શહેરો કે ગામમાંથી આવતા હોય, પણ એક વખત સહેજ નામ બને એટલે અમદાવાદ કે મુંબઈ જેવાં શહેરોમાં નિવાસસ્થાન બનાવી લે છે. દિવાળીબહેનને જૂનાગઢ જ સોરવતું. 

દિવાળીબહેન ગાયિકા તરીકે ગુજરાતભરમાં પહોંચ્યાં એનું ઘણું શ્રેય હેમુ ગઢવીને જાય છે. હેમુભાઈનું નામ પડે એટલે દિવાળીબહેન ખૂબ ગળગળાં થઈ જાય છે. તેઓ કહે છે કે, “હું નોરતામાં વણઝારીના ચોકે (જૂનાગઢ) ગરબા ગાવા જતી. એ વખતે મારી ઉંમર 15-16 વર્ષ હશે. ત્યાં હેમુભાઈએ મારો અવાજ સાંભળ્યો. તેમણે પૂછ્યું કે આ કોણ ગાય છે? પછી મારા અવાજમાં ગરબા-ગીતો રેકોર્ડ કર્યાં. ત્યાંથી મારી કલાકાર તરીકેની સફર શરૂ થઈ. હેમુભાઈના પ્રતાપે હું અહીં સુધી પહોંચી છું. એ પછી હું આકાશવાણી રાજકોટમાં પણ રેકોર્ડીંગ માટે નિયમિત જતી થઈ હતી.”

કલ્યાણજી-આણંદજી પણ દિવાળીબહેન ભીલના અવાજ પર ઓવારી ગયા હતા. ઉઘડતી કારકિર્દીએ દિવાળીબહેનને મુંબઈમાં કાર્યક્રમો મળે, એ માટે તેઓ મદદરૂપ થયા હતા. દિવાળીબહેન કહે છે કે, “હું મુંબઈમાં રેકોર્ડીંગ માટે જતી હતી. હું ત્યાં દયારામ દામોદર મીઠાઈવાલાને ત્યાં રોકાઉં. એક દિવસ કલ્યાણજીભાઈએ ભોજન માટે ઘરે બોલાવી. હું તેમને ઘરે ગઈ, પછી તેમણે મારી પાસે ગીતો ગવડાવ્યાં. એ પછી મેં જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી. પચાસેક વર્ષ પહેલાંની આ વાત હશે.”

હેમુભાઈએ દિવાળીબહેનનું હીર પારખ્યું ને તેમને સ્ટુડિયો સુધી લાવ્યાં તો દિવાળીબહેન જાહેર કાર્યક્રમો આપતાં થયાં એમાં કલ્યાણજી-આણંદજી પણ નિમિત્ત બન્યા. 

થોડા વખત પહેલાં દિવાળીબહેનને કરાંચી-પાકિસ્તાનથી તેડું આવ્યું હતું. કરાંચીના કોઈ મુસ્લિમ બિરાદરે ત્યાં તેમને રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ ગીતો ગાવાં માટે આમંત્રણ આપ્યું હતું. દિવાળીબહેને છેલ્લાં કેટલાંક વખતથી કાર્યક્રમો બંધ કરી દીધા હોવાથી કરાંચી જવાની તેમણે ના પાડી દીધી હતી. 

સાંસ્કૃિતક શંભુમેળા જેવું શહેર જૂનાગઢ તેની ગિરનાર-દાતારી તહેઝીબ માટે જાણીતું છે. ભગા ચારણ અને દાસી જીવણનાં ભજનો ગાતાં દિવાળીબહેન મોહર્રમનાં મરસિયા અને રમજાનનાં મુસ્લિમ ગીતો પણ ગાય છે. વાત વાતમાં ગીત સંભળાવે છે …

‘આંગણ માંડવ રોપો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
હાથો મેં મીંઢોળ બાંધો બીબી
ઇમામ મારે ઘેર આયે. સજન મેરે ઘર આયે.
લીલી તે ઓઢણી ઓઢો બીબી. હાથોં મેં મેંદિયા લગાવો બીબી
ઇમામ મારે ઘેર આયે, સજન મેરે ઘર આયે.

પચાસેક વર્ષ તમે કાર્યક્રમો આપ્યા. અનેક દેશોમાં ફર્યા. આટલાં વર્ષ પછી પાછું વળીને કારકિર્દીને નિહાળો છો ત્યારે શું વિચાર આવે છે? એવો ટિપિકલ પત્રકારી સવાલ પૂછતાં દિવાળીબહેન કહે છે કે, “મને એવા કોઈ વિચાર આવતા જ નથી. ઇશ્વરની દયાથી બસ ગાયા ંકર્યું.”

વર્ષો પહેલાં વણજારીના ચોકમાં જ્યારે ગાતાં અને જાણીતાં કલાકાર નહોતાં બન્યાં એ વખતનાં દિવાળીબહેન અને ઘેર ઘેર જાણીતાં થઈ ચૂકેલાં દિવાળીબહેન બંને એક જ હતાં. કબીરની ‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા’ની જેમ દિવાળીબહેને આયખું ઇશ્વરને અકબંધ ધર્યું. સાદગી અને સરળતા તેમનાં સંગીતના જ નહીં, સ્વભાવનાં પણ મુખ્ય અંગ હતાં. ગુજરાત દિવાળીબહેનથી રળિયાત હતું. ગુજરાત તેમના સંગીતનું ઋણી રહેશે.

(દિવાળીબહેન ભીલે 19.05.16ના રોજ દેહ છોડ્યો. આ વાર્તાલાપ આજથી છ-આઠ મહિના અગાઉ થયો હતો. દાવો ન થઈ શકે, પણ સંભવતઃ આ તેમનો છેલ્લો ઇન્ટરવ્યૂ હોઈ શકે.)

http://wordswatching.blogspot.co.uk/2016/05/blog-post.html

Loading

દિવાળીબહેન ભીલ મુખ્ય સિંગર અને અનુરાધા પૌડવાલ કોરસમાં

રશ્મિન શાહ
|Opinion - Opinion|21 May 2016

જેસલ તોરલનાં ‘ગીત પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે…’માં … દિવાળીબહેન ભીલ મુખ્ય સિંગર અને અનુરાધા પૌડવાલ કોરસમાં

ગુરુવારે અવસાન પામેલાં આ મહાન લોકગાયિકાને પદ્મશ્રી ઉપરાંત બીજા ૧૦૦ કરતાં વધુ અવૉર્ડ મળ્યા હતા

૮૩ વર્ષની જૈફ વયે ગુરુવારે લોકગાયિકા દિવાળીબહેન ભીલનું જૂનાગઢમાં અવસાન થયું. પદ્મશ્રીનો ખિતાબ મેળવનારાં દિવાળીબહેન લાંબા સમયથી બીમાર હતાં. લગભગ વીસેક વર્ષથી તો તેમણે ગાયકીનું ક્ષેત્ર છોડીને નિવૃત્ત જીવન શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલાં રાજકોટ આવ્યાં ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘સામાન્ય રીતે ફિલ્મી ગાયનો પર લોકસંગીતની અસર જોવા મળે, પણ હવે ઊલટું થઈ ગયું છે; લોકસંગીત પર ફિલ્મી ગાયનોની અસર દેખાય છે. આ જ કારણે મેં મોટા ભાગના લોકગાયકોના કાર્યક્રમો સાંભળવાના જ બંધ કરી દીધા છે. દેખવું શું અને દાઝવું શું? જોઈને જીવ બાળવો એના કરતાં આ લાઇનથી કપાઈ જવામાં માલ છે.’

દિવાળીબહેન ભીલે ક્યારે ય કલ્પના પણ નહોતી કરી કે તે લોકગાયક બનશે અને ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગ દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડશે. દિવાળીબહેન ભીલની મહેનત અને તેમની સક્સેસનો મોટામાં મોટો પુરાવો એ છે કે ’૭૦ના દશકમાં રિલીઝ થયેલી ‘જેસલ તોરલ’નું સતી તોરલનું બહુ જાણીતું લોકગીત ‘પાપ તારું પરકાશ જાડેજા…’નાં લીડ સિંગર તે હતાં, જ્યારે અનુરાધા પૌડવાલ એ ગીતનાં કોરસ સિંગર હતાં. દિવાળીબહેન ભીલ માટે જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ કહ્યું હતું, ‘ફૂલ બે પ્રકારનાં હોય. એક, એવું ફૂલ જેની બહુ માવજત કરીને છોડને ઉછેરવામાં આવે અને એ ઊગે અને બધાને એ ગમી જાય. બીજું, એવું ફૂલ કે જે વગડામાં કોઈ જાતની માવજત વિના, દરેક જાતની મોસમનો માર સહન કરીને ઊગે અને બધાનું દિલ જીતી લે. દિવાળીબહેન આ બીજાં પ્રકારનાં ફૂલ જેવાં હતાં. અથાગ મહેનત કરવામાં ક્યાં ય કસર ન છૂટે. મેં તેમની સાથે જ્યારે પણ કાર્યક્રમો કર્યા છે, ત્યારે જે કોઈ સૂચનો આપ્યાં હોય એ સૂચનોને તે પ્રેમપૂર્વક આવકારે અને પછી કાર્યક્રમમાં એનો અમલ પણ ખૂબી સાથે કરે. માના દેહાંત પછી જેમ બાળક લાચાર થઈ જાય, એમ દિવાળીબહેનના અવસાન પછી હવે લોકસાહિત્ય લાચાર થઈ ગયું છે, રાંક થઈ ગયું છે. હવે ગુજરાતી લોકકલાએ પોતાની રીતે અને પોતાની જાતે મોટા થવાનું છે.’

ત્રણ ધોરણ સુધી ભણેલાં દિવાળીબહેન ભીલની એક આગવી ઓળખ હતી. ચહેરાનો પાક્કો કાળો રંગ, માથા પર સાડી અને કપાળે મોટો લાલ રંગનો ચાંદલો. ૧૯૩૪ની બીજી જૂને જન્મેલાં દિવાળીબહેને પોતાનું આ રૂપ ક્યારે ય છોડ્યું નહીં અને ક્યારે ય દેખાદેખીમાં પડ્યાં નહીં. ૧૦ વર્ષની ઉંમરે પણ તે આ જ રીતે જૂનાગઢની ગરબીઓમાં ગરબા ગાવા જતાં અને નવરાત્રિ સિવાયના દિવસોમાં ઘરનું કામ કરતાં. તેમના પિતા પૂંજાભાઈ દરખાણિયા જૂનાગઢના નવાબી રાજમાં ગીરના ફૉરેસ્ટ ઑફિસર હતા એટલે દિવાળીબહેનને જંગલમાં ફરવા જવા મળતું. જંગલમાં ચારણ અને સાધુઓ પાસેથી તે લોકગીતો સાંભળતાં અને સાંભળેલાં એ લોકગીતો ગાવાની ઘરે આવીને પ્રૅક્ટિસ કરતાં.

માત્ર બે દિવસનાં લગ્ન

દિવાળીબહેનનાં લગ્ન રાજકોટ થયાં હતાં, પણ લગ્નના ૪૮ કલાક પછી દિવાળીબહેનના પપ્પા અને સસરાને મતભેદ થયા અને સસરાએ દિવાળીબહેનના પપ્પાને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. દિવાળીબહેનના પપ્પા ઘરની બહાર નીકળતા હતા, ત્યારે તેમની પાછળ દિવાળીબહેન પણ પહેરેલાં કપડે સાસરું છોડીને નીકળી ગયાં અને એ પછી તે ક્યારે ય સાસરે પાછાં ગયાં નહીં અને આખી જિંદગી ભાઈઓ સાથે રહ્યાં. બીજી વખત મૅરેજ માટે જ્યારે પણ તેમને સમજાવવામાં આવ્યાં ત્યારે તેમણે એક જ વાત કહી કે હવે પછીની આખી જિંદગી ભગવાનની રહેશે. દિવાળીબહેનનાં મૅરેજ જેમની સાથે થયાં હતાં તેમનું અવસાન થઈ ગયા પછી પણ દિવાળીબહેને માથા પર ચાંદલો કરવાનું ચાલુ રાખ્યું હતું.

દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી

દિવાળીબહેન ભણ્યાં ન હોવાથી ભાઈને આર્થિક રીતે મદદ કરી શકાય એ માટે નાની-મોટી નોકરી કરતાં હતાં તેમ જ ડૉક્ટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી. ભણ્યાં ન હોવા છતાં દિવાળીબહેન દવાખાનાનું તમામ કામ કરી જાણતાં હતાં.

દિવાળીબહેનના અવાજને આકાર આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે હેમુ ગઢવી હતા. રાજકોટમાં આકાશવાણી રેડિયો-સ્ટેશન શરૂ થયા પછી, હેમુ ગઢવી સારા લોકકલાકારને શોધતા હતા. આઠ મહિનાની શોધ પછી પણ તેમને કોઈ સારી મહિલા-કલાકાર ન મળી એટલે તેમણે મહિલા-કલાકાર વિના જ કેટલાક પ્રોગ્રામ શરૂ કરી દીધા, પણ એ પછી તેમને દિવાળીબહેનના અવાજ વિશે સાંભળવા મળ્યું એટલે તે જૂનાગઢ ગયા. નવરાત્રિના દિવસો ચાલતા હતા. રાતના સમયે હેમુ ગઢવી વણજારી ચોકની ગરબીમાં દિવાળીબહેનને સાંભળવા બેઠા. એક પછી એક ગરબા શરૂ થયા અને હેમુ ગઢવી આફરીન પોકારી ગયા. એ સમયે દિવાળીબહેનની ઉંમર માત્ર ૧૫ વર્ષની હતી. દિવાળીબહેન સાથે અનેક ફિલ્મોમાં ગીતો ગાનારા જાણીતા લોકગાયક પ્રફુલ્લ દવે કહે છે, ‘એ સમયે હેમુભાઈએ કહ્યું હતું દિવાળીબહેન લોકગાયકીની દિવાળી છે, તે જ્યાં સુધી સ્ટેજ પર રહેશે ત્યાં સુધી લોકગાયકીને કાળીચૌદસ જોવા મળવાની નથી. હું કહીશ કે આજે દિવાળી ગઈ, હવે નવી દિવાળીની રાહ જોવાનું શરૂ કરવાનું છે.’

ગુજરાતના વિશ્વવિખ્યાત ભજનિક પ્રાણલાલ વ્યાસે ગરબી મંડળમાં સાંભળ્યાં ત્યારે તેમને દિવાળીબહેનની ઉંમર નાની લાગી હતી, પણ જ્યારે તેમને ખબર પડી કે દિવાળીબહેન રાજકોટ રેડિયો-સ્ટેશનનાં આર્ટિસ્ટ પણ બની ચૂક્યાં છે ત્યારે તે દંગ રહી ગયા હતા. પ્રાણલાલ વ્યાસે તેમને પોતાની સાથે કાર્યક્રમોમાં લઈ જવાનું શરૂ કર્યું અને દિવાળીબહેનની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો. પ્રાણલાલ વ્યાસે જે-તે સમયે દિવાળીબહેન ભીલ માટે કહ્યું હતું, ‘હું જ્યારે તેને સાંભળું ત્યારે મને ઈર્ષ્યા થાય કે ઈશ્વરે મારા ગળામાં આવી સરસ્વતીનો વાસ કેમ નથી આપ્યો? દિવાળીબહેનના કંઠની બુલંદી અને એ બુલંદીમાં રહેલી પ્રામાણિકતા ભલભલા પથ્થર હૃદયને પણ રડાવી શકવાને સમર્થ છે.’

’૭૦નો દશક ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ સમય સમાન હતો. એ સમય દરમ્યાન દિવાળીબહેન ભીલે ગુજરાતી ફિલ્મો માટે ગાવાનું શરૂ કર્યું. ‘મારે ટોડલે બેઠો મોર કાં બોલે’, ‘હું તો કાગળિયાં લખી-લખી થાકી કાનુડો મારા મનમાં નથી’, ‘આપણા મલકના માયાળુ માનવી’, ‘જોડે રે’જો રાજ’, ‘રામનાં બાણ વાગ્યાં, હરિનાં બાણ વાગ્યાં’ … જેવાં અનેક સુપરહિટ ગીતોથી દિવાળીબહેને ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળને ચાર ચાંદ લગાવી દીધા. જો કે એ પછી પણ તેમણે સ્ટેજ-શો બંધ કર્યા નહીં. અરે, સ્ટેજ-શો શું, છેક ’૭૦ના દશક સુધી તેમણે વણજારી ચોકની ગરબીમાં પણ ગાવાં જવાનું ચાલુ રાખ્યું હતું. કામનું ભારણ વધી ગયાં પછી દિવાળીબહેને નિયમ રાખ્યો હતો કે નવરાત્રિના નવમાંથી એક દિવસ તો તે જ્યાં પણ હશે ત્યાંથી ગરબીએ જઈને ગરબા ગાઈને માની આરાધના કરશે. દિવાળીબહેન ભીલ કહેતાં, ‘જે મન થાય એ કરવું. મને રૂપિયા કમાવાનું મન નથી થતું એટલે હું એ નથી કરતી. જે દિવસ એવી ઇચ્છા થશે ત્યારે એ ય કરીશ, પણ અત્યારે તો મને માતાજીને ભજવાં ગમે છે એટલે એના પર જ ધ્યાન આપું છું.’

૧૯૯૦માં દિવાળીબહેનને રાષ્ટ્રપતિ આર. વેન્કટરમનના હસ્તે પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યો. ૭૦૦થી વધુ લોકગીતો કંઠસ્થ રાખનારાં અને ૧૦૦થી વધુ ફિલ્મી ગીતો ગાનારાં દિવાળીબહેન એ અવૉર્ડ પછી રડ્યાં હતાં. આ અવૉર્ડ દિવાળીબહેને તેમના ભાઈઓને આપ્યો હતો અને આપતી વખતે મીડિયાની હાજરીમાં કહ્યું હતું, ‘જો આ કોઈનો સહકાર ન હોત તો ક્યારે ય હું મારું કામ કરી શકી ન હોત. જે સમયે દીકરીને ઘરની બહાર ન જવા દે એ સમયે મારા ભાઈઓ અને બાપુજીએ મારા પર વિશ્વાસ રાખીને મને બહાર જવા દીધી. પદ્મશ્રીના ખરા હકદાર તો આ સૌ છે.’ ૧૫ જેટલા દેશમાં પ્રોગ્રામ કરનારાં દિવાળીબહેન ભીલને પદ્મશ્રી ઉપરાંત પણ ૧૦૦થી વધુ અવૉર્ડ મળ્યા હતા.

સૌજન્ય : ‘સ્પેશ્યલ સ્ટોરી’ નામક કોલમ, ‘સેટરડે સ્પેિશયલ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 21 મે 2016

http://www.gujaratimidday.com/features/saturaday-special/saturday-special-21052016-10

Loading

...102030...3,5673,5683,5693,570...3,5803,5903,600...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved