Opinion Magazine
Number of visits: 9690616
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોઢાણા: પેટ માટે રોટી, રોટી માટે જમીન

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|11 August 2016

જમીનસુધાર કાયદાનો અમલ થાય અને 5% જમીનોનું પુનર્વિતરણ થાય તો પણ 30% ગરીબી ઘટી શકે છે

અષાઢી બીજના દિવસે એ વાડીએ વાવેતર માટે ગયેલા, પણ લોહીતરસ્યા લોકોએ એમને જ મારીઝૂડી ભોંયમાં દાટી દીધા! રથયાત્રાના દિવસે પોરબંદર પાસેના સોઢાણા ગામે રામાભાઈ ભીખાભાઈ સીંગરખિયા નામક દલિતની જઘન્ય હત્યા કરવામાં આવી. રામાભાઈ છેલ્લા ૨૫ વરસોથી સોઢાણા ગામે સરકારી ખરાબાની જમીન ખેડી પેટ ગુજારો કરતા હતા. સરકારી પડતર જમીન ખેડતા સરપંચ સહિતના બિનદલિતોને તે ખૂંચતા હતા. ગયા વરસે એમનો ઊભો પાક ભેલાડી મૂક્યો અને ગામ છોડી જવાની ફરજ પાડી. આ હિજરતી દલિત આ વરસે વાવેતર કરવા આવ્યા, તો તેમની પર સરપંચ સહિતના ૩૦ થી ૪૦ લોકોના ટોળાએ હિંસક હુમલો કરી મારી નાખ્યા. હત્યારાઓની ધરપકડની સાદી માગણી માટે દલિતોને ચારચાર દિવસ લાશ રઝળતી રાખી આંદોલન કરવું પડ્યું.

મધ્યપ્રદેશના શિહોર ખાતે ૫૦ દલિત કુટુંબોએ સરકાર પાસે આત્મવિલોપનની મંજૂરી માગી છે. કેમ કે સરકારે તેમને ૧૫ વરસથી ફાળવેલી જમીનનો હજુ કબજો મળતો નથી. એટલે આ દલિતો ‘કાં જમીન આપો, કાં મોત આપો’ની માગણી કરે છે. સોઢાણા કે શિહોરની જેમ દેશના ઘણા ઠેકાણે પેટ માટે રોટી અને રોટી માટે જમીન માગતા દલિત-આદિવાસી ભૂમિહીનોના આંદોલનો ચાલતા રહે છે. હાલમાં ચાલી રહેલી ‘ઉના અત્યાચાર લડત સમિતિ’ની દલિત અસ્મિતા યાત્રાનો હેતુ પણ જાતિગત થોપાયેલા રોજગારમાંથી મુક્તિ અને જમીનની માગણીનો જ છે.

જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો –ઉદ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત-આદિવાસી માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકાર સહિતનાં સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતાં રહે છે. જમીનદારો માટે તે ગરીબોના શોષણનું  સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝમવું પડે છે.

સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાનૂનનો દૃઢતાપૂર્વક અમલ થયો. એટલે એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા. ૧,૭૨૬ ગામોના ૫૧,૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલોને મળી. આજે સર્વ ક્ષેત્રે પટેલોનું વર્ચસ્વ એમની આ જમીનમાલિકીને આભારી છે. 

જો કે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાઓને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભરાયેલા કોંગ્રેસના રાષ્ટૃીય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા.

ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિસુધાર કાનૂનો હેઠળ જમીનો મળવી જોઈતી હતી.૧૯૬૧ના જમીન ટોચમર્યાદા અને ૧૯૪૮ના ગણોતધારા હેઠળ જમીનવિહોણા કે ગણોતિયાને જમીનો આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું (સાંથ) લઈને જમીનવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડહક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે.

રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીનો ભૂમિહીનોને આપવાની હોય છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાનૂનો હેઠળ આવી જમીનો કાં તો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે, ત્યાં તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેરસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણાથી સોઢાણા હત્યાકાંડોના મૂળમાં જમીનનો સવાલ રહેલો છે.

જમીનમાલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ % દલિતો જમીનો ધરાવતા હતા. તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫% થયા છે. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯% હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫% થયા છે (ગુજરાતમાં ૬૩.૨૪% દલિતો ભૂમિહીન છે) આ હકીકત જ દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીનમાલિકીને સીધો સંબંધ છે. એટલે જમીનવિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીનસુધાર કાયદાનો અમલ થાય અને માત્ર ૫% જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦% ગરીબી ઘટી શકે છે.

બંગાળના દીર્ઘ સામ્યવાદી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિસુધાર કાનૂનનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. ગુજરાતમાં જમીનના મુદ્દે સંઘર્ષરત દલિત અગ્રણી વાલજીભાઈ પટેલના સંશોધન મુજબ, જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેતસહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ મેળવી લીધી છે અને ખરા હકદાર દલિતો ભૂમિહીન રહ્યા છે.

નવી અર્થનીતિ, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનની બોલબાલા કે વધતા શહેરીકરણ-ઔદ્યોગિકીકરણના વર્તમાન માહોલમાં જમીનસુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિસુધાર કરી રહી છે. ખેતીની સમૃદ્ધ જમીનો જાહેર હિતના નામે અધિકૃત કરી મોટા ઉદ્યોગોને આપી રહી છે. ભારત સરકારને એનો ભૂમિ અધિગ્રહણ કાયદો પડતો મૂકવો પડ્યો છે. પરંતુ ગુજરાત સહિત ઘણાં રાજ્યો એવા કાયદા ઘડી ચૂક્યાં છે, જેમાં જમીનવિહોણાને નહીં, ઉદ્યોગોનો જમીનો આપવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં જમીન મેળવવાનો સંઘર્ષ વધુ કઠિન છે.

ડો. આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતા કહ્યું હતું, ‘જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ લાગી શકે છે. જમીનના મુદ્દે અનુસૂચિત જાતિઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે તમે અને તમારું બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે.’ આ ચેતવણીની અવગણના સરકારો અને સમાજ માટે હારાકિરીનો માર્ગ હશે.       

e.mail: maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘જમીની હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 11 અૉગસ્ટ 2016 

Loading

Banks

Christian Adams|Opinion - Cartoon|10 August 2016

courtesy : "The Daily Telegraph", 10 August 2016

Loading

જિજ્ઞેશ મેવાણી ‘હાર્દિક પટેલ’ નથી

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|9 August 2016

ચૂંટણી પર અસર પાડે એટલી દલિતોની વસ્તી નહીં ને દલિત નેતાઓ પક્ષીય વફાદારીના બિલ્લા પહેરી રાજી

સરખામણી જેટલી સ્વાભાવિક અને ઘણી રીતે અનિવાર્ય લાગે, એટલી જ વિચિત્ર પણ છે. ગુજરાતમાં ભાજપની સંપૂર્ણ પકડ અને કોંગ્રેસની અનંત શીતનિદ્રા છતાં ત્રણ યુવા ચહેરા નેતાગીરીની ભૂમિકામાં ઉભર્યા, જેમનાં નામ હવે એક શ્વાસમાં લેવાય છે : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી. દેખીતું સામ્ય તેમની વયનું અને તેમના ઊભા થયેલા કે થઇ રહેલા બહોળા પ્રભાવનું. હાર્દિક પટેલ તેમની સમજ પ્રમાણે ‘પાટીદાર સમાજને થયેલા અન્યાય’ સામે લડત ચલાવે, અલ્પેશ ઠાકોર વેરવિખેર એવા અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના નેતા બને અનેે તેમના હિતની—મુખ્યત્વે અનામતમાં ભાગ ન પડવા દેવાની—વાતે આગળ આવે. આ બન્નેની સરખામણીમાં જિજ્ઞેશ મેવાણીનો પ્રવેશ છેલ્લો થયો.

ઉના અત્યાચારની ઘટના બન્યા પછી જિજ્ઞેશ અને તેમના સાથીદારોએ ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ સંગઠિત લડત આપવાની શરૂઆત કરી. આ સંગઠનને કોઈ રાજકીય પીઠબળ કે જ્ઞાતિ સંગઠનોનો આર્થિક ટેકો ન હતાં. એજેન્ડા ઉનાના પીડિતોને ન્યાય અપાવવા ઉપરાંત દલિતો પર થતા અત્યાચાર અને તેના મૂળમાં રહેલા ભેદભાવના વ્યાપક મુદ્દે લડત આપવાનો હતો. અગાઉ થાનગઢમાં ત્રણ દલિત કિશોરોની હત્યા પછી સ્વયંભૂ –અને ભાગ્યે જ જોવા મળે એવો—લોકજુવાળ પેદા થયો હતો. પરંતુ ગુજરાતમાં દલિતોની વસ્તી સાત ટકાથી પણ ઓછી. ચૂંટણીનાં પરિણામો પર અસર પાડવાની તેમની ક્ષમતા નહીં. દલિત નેતાઓ પણ પક્ષની વફાદારીના બિલ્લા પહેરીને રાજી. એટલે થાનગઢ વખતે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દલિત લાગણીને અને તેમની ન્યાયની માગણીને ઘોળીને પી ગયા.

પરંતુ થાનગઢથી ઉના વચ્ચે ઘણો બદલાવ આવ્યો છે. હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ગુજરાત તેમનું હોમ સ્ટેટ એટલે કે ગૃહરાજ્ય છે. ઉના અત્યાચાર જેવી ઘટના વીડિયોસ્વરૂપે વહેતી થાય – ચગે, ત્યારે ચિંતા ગુજરાતની નથી. ગુજરાતને તો નરેન્દ્ર મોદી-અમિત શાહ ખિસ્સામાં ગણે છે, પણ ગુજરાતના દલિતોનો તીવ્ર અન્યાયબોધ ઉત્તર પ્રદેશ જેવાં નોંધપાત્ર દલિત મતો ધરાવતા રાજ્યમાં પડઘાય, તે શી રીતે પોસાય?’

ઉના દલિત અત્યાચારનો પહેલો બનાવ ન હતો અને ખેદની વાત છે કે, છેલ્લો બનાવ પણ નહીં હોય. છતાં, દલિતોના અન્યાયબોધને, તેમની સમાનતાની, ગરીમાપૂર્ણ વ્યવહાર-વ્યવસાય માટેની ઝંખનાને સુવ્યવસ્થિત સ્વરૂપે વાચા આપે એવા અવાજનો હમણાં સુધી અભાવ હતો. અમદાવાદની રેલીમાં અને એ સિવાય પણ જિજ્ઞેશ મેવાણીને સાંભળ્યા પછી ઘણાને એ અવાજની ખોટ પુરાતી જણાય છે. સવાલ ફક્ત બોલવાની છટાનો નથી. એ કળામાં તો વડાપ્રધાન કુલગુરુ બને એમ છે. પરંતુ આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણીની વાતમાં રોષ અને ઉગ્રતાની સાથોસાથ અભ્યાસ અને સંઘર્ષનો અનુભવ પણ રહેલો છે, જે હાર્દિક પટેલ સાથેની તેમની સરખામણીને અપ્રસ્તુત બનાવે દે છે.

જિજ્ઞેશ મેવાણી અચાનક, રાતોરાત આકાશમાંથી ટપકી પડેલો કે કોઈએ ઊભો કરેલો નેતા નથી. તેની પાછળ રાજકીય વ્યક્તિત્વોના દોરીસંચારની આશંકા નથી ને સમૃદ્ધ જ્ઞાતિજનોનો મજબૂત આર્થિક ટેકો પણ નથી. અત્યારે અમદાવાદથી પદયાત્રીઓ સાથે નીકળેલા અને 15મી ઓગસ્ટે ઉના પહોંચીને ધ્વજવંદન કરવા માગતા 35 વર્ષના જિજ્ઞેશ પાસે જાહેર કામનો લાંબો અનુભવ અને વાચનલેખનનો મજબૂત સંસ્કાર છે. બૌદ્ધિકતા, જોશ, કાર્યકરવૃત્તિ અને નેતૃત્વશક્તિ—આ બધાનું સંયોજન દલિતોમાં જ નહીં, સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં દુર્લભ છે.

જિજ્ઞેશ મેવાણીની નેતૃત્વશક્તિની હવે કસોટી છે, પરંતુ બૌદ્ધિક રીતે એ અત્યંત સજ્જ છે. એકાદ દાયકા પહેલાં ગુજરાતના ટોચના ગઝલકાર ‘મરીઝ’ વિશે જિજ્ઞેશે કરેલું સંશોધન ગુજરાતી સાહિત્યમાં અને પત્રકારત્વમાં મૂલ્યવાન ઉમેરો કરે એવું છે, તો ભગતસિંઘ અને ક્રાંતિકારીઓ વિશેનો તેમનો અભ્યાસ ભગતસિંઘના નામે ચરવા નીકળી પડેલાઓ કરતાં તેમને જુદા અને વેંત ઊંચા મૂકી આપે એમ છે. અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં સ્નાતક થયેલા જિજ્ઞેશને સામાજિક સમાનતાના ઘણા પાઠ સંજય ભાવે અને સૌમ્ય જોશી જેવા અધ્યાપકો પાસેથી શીખવા મળ્યા. એ ઘડતર પર અનુભવનું ઘણું ચણતર ગાંધીવાદી ચુનીકાકા (વૈદ્ય) અને જનસંઘર્ષ મંચના ડાબેરી કર્મશીલ મુકુલ સિંહા સાથે કામ કરતાં થયું. ચુનીકાકા સાથે રહીને જમીનવિહોણાને જમીન અપાવવાની લડતથી માંડીને સફાઈ કામદારો હોય કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સના જવાનો, તેમની અન્યાય સામેની લડતમાં જિજ્ઞેશે જનસંઘર્ષ મંચ વતી સામેલગીરી કરી છે.

ચુનીકાકા વિશે કેતન રૂપેરાએ સંપાદિત કરેલા સ્મૃિતગ્રંથમાં જિજ્ઞેશે ચુનીકાકાનો પૂરા આદર સાથેનો, છતાં અણીદાર ઇન્ટરવ્યુ કર્યો છે. તેમાંથી ફક્ત ચુનીકાકાનું જ નહીં, જિજ્ઞેશનું પણ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ઇન્ટરવ્યુની ભૂમિકાના આરંભે જ જિજ્ઞેશે લખ્યું છે, ’ગુજરાતના જાહેરજીવનમાં ત્રણ કાકાઓ અમૂલી જણસ જેવા મળ્યા—ગિરીશકાકા (પટેલ), મુકુલકાકા (સિંહા) અને ચુનીકાકા (વૈદ્ય). ગિરીશકાકા ગાંધી અને માર્કસનું કોમ્બિનેશન કરવામાં માને, મુકુલ સિન્હા માર્કસ ને લેનિનનું કોમ્બિનેશન કરવામા માને, ચુનીકાકા ગાંધીના વિકેન્દ્રીકરણના વિચાર પર આધારિત ગ્રામ સ્વરાજ સ્થાપવા માગે. પારકી છઠ્ઠીના જાગતલ એવા આ ત્રણેય કાકાઓ ખેડૂતો-પશુપાલકો-પીડિતો-દલિતો, અસરગ્રસ્તો માટે બહુ લડ્યા …’ (હાર્દિક સાથે જિજ્ઞેશની સરખામણી કેમ અયોગ્ય છે, એ આ ત્રણ લીટી વાંચીને પણ સ્પષ્ટ થઇ જવું જોઈએ.)

નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રીપદ દરમિયાન અને ત્યાર પહેલાં પણ ગુજરાતમાં સંઘર્ષનું કામ કરનારા બહુ ઓછા નીકળ્યા, માર્ટિન મેકવાન જેવાએ એક તબક્કે સમાનતાના સંઘર્ષ અને નવસર્જનનું કામ સમાંતરે અને અસરકારક રીતે ઉપાડ્યું હતું. હવે જિજ્ઞેશ પાસે (છેલ્લાં વર્ષોમાં મેળવેલી વકીલાતની ડિગ્રી ઉપરાંત) તેમણે ગણાવેલા ત્રણ કાકાઓના સંઘર્ષનો અને એ સિવાય દલિત ચળવળનો વારસો છે. જોસ્સો (પેશન) તેમનો સ્થાયી ભાવ છે, તેનાથી દોરાવાનું નેતા તરીકે ઓળખાયા પછી જોખમી બની શકે છે, પણ કોઈ પણ બાબતને ફક્ત થિયરીના સ્તરે સમજીને સંતુષ્ટ થવાને બદલે, સંવેદનાના સ્તરે અનુભવવી એ જિજ્ઞેશની પ્રકૃતિ છે.

જાહેર જીવનમાં અને દલિત ચળવળમાં જાણકારો પાસેથી સલાહસૂચન-દિશાદર્શન લેવાનું તેમણે હજુ બંધ કર્યું નથી. તેમની સામે આંતરિક તથા બાહ્ય પડકાર ઓછા નથી. જ્ઞાતિવાદની ભયંકર આડપેદાશ જેવા દલિતોના પેટાજ્ઞાતિવાદને વળોટી જાય એવી રીતે ચળવળ ટકાવવી અને આગળ વધારવી, વાજબી રાજકીય મહત્ત્વાકાંક્ષા તથા ઉગ્રતા-કટુતાને ભયજનક સપાટીથી નીચે રાખવી, આંદોલનની વરાળથી પોતાનાં એન્જિન ચલાવવા આવી પડતા રાજનેતાઓથી સલામત અંતર રાખવું, આંદોલનની ધરી વ્યક્તિકેન્દ્રી કે વ્યક્તિવિરોધી-પક્ષવિરોધી નહીં, પણ સમાજકેન્દ્રી, સમાનતાકેન્દ્રી – અત્યાચારવિરોધી રહે તે જોવું … પડકારોની યાદી લાંબી છે. તેમાં સજ્જતાની કસોટી છે, તો પરિવર્તન માટેની તક પણ છે જ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘અમારે કેટલા ટકા?’, “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-jignesh-mevani-not-a-hardik-patel-article-by-urvish-kothari-gujarati-news-5391680-NOR.html

Loading

...102030...3,5673,5683,5693,570...3,5803,5903,600...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved