Opinion Magazine
Number of visits: 9553013
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવગૌરવ અને રાજ્ય વચ્ચેના સંબંધની કડી

સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ|Samantar Gujarat - Samantar|23 June 2016

આ સમસ્યા, એક યા બીજી સ્વરૂપે જગતભરના સમાજોને પીડતી રહી છે. જ્યાં રોટીની સમસ્યા એટલી વિકટ નથી, ત્યાં માનવગૌરવને જાળવવાની સમસ્યા તો જોવા મળે જ છે. અને જ્યાં બંને સમસ્યા છે, ત્યાં માનવસંબંધોમાં રહેલી વિષમતાઓ સમૂહજીવનની શાંતિને હરી લેતી હોય છે. ઘણી બધી વિષમતાઓ, પ્રતિકૂળતાઓ વચ્ચે રહીને મનુષ્ય પોતાનાં વ્યક્તિત્વ અને સ્વાતંત્ર્યને શક્ય એટલા પ્રમાણમાં સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરતો હોય છે.

ત્યારે, કેટલાક પ્રશ્નો અવશ્ય ઉદ્‌ભવે : માનવજીવન એટલે શું ? એને તો પૂર્ણપણે જાળવી શકાય એ કાજે સમાજ અને સમાજ વતી રાજ્ય શું કરે છે અને જે કંઈ કરે છે તે પર્યાપ્ત છે ખરું? રૂસોએ કલ્પેલા રાજ્યના ઉદ્‌ભવપૂર્વેનો સમાજ શક્ય છે ખરો? જો એ શક્ય નથી જ તો, મનુષ્યે અને તેમનાં જૂથો વચ્ચે મધ્યસ્થી કરનારી વ્યવસ્થા કઈ … રાજ્ય ? રાજ્યની સત્તા કેટલી, તેનો વ્યાપ કેટલો, તેની સત્તા પર મર્યાદાનું સ્વરૂપ કેવું અને રાજ્યને તેની મર્યાદામાં રાખનાર પરિબળ કયું? રાજ્યની સત્તાનું ‘લૉજિક ક્યું? માનવગૌરવ જાળવવા અને રાજ્યની સત્તાને મર્યાદિત રાખી શકાય એવી વ્યવસ્થા કરી શકાય – અને જો તેમ કરી શકાતું હોય, તો તે કઈ રીતે ? શું એ વ્યવસ્થાનું સ્વરૂપ માનવ-અધિકારોનું હોઈ શકે ખરું ?

માનવગૌરવ અને રાજ્ય એ બે વચ્ચેના સંબંધને તપાસવો હોય, તો ચંદ્રકાન્ત દરુસાહેબને યાદ કરવા પડે. માનવ-અધિકાર/અધિકારોને માનવસ્વરૂપમાં જોવા હોય તો દરુસાહેબને યાદ કરવા પડે. આ લખું છું ત્યારે, ગઈ સદીના છઠ્ઠા દાયકાના આરંભના વર્ષમાં ચાલ્યો જાઉં છું. પિતાશ્રી[નરહરિભાઈ (૧૯૦૯-૧૯૯૯)]એ સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધેલો, તેના ભારે મોટા પ્રભાવ હેઠળ સ્નાતકકક્ષાના અભ્યાસમાં રાજ્યશાસ્ત્ર વિષય રાખેલો. માનવસ્વાતંત્ર્યનો અર્થ હું કેટલો સમજ્યો હતો તે કહી શકતો નથી અને સમજણો થયો ત્યારથી ઝડપથી બદલાતા જતાં સંજોગોમાં ત્યારથી અને આજે પણ એનો મર્મ હજી હું પામી શક્યો નથી. સ્નાતકકક્ષાના અભ્યાસનાં ચાર વર્ષ પસાર થઈ ગયાં. અનુસ્નાતક અભ્યાસમાં એ જ વિષય રાખ્યો, સાથે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો.

કાયદાના અભ્યાસમાં ભારતનું બંધારણ ભણવાનું હતું. એટલે એના અધ્યાપકસાહેબ વર્ગમાં આવ્યા. વર્ગમાં દાખલ થતાં સુધી સિગારેટ પીતા હતા, બુઝાવી દીધી. વર્ગખંડમાં આવ્યા, પાંત્રીસેકની આસપાસ ઉંમર હશે, સફેદ પાટલૂન અને માપ આપી સિવડાવેલો કોટ. એકાદ મિનિટમાં પોતાની ઓળખાણ પૂરી થઈ અને વ્યાખ્યાન શરૂ થયું. આ લખું છું ત્યારે તેમણે ઉચ્ચારેલું પહેલું વાક્ય આજે પણ હું ભૂલ્યો નથી. “મને, ભારતના બંધારણના ભાગ ત્રીજા, મૂળભૂત અધિકારોમાં જ રસ છે.” એ સાથે, ‘સ્વતંત્રતા’ના અર્થની ખોજમાં નીકળેલા મને સાચી દિશા સાંપડી ગઈ. જો સમાજની પ્રત્યેક વ્યક્તિને અધિકારની અનુભૂતિ થતી ન હોય તો, રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. અને માનવ-અધિકાર કેવળ કપોળકલ્પના નથી, મનુષ્યના અસ્તિત્વની પાયાની જરૂરિયાત રોટીની અને એ તેને મળી રહે અને સમાજમાં કોઈને હાનિ પહોંચાડ્યા વિના મોકળાશથી રહી શકે તેવી રાજકીય વ્યવસ્થાનું સર્જન થાય, તો જ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વના ગૌરવનું રક્ષણ કરી અભિવ્યક્તિ અને વ્યવહારનું સ્વાતંત્ર્ય માણી શકે છે. એ દિવસ યાદ કરું છું. માનવ-અધિકાર અને રોટી વચ્ચેના સંબંધને ટાંકતા દરુસાહેબે ઇંગ્લૅન્ડના કવિ થોમસ હુડ(૧૭૯૯-૧૮૪૫)ને યાદ કરી તેની એક કવિતાની પહેલી કડી ટાંકી હતી. Why human life is so cheap and bread so dearer. અને, સહજ સ્વસ્થતા તેઓ ગુમાવી બેઠા હતા. વર્ગખંડમાં રડી પડ્યા હતા!

વ્યાખ્યાન આપતાં હોય કે વર્ગખંડ બહાર સામાન્ય થતી વાતચીત હોય કે અદાલતમાં હોય, તેઓ કદી ઊંચા સાદે બોલે નહીં, ક્યાં ય ઉગ્રતા મળે નહીં, ઉચ્ચારો સ્પષ્ટ હોય, બોલાતા શબ્દો વચ્ચે ચોક્કસ માત્રામાં અંતર હોય, બોલવામાં ક્યાં ય આરોહઅવરોહ કે આવેગ કે ઉશ્કેરાટ ન હોય, ભાગ્યે જ વિશેષણોનો પ્રયોગ થતો હોય, જે બોલાતું હોય તેને સમજાવવા હાથ વિંઝાતા ન હોય. મુદ્દાસર બોલાતું હોય, પોતાના વિચાર કે અભિપ્રાયને ઠસાવવાનો ક્યાં ય અણસાર મળે નહીં. જે મુદ્દા પર બોલતા હોય તેને પુષ્ટિ આપે તેવાં ઉદાહરણો આપતા હોય. જેવું બોલતા તેવું ચાલતા. ચાલવામાં ક્યાં ય ઝડપથી વધઘટ જોવા મળે નહીં, માપસર ડગલાં ભરતા હોય ને ક્યાં ય ઉતાવળ જોવા મળે નહીં. સમગ્ર વ્યાખ્યાન કે અંગત વાતચીતમાં એક જ ગતિ, ન ધ્રૂવ કે ન વિલંબિત. અવાજ એટલો મીઠો નહીં અને છતાં કર્કશ તો જરા ય નહીં. તેમને ધ્યાનપૂર્વક સાંભળવા પડે. ગંભીર વ્યક્તિત્વ અને છતાં મુદ્દાની રજૂઆતમાં સરળતા. ઉઘડતા, વ્યવસ્થિત વેશપહેરવેશ. અદાલતખંડમાં ટાઇમ પર જોવા મળે, બહાર નહીં. એમની હાજરી પ્રેરણાદાયી ખરી પણ ભારે નહીં. જેટલું ધીરજથી બોલે એટલી જ ધીરજથી અન્યને સાંભળે પણ ખરા. સામેની વ્યક્તિની રજૂઆત સાથે સંમત ન થતા હોય તો પણ તેનાથી વિરુદ્ધ દલીલ કરે નહીં એવું સૌમ્ય વ્યક્તિત્વ એટલે જ દરુસાહેબ.

ગઈ સદીના છઠ્ઠા દાયકાના પહેલા વર્ષે શરૂ થયેલો પરિચય તેમના અવસાન સુધી ચાલ્યો. તેમના વ્યક્તિત્વમાં જ એવું કંઈક હતું કે તેમને ભૂલી શકાય નહીં. ભણવાનું તો ઘણા શિક્ષકો પાસે થયું, પરંતુ તેમાંના કેટલા સાથે મારે જીવનપર્યંત સંબંધ રહ્યો તેનો આજે હિસાબ માંડું છું, ત્યારે દરુસાહેબને ભૂલી શકતો નથી. અને એમાં ય જ્યારે માનવગૌરવ અને એ થકી માનવ-અધિકારના હનન વિશે ક્યાં ય વાંચું છું કે કોઈની સાથે વાતચીતમાં એનો થતો ઉલ્લેખ સાંભળું છું, ત્યારે મારા માનસપટ પર દરુસાહેબ ઊભરી આવે છે અને ત્યારે, હવે તેઓ રહ્યા નથી, એ વિચારથી હૃદયનો એક ધબકાર ચૂકી જાઉં છું.

એમને મળતા રહેવાના અનેક પ્રસંગો યાદ કરું છું, ત્યારે જીવનમાં, સમાજવ્યવસ્થામાં કશુંક ખૂટતું લાગે છે. તેમના કાનૂની વ્યવસાય અને માનવ-અધિકાર પરત્વેના લગાવનો પહેલો અનુભવ યાદ કરું છું. ગુજરાત યુનિવર્સિટીમાં – કદાચ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એક મરાઠીભાષી વિદ્યાર્થી ભણે. વાર્ષિક પરીક્ષામાં માધ્યમ અંગ્રેજી રાખ્યું. ગુજરાતી ભાષાના માધ્યમ મારફતે શિક્ષણ માટે સ્થાપેલી આ યુનિવર્સિટી આ કેમ સહન કરી શકે? મામલો વડી અદાલતમાં પહોંચ્યો. બચાવ (વિદ્યાર્થી) પક્ષે હતા દરુસાહેબ – ભારતના બંધારણે માન્ય કરેલી ભાષાઓમાંથી એક ભાષા એવી અંગ્રેજીમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીને યુનિવર્સિટી રોકી કેમ શકે? માનવઅધિકારનાં કેટલાં પાસાં હોઈ શકે, તેનો અંદાજ મને ત્યારે ન હતો. મારી જિજ્ઞાસાની ક્ષિતિજો વિસ્તરતી ગઈ.

હજી, Right to Life is Right to Better Lifeનો ચુકાદો આવવાનો બાકી હતો. એ તો અદાલતી નિર્ણય હતો. એ નિષ્કર્ષ  પર દરુસાહેબ તેમના વર્ગખંડમાં ક્યારના પહોંચી ગયા હતા. માનવગૌરવ માટેની તેમની સંવેદનાના સીમાડાઓ માપી શકાય નહીં. માનવગૌરવ અને તેની સાથે સંકળાતા માનવ-અધિકાર પરત્વેની આટલી બધી પ્રતિબદ્ધતાનું માનવસ્વરૂપ એટલે જ દરુસાહેબ. ડિગ્રીની દૃષ્ટિએ મારો અભ્યાસ પૂરો થયો હતો. વ્યાવસાયિક પસંદગી કરવાનો સમય આવી ગયો હતો. દરુસાહેબે ચાંપેલી ચિનગારી અને હવે આગનું રૂપ પકડતી જતી હતી. વકીલાત કરવી અને તે પણ બંધારણીય અને વિશેષે કરીને માનવ-અધિકારનું હનન કરતા કિસ્સાઓ સાથે મારું ભવિષ્ય સાંકળવાનો મનસૂબો તો કર્યો પણ નવી અસ્તિત્વમાં આવેલી ગુજરાત રાજ્યની વડી અદાલતમાં સ્થાનિક વકીલો થોડા હતા. ગુજરાત બહારથી આવનારા ઘણા હતા. મને જુનિયર તરીકે કોઈ રાખે ? મનમાં એક ઇચ્છા ધરબાયેલી હતી અને તે કાયમ રહી – દરુસાહેબના જુનિયર તરીકે કામ કરવું. તેમની પાસે મારા મનની મૂંઝવણ હું મૂકી શક્યો જ નહીં. મારો વ્યાવસાયિક માર્ગ મને શિક્ષક બનવા તરફ લઈ ગયો. એટલું કબૂલ કરું છું કે શિક્ષક તરીકેની મારી સમગ્ર કારકિર્દીમાં માનવ-અધિકાર સંબંધી હું ઝનૂની બન્યો હતો – નવનિર્માણની લડત અને શ્રીમતી ગાંધીએ લાદેલી દેશમાં આંતરિક કટોકટી.

શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી બેચેન કરનારી હતી. દરુસાહેબ સાથેની નિકટતા વધી. એ સમગ્ર અઢી-ત્રણ વર્ષમાં બનેલી અનેક ઘટનાઓની વિગતોમાં જવું શક્ય નથી. માનવ-અધિકારના સરિયામ હનન સામે દરુસાહેબ મૌન રહી શક્યા નહીં. અમાનુષી ઉલ્લંઘન સામે ચાલેલી લડતનો વ્યાપક અભ્યાસ થયો નથી. એના એકાદ પાસાનો ઉલ્લેખ કરીશ ‘ભૂમિપૂત્ર કેસ’. અમદાવાદની શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજમાં દેશના વિખ્યાત કાયદાશાસ્ત્રીઓ મળ્યા હતા અને તેનો અહેવાલ ‘ભૂમિપુત્ર’માં છપાયો. સેન્સરશિપના નામે અંકો જપ્ત થયા, પ્રેસને સીલ લાગી ગયું. અમદાવાદની વડી અદાલતમાં ખટલો ચાલ્યો. એક તબક્કે, સ્વસ્થ એવા દરુસાહેબની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી અને તેમને બેસાડી દેવા પડેલા.

દેશમાં લાદવામાં આપેલી આંતરિક કટોકટી સમયે, દરુસાહેબને મિસા હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તે સમય તેમના ઘેર જવાનું થતું તો તેઓ મારે ઘેર પણ આવતા તેમને અનેક વાર મળવાનું થતું રહેતું. એક વાર તેમણે મુંબઈમાં ભાષણ આપેલું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ જઈ કટોકટી વિરુદ્ધ પત્રિકા પ્રગટ કરશે. અને તેવું તેમણે કર્યું ત્યારે, ગુલબાઈના ટેકરા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનને પોલીસોએ ઘેરી લીધું હતું. સુખી, સગવડભર્યા જીવનમાં માનનારા દરુસાહેબ, જેલમાં કઈ રીતે રહી શક્યા હશે !

મારા શાલેંતર ભણતરના સમય અને હાલના સમયમાં આભજમીનનો તફાવત છે. આજે, આપણો સમાજ અને તે સાથે સમગ્ર દેશ, કઈ દિશામાં જઈ રહ્યો છે અને વધતાં જતાં દબાણો અને પ્રતિકૂળતાઓ વચ્ચે આવનારા સમયમાં સમાજ અને દેશની હાલત કેવી હશે અને તેવી પરિસ્થિતિમાં માનવ-અધિકારોની શી સ્થિતિ હશે તે કલ્પી શકાતું નથી. આજે એ સ્થિતિએ પહોંચ્યા છીએ કે, સમાજ, રાજ્ય અને માનવ-અધિકારની અર્થસ્પષ્ટતા કરવી સરળ નથી. સમાજ અને દેશમાં વધતી જતી વિષમતાઓ, શાસનના સ્વરૂપમાં આવેલો બદલાવ, વર્ગભેદ અને વર્ગસંઘર્ષ તરફ જઈ રહેલા સમાજ અને રાજ્યમાં માનવગૌરવ માટે સંઘર્ષ કરનારા દરુસાહેબના જન્મના શતાબ્દી વર્ષમાં કેવળ યાદ કરવાનું પર્યાપ્ત ઉચિત નહીં જણાય. એમણે જે સ્વચ્છતા અને મક્કમતાથી તેમણે માનેલા આદર્શોને જીવી જાણ્યું, એ માર્ગે જવામાં જ તેમને સાચા અર્થમાં યાદ કરવા પડશે.

તેઓ ભલે, વ્યવસાયથી વકીલ હતા, પરંતુ વાસ્તવમાં તેઓ માનવસંસ્કાર, માનવગૌરવ, માનવ-અધિકારના મોટા પુરસ્કર્તા હતા. હું એવું ઇચ્છીશ કે તેમણે સ્વીકારેલા આદર્શો પરત્વે તેમની જે પ્રતિબદ્ધતા હતી, તેનો થોડોક પણ અંશ મારામાં, આપણા સૌમાં આવે.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 06-07

[ચંદ્રકાન્ત દરુની જન્મ શતાબ્દી (2૩ જૂન 2016) ઉજવણી પ્રસંગે 16 જુલાઈ, 2016ના રોજ ફલી નરીમાન અને ઉપેન્દ્ર બક્ષીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રકાશિત થનારા સ્મૃિતગ્રંથમાંથી ચૂંટેલો લેખ]

Loading

વિચારપત્ર : એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ

કિશોર એમ. શુક્લ|Opinion - Literature|23 June 2016

ભારતીય બહુશઃ ભાષાઓમાં સાહિત્યસ્વરૂપ તરીકે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા (ગદ્યસાહિત્ય) પત્રસાહિત્ય, નિબંધ અને પ્રવાસ, હાસ્ય અને કટાક્ષસાહિત્ય જેવાં વિવિધ સાહિત્ય સ્વરૂપો સ્વીકારાયાં છે. નવા અભિગમ તરીકે સાહિત્ય જેવાં સ્વરૂપો પણ સ્થાન પામ્યાં છે. આ બધામાં વિચારપત્ર (દા.ત., નિરીક્ષક અને અન્ય) જેવા સાહિત્યને પણ એક અલાયદા, ખાસ સાહિત્ય સ્વરૂપ તરીકે સ્વીકારવું ઘટે. વિચારપત્ર પ્રકારનું સાહિત્ય હવે ઘણી બધી ભાષાઓમાં, ઘણાં બધાં પુસ્તકો-સામયિકોમાં પ્રકાશિત થાય છે. આ સાહિત્યસ્વરૂપ વિષે આપણે સૌ વિચારીએ, એ પહેલાં જણાવવું રહે કે આ પ્રકારનું સાહિત્ય વર્ષોથી લખાય છે. છપાય છે અને વંચાય છે. આ સ્વરૂપને સાહિત્યશાસ્ત્રના, માનક ધોરણો લાગુ પાડીને આ સ્વરૂપને અલગ રીતે સ્વીકારવું જોઈએ. આ સ્વરૂપના ઉદ્‌ભવ અને વિકાસનો ઇતિહાસ લખાય અને સંશોધનો થાય, વિશિષ્ટ માવજત દ્વારા આ સ્વરૂપને સાહિત્યની પરિભાષામાં અલગ સ્થાન મળે, સમાવેશ થાય તે ઇચ્છનીય છે.

– આ સાહિત્યસ્વરૂપ વર્તમાન પ્રવાહોને, સમસામયિક સમસ્યાઓને વધુ સારી રીતે સાહિત્ય રજૂ કરનાર વાસ્તવિક ભૂમિકાવાળું હોય છે.

– આ વિચારપત્ર સાહિત્યસમાજનાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતું. અદ્યતન અભિગમવાળું હોય છે.

– આ સ્વરૂપમાં કલ્પનાશીલ ભાષાપ્રયોગને બદલે પ્રસંગોનું પરિસ્થિતિઓનું, વ્યવહારુ સમસ્યાઓનું યથાતથ વર્ણન હોય છે.

– આ સ્વરૂપમાં સર્વગ્રાહી માન્યતાઓનું પ્રતિબિંબ હોય છે. વ્યક્તિગત માન્યતાઓ રજૂ થાય, તો તેનો આધાર કે સંદર્ભ (વજૂદ) પણ હોય છે, તેથી આ વિચારપત્ર-સાહિત્ય સ્વરૂપ પૂર્ણ આધારવાળું હોય છે.

– લોકશાહી દેશમાં વિચારપત્રોને મહત્ત્વ અપાય, તે સમૃદ્ધ અને તંદુરસ્ત લોકશાહી માટે પ્રશસ્ય ગણાય. તે રીતે જોતાં વિચારપત્રના સાહિત્યસ્વરૂપની અગત્ય વધી જાય.

– વિચારપત્રમાં મોટી સાહિત્યસાધનાની જરૂર હોતી નથી, તેથી સમાજના બધા વર્ગના લોકો પોતાનો પ્રતિભાવ વિચારપત્ર દ્વારા રજૂ કરી શકે છે. આમ, સહજ રીતે સર્જાતું આ સાહિત્ય મૌલિક, સરળ, હૃદયની ભાષા રજૂ કરતું ભાવવાહી અને સ્નિગ્ધ હોય છે.

– વિચારપત્રમાં લખનાર લેખક સામાજિક, રાજકીય, શૈક્ષણિક ઇત્યાદિ બાબતોમાં જાગૃતિ રાખતો સક્રિય નાગરિક હોય છે. તે માત્ર તેના માટે (નિજાનંદ માટે) લખતો નથી. સમાજ માટે પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે.

– સમીક્ષા-સાહિત્યથી જુદું પડતું આ સાહિત્યસ્વરૂપ વિચારધારાથી બંધાયેલ હોય છે.

– આ સ્વરૂપમાં શબ્દવ્યંજના અન્ય ગદ્યસાહિત્ય જેવી જ હોય છે. વ્યવહારની ભાષામાં લખાતા વિચારો રજૂ કરવાનું ઉત્તમ માધ્યમ બને છે, તેથી તે વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ છે.

આ રીતે વિચારપત્ર સાહિત્યસ્વરૂપ એ અન્ય ગદ્યસાહિત્ય સ્વરૂપથી જુદું ન પાડી શકાય, તેવું સાહિત્ય હોવા છતાં તેની રજૂઆતની શૈલી, તેની પ્રભાવક અસર, સંભવિત પરિવર્તનોની દૃષ્ટિએ એક અસરદાર સાહિત્યસ્વરૂપ તરીકે નિખાર પામ્યું છે, આકાર પામ્યું છે.

‘નિરીક્ષક’ના સુજ્ઞવાચકો આ અલાયદા અને વિશિષ્ટ સ્વહિત્યસ્વરૂપને આવકારશે અને તેનું સમર્થન કરશે, તેવી અપેક્ષા છે. દરેક ભાષાસાહિત્ય સ્વાગતશીલ છે. સમયાંતરે થતાં સાહિત્યિક ખેડાણોને આવકારીને આ નવીન સાહિત્યસ્વરૂપને પ્રમાણિત સાહિત્યસ્વરૂપ તરીકે સ્વીકારાશે અને વિચારપત્ર સાહિત્યસ્વરૂપનો નવો સાહિત્યક ઇતિહાસ લખાશે, તેવી શ્રદ્ધા છે.

ઍજ્યુકેશન કૉલેજ, મોડાસા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 09

Loading

ચુકાદાનો તકાજો અને બેનકાબ ચહેરા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|23 June 2016

ઐતિહાસિક ગુલબર્ગ ચુકાદાને કેવી રીતે જોશું વારુ? ભારતરત્ન અટલબિહારી બાજપેયીની એમની કોઈક સોજ્જી સહૃદય ક્ષણોમાં કરેલો પદ્યઉદ્દગાર, બને કે ૨૦૦૨ના સંદર્ભમાં હોયઃ

ગીત નહીં ગાતા હૂં
બેનકાબ ચેહરે હૈ
તૂટા તિલિસ્મ આજ,
સચ સે ભય ખાતા હું …

ગુજરાતના તે વખતના ઘટનાક્રમને, રાજ્યના શાસને પ્રગટ કરેલા નિઃશાસન / દુઃશાસન સ્વરૂપ અંગે બડે ભૈયા(દુર્યોધન)ની ભૂમિકાથી પરહેજ કરવા ઇચ્છતા બાજપેયીની લાગણી હતી. વેદના હતી કે ‘બેનકાબ ચહેરે હૈ’ પ્રતિક્રિયામાં શું બન્યું તો કહ્યું કે ‘દાગ બડે ગહરે હૈ.’ ડાઘ (કલંક) ભૂંસ્યાં કેમ ભુંસાય? સરકારને પક્ષે ખરી ને પૂરી તપાસથી, અને ન્યાયથી.

કેમ કે ‘સચ સે ભય ખાતા હું’, અઘરું તો હતું જ. એક તો આપણી અદાલતો, પુરાવાની અદાલતો રહી, નહીં કે ન્યાયની અને પુરાવાતંત્ર બચાડું સત્તાપક્ષને આધીન, સ્વાધીન, પરાધીન! ગોધરા-અનુગોધરામાં જવાબદારોને નસિયત પહોંચાડવામાં ગુજરાતનું નિઃસંતાન/દુઃશાસન આરંભથી બેતમા અને બેપરવા હતું. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ કબૂલ્યા પ્રમાણે આશરે સત્તર હજારથી પણ વધુ કેસ નોંધ્યા નહોતા. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી પ્રક્રિયા ફેરઊઘડી અને કેટલાક મોટા કેસોમાં કેસોમાં એની સીધી દેખરેખ નીચે એસઆઈટી મારફતે કામ શરૂ થયું એને પરિણામે નરોડા પાટિયા સહિતના સાત ચુકાદા પછીનો આઠમો છે. હવે નરોડા ગામના ચુકાદાની રાહ જોવાય છે.

દેશનાં કોમી રમખાણોના સિલસિલામાં નાગરિક સમાજ કર્મશીલોની જાગૃતિથી ગુનેગારોને સજા કરાવી શકાઈ હોય તે ઠીક ઠીક પ્રમાણમાં પહેલી વાર બની રહ્યું છે. અપેક્ષા કરતાં ઓછું બન્યું હોય તો પણ પૂર્વે કદાપિ નહોતું તે હદે શક્ય બન્યું છે. ગુજરાતમાં નેતૃત્વનો મુદ્દો તો ખેર ક્ષણવાર છોડો. પણ પબ્લિક પ્રોસિક્યુટરો વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકરો હોય અને તે વિહિંપ પ્રેરિત કોમ હુમલાખોરોને ‘ન્યાયિક પ્રક્રિયા’નો લાભ આપી શકે એવો ઉઘાડે છોગ અભિગમ હતો. ગુલબર્ગ ચુકાદા પછી પણ ગુજરાત વિહિંપની સત્તાવાર પ્રતિક્રિયા છે કે અમે જેઓ દોષિત ઠર્યા છે એમને બચાવવા સઘળું કરીશું. કેમ કે તે સૌ હિંદુ રાષ્ટ્ર માટે લડ્યા છે. ગુજરાતના ઘટનાક્રમ વિશે સંઘ પરિવારના એક વગદાર હિસ્સાનો સત્તાવાર અભિગમ છે કે ગોધરા-અનુગોધરા હિંદુરાષ્ટ્રનો સવાલ હતો. કાયદો, વ્યવસ્થા, ન્યાય બધું માર્યું ફરે!

ગુજરાતમાં સરકાર અને સત્તાપક્ષના અનવતર અવરોધ છતાં જો એક સો પચાસ જેટલા ગુનેગારોને સજા ફરમાવી થઈ શકી હોય તો સામાન્ય વાત નથી તે સંદર્ભમાં ગુલબર્ગ ચુકાદાને જોવો જોઈએ. ૧૯ મકાનો અને ૮ ફ્લેટના રહેવાસી પર (સાથી નાગરિકો પર) મચાવાયેલા બેરહમ આતંક સબબ ૧૪ દોષિત અને ૩૬ નિર્દોષ હોય કે હોય પણ શંકાનો લાભ રળ્યા. મૂળે આલા પોલીસ અફસર અને નવધારાશાસ્ત્રી રાહુલ શર્માએ કહ્યું છે કે અદાલતે તો તેની સામે જે રજૂ થયું તેને આધારે કહ્યું પણ રાઘવનના વડપણ હેઠળની એસઆઈટીએ જો તપાસમાં કચાશ છોડી હોય તો શું કરી શકાય. અહીં મનોજ મિટ્ટાની ભરી બંદૂક કિતાબ ‘ધ ફિક્શન ઑફ ફૅક્ટફાઇન્ડિંગ ઇન ગોધરા’ – તપાસને નામે કલ્પનાવિલાસનું સ્મરણ થઈ આવે છે. ગુલબર્ગ ઘટના વિશે એણે સાદો પણ બુનિયાદી વિગતમુદ્દો ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રી નમો, એમના કહેવા પ્રમાણે રમખાણ પર ઝીણી નજર રાખી રહ્યા હતા. તો ગુલબર્ગમાં શરૂ થયેલા આતંકના પાંચ કલાક પછી પણ બેખબર હતા. આવું કેમ.

અહીં જરી દૂરાકૃષ્ટ લાગે તો પણ જલિયાંવાલા ઘટનાનું સ્મરણ થઈ આવે છે. જનરલ ડાયરે જનસમુદાય સાથે બેછૂટ ગોળીદાવ ખેલ્યો ત્યારે અંગ્રેજ સરકારે હંટર કમિશન નીમ્યું હતું. કમિશન પરના ત્રણ હિંદી સભ્યોએ અલગથી પોતાનો ‘માઇનોરિટી રિપોર્ટ’ આપ્યો હતો. એમાં ડાયરની (બે)જવાબદારીથી માંડીને દેશના વડા તરીકે ચેમ્સફોર્ડની જે મર્યાદાઓ સંદર્ભમાં જણાઈ આવી તે બતાવવામાં પણ કસર છોડી નહોતી. રિપોર્ટ લખવામાં અગ્રકામગીરી સર ચિમનલાલ સેતલવાડની હતી, અને તેમ કરતાં તેમણે વાઇસરોયની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ પર લૉ મેમ્બર તરીકે બેસવાનો મોકો ખોવાની ચિંતા કરી નહોતી. (જોગાનુજોગ, સર ચિમનલાલ તે તીસ્તાબહેનના પ્રપિતામહ – ગુજરાત ગૌરવ પરંપરામાં કેવી રીતે જોશું આ બીનાને?) ગમે તેમ પણ, એસઆઇટીનો તપાસ હેવાલ ઇપીસી ૧૨૦ (બી) એટલે કે આયોજિત કાવતરાને મુદ્દો ઊલોઅલૂણો તો રહ્યો જ. એને કોઈ સર ચિમનલાલ જેવું જુદું પડતું જણ, કમનસીબે, મળી શક્યું. હશે, સ્વરાજ એટલું ઢૂંકડું નયે હોય.

મુદ્દે, ગુલબર્ગ કેસમાં ૨૦૧૦માં સ્પેિશયલ પ્રૉસિક્યુટરે રાજીનામું આપેલું. એમનો મુદ્દો હતો કે જજસાહેબ બાયસ્ડ (પૂર્વગ્રહદૂષિત) છે અને એસઆઇટી આખી પ્રક્રિયામાં અમારી સાથે સંકલન સાચવતી નથી. તે પછી બે વરસે એસઆઇટીએ ‘કૉન્સપિરસી ઍંગલ’થી કિનારો કરતું (કહો કે સેનિટાઇઝ્‌ડ) તારણ આપ્યું. મેટ્રોપોલિટન કોર્ટે એસઆઇટીનો હેવાલ પ્રકાશિત કરવાની તેમ જ ક્લોઝર સામેની રજૂઆતને ફગાવી. ગુલબર્ગ કેસ સંદર્ભે, કેમ કે એમાં પૂર્વસાંસદ અહેસાન જાફરીનોયે ભોગ લેવાયો હતો, ખાસી ચર્ચા થતી રહી છે. જાફરીને કેવળ પૂર્વસાંસદ કહેવા અપૂરતું થશે. ૧૯૬૯માં ભોગ બની રાહત છાવણીમાં ઓશિયાળો આશરો લેવાના અનુભવમાંથી પસાર થયા હતા, પણ કોમી એકતાનો અભિગમ એમણે કદાપિ ન છોડ્યો. ઉમદા ખવાસનું સાહિત્યરસિક જણ હતા.

ગુલબર્ગ સોસાયટી અને સ્થળપસંદગી પાછળ પણ સહિયારા વારસાનો ધક્કો હતો. આજે ઝકિયા જાફરી ચૌદ વરસની તાવણી અને કંઈ કેટલી દુવા-ઈબાદત-ખેરાત પછી પણ પૂરા ન્યાયના ધ્રુવતારક ભણી જોઈ જિંદગી બસર કરે છે. ઉલટ પક્ષે, ચિંતાનો મુદ્દો છે કે, કસુરવારોને સજા બાબતે અગાઉ કરતાં ઠીક કામગીરી છતાં, લોકદરબારમાં વાનું કેમ જાણે નહીંવાનું છે.

વણઝારાની વીરકથા અને વીરનો રાગ આસારામ … ને સંઘ શિબિરની મુલાકાત, કોઈને કશો થડકો નથી.

ચેહરે બનેકાબ હૈ, બીજું શું.

લખ્યા તા. ૩ જૂન, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 23 જૂન 2016; પૃ. 15

Loading

...102030...3,5443,5453,5463,547...3,5503,5603,570...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved