Opinion Magazine
Number of visits: 9768184
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે શહીદ થાય તે જ દેશભક્ત કહેવાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 May 2017

ગુજરાતીઓ સૈન્યમાં જોડાતા નથી એવું મહેણું બહુ જૂનું છે, એટલે ‘કેટલા ગુજરાતી શહીદ થયા?’ એવો ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનો કટાક્ષ ઘા ઉપર મીઠું ભભરાવવા જેવો છે, પરંતુ ગુજરાતીઓએ એનાથી નારાજ થવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. યાદવનું નિશાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદના નામ ઉપર ચાલતી રાજનીતિ હતી અને એની સામે સવાલ કરતા કહ્યું, ‘યુપી, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત હર જગહ સે શહીદ હુએ હૈ, ગુજરાત કા કોઇ જવાન શહીદ હુઆ હો તો બતાઓ.’

તથ્યોના આધાર પર અખિલેશનું વિધાન ગલત છે. ‘દિવ્ય ભાસ્કર’ની ઓનલાઇન આવૃત્તિમાં ગુજરાત સરકારની સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરીના પ્રગટ થયેલા આંકડા પ્રમાણે 1965થી અત્યારે સુધીમાં 86 ગુજરાતી સૈનિકો શહીદ થયા છે. આમાં કારગિલ યુદ્ધ (1999) પછી શહીદ થયેલા ગુજરાતીઓની સંખ્યા 50 છે.  જો કે, અખિલેશે જે ‘સળી’ કરી છે તે પેલી પ્રચલિત માન્યતા પર આધારિત છે કે ગુજરાતીઓ ‘મની માઇન્ડેડ’ છે અને ‘દાળ-ભાતિયા’ છે.

એને સૈન્યમાં બીજા પ્રદેશના લોકોના પ્રતિનિધિત્વ સાથે જોડો એટલે દાખલો એવો બેસે કે અન્ય રાજ્યોના સૈનિકો દેશની રખેવાળી કરતાં કરતાં શહીદી વહોરે છે ત્યારે ગુજરાતીઓ એમનું બેન્ક બેલેન્સ તગડું કરવામાં વ્યસ્ત હોય છે. આમાંથી જ એ માન્યતાએ જન્મ લીધો છે કે ગુજરાતીઓ સૈન્યની આકરી કારકિર્દીને બદલે ધંધા-વેપારનો સુંવાળો વ્યવસાય પસંદ કરે છે. આમાં ભાવ એવો અભિપ્રેત છે કે પૈસા બનાવવા એ સ્વાર્થી પ્રવૃત્તિ (અને એટલે ક્રાઇમ) છે અને સરહદ પર લડવું એ સેવા છે (અને દરેકની ફરજ છે).

આવા કુતર્કના આધારે એવી ‘ગાળ’ આપવામાં આવે છે કે ગુજરાતી મા-બાપો એમના દીકરાને સરહદ ઉપર મોકલવાને બદલે ગલ્લા પર બેસાડે છે. રાહુલ ધોળકિયાએ શાહરુખ ખાનની (અમદાવાદના ડોન લતીફ આધારિત) ફિલ્મ ‘રઇસ’માં આ જ માન્યતા આગળ ધપાવી હતી, જેમાં ‘લતીફ’ એક જગ્યાએ કહે છે, ‘અમ્મીજાન કહેતી થી, કોઇ ધંધા છોટા નહીં હોતા, ઔર ધંધે સે બડા કોઇ ધર્મ નહીં હોતા.’ પહેલા તો ગુજરાતીઓએ આ મહેણાથી નારાજ થવાની જરૂર નથી, કારણ કે દેશપ્રેમ બતાવવાની એક માત્ર સાબિતી સૈન્યની નોકરી કે શહીદી નથી.

બીજું, સૈન્યમાં ગુજરાતીઓ ઓછા છે તે વાત સાચી છે, અને તેનાં ઠોસ કારણો છે. બીજી વાત પહેલા. સૈન્યમાં કેટલા ગુજરાતી છે તેના અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી, કારણ કે સરકાર (કે સૈન્ય) પ્રાદેશિક જાતિ પ્રમાણે આંકડા રાખતી નથી. જેનો રેકોર્ડ મળે છે તે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશ બ્રિટિશરાજ સમયની ‘માર્શલ રેસ’ (લડાયક જાતિ) પરંપરામાં આવે છે.

2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ડેપ્યુટી પ્રધાનમંત્રી એલ. કે. અડવાણીએ ભારતીય સેનામાં ગુજરાત રેજીમેન્ટ ઊભી કરવાની માગણી કરી હતી, તેને ફગાવી દેતાં તત્કાલિક રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે કહ્યું હતું કે સ્વતંત્રતા પછી સેનાએ કોઇ જાતિ, સમુદાય કે બીજી કોઇ ઓળખના આધારે રેજીમેન્ટ બનાવવાનું બંધ કર્યું છે અને શીખ, ગોરખા કે ડોગરા જેવી ‘સિંગલ ક્લાસ’ રેજીમેન્ટ બ્રિટિશ પરંપરાના ભાગરૂપે જ રાખવામાં આવી છે. એટલે ગુજરાતીઓ એ જ કારણથી ઓછા છે, જે કારણથી તમિલિયનો કે કન્નડો ઓછા છે: રેજીમેન્ટનો અભાવ.

બીજું, કાળજીપૂર્વકનું આયોજન કહો કે અકસ્માત, આઝાદી પછી આર્થિક સત્તા પશ્ચિમ ભારત તરફ ખસી, રાજકીય ગઢ મધ્યપૂર્વ ભારતમાં મજબૂત થયો, વહીવટી ક્ષમતા દક્ષિણના નિયંત્રણમાં આવી અને સૈનિક તાકાત ઉત્તરમાં કેન્દ્રિત થઇ. એટલે દેશને ચલાવવા માટે એક રાજકારણીને કેરળના કુશળ વહીવટદારની, પંજાબના જાબાંઝ સૈનિકની અને ગુજરાતના ધંધાદારીની આવશ્યકતા રહે છે, અને આ ચારેય ‘ભારત’ નામની ઓળખ બતાવે છે.

એટલે, મહેણાની વાત કરીએ તો, ગુજરાતનો વેપારી દેશની તરક્કી અને ઇજ્જતમાં એટલો જ સહયોગ આપે છે, જેટલો ભોગ મરાઠા લાઇટ ઇન્ફંટ્રી કે રાજપૂતાના રાઇફલ્સ આપે છે. ભારતીય સૈન્ય જેવી સેક્યુલર ફોર્સ બીજી કોઇ નથી, અને એનો જશ બ્રિટિશરોને જાય છે જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આવતા પહેલાં અંદરો-અંદર લડતા ભારતના વિભાજિત લશ્કરોને પ્રોફેશનલ આર્મીની છત્રી નીચે એકઠા કરીને એમને ‘ખાધે-પીધે’ એટલા સુખી અને સમૃદ્ધ બનાવી દીધા કે એમને દેશમાં ચાલતી વહીવટી કે રાજકીય માથાકૂટમાં રસ લેવાની જરૂર ન રહી.

હકીકત એ છે કે એક સામાન્ય માણસ સૈન્યમાં જોડાય છે તેની પાછળ માત્ર ને માત્ર કોઇ કટ્ટર રાષ્ટ્રભક્તિ કે દેશસેવા નહીં પરંતુ સામાજિક ઇજ્જત, ઉચિત આમદની અને જીવનભરના પેન્શનની સુવિધાની ભાવના પણ હોય છે. એમાં જીવનું જોખમ છે તે સાચું, પરંતુ એને દેશભક્તિ સાથે જોડવા કરતાં વ્યાવસાયિક જોખમ ગણવું વધારે ઉચિત છે. જે લોકો એને દેશભક્તિની સાબિતી ગણે છે તે લોકો સૈન્યને રાજકીય રંગ ચઢાવીને એની વ્યાવસાયિક કુશળતાને હાનિ પહોંચાડી રહ્યા છે.

રાષ્ટ્રભક્તિની પહેચાન શૂરવીરતા કે શહીદીમાં જ નથી, પણ પોતાના પરિવાર, પ્રદેશ અને સરકાર પ્રત્યેની પ્રામાણિક જવાબદારીમાં છે. એ રીતે એક વિજ્ઞાની, રમતનો ખેલાડી, શિક્ષક કે એક વેપારી એટલો જ રાષ્ટ્રભક્ત છે, જેટલો એક વફાદાર અને ઇમાનદાર સૈનિક હોય છે. એમ તો મહાત્મા ગાંધી સરહદ પર જઇને લડ્યા ન હતા, અને છતાં એમને રાષ્ટ્રભક્તોમાં ઊંચા રાષ્ટ્રભક્ત ગણવામાં આવે છે. એ રાષ્ટ્રભક્તિ એમના ડહાપણ, પ્રામાણિકતા અને જવાબદેહીમાંથી આવતી હતી. એટલા માટે જ એમને ‘અહિંસાના સૈનિક’ એવું નામ પણ મળ્યું હતું. આ ‘સૈનિક’ ગુજરાતી જ હતા, એ ઓછું છે?

જેસી કૃષ્ણ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 21 મે 2017

Loading

સાર્થ જોડણીકોશઃ મહિમા અને મર્યાદા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|20 May 2017

પચાસ વરસનાં અંતરાલ પછી સાર્થ જોડણીકોશની નવી આવૃત્તિનું આવવું તેમ જ ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક છે

તુષાર ભટ્ટે એક વાર પુસ્તકમેળા વિશે ફીચર કર્યું ત્યારે ચોંટડૂક મથાળું કીધું હતું – બુક્સ અધર ધેન ચેકબુક્સ! સાધારણ રીતે કોષ કહેતાં ખજાનો સમજાય એ ગુજરાતની કથિત તાસીર છે, પણ આજકાલ ગૂજરાત વિદ્યાપીઠનો કોશ (સાર્થ જોડણીકોશ) ચર્ચામાં અગર તો વિવાદમાં છે એ કોશ(ષ)ના અન્ય અર્થની રીતે ગુજરાતીઓની પોતાની અને એમને વિશે બીજાઓની બદલાઈ શકતી સમજનું જ કદાચ એક દષ્ટાંત તો નથી ને?

કોશ એક ચર્ચ્ય અને ચિંત્ય વિષય છે એવો રસ વર્તમાનપત્રોને જાગે તે પણ ઠીક જ છે; કેમ કે મુદ્રિત માધ્યમનો અને એમાં પણ વિસ્તરતાં વર્તમાનપત્રોનો લાંબો ઇતિહાસ ધરાવતા ગુજરાતમાં કોઈ વર્તમાનપત્રે પોતાનું સ્પેલચેકર બનાવવાની રીતે આર્થિક રોકાણ કરવાની જરૂરત જોયાનું જાણ્યું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદનાં આરંભિક વર્ષોથી આપણી પાસે ધોરણસરનો કોશ નહીં હોવાની – ખરું જોતાં જે તે જોડણી બાબતે ચોક્કસ ધોરણ નહીં હોવાની એક ફરિયાદલાગણી અને તે સબબ કંઈક કરવાની ધખના વરતાતી હશે; સાક્ષરો ને શિક્ષણકારો તે વિશે ઊહાપોહ અને કોશિશ કરતા હશે, પણ સંકલ્પપૂર્વકની ભોં ભાંગવાનું ગાંધીજીને લમણે લખાયું હતું.

એમના સૂચનથી કાકા કાલેલકર અને ગૂજરાત વિદ્યાપીઠ આદિએ એ જવાબદારી સાહી, એમાં યથાપ્રસંગ રા.વિ. પાઠક, નરહરિ પરીખથી માંડીને મગનભાઈ પ્ર. દેસાઈ, ચંદ્રશંકર શુકલ, વિશ્વનાથ ભટ્ટ અને બીજા સમિધ પૂરતા રહ્યા. 1929માં એની પ્રથમ આવૃત્તિનું પ્રગટ થવું એ મોટી મંદી વચાળે ગુજરાતના જાહેર જીવનમાં એક નરવી તેજી જેવી બીના હતી. આ કોશ, હવેના લોકશાહી જમાનામાં હેમચંદ્રકૃત વ્યાકરણને હાથીએ આરૂઢ કરી સવારી કાઢનાર સિદ્ધરાજની અપેક્ષા અલબત્ત ન સેવી શકે. પણ પ્રાંતિક સ્વરાજનાં વર્ષોમાં મુંબઈ સરકારે એને માન્યતા આપી તે સાથે, સ્વભાષાની સેવાની રીતે, સ્વરાજનાં ઉંબર વર્ષોમાં અક્ષતકુંકુમ સરખી એ એક મહિમાવંતી ઘટના જરૂર હતી.

હવે ચાલુ વરસે 73,000 શબ્દો સાથે એની છઠ્ઠી આવૃત્તિ – ખાસાં પચાસ વરસના અંતરાલ પછી – સુલભ થઈ છે ત્યારે સિદ્ધહૈમ વ્યાકરણ વેળાનાં ડંકાનિશાન નહીં તો પણ વિવાદવચનોની ડિંડિમિકાનું માન એને જરૂર મળી રહ્યું છે. અચ્છા પ્રૂફચી (જેમ તોપચી, નગારચી, કટારચી તેમ પ્રૂફચી) વજેસિંહ પારગીનું ફેસબુકની રાંગેથી ખાબકવું અને ઓનલાઇન પ્રસાર સાથે અખબારી પાનાં પર પણ ઝળકવું જો એનો એક છેડો છે, તો તાજેતરનાં વર્ષોમાં સંશોધનક્ષેત્રે અકુતોભય સજ્જતા સમેત સંચાર કરનાર તરીકે ઊભરેલા હેમંત દવેએ ‘સાર્થક જલસો-8’માં આપણા સૌ નાનામોટા કોશોના ઝડપી છતાં ચોક્કસ સર્વેક્ષણની જે તક આ નિમિત્તે ઝડપી તે એનો બીજો છેડો છે.

અહીં આવા પ્રયાસો વિશે અનુમોદનાના હૃદયભાવ સાથે બેત્રણ મુદ્દા સાર્થ જોડણીકોશ સંદર્ભે કરવા ધાર્યા છે. અસ્થાને અંગ્રેજીના (ખાસ કરીને બાળવયે શિક્ષણના માધ્યમ તરીકે) એક દોર પછી કેટલાંક વર્તુળોમાં કદાચ કંઈક મૂર્છા ઊતરી રહી હોય કે પછી કોઈ બીજા છેડેથી ગતાનુગતિક ઘેલાં કાઢવાનો ઉત્સાહ જાગ્યો હોય તેમ મારી માબોલી, માતૃભાષા વગેરે હાલ ઉજવણાંનું મહત્ત્વ પામેલ છે. ગમે તેમ પણ, પ્રજામાત્ર એની ભાષા અને એના ભાવની અભિવ્યક્તિથી પોષાય અને પોંખાય છે. એ  રીતે જો કોશ વિશે કશીક સભાનતા જાગી હોય અને તે વિશે ઊહાપોહભેર આગળ વધવાપણું સમજાતું હોય તો એ જરૂર સ્વાગતાર્હ છે. અને એ રીતે પચાસ પચાસ વરસના અંતરાલ પછી એની નવી આવૃત્તિનું આવવું તેમ જ તે નિમિત્તે ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક જ મુબારક છે.

1967થી 2017નાં પચાસ વરસનો આ અંતરાલ આપણી કોશસાધનામાં આવેલ ઝોલાનો સૂચક છે એ બીજો મુદ્દો પણ અહીં તરત કરવો જોઈએ. મગનભાઈનો કાર્યકાળ સંકેલાયો તે પછી કોશ કાર્યમાં જે સાતત્ય ને શોધન જોઈએ એ રહ્યાં નહીં. મગનભાઈના કાળમાં પણ કોશ કાર્યાલય કોઈ ઑક્સફર્ડ સમકક્ષ સ્વાભાવિક જ નહોતું, પરંતુ મગનભાઈની સજ્જ અને સમર્પિત પ્રતિભા અને એને મળી રહેલો સહયોગ કેટલું બધું હજી ખૂટે છે એવી સભાનતા સાથે ય કાર્યનિરત અવશ્ય હતાં. તે પછી પૂરતી ફાળવણી અને અગ્રતાને અભાવે જે બન્યું એમાં સ્વાભાવિક જ તદર્થ (એડહોક) ખાસું હતું, અને અપૂરતું તો એ હતું જ. આમ પણ કોશનું કામ એ એક અર્થમાં કદી પૂરું નહીં થતું કામ છે, અને તે માટે સજ્જ માણસો પણ ઘણુંખરું ઓછા હોવાના, એ મતલબની દિલખુલાસ વાત કોશકાર્યના માર્ગદર્શક મંડળના ચંદ્રકાન્ત શેઠે છઠ્ઠી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે મૂકી જ હતી.

અહીં આ આવૃત્તિમાં રહેલી ભૂલોની તપસીલમાં જવાનો ન તો આશય છે, ન તો એવો અધિકાર પણ છે. એ બધી વાતો તો જેમણે પણ કેડે કાંકરો મેલીને આ આવૃત્તિ માટે કામ કર્યું એ કદાચ આપણા સૌ કરતાં વધારે ધોરણસર કરી શકે. અલબત્ત, એક જ શબ્દની અલગ અલગ જોડણી (સંવૃત/વિવૃત) અગર તો અંગ્રેજી શબ્દોના પરબારા સ્વીકાર અને ઉચ્ચારણ બાબતની અનવસ્થા વગેરે સહેજ વધુ સંભાળથી, લગીર ઓછા અનવધાનથી ટાળી શકાયાં હોત એવું કહેવામાં હરકત નથી. કોશના ડિજિટલ સંસ્કરણ માટે ગુજરાત લેક્ઝિકોન સાથે કામ કરનાર વિદ્યાપીઠને સ્પેલ ચેકરનો ઉપયોગ સહજ કેમ સૂઝ્યો નહીં હોય, એવી વિપુલ કલ્યાણીની ઑનલાઈન અમૂઝણ વિચારણીય છે.

પણ એક વાત ખરી કે જેને આવા કામમાં પોતાનું કૉલિંગ વરતાય છે એને કેરિયર પણ મળી રહે અને કોશને ખુદને ઘરનું ઘર મળી રહે એવા સમગ્ર પ્રબંધન અને આયોજનની જરૂરત છે. હમણાં જે એક – બે ટીકામુદ્દા નોંધ્યા તે સિવાય પણ ઘણુંબધું કરવાનું રહે છે. એ કદાચ ત્યારે જ બને જ્યારે કોશ કાર્યાલય પૂરા કદનું હોય. શતાબ્દી ભણી અગ્રસર ગૂજરાત વિદ્યાપીઠ જો શાસન અને શ્રેણીઓના સહયોગપૂર્વક વિદ્વજ્જનોને જોતરી શકે તો એ મોટું કામ થશે. ટીકાનું નાળચું, વિદ્યાપીઠે ક્યારેક કરેલી આવકાર્ય પહેલ પરત્વે અભિવાદનપૂર્વક, વચગાળામાં પડેલ લાંબા ઝોલાથી માંડીને પૂરા કદના જોડણીકોશની જરૂરતો ભણી ફેરવવું ઘટે છે. ક્યારેક આ કોશે આપણી ઘણી મોટી ગરજ સારી, કંઈક ભાવઠ પણ ભાંગી, પણ એક અંતરાલ પછી એણે અગાઉની મર્યાદાઓને લાંઘીને જે વિશ્વરૂપ પ્રગટ કરવાપણું છે તે તો હજી છેટે ને છેટે જ છે.

જે ટીકાટિપ્પણ થઈ રહ્યાં છે અને થશે એનો સારભાગ પકડીને વિદ્યાપીઠ કોશકાર્યની શુદ્ધિ, વૃદ્ધિ અને પૃષ્ટિ પરત્વે અગ્રતાસૂચિને ધોરણે આગળ વધશે તો ટીકાવચનોમાંથી ઘઉં ને કાંકરા અલગ પાડવા સાથે આપણે ટીકાકારોનો પણ પાડ માનીશું. વિદ્યાપીઠનો તો એ પાડ અલબત્ત છે જ કે એણે મહેણું ભાંગતો આરંભ કર્યો ને કંઈક ચલાવ્યો. ટીકાઓ પરત્વે કુલનાયક અનામિક શાહે આપેલો વિધાયક પ્રતિસાદ નવા તબક્કા બાબતે બેલાશક આશા જગવે છે. મજલ અલબત્ત લાંબી અને લાંબી જ હોવાની છે.

પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : ‘સ્વાગત’, “દિવ્ય ભાસ્કર”, 20 મે 2017

પૂરવણી :

સૌજન્ય : ‘અમદાવાદ સિટી ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 18 મે 2017

Loading

ભારતીય ઇસ્લામમાં જાતિપ્રથાના ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 May 2017

દલિત મુસલમાનોના સામાજિક ભેદભાવની વ્યથાનો ઉકેલ અનામતમાં નહીં, સામાજિક-ધાર્મિક સુધારણામાં છે

આજકાલ માધ્યમોમાં ‘તીન તલાક’ અને મુસ્લિમ મહિલાઓના માનવ અધિકારોનો મુદ્દો છવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષને ‘પછાત મુસ્લિમો’ની કોન્ફરન્સ બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા આપેલી સલાહ પાછળ ધકેલાઈ ગઈ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૭.૨૨ કરોડ એટલે કે દેશની કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા છે. આ મુસ્લિમો પૈકીનો બહુમતી વર્ગ પછાત મુસલમાનોનો છે અને તેમાં પોણા ભાગના દલિત મુસલમાનો છે.

સામાન્ય રીતે ઈસ્લામ સમાનતામાં માનનારો ધર્મ મનાય છે. ઈસ્લામનો અર્થ જ બરાબરી છે. તેમાં જાતિપ્રથા નથી. પરંતુ ભારતના હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથાએ બીજા ધર્મોમાં પણ પગપેસારો કર્યો છે. એટલે સમાનતાના સિદ્ધાંતમાં માનનારા ઈસ્લામમાં પણ ઉચ્ચનીચના ભેદ અમલમાં છે. વળી આવા ભેદ કંઈ આજકાલના નથી. મુસ્લિમોમાં ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અરજાલ ઉર્દૂ કે ફારસી શબ્દો નથી પરંતુ અરબી શબ્દો છે!

તે મુસલમાનોમાં પ્રવર્તતી આભડછેટનો વિસ્તાર દર્શાવે છે. એટલે દલિત મુસલમાનો ઈસ્લામમાં લાંબા સમયથી અને સમગ્ર દક્ષિણ એશિયામાં અસ્તિત્વમાં હોવાનું માની શકાય. આ સ્થિતિ ઈસ્લામની સમાનતાની વાતને પોથીમાંનાં રીંગણા પુરવાર કરે છે. ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ જે હિંદુઓની કહેવાતી નીચલી જાતિમાંથી ધર્મપરિવર્તન કરીને મુસ્લિમો બન્યા છે અને અગાઉના ધર્મના નીચા ગણાતા ધંધા રોજગાર કરે છે તેઓ ધર્મપલટા પછી ઈસ્લામમાં પણ નીચા અને દલિત મુસલમાન જ બની રહ્યા છે.

ભારતીય મુસ્લિમોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કોટિક્રમ જોવા મળે છે. સૈયદ, શેખ, પઠાણ, મલેક, મિરજા અને મોગલ જેવા મુસ્લિમો અશરાફ કહેતાં સૌથી ઉચ્ચપ્રકારના મુસલમાનો ગણાય છે. ખેતકામદાર એવા શેખ અને કારીગર કોમો એવી દરજી, રંગરેજ, ભઠિયારા, ધોબી, વાળંદ વગેરે મધ્યમ દરજજાના અજલાફ તો સફાઈકામ અને અસ્વચ્છ એવા વ્યવસાયો કરતાં હલાલખોર અને લાલબેગી અરજાલ અર્થાત્‌ સૌથી નીચા મુસલમાનો મનાય છે.

ભારતના હિંદુઓમાં જે હાલત દલિત હિંદુઓની છે તે જ હાલત ભારતના મુસલમાનોમાં દલિત મુસલમાનોની છે. 'ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ'ના અગ્રણી અલી અનવરે દોઢેક દાયકા પૂર્વે બિહારની રાજધાની પટણાના ૧૦૦ દલિત મુસલમાન પરિવારોના ૫૯૨ સભ્યોનો અભ્યાસ કર્યો હતો. મુસ્લિમ ધોબી, હલાલખોર, બક્ખો, પવંરિયા, માછીમાર, નાલબંદ અને નટ મુસ્લિમોના આ અભ્યાસનું તારણ હતું કે, આ સો કુટુંબોમાં એક જ યુવાન સ્નાતક હતો, ૭ મેટ્રિક હતા, જો કે તે તમામ બેરોજગાર હતા.

અશિક્ષિતોનું પ્રમાણ ૬૨.૫ ટકા હતું. ૨૫ ટકા પરિવારો રોજ એક જ ટંક ખાવાનું પામતા હતા. માંસાહાર મુસ્લિમોનો ખોરાક મનાય છે, પણ સર્વેક્ષણ હેઠળના ૭૦ ટકા પરિવારો મહિને એક વાર અને બાકીના ૩૦ ટકા અઠવાડિયે એકવાર માંસ ખાઈ શકતા હતા. ૭૮ ટકા લોકો પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા. ૫૮ ટકા પરિવારો ઘરવિહોણા હતા. જે ૪૨ ટકા પાસે ઘરનાં નામે ભાંગ્યાતૂટ્યા મકાનો હતાં તેમાંથી ૨૮ ટકાના ઘરમાં જ જાજરૂની સગવડ હતી.

આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા આ દલિત મુસલમાનો સામાજિક ભેદભાવો રોજેરોજ સહન કરતા રહ્યા હતા. મસ્જિદમાં નમાજ વખતે ભેગા રહેવા સિવાય સતત જુદાપણું અનુભવતા હતા. મરણ પછી તેમને દફન માટે કબર મળતી નહોતી. લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ કથિત ઉચ્ચ મુસલમાનો તેમના ત્યાં આવતા નથી કે તેમના પ્રસંગોમાં બોલાવતા નથી. રોટીબેટી વ્યવહાર થતો નથી અને  અલગ વસ્તીમાં રહેતા હતા.

પટણાના દલિત મુસલમાનો વિશેના અલી અનવરના આ લઘુ અભ્યાસના નિષ્કર્ષો ગત વરસના  ઉત્તરપ્રદેશના દલિત મુસલમાનોના અભ્યાસમાં પણ જોવા મળે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડિઝ, લખનૌ દ્વારા પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દિન અને સુરિન્દર કુમાર એ ચાર સંશોધકોએ યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭,૧૯૫ પરિવારોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ આચરવામાં આવતો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. આવો ભેદભાવ કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે રાખે છે.

૨૦.૫૫ ટકા કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનો અને ૨૫ ટકા કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓ દલિત મુસલમાનો પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જોવા મળ્યું હતું. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મ્રુતદેહોને કબ્રસ્તાનમાં દાટવા દેવામાં આવતા નથી કે અલગ ખૂણામાં દફન કરવું પડે છે. મસ્જિદમાં સાથે નમાજ પઢવા દેવામાં આવે છે પણ ત્યાં ય ભેદભાવનો અનુભવ થાય છે.

દલિત મુસલમાનો જુદા જ વસે છે અને સામાજિક ધાર્મિક પ્રસંગોએ અન્ય કહેવાતા મુસલમાનો ન એમના ત્યાં આવે છે કે ન તો એમને બોલાવે છે. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી આપવામાં આવે છે. એમને સામાજિક પ્રસંગોએ અલગ જમવા બેસાડે છે. તેમને અપમાનજનક અને વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવે છે.

લગભગ તમામ પછાત અને દલિત મુસલમાનોનો સમાવેશ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોમાં થયો છે.

તે મુજબ તેમને શિક્ષણ અને નોકરીઓમાં અનામતનો લાભ મળે છે. મુસ્લિમોનો એક વર્ગ તમામ મુસ્લિમો માટે અનામત માંગે છે, તો દલિત મુસલમાનોના નેતાઓ તેમનો સમાવેશ અનુસૂચિત જાતિમાં કરવા સતત મથે છે. હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મપરિવર્તન કર્યું છે તે નવા ધર્મમાં પણ યોગ્ય સ્થાન મેળવી શકી નથી. આજે તે અનુસૂચિત જાતિમાં સ્થાન માંગે છે તેનો અર્થ તેમનું ધર્મપરિવર્તન અર્થહીન બની ગયું છે.

ડો. આંબેડકરના પગલે દલિતોએ મોટા પાયે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.  આવા નવબૌદ્ધોને વી.પી. સિંહના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપવામાં આવ્યા છે. એટલે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસલમાનો પણ અનુસૂચિત જાતિમાં સામેલ થવા માંગે છે. તેમની આ માગણીના વાજબીપણાની ચર્ચા બાજુ પર રાખીને આ ધર્મો ધર્માંતરિતોને સમાનતાના હક કેમ આપતા નથી તેની ચર્ચા કરવા જેવી છે.

હાલની દલિત મુસલમાન એવી ઓળખ તેઓ પહેલાં દલિત છે અને પછી મુસલમાન છે તેમ દર્શાવે છે. તેથી તેમણે પોતાની દલિત મુસલમાનની ઓળખને બદલે મુસલમાન દલિતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ. મહાત્મા ગાંધીએ ખ્રિસ્તીઓ અને મુસલમાનો તેમના ધર્મ બંધુઓ પ્રત્યે જે આભડછેટ અને ભેદભાવ રાખે છે તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ.

શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનામતમાં નથી, સમાજ અને ધર્મસુધારણામાં છે.

સૌજન્ય : ‘પરિવર્તન’, “દિવ્ય ભાસ્કર”, 18 મે 2017  

Loading

...102030...3,4443,4453,4463,447...3,4503,4603,470...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved