Opinion Magazine
Number of visits: 9688332
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રોફેસર આર.એલ. રાવલ : થોડું અંગત, ઝાઝું વિષયગત

અરુણ વાઘેલા|Samantar Gujarat - Samantar|18 April 2017

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર રવિકાન્ત એલ. રાવલનું તાજેતરમાં અવસાન થયું. રાવલસાહેબ તરીકે તેમની ઓળખ. તેમનું નામ સાવ અજાણ્યું તો નહીં પણ એમના વ્યવસાયી સંબંધો ઘણાં મર્યાદિત, સાથે નક્કર પણ ખરા.

સને ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં હું દાખલ થયો, ત્યારે વિભાગ રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતો હતો. અમારો પ્રથમ વર્ગ ૧૨ જુલાઈએ ૧૨ વાગ્યે અને ૧૨ નંબરના વર્ગખંડમાં શરૂ થયો. પ્રથમ તાસમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઓળખવિધિ થઈ. એક અધ્યાપક સિવાય, અમે તેમના પરિચયનો આગ્રહ રાખ્યો. તેઓ બોલ્યા હું આર. એલ. રાવલ’ (ડૉક્ટર-પ્રોફેસર-વિભાગીય અધ્યક્ષ જેવાં પૂંછડાંઓ વગર) આ પ્રોફેસર આર. એલ. રાવલનો પ્રથમ પરિચય અને દર્શન. પછી તો તેમની નિવૃત્તિ પહેલાંનાં બે વર્ષનો ઇતિહાસજ્ઞાનલાભ મળતો રહ્યો. રાવલસાહેબ આંતરરાષ્ટ્રીય સંબંધો, યુરોપીય રાજનીતિ, ગુજરાતમાં સામાજિક પરિવર્તન અને સમાજસુધારાના ઇતિહાસના નિષ્ણાત. નાની ચબરખીમાં થોડા મુદ્દાઓને આધારે એક-બે કલાક સુધી આ બધાં વિષયો પર ચર્ચા કરે. ઉનાળાનો દાહાડો હોય, વર્ગબહાર ધોમધખતો હોય તે સ્થિતિમાં રાવલસાહેબના જ્ઞાનવિસ્ફોટ સામે બહુ ઓછા વિદ્યાર્થીઓ ઝીંક ઝીલી શકતા. કેટલાક વિદ્યાર્થીઓ સાહેબ બૉર્ડ પર કંઈક લખવા રહે તેટલા સમયમાં તો પાછલા બારણેથી અલોપ થઈ જતા, તો કેટલાક વામકુક્ષીમાં સરી પડતા. તેમના તરફ ધ્યાન જતાં રાવલસાહેબ કહેતાં ‘મોં પર પાણી છાંટવું હોય, તો છાંટતાં આવો.’ અધ્યાપક બન્યા પછી એમની રજૂઆતશૈલી વિશે હું મજાકમાં કહેતો કે ‘સાહેબ, તમને સાંભળવાની બહુ મજા આવે છે પણ તમે સમજાતા નથી.’ ‘હું  તમને સમજાવી તો શકું છું ને?’ આ વાક્ય તેમનું તકિયાકલામ હતું.

આર્નોલ્ડ ટૉયન્બી(ઇતિહાસના અભ્યાસના રચયિતા)નો રાવલસાહેબ પર ગાઢ પ્રભાવ. મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ૭૦ના દાયકામાં ટૉયન્બીનું વ્યાખ્યાન યોજાયેલું, તે સાંભળવા ઠેઠ મુંબઈ ગયેલાં. પાછા કહે પણ ખરાં કે એ ઉંમરે ભાષણમાં સમજાય તો શું પણ ટૉયન્બીને જોયાનો આનંદ ! ટૉયન્બીનો ફોટૉ પર્સમાં રાખતા હોવાનું પણ તેઓ કહેતા.

રાવલસાહેબને ઓળખતા સહુ કોઈ એકીઅવાજે કહેશે, ‘રાવલસાહેબ એટલે ધીરગંભીર, પ્રામાણિક, કાર્યદક્ષ. ટૂંકમાં, એક સારા માણસ માટે જેટલાં વિશેષણો વાપરીએ, તેટલાંના રાવલસાહેબ પણ હક્કદાર. જાહેરમાં અંતર્મુખી, ઓછાબોલા લાગતા આર.એલ. રાવલ તેમના અંતરંગ વર્તુળમાં વસંતની જેમ ખીલતા. સેન્સ ઑફ હ્યુમર પણ ઉચ્ચ દરજ્જાની. એનો એક નમૂનો : ૧૯૯૨-૧૯૯૩માં રાવલસાહેબ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ, એ દિવસોમાં શિષ્યવૃત્તિવાંચ્છુ વિદ્યાર્થીઓએ તેના આવક અને જાતિના દસ્તાવેજોની ચકાસણી માટે વિભાગીય વડાને મળવું પડે. એ દિવસોમાં લક્‌ઝરી ગણાય તેવા ૮૦૦ રૂપિયાના મોંઘાદાટ બૂટ પહેરેલો એક વિદ્યાર્થી વાર્ષિક ૮૦૦૦ રૂપિયાની આવકના દાખલા સાથે રાવલસાહેબને ચકાસણી અર્થે મળ્યો. તેના બૂટ સામે જોઈ રાવલસાહેબ મરક મરક હસતાં બોલ્યા, ‘ભાઈ, રોજ ચા-પાણી તો કરો છો ને?’

એ સમયે અધ્યાપકો સાથે બેસી મોજથી ટી-ક્લબમાં જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા કરી શકતા. એક વિભાગમાં બધા અધ્યાપકો એકસરખી વિચારસરણીવાળા ન હોય, ઇતિહાસ વિભાગમાં પણ એવો વિરોધાભાસ ખરો! પણ રાવલસાહેબ એટલે, ખરા અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’.

રાવલ સાહેબ કાયમ ટાપટીપ, ભપકાદાર કાર્યક્રમો, વ્યક્તિગત માન-સન્માનોથી જોજનો દૂર રહ્યાં.

૧૯૯૩માં સાહેબ સેવાનિવૃત્ત થયા. અમે વિદ્યાર્થીઓએ તેમના વિદાયમાનનું વિચારેલું, પણ તે તો ગાંઠે જ શાના? છેવટે અમને રાજી રાખવા છેલ્લા દિવસે એક નાનકડો બૂકે સ્વીકારી તરત જ સન્માન કરનાર વિદ્યાર્થીને બૂકે પરત કરી ચાલતી પકડી. તેમના જવા સાથે મને ઇતિહાસ વિભાગમાંથી નમ્રતા, પ્રામાણિકતા, કાર્યદક્ષતાનો મોટો હિસ્સો જતો હોય તેવું લાગેલું. ૧૯૬૯માં ઇતિહાસ વિભાગમાં જોડાયેલા રાવલસાહેબ ૨૪ વર્ષ સુધી (૧૯૬૯-૧૯૯૩) કાર્યરત રહ્યા હતા.

હવે તેમની વિદ્યાકીય-સંશોધન તરફની પ્રતિબદ્ધતાની વાત. તેમણે ઝાઝું લખ્યું નથી, પણ જેટલું લખ્યું એ નક્કર અને સુદૃઢ. ‘Socio religious Reform Movements in Gujarat during the Nineteenth Century (Sess Publication, Delhi, 1984)’ અને આંતરરાષ્ટ્રીય સંબંધો ભાગ-૧ (ગુજરાત યુનિવર્સિટી, ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૧૯૭૩) અને વીસથી વધુ નહીં તેટલા લેખો Indian Historical Quarterly સામીપ્ય, વિદ્યાપીઠ, અર્થાત્‌, પથિક વગેરે સામયિકોમાં તેમણે લખ્યા છે. અંગ્રેજી પુસ્તક તેમના પીએચ.ડી. શોધનિબંધનું સંવર્ધિત સ્વરૂપ છે. જ્યારે ગુજરાતના ઇતિહાસકારો (?) શિલ્પ, સ્થાપત્ય, મંદિરોના ગવાક્ષ અને મસ્જિદોની મિનારા તથા રાજા-રજવાડાંઓના ઇતિહાસલેખનમાં મસ્ત હતા, ત્યારે તેમણે આ નવતર સંશોધનક્ષેત્રમાં યોગદાન આપેલું. પણ પુસ્તક અંગ્રેજીમાં હોવાથી ગુજરાતના ઇતિહાસલેખનમાં તેની વિશેષ નોંધ લેવાઈ નથી. આ લખનારની દૃષ્ટિએ અખિલ ભારત સ્તરના સામાજિક ઇતિહાસલેખનમાં સ્થાન પામે તે બરનુું આ પુસ્તક છે (કોઈ પ્રકાશક કે સંસ્થાએ તેના બહોળા વાચન હેતુસર તેના ગુજરાતી અનુવાદનું બીડું ઝડપવા જેવું છે.) તો આંતરરાષ્ટ્રીય સંબંધો ભાગ-૧ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને ખાસ્સું ખપમાં લાગ્યું છે. ઉપરાંત ૧૯મા સૈકામાં સમાજપરિવર્તન અને ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે સ્તરીય લેખો લખ્યા છે. આ બધાં એક થીમ પર હોવાથી સ્વતંત્ર પુસ્તક થાય તેટલાં છે. છેલ્લે ‘પથિક’ સામયિકમાં ‘સ્થળકાળના પિંજરમાંથી’ શીર્ષક તળે પોતાના ઇતિહાસ સંશોધનની કેફિયત પણ આપેલી. આવું નક્કર અને દિશાસૂચક લેખન એમનું રહ્યું.

નિવૃત્તિ પછી તેઓ સેમિનારો વગેરેમાં જવાનું પણ ટાળતા. તેમના ઇતિહાસદર્શન અને આજના ઇતિહાસવાળાની જમાત વચ્ચે રહેલી ઊંડી ખાઈ તેના માટે જવાબદાર હોઈ શકે ! તેમનાં શોધપત્રો, વ્યાખ્યાનોમાં એક વાત અવશ્ય કહેતા કે ‘વ્યક્તિનો ‘સ્વ’ સાથેનો સંબંધ, વ્યક્તિનો ‘સમાજ’ સાથેનો સંબંધ, અને વ્યક્તિનો ‘પ્રકૃતિ’ સાથેનો સંબંધ અને આ પારસ્પરિક સંબંધો અને સમય અને સ્થાન પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસનું નિર્માણ થાય છે. તેઓ ઇતિહાસને સમાજવિજ્ઞાન અને એથી વધુ માનવવિદ્યાના  સંદર્ભે જોઈ-તપાસી બોલી અને લખી શકતા. અને એ સંદર્ભમાં તેઓ ગુજરાતના ઇતિહાસના અધ્યાપકોમાં બિનહરીફ હતા. આપણે તેમને ‘ફિલોસૉફર હિસ્ટોરિયન’ની કક્ષામાં મૂકી શકીએ. રાવલસાહેબ દુર્બોધ પણ ખાસ્સા, અક્ષયકુમાર દેસાઈની હરીફાઈમાં ઊતરે એવા, પણ એનું કારણ ઉપર કહ્યું તે.

શુદ્ધ ઇતિહાસ(?)ના સેમિનારોમાં જતાં કતરાતા રાવલસાહેબ આંતરશાસ્ત્રીય પરિસંવાદો, વ્યાખ્યાનોમાં અચૂક હાજર રહે. બસમાં અથડાતા-કુટાતા સાહિત્ય પરિષદ, એલ.ડી. ઇન્ડોલૉજી, વિશ્વકોષભવન, ગુજરાત વિદ્યાસભા, એએમએમાં આવે. મને એમની ચાલવાની સ્ટાઇલ પણ બેહદ પસંદ હતી. અનુસ્નાતક કક્ષાની કૉલેજ, હૉસ્ટેલ આગળ રાવલસાહેબને ચાલતા જોયાં છે. એકધારું ખાસ્સું નીચું જોઈ ચાલ્યા પછી થોડીક જ વાર માટે માથું ઊંચું કરે, રાવલસાહેબને ખરા અર્થમાં ઓળખનારા એકીઅવાજે કહેશે, તેમણે કાયમ નીચી મૂંડીએ જ કામ કર્યું છે. અત્યારે આ લખી રહ્યો છું, ત્યારે દૃષ્ટિસમક્ષ રસ્તે ચાલતાં રાવલસાહેબ તરવરે છે, થાય છે કે બોલાવું ….

E-mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2017; પૃ. 14-15

Loading

પાછી ફરી

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|18 April 2017

દેશ વિદેશની યાત્રા કરીને, મનગમતા માણસોને મળીને, આજે સલોની પાછી ભારત આવવા ન્યૂયોર્કથી વિમાનમાં બેઠી. વતનથી દૂર વતનવાસીઓને મળીને ખૂબ આનંદ થયો. તેના અંતરમાં ઉમંગ સમાતો ન હતો. આટલો બધો પ્રેમ તેને મળશે તેવી આશા ન હતી. અરે, અમેરિકા જઈ આવેલાંના અનુભવ સાંભળી એક વખત એવો હતો કે તેણે  ટિકિટ કઢાવવાનો વિચાર માંડવાળ કર્યો હતો. આ તો સાજન હોય નહીં અને તે અમેરિકા સહુને મળવા આવે નહીં.

તેના પતિ સાજને પ્રેમપૂર્વક સમજાવી. 'આવી ઉમદા તક મળે છે. હાથમાંથી સરી જવા દેવી નથી.'

ન્યૂયોર્કના ગુજરાતીઓએ તેના માનમાં મોટો સમારંભ રાખ્યો હતો. તેની નવી નવલકથા," દિલદાર દીકરો" બેસ્ટ સેલરનો ખિતાબ પામી હતી. તેની બીજી આવૃત્તિ પણ વેચાઈ જવા પામી હતી. તેનું બહુમાન કરવા માટે ખાસ આમંત્રણ મળ્યું હતું.

'અમેરિકાના લોકો મોઢે મીઠું બોલે છે. મહેમાનોને ઈજ્જત આપી સાચવતાં નથી. 'આ વાક્ય તેને સાંભળવા મળતું. માત્ર તેની ટિકિટ લેવાનો તેમનો આગ્રહ નકારી ન શકી. પૈસાની તેને કોઈ અછત ન હતી. પણ નિરંજન મહેતાના આગ્રહ પાસે તેણે નમતું જોખવું પડ્યું હતું.

સાજનનો આગ્રહ હતો, સલોનીને માન સનમાન મળવાનાં છે, તો તે એકલી જઈ આવે. ફરવા તો બીજી વાર સાથે જવાનો વિચાર હતો. સલોની એરપોર્ટ પર આવી. નિરંજન અને નેહા બન્ને લેવાં આવ્યાં હતાં. પ્લેનમાંથી ઉતરી, કસ્ટમમાંથી બહાર આવી તેનું સુંદર બુકે આપી સ્વાગત કર્યું. સલોની ખુશ થઈ ગઈ.

ગાડીમાં વાતો ચાલતી હતી કે તમારો ઊતારો ઘરથી નજીકની ફાઈવ સ્ટાર હોટલમાં છે.

સલોની ચમકી. ખૂબ પ્રેમથી બોલી, 'મારા મનની વાત કહું'.

'બેશક'!

'તમને વાંધો ન હોય તો હું, તમારે ત્યાં જ રહીશ'. નિરંજન અને નેહા બન્ને ચમક્યાં.

'અરે, ભારતથી આવનાર મહેમાન હંમેશાં મોટી હોટલનો આગ્રહ રાખે છે. તમે તો મહાગજાનાં લેખિકા છો, તમારે માટે ખાસ ફાઈવ સ્ટાર હોટલનો બંદોબસ્ત કર્યો છે.'

સલોની વધારે આગ્રહપૂર્વક બોલી, 'મારી મરજી તમારી સાથે રહેવાની છે. તમારી રહેણીકરણીથી વાકેફ થવું છે. અહીંના ભારતીયોનો પ્રેમ પામવો છે.'

નિરંજન અને નેહા બન્ને એકબીજાંની સામે જોઈ રહ્યાં. આંખોથી વાત થઈ ગઈ. તેમનું ઘર, જેને અહીં 'હાઉસ' કહે છે. ખૂબ સુંદર વિસ્તારમાં હતું . પાંચ બેડરૂમનું ઘર અને ્સ્વિમિંગ પુલ તથા થ્રી કાર ગરાજ હતાં. નિરંજન પોતે સર્જન હતો, સાહિત્યનો રસિયો. નેહા એમ.બી.એ. ભણેલી હતી. બે બાળકો હાઈસ્કૂલમાં હતાં. પતિ અને પત્ની બન્ને પ્રોફેશનલ હોવાને કારણે ઘરમાં દરરોજ સવારથી મેઈડ આવતી. અડધી રસોઈ પણ કરતી અને ઘરનું બધું કામકાજ સાચવતી. તેમને ત્યાં બે ગેસ્ટ રૂમ પણ હતાં. બાજુમાં નાનું કોટેજ હતું.

સલોનીની બધી સગવડ સાચવવામાં કોઈ અડચણ હતી નહીં.

સલોનીના આગ્રહને માન આપી બન્ને તેને લઈને ઘરે આવ્યાં. તે મનમાં રાજી થઈ કે તેણે ઘરે રહેવાનો આગ્રહ સેવ્યો. બે દિવસ જરા આરામ અને જેટ લેગમાં ગયા. શનિ અને રવિવારે બે દિવસનો કાર્યક્રમ હતો. સલોનીને જરા પણ અતડું ન લાગ્યું. ઘરનું વાતાવરણ સહજ હતું. બાળકો ભલે અમેરિકામાં જનમ્યાં હતાં પણ ઘરનાં સંસ્કારી વાતાવરણને કારણે ભારતથી આવેલાં મહેમાન સાથે સુંદર વહેવાર કરી રહ્યાં હતાં.

શનિવારે સવારે 'સાહિત્ય સરિતા'ના મિત્રો સાથે બ્રન્ચ લેવા 'જીન્જર કાફે'માં ગયાં. સુંદર વાતાવરણ અને મનગમતા માનવીઓ. સલોની બધાંને પહેલીવાર મળી રહી હતી. હસમુખા સ્વભાવને કારણે સહુની સાથે હસીખુશીની વાતો કરી. બીજા દિવસના કાર્યક્રમની ચર્ચા કરી.

કાર્યક્રમમાં ગુજરાતી સમાજ અને બીજી સંસ્થાઓની વ્યક્તિઓએ હાજરી આપી. સલોનીએ પોતાનાં પુસ્તક વિષે રસપ્રદ માહિતી પૂરી પાડી. જેમાં માતા, પિતા અને દીકરાના પ્રેમ તથા તેના પરિવાર સાથેના પ્રસંગો વણી લીધા હતા. સુંદર સંસ્કાર પામી આવેલી વહુ ઘરમાં એવી તો ભળી ગઈ કે કોઈના માન્યામાં પણ ન આવે. હાસ્યના પ્રસંગોની છણાવટ કરી ત્યારે પ્રેક્ષકો પેટ પકડીને હસી રહ્યા હતાં.

આપણા ભારતમાં બાળપણથી દીકરીને કહેવામાં આવે છે. 'આમ કર, આમ ન કર’. મોટા થઈને સાસરે જવાનું છે.

સલોની કહે સાસરું જાણે જેલખાનું ન હોય એમ ચીતરવામાં આપણે સહુ એક્કા છીએ.

આમ તેણે જૂના, પ્રચલિત અને નવા જાત જાતના તુક્કઓની હાંસી ઉડાવી હતી.  બાળકો પરણે ત્યાર પછી થતી ગેરસમજને રમૂજી રીતે રજૂ કર્યા હતાં. દિલના ભાવ ઠાલવી વાર્તાને ઉચ્ચ કોટિની બનાવવામાં તે સફળ  પૂરવાર થઈ હતી. કાર્યક્રમ ધાર્યા કરતાં વધારે આનંદમય રહ્યો. અંતે છેલ્લે જ્યારે આભાર વિધિ માનવાનો સમય આવ્યો ત્યારે, નિરંજનભાઈએ એક પરબિડિયું સલોનીના હાથમાં મૂક્યું.

જાણે દાઝી હોય તેમ તેણે હાથ પાછા ખેંચી લીધા.

સલોની ગદગદ થઈને બોલી રહી, 'મારા મિત્રો, સ્નેહીજનો. તમે મને અહીં બોલાવી. મારો આદર સત્કાર કર્યો. આટલો બધો પ્રેમ આપ્યો. તમે શું માનો છો હું, અહીં પૈસા લેવા આવી હતી. તમે સહુ ભીંત ભૂલો છો.  હું તો મારા ભારતીય ,ગુજરાતીઓને મળવા આવી છું. અમેરિકાની ભૂમિ ઉપર તમે સહુ જે સુંદર કાર્ય કરી રહ્યાં છો તે નિહાળવા આવી છું. ગુજરાતની બહાર ગુજરાતી ભાષા વિષેનો તમારો પ્રેમ ખરેખર સરાહનીય છે. મારી નવલકથાને પ્રેમભર્યો આવકાર આપ્યો તે બદલ તમારી ઋણી છું. મુરબ્બી નિરંજન ભાઈ આ પૈસાના પરબિડિયા દ્વારા મારી હાંસી ન ઉડાવશો."

સભાખંડમાં બેઠેલાં સહુ દંગ થઈ ગયાં. હજુ તો ૪૦ પણ નથી વટાવ્યાં એવી આ જાજવલ્યમાન યુવતીના મુખેથી આવી સરસ વાણી સાંભળી સહુને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. અત્યાર સુધી ભારતથી આવેલા દરેક અતિથિઓ વિષેનો અનુભવ વાગોળવા લાગ્યાં.

આ સ્વપ્નું નથી, હકીકત છે.

e.mail : pravina_avinash@yahoo.com

Loading

‘જ્યાં પહોંચીને ગાંધી મહાત્મા બન્યા’

રામચંદ્ર ગુહા|Gandhiana|17 April 2017

આજથી ૧૦૦ વર્ષ પહેલાં તે આ જ અઠવાડિયું (લેખ છપાયા તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૭) હતું કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ચંપારણ પહોંચ્યા હતા. તેઓ અહીં ચંપારણમાં ઘણા મહિનાઓ સુધી રોકાયા હતા. તેમણે ચંપારણના ખેડૂતોની સમસ્યાઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. તે સમયગાળા દરમિયાન ચંપારણના ખેડૂતોને જબરદસ્તીથી ગળીની ખેતી કરવી પડતી હતી. જે ખેડૂતો ગળીની ખેતી કરવા માટે ના પાડતા હતા તે ખેડૂતોની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી. ગાંધીજીએ આ બાબતમાં હસ્તક્ષેપ કર્યો અને કોલોનિયલ (વસાહતી) હકૂમત સાથે વાતચીત કરીને ખેડૂતોને જરૂરી રાહત અપાવવામાં તેઓ સફળ રહ્યા. જબરદસ્તીથી ગળીની ખેતી કરાવવાનું તંત્ર પણ બદલાઈ ગયું. હવે ત્યાંના ખેડૂતો તેઓની ઈચ્છા પ્રમાણે ગળીની ખેતી કરી શકતા હતા. ખેડૂતો માટે આ બહુ મોટી જીત હતી જ્યારે ગાંધીજી માટે પણ આ ખૂબ મોટી સફળતા હતી. આ જીત થકી ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી અલગ, ભારતમાં એક વિશ્વસનીય નેતાનાં રૂપમાં ઓળખ પ્રાપ્ત થઇ.

આ આલેખ તે કુલ છ વિશિષ્ટ સ્થિતિઓને જણાવવાનો અને સમજાવવાનો પ્રયાસ છે કે જે મહાત્મા ગાંધીને લાંબા ચંપારણ પ્રવાસ અને ભારતમાં તેમનું ભવિષ્ય સ્થાપિત કરવામાં મહત્વનું પાસું સાબિત થઇ. આ સમયગાળા દરમિયાન ગાંધીજીને સૌ પ્રથમ વખત પોતાની માતૃભૂમિ પર કૃષિ જીવનની વિવિધ શૈલીઓનો સીધો અનુભવ થયો. ચંપારણમાં મોતીહારી અને બેતિયા ગાંધીજીના નિવાસસ્થાન બન્યા. ગાંધીજી ગામડાંઓથી લઈને શહેર સુધી વિવિધ પ્રકારના લોકોને મળ્યા. પરંતુ, ચંપારણમાં ગાંધીજી જ્યાં પણ જતા હતા ત્યાં પોલીસવાળા સાદા કપડાંમાં પડછાયાની માફક તેમની પાછળ લાગ્યાં રહેતા હતા અને ગાંધીજીની બેઠકો અને મુલાકાતોની તમામ વિગતોની નોંધ રાખતા હતા. ચંપારણમાં જ ગાંધીજીને કૃષિની કઠિન પરિસ્થિતિઓનો પ્રથમ વખત પરિચય થયો. બીજું કે અહીં સહયોગીઓના એ પ્રકારના નેટવર્ક બનવાની શરૂઆત થઇ કે જે ભવિષ્યમાં તેમના માટે ખૂબ જ કામણગારું સાબિત થવાનું હતું. ચંપારણમાં જ ગાંધીજીની જે.બી. કૃપાલાણી સાથે બીજી મુલાકાત થઇ. તે વખતે કૃપાલાણી એક સરકારી કોલેજમાં ઇતિહાસ શીખવાડતા હતા. કૃપાલાણી ગાંધીજીને મળવા માટે મુઝફ્ફરપુર સ્ટેશન પહોંચ્યા અને યુવાઓની અપાર ભીડની વચ્ચે એક ગાડીમાં તેઓ ગાંધીજીને પોતાની સાથે ઘરે લઇ ગયા. ચંપારણમાં જ ગાંધીજીને કૃપાલાણી સિવાય પટણાથી આવેલું વકીલોનું એક સમૂહ પણ મળ્યું જેમાં ચંપારણના ખાસ જાણકાર બ્રિજકિશોર પ્રસાદ અને વકીલ રાજેન્દ્રપ્રસાદ પણ સામેલ હતા. ત્રીજું, ચંપારણમાં કરેલા કાર્ય થકી ગાંધીજીને પ્રથમ વખત તેમના ગૃહક્ષેત્ર ગુજરાતની બહાર અને તે પણ આટલા દૂર આવેલા સ્થળે માન્યતા મળી. પોતાના મિત્રને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કહ્યું કે ‘અહીં મને દરરોજ એક નવું અને અદભુત સુખ મળી રહ્યું છે. જે રીતે ગરીબ ખેડૂતો મારી પાસે બેસવાથી એટલા ખુશ જોવા મળી રહ્યા છે તે જોતાં મને લાગી રહ્યું છે કે આ ગરીબ ખેડૂતો હવે મારા પર ભરોસો કરી શકે છે.’ હું આશા રાખું છું કે તેઓની આકાંક્ષાઓ પર ખરો સાબિત થઇ શકીશ. ચોથું, ચંપારણની ઉપલબ્ધિઓ થકી ગુજરાતમાં પણ ગાંધીજીની શાખમાં વધારો થયો. આ એ સમયગાળો હતો કે જ્યારે ગુજરાત સભા પર મધ્યમમાર્ગી વકીલો, અંધભક્તો અને યથાસ્થિતિવાદીઓનું વર્ચસ્વ હતું જે પૈકી કેટલાક લોકો ગાંધીજીને એક ‘ગુમરાહ ધાર્મિક’ માનતા હતા. અને આ લોકોનો ભ્રમ અચાનક ત્યારે તૂટ્યો કે જ્યારે ગાંધીજીએ અંગ્રેજોનો તેમને (ગાંધીજીને) ચંપારણ છોડવા માટેનો આદેશ નકારી કાઢ્યો. આ વાત જ્યારે અમદાવાદ પહોંચી ત્યારે ત્યાંના વકીલોએ ગુજરાત ક્લબ પહોંચીને આ ‘બહાદુર વ્યક્તિ’ને પોતાનો આગામી અધ્યક્ષ જાહેર કરી દીધો. લંડનથી પરત આવેલા વકીલ વલ્લભભાઇ પટેલ પણ તે દિવસો દરમિયાન ગુજરાત કલબના પ્રમુખ સદસ્ય હતા અને જ્યારે એવા સમાચાર આવ્યા કે અંગ્રેજોના આદેશને ગાંધીજીએ પડકાર આપ્યો છે ત્યારે વલ્લભભાઇ પટેલ ગુજરાત ક્લબમાં બ્રિજ રમી રહ્યા હતા. વલ્લભભાઇ પટેલે જલદી જ ગાંધીજી સાથે જોડાઈ જવા માટે પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી. બે અન્ય ગુજરાતી વકીલ મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અને પણ આ વર્ષે ગાંધીજી સાથે જોડાયા. વલ્લભભાઇ પટેલની માફક આ બંને પણ ધીરે-ધીરે ગાંધીજીના રાષ્ટ્રીય અને સામાજિક પુનરુદ્ધારના કાર્યક્રમ માટે અપરિહાર્ય બની ગયા. પાંચમી વાત, ચંપારણ પ્રવાસમાં જ પ્રથમ વખત ગાંધીજીનો બ્રિટિશરાજની નોકરશાહી પ્રથા સાથે સતત પરિચય થતો રહ્યો. પરંતુ, દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ગોરા ઓફિસરો અને નેતાઓની સાથે ગાંધીજીનો સામનો થયો હતો અને તે દરમિયાન ગાંધીજીને ઘણી મુશ્કેલીઓ પણ વેઠવી પડી હતી. હવે ગાંધીજી ભારતમાં આ ગોરા અધિકારીઓનો નિયમિતપણે સામનો કરી રહ્યા હતા.

જૂન ૧૯૧૭માં ગાંધીજી દ્વારા ખેડૂતોની સમસ્યાઓની રજૂઆત કરતાં કેટલાંક કાગળિયાં બિહાર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યાં અને તે સાથે જ ચંપારણ કૃષિ તપાસ સમિતિનું નિર્માણ થયું. સાત સભ્યોની આ તપાસ સમિતિમાં ગાંધીજી સિવાય અન્ય ચાર આઈ.સી.એસ. પણ સામેલ હતા જ્યારે તેના ચેયરમેન મધ્યપ્રાંતના એક સરકારી ઓફિસર હતા. કમિટીની બેઠકોનો સૌથી મોટો લાભ એ થયો કે ગાંધીજી આ કોલોનિયલ (વસાહતી) રાજ્યની ઝીણામાં ઝીણી વિગતોને નજીકથી સમજી શક્યા. અંતમાં, ચંપારણના પ્રવાસની સૌથી મોટી અસર એ થઇ કે ચંપારણના પ્રવાસ બાદ ગાંધીજીને એ વાતનો વિશ્વાસ થયો કે તેઓ ભારતીય સમાજના વિવિધ વર્ગોના દિલ અને દિમાગને જીતી શકવાની ક્ષમતા ધરાવે છે. ખેડૂતોનું દિલ તો તેઓ પ્રથમ વખતમાં જ જીતી ચૂક્યા હતા. અમદાવાદ પરત આવતા પહેલાં ગાંધીજી એક અઠવાડિયા માટે મોતીહારી અને પછી બે દિવસ માટે બેતિયામાં પણ રહ્યા. બેતિયામાં તેમના ભવ્ય સ્વાગત અંગે એક ગુપ્ત પોલીસ રીપોર્ટ જણાવે છે કે ‘જેવી ટ્રેન બેતિયા સ્ટેશન પહોંચી કે તરત જ ‘ગાંધીજીની જય’, ‘ગાંધી મહારાજની જય’ એવા નારા ગૂંજવા લાગ્યા. હાથમાં ઝંડા અને બિલ્લા લગાવેલા આસપાસના અને દૂરનાં ગામડાંઓના હજારો ખેડૂતો, સ્કૂલના બાળકો ત્યાં એ વખતે હાજર હતાં. ગાંધીજી પર પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી હતી. તેમને માળાઓ પણ પહેરાવવામાં આવી રહી હતી. ગાંધીજીના સ્વાગત માટે સ્ટેશનના પ્લેટફોર્મ પર લાલ રંગનું કપડું બિછાવવામાં આવ્યું હતું. બેતિયાના મારવાડી સૂરજમલ પોતાની ઘોડાગાડી લઈને આવ્યા હતા અને સાથે ઈજનેર પૂરણબાબુ રાજનો ઘોડો પણ લાવી રાખવામાં આવ્યો હતો. એ વાતની જાણકારી નથી કે પૂરણ બાબુએ તેમનો ઘોડો કેવી રીતે આપ્યો અને રેલ અધિકારીઓએ સ્ટેશન પર આટલા મોટા ને ભવ્ય જમાવડા અથવા શો માટેની પરવાનગી કેમ આપી? બેતિયા સ્ટેશન પર થયેલું આ સ્વાગત ભારતમાં ગાંધીજીના સંઘર્ષની શાનદાર શરૂઆત હતી. જો કે ખરેખરમાં ચંપારણના ખેડૂતોને ગાંધીજી પાસેથી જેટલું પ્રાપ્ત થયું તેનાં કરતાં અનેકગણું વધારે ગાંધીજીને ખેડૂતો થકી મળ્યું હતું. ખેડૂતોની સાથે કાર્ય કરવાના કારણે જ ગાંધીજી ભારતના કૃષિ સંકટને નજીકથી અનુભવી શક્યા. અહીં જ તેઓને સૌ પ્રથમ વખત વિશ્વસનીય રાજનૈતિક સહયોગીઓ મળ્યા. ગાંધીજીને એ વાતનો ભરોસો બેઠો કે તેઓ એ લોકોનું પણ નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે કે જેઓ તેમની પોતાની જાતિ, સમુદાય, બિરાદરી, વર્ગ અથવા ક્ષેત્રના નથી. વર્ષ ૧૯૧૭ના આ દિવસો ગાંધીજીના ભવિષ્ય માટેની લાંબી અને કઠિન લડાઈ માટે તાકાત આપનાર એક બળરૂપ સાબિત થયા. ચંપારણ એ ભારતમાં ગાંધીજીનો પ્રથમ રાજનૈતિક અનુભવ માત્ર નહોતો પરંતુ ગાંધીજીના રાજનૈતિક જીવનની સાથે-સાથે ભારતીય સ્વાધીનતા સંગ્રામનું પ્રસ્થાનબિંદુ પણ હતું. ચંપારણ આંદોલન જ અસહયોગ આંદોલન, મીઠાનો સત્યાગ્રહ અને ભારત છોડો જેવા આંદોલનો તેમ જ ભારત પર વિદેશી શાસનના અંતનું પ્રસ્થાનબિંદુ પણ સાબિત થયું.

[અનુવાદ – નિલય ભાવસાર]

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,4393,4403,4413,442...3,4503,4603,470...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved