Opinion Magazine
Number of visits: 9767650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંડિત અટલબિહારી નેહરુની સાખે …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 May 2017

ક્યાંથી કરીશું વાતની શરૂઆત : તે દિવસે એમણે આંખો મીંચી ત્યારે ટેબલ પરની કવિ ફ્રોસ્ટની એ મતલબની પંક્તિઓ સહસા મુખર થઈ હતી કે ગાઢાં ને વળી નિતાન્ત ભીષણસુંદર એવાં વન સાદ દે છે; પણ મારે તો હજુ અહીં ગાઉના ગાઉ કાપવાના છે, કેમ કે (માભોમ અને સૌ હમવતનીઓ જોગ) કંઈ કેટલાં વચન પાળવાનાં છે …

એ સત્તાવીસ મે, ૧૯૬૪નો દિવસસ્તો હતો. પણ આરંભ ત્યાંથી નહીં પણ બરાબર બત્રીસ વરસ આગળ જઈને સત્તાવીસ મે, ૧૯૯૬થી કરીએ તો? એન.ડી.એ. તેર દિવસની સરકારને અંતે (એક વાર અમે શપથ લીધા કે અમારે ત્યાં જોડાનારા થોકેથોકે ઉમટશે, એવા સુષમા સ્વરાજના બચકાના ઉદ્‌ગારો સામે) વિશ્વાસમત સંપાદિત કરવાની સ્થિતિમાં નહીં હોવાના કારણે વાજપેયીએ ગૃહ વાટે (કોઈ વડાપ્રધાનનું પહેલું ટેલિવાઇઝ્‌ડ) સંબોધન કર્યું હતું; અને આજે પ્રથમ વડાપ્રધાન નેહરુની પુણ્યતિથિ છે ત્યારે એમને વંદન કરીને મારી વાત કરીશ અને પછી રાષ્ટ્રપતિને રાજીનામું આપવા જઈશ એવી માંડણી કરી હતી.

નેહરુને યાદ કરવામાં પ્રતિપક્ષ(કૉંગ્રેસ)ને ટાઢો ડામ દેવાની સગવડ જરૂર હતી. લખું છું ત્યારે સાંભરે છે કે ૨૬ જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધીનું એક સર્વપ્રિય સરખામણી સૂત્ર હતું કે પિતાએ (જવાહરલાલે) દેશને ૨૬મી જાન્યુઆરી(પ્રજાસત્તાક)ની નવાજેશ કરી, પુત્રીએ દેશને ૨૬મી જૂન(રાણીસત્તાક)ની નવાજેશ કરી. પણ કૉંગ્રેસને ટાઢો ડામ દેવાની સગવડ સાથે નેહરુસ્મૃિતમાં એવું કાંક હતું અને છે કે જેની સાથે અટલબિહારી વાજપેયી સહિત દેશજનતા સમસ્તને સકારાત્મક લગાવ હતો. આ લગાવ, વાજપેયીના કિસ્સામાં તો ક્યારેક પંડિત અટલબિહારી નેહરુ એવી ઓળખ અગર ઉપાલંભ પેઠે પણ પ્રગટ થતો રહ્યો છે.

કૉંગ્રેસના નેહરુ અને ભા.જ.પ.ના સરદાર, એવાં છીછરાં પાણીનાં છબછબિયાંથી, સામસામા પ્રચારમાર્તંડોથી તે ભાગ્યે જ પ્રીછી તો શું પકડી પણ શકાય. દ્વેષી માનસ પટેલમાં ઘોર કોમવાદી જુએ કે પછી વળતું દ્વેષી માનસ પટેલ ભારતની એકતાના સ્થપતિ (આર્કિટેક્ટ) હતા એવી ઉમદા સ્થાપના કરી જાણનાર જવાહરલાલને નહીં ઓળખવાની ચેષ્ટા કરે, અને ઉપરથી ફટકારે કે વલ્લભભાઈ ગયા ત્યારે નેહરુને સ્મશાને જવાની ફુરસદ નહોતી. અલબત્ત, તે દિવસનો વીડિયો જુદી વાત કહેતો હોય, પણ —

બંનેએ સાથે રહેવાનું પસંદ કર્યું, પટેલના શબ્દોમાં (મતભિન્નતા છતાં) ’આપણે અવિભાજ્ય છીએ’ એવી ભૂમિકા બરકરાર હોય ત્યારે બંનેને બધો વખત સામે મૂકવાની ચેષ્ટા ઇતિહાસને સુસંગત તો નથી જ નથી. મુખ્યમંત્રી મોદીએ જસવંતસિંહની કિતાબ ’કેમ કે તે સરદારને ખોટા ચીતરે છે’, એવી દલીલજોરે (બેલાશક, રાબેતા મુજબ વગર વાંચ્યે) પ્રતિબંધિત કરી હતી. અરુણ શૌરિએ ત્યારે કહ્યું હતું કે ભાઈ, જરી લિહાજ કરો. કંઈક તો શરમ ભરો. સરદારની ટીકામાં તો તમારા સિદ્ધાંતકોવિદ શેષાદ્રિ જસવંતસિંહને ક્યાં ય ટપી ગયા છે, અને સંઘ પરિવારના અધિકૃત પ્રકાશન તરીકે ચોપડીનું વેચાણ ચાલુ છે.

મુદ્દે, ભા.જ.પે. રાષ્ટ્રીય કદના કોઈ સ્વતંત્રતાલડવૈયાની પોતાની અછત પૂરવા પટેલને હાઇજેક કરવાનો પેચ લડાવ્યો ત્યારે એને એ વાતનાં સુધબુધ ને ઓસાણ રહ્યાં નહીં કે વિભાજનની અનિવાર્યતા સ્વીકારવામાં નકામા નેહરુ અને નંબર વન સરદાર બંને એકસાથે હતા. નહીં કે તે ખુશીનો સોદો હતો, નહીં કે ગાંધી એમાં સમ્મત હતા; પણ પ્રત્યક્ષ અનુભવ પછી નેહરુ અને પટેલને વિભાજનની અનિવાર્યતા સમજાઈ હતી. અને હા, એક ઇતિહાસવસ્તુ પણ નોંધવી જોઈએ કે નેહરુ-પટેલે જે રાજકીય એકમ ભારતરૂપે બાંધ્યું એટલો વ્યાપ ઇતિહાસને ચોપડે અશોક ને અકબરના સામ્રાજ્યનો પણ નથી.

ગાંધીનેહરુપટેલ જે એક મુદ્દે અણીને વખતે ઘણા મોટા મનોવૈજ્ઞાનિક પડકાર વચ્ચે સાથે રહ્યા તે મુદ્દો બિનસાંપ્રદાયિક રાજ્યના નિર્માણનો હતો. એમાં કોઈ પણ ધરમમજહબને સારુ અવકાશ અને સ્વતંત્રતા હતાં, પણ ધરમમજહબને નામે રાષ્ટ્રની વ્યાખ્યા બહાલ નહોતી – અને ધર્મમાં માનવું પણ પોતપોતાના અખત્યારની વાત હતી. સોમનાથના નિર્માણ માટેના ખેંચાણને તાબે થતા પટેલ, આવી વાતોથી સલામત અંતર પસંદ કરતા નેહરુ, બંને આપણા સમયના શ્રેષ્ઠ ધર્મપુરુષ શા ગાંધીની આણમાં સોમનાથને સરકાર નહીં પણ સ્વતંત્ર ટ્રસ્ટ મારફતે નિર્માણ કરવા પર એકસાથે હોઈ શકતા હતા. ધર્મને અવકાશ, પણ બંધારણની મર્યાદામાં. આગળ ચાલતાં તે બંધારણીય રાષ્ટ્રવાદમાં, સાંકડી દ્વેષમૂલક ભૂમિકામાં નહીં ધોરણસરના આંતરરાષ્ટ્રીયતાવાદને સ્વીકારતા અને ઘરઆંગણે નાનાવિધ સમુદાય પરત્વે પરસ્પર સ્વીકાર ને સમાદરની ભૂમિકામાં લાંગરી શકે, ઠરી શકે એવું અભિનવ માનવતા ભણીનું સંકલ્પસપનું હતું.

નેહરુને એક ભાવનાપુરુષ તરીકે જોવાનો અને પટેલને વાસ્તવપુરુષ તરીકે બિરદાવવાનો ચાલ આપણે ત્યાં છે એ સાચું પણ વાસ્તવપુરુષને લાગેલા ભાવનાત્મક પાસની અને ભાવનાપુરુષને લાગેલા વાસ્તવાત્મક પાસની રગ જેમણે ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીને ભાગલામાં વહેંચીને જોવાની ટૂંકનજરી રાજનીતિ પસંદ કરી એમને સ્વાભાવિક નથી. ભાઈ, ગાંધી જનમોઝાર હતા તો નેહરુ ને પટેલ બેઉ રાજમોઝાર હતા. નેહરુ અને પટેલને હિસ્સે અભિનવ રાજ્યબાંધણી હતી. પટેલને જો સ્ટેટક્રાફ્ટનું એક વાનું તરત પકડાતું હતું તો નેહરુને બીજું, પણ બંનેને રાજવટની પોતપોતાની રગ, ફાવટ અને મર્યાદા હતી. અને એમાં અસ્વાભાવિક પણ શું છે.

ફ્રાન્સના આલા કલામરમી અને બૌદ્ધિક આન્દ્રે માલરોએ જવાહરલાલને એક વાર પૂછ્યું કે તમારા મન પર વડાપ્રધાન તરીકે પ્રધાન લક્ષ્ય શું છે. તો જરી થંભીને એમણે કહ્યું કે ’ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ સ્ટેટ વિથ જસ્ટ મિન્સ.’ ચર્ચિલ છેડેથી મજબૂત રાજ્યની સંકલ્પના સાથે ગાંધી છેડેથી ન્યાયી સાધનોને જોડતી ભૂમિકામાં નેહરુ ને પટેલ પોતપોતાની રીતેભાતે પડેલા હતા. જનમોઝાર ગાંધીને વધુ વરસો મળ્યાં હોત તો જેપી-લોહિયાને લઈને એમણે એક જુદી જમાવટ કરી હોત, પણ હવે તો એ કલ્પનાવિષય છે.

વાતનો બંધ ક્યાંકથી તો વાળવો જોઈએ. જાન્યુઆરી ૧૯૪૮ પર આ ક્ષણે મન ઠરવા કરે છે. ગાંધી દિલ્હીમાં શાંતિસ્થાપનમાં પડેલા છે. એમના અનશનથી જેમ સ્થાનિક શાંતિસ્થાપના શક્ય બની છે તેમ ‘અમને અમારી ફરજ અને જવાબદારી સમજાઈ છેે’ એવાં વચનો સીમાપારના પાક. પંજાબની ધારાસભામાં શીર્ષ સત્તાસ્થાનેથી ઉચ્ચારાયાં છે. અલબત્ત, ઉશ્કેરાટ ખાસ્સો છે જે મહિનો ઉતરતે છેલ્લાથી આગળના દિવસે ઘરઆંગણે ગાંધીને શહાદતનું માન અપાવ્યે જ અટકવાનો છે. ઉપવાસ અને બલિદાનની વચ્ચેના દિવસોમાં ૨૪મી જાન્યુઆરીએ વડાપ્રધાન નહેરુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દીક્ષાન્ત સંબોધન સારુ પહોંચ્યા છે. ભાગલા પછીની ઉદ્વિગ્ન અને ઉશ્કેરાટભરી સ્થિતિમાં આ મુલાકાત છે. જે યુનિવર્સિટીએ પાકિસ્તાન માટે બૌદ્ધિક ભૂમિકા સરલ કર્યાનું કહેવાય છે ત્યાં જવાહરલાલ પહોંચ્યા છે.

શું વાત કરે છે એ પદવી દાનમાં ? ૧૫મી ઑગસ્ટે, મધરાતની સ્વરાજક્રાન્તિ ક્ષણોમાં ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’(વિધાતા સાથે કોલકરાર)ની યાદગાર ભૂમિકા માંડનાર અને હવે છ દિવસ પછી ગાંધી હત્યા સાથે ‘પ્રકાશ ગયો – ના, આપણી વચ્ચે છે’ એવી દિલી રજૂઆત કરવાના હતા તે નેહરુ દિલની વાત માંડે છે : કેમ જાણે આપણે ભાવનાઓ અને દૃષ્ટિબિંદુની રીતે ખાસા અંતરે તો નથી ઊભા ને ? હૃદયભંગ પ્રેરતા આંચકાઓએ ભર્યા મહિનાઓ પછી આપણે મળી રહ્યા છીએ ત્યારે એવું તે શું છે જે મને ઢાઢસ બંધાવે છે. એ છે ભાવિ માટેની શ્રદ્ધા કે પ્રતિબધ્ધતા કે આપણે એવું એક મુક્ત ભારત નિર્માણ કરવા મથી રહ્યા છીએ જ્યાં સૌને તકોની સમાનતા છે અને વિચારતા ભાતભાતના પ્રવાહો, સંસ્કૃિતઓના નાનાવિધ પ્રવાહો એકત્ર આવી પ્રજાની પ્રગતિના મહાનદ (માઈટી રિવર) રૂપે આગળ વધે છે. હું હિંદુ છું, તમે મુસ્લિમ છો. પ્રાચીન ભારતની સિદ્ધિઓનું મને ગૌરવ છે, પણ આ ગૌરવ એ કારણે પણ છે કે એણે વિશ્વભરના વાયરા વાસ્તે પોતાનાં દિલોદિમાગનાં દ્વાર ખુલ્લા રાખ્યા છે. આ ભારતની તાકાત એ વાતે છે કે તે કશાય બહારી બળ તળે ચંપાઈ ન મરે એવું સબળું છે, અને કશું ય બહારી સ્વીકારવા જેવું જણાય તો તે સ્વીકારી શકે એવું શાણું પણ છે. તે પોતાના કોચલામાં પુરાઈ રહેતો મુલક નથી. આ એનો જે વારસો તે મારો, તમારો સૌનો છે. તમે મુસ્લિમ છો, હું હિંદુ છું, પણ ધર્મભેદે વારસો તો સહિયારો છે ને.

ગમે તેમ પણ ૨૭ મે, ૧૯૯૬ અને તે પછીના લોકસભા માંહેલા વાજપેયીનાં ટેલિવાઇઝ્‌ડ ભાષણો સંભારું છું ત્યારે સમજાય છે કે રાષ્ટ્રજોગ તેમ સવિશેષ તો સંઘ પરિવારજોગ સંબોધનથીએ એક એવી તક ઝડપતા હતા જે સંઘસ્થાન પર કે સંઘશિબિરમાં એમને કદાચ મળી શકતી નહોતી … વૅલ, આ ક્ષણે તો પંડિત અટલબિહારી નેહરુની સાખે એટલું જ કહીશું કે નેહરુની ટીકા કરવાનો આપણો અધિકાર છે, પણ કંઈક વ્યાપક, કંઈક મૂલગ્રાહી હોઈ શકીએ તો તે માટેની પાત્રતા મળતાં મળે તો મળે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 20 અને 17 

Loading

માફ કરજો, આ નાટક થશે જ

રમેશ કોઠારી|Opinion - Opinion|31 May 2017

વાતની માંડણી ક્યાંથી કરવી તે જ સમજાતું નથી. જેનું અધ્યક્ષપદ ક્યારેક ભોળાભાઈ પટેલ સરખા, શુદ્ધ સાહિત્યપદાર્થને વરેલા, પોતાની સાહિત્યસાધના (અન્ય કોઈ ‘સાધના’ નહીં) થકી એ પદ માટે સર્વથા પાત્રતા ધરાવનાર સર્જકે શોભાવ્યું હતું, પદને ગરિમા બક્ષી હતી, ત્યાં હવે ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યા બિરાજમાન થવા જઈ રહ્યા છે. સરકારી અમલદારના અનુગામી તરીકે એમની વરણી લગભગ નિશ્ચિત હતી. આમ ન થયું હોત તો જ આશ્ચર્ય થાત. શું ગુજરાતમાં એવો કોઈ મોટા ગજાનો સાહિત્યસેવી નથી, જેને આ પદ માટે પસંદ કરી શકાય? હશે ભાઈ Loyalty brings Royalty.

ફરી પાછા ભોળાભાઈ તરફ વળીએ. એમને રણજિતરામ ચંદ્રક પ્રાપ્ત થયો, ત્યારે અિશ્વન મહેતાએ પાઠવેલા શુભેચ્છાસંદેશમાં, રવીન્દ્રનાથના સમકાલીન ગીતકવિ અતુલપ્રસાદના ગીતની એક પંક્તિ ટાંકી છે. ‘સબ દલ, છલ, છલ, રે ભોલા!’ પોતાની જાત પર હસી શકનાર ભોળાભાઈ ‘ભોલા’ એટલે ‘અણસમજુ’ જાણતા જ હોય, પણ અિશ્વન મહેતાએ તેમને જાણે નામજોગ સંબોધન કરી ચેતવ્યા ન હોય, એમ અનુભવે છે. આ બધાં ચંદ્રકો, પારિતોષિકો, માન-અકરામ છેવટે તો જેનો ‘માંહ્યલો સાબૂત’ છે, તેને માટે ગૂંગળાવનારાં બની રહે છે. આ છળ, પ્રચંચ, ગોઠવણો સાહિત્ય સાધનાથી જોજનો દૂર લઈ જાય છે. માટે જ તેમના આ જ પુસ્તક ‘વાગ્વિશેષ’માં ભોળાભાઈ, ટાગોર નોબેલ પુરસ્કારપ્રાપ્તિ વેળા અંતર્મુખ થઈ વિચારે છે. તેની વાત કરતાં કહે છે. પોતાના કવિને વિશ્વસ્તરે પોખાતો જોઈ ભલે દેશ આખો રાજીપો અનુભવે, પણ કવિને મન ‘એ મણિહાર આમાય નાહિ સાજે’.

આ મણિહાર મને શોભતો નથી – એ પહેરવા જતાં વળગી પડતો લાગે છે, છિન્ન કરવા જતાં નકામો બની જાય છે. આજે જ્યારે શાસકોની રહેમનજર કે અન્ય કોઈ સાધનોની મદદથી પદ, હોદ્દો, ચંદ્રકો મેળવી પોતાની મહત્તા સિદ્ધ કરવા દોડાદોડ કરતા વામણા જીવોને જોઈએ છીએ, ત્યારે થાય છે કે ‘સબ છલ, છલ, છલ રે, ભોલા’ની યાદ એમને કોણ અપાવશે?

સુરેશ જોષી કહેતા હતા તેમ ‘ઘો મરવાની હોય ત્યારે વાડે જાય’ ન્યાયે કવિતા નામશેષ થવા વર્ગખંડોમાં જાય.’ આજે તો દર ત્રીજી વ્યક્તિ કવિ બની બેઠી છે. પછી તે ‘સરકારી અમલદાર’ હોય, દાક્તર હોય, વકીલ હોય કે વ્યાપારી, કોઈ સુંદર સવારે આપણને સાંભળવા મળે કે અમુક ઉદ્યોગપતિ અકાદમીનું અધ્યક્ષપદ શોભાવશે (!) તો સહેજ પણ આશ્ચર્ય નહીં થાય. We are living in an ‘Age of surprizes.’

વિષ્ણુ પંડ્યા માટે મને કોઈ અંગત રાગદ્વેષ નથી, કોઈને ય ન જ હોય. પણ આ પદ માટે અન્ય, અનેક ગણી લાયકાત ધરાવનારા પ્રાપ્ય હોય ત્યારે – પછી ભલેને તે પરિષદ તરફ સહાનુભૂતિ ધરાવનાર હોય – એમના માટે માર્ગ મોકળો કરી આપ્યો હોય તો, છેવટે તો એમના ય ગૌરવમાં ઉમેરો થયો હોત પણ … જે નાટકો ભજવાતાં આપણે અટકાવી શકવાનાં નથી, તેમાં આ એક વધારે.

ખૂબ યાદ આવે છે. ઉમાશંકર જોશીની જેમને સહજપણે મળેલાં માન-અકરામ, ચંદ્રકો, પારિતોષિકોની યાદી કરતાં એમણે સૈદ્ધાંતિક કારણોસર ઠુકરાવેલા હોદ્દાઓની યાદી ઠીકઠીક લાંબી હતી.

આપણા સુખ્યાત હાસ્યલેખક વિનોદ ભટ્ટ પ્રત્યે ભારોભાર આદર છતાં, તેમનાં કેટલાંક અનપેક્ષિત વિધાનો શૂળની જેમ ખૂંચ્યાં છે :

• ‘ચંદ્રકાન્ત ટોપીવાળા ન વંચાતા વિદ્વાન છે.’ • ‘કોઈ ગુનેગારને ‘ફૉર્થ ડિગ્રી ટ્રીટમેન્ટ તરીકે સિતાંશુની કવિતા સંભળાવવામાં આવે, તો તેનો ન કરેલો ગુનો કબૂલ કરી લેશે.’ • ‘ભાગ્યેશ જહાની મુદત પૂરી થઈ, એટલે હવે હું રાજીનામું આપું છું.’ • ‘ખાનદાની ખોરડા જેવી પરિષદ કરતાં અકાદમીએ અનેકવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું છે.’ •  જે પરિષદની ચૂંટણીમાં ખુદ ગાંધીજી પરાજિત થયા હતા, તેનો હું પ્રમુખ રહી ચૂક્યો છું.’ (વિગતદોષ માફ).

જે પરિષદને એકાવન લાખ રૂપિયા જેવું માતબર દાન પોતાના પ્રયાસો થકી મળ્યાની તેઓ વારંવાર દુહાઈ આપતા ફરે છે તે સંદર્ભમાં પેલી બહુ જાણીતી વાત યાદ આવે છે. ડૂબતા માણસને બચાવનાર વ્યક્તિને વારંવાર સંભળાવે ‘મેં તને બચાવ્યો’. ત્યારે પેલા માણસે કંટાળીને કહ્યું, ‘આના કરતાં ડૂબવા દીધો હોત તો સારું થાત. વારંવાર આ સાંભળવાથી બચી જવાત.’ અહીં તો ‘મારે મોગલ ને ફુલાય પીંજારો’ જેવો ઘાટ છે. પોતાના ગજવામાંથી મદદ કરી હોત, તો બિચારા ‘ખાનદાની ખોરડા’ને શું ને શું ય સાંભળવું પડ્યું હોત. ‘ફૉર્થ ડિગ્રી ટ્રીટમેન્ટ તરીકે સિતાંશુની કવિતા સુધી આવીને કેમ અટકી ગયા હશે ?’ ફિફ્‌થ ડિગ્રી’ તરીકે ભાગ્યેશ જહાની કવિતા સુધી આગળ વધી શક્યા હોત.

પરિષદમાંથી અકાદમી તરફ પ્રયાણ કરનારા ‘મિત્રો’ની મનોદશાનો વિચાર કરતાં એક વિદેશી કવિતાનું સ્મરણ થાય છે. પોતાના નિવાસસ્થાનેથી અન્યત્ર જવા નીકળેલ યાત્રિકનું વાહન રસ્તામાં બગડતા મિકેનિક તેને દુરસ્ત કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તે વિચારે છે, ‘જ્યાંથી નીકળ્યો છું, તે સ્થળ છોડવાનું દુઃખ નથી, તો જ્યાં જઈ રહ્યો છું, તેનો કોઈ આનંદ નથી.’ નથી પરિષદ સાથે છેડો ફાડવાનું દુઃખ કે નથી અકાદમીના ખોળે બેસવાનો આનંદ.

નવા અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવવાની સાથે અપેક્ષા રાખીએ કે તેમના નેતૃત્વ નીચે અકાદમી વૈવિધ્યસભર કાર્યક્રમોથી છવાઈ જાય. સામાન્યપૂર્વે ફિરોઝ ગાંધીને પણ જરા સ્મરી લઈએ. જેમણે પોતાના રંક હરીફ ઉમેદવારને તેના પ્રચારમાં અગવડ ન પડે તે માટે વાહનોનો કાફલો મોકલ્યો હતો અને ‘મેં તને વાહનો પૂરાં પાડ્યાં હતાં.’ તેની ક્યારે ય યાદ કરાવી નહોતી.

અસ્તુ.

ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 07

Loading

ધર્મ, રૂઢિચુસ્તતા, બંધારણ અને માનવતા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|30 May 2017

ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે ?

ત્રણ વાર ‘તલાક’ અને મુસ્લિમ સમાજ વિશે લખવામાં અતિસરળીકરણ થઈ જવાની સંભાવના ઘણી રહે છે.  સૌ પ્રથમ તો, આ રીતે તલાક આપવા તે ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં, એ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનવણી પૂરી થઈ ચૂકી છે. 

બીજી વાતઃ ત્રણ તલાકનો વિરોધ કરનારાએ યાદ રાખવાનું છે કે આ જોગવાઈનો ઉપયોગ કરનારા મુસ્લિમોનું પ્રમાણ નજીવું છે. માટે, વ્યાપક મુસ્લિમ સમાજને ટ્રિપલ તલાકના નામે બદનામ કરી શકાય નહીં. ‘ટ્રિપલ તલાક’ના વિરોધનો વિરોધ કરનારે યાદ રાખવું જોઇએ કે અદાલતમાં દાદ મુસ્લિમ મહિલાઓએ માગી છે. આથી, મામલો ‘મુસ્લિમ વિરુદ્ધ હિંદુ’ કે ‘મુસ્લિમ વિરુદ્ધ અન્ય ધર્મીઓ’ જેવી ખેંચતાણનો નથી અને તેને એ ખાનામાં ન મૂકવો જોઇએ. 

કોઇ મુસ્લિમ એવું ઇચ્છે કે ‘બીજા ધર્મના લોકોને અમારી અંગત ધાર્મિક બાબતમાં કે પરંપરામાં અભિપ્રાય આપવાનો અધિકાર નથી’, તો તેમનું આ વલણ લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. મુસ્લિમદ્વેષમાં સરી પડ્યા વિના કે કોમવાદના રાજકારણના હાથા બન્યા વિના, સામાજિક જાગૃતિના ભાગ તરીકે આવા રિવાજની બેશક ટીકા કરી શકાય. અન્યાયી લાગતા (ત્રાસવાદવિરોધી જેવા) કાયદાની ટીકા થઈ શકતી હોય છે, તો અન્યાયી જણાતી પરંપરાની કેમ નહીં? 

ટીકા કરનારે એટલું ધ્યાન રાખવાનું કે તેમની ટીકાનો ધક્કો સ્ત્રીને થતા અન્યાયમાંથી અને ‘આવું તો કેવી રીતે ચલાવી લેવાય?’ એવી પ્રતીતિમાંથી આવવો જોઇએ — નહીં કે મુસ્લિમોની છડેચોક, આકરી ટીકા કરવાની તક મળી – તેમના પ્રત્યેનો દ્વેષ ફેલાવવાની કે દૃઢ કરવાની તક મળી એમાંથી.  મુસ્લિમોએ પણ કઈ ટીકા દ્વેષથી થાય અને કઈ ટીકા સદ્દભાવથી, તેનો ફરક સમજવો પડે અને એ સ્વીકારવું પડે કે બીજા પક્ષના કુરિવાજ પ્રત્યે આંગળી ચીંધવાથી પોતાનો કુરિવાજ વાજબી ઠરી જતો નથી.

 આ તબક્કે કોઈને એવો સવાલ થાય કે ‘ટ્રિપલ તલાકને પરબારો ‘કુરિવાજ’ કેમ કહી શકાય? અને એવું કહી દેનારા તમે કોણ?’ તેનો સાદો જવાબ આટલો જ છેઃ કોઈ પુરુષ પોતાની પત્નીને ત્રણ વાર ‘તલાક’ બોલીને છૂટાછેડા આપી શકતો હોય (અને સ્ત્રી પાસે એવો વિકલ્પ ન હોય) ત્યારે, એ રિવાજ સમાનતાની અને કુદરતી ન્યાયની સાદી સમજનો ભંગ કરે છે — અને એટલું સમજવા માટે કોઈ ગ્રંથના કે બંધારણના અભ્યાસની જરૂર નથી.

મોટા ભાગના મુસ્લિમો ટ્રિપલ તલાકની અનિષ્ટ જોગવાઈનો ઉપયોગ કરતા નથી, તે આનંદની વાત છે. એ જ કારણથી, મુસ્લિમોએ — ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે — ટ્રિપલ તલાકની નાબૂદીની સામેથી જાહેરાત કરવી જોઈએ. ઇસ્લામની શક્તિ ને ધાર્મિક મુસ્લિમોનું આત્મસન્માન એટલાં તકલાદી ન હોય કે ‘ટ્રિપલ તલાક’ની નાબૂદીથી તેને ઘસરકો પહોંચે.

પર્સનલ લૉ બૉર્ડને કે ટ્રિપલ તલાકના વિરોધનો વિરોધ કરનારા ઘણાને ડોશી મરે તેનો ભય નથી. જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે. એક વાર મુસ્લિમોના અંગત ધાર્મિક મામલામાં દખલના દરવાજા ખુલી ગયા, તો ભવિષ્યમાં દરેક બાબતમાં બીજા લોકોનો ચંચુપાત વધી શકે છે — ખાસ કરીને, સામાજિક-ધાર્મિક મુદ્દામાંથી રાજકીય રોકડી કરવા ઇચ્છતા નેતાઓનો. આ બીક વાજબી છે, પરંતુ તેનો ઉકેલ ટ્રિપલ તલાક જેવા મુદ્દાને ધાર્મિક ઓળખ સાથે સાંકળવામાં કે ટ્રિપલ તલાકના ટીકાકારોને તેમની ખામી બતાવવામાં નથી.

ધર્મના નામે ચાલતા કુરિવાજ-અનિષ્ટ પરંપરાઓનો વિરોધ બીજા ધર્મના લોકો કરતાં એ ધર્મનો માણસ વધારે સારી રીતે કરી શકે. અનેક ખાસિયતો અને જ્ઞાતિપ્રથા જેવાં તોતિંગ અનિષ્ટ ધરાવતા હિંદુ ધર્મમાં અનેક સંતકવિઓથી માંડીને વિદ્રોહીઓ અને સમાજસુધારકો થયા. તેમણે સમાજનો –ખાસ કરીને પોતાના ધર્મના લોકોનો — આકરો વિરોધ વેઠીને પણ પોતાની વાત મુકી. એટલા પ્રમાણમાં ભારતીય મુસ્લિમ સમુદાયમાં એવું ન બન્યું.

1857ના સંગ્રામ પછીના અરસામાં મુસ્લિમોને અંગ્રેજી કેળવણી ભણી વાળનાર સર સૈયદ અહમદ હોય, મહંમદ ઇકબાલ જેવા મોટા ગજાના કવિ હોય કે પછી એક જમાનામાં ‘મુસ્લિમ ગોખલે’ બનવા ઇચ્છતા મહંમદઅલી ઝીણા, એ બધાને આખરે સમાજસુધારાને બદલે એક યા બીજા પ્રકારની પરંપરાગત ધાર્મિક ઓળખના શરણે જવું પડ્યું.

બીજી તરફ બાદશાહખાન જેવા નેતાઓ ઇસ્લામને વળગીને અહિંસાના રસ્તે ચાલ્યા કે ડૉ.અન્સારી – મૌલાના આઝાદ જેવા નેતાઓએ ગાંધીજીની કૉંગ્રેસ સાથે તેમની કારકિર્દી સાંકળી, ત્યારે વ્યાપક મુસ્લિમ સમર્થન મેળવવાનું- ટકાવી રાખવાનું તેમના માટે અઘરું સાબીત થયું. (બાદશાહખાને અંગ્રેજોની જેલ કરતાં મુ્સ્લિમોના અલગ દેશ પાકિસ્તાનની જેલમાં વધુ સમય વીતાવ્યો – વધુ અત્યાચાર વેઠ્યા.)

આમ પણ, ધાર્મિક ઓળખનો મામલો પેચીદો હોય છે. મુસ્લિમોનો અલગ દેશ માગનાર ઝીણા મૂળભૂત રીતે ધાર્મિક ન હતા, જ્યારે ભારતને પાકિસ્તાનનું હિંદુ અડધિયું ન બનવા દેનાર ગાંધીજી પોતાની જાતને ચુસ્ત હિંદુ તરીકે ઓળખાવતા હતા.

અત્યારની આઇ.ટી.ની પરિભાષામાં ધર્મને ઘણે અંશે ઑપરેટિંગ સીસ્ટમ (OS) સાથે સરખાવી શકાય. ઑપરેટિગ સીસ્ટમના સૉફ્ટવેરમાં રહેલાં છીંડાં કે નબળી કડીઓ થકી વાઇરસ ઘૂસી આવે અથવા સમય પ્રમાણે ફેરફાર (અપડેટ્સ) ન થયા હોય તો પણ વાઇરસ આવી પડે. મૂળ ઑપરેટિગ સીસ્ટમ ખરાબ નથી હોતી, પણ અસહિષ્ણુતાના પર્યાય જેવી ‘ધાર્મિક લાગણી’, ધર્મનું સગવડિયું અર્થઘટન કે ધર્મઝનૂન જેવા વાઇરસ ઑપરેટિગ સીસ્ટમને ખરાબ કરે છે.

એ સમયે બે વિકલ્પ રહે છેઃ વાઇરસને ક્લીન કરીને ઑપરેટિગ સીસ્ટમને ચોખ્ખી રાખવી અથવા વાઇરસને પણ ઑપરેટિગ સીસ્ટમના હિસ્સા તરીકે ગણીને, વાઇરસની ટીકાને ઓપરેટિંગ સીસ્ટમની ટીકા ગણવી. ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? એ પોતાની જાતને ધાર્મિક ગણતા સૌએ વિચારવા જેવો સવાલ છે.

ધર્મનો સંબંધ નૈતિકતા અને નૈતિક ફરજ સાથે છે. તેને કાયદા અને બંધારણના પથ્થર પર કસવામાં આવે એ સ્થિતિ આમ તો ઇચ્છનીય નથી. પરંતુ ધર્મના નામે ધાર્મિક લાગણી, અનિષ્ટ રિવાજો, પરધર્મીઓ માટેના દ્વેષ, હિંસા, શોષણ, દુરાચાર જેવી લાગણીઓ ઉભરાવા લાગે, ત્યારે કોર્ટકચેરી વિના આરો રહેતો નથી.

ધર્મના મામલે ઘણી વાર અદાલતો પણ યથાસ્થિતિને બહુ છંછેડવાનું પસંદ કરતી નથી. ટ્રિપલ તલાક વિશેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે એ મતલબનું કહ્યું હતું કે જો આ રિવાજ ધર્મનો અભિન્ન હિસ્સો હશે તો અદાલત તેને બહાલી આપશે. ધર્મના નામે ચાલતા રિવાજ અને માનવતા —એ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે, ત્યારે માનવતાને તડકે મૂકનારા ખરેખર તો તેમનો ધર્મ ચૂકે છે અને તેમના ધર્મને નીચો પાડે છે. કારણ કે કોઈ ધર્મ માનવતાની ઉપર હોઈ ન શકે અને માનવતાને અવગણવાનું કહેનાર સાચો ધર્મ ન કહેવાય.

સૌજન્ય : ‘ધર્મપ્રશ્ન’, “દિવ્ય ભાસ્કર”, 30 મે 2017 

Loading

...102030...3,4383,4393,4403,441...3,4503,4603,470...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved