Opinion Magazine
Number of visits: 9689091
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દ્રૌપદીનું ચીરહરણ : નાટ્યાત્મકતાનું મિથક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 April 2017

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાકની પરંપરાને દ્રૌપદીનાં ચીરહરણ જેવી ગણાવી છે. યોગીએ કહ્યું, ‘મહાભારતમાં ચીરહરણની ઘટનામાં દોષી કોણ છે? એક તો એ લોકો જેમણે આ અપરાધ કર્યો હતો, બીજા એ જે આજુબાજુમાં ઊભા હતા અને ત્રીજા એ જે આ ઘટનામાં મૌન રહ્યા હતા. કંઇક એવી જ રીતે ત્રણ તલાકના મામલામાં દેશની રાજનીતિક ક્ષિતિજ ઉપર મૌન છવાયેલું છે.’

ટ્રિપલ તલાકની પ્રથા અન્યાયકારી અને સ્ત્રી વિરોધી છે, એમાં બેમત નથી.

મુસ્લિમ સમાજમાં પણ એને ખતમ કરવાની માગણી ઊઠી છે, અને સ્વભાવિક રીતે જ સરકારે જે ‘મન’ બનાવ્યું છે તેને ‘અંદર-બહાર’ બધેથી સમર્થન મળી રહેશે, પરંતુ નવો ઉત્સાહ જેટલો દેખાય છે તેટલો સીધો અને સરળ પણ નથી. બે જ દાખલા કાફી છે. એક, ચાર વખત પેશ થયા પછી પણ પસાર ન થતા 2014માં 15મી લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયક મૃતપ્રાય: થઇ ગયું છે. એનો વિરોધ ભાજપે પણ કર્યો હતો અને નરેન્દ્ર મોદીએ હજુ એવો કોઇ સંકેત નથી આપ્યો જેથી લોકસભા-વિધાનસભામાં સ્ત્રીઓને 33 પ્રતિશત આરક્ષણ મળે.

બે, સંસદમાં અને સંસદની બહાર સ્ત્રીઓ વિશે અભદ્ર અને લૈંગિક ટિપ્પણીઓ કરવાનો એક ‘સમૃદ્ધ’ ઇતિહાસ છે. ત્યારે તો કોઇને દ્રૌપદીનું ચીરહરણ કે અપરાધીઓનું મૌન યાદ નહોતું આવ્યું. કેમ? મોદી જ્યાં રહે છે તે દિલ્હી અને યોગીના ઉત્તરપ્રદેશમાં સ્ત્રીઓ ઉપર સૌથી વધુ અપરાધ થાય છે. એક પરદેશી સમાચાર પત્રએ આવા ક્રાઇમની હકીકતો આપીને મથાળું લખ્યું હતું: રેપ ઑફ દ્રૌપદી: વ્હાય ઇન્ડિયન ડેમોક્રસી હેઝ ફેઇલ્ડ વીમેન. ભારતમાં દ્રૌપદી એક એવું પાત્ર છે જેનો અનુકૂળતા અને સુવિધા મુજબ ઉપયોગ થાય છે. દ્રૌપદી સામાન્ય રીતે પ્રેરણાસ્રોત (રોલ મોડેલ) રહી નથી, એ સન્માન સીતાને જાય છે.

દ્રૌપદીનું ચીરહરણ પણ એ જ અપરાધ માટે કરાયું હતું, જેમાં એણે પાંચ પતિ સ્વીકાર્યા હતા. એમ તો દ્રૌપદીનાં ચીરહરણને લઇને પણ સંદેહ વ્યક્ત થયેલ છે. મહાભારતમાં ચીરહરણ એક પ્રમુખ ઘટના છે. એના કારણે જ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું. ભીમે આ અપમાનનો બદલો લેવા દુર્યોધનની જાંઘ ચીરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને એટલે જ કૃષ્ણએ દ્રૌપદીનાં ચીર પૂરીને ઇજ્જત બચાવી હતી. બે નિષ્ણાતો, ડૉ. પ્રદીપ ભટ્ટાચાર્ય અને સત્ય ચૈતન્યે ચીરહરણની ઘટનાની છાનબીન કરીને એવો તર્ક રજૂ કર્યો છે કે દુર્યોધનની સભામાં દ્રૌપદીને વાળથી પકડીને બેઇજ્જત કરાઇ હતી, પરંતુ મહાભારતના મૂળગ્રંથમાં એનું વસ્ત્રાહરણ કરાયું હોવાના સંદર્ભ મળતા નથી, અને શક્યત: મહાભારતના પાછળથી આવેલા પાઠમાં એ ઘટના ઉમેરવામાં આવી હતી.

ડૉ. પ્રદીપ ભટ્ટાચાર્ય કોલકાતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં છેલ્લાં 15 વર્ષથી બોર્ડ મેમ્બર છે અને મહાભારતમાં સંશોધનમાં પીએચ.ડી. છે. સત્ય ચૈતન્ય મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે અને જમશેદપુરની બિઝનેસ સ્કૂલ તથા મુંબઇની ઝેવિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ ફેકલ્ટી છે.  ડૉ. પ્રદીપ ભટ્ટાચાર્ય વિવિધ પુરાણો અને મહાભારતની શરૂઆતની આવૃત્તિનો સંદર્ભ આપીને કહે છે કે મહાભારતના પાંચમા ઉદ્યોગ પર્વમાં દ્રૌપદીએ કૃષ્ણની મદદ માગી તેનો ઉલ્લેખ છે, પરંતુ એમાં વસ્ત્રાહરણની વાત નથી.

4થી સદીના ભાસના દુતવાક્યમમાં, શિવપુરાણમાં, કે દેવી ભાગવતમાં પણ દ્રૌપદીને વાળથી ઢસડીને લાવવાની વાત છે, પરંતુ ચીરહરણનો ઉલ્લેખ નથી. ભટ્ટાચાર્યનો તર્ક એવો છે કે પાછળથી એક યા એકથી વધુ જ્ઞાની સંપાદકોએ ચીરહરણનો પ્રસંગ ઉમેર્યો હોય એવું શક્ય છે. સત્ય ચૈતન્યનો તર્ક એવો છે કે જૂગટું રમવાનો પ્રસંગ 60મા પ્રકરણમાં આવે છે, અને 67મા પ્રકરણમાં દ્રૌપદીને સભામાં લાવવામાં આવે છે. એના 35મા શ્લોકમાં દ્રૌપદીનું વસ્ત્ર સરી જવાનો (અને નહીં કે ખેંચી લેવાનો) ઉલ્લેખ છે.

37મા શ્લોકમાં દ્રૌપદી દુ:શાસનને વિનંતી કરે છે કે એને ઢસડવામાં ન આવે, વસ્ત્રહીન કરવામાં ન આવે (મા મા વિવસ્ત્રમ કરું, મા વિર્કર્શીહ) મતલબ કે દ્રૌપદીનું વસ્ત્રહરણ એને વાળથી ખેંચીને લાવવામાંથી થયેલી ઘટના છે. અંગ્રેજીના પ્રોફેસર ઇન્દ્રજિત બંદોપાધ્યાયે આ બંને સંશોધનો વાંચ્યાં છે, અને એ ત્રીજો આયામ પ્રસ્તુત કરે છે. બંદોપાધ્યાય કહે છે,  ચીરહરણની મિથ હાવી થયેલા (ડોમિનેન્ટ) ઇતિહાસમાંથી આવે છે અને જે વૈકલ્પિક (ઓલ્ટરનેટિવ) ઇતિહાસ છે, તે નજરઅંદાજ થયો છે.

બંદોપાધ્યાયના મતે આપણે મહાભારતને રાજકીય ઇતિહાસ તરીકે જોવાને બદલે સમૂહ સાયકોલોજી અને રાજાઓ અથવા શાસકોની સાયકોલોજી વચ્ચે ભેળસેળ કરી દીધી છે. એ રીતે ચીરહરણની ઘટના રાજનીતિક રૂપથી ગલત (પોલિટિકલી ઇન્કરેક્ટ) છે, અને કૌરવો માટે જ નુકસાનકારી છે. બીજું દુર્યોધન, કર્ણ, દુ:શાસન અને શકુનિ રોડ-સાઇડ રોમિયો કે બળાત્કારીઓ નથી. પૂરા મહાભારતમાં એવો એક પ્રસંગ નથી જ્યાં આ ચારે જણાએ કોઇ સ્ત્રીની છેડતી ય કરી હોય.

ઇતિહાસ અથવા મિથ ઉપર પ્રચલિત મનોભાવની બહુ અસર હોય છે. બંદોપાધ્યાય કહે છે કે મહાભારતની મૂળ કહાનીના સ્થાને દુર્યોધન તરફી કવિઓએ યુધિષ્ઠિરની પ્રતિષ્ઠા ઓછી કરવા દ્રૌપદીને દાવ ઉપર મૂકવાની ઘટના પેશ કરી હોય અને પાંડવો તરફ સહાનુભૂતિ ધરાવતા કવિઓએ દુર્યોધનને નીચો પાડવા દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ ઉમેર્યો હોય તે શક્ય છે. મહાભારત, જે મૂળભૂત રીતે સામાજિક-રાજકીય વ્યવસ્થા અને પ્રશાસનમાં શુદ્ધતા અને શિષ્ટાચારનો રાષ્ટ્રીય નિર્માણનો ગ્રંથ છે, તે જનસાધારણ સાયકોલોજીના પ્રભાવમાં નાટ્યાત્મકતા અને મનોરંજનનું સાધન બનીને રહી ગયો છે.

અને એટલે જ, દ્રૌપદી અને એનું ચીરહરણ પણ શાસકો માટે વખત આવે વગાડવાની વાંસળી બની ગયું છે. બાકી, જ્ઞાનપીઠ વિજેતા બાંગ્લા લેખિકા મહાશ્વેતા દેવીએ જ્યારે એમની ‘દ્રૌપદી’ને પોતાના જખમને ઉઘાડા કરવા માટે વસ્ત્રો ફગાવતી અને બેધડક નગ્ન થતી બતાવી હતી ત્યારે આ જ આપણા શાસકોને એ માફક આવ્યું ન હતું.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 30 અૅપ્રિલ 2017

Loading

મા-બાપ બાળક સાથે પુસ્તકો વાંચીને તેમનામાં વાંચન માટેની ઇચ્છા જગાડી શકે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 April 2017

રવિવાર ત્રેવીસ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન હતો

અમેરિકામાં જિમ ટ્રિલીઝ નામના પત્રકાર, શિક્ષણ સલાહકાર અને વક્તાએ 1979થી ત્રીસેક વર્ષ સુધી ‘રીડ અલાઉડ મૂવમેન્ટ’ ચલાવી હતી. આ ઝુંબેશ બાળકોને પુસ્તકો મોટેથી વાંચી બતાવવાથી તેમનાં ઘડતરમાં થતા બહુ મોટા લાભ લોકોને સમજાવવા માટેની હતી. ટ્રિલીઝ મેસેચ્યુસેટસના ‘ધ સ્પ્રિન્ગફીલ્ડ’ અખબારમાં ફીચર લેખક અને સ્પોર્ટ્સ કાર્ટૂનિસ્ટ હતા. ઉપરાંત તે શનિવાર-રવિવારે કનેક્ટિકટ રિવર વૅલી વિસ્તારની શાળાઓમાં બાળકો સાથે સમય ગાળતા, જેમાં તે પત્રકારત્વની કારકિર્દી અને કાર્ટૂનિંગ ઉપરાંત બાળકોનાં પુસ્તકો વિશે વાતો કરતા. આ દરમિયાન તેમના ધ્યાનમાં આવતું ગયું કે અભ્યાસ માટેનાં અનિવાર્ય વાચન સિવાય બાળકો ફક્ત આનંદ માટે ભાગ્યે જ કંઈ વાંચે છે. ટ્રિલીઝના શબ્દોમાં કહીએ તો તેમને  એ જાણવા મળ્યું કે ‘દર ત્રણ બાળકે બે બાળકો કાં તો વાંચી શકતાં નથી, અથવા તો વાંચતાં નથી અથવા તો વાચન તેમને બિલકુલ ગમતું નથી’. તેમણે એ પણ નોંધ્યું કે ‘જે શાળાઓમાં બાળકોને પુસ્તકો મોટેથી વાંચી બતાવવામાં આવે છે ત્યાં વાતાવરણ સારું રહે છે, અને જે ઘરોમાં આ કરવામાં આવે છે ત્યાં પરિવાર જીવનની ગુણવત્તા વધુ સારી હોય છે.’ બાળકને પુસ્તક વાંચી બતાવવાનું કામ શાળામાં શિક્ષક અને ઘરમાં મા-બાપ ઉત્તમ રીતે કરી શકે. એટલે ટ્રિલીઝે આ બંને વર્ગો અને બાળકોને સાથે લઈને રીડ અલાઉડ અભિયાન હેઠળ વાચન-વાતચીત-ચર્ચાના કાર્યક્રમો કર્યા, જે અમેરિકામાં ઠીક લોકપ્રિય બન્યા. યુરોપમાં પોલૅન્ડે ટ્રિલીઝના મૉડેલને અપનાવીને ચલાવેલા ‘ઑલ પોલન્ડ રીડસ ટુ કિડસ’ અભિયાનમાં દેશના ત્રીજા ભાગના મા-બાપ જોડાયાં.

અભિયાનને આધારે ટ્રિલીઝે ‘ધ રીડ-અલાઉડ હૅન્ડબુક’ (1982) નામનું સવાબસો પાનાંનું પુસ્તક લખ્યું જે બેસ્ટસેલર બન્યું, અનેક ભાષાઓમાં પણ પહોંચ્યું. તે અત્યારે પણ સુલભ છે અને ટ્રિલીઝ બ્લૉગ પણ લખે છે.  પુસ્તકના મુખપૃષ્ઠ પર લખ્યું છે : ‘અ બુક ફૉર એવરિ પેરેન્ટ, ડિસ્કવર ધ જૉઇઝ ઑફ રીડિંગ અલાઉડ ટુ ચિલ્ડ્રન’, એટલે કે આ એવું પુસ્તક છે કે જેમાંથી દરેક મા-બાપને તેમનાં બાળકોને પુસ્તકો વાંચી સંભળાવવાનો આનંદ હાથ લાગે. વળી આ પુસ્તકમાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવાં જેવાં ત્રણસોથી વધુ અંગ્રેજી પુસ્તકોની સૂચિ  પણ સમાવવામાં આવી છે. પુસ્તકની પ્રસ્તાવનમાં ટ્રિલીઝ કહે છે કે ‘ધિસ ઇઝ નૉટ બુક ઑન ટીચિંગ યૉર ચાઇલ્ડ હાઉ ટુ રીડ. ઇનસ્ટેડ ઇટ ઇઝ અ બુક ઑન ટીચીંગ યૉર ચાઇલ્ડ ટુ વૉન્ટ ટુ રીડ’. એટલે કે ‘તમારા બાળકને કેવી રીતે વાંચવું એ શીખવવા માટેનું આ પુસ્તક નથી, આ પુસ્તક બાળકને પુસ્તક વાંચવાની ઇચ્છા રાખતાં શીખવવા માટેનું પુસ્તક છે.’

પુસ્તકના પહેલા પ્રકરણ ‘વ્હાય રીડ અલાઉડ?’માં ટ્રિલીઝ શિક્ષણ તેમ જ કમ્યુિનકેશનનાં અનેક અહેવાલો અને અભ્યાસોને સરળ ભાષામાં રજૂ કરે છે. તે વાચકના ગળે ઊતારે છે અંગ્રેજ લેખક ગ્રેહામ ગ્રીને લખેલી વાત : ‘આપણા જીવન પર પુસ્તકોની કોઈ ઊંડી અસર પડતી હોય તો માત્ર બાળપણમાં’. પછીના પ્રકરણ ‘વ્હેન ટુ બિગિન રીડ અલાઉડ’ની શરૂઆતમાં જ ટ્રિલીઝ કહી દે છે : ‘તમે બાળક છ મહિનાનું થાય ત્યારથી એની સાથે વાંચવાનું ચોક્કસ ચાલુ કરી શકો.’ તે આગળ સમજાવે છે આ તબક્કે આપણને ‘અન્ડરસ્ટૅન્ડિન્ગ’ નહીં પણ ‘કન્ડિશનિંગ ધ ચાઇલ્ડ ટુ યૉર વૉઇસ અ‍ૅન્ડ ટુ બુક્સ’ એ બાબત અગત્યની છે. લેખક અમેરિકાની છોકરી કુશલા યોમનનો કિસ્સો વર્ણવે છે. તે ચાર મહિનાની હતી ત્યારે તેનાં મા-બાપે તેને પુસ્તકો વાંચી બતાવવાની શરૂઆત કરી. કુશલા નવ મહિનાની થઈ ત્યારે તો તે પોતાના મનગમતા પુસ્તક તરફ આંગળી ચીંધતી થઈ. પાંચ વર્ષે તે બધું જાતે વાંચતી થઈ. કુશલાના કિસ્સો વધુ નાટ્યાત્મક એટલા માટે છે કે તે રંગસૂત્રોની ખામી સાથે જન્મી હતી, જેને કારણે તેની બરોળ, મૂત્રપિંડ અને મોંના પોલાણમાં ખોડ આવી હતી. તે ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી રાત્રે બે કલાકથી વધુ ઊંઘી શકતી નહીં અને હાથમાં કશું પકડી શકતી નહીં. ડૉક્ટરોએ તેને શારિરીક અને માનસિક રીતે વિકલાંગ જાહેર કરીને એવાં બાળકો માટેની સંસ્થામાં દાખલ કરવા જણાવ્યું. પણ કુશલાનો પુસ્તકો માટેનો લગાવ જાણતાં મા-બાપ ડૉક્ટરોનું ન માન્યાં. એને બદલે તેઓ દીકરીને વાંચી બતાવવાનો ‘ડોઝ’ ચૌદ પુસ્તકો પર લઈ ગયાં. કુશલા પાંચ વર્ષની થઈ ત્યારે તો મનોવૈજ્ઞાનિકોએ તેને સાધારણ બાળકો કરતાં વધુ બુદ્ધિશાળી બાળકી ગણાવી. આ કિસ્સો ટ્રિલીઝે ડોરોથી બટલરના સંશોધિત પુસ્તક ‘કુશલા એન્ડ હર બુક્સ’ પરથી ટાંક્યો છે. ચાર પ્રકરણોમાં ટ્રેલીઝ અનુક્રમે મોટેથી પુસ્તક વાંચી બતાવવાના તબક્કા, વાચનમાં શું કરવું અને ન કરવું તે,  સારા વાચનની પદ્ધતિ અને ઘરના પુસ્તક સંગ્રહ તેમ જાહેર ગ્રંથાલયો વિશે સમજાવે છે. ટ્રેલીઝ એક આખું પ્રકરણ ટેલિવિઝનથી થતા નુકસાન અને તેનાથી બાળકોની દૂર રાખી કિતાબોમાં મશગુલ કેવી રીતે રાખી શકાય તેના માટે ફાળવે છે,જે દરેક મા-બાપે વાંચવાં જેવું છે.

આપણે ત્યાં થોડાક અપવાદો બાદ કરતાં મોટાં ભાગનાં મા-બાપ સહિત ઘરનાં લોકો ટેલિવિઝન અને હવે મોબાઇલ કે વૉટસ અ‍ૅપમાંથી બહાર આવતાં નથી. ઘરમાં અખબારો, સામયિકો અને પુસ્તકો ભાગ્યે જ હોય છે. મોટેરાં જે કરે તે દરેક બાબતનું બાળક અનુકરણ કરે છે, તેની છાપ બાળકના માનસ પર અંકાય છે અને તે મુજબ તે ઘડાય છે. બાળકને ઘરમાં હંમેશાં કે વારંવાર વાંચતી વ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. એટલે જેને જોઈને બાળકને વાંચવાંનું મન થાય તેવું તેની સામે કોઈ હોતું નથી. મોટેરાં પોતે વાંચતા રહે તો મોટે ભાગે બાળક પણ વાંચતું થાય છે. આવા વાંચતા વડીલો, ખાસ તો મા-બાપ બાળકો સાથે બેસીને વાર્તા-કવિતા સાથે મોટેથી સારી રીતે વાંચે તે બહુ જરૂરી છે.

અમદાવાદના ‘ઇસરો’ના એક મરાઠી વૈજ્ઞાનિકે તેમની દીકરીને ગુજરાતી માધ્યમમાં ભણાવી. તે દીકરી અત્યારે ચેન્નઈની ગણિત સંશોધનની સંસ્થામાં અધ્યાપક છે. એમની દીકરી મરાઠી કેવી રીતે શીખી ગઈ તેનું વર્ણન આ સ્નેહી કરે છે. દીકરી એકાદ વર્ષની હતી ત્યારથી એ અને એમનાં પત્ની દીકરી સાથે બાળકો માટેનાં જુદાં જુદાં સ્તરનાં પુસ્તકો વાંચતાં. વાર્તાની ચોપડીઓ તો ખરી જ મંગેશ પાંડગાવકર, જ્ઞાનપીઠ સન્માનિત કુસુમાગ્રજ ને વિંદા કરંદીકરની બાળકો માટેની કવિતાઓ પણ વાંચતાં. એક વખત એ દીકરીને દાદા-દાદી પાસે મૂકીને બહારગામ ગયાં હતાં. ત્યાં તેમને સાને ગુરુજીની અમર કથા ‘શ્યામચી આઈ’નું એક નાનકડું મરાઠી પુસ્તક મળ્યું. ઘરે આવીને તે પુસ્તક દીકરીને જોવા આપીને જમવાં ગયાં. ઓરડામાં પાછા આવીને જોયું તો દીકરી જાતે એ પુસ્તક મોટેથી ખુશીથી વાંચી રહી હતી. એને મા-બાપે ક્યારેય મરાઠી મૂળાક્ષરો કે એવું કશું કોઈ રીતે દેશીહિસાબ કે પાટી-પેન વડે શીખવ્યું જ ન હતું. માત્ર તેને બાજુમાં બેસાડીને પાનાં પર પંક્તિઓ નીચે આંગળી મૂકી-મૂકીને મીઠાશથી  પુસ્તકો વાંચ્યાં જ હતાં! 

++++++

19 એપ્રિલ 2017

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 21 અૅપ્રિલ 2017] 

Loading

નિંભર રાજકારણીઓ અને તેમની આજ્ઞાધારી પોલીસ નલિયા અને માંડવીનાં દુષ્કર્મો અંગે ન્યાય ક્યારે કરશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 April 2017

મહિલાઓ પરના અત્યાચારો અંગે તંત્ર લગભગ નિષ્ક્રિય જણાય છે…. 

કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક હિંમતવાળી યુવા સર્વાઈવર ન્યાય માટે લડી રહી છે. ત્યાં તાજેતરમાં એક વ્યાપક સેક્સકાંડ ચાલી ચૂક્યું છે. એ બંને બાબતો હવે સાવ અજાણી નથી. ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ’ નામનું જૂથ યુવતીને ન્યાય મળે અને સેક્સકાંડના દુષ્કર્મીઓને સજા થાય તે માટે લડત ચલાવી રહ્યું છે. મંચને હમણાં બીજાં એક દુષ્કર્મની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો આવ્યો છે. એ ઘટના તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામની. લોકોને ઓછી જાણકારી હોય તેવા આ બનાવ અંગે મંચની એક ટુકડીએ તાજેતરમાં માંડવીની મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં ગયા શનિવારે અમદાવાદમાં જાણીતી મહિલા સંસ્થા ‘અવાજ’ના સંકુલમાં સંમેલન યોજ્યું હતું. તેમાં માંડવીના મૃત પીડિતાનાં પરિવારજનો, રાજ્યભરની પંદરેક સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ અગ્રણી નાગરિકો જોડાયાં હતાં.

ભાવનગરથી આશરે સો કિલોમીટર પરના આઠ-દસ હજારની વસ્તીવાળા માંડવી ગામના પચાસેક વર્ષનાં ભાવનાબહેન ભગવાનભાઈ ખેનીનો, માથામાં ઇજા સાથેનો મૃતદેહ પહેલી ડિસેમ્બરે ગામની સીમમાંથી મળ્યો. તેમની પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પણ નોંધાયું. પંદરેક દિવસ સુધી કોઈ ધરપકડ ન થતાં લોકો તેમ જ પાટીદાર, દલિત, ઓ.બી.સી. અને અન્ય સંગઠનો ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ મૃત પીડિતાનાં પરિવારને મળ્યા બાદ પોતપોતાની રીતે ઉગ્ર વિરોધની શરૂઆત કરી. તેને પગલે શાસક પક્ષના અગ્રણીઓએ આ બનાવ અંગે નાર્કો ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી. એટલું જ નહીં તેમણે સહુ વિરોધીઓને પરિવાર વતી નિવેદનો આપવાં કે ઉપવાસ પર ન ઊતરવાની હાકલ પણ કરી ! દરમિયાન વિરોધીઓએ ત્રણ કથિત આરોપીનાં નામ પત્રકાર પરિષદમાં જાહેર કરીને સી.બી.આઈ.ને તપાસ સોંપવાની માંગણી કરી. સરકારે કેસની તપાસ ભાવનગર રેઇન્જ ઇન્સ્પેક્ટર જનરલને સોંપી અને એક શકમંદની ધરપકડ કરવામાં આવી.

ત્રણ મહિના પછી 28 માર્ચે આ બનાવના સાક્ષી પિસ્તાળીસ વર્ષના ધીરુભાઈ ગુજરાતીએ આપઘાત કર્યો. તેમના પત્નીએ કરેલી ફરિયાદ અનુસાર ધીરુભાઈને પોલીસ તપાસ માટે વારંવાર બોલાવતી અને ખૂબ મારતી. આ શારિરીક અને માનસિક ત્રાસથી તેમણે આપઘાત કર્યો. ભાવનગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટના કહેવા મુજબ દુષ્કર્મ અને હત્યાના સાક્ષી ધીરુભાઈએ તેમનાં નિવેદન વારંવાર બદલ્યાં હતાં. તે માટે દબાણ આવતું હોવાની શક્યતા પણ તેમણે જણાવી. ધીરુભાઈના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પોલીસની ધરપકડ અને તપાસની બીજી એજન્સીને સોંપણી એવી માગણીઓ અંગે કલેક્ટરે ખાતરી આપ્યા પછી છ દિવસ બાદ પરિવારે નમતું જોખ્યું. દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરતના વરાછા રોડ પરનું હીરા બજાર ચોથી એપ્રિલે બંધ રહ્યું. એ જ દિવસે ધીરુભાઈના આપઘાત માટે જવાબદાર ગણીને એક પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી.

માંડવી બનાવની તપાસ માટે છેક એકત્રીમી માર્ચ અને સોળમી એપ્રિલે જવા માટે અંગે મંચના આગેવાન અને સંમેલનના સંચાલક મીનાક્ષીબહેન જોષીએ દિલગીરી વ્યક્ત કરી. અલબત્ત, સોળમી ફેબ્રુઆરીએ રચાયેલો આ મંચ એ નિસબત ધરાવતાં લોકોનું કદાચ એકમાત્ર જૂથ છે કે જે ઇન્સાની  સરોકારથી યૌન અત્યાચારની તપાસને ધક્કો મારતું રહ્યું હોય. મંચ સર્વાઈવર્સની મુલાકાતો, પોલીસ અને સરકાર સામે રજૂઆતો, દેખાવો, સભાઓ કરતો રહે છે. કોઈ રાજકીય પક્ષ, વગદાર જૂથ, ઉદ્યોગ સમૂહ, સમૃદ્ધ એન.જી.ઓ.નો ટેકો ન લેનાર મંચના સંસાધનો અને પહોંચ ઓછાં છે. સમય આપનાર કાર્યકર્તાઓ તેમ જ વકીલોની જરૂર સતત રહે છે. સભાઓ માટેની મંજૂરી, સ્થળ ,વક્તાઓ, દસ્તાવેજોની નકલો, પત્રિકાઓની છપામણી, તપાસ મુલાકાતો માટેનાં વાહનો સુધીની અનેક બાબતોમાં ઘણી મુશ્કેલી પડે છે. પોલીસ અને સરકારી અધિકારીઓનું વર્તન એકંદરે જડ, તોછડું અને ચૂપકીદીભર્યું હોય છે.

આવા અવરોધો વચ્ચે પણ મંચે માંડવી ઘટનાની તપાસ કરી. તેમાં જોડાયેલાં ‘ગણતર’ના નિરુપમાબહેને જણાવ્યું કે પોલીસે ગામને પાદર બનાવેલી ચોકીમાં અત્યાર સુધી 170 લોકોની પૂછપરછ કરી છે. પણ ભાવનાબહેન અને ધીરુભાઈ બંનેના અપમૃત્યુની એફ.આર.આઈ.માં જે કુલ સાત નામ છે તેમાંથી કોઈ પૂછપરછ કરી નથી. જે એકમાત્ર વ્યક્તિની ધરપકડ કરી છે તે નિર્દોષ હોવાની સંભાવના છે. ભાવનાબહેન પરનાં દુષ્કૃત્ય પહેલાં અહીં આઠ-દસ કિસ્સા બની ચૂક્યા છે. ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનના રિમ્મીએ જણાવ્યું કે નલિયાની જેમ અહીં પણ પોલીસ અમારા વાહનોનો પીછો કરતી રહી હતી. ભાવનાબહેનાનાં પરિવારના તુલસીભાઈએ જણાવ્યું કે પોલીસ પાસે તપાસ અંગે માહિતી પૂછવા જઈએ ત્યારે તે કહે છે કે ‘તમને આ ઉઘરાણી સિવાય કશું આવડતું નથી’. ધીરુભાઈના ભાઈ વલ્લભભાઈએ કહ્યું, ‘મારા ભાઈને પોલીસ અવારનવાર લઈ જતી અને મારપીટ કરતી. કોઈ આરોપી પકડાય નહીં, આખા ઘરને ખોટા ખોટા હેરાન કરે. ભાઈને દિવસે પોલીસવાળા લઈ જાય અને રાતે ગામવાળા લઈ જાય, બંને બોલવા માટે દબાણ કરે.’

ભાવનગરના નીતિન ઘેલાણીએ માંડવીમાં કેટલાંક આસામાજિક તત્વોના ત્રાસથી અનેક સાધનસંપન્ન કુટુંબોએ પણ સૂરત હિજરત કરી હોવાનું જણાવ્યું. ભાવનગરના વરિષ્ઠ નાગરિક અને પૂર્વ અધ્યાપક દમયંતીબહેન મોદીએ જણાવ્યું કે જેલમાં પૂરવામાં આવેલ આરોપી, કથિત આરોપીના પરિવાર, ગામ લોકોની મુલાકાતમાંથી કશું જાણવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. વળી તેમણે શહેરના કેટલાક વિસ્તારમાં મહિલાઓની વારંવાર થતી જાતીય સતામણીના અત્યારના તેમ જ ભૂતકાળના કિસ્સાની વાત કરી. કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં મીનાક્ષીબહેને તેમની સંસ્થાએ નલિયા અંગે જે તપાસ કરી તેની ટૂંકી માહિતી આપી. એ દુષ્કર્મ સામે મંચે ચલાવેલી ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિલપરના ગ્રામ સ્વરાજ સંઘના પ્રતિનિધી દિનેશભાઈ સંઘવીએ ‘રાજ્યના વેચાઈ ગયેલા તપાસ તંત્ર’ પર પસ્તાળ પાડી અને નલિયાની સર્વાઇવર તેમ જ તેના જીવનસાથીને  બિરદાવ્યાં. તદુપરાંત નલિયાકાંડ અંગે લાખો રૂપિયાની અખબારી જાહેરખબરો આપી તપાસ અને ન્યાય પ્રક્રિયાને અસર પાડવાની કોશિશ કરતાં ‘કચ્છ લડાયક મંચ’ સામે  તેમણે પણ મીનાક્ષીબહેનની જેમ લાલબત્તી ધરી.  

નલિયા અંગે જાગેલ લોકમતને કારણે સોળમી માર્ચે રાજ્ય સરકારે વિધાનસભામાં તપાસપંચની જાહેરાત કરી હતી. મંચના જણાવ્યા મુજબ આ પંચનું જાહેરનામું ક્યાં ય ઉપલ્બ્ધ નથી. સરકારે એની વ્યાપક પ્રસિદ્ધિ કરી નથી, તેની કોઈ કાર્યવાહી નજરે પડી નથી. એટલે સરકારે એમાં કાર્યાન્વિત થવું જોઈએ, અથવા ‘આ પંચનું – ન્યાયનું ફારસ બંધ કરી દેવું જોઈએ’ એવું મંચ માને છે. નલિયાની એક ફરિયાદી પીડિતા ઉપરાંત પાંત્રીસ બહેનોનાં પાંસઠ પુરુષોએ કરેલા જાતીય શોષણના પુરાવા તરીકે વિપક્ષના નેતા તથા નાયબ મુખ્યમંત્રી પાસેથી સી.ડી. તાત્કાલિક ધોરણે મગાવી લેવામાં આવે એવી માગણી પણ મંચે કરી છે. 

એમ પણ માનવામાં આવે છે કે નલિયા અને માંડવી બંનેમાં થયેલા મહિલાઓ પરના અત્યાચારની તપાસ પ્રક્રિયા કોમો અને પક્ષોનાં બહુ નિંભર રાજકારણમાં અટવાઈ છે. તાજેતરમાં ગુજરાતના સર્વોચ્ચ પોલીસ અધિકારી એક મહિલા બન્યાં છે ત્યારે પૂછવાનું થાય : ‘હર બાર કિસી ભી હાલાત મેં / ઔરત હી બેઇજ્જત ક્યું ?’  

+++++++

27 એપ્રિલ 2017

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 અૅપ્રિલ 2017] 

Loading

...102030...3,4323,4333,4343,435...3,4403,4503,460...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved