Opinion Magazine
Number of visits: 9584560
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું ગુજરાતી, ગુજરાતી ભાષા સાચવી શકું તો ય ઘણું

રમેશ કોઠારી|Opinion - Opinion|5 March 2017

કોઈ ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડતાં, તે અંગેનાં કારણોની સમીક્ષા કરવા જે-તે પક્ષ દ્વારા ‘ચિંતનશિબિર’ યોજવામાં આવે છે. પણ ઘરડાઘરમાં મૂકવામાં આવેલી વૃદ્ધા જેવી અવદશાપ્રાપ્ત માતૃભાષાને તેનો યોગ્ય દરજ્જો મળી રહે, તેને પુનઃ ગૌરવ મળે, તેની ગોદમાં બેસી હાશકારો અનુભવાય, તે માટે શાસનકર્તાઓ દ્વારા કેમ કોઈ ચિંતનશિબિર યોજાતી નથી? નરસિંહ મહેતાથી નિરંજન ભગત સુધીના શબ્દ-સ્વામીઓએ તેનું જતન અને સંવર્ધન કરી, તેને લાડ ન લડાવ્યાં હોત, તો તેનું શું થયું હોત, તેનો વિચારમાત્ર અકળાવી દે છે.

સ્વીકારવી ન ગમે એવી વાસ્તવિકતા એ છે કે, ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાની છાંટ ધરાવતી ભાષાની વાત તો બાજુએ રહી પણ સાચું, જોડણીની ભૂલ વિનાનું લખવા માટે (ભાષાના અધ્યાપકો સહિત) મોટા ભાગના અસમર્થ જણાય છે.

પોતે ગાંધીબાપુ માટે અનહદ માન ધરાવે છે, તેનો ઢંઢેરો પીટવા અને સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા રાજકર્તાઓ, શિક્ષકો માટે આદેશ બહાર પાડે છે, ‘અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ ખાદી પહેરવી પડશે.’ જે આદર્શ છે, તેને માટેનો કાયમી ધોરણે આગ્રહ શા માટે નહીં? શિક્ષકો વળતો પ્રહાર ન કરી શકે, ‘અઠવાડિયામાં એક દિવસ ભ્રષ્ટાચાર નહીં, સત્તાનો દુરુપયોગ નહીં’? અઠવાડિયામાં એક વાર શિષ્ટ, ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો પડશે.

કાવ્યસર્જનમાં પ્રવૃત્ત કોઈ કવિએ રાજાના સેવકો, ધર્મગુરુઓ અને સંસ્કૃિતના સ્વનિયુક્ત રખેવાળોના સંભવિત હુમલાના ભયથી એક પછી એક કાવ્યપંક્તિનો નાશ કર્યો, ત્યારે આ નષ્ટ પંક્તિઓ પૂછવા માંડી, ‘ન્યાયાધીશો દ્વારા ન્યાયની હત્યા થતી હોવાનું સાંભળ્યું હતું. પણ તમે ય હત્યારા ક્યારથી થઈ ગયા?’

બોગસ પદવી ધરાવનારા, બિનસંવેદનશીલ, સમસ્યાને આડે પાટે ચઢાવી દેવામાં માહેર, જાડી ચામડીના, નપાવટ રાજકારણીઓ કૌભાંડોની ફાઇલો સાચવે કે માતૃભાષા સાચવે? કોઈ રાજકારણી તાર સ્વરે જાહેર કરે ‘અમે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું’ ત્યારે અસહ્ય પીડા થાય છે. ભવિષ્યમાં ‘અમે મોદીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું,’ એમ સાંભળવા મળે તોયે આશ્ચર્યમિશ્રિત પીડા જ થવાની.

દૂર અમેરિકા જેવા દેશોમાં સ્થાયી થયેલા, પોતાના વ્યવસાયમાં અતિ વ્યસ્ત, જેમનો મને અપ્રત્યક્ષ પરિચય છે તે દાક્તરમિત્રે, મોકલાવેલ તેમના પુસ્તકમાં, ગુજરાતી ભાષામાં આવેલાં સ્થિત્યંતરોની વિશદ છણાવટ બાદ વર્તમાન રાજકારણીઓ કેવી નિમ્ન કક્ષાની વાતો કરે છે, અધમ ભાષાનો પ્રયોગ કરે છે, તે અંગે બળાપો ઠાલવ્યો છે, જે આપણો પોતાનો જ હોય તેમ લાગે છે. તેમના જ શબ્દોમાં ‘મને લાગે છે કે રાજકર્તાઓનો સેમિનાર રાખીને પ્રજા સમક્ષ, શાણા માણસોની જેમ કેવી રીતે પ્રવચન આપવું, તે શીખવવું જોઈએ. નેતાઓનું વક્તવ્ય વાસ્તવિક, સત્ય, વિવેકી, સંવેદનશીલ અને ભાઈચારામાં વૃદ્ધિ કરતું હોવું જોઈએ. જેમ શાણા મનુષ્યને ભાન છે કે ‘કોને કહેવું? ક્યાં કહેવું? કેટલું કહેવું?’ તેમ વિચારીને આપણા નેતાઓએ શાણા થવું જ પડશે. પોતાની જાતનું, પોતાના સ્થાનનું, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતી આ વ્યક્તિઓને સમજદાર કેવી રીતે લેખી શકાય? મહત્ત્વનો હોદ્દો મેળવવા, પક્ષના વડા પ્રત્યે વફાદારી વ્યક્ત કરવા, ટિકિટ મેળવવા બકવાસ કરતા નિર્લજ્જ નેતાઓ હાંસીપાત્ર તો હતા જ, હવે ધિક્કારપાત્ર બની ગયા છે.”

ધર્મગુરુ, રાજનેતા, અધ્યાપક પાસેથી નાગરિકોને ચોક્કસ અપેક્ષાઓ હોય છે, ભાષા પર પણ બળાત્કાર ગુજારવાનો અધિકાર તેમને કોણે આપ્યો વારુ?

જાતજાતના ઉત્સવોના તાયફા પાછળ કરોડોનું આંધણ કરનારા શાસકોને શું માતૃભાષા પ્રત્યે એટલો અણગમો છે કે તે માટે થોડા ઘણા નાણાં ય ન ફાળવી શકે ? તેને અભ્યાસક્રમમાં અન્ય વિષયો જેટલું જ મહત્ત્વ ન આપી શકે ? વાણિજ્ય કે વિજ્ઞાનના વિષયો સમક્ષ તેણે લાચારી શા માટે અનુભવવી પડે?

બી.એસ.પી. એટલે ‘બહેનની સંપત્તિપાર્ટી’ કહેનારને કોઈ પણ કહી શકે તે તમારા પક્ષનાં જ બહેનની સંપત્તિ વિશે તમારે શું કહેવાનું છે?

એક જમાનો હતો, જ્યારે લોકો નેહરુ, માવળંકર, જયપ્રકાશ નારાયણ, લોહિયા, કૃપાલાની વગેરેને હોંશે-હોંશે સાંભળતા હતા. એમનાં વક્તવ્યોમાં સંવેદના ભળી હોવાને કારણે તે સ્પર્શી જતાં હતાં. મેદની ભેગી કરવા નાણાં કે સત્તાનો ઉપયોગ થતો નહોતો. આજના નેતાઓને છાશવારે સલાહ આપવાની કુટેવ પડેલી જોતાં તેને ‘An Age of Advice’ નામ આપી શકાય. ‘શિક્ષકો કામચોર છે. મર્યાદિત વેતનમાં ‘ઘર ચલાવવામાં શું ચૂંક આવે છે?’ બસ આટલું જ કહેવાનું મન થાય છે. વૈદ્ય, તું તારો ઇલાજ કર!’

વિશ્વ માતૃભાષાદિને ઈશ્વરને પ્રાર્થના કે શાસકોનું બૌદ્ધિક સ્તર ઊંચું આવે, તેમના વિશે બાહ્ય જગતમાં જે કંઈ લખાય છે કે બોલાય છે તે સમજી શકે, ગરીબડી બની ગયેલી ગુજરાતીને તેમના જેટલી જ સમૃદ્ધ બનાવે. આપણે એમની પાસેથી સુશાસનની અપેક્ષા રાખવાનું છોડી દીધું છે, પણ મલિન, હલકટ, નિમ્નસ્તરની ભાષા વડે આપણા કાનને તો ન બગાડે. આટલી સેવા તો કરો. સાહેબો, હોપ નામના અંગ્રેજે ‘હોપ ગુજરાતી પાઠમાળા’ અભ્યાસક્રમમાં દાખલ કરાવી હતી. હૂપાહૂપ કરતાં વર્તમાન શાસકો પાસેથી આવી ‘હોપ’ રાખી શકાય ?

તા.ક. : સેવાભાવીની મારા પ્રિ. યાજ્ઞિકસાહેબ પાસેથી મળેલી વ્યાખ્યા – જેને બીજાની સેવા મેળવવાનું ભાવે છે તે સેવાભાવી.

ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૭; ડીસા / અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 12 

Loading

યુગપરિચય

'કૃષ્ણાદિત્ય'|Poetry|5 March 2017

પરિભાષા
સારા શબ્દોમાં
આ અનુ-સત્યયુગ
ના કળિયુગ.

*

‘પોસ્ટ-ટ્રુથ’
ચાલો જપીએ
અસત્ય એ જ તથ્ય
યુગમંત્ર જે.

*

કળિયુગ
માનવી જાણે
જંતર, ફરે જેમ
કળ ફેરવ્યાં.

*

વસુધૈવ કુટુંબકમ્
કોણ બોલે છે
માણસ કે પોપટ
ફેર પડે છે.

*

શૂરાનો મારગ
વાર તો લાગે
અહિંસાને મારગ
વેર ના જાગે.

બોસ્ટન

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 15

Loading

આઝાદી પછીનો આપણો સ્વરાજધર્મ કયો?

ડંકેશ ઓઝા|Opinion - Literature|5 March 2017

આજે તે દિવસો વહી ગયા છે. કારણ ધર્મોમાંથી જાણે ધાર્મિકતા જ ચાલી ગઈ છે. હવે આર્ય, બૌદ્ધ, યહૂદી, ઇસ્લામ વગેરે સર્વ ધર્મો માનવતાની અદાલતમાં આરોપી બનીને હાજર થયા છે. ધર્મને નામે એટલી સંકીર્ણતા ફેલાવા લાગી છે, એટલો મનુષ્યદ્રોહ થઈ રહ્યો છે કે આજે એકેએક ધર્મ ન્યાયાધીશને બદલે આરોપીના સ્થાને આવી ગયા છે. હવે ધાર્મિકતાને જ ધર્મોના સકંજામાંથી ઉગારવાની ઘડી આવી પહોંચી છે.

– કાકા કાલેલકર

દર્શકના એટલે કે મનુભાઈ પંચોળીના ‘સ્વરાજધર્મ’ (૧૯૯૬) પુસ્તક વિશે વિગતે વાત કરતાં પહેલાં લેખકનો આપણે પરિચય કરી લેવો જોઈએ. ગુજરાતી સાહિત્યના આ અગ્રગણ્ય સાહિત્યકાર અને કેળવણીકાર છે. પિતા પ્રાથમિક શિક્ષક હતા. મનુભાઈએ કિશોરવયે ૧૯૩૦ના સત્યાગ્રહમાં ભાગ લેવા શાળાનો અભ્યાસ નવમા ધોરણ પછી છોડી દીધો. દક્ષિણામૂર્તિ અને આંબલામાં ગૃહપતિ અને શિક્ષક તરીકે ઘડાયા પછી ૧૯૫૩માં સણોસરા ખાતે લોકભારતીની સ્થાપના અને સંચાલનમાં તેઓ જોડાયા. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા અને ૧૯૭૦માં બહુ ટૂંકા ગાળા માટે ગુજરાતના શિક્ષણમંત્રી પણ થયેલા.

તેઓ જાણીતા છે તેમની નવલકથા અને નાટકો માટે, પરંતુ તેમણે સાહિત્ય અને ચિંતન બંને દ્વારા સતત વ્યાપક લોકશિક્ષણ કર્યું છે.

તેમની ‘વાચનકથા’ અને ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ બહુ જાણીતાં છે.  વાચનકથાની સંવર્ધિત આવૃત્તિ વખતે આપણા જાહેર બૌદ્ધિક અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે પ્રસ્તાવનામાં લખ્યું છે : તરુણ ‘દર્શક’ને સમાજવાદ પ્રત્યે લગાવ હતો, જે તેમને સામ્યવાદી અંતિમો સુધી ન લઈ જઈ શક્યો. પ્રસ્તાવનાકારના શબ્દો છે કે “તેઓ જરૂર નસીબદાર છે કે માર્ક્સની અપીલ ઝીલવા છતાં એમને માર્ક્સવાદની મૂઠ વાગી નહીં.” સમાજના અન્યાયો અને વિષમતાઓની આર્થિક-તાર્કિક મીમાંસા એ કર્મઠ ‘દર્શક’નો એક સ્વાધ્યાયવિશેષ રહ્યો છે.

આવા ‘દર્શક’ વિશે દાદા ધર્માધિકારીએ એક વ્યાખ્યાનમાં એવું કહેલું કે “આપણા આ મનુભાઈના હાથપગ રચનાત્મક કાર્યકરના છે, એમનું મસ્તક જ્ઞાની અને રાજકારણીનું છે અને એમનું હૃદય સાહિત્યકારનું છે.”

ભારતે સ્વરાજ મેળવ્યું. પરંતુ આજે પણ લાગે છે કે એવું કે ભારતે પોતાનો સ્વરાજધર્મ જાણ્યો-પિછાણ્યો નથી. આઝાદ ભારતમાં લઘુમતીના ધર્મસ્થાનને બહુમતીથી ખુલ્લેઆમ ધ્વસ્ત કરે એવું ઝનૂની ધર્માભિમાન ૧૯૯૨માં જોવા મળ્યું, ત્યારે મનુદાદાએ ન્યૂ જર્સી, અમેરિકાથી જે લેખ લખ્યો છે, તે આખા પુસ્તકને ગતિ પૂરી પાડનારો છે. તેમણે ટાગોરને યાદ કરીને લખ્યું છે કે “રાષ્ટ્રવાદ, ધર્મવાદ, જાતિવાદ કે વંશવાદ અને સંસ્કૃિતવાદ સર્વોપરી નથી જ નથી. માણસનું બલિદાન માગનારા આ વિચારો મધ્યયુગના અંધારયુગનો વારસો છે, જે આ પ્રકાશયુગમાં ન ચાલે.” તેઓ આ પુસ્તકમાં તારસ્વરે વારંવાર કહેતા રહ્યા છે : ભૂતકાળમાં થયું તેને આજે શું સંબંધ છે ? આજે કોઈ મુસલમાન હિન્દુ મંદિર તોડવા આવે છે? આજે કોઈ હિન્દુ બૌદ્ધ સ્મારક તોડવા આવે છે? ના. તો આપણા પૂર્વજોએ જે ભૂલો કરી તેને ચાલુ રાખી તેની સજા આજે જે ભૂલો નથી કરતા તેમને માથે મૂકવાની શી જરૂર?”

તેમણે સતત ધર્મ, સંસ્કૃિત, લોકશાહી, સેક્યુલરિઝમ, રાજ્ય અને તેની જવાબદારી આ બધા વિશે પાયાની સમજ આપતાં-આપતાં નરકના ભય અને સ્વર્ગની લાલચ બંનેથી વિરુદ્ધ અને વિપરીત એવા સ્વરાજધર્મની સ્થાપના કરવાનો સબળ પુરુષાર્થ નાના-નાના લેખો દ્વારા આ પુસ્તકમાં કર્યો છે. ધર્મ(સંપ્રદાય)ના નામે ચાલતું રાજકારણ એ વિભાજક છે. ‘એવું થયું તો રાષ્ટ્ર ગયું’ એમ તેઓ ભારપૂર્વક કહે છે.

મુસ્લિમ લઘુમતી સામે બહુમતીનો વિરોધ, એની ચર્ચા તો તેઓ કરે જ છે, પરંતુ ઉર્દૂ શબ્દો અને ઉર્દૂ ભાષાનો વિરોધ કે પૂર્વગ્રહ પ્રગટ થતો જુએ છે, ત્યારે લખે છે કે ‘ઉર્દૂ જાણે (કેવળ) મુસ્લિમોની ભાષા હોય એમ માની નવો હિન્દુ કોમવાદ મુસ્લિમવિરોધ ઉર્દૂ તરફ વાળે છે. આ અવૈજ્ઞાનિક અને ઉત્પાતિયો કોમવાદ છે.’

આપણા દેશમાં આજકાલ ધાર્મિક પુરુષોનું વર્ચસ્વ વધતું જાય છે. યજ્ઞો, રથયાત્રાઓ, જ્ઞાતિ અને પેટાજ્ઞાતિનાં સંમેલનો, સંતમેળાઓ વગેરે ધર્મને નામે લોકમાનસને ઉશ્કેરવાના અને ધર્મ ભયમાં છે, તેમ કહી સંગઠિત કરવાના ઊહાપોહથી વાતાવરણને ક્ષુબ્ધ કરી રહેલ છે. ‘એક બાજુ વવાય છે અને બીજી બાજુ ઉખેડાય છે.’ એક બાજુ વૈજ્ઞાનિકતાની સ્થાપના થાય છે, બીજી બાજુ અવૈજ્ઞાનિક માન્યતાઓનું પ્રસ્થાપન થાય છે. દાદાની શૈલી પોતાની આગવી છે. તેઓ લખે છે : જાણે ઉનાળો આવ્યો છતાં શિયાળાનાં કપડાં પહેરવાનું ચાલુ રાખ્યું. આજનું આ બિનજરૂરી, અવૈજ્ઞાનિક વલણ એ સમાજને પાછો લઈ જવાનો પ્રત્યાઘાતી પ્રયાસ છે, તેમ કહેવું જોઈએ. ધર્મ સમાજમાં ભેદ કરે છે, રાજ્ય સમાજના બધાને જોડે છે. આજે ધર્મ તોડનારું બળ છે, નાગરિકતા જોડનારું બળ છે. જે રાજ્યદંડ શિથિલ હાથે પકડે છે તે, જગ્યા માટે લાયક નથી. રાજ્યનું મુખ્ય લક્ષણ કશા ભેદભાવ વિના કાયદાનું પાલન કરાવવાનું છે કે અને ન કરે, તો તેને નશ્યત કરવાનું છે.

ઇતિહાસ અને સંસ્કૃિતના અભ્યાસી અને સંશોધક એવા દર્શકે આ પુસ્તકમાં છેલ્લું પ્રકરણ ‘સાદો હિન્દુધર્મ’ નામે લખ્યું છે, જે પચ્ચીસ પાનનું છે. તેમાં હિન્દુધર્મનાં સનાતન મૂલ્યોને તેમણે ખૂબ જ તર્કપૂત રીતે ઉજાગર કર્યાં છે. જોડે તે ધર્મ, તોડે તે અધર્મ, એ વાત પર ભાર મૂક્યો છે.

પુસ્તકની પ્રસ્તાવના આપણા જાણીતા બિનસાંપ્રદાયિક અને બુદ્ધિનિષ્ઠ ચિંતક યાસીન દલાલે લખી છે. તેમણે ‘દર્શક’ના સમતાવાદી ધર્મતત્ત્વવિચારને પુરસ્કાર્યો છે અને આવકાર્યો છે. દર્શક મસ્જિદ હટાવીને મંદિર બાંધવાના વિરોધી છે. રામમંદિરના વિરોધી નથી. રાજજન્મભૂમિ અયોધ્યામાં હોવાનું એકમત નથી તેથી પણ ત્યાં મંદિર બાંધવાના તેઓ તરફદાર નથી. યાસીન દલાલ તો તેથી પણ આગળ જાય છે. તેમનું સૂચન એવું છે કે બાબરી મસ્જિદ સામે ચાલીને હિન્દુસમાજને સોંપી દેવી જોઈએ. આનાથી બે કામ થાય : હિન્દુ-મુસ્લિમ તંગદિલી ઘટે અને ભા.જ.પ. જેવા રાજકીય પક્ષો આવી સમસ્યાનો ગેરલાભ ઉઠાવતા બંધ થઈ જાય.

‘દર્શક’ એક રાજકારણી હોવા છતાં બાંગ્લાદેશમાં ઘૂસીને મુજીબૂર રહેમાનને મદદ કરવાના મતના નથી. તેમનો તર્ક હતો કે મુજીબૂર રહેમાન જતા રહેશે અને મુલ્લાંશાહી કાયમ થશે. તસ્લિમા નાસરીનની જે દશા બાંગ્લાદેશે કરી, તેમાં ‘દર્શક’ના વિચારનો પુરાવો મળે છે. બાંગ્લાદેશની ધર્મપરસ્ત લોકશાહીનો પડદો ચીરનાર તસ્લિમાને ‘દર્શક’ ‘બાંગ્લાદેશની માર્ટિન લ્યૂથર’ કહે છે.

એ તો એક અફીણ છે, સત્તાવાળાઓએ ગરીબોનો કબજો રાખવા માટે યોજેલ કપટ છે. પણ મનુદાદાનું સંશોધન છે કે આ અધૂરું વાક્ય છે, તેના પછીનું વાક્ય ખરું મહત્ત્વનું છે, જે કોઈ વાંચતું નથી. તે એવું છે કે “આ નિર્દયી દુનિયામાં ધર્મ એક જ દયાભરી જગ્યા છે.” માર્ક્સનું વાક્ય હતું : ઇટ વોઝ ધી હાર્ટ ઑફ ધી હાર્ટલેસ વર્લ્ડ. નિર્બલ કે બલરામ, કઠોરજગતમાં એ જ હૃદય હતું. કંઈ પાકતું ન હતું, રોગો હતા, ભયત્રસ્તતા હતી, બહારવટિયા હતા, કંઈ-કંઈ હતું. એ વખતે તે કઠોરતા વચ્ચે ખરું હૃદય તે આ ધર્મ હતો. ટૂંકમાં, દર્શકે ધર્મની સનાતનતા અને તેની કાળબદ્ધતા, બંનેને ઘણી તટસ્થતાથી સમજાવી છે. તેઓ ધર્મને અંતતોગત્વા માનવીય ઇતિહાસનું એક વિધાયક પરિબળ માને છે.

એકંદરે આજે આઝાદભારતમાં લોકો હજુ નાગરિકમાં પૂરેપૂરા વિકસિત થતા નથી, થયા નથી, ત્યારે તેમનો નાગરિક ધર્મ કે સ્વરાજધર્મ શો છે એ સમદૃષ્ટિપૂર્વક દર્શાવવાનો, ચીંધવાનો ઉત્તમ પુરુષાર્થ દર્શકે આ લેખો દ્વારા કર્યો છે. દેશના ભાન ભૂલેલા રાજકારણીઓને પણ તેમાંથી સાચી દિશાનો સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય તેમ છે, જો તેઓ દાદાની વાત કાને ધરે તો.

‘સ્વરાજધર્મ’, લેખક – ‘દર્શક’, રંગદ્વાર પ્રકાશન, યુનિવર્સિટી પ્લાઝા, અમદાવાદ-૩૮૦ ૦૦૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 13-14 

Loading

...102030...3,4323,4333,4343,435...3,4403,4503,460...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved