Opinion Magazine
Number of visits: 9456713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરું હ્રદય છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|26 November 2024

સ્નેહ વરસાવ સાવ કોરું હ્રદય છે,

દ્વાર ખખડાવ શુદ્ધ ભીરું હ્રદય છે.

સ્હેજ આગળ વળાંક પાસે ઊભી છે,

પગ ઝડપથી ઉપાડ ધીરું હ્રદય છે.

ઝાંઝવા નેઝવે તરંગે ચડ્યા છે,

બે ધડક નામ બોલ ન્યારું હ્રદય છે.

નાવને લાંગરી કિનારે ઊભો છું,

રાત અજવાળ ચાંદ કેરું હ્રદય છે.

ફૂલની ખુશ્બૂ ભર્યો ગુલશન છે,

લાલ જાજમ બિછાવ પ્યારું હ્રદય છે.

e.mail : addave68@gmail.com

Loading

એક નૂર આદમી હજાર નૂર કપડાં? છતાં સફળ લોકો કેમ એક જ પોષાક પહેરે છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 November 2024

રાજ ગોસ્વામી

તાજેતરમાં અવસાન પામેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટા, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, એપલ કંપનીના સ્થાપક (સ્વર્ગસ્થ) સ્ટીવ જોબ્સ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે એક વાતનું સામ્ય છે; તે સૌ વર્ષો સુધી એકનાં એક કપડાં પહેરતા હતા. 

40 વર્ષના ઝકરબર્ગ માટે તો એવું કહેવાય છે કે 2004માં તેણે ફેસબુકની શરૂઆત કરી ત્યારથી તેણે તેનો પોષક બદલ્યો નથી; તે રોજ ગ્રે ટી-શર્ટ અને હૂડી પહેરે છે. સ્ટીવ જોબ્સ, જાપાનીસ ફેશન ડિઝાઈનર ઇસ્સે મિયાકેએ બનાવેલું બ્લેક ટર્ટલનેક શર્ટ અને બ્લુ જીન્સ પહેરતા હતા. તમને તેઓ ભાગ્યે જ બીજાં કપડાંમાં જોવા મળશે. બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ મોટાભાગનો સમય ગ્રે અથવા બ્લુ સૂટ પહેરતા હતા.

વીસમી સદીના જીનિયસ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગ્રે રંગના અનેક સૂટ ખરીદી રાખ્યા હતા, એટલે રોજ સવારે શું પહેરવું તે વિચારવામાં સમય ના બગડે. તેમને પગમાં ચંપલ પહેરવાનું પણ પસંદ હતું. આપણા લાડીલા ગીતકાર ગુલઝાર કાયમ સફેદ કૂર્તામાં જ હોય છે. તે તેમની ‘સિગ્નેચર સ્ટાઈલ’ બની ગઈ છે. 

જે લોકો રોજ નવાં કપડાં પહેરતાં હોય, તેમના માટે એ સમજવું બહુ અઘરું હોય છે અમુક સફળ અને જીનિયસ લોકોને એકનો એક પોશાક પહેરવાનો જરા ય કંટાળો નથી આવતો, કારણ કે મોટાભાગના લોકો માટે નવાં કપડાં પહેરવાં એ એટલું નોર્મલ છે જેટલું બ્રશ કરવું કે ન્હાવું. 

વાસ્તવમાં, એકનાં એક કપડાં પહેરવાં એ આપણા જેવા, જેમનાં કબાટ પ્રકાર-પ્રકારનાં વસ્ત્રોથી ભરાયેલાં છે, તેમના કરતાં વધુ સામાન્ય છે. ઉપર તો ખાલી જાણીતા લોકોનાં જ ઉદાહરણ આપ્યાં છે, પરંતુ એવા લાખો લોકો છે જે ઓછાં કપડાંમાં જીવન ગુજારે છે, કારણ જીવન જીવવા માટેની બીજી પ્રાથમિકતાઓ તેનું સ્થાન લઇ લે છે.

મનોવૈજ્ઞાનિકો પણ આ વાતને સમર્થન આપે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આપણે દરરોજ લગભગ નાના-મોટા 10,000 થી 40,000 નિર્ણયો લઈએ છીએ. આનો અર્થ એ થયો કે તમે ઓછા મહત્ત્વનાં કામો પાછળ જેટલી વધુ વૈચારિક ઊર્જા ખર્ચો, તેની અસર મહત્ત્વના નિર્ણયો લેવાની પ્રક્રિયા પર પડે છે. 

ઝકરબર્ગ આ વાતની સાબિતી છે. એક પત્રકારે એકવાર તેને તેના ગ્રે ટી-શર્ટ અને હૂડી અંગે પ્રશ્ન પૂછ્યો હતો અને તેણે કહ્યું હતું કે, “હું રોજ સવારે ઊઠીને (ફેસબુક પર જોડાયેલા) એક અબજથી વધુ લોકો માટે કામ કરું છું. હું જો મારા જીવનની ફાલતું ચીજોમાં સમય બરબાદ કરું તો મને એવું લાગે કે હું મારું કામ બરાબર કરતો નથી. ફેસબુકના સમુદાયને લગતા વિચારો પર હું એટલો સમય આપું છું કે બીજી બાબતોના નિર્ણયો કરવા ના પડે તે લાભદાયી રહે છે.”

આને મનોવિજ્ઞાનની ભાષામાં, ‘ડિસિઝન ફટીગ’ (એટલે કે, નિર્ણય લેવાની થકાન) કહે છે. મગજ સતત નિર્ણયો કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત રહે, તો ઉત્તરોત્તર તેના નિર્ણયો લેવાની ગુણવત્તા ઘટતી જાય છે. 

ધારો કે તમે રોજ સવારે ઊઠીને, પાંચ-દસ પ્રકારનાં બ્રશમાંથી આજે કયુ બ્રશ વાપરવું તેની પાછળ સમય આપો અથવા અલગ અલગ રંગ અને આકારના દસ-વીસ મગમાંથી આજે ક્યા મગમાં ચા પીવી તેનું મનન કરતા રહો, તો આજે કામ પર જઈને સૌથી પહેલું કયું કામ કરવાનું છે અથવા આજે કોને પહેલાં મળવાનું છે અથવા આજે કઈ સમસ્યાને હલ કરવાની છે જેવી બાબતો પર ધ્યાન આપતાં સુધીમાં મગજ થાક અનુભવવા લાગે છે. સાદી ભાષામાં એમ કહેવાય કે કઈ બાબતો સૌથી અગત્યની છે અને કઈ બાબતો સૌથી ઓછી અગત્યની છે તેનો તફાવત ના કરીએ તો આપણે ડિસિઝન ફટીગનો ભોગ બનીએ છીએ. 

જીનિયસ લોકો એવાં કામોને સમર્પિત હોય છે કે તેમના માટે એક એક દિવસ અથવા એક એક ક્ષણ મહત્ત્વની હોય છે. એટલા માટે નહીં કે તેઓને ઉતાવળ છે, પણ એટલા માટે કે તેઓ માનસિક ઊર્જાને બચાવી રાખે છે અને સમર્પિત કામોમાં આપી દે છે. એટલા માટે તેઓ તેઓ રૂટિન જીવનની એવી ઘણી બાબતોનું બલિદાન કરતા હોય છે, જે આપણા જેવા સાધારણ માણસો માટે સૌથી મહત્ત્વની હોય છે. 

બરાક ઓબામાએ આ સંદર્ભમાં, “વેનિટી ફેર” નામની પત્રિકાને કહ્યું હતું, “તમે મને કાયમ ગ્રે અથવા બ્લુ સૂટમાં જોયો હશે. હું નિર્ણયો ઓછા કરવાની કોશિશ કરું છું. હું શું ખાવું અને શું પહેરવું તેના વિચારો નથી કરતો, કારણ કે મારી પાસે નિર્ણયો કરવા માટેનાં ઘણાં કામ હોય છે. નિર્ણયો લેવાની ઊર્જાનું ધ્યાન રાખવું જોઈએ. નકામી બાબતોમાં ઉલઝી જઈને તમે દિવસ પસાર ના કરી શકો.”

નાનો હોય કે મોટો, દરેક નિર્ણય પાછળ એક સરખી ઈચ્છાશક્તિ ખર્ચાય છે. આજે કાળા રંગના મગમાં ચા પીવી કે આજે નોકરીના ઇન્ટરવ્યુ માટે શું તૈયારી કરવી તે બંને બાબતો એક સરખી રીતે મેન્ટલ સ્પેસ રોકે છે. એક બાબતની અસર બીજી બાબત પર પડે છે. 

માર્કેટિંગવાળા આ વાતને બહુ સારી રીતે સમજતા હોય છે. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે રિટેલ સ્ટોર્સ અથવા મોલ્સમાં કેશિયરના ડેસ્કની આસપાસ ચોકલેટ્સ, ડ્રીંક્સ, ગમ જેવી નાની-નાની વસ્તુઓ કેમ ગોઠવેલી હોય છે? એ સુગમતા માટે નથી. તેમને ખબર છે કે તમે સ્ટોરમાં એક કલાક સુધી ફરીને કંટાળ્યા છો અને હવે સમાન લઈને ઘર ભેગા થવાની ઉતાવળમાં છો. એ વખતે, તમારા મગજને બહુ કષ્ટ ન પડે અને વગર વિચારે બિનજરૂરી ચીજો પણ ઉપાડી લો એટલા માટે એવી નાનો સમાન ‘વ્યૂહાત્મક’ રીતે મુકવામાં આવ્યો હોય છે.

ધારો કે તમારે દર 24 કલાકમાં 100 નિર્ણયો કરવાના હોય છે. તમે શું કરશો? આ 100 માર્ક્સના પરીક્ષાપત્ર જેવું છે. તમે સૌથી ઓછા માર્ક્સવાળા (સૌથી ઓછા મહત્ત્વના) પ્રશ્નને છોડી દેશો, અને સૌથી વધુ માર્ક્સવાળા પ્રશ્નને પહેલાં સોલ્વ કરશો. શું ખાવું, શું પહેરવું, સોશિયલ મીડિયા પર શું જોવું વગેરે ઓછા માર્ક્સવાળા પ્રશ્નો છે. 

આપણે જો આપણા રૂટિનને બને એટલું સાદું અને સરળ રાખીએ, તો આપણે આપણી માનસિક ઊર્જાનો વધુ સકારાત્મક ઉપયોગ કરી શકીએ. એટલા માટે, સવારના ભાગમાં આપણે મોટા ભાગનાં કામો ‘ઓટોમેટિક’ કરીએ છીએ; આપણે એમાં મગજ ચલાવતા નથી. જેમ કે બ્રશ કરવું, ન્હાવું, ચા પીવી, કસરત કરવી અથવા ગપસપ કરવી. આપણે બાકી દિવસ માટે ઊર્જા બચાવીએ છીએ.

બાય ધ વે, એક પત્રકારે ગુલઝારને તેમના સફેદ રંગના કૂર્તા અંગે પૂછ્યું હતું અને તેમણે કહ્યું હતું, “અચ્છા લગતા હૈ. હું છેક કોલેજમાંથી સફેદ વસ્ત્ર પહેરતો આવ્યો છું. મને કલર ગમે છે, પણ હવે હું કલર પહેરું, તો કૃત્રિમ લાગું. જીવનમાં કે કામમાં, હું જેવો છું તેવો  ના લાગું, તો સારું ના કહેવાય.”

(પ્રગટ : “ગુજરાતમિત્ર”, “મુંબઈ સમાચાર”, “ગુજરાત મેઈલ”; 24 નવેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીજીનું પત્રસાહિત્ય

કિરણ કાપુરે|Gandhiana|26 November 2024

કિરણ કાપુરે

આજના ડિજિટલ યુગમાં પત્રો સાહિત્યનું ઘરેણું બની શકે તેવી કલ્પના કરવી મુશ્કેલ છે. પણ ડિજિટલ યુગ અગાઉ પત્રો દ્વારા થયેલું સાહિત્યસર્જન દુર્લભ નહોતું. પત્રોમાં સચવાયેલું કેટકેટલું મળે છે : પરસ્પર સંબંધોના આલેખ, મહાનુભાવોની અંગત લાગણીઓ, ઐતિહાસિક દસ્તાવેજો અને વ્યક્તિગત અનુભૂતિ … એવું ઘણું છે જે માત્ર ને માત્ર પત્રોમાં મળી શકે છે. અને જ્યારે ગાંધીયુગ દરમિયાન લખાયેલા પત્રો તપાસીએ ત્યારે તો તેમાં અમૂલ્ય ખજાનો હાથ લાગે છે. ગાંધીયુગમાં પત્રસાહિત્યનું સર્જન સવિશેષ થયું. એ ગાળામાં સંદેશાઓ પહોંચાડવા-મેળવવા માટે પત્રો મુખ્ય માધ્યમ હતા. આ કારણે તે સમયે લખાયેલા પત્રોની સંખ્યા અગણિત છે. તે કાળે એટલા પત્રો લખાયા કે તેનાં સારા પ્રમાણમાં પુસ્તકો તૈયાર થયાં છે.

ગાંધીયુગમાં પત્રની દુનિયામાં કોઈ વ્યક્તિ બાકાત રહેતી નથી. સરદાર પટેલ જેવા આગેવાન પણ નહીં. સરદાર પટેલનું પોતાનું લખાણ ખૂબ ઓછું છે, પરંતુ તેમનો પત્રવ્યવહાર વિપુલ છે. આ પત્રો સરદાર પટેલના વ્યક્તિત્વ, જે-તે સમયની ઘટનાઓ સંબંધિત તેમનાં વિચાર-કાર્યોને સમજવા માટે અગત્યનો દસ્તાવેજ છે. વિભાજન અને આઝાદીના સમય દરમિયાન સરદાર દ્વારા લખાયેલા અને તેમને મળેલા પત્રોની સંખ્યા અંદાજે દસેક હજાર છે. આ પત્રો ગ્રંથ સ્વરૂપે દુર્ગાદાસે વિષયવાર સંપાદિત કર્યા છે. વિભાજન-આઝાદીની ઘટનાઓને સમજવી હોય તો દુર્ગાદાસ સંપાદિત સરદાર પટેલ્સ કોરસ્પોન્ડ્ન્સના દસ ગ્રંથોમાંથી પસાર થવું પડે. આ ગ્રંથોમાં સરદાર પટેલના ગાંધી અને નેહરુ સાથેના આખરના વર્ષોના સંબંધોનો પણ આલેખ મળે છે. પત્રોની વાત થાય ત્યારે તેમાં ગાંધી, નેહરુ, સરદાર સિવાય ડૉ. રાજેન્દ્રપ્રસાદ, સી. રાજગોપાલાચારી, ડૉ. આંબેડકર, વિનોબા ભાવે, કાકાસાહેબ કાલેલકર અને ભગતસિંઘ જેવા અનેક આગેવાનોનાં નામ મૂકી શકાય.

વ્યક્તિની ઓળખ માટે પત્રો ખૂબ ઉપયોગી થઈ શકે અને ગાંધીજીના કિસ્સામાં પણ તે સાચું હતું; તે વાત કાકાસાહેબે લખી છે. પ્રેમાબહેન કંટકને સંબોધીને ગાંધીજીએ લખેલા પત્રોને સમાવતાં બાપુના પત્રો પુસ્તકની પૂર્વભૂમિકામાં એક ઠેકાણે કાકાસાહેબ લખે છે : “બાપુજીના પત્રોમાં ડગલેપગલે એમની જીવનસાધના પ્રગટ થાય છે. પોતાને ભૂલી જવું, શૂન્ય થઈને રહેવું, પોતાના દોષો જોવા, બીજા લોકોના ગુણ જોવા, પોતા પ્રત્યે કઠોર થવું, બીજા પ્રત્યે ઉદાર થવું, જેઓ દૂર છે તેમને સમજવા સવિશેષ પ્રયત્ન કરવો, વગેરે વગેરે વસ્તુઓ એમના લેખોમાં બહુ જોવામાં નહીં આવે તે એમના કાગળોમાં વિશેષ રૂપે દેખાય છે. … નિકટના સાધક હોય અથવા જેમને આશ્રમના આદર્શ પ્રમાણે તેઓ કેળવવા માગતા હોય, તેમને ઉદ્દેશીને લખેલા કાગળોમાં બાપુજી પોતાને અને પોતાની સાધનાને ઉત્કટ રીતે પ્રગટ કરે છે.” પોતાના દોષ જોવાની વાત કાકાસાહેબ લખે છે તે ઘટના ગાંધીજીના જીવનમાં પંદર વર્ષે બની હતી, જેને લઈને તેમણે તેમના પિતાને ચિઠ્ઠી લખી હતી. આ ઘટના જાણીતી છે; જેમાં તેમણે તેમના ભાઈનું પચીસ રૂપિયાનું કરજ પતાવવા માટે સોનાના કડામાંથી એક ટુકડો કાપવાની ચોરી કરી હતી. પણ પછી આ વાત અસહ્ય થઈ પડી અને આખરે ગાંધીજી આત્મકથામાં લખે છે : “છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી.” પત્ર લખવાના આ ક્રમને પછીથી ગાંધીજીએ એટલો નિયમિત બનાવ્યો કે પત્રો તેમના જીવનનું અભિન્ન અંગ બની રહ્યા. ગાંધીજીનો અક્ષરદેહના પ્રથમ ગ્રંથમાં સંપાદક એટલે ટાંકે છે કે, “પત્રવહેવારમાં તેઓ [ગાંધીજી] બહુ નિયમિત હતા. વિચાર કરી જવાબ આપવાને લાયક એક પણ પત્ર એવો ભાગ્યે જ હશે જેનો તેમણે જાતે જવાબ આપ્યો નહીં હોય. પોતાના અંગત અને ખાનગી સવાલોને લગતા કાગળો અનેક માણસો તેમને લખતા; તેમના પત્રવહેવારનો ઘણો મોટો ભાગ આવા પત્રોનો રહેતો અને તે બધાના તેમણે આપેલા જવાબોમાંથી એવી જ જાતના સવાલોમાંથી મૂંઝાતા લોકોને કીમતી દોરવણી મળે છે. પોતાના જીવનના મોટા ગાળા દરમિયાન તેમણે શૉર્ટહૅન્ડ લખનાર અથવા ટાઇપિસ્ટની મદદ લીધી નથી. પોતાને જે કંઈ લખવાની જરૂર પડતી તે તેઓએ પોતાને હાથે લખવાનું ચાલુ રાખ્યું.” કેળવણી કે માર્ગદર્શન માટે ગાંધીજીના પત્રોનો ઉલ્લેખ જેમ મળે છે; તેમ તેમના અસંખ્ય પત્રો જાહેર પ્રશ્નો વિશે પણ છે. આ પત્રોનો દોર તેમના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન જોવા મળે છે. આફ્રિકાનાં શરૂઆતી વર્ષોમાં તેમણે સ્થાનિક અખબારોને હિંદીઓ સાથે અન્યાય સંબંધે પત્રો લખ્યા છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાના સંસ્થાનના પદાધિકારીઓને, મંત્રીઓને, બ્રિટિશ એજન્ટને, હિંદ સરકારને અને હિંદના આગેવાનોને પણ લખેલા પત્રો છે. આ ક્રમ તેમણે હિંદુસ્તાન આવ્યા પછી પણ જાળવ્યો છે. તેમના જીવનમાં પત્રોની સંખ્યા જવલ્લે જ ઓછી થતી દેખાય છે. પત્રો દ્વારા સતત અન્ય લોકોના સંપર્કમાં રહ્યા છે. જેલમાંથી પણ તેમણે મંજૂરી મળી હોય ત્યારે પત્રો લખ્યા છે. પત્રોની સંખ્યા તેમના જીવનકાળમાં ઘણી વાર એટલી વધારે છે કે તેની નોંધ ગાંધીજીનો અક્ષરદેહના સંપાદકોએ પ્રસ્તાવનામાં ઉલ્લેખી છે. ગ્રંથક્રમાંક છની પ્રસ્તાવનામાં નોંધ છે કે, ‘આ લખાણોમાં મૂળ ગુજરાતીમાં લખેલા પત્રો અને લેખોનું પ્રમાણ વધારે છે.’ જાહેરજીવનમાં ગાંધીજીના કેટલાક ઉકેલ પણ પત્રવ્યવહારને આભારી છે. ૧૯૧૧ના માર્ચમાં તેમના અને દક્ષિણ આફ્રિકાના પદાધિકારી જનરલ સ્મટ્સ વચ્ચેના પત્રવ્યવહારથી હિંદીઓ સાથે થઈ રહેલા અન્યાય અંગેનાં સમાધાનો માટે માર્ગ મોકળો થયો હતો.

હિંદુસ્તાન આવ્યા બાદ લોકો સાથેનો તંતુ તેઓએ પત્રવ્યવહાર થકી ઓર મજબૂત બનાવ્યો. ભારત આવ્યા બાદ તુરંતના ગાળામાં ગાંધીજી દ્વારા લખાયેલાં લખાણોને સમાવતાં ૧૪મા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ છે : “આ ગ્રંથનું નોંધપાત્ર લક્ષણ એમાંના પુષ્કળ પત્રો છે. એ ત્રીજા ભાગથી પણ વધારે જગ્યા રોકે છે. આ પત્રો ભારતના અને દક્ષિણ આફ્રિકાના તેમના સ્વજનો, સહકાર્યકર્તાઓ અને સાથીઓને, તથા મિત્રો, જાહેર કાર્યકર્તાઓ, વિદ્વાનો, તંત્રીઓ, તમામ કક્ષાના સરકારી અધિકારીઓ અને બધાં જૂથોના રાજદ્વારી પુરુષોને લખાયેલા છે.” જાહેરજીવનમાં અનેક માહિતીઓ લોકો સુધી પહોંચાડવા પણ ગાંધીજીએ પત્રોનો ઉપયોગ કર્યો છે. ૧૯૧૯ના અરસામાં જલિયાંવાલા બાગની કત્લેઆમ અને રૉલેટ ઍક્ટની વિરુદ્ધમાં પંજાબમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ રમખાણોની તપાસ કૉંગ્રેસે આદરી હતી, તે માટે બનેલી સમિતિના સભ્ય તરીકે ગાંધીજીએ પંજાબનો પ્રવાસ ખેડ્યો, અનેક લોકોને મળ્યા, જુબાનીઓ લીધી. આ અનુભવને તેમણે નવજીવનમાં ‘પંજાબના પત્રો’ના મથાળેથી બયાન કર્યો હતો. ૧૯૩૨ના અરસામાં તેમણે અસ્પૃશ્યતાવિરોધી આંદોલન ઉપાડ્યું ત્યારે તેમના પત્રોનો ખૂબ મોટો હિસ્સો અસ્પૃશ્યતા સામેની ઝુંબેશ રહ્યો છે. ૧૯૩૫ના શરૂઆતના ગાળામાં તેમણે લખેલાં ૬૪૩ લખાણોમાંથી ૪૩૪ પત્રો છે. ૧૯૪૫માં જ્યારે હરિજન સામયિકનું પ્રકાશન સ્થગિત થયું ત્યારે તેમની લેખનપ્રવૃત્તિ મુખ્યત્વે પત્રવ્યવહાર રહી હતી. દેશનાં વિભાજન-આઝાદીકાળ દરમિયાન પણ સરદાર, નેહરુ, માઉન્ટબૅટન, ઝીણા સાથેનો તેમનો પત્રવ્યવહાર તત્કાલીન ઘટનાક્રમ સમજવા માટે ઉપયોગી છે. ગાંધીજીના જીવનકાળના તમામ પત્રોનું મૂલ્યાંકન તો અહીં થઈ ન શકે. તે માટે અલગથી અભ્યાસ કરવાનો રહે. અત્યાર સુધી તેમના પત્રોનાં પુસ્તકો તૈયાર થયાં છે. પરંતુ તેમના પત્રો વિશે વિસ્તૃત રીતે અભ્યાસ થયો નથી. તેનું એક કારણ તેની ગંજાવર સંખ્યા છે. ઉપરાંત, તેમાં રહેલું વૈવિધ્ય છે. ગાંધીજીએ પરિવાર, સમાજના અગ્રણી, સરકારી પદાધિકારીઓ અને દેશ કટોકટી સમયમાં હતો ત્યારે લખેલા પત્રો એટલા બધા છે કે તેના અભ્યાસ માટે સમયનો ખાસ્સો અવકાશ જોઈએ. આ અગાઉ ગાંધીજીના ચૂંટેલા પત્રોનાં પુસ્તકો થયાં છે. તેમાંનું એક સિલેક્ટેડ વર્ક્સ ઑફ ગાંધી શ્રેણીનું છે. અંગ્રેજીમાં તે પુસ્તક સિલેક્ટેડ લેટર્સ નામે ઉપલબ્ધ છે. તેનું ગુજરાતી ચૂંટેલા પત્રો એ નામે થયું છે. નવજીવન દ્વારા તે પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ ઉપરાંત અંગ્રેજીમાં ગાંધીજીના પત્રો સંબંધિત અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતીમાં છેલ્લાં વર્ષોમાં ગાંધીજીના પત્રસાહિત્ય પરનું કાર્ય નજરે ચઢતું નથી. અને એટલે ગાંધીજીના ચૂંટેલા પત્રો મૂકવાનો અહીં આશય એટલો છે કે વાચકો ગાંધીપત્રસાહિત્યનો પરિચય કેળવે. આ પરિચયથી તેમના પત્રસાહિત્યના વ્યાપનો અંદાજ પણ આવી શકે છે.

અંકમાં પસંદ કરવામાં આવેલા પત્રો વિશેની ટૂંકી ભૂમિકા, પત્ર શરૂ થાય છે તેની બાજુમાં મૂકી છે. પત્રો ક્યાંક સંપાદિત પણ કર્યા છે. પત્રમાં અજાણ્યાં નામ તથા સ્થળના સંદર્ભ પાદટીપમાં આપ્યાં છે. જૂજ સંદર્ભો મળતા નથી. અહીં પસંદ કરેલા પત્રો ગાંધીજીના તમામ પત્રોનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમ છતાં આશા છે કે વાચકો આ પત્રોથી ઘણી માહિતી મેળવી શકશે અને જે-તે મુદ્દા અંગે ગાંધીજીનું વલણ જાણી શકશે. આજના સમયમાં પત્રનો યુગ પૂર્ણ થઈ ચૂક્યો છે તેમ તો ન કહેવાય; પરંતુ પત્રલેખનમાં ઓટ જરૂર આવી છે. ટૅક્નૉલૉજીથી અરસપરસ ઘટેલા અંતરથી હવેના પત્રોમાં ઉત્કટતા પણ ઝળકતી નથી. આશા છે નવા વર્ષ નિમિત્તે આ અંક સૌને ગમશે. નવા વર્ષની સૌને શુભ કામનાઓ.

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, વર્ષ : 12 – સળંગ અંક : 138-39 – ઑક્ટોબર – નવેમ્બર 2024
e.mail : kirankapure@gmail.com 

Loading

...102030...342343344345...350360370...

Search by

Opinion

  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved