Opinion Magazine
Number of visits: 9584343
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુ રાષ્ટ્ર માટેની ભૂમિ કેળવાઈ રહી છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|6 April 2017

મુખ્ય પ્રધાન થયે હજી તો ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં સુધીમાં તો તેમણે હિન્દુત્વ અને વિકાસનું એવું રસાયણ વિકસાવ્યું છે જેવું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વિકસાવી શક્યા નથી. દેશમાં મોદી-મોદીની જગ્યાએ યોગી-યોગી થવા લાગ્યું છે. લોકકલ્યાણની બધી યોજનાઓ પક્ષપાત વિનાની બધા માટે છે, પરંતુ એ સાથે કેટલાક સરકારી કે બિનસરકારી એજન્ડાઓ બહુમતી કોમને ફેવર કરવા માટે અને લઘુમતી કોમને ચેતવણી આપવા માટે છે. સખણા રહેશો તો વિકાસના લાભ પક્ષપાત વગર તમને પણ મળશે, બાકી આ રાજ્ય બહુમતી હિન્દુઓનું છે એ આ નવા રાજકીય રસાયણનો મેસેજ છે

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી કોઈને લાગતું નહોતું કે વિવાદાસ્પદ ધર્મગુરુ યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. એ વિજય નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું અને અમિત શાહના માઇક્રો-મૅનેજમેન્ટનું પરિણામ હતું અને એમાં યોગી આદિત્યનાથનો મોટો ફાળો નહોતો. બીજું, ગોરખપુરની પીઠના ગાદીપતિઓ કટ્ટર હિન્દુત્વવાદી સાવરકરપંથીઓ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં હિન્દુ મહાસભા સાથે તેમનો વધારે સંબંધ રહ્યો છે. યોગી આદિત્યનાથના દાદાગુરુ યોગી દિગ્વિજયનાથ અને ગુરુ યોગી અવૈદ્ય નાથ તો હિન્દુ મહાસભાની ટિકિટ સાથે ચૂંટણી લડતા હતા. અત્યારે હિન્દુ મહાસભાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી એટલે યોગી આદિત્યનાથ હિન્દુ મહાસભા સાથે સીધો સંબંધ ધરાવતા નથી એ જુદી વાત છે, પરંતુ તેમની વિચારધારા તો એ જ સાવરકરવાદી હિન્દુ મહાસભાવાળી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકરનો ઋણી છે, પરંતુ એને સાવરકરપંથીઓ પરવડતા નથી અને તેમનાથી અંતર રાખે છે.

આમ યોગી આદિત્યનાથ ઝાલ્યા ન રહે એવા માણસ છે અને સંઘપરિવારને એનો લાંબો અનુભવ છે. સંઘના સ્વયંસેવકો ઓછા હિન્દુત્વવાદીઓ છે એ માટે તો તેમણે સંઘની ઉપરવટ જઈને સમાંતરે હિન્દુ યુવા વાહિનીની સ્થાપના કરી છે. એમ ધારવામાં આવતું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછી યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીને વિખેરી નાખશે, પરંતુ ધારણાથી ઊલટું તેઓ હિન્દુ યુવા વાહિનીની ઉત્તર પ્રદેશમાં સર્વત્ર શાખાઓ ખોલી રહ્યા છે અને રોજ સેંકડોની સંખ્યામાં યુવકો એમાં જોડાય છે. આ ઉપરાંત બહુ લાંબા નહીં; નજીકના ભૂતકાળમાં યોગી આદિત્યનાથની સંઘના નેતાઓ સાથે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને ખુદ નરેન્દ્ર મોદી સાથે ખટપટ થઈ ચૂકી છે.

તો પછી યોગી આદિત્યનાથને દેશના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્ત્વના રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાની ઘટના બની કેવી રીતે અને કોના કહેવાથી બની એ સવાલ પુછાઈ રહ્યો છે. કેટલાક લોકો કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નરેન્દ્ર મોદીના વધતા પ્રભાવને ખાળવા માટે યોગીને આગળ કર્યા છે. યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી જેવા જ પ્રભાવકારી વક્તા છે, આકરાં વેણ ઉચ્ચારી શકે છે અને આકરાં પગલાં પણ લઈ શકે છે. ખરું પૂછો તો યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી કરતાં વધુ કૃતનિયી છે. આમ નરેન્દ્ર મોદીનો પ્રભાવ ખાળવા માટે સંઘે યોગીને આગળ કર્યા છે. સંઘ સિધાંત: સંઘશક્તિમાં માને છે અને એમાં વ્યક્તિ ગૌણ છે. આમ નરેન્દ્ર મોદીનું વિરાટ બનતું જતું વ્યક્તિત્વ સંઘને માફક આવતું નથી અને તેમને કદ પ્રમાણે વેતરવા તોફાની યોગી આદિત્યનાથને પસંદ કરવામાં આવ્યા છે.

બીજી થિયરી સાપેક્ષવાદની છે. ઉદારમતવાદી (મૉડરેટ) હોવાની છબિ ઉપસાવવી હોય તો આપણા કરતાં વધારા આકરા અને ઝનૂની માણસને ત્રાજવાના બીજા છાબડામાં બેસાડવો જોઈએ. લાલ કૃષ્ણ અડવાણી હતા એટલે અટલ બિહારી વાજપેયી આપણને ઉદારમતવાદી લાગતા હતા અને આજે નરેન્દ્ર મોદીની તુલનામાં અડવાણી ઉદારમતવાદી લાગે છે. હવે નરેન્દ્ર મોદી ઉદારમતવાદી, ધીરજવાન, સમજદાર નેતા છે એવી છબિ વિકસાવવા માટે બીજા છાબડામાં કોઈ જાડા નરની જરૂર છે અને એ માટે યોગીને પસંદ કરવામાં આવ્યા છે.

ત્રીજી સંભાવના વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છું. યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર બન્નેની પસંદ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ ભારતીય હિન્દુઓની ભગવાકરણની ક્ષમતા માપવા માગે છે. લવ-જેહાદ, ગૌરક્ષા, ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ, ગેરકાયદે કતલખાનાંઓ પર પ્રતિબંધ, માંસની નિકાસ પર પ્રતિબંધ વગેરે એક પછી એક હિન્દુત્વવાદી કાર્યક્રમો લાગુ કરીને તેઓ જોવા માગે છે કે એને આમ હિન્દુનું કેટલું અનુમોદન મળે છે. જેમ-જેમ હિન્દુઓનું અનુમોદન મળતું જશે એમ-એમ તેમની હિંમત વધતી જશે અને તેઓ હિન્દુ રાષ્ટ્ર માટેની અનુકૂળ ભૂમિ રચતા જશે. જો તેમની યોજનામાં મોટો ગતિરોધ નહીં આવે તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બધાં કપડાં ફગાવી દઈને હિન્દુ રાષ્ટ્રના નામે ચૂંટણી લડાય તો આશ્ચર્ય નહીં થાય. આમ યોગી આદિત્યનાથ એ પાણી માપવા માટે કરવામાં આવેલી ગણતરીપૂર્વકની પસંદગી છે.

મુખ્ય પ્રધાન થયે હજી તો ત્રણ અઠવાડિયાં માંડ થયાં છે ત્યાં સુધીમાં તો તેમણે હિન્દુત્વ અને વિકાસનું એવું રસાયણ વિકસાવ્યું છે જેવું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વિકસાવી શક્યા નથી. દેશમાં મોદી-મોદીની જગ્યાએ યોગી-યોગી થવા લાગ્યું છે. લોકકલ્યાણની બધી યોજનાઓ પક્ષપાત વિનાની બધા માટે છે, પરંતુ એ સાથે કેટલાક સરકારી કે બિનસરકારી એજન્ડાઓ બહુમતી કોમને ફેવર કરવા માટે અને લઘુમતી કોમને ચેતવણી આપવા માટે છે. સખણા રહેશો તો વિકાસના લાભ પક્ષપાત વગર તમને પણ મળશે, બાકી આ રાજ્ય બહુમતી હિન્દુઓનું છે એ આ નવા રાજકીય રસાયણનો મેસેજ છે. ઉત્તર પ્રદેશના સીમાંત અને મધ્યમ સ્તરના ૨,૧૫,૦૦૦ ખેડૂતોને દેવામુક્ત કરવાની ઘોષણા આ રસાયણ વિકસાવવાની દિશામાં આગલું કદમ છે. કુલ મળીને ૩૬,૩૫૯ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. હવે પછી અનેક દિવસો સુધી દેવામુક્તિના લાભાલાભ વિશે ચર્ચા થતી રહેશે અને એ દરમ્યાન હિન્દુત્વ માટેની અનુકૂળતાનું પાણી હજી કેટલું ઊંડું છે એ ચકાસવામાં આવશે.

આ મૉડલની તુલના કરવી હોય તો ઇઝરાયલ સાથે થઈ શકે અને હિન્દુત્વવાદીઓને ઇઝરાયલની સ્થાપના સાથે જ એનું આકર્ષણ છે. બાકી દરેક અર્થમાં આધુનિક રાજ્ય, બસ થોડું ઓછું અને પક્ષપાતી સેક્યુલર. આખરે બહુમતી પ્રજાને થોડું તો ઝૂકતું માપ મળવું જોઈએને. તેમનો હક છે. તમને જો આ દલીલ ગળે ઊતરતી હોય તો લખી લો, હિન્દુ રાષ્ટ્ર માટેની ભૂમિ કેળવાઈ રહી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૅપ્રિલ 2017

Loading

નવી આરોગ્ય નીતિઃ આવકારની સાથે …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 April 2017

દેશના 70 ટકા શહેરી અને 6૫ ટકા ગ્રામીણ (મોંઘી સારવાર ધરાવતાં) ખાનગી દવાખાના પર જ નિર્ભર છે

રાષ્ટ્રીય ગ્રાહક પંચે તાજેતરમાં મચ્છર કરડવાથી થયેલી બીમારીને કારણે થતા મોતને દુર્ઘટના ગણતો ચુકાદો આપ્યો. આ ચુકાદાથી વીમા કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે. ગુજરાત સરકાર 2022 સુધીમાં રાજ્યને મેલેરિયામુક્ત કરવા દૃઢનિશ્ચયી છે. સરકાર મેલેરિયાપીડિત નાગરિકની ત્વરિત સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરી રહી છે. મચ્છરજન્ય બીમારીના આ તાજા દાખલા દેશમાં અને રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કેવી સ્થિતિ છે તેનાં દ્યોતક છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે દોઢ દાયકાની પ્રતીક્ષા પછી જે નવી આરોગ્ય નીતિ જાહેર કરી, તે સ્વાગતાર્હ છે.

નવી આરોગ્ય નીતિ દેશના તમામ નાગરિકોને શિક્ષણ, અન્ન અને માહિતીના અધિકાર જેવો કોઈ આરોગ્યનો અધિકાર તો નથી આપતી, પણ ગરીબો-વંચિતોને સસ્તી અને યોગ્ય તબીબી સારવારની ખાતરી જરૂર આપે છે. આઝાદીના સિત્તેર વરસે સરકારને લોકોના આરોગ્ય માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પાયાની જરૂરિયાત લાગી છે તે સાચી દિશાની નીતિ છે. 2025 સુધીમાં સરકાર જી.ડી.પી.નો 2.5 ટકા હિસ્સો આરોગ્ય માટે ખર્ચવાનું પણ વચન આપે છે. આ નીતિમાં સરકારે કેટલાક રોગોને ચોક્કસ સમયમર્યાદામાં નાબૂદ કરવાનું કે તેમાં મોટો ઘટાડો કરવાનું પણ નક્કી કર્યું છે. બીમારી પછીની સારવારને બદલે સ્વસ્થ અને તંદુરસ્ત નાગરિક પણ સરકારની પ્રાથમિકતા છે.

દેશના બંધારણ મુજબ આરોગ્ય સંયુક્ત યાદીનો વિષય છે. એટલે કેન્દ્રની આરોગ્ય નીતિનો સ્વીકાર અને અમલ રાજ્ય પર આધારિત છે. પરંતુ હાલમાં દેશમાં જે પ્રકારની આરોગ્યની સ્થિતિ પ્રવર્તે છે તે ચિંતાજનક છે. ડૉક્ટરોની અછત છે તો ખાનગી સારવાર એટલી મોંઘી છે કે તે સામાન્ય માણસને પરવડે તેવી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નો એક અહેવાલ ભારતમાં એક લાખની વસ્તીએ 80 ડૉક્ટરો છે તેમ જણાવે છે. ગામડાઓમાં લોકોની સારવાર કરતા કહેવાતા ડોકટરોમાંથી ત્રીસ ટકા તો યોગ્ય તબીબી ડિગ્રી વિનાના હોવાનું પણ તેમાં જણાવાયું છે.

ગરીબી અને ગંદકી લોકોને થતા રોગોના મૂળમાં છે. તેમાં ડૉક્ટરો અને દવાખાનાંનો અભાવ ઉમેરાતાં પરેશાની વધે છે. દસ હજારની વસ્તી દીઠ દવાખાનામાં માંડ નવ પથારીની સગવડ આપણે ધરાવીએ છીએ. ગરીબ માણસને ખાનગી દવાખાનાની મોંઘી સારવાર પોસાતી નથી અને સરકારી દવાખાનામાં સગવડ નથી. જો ગરીબ કે મધ્યમવર્ગના લોકોને ખાનગી દવાખાને સારવાર કરાવવી પડે તો તેની આર્થિક સ્થિતિ વધારે નાજુક બને છે. જો કે તેનો તે સિવાય છૂટકો નથી, કેમ કે દેશના 70 ટકા શહેરી અને 65 ટકા ગ્રામીણ લોકો ખાનગી દવાખાના પર જ નિર્ભર છે. નવી આરોગ્ય નીતિમાં સૌને માટે સ્વાસ્થ્ય કેટલું અઘરું છે તે આ હકીકત પરથી સમજાય છે.

કલ્યાણરાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો માટે જાહેર આરોગ્ય સાવ જ ઉપેક્ષિત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આરોગ્ય પાછળ નજીવો ખર્ચ કરે છે. જી.ડી.પી.ના છ ટકા જાહેર આરોગ્ય માટે ખર્ચવાના વૈશ્વિક માપદંડથી આપણે ઘણા પાછળ છીએ. હાલમાં ભારત તેના જી.ડી.પી.નો માત્ર 1.04 ટકા જ ખર્ચ આરોગ્ય માટે કરે છે. બ્રાઝિલ જી.ડી.પી.ના 3.8 ટકા, રશિયા 3.7 ટકા અને ચીન 3.1 ટકા ખર્ચ કરે છે. અમેરિકાની ઓબામા હેલ્થ કેર યોજના કે બ્રિટનની 80 ટકા વસ્તીને આવરી લેતી જાહેર આરોગ્ય સેવાઓ અપવાદ છે પણ બાકીના વિશ્વમાં સ્થિતિ સંતોષજનક નથી. હવે ભારત સરકાર 2022 સુધીમાં જી.ડી.પી.ના 2.5 ટકા સુધી પહોંચવા જણાવે છે ખરી, પણ તે ઘણું અપૂરતું છે.

સ્વસ્થ નાગરિકની પાયાની શરત સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા છે. આ બાબતમાં ભારત સાવ જ તળિયે છે. ચોથા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનો તાજો અહેવાલ નોંધે છે કે દેશમાં દર એક હજારે 41 બાળકો જન્મતાં જ મૃત્યુ પામે છે. ઉત્તર પ્રદેશમાં તેનો દર હજારે 64,  છતીસગઢમાં 54, મધ્ય પ્રદેશમાં 51 અને બિહાર-આસામમાં 48 છે. પાંચ વરસની ઉંમરના કુપોષિત બાળકોનું પ્રમાણ દેશમાં 35.7 ટકા છે. પણ દેશનાં ઘણાં રાજ્યો આ રાષ્ટ્રીય સરેરાશથી વધુ ઊંચો દર ધરાવે છે.  બિહારમાં 48.3 ટકા, યુ.પી. 46.3 ટકા, ઝારખંડ 45.2 ટકા, મેઘાલય 43.8 ટકા અને મધ્ય પ્રદેશ 42 ટકા કુપોષિત બાળકો ધરાવે છે. 2025 સુધીમાં સરેરાશ આયુષ્યમર્યાદા વધારીને 70 વરસ કરવાનું લક્ષ નવી આરોગ્ય નીતિનું છે, પણ તેના માટે મોટો પડકાર શિશુ મૃત્યુ દર ઘટાડવાનો છે.

2030 સુધીમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધી બીમારીઓની સારવાર માટે ભારતમાં 41 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે તેવો અંદાજ WHOનો છે. તેના પરથી આરોગ્યની ઉપેક્ષા સરકાર અને સમાજને કેટલી મોંઘી પડી શકે છે તે જણાય છે. રાજકીય ઈચ્છાશક્તિ જો જાહેર આરોગ્યના તંત્રને દૃઢ બનાવવાની નહીં હોય તો તે દેશના અર્થતંત્રને ખોરવી શકે તેમ છે તે સત્ય નીતિનિર્ધારકોએ સમજી લેવાની જરૂર છે. સમયબદ્ધ આયોજન અને પૂરતાં સંસાધનો લગાવીને ડૉક્ટરો અને દવાખાનાની અછત પૂરી કરવાની છે. આ દિશામાં દિલ્હીની આમઆદમી પાર્ટીની રાજ્ય સરકારના મોહલ્લા ક્લિનિકની યોજના ધ્યાનપાત્ર છે. દિલ્હી સરકારે અત્યાર સુધીમાં 107 મોહલ્લા ક્લિનિક શરૂ કરી દીધાં છે. તે 1000 મોહલ્લા ક્લિનિક બાંધવા માગે છે, પરંતુ સૌથી મોટો અંતરાય જમીનનો છે.

હવે સરકારી શાળામાં આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દિલ્હી સરકારને બાંધવા મંજૂરી મળી છે. આ દવાખાનાંમાં તમામ પ્રકારની સારવાર અને તબીબી તપાસ મફત કરવામાં આવે છે. મોટી અને અદ્યતન સાધન સુવિધાથી સજ્જ હોસ્પિટલોની સાથે લોકોની રોજબરોજની જરૂરિયાત માટે ઘરની નજીકના આવાં મહોલ્લા ક્લિનિક ખૂબ જરૂરી છે. એક જમાનામાં તબીબી વ્યવસાય એ સેવાનું ક્ષેત્ર હતો. આજે તે ધંધો બની ગયું છે. સેવાવૃત્તિ અલોપ થઈ ગઈ છે. તબીબી સારવાર એટલી મોંઘી છે કે માંદા પડવું હવે આર્થિક પાયમાલી તરફ લઈ જનારી બાબત બની ગઈ છે. 

હૃદયરોગ સંબંધી બીમારીમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાઈ જાય ત્યારે ડોકટરો જે સ્ટેન્ટ મૂકે છે તેના ભાવ હૃદય બંધ પડી જાય તેટલા લેવાય છે. આ વરસના ફેબ્રુઆરી મહિનામાં તમામ પાસાં વિચારીને કેન્દ્ર સરકારે રૂપિયા સિત્તેર હજારથી બે લાખે અપાતા સ્ટેન્ટનો ભાવ રૂપિયા ત્રીસ હજાર ઠરાવ્યો, તો તેનો ભારે વિરોધ થયો. તેમાં ન ફાવ્યા તો કૃત્રિમ અછત ઊભી કરી. આ એક જ ઉદાહરણ તબીબી ક્ષેત્રની પડતી અને સ્થિતિ દર્શાવે છે. તબીબી ક્ષેત્રમાં જે ધંધાદારી દલાલોનું ચલણ છે અને ડૉક્ટરો એ જ રસ્તે પ્રવૃત્તિ કરે છે તેના કારણે જેનેરિક દવાઓનો સરકારનો પ્રયાસ સફળ થતો નથી. હવે ખુદ સરકારે  દવાઓની દુકાનો શરૂ કરવી પડી છે. નવી આરોગ્ય નીતિ પંદર વરસ પછી આવી છે. તેની ઘણી બાબતો આવકારદાયક છે, તો કેટલીક ટીકાપાત્ર પણ છે. જોકે ખરો સવાલ તેના અમલનો છે.

સૌજન્ય : ‘એક્સ-રે’, “દિવ્ય ભાસ્કર”, 06 અૅપ્રિલ 2017 

Loading

ન્યૂઝ ઍન્કર આજના સમયનો સૌથી મોટો ગુંડો છે

રવીશકુમાર|Opinion - Opinion|5 April 2017

જાણીતા પત્રકાર અને એન.ડી.ટી.વી.ના પ્રાઇમ ટાઇમ શૉના ઍન્કર રવીશકુમારને પ્રથમ કુલદીપ નૈયર પત્રકારિતા સન્માનથી નવાજવામાં આવ્યા, તે સમારંભમાં તેમણે આપેલું વક્તવ્ય

•

ઉંમર થઈ ગઈ છે તો વિચાર્યું કે થોડું લખીને લઈ જઈએ, બાકી મૂડ અને મોકો કંઈક એવો જ હતો કે વાંચ્યા વિના જ બોલી શકાય. ખાસ કરીને એવા સમયમાં જ્યારે રાજકારણ તમામ મર્યાદાઓને ધ્વસ્ત કરી રહ્યું છે, અપમાનના નવા-નવા શબ્દપ્રયોગો ઘડાઈ રહ્યા છે.

એક એવા સમયમાં જ્યારે આપણી સહનશક્તિને કચડવામાં આવી રહી છે, બરાબર એવા જ સમયે ખુદને સન્માનિત થતા જોવું, એ જાણે દીવાલ પર ટિંગાડેલી ટક-ટક કરતી ઘડિયાળ તરફ જોવું. ટક-ટક કરતી ઘડિયાળો હવે લુપ્ત થઈ રહી છે. એટલે આપણે ભણકારાથી સમયને ઓળખવાનું બંધ કરી દીધું છે, એટલે આપણને ખબર જ નથી પડતી કે આપણી બાજુમાં ક્યારે કયો ખતરનાક સમય આવીને બેસી ગયો છે. આપણે બેપરવા બની ગયા છીએ.

આપણી સંવેદનશીલતા ખતમ થતી જાય છે. તેઓ સોય ભોંકતા જાય છે અને આપણે પીડાને સહન કરતાં જઈએ છીએ. આપણે બધા હવે વાવાઝોડાંઓના ઉપભોક્તા બની ગયા છીએ, કન્ઝ્યુમ કરવા લાગ્યા છીએ. શહેરમાં વાવાઝોડાના સમાચાર આવે. વરસાદમાં ગુડગાંવ કે દિલ્હી ડૂબવા લાગે છે કે ચેન્નાઈ ડૂબવા લાગે છે, આપણે હવામાન સમાચાર જોવા માંડીએ છીએ. હવામાન સમાચાર રજૂ કરનારી પોતાની શાંત અને સૌમ્ય અવાજમાં આપણને ધીમે-ધીમે વાવાઝોડા અને તોફાનના કન્ઝ્યુમરમાં બદલી રહી હોય છે અને આપણે વાવાઝોડું પસાર થવાની માત્ર રાહ જોતાં હોઈએ છીએ. આગલી સવારે ખબર પડે છે કે (ઘરની પાસે) રસ્તા પર આવેલા પૂરમાં એક કાર ફસાયેલી હતી અને તેમાં બેઠેલાં ત્રણ જણાં પાણી ભરાઈ જવાથી જીવનની બાજી હારી ગયા.

મરવું માત્ર સ્મશાન કે કબ્રસ્તાનમાં દફન કરી દેવું કે બાળી મૂકવું નથી, મરવું એ ડર પણ છે, જે તમને બોલતાં, લખતાં, કંઈક કહેતાં કે સાંભળતાં ડરાવે છે. આપણે ખતમ થઈ રહ્યા છીએ, આપણે હવામાન સમાચાર રજૂ કરતી ઍન્કર ઇચ્છે છે, એવા પ્રકારના કન્ઝ્યુમરમાં બદલાઈ રહ્યા છીએ. આપણને સૌને પરીક્ષાના એવા ખંડમાં બેસાડી દેવામાં આવ્યા છે, જ્યાં વારંવાર ફ્લાઇંગ સ્ક્વૉડ કે ઊડતી મુલાકાતે આવનારાઓનું ટોળું હુમલા કરતું રહે છે. તેઓ ક્યારેક આપણા ખિસ્સાની તલાશી લે છે, ક્યારેક આપણાં પાનાં ઊલટાવી-સૂલટાવીને જુએ છે. તમને ખબર છે કે તમે ચોરી કરી રહ્યા નથી, છતાં થોડા-થોડા સમયના અંતરે ફ્લાઇંગ સ્ક્વૉડની ટોળી આવીઆવીને દહેશત ફેલાવી જાય છે.

તમને [ડર] લાગ્યા કરે છે કે ક્યાંક આગલી ક્ષણમાં તમને ચોર જાહેર કરી દેવાશે. તમને લાગતું હોય કે આવું કંઈ થઈ રહ્યું નથી, તો તમારી આજુબાજુ નજર ફેરવી જુઓ કે કેટલા લોકોને કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે.

આ એ જ ફ્લાઇંગ સ્ક્વૉડ છે, જે આવીને તમારા ખિસ્સાની તલાશી લે છે અને ક્યારે ય ચોરને પકડતા નથી, પરંતુ તમને ચોર જાહેર કરાશે, એનો ડર તમારામાં ઠસાવી દે છે.

તો આ કેસો, પોલીસ, ઈન્કમટૅક્સ ઑફિસર …. આ બધા આજકાલ બહુ સક્રિય બની ગયા છે. તેમની ભૂમિકા અગાઉ કરતાં ઘણી વધારે સક્રિય છે અને ન્યૂઝ ઍન્કર આપણા સમયના સૌથી મોટા જમાદાર છે.

તેઓ દરેક સાંજને એક લૉકઅપમાં ફેરવી નાખે છે અને ત્યાં વિપક્ષ, વિરોધના અવાજો કે વૈકલ્પિક અવાજો ઉઠાવનારાઓને જેલમાં પૂરીને તેમની ધોલાઈ કરે છે. અત્યાર સુધી તો તમે ફર્સ્ટ ડિગ્રી, થર્ડ ડિગ્રી, ફેક ડિગ્રીમાં ફસાયેલા હતા, તે તો રોજ સાંજે થર્ડ ડિગ્રી ઍપ્લાય કરે છે.

આ ઍન્કર આજના સમયનો સૌથી મોટો ગુંડો છે અને મને એ વાતનો ખૂબ જ આનંદ છે કે મીડિયા-ચૅનલોના ઍન્કર ગુંડા બની ગયા છે, નવા પ્રકારના બાહુબલી બની બેઠા છે, એવા સમયે આ સમાજના કેટલાક એવા લોકો પણ છે, જે ઍન્કરને સન્માનિત કરવાનું જોખમ ઉઠાવી રહ્યા છે.

આવનાર સમાજ અને ઇતિહાસ, જ્યારે આ વાવાઝોડું અને તોફાન શમી જશે અને ઍન્કરને ગુંડા અને તેની ગુંડાગીરીની ભાષા તથા ભાષાની ગુંડાગીરી, એના પર લખાશે, ત્યારે તમે લોકોને આ સાંજ માટે યાદ કરવામાં આવશે કે તમે લોકોએ એક ઍન્કરનું સન્માન કર્યું છે.

આ સાંજ એટલી પણ બેકાર નહીં જાય. હા, તમે જનાદેશ ન બદલી શકો, પરંતુ સમાજનો તકાજો જો એ છે તો આ પણ છે. ગાંધી શાંતિ-પ્રતિષ્ઠાનનો આભાર. આ પુરસ્કારમાં પત્રકારોનો પરસેવો છે. તમારા વ્યવસાયને કારણે કંઈ પણ મળે, તો સમજવું કે તમારી દુવા કુબૂલ હુઈ!

આપણે સૌ કુલદીપ નૈયરસાહેબનો આદર કરીએ છીએ. કરોડો લોકોએ તમને વાંચ્યા છે, સાહેબ! તમે એ સરહદ પર જઈને મીણબત્તીઓ પેટાવી છે, જેના નામે આ દિવસોમાં રોજ નફરત ફેલાવવામાં આવી રહી છે. આ દેશમાં એ દેશનું નામ આ દેશના લોકોને બદનામ કરવા માટે લેવામાં આવી રહ્યું છે. કદાચ જૂનો જમાનો તમારી મીણબત્તીઓનું મહત્ત્વ સમયસર સમજી શક્યો નહીં હોય. એ મીણબત્તીના ઉજાસને આપણે સૌએ સાથે મળીને ફેલાવ્યો હોત તો એ રોશની મુઠ્ઠીભર લોકોના ઝનૂનનું નહીં પણ વધુ ને વધુ લોકોની સમજનું અજવાળું બનત.

આપણે ત્યારે પણ એ જ ભૂલ કરી અને અત્યારે પણ એ જ ભૂલ કરી રહ્યા છીએ. મહોબ્બતની વાત કેટલા લોકો કરે છે? મને તો શંકા છે કે આ જમાનામાં લોકો મહોબ્બત કરે છે કે નહીં. ઍન્ટિ રોમિયો દળના લોકોને કોઈ સાથે પ્રેમ થઈ જશે તો શું થશે, એ વિચારીને ડરી જાઉં છું. પ્રેમના તલસાટમાં તે કોઈ જૂના ઝભ્ભાની જેમ જર્જરિત થઈને ફાટી જશે. દુવા કરીશ કે ઍન્ટિ રોમિયો દળના કોઈને કોઈથી પ્રેમ ન થાય. પ્રાર્થના કરીશ કે તેમને કમ સે કમ કિશોરકુમારનાં ગીતો સાંભળવાની સહનશક્તિ મળે.

આપણા ઉત્તરપ્રદેશમાં શેક્સપિયરની વાર્તાના નાયકની વિરુદ્ધ જનાદેશ આવ્યો છે. આપણે રોમિયોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તમે બધા પણ જિંદગીમાં ક્યારે ય કોઈને પ્રેમ કર્યો હોય, તો તમારા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજો. આશા રાખું છું કે અમેરિકાની કોઈ ચૂંટણીમાં પ્રેમચંદના નાયકોની વિરુદ્ધ પણ ક્યારેક કોઈ જનાદેશ આવશે. આવી ગયો હોય તો પણ શું ખબર. ઍન્ટિ હોરી, ઍન્ટિ ધનિયાદળ જોવા મળશે.

અનુપમ મિશ્રજી આપણી વચ્ચે નથી. આપણે આ સત્યનો સામનો એ જ રીતે કરી લીધો છે, જે રીતે સમાજે તેમના નહીં હોવાની અનુભૂતિ તેમની હયાતીમાં જ કરી લીધી હતી. કાશ, હું આ પુરસ્કાર તેમની નજર સામે લેતો હોત, તેમના વરદ હસ્તે!

જ્યારે પણ કોઈ સ્વચ્છ હવા શરીરને સ્પર્શે છે, ક્યાંક પાણીની લહેર જોવા મળે છે, મને અનુપમ મિશ્ર યાદ આવી જાય છે. તેઓ એક એવી ભાષા બચાવીને ગયા છે, જેના સહારે આપણે ઘણું બધું બચાવી શકીએ છીએ.

પ્રતિક્રિયામાં આપણી ભાષા હિંસક ન બની જાય, એની ચિંતા કંઈ દુનિયાને દેખાડવા માટે નથી કરવાની. એના માટે આપણે ફરીથી આપણી ભાષાને સાફસૂથરી કરીએ, એ જરૂરી બન્યું છે. આપણામાં રહેલી નિર્મળતા અનેક પ્રકારની મલિનતાઓમાં દબાઈ ગઈ છે. એટલે આપણે આપણી ભાષા અને વિચારોને થોડા ઘણા સંપાદિત કરીએ, આપણી અંદર બધું સમુસૂતરું નથી, તેનું સંમાર્જન કરીએ, એ બહુ જરૂરી બની ગયું છે.

આપણે સંભાવનાઓનું નિર્માણ કરતા નથી, તે ક્યાં બચી છે, કોનાકોનામાં બચી છે, કોણે-કોણે બચાવી છે, તેની શોધ કરી રહ્યા છીએ. આવા લોકોમાં જે સંભાવનાઓ છે, તે હવે મને ક્યારેક-ક્યારેક ખટકે છે. આપણે ક્યાં સુધી બચેલાની ચિંતામાં જિંદગીનો સ્વાદ પણ ભૂલતાં રહીએ, બચાવવાનો જુસ્સો ગુમાવતાં રહીએ. આપણા એકલાની સંભાવનાઓને અન્યો સાથે સાંકળીને ચાલીએ … અંતર્વિરોધોનો રામાયણપાઠ બહુ થયો. જેને પણ મળું છું તે કોઈ ને કોઈ અંતર્વિરોધનો અધ્યાપક લાગે છે.

તમે રાજકારણમાં વિકલ્પ શોધવા માગતા હોય, તો અંતર્વિરોધોને સાથે લઈને ચાલવાનું શીખો. ઘણા લોકોને તેમનાં સમાધાનોએ વધારે અધમૂવા કરી દીધા છે. આજે જે સમય છે, તેને લાવવામાં એ લોકોની પણ ભૂમિકા છે, જેમની પાસે વીતેલા સમયમાં કંઈક કરવાની જવાબદારી હતી.

એ લોકોએ ઘોખો દીધો. વીતેલા સમયમાં લોકો સંસ્થાઓમાં ઘૂસીને તેને ખોખલી કરવામાં વ્યસ્ત રહ્યા. અમુક અપવાદોને છોડી દઈએ, તો ધનેડાનો પ્રવેશ એમના દોરમાં જ શરૂ થયો. વિકલ્પની વાતો કરનારાઓનો સમાજ સાથેનો સંવાદ તૂટી ગયો.

સમાજ પણ પરિવર્તનના માત્ર એક જ કારકને (એજન્ટને) ઓળખે છે, રાજકીય પક્ષ. બાકી એજન્ટો પર પણ રાજકારણે કબજો કરી લીધો છે, એટલે રાજકારણથી ભાગવાનો હવે કોઈ અર્થ નથી. હા, કોઈ એક વર્ષના કામને સો વર્ષમાં કરવા માગતા હોય, તો વાત અલગ છે.

જ્યારે સારા લોકો નિષ્ફળ જાય છે, ત્યારે જ જનતા ખરાબ સાથે જોખમ ઉઠાવે છે. દર વખતે હારે છે, છતાં આગલી વખતે કોઈ મોટા રાજકીય પક્ષ પર જ દાવ લગાવે છે. ગાંધીવાદી, આંબેડકરવાદી, સમાજવાદી, માક્ર્સવાદી અને જે કોઈ રહી ગયા હોય, એ તમામ વાદી, વાવાઝોડાં આવે છે, ત્યારે તેમનાં વૃક્ષો જ શા માટે મૂળસોતાં ઊખડી જાય છે! બોનસાઈનો બગીચો બનાવીને તો બચો!

તમે બધાએ [સમારંભમાં ઉપસ્થિત સમજદાર નાગરિકો, બૌદ્ધિકો, સર્જકોને સંબોધીને] રાજકીય પક્ષોને છોડીને બહાર આવી ગયા, તેનાથી રાજકીય પક્ષોનું વધારે પતન થયું. ત્યાં પરિવારવાદનું વર્ચસ્વ વધ્યું, કૉર્પોરેટ કલ્ચરે માઝા મૂકી. કોમવાદનો સામનો કરવાની શક્તિ ન પહેલાં તેમનામાં હતી અને ન આજે છે.

આ તેમના માટેનો અફસોસ આપણે શા માટે કરી રહ્યા છીએ? હા, જો આપણા માટે હોય, તો આપણે સૌએ પડકાર ઝિલી લેવો જોઈએ. મેં ક્યારે ય રાજકારણને મારી લાઇન ગણી નથી, એ માર્ગ મારા માટે હોય એવું હું માનતો નથી, પરંતુ જે લોકો આ માર્ગ અપનાવે છે, તેમને એટલું જ કહું છું કે રાજકીય પક્ષો તરફ પાછા ફરો, આડાઅવળા ન ભાગો.

સેમિનારો અને સંમેલનોમાંથી બહાર નીકળવાનો સમય આવી પુગ્યો છે. એ એકૅડેમિક ચર્ચાઓનું એક સ્થાન છે, જરૂરી સ્થાન છે, પરંતુ રાજકીય વિકલ્પનું નહીં. રાજકીય પક્ષોમાં ફરીથી જોડાવા માટે આંદોલન કરવું પડશે. ફરીથી એ પક્ષો તરફ પાછા ફરો અને સંગઠનો પર કબજો મેળવો. ત્યાં જે નેતા બેઠેલા છે, તેઓ નેતૃત્વને લાયક નથી, તેમને હટાવી દો. એ ડરપોક લોકો છે. અપ્રામાણિકતામાં જ રચ્યાપચ્યા છે. આ તેમના ગજાની વાત નથી. તેમની કાયરતા, તેમના સમાધાનો સમાજને રોજેરોજ તોડવાનું કામ કરી રહ્યાં છે. તેમનાં સમાધાનોને કારણે એક નાનકડી ચિનગારી આવે છે, અને બધું સળગાવીને જતી રહે છે.

આપણી પાસે હજુ પણ એટલું માનવ-સંસાધન બચ્યું છે અને આ ખંડમાં જેટલા પણ લોકો છે, તેઓ પણ રાજકારણને વધારે ઉમદા બનાવી શકવા સક્ષમ છે.

પત્રકારત્વ માટે પુરસ્કાર મળી રહ્યો છે, ત્યારે બે-ચાર વાત તેના માટે પણ કરવા માગું છું.

મને એ જણાવતા બેહદ આનંદ થઈ રહ્યો છે કે આજે પત્રકારત્વ પર કોઈ સંકટ નથી. અત્યારે પત્રકારત્વનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. પાટનગરથી લઈને જિલ્લા-આવૃત્તિઓના સંપાદકો આ વાવાઝોડામાં ખેતરમાંથી ઊડીને સીધા છાપરા પર પહોંચી ગયા છે. હવે તેમને પત્રકાર હોવાની સાર્થકતા સમજાઈ રહી છે. શું આપણે નહોતા જોતાં કે કેટલાક દાયકાઓથી પત્રકારત્વનું ક્ષેત્ર સત્તા સાથે વિલીન થવા માટે કેટલું મથી રહ્યું હતું. તેઓ જ્યારે હોટલનું લાઇસન્સ લઈ રહ્યા હતા, મૉલનું લાઇસન્સ લઈ રહ્યા હતા, ખાણની લીઝ લઈ રહ્યા હતા, ત્યારે તેઓ આની તો તૈયારી કરતા હતા.

મીડિયાને બહુ ભૂખ લાગી છે. વિકલ્પનું પત્રકારત્વ છાંડીને હવે વિલન અને વિલીન થવાના પત્રકારત્વનો દોર છે. સત્તાધારી પક્ષની વિચારધારા એટલી તો વિરાટ લાગી રહી છે કે તેની સાથે ખુદને વામણો જોઈને સમજી રહ્યો છે કે જાણે તે ભગવાન શ્રીકૃષ્ણના મુખ સામે ઊભો છે.

ભારતનું પત્રકારત્વ કે પત્રકારત્વની સંસ્થાઓ અત્યારે પોતાના સુખચેનના સુવર્ણકાળમાં પણ છે. તમને વિશ્વાસ ન હોય તો કોઈ પણ અખબાર કે કોઈ પણ ન્યૂઝચૅનલ જોઈ લો. તમને ત્યાં ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળશે. તેમની ખુશી જોઈને તમે ઝુમશો, તો તમારી સમસ્યાઓ પણ ઘટી ગયેલી લાગશે.

સૂટેડ-બૂટેડ ઍન્કર, પોતાની આઝાદી ગુમાવીને આટલા હેન્ડસમ ક્યારે ય નહોતા લાગ્યા. ઍન્કર સરકારની તરફદારી કરતાં-કરતાં આટલા સોહામણા ક્યારે ય નહોતા લાગ્યા. ન્યૂઝરૂમમાં રિપોર્ટરોનું નામોનિશાન દેખાતું નથી.

‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં એવા સારા પત્રકારોની ભરતી કરવાની સ્પર્ધા જામી છે, જેઓ વૉશિંગ્ટનની ગલીઓમાં જઈને સરકાર વિરુદ્ધના સમાચારો શોધી લાવે. ત્યાં આવી સ્પર્ધા છે. હું ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ અને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની બદમાશીઓથી પણ વાકેફ છું. એ જ ખરાબામાં આવી વાત પણ સાંભળવા મળી રહી છે. ભારતના ન્યૂઝરૂમમાંથી પત્રકારો વિદાય લઈ રહ્યા છે. માહિતી આવવાના તમામ રસ્તાઓ બંધ છે. દેખીતું છે કે ધારણા જ આપણા સમયની સૌથી મોટી માહિતી છે.

ઍન્કર પક્ષના પ્રવક્તા તરીકે ઢળવા અને બદલવા માટે અભિશપ્ત છે. તેઓ પત્રકાર નથી, સરકારના સેલ્સમૅન છે. જ્યારે પણ જનાદેશ આવે છે, ત્યારે પત્રકારોને એવું શા માટે લાગતું હોય છે કે આ પરિણામો તેમની વિરુદ્ધ આવ્યાં છે. શું તેઓ પણ ચૂંટણી લડી રહ્યા હતા? શું જનાદેશથી પત્રકારત્વે પ્રભાવિત થવાની જરૂર છે? પરંતુ ઘણા પત્રકારો આ દિલ્હીમાં કન્ફ્યુઝનમાં ફરી રહ્યા છે કે યુપી પછી હવે શું કરીએ? તમે બિહાર પછી શું કરી રહ્યા હતા? તમે ’૭૭ પછી  શું કરી રહ્યા હતા? તમે ’૭૭ પહેલાં શું કરી રહ્યા હતા? ૧૯૪૭ પહેલાં શું કરી રહ્યા હતા અને ૨૦૨૫ પછી શું કરવાના?

આનો સીધો અર્થ એ છે કે પત્રકારો હવે પત્રકારત્વ બાબતે બિલકુલ ચિંતિત નથી. એટલે કામ ન કરવાની તમામ તકલીફોથી મુક્ત આજના પત્રકારોના આનંદને તમે નહીં સમજી શકો. તમે પૂર્વાગ્રહયુક્ત છો. જઈને જુઓ કે કેટલા રાજી છે, કેટલી આઝાદી ભોગવી રહ્યા છે, કોઈ સ્મશાન, કોઈ રાજકીય પક્ષ અને સરકારમાં વિલીન થઈને ! તેમની ખુશીની કોઈ સીમા નથી, તેનો તમને અંદાજ પણ નહીં આવી શકે. પ્રેસ રિલીઝ તો અગાઉ પણ છાપતાં જ હતા, ફરક એટલો આવ્યો છે કે હવે ગાઈ પણ રહ્યા છે. આવું જ રોજેરોજ ગાઈ રહ્યા છે. કોઈ મુંબઈવાળો (અભિનેતા) જ આ કામ કરી શકે, પરંતુ હવે અમે ટીવીવાળા કરી રહ્યા છીએ. ચાપલૂસિયાઓનો એક ઇન્ડિયન આઇડલ તમે કરાવો. પત્રકારોને બોલાવો ને જુઓ કે કોણ સરકાર અંગે સૌથી સારી રીતે ગાઈ શકે છે. આગલી વખતે તેમનું પણ સન્માન કરજો. બની શકે કે સમય જતાં આપણે એવા ચાપલૂસિયાઓનું પણ સન્માન કરીએ.

તમે લડવું હોય, તો અખબારો અને ટીવી સાથે લડવાની તૈયારી શરૂ કરી દેજો. પત્રકારત્વને બચાવવાના મોહમાં ફસાયેલા રહેવાની જીદ છોડી દેજો. પત્રકાર બચવા માગતો નથી. જે થોડા ઘણા બચી રહ્યા છે, તેમનું બચી રહેવું બહુ જરૂરી નથી. તેમને હાંકી કાઢવા પણ બહુ મુશ્કેલ નથી. ખબર નથી ક્યારે હટાવી દેવામાં આવે. આ ચીલે ચાલતા સમાજને જણાવજો કે આમાં કેવું જોખમ છે.

ન્યૂઝચૅનલ અને અખબારો રાજકીય પક્ષોની નવી શાખાઓ છે. ઍન્કર કોઈ રાજકીય પક્ષમાં તેમના મહામંત્રી કરતાં વધારે પ્રભાવશાળી છે. રાજકીય પક્ષ બનવા માટે, બનાવવા માટે પણ તમારે આ નવા રાજકીય મોરચા સામે લડવું પડશે. ન લડી શકો તો પણ કોઈ વાંધો નહીં. લોકોની પણ એવી તાલીમ થઈ ચૂકી છે કે તેઓ પૂછવા આવી જાય છે કે તમે આવા સવાલો શા માટે પૂછો છો?

શાહી ફેંકનારા પ્રવક્તા બની રહ્યા છે અને શાહીથી લખનારા પ્રોપેગન્ડા ચલાવી રહ્યા છે. આ ભારતીય પત્રકારત્વનો પ્રોપેગન્ડા યુગ છે. આ વર્તમાનમાં આપણે એ પત્રકારોને કઈ રીતે ભૂલી શકીએ, જે સંભાવનાઓ બચાવવામાં અહીંતહીં મથી રહ્યા છે. હું તેમની એકલતાને સમજી શકું છું. હું તેમની એકલતામાં સહભાગી પણ બની શકું છું. ભલે તેમની સંભાવનાઓ ખતમ થઈ જાય, પરંતુ આવનારા સમયમાં આવા પત્રકારો અન્યો માટે મોટો ઉપકાર કરી રહ્યા છે. જિલ્લા સ્તરેથી લઈને દિલ્હી સુધી ઘણા પત્રકારોને ઝઝૂમતા જોયા છે. તેમના સમાચાર-અહેવાલો ભલે ન છપાઈ રહ્યા હોય, પરંતુ તેમની પાસે સમાચારો છે. સમાજ જો આ પત્રકારોને સાથ નહીં આપે, તો એ નુકસાન સમાજને જ સહન કરવું પડશે. એટલે સમાજને આગોતરો સાવધ કરીને, આંખોથી આંખો મિલાવીને એટલું કહેવાની કે તમે અમને એકલા છોડી રહ્યા છો, અને તમે અમને ગાળો ભાંડી રહ્યા છો … તમે આ કામ અમને હટાવવા માટે નહીં, તમારું વજૂદ મિટાવવા માટે કરી રહ્યા છો.

તમે એ લોકોની તકલીફ અંગે પૂછો, જે આજે પણ ન્યૂઝ રૂમમાં છે અને ટેલિવિઝનના ન્યૂઝ ઍન્કરને આજે પણ દસ પત્રો આવે છે. હાથેથી લખેલા આવે છે. તેમના ન્યૂઝ જ્યારે નહીં આવતાં હોય, ત્યારે તેઓ કેવી સમસ્યાનો સામનો કરતાં હશે અને ક્યાં ક્યાં લખતાં-ભટકતાં હશે. આ સમાજ પત્રકારોને ગાળો આપી રહ્યો છે અને આવા લોકોની તકલીફમાં વધારો કરી રહ્યો છે. જેઓ પીડિત છે, તેમને તેમની પીડા સાથે જ મારી નાખવાની યોજનામાં તેઓ સામેલ થઈ રહ્યા છે.

… તો ઘણી વખત સમાજ પણ ખતરનાક બની જાય છે.

ખેર … આજે જે કોઈ પણ પત્રકારત્વ કરી રહ્યું છે, જેટલું પણ કરી રહ્યું છે, તેમના પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું. સત્તાની ચાપલૂસીથી ઉબાઈ ગયેલા કે છેતરપિંડીનો ભોગ બનેલા પત્રકારોની ઊંઘ ઊડશે અને જ્યારે તેમનો ખપ પૂરો થતાં ફેંકી દેવાશે, ત્યારે તેમને આવા લોકો જ આત્મહત્યા કરતાં બચાવી લેશે. ત્યારે તેમને લાગશે કે આમણે એવું કર્યું છે, જે મારે પણ કરવું જોઈએ. એના થકી જ હું બચી શકીશ. એટલે જેટલી બની શકે એટલી સંભાવનાઓને બચાવીને રાખો. આજના આપણા સમયને આશા અને હતાશાનાં ચશ્માંથી ન જુઓ.

આપણે એવા પાટા પર છીએ, જેના પર રેલગાડીનું એન્જિન બિલકુલ સામે છે. આશા અને હતાશાની મદદથી તમે બચી ન શકો. આશા એ છે કે રેલગાડી મને નહીં કચડે અને હતાશા એ છે કે હવે તો મને કચડી જ નાખશે. સમય બહુ ઓછો છે અને તેની ગતિ બહુ તેજ છે.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.  

[અનુવાદ : દિવ્યેશ વ્યાસ]

(વક્તવ્યની મૂળ લિંક .. 

http://thewirehindi.com/4103/journalist-ravish-kumar-speech-in-kuldeep-nayar-journalism-award-ceremony/.

જેના પરથી તમે રવીશકુમારના વક્તવ્યનો વીડિયો પણ જોઈ-સાંભળી શકો છો.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 16-18

Loading

...102030...3,4093,4103,4113,412...3,4203,4303,440...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved