Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોમિયો મોન્ટેગ્યુ: શરીફ પ્રેમી કે બદમાશ ખલનાયક?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 April 2017

યોગી આદિત્યનાથની સરકારે ઉત્તરપ્રદેશમાં જ્યારથી એન્ટિ રોમિયો સ્ક્વૉડની રચના કરી છે ત્યારથી સાહિત્યપ્રેમીઓ ઇતિહાસના સૌથી લાડકા પ્રેમી રોમિયોની બદનામીથી જીવ બાળી રહ્યા છે. રોમિયો અત્યાર સુધી આમ લોકોમાં હાંસીનું પાત્ર હતો, પણ હવે એને એક સરકારી તંત્રની અધિકૃતતા પણ મળી છે. ‘રોમિયો’ શોધી રહેલી ઉત્તરપ્રદેશ પોલીસનો દાવો છે કે એ માત્ર આંખ જોઇને જાણી શકે છે કે કોણ ‘શરીફ’ છે અને કોણ ‘બદમાશ’.

દિલ્હીમાં શેક્સપિયર સોસાયટી ઑફ ઇન્ડિયા છે. તેના અધ્યક્ષ અને અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન ગીલ હેરીસ કહે છે કે એક સાચા આશિકના પ્રેમ અને બલિદાન માટે જાણીતો રોમિયો એક પાન ચાવતા લંપટ કાસાનોવાની બરાબરી કરતો થઇ જશે, એવું શેક્સપિયરે પણ વિચાર્યું નહીં હોય. કાસાનોવા પણ રોમિયોની માફક ઇટાલીનો જ એક એવો વ્યભિચારી લેખક-પ્રવાસી હતો, જેણે ખુદ એની આત્મકથામાં 200 સ્ત્રીઓ સાથે ચક્કર ચલાવ્યા હોવાનો દાવો કર્યો હતો.

વિલિયમ શેક્સપિયરના મશહૂર નાટક રોમિયો-જુલિયટ(1597)માં ઇટાલીના વેરોના શહેરના બે ઇજ્જતદાર ‘ઠાકુર પરિવાર’ના સંતાન રોમિયો મોન્ટેગ્યુ અને જુલિયટ કેપ્યુલેટ વચ્ચેની પ્રેમકહાની છે. તમે સુભાષ ઘઇએ 1991માં દિલીપકુમાર અને રાજકુમારને લઇને બનાવેલી ‘સોદાગર’ ફિલ્મ જોઇ હશે. આ ફિલ્મ રોમિયો-જુલિયટ નાટક આધારિત હતી. એમ તો ‘બોબી’, ‘એક દુજે કે લિયે’, ‘સનમ તેરી કસમ’, ‘કયામત સે કયામત તક’, ‘ઇશ્કજાદે’ અને ‘ગોલિયોં કી રાસલીલા’માં પણ વિશુદ્ધ પ્રેમની વચ્ચે આવતા ‘જાલિમ જમાના’ની કહાની હતી. આ બધા વાસુઓ, રાજ અને રામને તો આપણે મહોબ્બતથી યાદ કરીએ છીએ, તો પછી રોમિયો ખલનાયક કેવી રીતે બની ગયો?

શેક્સપિયરનો અભ્યાસ કરનારા કહે છે કે મહાન પ્રેમી તરીકે રોમિયોના ગુણગાન એક મિથ છે, અને 18મી સદીમાં જ એ ખબર પડી ગઇ હતી કે રોમિયો એક દુષ્ટ પાત્ર છે. શેક્સપિયરની કહાનીમાં રોમિયોની આંખ જુલિયેટ પર ઠરી તે પહેલાં એ જુલિયેટના કાકાની દીકરી રોઝલિન પાછળ પાગલ હતો. રોઝલિને એને ભાવ ન આપ્યો એટલે રોમિયો જુલિયેટ તરફ ઢળ્યો હતો. આ નાટકમાં એક વિધાન જગવિખ્યાત છે, ‘નામમાં શું છે? ગુલાબને બીજા કોઇ નામથી બોલાવો તો પણ એ એટલું જ સુગંધિત હશે.’ આ ગુલાબ એટલે રોઝલિનના નામમાં રહેલું ‘રોઝ’.

એ વખતના વિવેચકો અને ટીકાકારો રોમિયોની આવી વૃત્તિને કલંક ગણતા હતા. એકથી વધુ વ્યક્તિને પ્રેમ કરવો અત્યારે અપરાધ નથી ગણાતો, પરંતુ અંગ્રેજી શબ્દકોશો પરથી તો એવું લાગે છે કે રોમિયોનું નામ ત્યારે પણ લંપટ ગણાતું હતું. ‘કોલિન્સ’ શબ્દકોશમાં રોમિયોનો અર્થ અલગ અલગ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખનારા તરીકેનો છે. અભ્યાસકર્તાઓ કહે છે કે રોમિયો એન્ડ જુલિયટ પરિવારો સામે વિદ્રોહ કરનારા પ્રેમીઓની કહાની નથી, પણ જુલિયટ રોમિયોનો શિકાર બને છે તેની વાર્તા છે. રોમિયો એન્ડ જુલિયેટ મહાન ટ્રેજેડી છે, પણ એ ટ્રેજેડી બંનેના પ્રેમસંબંધની નહીં, જુલિયેટની જે હાલત થાય છે, તેની છે.

આ નાટક 1595ની આસપાસ લખાયું હતું, અને પછી રંગમંચ પર પણ ભજવાયું હતું. તે વખતે ઇંગ્લેન્ડના ગરીબ વર્ગમાં ભૂખમરો હતો. રોમિયો એન્ડ જુલિયેટ નાટક જોવા આવનારાઓમાં ઘણા ભૂખ્યા હતા. નાટકમાં એક જગ્યાએ રઇસ રોમિયો એના પિતરાઇ ભાઇ બેનવોલિયો પાસે એના પ્રેમનાં રોદણાં રડે છે, અને પછી એને પૂછે છે, ‘આપણે ક્યાં જમવા જઇશું?’ શેક્સપિયરે ઇંગ્લેન્ડના ભૂખ્યા દર્શકો રોમિયોની ઘૃણા કરે તે માટે ‘રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો’ એવો ડ્રામા ઊભો કર્યો હતો.

રોમિયોના પ્રેમનાં રોદણાંમાં પણ ‘રોઝલિન મને કેમ ભાવ ન આપે?’ એવી ચોટ વધારે છે. રોમિયો જક્કી, અવિવેકી અને ક્રોધિત પ્રેમી છે. જુલિયેટનો પરિવાર જ્યારે પેરિસને જમાઇ બનાવવા તૈયાર થાય છે ત્યારે રોમિયો પેરિસનું ખૂન કરી નાખે છે, અને દેશનિકાલ પામીને જુલિયેટને આત્મહત્યા તરફ ધકેલે છે. એની સામે પેરિસનો પ્રેમ જુઓ. મરતી વખતે એના શબ્દો છે:  ઓહ, હું મરી ગયો છું … તારામાં જો દયા હોય તો મને જુલિયેટની બાજુમાં દફન કરજો!

છોકરા-છોકરીઓનાં જોડાં બનાવવાનું કામ કરતી પ્રખ્યાત ડેટિંગ સાઇટ ઇહાર્મનીએ હમણાં સાહિત્યનાં પ્રખ્યાત ચરિત્રો ઉપર માનસશાસ્ત્રીઓ પાસે વિશ્લેષણ કરાવેલાં, તેમાં એવું તારણ બહાર આવેલું કે પતિ-પત્ની તરીકે રોમિયો અને જુલિયેટ આમ પણ લાંબું વેંઢારી શક્યાં ન હોત. રોમિયો જે રીતે એનાં માતા-પિતા વિશે અભિપ્રાય રાખે છે, તે જોતાં એના વિચારો ખાસ્સા છીછરા છે, અને શરૂઆતની ચિનગારી ઠંડી પડ્યા પછી એ જુલિયેટની જરૂરતોને સમજી શક્યો હોત કે નહીં તેની શંકા છે.

આ માનસશાસ્ત્રીઓએ એવું પણ સૂચન કરેલું કે ‘ટવલાઇટ’ ફિલ્મની બેલા સ્વાન (જેની ભૂમિકા ક્રિસ્ટિન સ્ટેવર્ટે કરી છે) રોમિયો માટે વધુ અનુરૂપ છે, કારણ કે બંનેના ન્યુરોટિક વ્યવહાર એકદમ સરખા છે. અને જુલિયેટ? નિષ્ણાતોએ કહ્યું હતું જેન ઓસ્ટિનની ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ’નો હીરો ફિત્ઝવિલિયમ ડર્સી જુલિયેટ માટે ઉત્તમ સંગાથી છે, કારણ કે બંનેમાં કર્તવ્યનિષ્ઠા અને શિસ્ત એક સરખી છે. તો પછી યોગી આદિત્યનાથની પોલીસ ઉત્તરપ્રદેશની જુલિયેટને બચાવવા રોમિયોને પાઠ ભણાવે એ યોગ્ય જ કહેવાય ને? ના કહેવાય.

આ આખીય કવાયતમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય સમાજ અને પરિવારોમાં સ્ત્રીની ઇજ્જત નહીં થાય, એને માણસ ગણવામાં નહીં આવે અને એને બરાબરની હિસ્સેદાર માનવામાં નહીં આવે ત્યાં સુધી ‘લડકે, લડકે હૈ … ગલતી હો જાતી હૈ’ ચાલતું રહેશે. યોગીના પુરોગામી મુલાયમના આ શબ્દો બળાત્કાર બદલ ફાંસીની સજાના વિરોધમાં બોલાયા હતા. એક રીતે પૂરા ભારતીય  સમાજમાં ‘લડકા-લડકી’નો આવો જ ભાવ છે. છોકરીઓની છેડતી અને હેરાનગતિનાં મૂળિયાં સમાજની સ્ત્રી-વિરોધી માનસિકતામાં છે. એનો ઉપાય નહીં કરવામાં આવે ત્યાં સુધી એન્ટિ રોમિયો સ્કવૉડનું નામ એન્ટિ મજનૂ સ્કવોડ હોય તો ય ફર્ક નહીં પડે.

જુલિયેટ કહે છે તેમ, નામમાં બળ્યું શું છે?

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 અૅપ્રિલ 2017

Loading

ચંપારણ સત્યાગ્રહ : આઝાદી આંદોલનનો ટર્નિંગ પોઇન્ટ

સુદર્શન આયંગાર|Gandhiana|10 April 2017

રાજકુમાર શુક્લ નામની એક વ્યક્તિએ 1916ની લખનૌની કૉગ્રેસની મહાસભા વખતે ગાંધીજીનો કેડો પકડ્યો. ‘વકીલ બાબુ, આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહેતા જાય અને ગાંધીજીને ચંપારણ આવવા માટે નિમંત્રણ આપતા જાય. ચંપારણના બેતિયા તાલુકાના મુરલી ભારવાહ ગામના આ ખેડૂતે જિલ્લાના તેના જેવા જબરદસ્તીથી ગળીની ખેતી કરતા નાના ખેડૂતોને લોભિયા અંગ્રેજ માલિકોના શોષણથી મુક્ત કરાવવા સંકલ્પ કર્યો હતો અને તેના માટે યોગ્ય નેતૃત્વની શોધમાં હતો.

હિમાલયની તળેટીમાં આવેલા ઉત્તર બિહારના ચંપારણ જિલ્લા વિશે ગાંધીજી કશું જાણતા ન હતા. ગળીના ઉત્પાદન વિશે પણ તેમની સમજ નહિવત્ હતી. પણ શુક્લના ભોળા આગ્રહને વશ થઈને તેઓ ગયા અને ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીના પહેલા બિનરાજકીય પણ મહત્ત્વપૂર્ણ સત્યાગ્રહ તરીકે પંકાયો. ઓગણીસમી સદીના આરંભે ચંપારણ જિલ્લામાં ગળીનાં 70 જેટલાં કારખાનાં આવ્યાં. અંગ્રેજ માલિકોએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને બાનમાં પકડ્યા.

દરેક ખેડૂતે ત્રણ કઠિયા (તત્કાલીન વીઘે 20 કઠિયા) જમીનમાં ગળીની ખેતી કરવાની અને જે કિંમત માલિક નક્કી કરે તે કિંમતે માલિકને આપી દેવાની પ્રથા. આ ‘તીન કઠિયા’ પદ્ધતિમાં ‘ક્યાં વાવેતર કરવું’થી માંડી બધા જ નિર્ણયો અંગ્રેજ માલિકો વતી તેના કારભારીઓ લે. કોઈ ખેડૂત વિરોધ કરે તો તેના પર પારાવાર જુલમ થાય. ખેડૂતોએ કોર્ટ-કચેરી પણ કરી; પણ એમાં તો વકીલો જ ફાવ્યા. સરવાળે ચંપારણના ખેડૂતો બેહાલ થઈ ગયા હતા.

રાજકુમાર શુક્લે પણ અવાજ ઉઠાવ્યો હતો અને તેઓ પણ જુલમના ભોગ બન્યા હતા. પણ હાર ન માનતા, તેઓએ હામ ભીડી અને પ્રયત્નો ચાલુ રાખ્યા. તેની પડખે વકીલ બ્રજકિશોરબાબુ હતા જે કંગાલ ખેડૂતોના કેસ નીચી અને કોઈવાર નહિવત્ ફી સાથે લડતા. જે વકીલબાબુ વિશે શુક્લ ગાંધીજીને કહેતા હતા, તે આ જ. એમણે જ લખનૌમાં ગાંધીજીને પ્રાથમિક માહિતી આપી હતી.  ગાંધીજી 9 એપ્રિલ 1917ના રોજ કોલકાતાથી ચંપારણ જવા શુક્લ સાથે નીકળ્યા અને પટણા પહોંચ્યા. પહેલા ઉતારે યોગ્ય પ્રતિભાવ ન મળ્યો. પોતે ઇંગ્લેન્ડ ભણતા ત્યારના સહપાઠી મૌલાના મજહરુલ હક્ક યાદ આવ્યા.

ચંપારણ સત્યાગ્રહની કેટલીક સગડ કુમાર શુક્લની ડાયરીમાંથી જડે

શુક્લને ચિઠ્ઠી લખી એમની પાસે રવાના કર્યા, તેઓ તરત મોટર લઈને આવ્યા અને ઘરે લઈ ગયા અને વીતક જાણી. પોતે જમીની હકીકતથી સુપેરે વાકેફ નથી – તેવી નિખાલસ કબૂલાત કરી. જમીન કાયદાની જે સમજ અને માહિતી હતી તે આપીને કહ્યું કે, અસલ કામ તો સ્થળે પહોંચીને સમજાય અને થાય. મુઝફ્ફરપુર જવાનું સૂચવ્યું. રાતની જ ગાડીમાં રવાના થતા પહેલાં ગાંધીજીને યાદ આવ્યું કે કૃપાલાની મુઝફ્ફરપુરની કોલેજમાં અધ્યાપક છે, તેમને તાર કર્યો. કૃપાલાની વિદ્યાર્થીઓ સહિત ઉત્સાહભેર લેવા આવ્યા.

કૉલેજ આચાર્ય અંગ્રેજ, કૃપાલાનીને કહે કે, આ તોફાની ગાંધીને પરિસરમાંથી કાઢો. કૃપાલાનીએ નોકરી છોડી દીધી અને કાયમ માટે ગાંધીજી સાથે  જોડાઈ ગયા.  ગાંધીજી સાથે જોડાયા વકીલોના આગેવાન બ્રજકિશોરબાબુ અને બાબુ રાજેન્દ્રપ્રસાદ અને મંડળી પહોંચી જિલ્લાના મુખ્ય મથક મોતીહારી. ગાંધીજીએ વકીલ ટોળકીને જણાવ્યું કે, પ્રશ્નનો ઉકેલ કાયદામાં નથી, આ તો ન્યાયની માગણી છે. ખેડૂતોના સત્યની ધરાર અવગણના થઈ છે; એટલું જ નહીં તેમની પર પારાવાર જુલમ થઈ રહ્યા છે. અંગ્રેજ માલિકો તેમને થતા આર્થિક નુકસાનનો બોજો પણ ખેડૂતો પર નાખે છે.

જમીનનાં ભાડાં વધારી સાથે જાત-જાતના લાગા (જેને અબવાબ કહેતા) નાખે છે અને ક્રૂર અને હિંસક રીતે વસૂલે છે. ગાંધીજીને સત્યાગ્રહની ભૂમિકા દેખાઇ. પણ તે માટે પરિસ્થિતિનો અભ્યાસ અને એકેએક ખેડૂતની વીતક, જમીન વગેરેના આંકડા, કરાર દસ્તાવેજ ભેગા કરવાના થાય. વકીલોને એમાં જોતર્યા. મોતીહારી પહોંચી તરત જુલમની તપાસ કરવા એક ગામે હાથી પર નીકળ્યા. પોલીસે અટકાવીને 144ની કલમ લગાડી તરત જિલ્લો છોડી દેવાનો કલેક્ટરનો સમન બજાવ્યો.

ગાંધીજી અન્યોને તપાસમાં મોકલી પોતે મોતીહારી પહોંચ્યા. કલેક્ટરને પત્ર લખી જણાવ્યું કે તેઓ તપાસ માટે આવ્યા છે અને પૂરી તપાસ કર્યા વગર જવાના નથી. વીજળી-વેગે વાત ફેલાઈ ગઈ અને મોતીહારીમાં ખેડૂતોનો માનવ-મહેરામણ. ખેડૂતોમાં પારાવાર જિજ્ઞાસા કે, આ કોણ મહાત્મા તેમના કાજે પોતે જેલ જવા અંગ્રેજો સામે પડ્યો છે? મેજિસ્ટ્રેટ અને પોલીસ ચિંતામાં, કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન થાય તો?

તેમણે ધારેલું કે ગાંધીજી કોર્ટમાં આવી બચાવ કરશે. પણ ગાંધીજીએ તો કાયદાભંગનો સ્વીકાર કર્યો. જે દિવસે તેમની પર કામ ચાલવાનું હતું, તેની આગલી રાત્રે ગાંધીજીએ તૈયારીઓ કરી. ગવર્નર જનરલને લખ્યું, કૈસરે-હિંદનો ચંદ્રક પાછો મોકલ્યો. પંડિત મદન મોહન માલવિયા, આશ્રમમાં મગનલાલ અને ભ્રમણ કરતા દીનબંધુ એન્ડ્રુઝને પરિસ્થિતિથી વાકેફ કર્યા. મેજિસ્ટ્રેટ સામે આપવાનો જવાબ તૈયાર કર્યો. સવારે એટલા શાંત કે લોકોની ભીડ પર કાબૂ કરવા પોલીસની મદદમાં આવી ગયા.

સરકારી વકીલે મુદત માગી અને મેજિસ્ટ્રેટને પણ રાહત લાગી. પણ ગાંધીજીએ કહ્યું કે તેઓ જવાબ વાંચશે. ગુનો સ્વીકારતા તેમણે કહ્યું, ‘હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોઈ, મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે – એટલે કે અંતરાત્માનો અવાજ – તેને અનુસરવાનો મારો ઉદ્દેશ છે, એ જ મારે જણાવવું હતું.’ મેજિસ્ટ્રેટે ચુકાદો ત્રણ દિવસ માટે અનામત રાખ્યો. આ બનાવની સ્થાનિક વિસ્તારો સહિત જિલ્લામાં અને આખા દેશમાં જાદુઈ અસર થઈ. ચંપારણના ખેડૂતોનો ભય ભાંગ્યો.

સરકારે ગાંધીજીને તપાસ માટે પરવાનગી આપી. જિલ્લા તંત્ર અને અંગ્રેજ માલિકોને લાગ્યું કે હવે તેઓ ખુલ્લા પડશે. પરિણામે દબાણ કર્યું. જૂનમાં બિહારના ગવર્નરે ગાંધીજીને તપાસ સમેટી અને હેવાલ આપવા જણાવ્યું. ગાંધીજીએ વચગાળાનો હેવાલ મોકલ્યો, જેમાં અન્યાય અને જુલમની વિગતો અને કાયદાભંગના વિગતે દાખલા હતા. તેમણે એક તપાસ પંચની માગણી કરી. ગવર્નરે એ વાત માન્ય રાખી અને ગાંધીજીને એક સભ્ય થવા સૂચવ્યું. ગાંધીજીએ શરત મૂકી કે તેઓ ખેડૂતોના પક્ષકાર તરીકે રજૂઆતો કરશે. શરત ગ્રાહ્ય રહી અને જૂન 1917થી ઓક્ટોબર 1917 સુધી આ પંચે સહુની જુબાનીઓ લીધી.

ગાંધીજીએ પણ 12,000 કિસ્સાઓ અને સ્થળ મુલાકાતોના આધારે રજૂઆત કરી. પંચે અંતે હેવાલ રજૂ કર્યો. જે સ્વીકૃત રહ્યો. ‘તીન કઠિયા’ પ્રથા રદ કરવામાં આવી. ખેડૂતો પાસેથી વસૂલેલા તાવાનના પચ્ચીસ ટકા નાણાં ખેડૂતોને પાછાં આપવાના હુકમ થયા. જબરજસ્તીથી ગળીની ખેતી કરનાર ખેડૂતો છૂટ્યા અને શોષણમુક્ત બન્યા.  ગાંધીજીની મોટી સિદ્ધિ જે આવનાર વર્ષોમાં પણ ખૂબ કામ લાગી તે ગામડાની ગરીબ પ્રજામાં ભયનિર્મૂલનની હતી. ચંપારણ સત્યાગ્રહના લીધે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ સમગ્ર દેશમાં નવચેતનાની લહેર દોડી ગઇ.

અહિંસાત્મક સત્યાગ્રહ અને સત્યની ટેક રાખવા ગાંધીજીએ લોકોમાં અભય કેળવ્યું. લોકો નિર્ભય બન્યા. માત્ર સંઘર્ષ જ – ગાંધીજીની ભૂમિકા ક્યારે ય રહી ન હતી. એમણે જોયું કે ચંપારણનાં ગામોમાં ખેડૂતો અને અન્ય લોકો ખૂબ જ ગરીબ પણ સાથે ગંદા અને નિરક્ષર હતા. ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી અને અન્ય સ્થળોએથી લોકોને તેડાવ્યા. મહાદેવભાઈ, દુર્ગાબહેન, કસ્તૂરબા, અને અન્ય પંદર લોકો આવ્યાં. ચંપારણના ગામમાં વસ્યાં. શિક્ષણ અને સફાઈનાં કામ મોટા પાયે ઉપાડ્યાં. ગામના લોકોને પણ જોતર્યા. ભીતિ હરવા ગામમાં આજે પણ કસ્તૂરબાના નામે નિશાળ ચાલે છે.

વકીલ મંડળીને સાથે આ કામમાં રાખી તેમને અત્યંત સાદાઈથી રહેતા શીખવાડી, તેઓ કઈ રીતે રાષ્ટ્રસેવા માટેના ઉત્તમ સેવકો બની શકે તેનું દૃષ્ટાંત દેશ સામે મૂક્યું. આ ત્રણ સિદ્ધિઓને લીધે અને સેવક-નેતૃત્વની પોતાની આગવી શૈલી અને આચરણને લીધે ગાંધીજી કોંગ્રેસ અને તેના તત્કાલીન શીર્ષ નેતાઓથી અલગ નીકળ્યા અને રાષ્ટ્રીય ફલક પર સ્થાપિત થયા.

આજે ફરી દેશના નાના ખેડૂતો બેહાલ થતા જાય છે. ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીની વેળાએ નાના ખેડૂતોનો સંપોષિત વિકાસ થાય તે માટે સમાજે કટિબદ્ધ થવાની જરૂર જણાય છે.

(લેખક મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક છે.)

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 અૅપ્રિલ 2017

Loading

મેહેર બાબા, ગાંધીજી અને એક ખોવાયેલું પુસ્તક

વિશાલ શાહ|Opinion - Opinion|10 April 2017

મેહેર બાબાએ કરેલા એક મહાન પ્રયોગને સમજવાની દરકાર સુદ્ધા ના કરાઈ. તેમણે અતિ ઉન્માદી અને પાગલોને શોધવા આખા દેશમાં રઝળપાટ કરી હતી કારણ કે, એ લોકો ઈશ્વરની સૌથી વધારે નજીક હોય છે. પાગલોને ફક્ત તેમની સમજશક્તિને ફરી એકવાર ઝકઝોરી શકે એવી વ્યક્તિની જ જરૂર હોય છે. એ પછી તેઓ પણ ગુરુ બની શકે છે …

દરેક ગુરુએ એ કક્ષાએ પહોંચતા પહેલાં પાગલ બનવું પડે છે. તેણે જબરદસ્ત પાગલપનમાંથી પસાર થવું પડે છે. જો કે, દરેક પાગલ કંઈ ગુરુ નથી હોતા. જો પાગલ એક પાગલ તરીકે જ મૃત્યુ પામે તો એ પણ ચોક્કસ ઇશ્વરને મળે છે, પરંતુ બીજા લોકોને ઇશ્વર સુધી પહોંચવામાં મદદ નથી કરી શકતો …

જો કોઈ પાગલ પ્રબુદ્ધ માણસના શરણે હોય તો તે કહેવાતા ડાહ્યા માણસ કરતા વધારે ઝડપથી આત્મજ્ઞાન ઝડપથી મેળવી શકે છે. આ પૂર્વની પરંપરા છે, જેને એક વ્યક્તિએ પુન: જીવિત કરી અને એ વ્યક્તિ એટલે મેહેર બાબા …

આ ખૂબ જ વિચિત્ર દુનિયા છે. અહીં મહાન કામની કદર ના પણ થાય! કોઈને મેહેર બાબાના કામથી હેરાની જ ના થઈ. મધર ટેરેસાને નોબેલ પુરસ્કાર મળ્યો કારણ કે તેમણે ગરીબ અને અનાથ બાળકોની સેવા કરી, પરંતુ કોઈએ મેહેર બાબાને નોબેલ પુરસ્કાર આપવાનું ના વિચાર્યું, જેમણે ખરેખર મહાન કામ કર્યું હતું. આવી વ્યક્તિઓ સદીઓમાં એક પાકતી હોય છે …

***  

મેહેર બાબા વિશે આ અભિપ્રાયો ક્રાંતિકારી વિચારક ઓશો રજનીશે આપ્યા હતા. ઓશો અનેક પ્રવચનોમાં પોતાના અનુયાયીઓને મેહેર બાબાએ કરેલા આધ્યાત્મિક પ્રયોગો કેટલા મૂલ્યવાન છે એ સમજાવતા. મેહેર બાબા આઝાદીની લડતના કાળમાં થઈ ગયેલા ગૂઢ રહસ્યવાદી પરંપરાના આધ્યાત્મિક ગુરુ હતા. ૭૪ વર્ષના આયુષ્યમાં મેહેર બાબાએ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી મૌન પાળ્યું હતું. મેહેર બાબા વિશે ભારતીયો ઘણી ઓછી જાણકારી ધરાવે છે, પરંતુ એક સમયે અમેરિકા-યુરોપની હાઈ સોસાયટી તેમ જ કંઈક અંશે પાગલપનમાં જીવન વ્યતિત કરતા પોપ સિંગર, રોક સ્ટાર, મ્યુિઝશિયન અને હોલિવૂડ સ્ટાર્સમાં તેમણે પ્રચંડ લોકપ્રિયતા મેળવી હતી. ઓશો રજનીશ જેવા અતિ વિચક્ષણ વિચારક પણ મેહેર બાબાના આધ્યાત્મિક પ્રયોગોની જાહેરમાં સરાહના કરતા. જો કે ભારતમાં મેહેર બાબાનું જીવન, તેમણે કરેલા આધ્યાત્મિક પ્રયોગો અને ગૂઢ આધ્યાત્મિક વિચારોની ઐતિહાસિક દૃષ્ટિએ પણ મૂલવણી નથી થઈ, જે આપણી ઇતિહાસ પ્રત્યેની ઘોર ઉદાસીનતા દર્શાવે છે.

૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ

આજે ય ભારતમાં ગુજરાત સહિત અમેરિકા, યુરોપના અનેક દેશો, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, જાપાન, કોરિયા, ઈઝરાયેલ અને ઈરાન જેવા દેશોમાં પણ મેહેર બાબાના અનુયાયીઓ છે. ગુજરાતી ભાષામાં પણ મેહેર બાબાની પ્રાર્થનાઓ છે. મેહેર બાબાના અનુયાયીઓ દૃઢપણે માને છે કે, મેહેર બાબાને પૃથ્વી પર પાંચ અવતારી પુરુષોએ મોકલ્યા હતા. આ પાંચ 'અવતાર' એટલે ૧. પૂણેના હજરત બાબાજાન ૨. શિરડીના સાંઇ બાબા ૩. સાકોરીના ઉપાસની મહારાજ ૪. નાગપુરના હઝરત તાજુદ્દીન બાબા અને ૫. કેડગાંવના નારાયણ મહારાજ. ગીતામાં કહેવાયું છે કે, યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્. આ કારણસર એવી માન્યતા અસ્તિત્વમાં આવી છે કે, સમયાંતરે ભારતભૂમિ પર ખુદ ઈશ્વર અવતાર ધારણ કરીને આવે છે. એ થિયરી પ્રમાણે મેહેર બાબાના અનુયાયીઓ તેમને આવા જ એક અવતારી પુરુષ ગણે છે.

મેહેર બાબા, ચાર અવતારી પુરુષ અને બાબાના અંતિમ દર્શન.

૨૫મી ફેબ્રુઆરી, ૧૮૯૪ના રોજ પૂણેના પારસી પરિવારમાં જન્મેલા મેહેર બાબાનું મૂળ નામ હતું, મેરવાન શેરિયાર ઇરાની. ૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ થતા મેરવાન સળંગ સાત વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને ઉપરોક્ત પાંચેય અવતારી પુરુષો, સંતો અને ફકીરોને મળ્યા. મેરવાનનાં એ વર્ષો 'બુદ્ધત્વ'ની પ્રાપ્તિ સાથે સરખાવાય છે. એ પછી તેમણે મેહેર બાબા નામ ધારણ કરીને ૨૭ વર્ષની ઉંમરે પોતાને અવતારી પુરુષ જાહેર કર્યા. ૧૦મી જુલાઈ, ૧૯૨૫ના રોજ મેહેર બાબાએ મૌન પાળવાનું શરૂ કર્યું, જે ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ તેમના મૃત્યુ સુધી ચાલ્યું. મૌન કાળમાં તેઓ આલ્ફાબેટ બોર્ડ અને ખાસ પ્રકારના હાવભાવથી સંવાદ કરતા.

મેહેર બાબા અને ગાંધીજીની મુલાકાત

વર્ષ ૧૯૩૧માં મેહેર બાબા એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં બેસીને પહેલીવાર પશ્ચિમી દેશોના પ્રવાસે નીકળ્યા. એ જ વહાણમાં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા. આ દરમિયાન મેહેર બાબા અને ગાંધીજીની એકથી વધુ વખત મુલાકાત થઈ. તેઓની સૌથી પહેલી મુલાકાત વિશે 'મહાદેવભાઈની ડાયરી' અને 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે. 'મહાદેવભાઈની ડાયરી'માંથી જાણવા મળે છે કે, જમશેદ મહેતાએ ગાંધીજીને તાર કરીને મેહેર બાબાને ખાસ મળવાનું સૂચન કર્યું હતું. (જમશેદ મહેતા કરાચીસ્થિત ગાંધીજીના સાથીદાર હતા. તેઓ કરાચીના પહેલા ચૂંટાયેલા મેયર હતા. અત્યારે પણ પાકિસ્તાનમાં તેઓ 'મેકર ઓફ મોડર્ન કરાચી' તરીકે જાણીતા છે.) આ સૂચનને પગલે આઠમી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ મહાદેવ દેસાઈ ગાંધીજીને મેહેર બાબાની કેબિન પર મળવા લઈ ગયા. એ વખતે પણ બાબાએ ગાંધીજી સાથે મૂળાક્ષરવાળા પાટિયા પર આંગળી મૂકીને વાતો કરી. ગાંધીજી અને મેહેર બાબા વચ્ચે શું વાત થઈ, એ વિશે વાંચો મહાદેવભાઈના જ શબ્દોમાં.

એસ.એસ. રજપૂતાના સ્ટીમરના સનડેક પર આરામની મુદ્રામાં ગાંધીજી 

''… એમણે બાપુની સત્યની ભક્તિ વિશે બહુ વખાણ કર્યા. તમે તમારી દેશસેવામાં પણ ભગવાન જોવા ઈચ્છો છો એ વિશે શંકા નથી, એમ જણાવ્યું. પણ સલાહ એ આપી કે, તમે જવાબદારી ના લો તો સારું. ગરીબના દુ:ખની પણ જવાબદારી તમારે ન લેવી.''

બાપુ : લઉં છું અને નથી લેતો. ન લઉં તો પાખંડી ગણાઉં.

બાબા : પણ તમને પાખંડનો શેનો ડર હોય?

બાપુ : પણ જગતને માટે તો, મારે, મને, પાખંડી ગણવાનો અધિકાર હોવો જ જોઈએ. બાકી મારા મન સાથે તો ભગવાન સાથે લડી લઉં છું કે, 'ભગવાન તુ જાણે, ગાળો પડે તે પણ તારા ઉપર, અને વખાણ થાય તે પણ તારા.'

બાબા : બરોબર છે. મારી ભલામણ છે કે વિલાયતથી આવીને કામ કરવાનું છોડી એકાંતમાં બેસી જાઓ. અને એકાંત લો ત્યારે મારે ત્યાં આવજો.

બાપુ : એવો સમય આવશે તો જરૂર આવીશ. એ સમય આવે ત્યારે બોલવાની જરૂર ન પડે, આવી રીતે ઈશારા કરવાની કે મૂળાક્ષરની પાટી ઊભી કરી તેના આંકડા બતાવવાની પણ જરૂર ન રહે. એકાંતમાં બેસી જવાની સ્થિતિ આપોઆપ આવી જશે. ઈશ્વર જ એ માર્ગ સુઝાડશે, જેમ હંમેશાં માર્ગ સુઝાડયા કીધો છે. તો પછી જ્યાં હોઉં ત્યાં હું નાચીશ …

ગાંધીજીને વાંચવા અપાયેલું એ પુસ્તક

મેહેર બાબા અને ગાંધીજીની પહેલી મુલાકાત દરમિયાન બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બાબાએ ગાંધીજીને એક પુસ્તક વાંચવા આપ્યું, જે તેમણે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક સ્થાપેલા આશ્રમમાં ૧૯૨૫-૨૬ દરમિયાન લખ્યું હતું. ઓક્ટોબર ૧૯૨૫માં મેહેર બાબાએ તેમના અનુયાયીઓને ચાર ફૂટ પહોળું અને સાત ફૂટ લાંબુ એક ટેબલ બનાવવાનું કહ્યું. આ ટેબલને બાબા 'ટેબલ કેબિન' કહેતા. આ ટેબલની નીચે બેસીને બાબાએ એક વર્ષ સુધી એ પુસ્તક લખ્યું હતું. વર્ષ ૧૯૨૭માં તેમણે જાહેરાત કરી કે, આ પુસ્તક ભવિષ્યમાં વેદ, અવેસ્તા, બાઇબલ અને કુરાનની જેમ વિશ્વભરમાં ઓળખાશે, જેનો દરેક ધર્મ-જાતિના લોકો સ્વીકાર કરશે. આ મહાન કામ પૂરું થઈ ગયા પછી હું લખવાનું બંધ કરી દઈશ …

મેહેરાબાદનું એ ટેબલ કેબિન, જેમાં બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું 

મેહેર બાબાની સાથે રહેતા અંગત અનુયાયીઓની ટુકડીને આ પુસ્તક વાંચવાની પરવાનગી હતી. આ ટુકડીને તેઓ 'મંડળી' કહેતા. એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જતી વખતે મેહેર બાબા કાળા રંગની પેટીમાં મૂકીને આ પુસ્તક સાથે લઇ ગયા હતા. 'મહાદેવભાઈની ડાયરી'માં નોંધ છે કે, મેહેર બાબાએ ગાંધીજીને એ પુસ્તક સાથેની પેટી આપી હતી, પરંતુ એની ચાવી ખોવાઈ ગઈ હતી. તેથી ગાંધીજીએ એ પેટી તોડાવીને પુસ્તક વાંચવાની બાબાને ખાતરી આપી. મેહેર બાબાના અનુયાયીઓનું કહેવું છે કે, બાબાએ ગાંધીજી સિવાય કોઈને એ પુસ્તક વાંચવા આપ્યું ન હતું. એ પુસ્તકમાં ગાંધીજીના વિવિધ સવાલો, શંકાઓનું સમાધાન હતું.

ઇંગ્લેન્ડમાં થોડો સમય વીતાવ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ પહેલીવાર અમેરિકા ગયા ત્યારે પણ એ પુસ્તક સાથે જ લઈ ગયા હતા. એનો અર્થ એ કે, ગાંધીજીએ એ પુસ્તક પાછું આપી દીધું હતું.

અને પુસ્તક અચાનક ગાયબ થઈ ગયું

અમેરિકાથી ભારત પરત ફર્યા પછી મેહેર બાબાએ એ પુસ્તક મુંબઈની એક બેંકના લોકરમાં મૂકાવી દીધું, જ્યાં તે સળંગ ૨૧ વર્ષ સુધી રખાયું. આ દરમિયાન બાબાએ રામજૂ અબ્દુલ્લા નામના એક અનુયાયીને એ પુસ્તક બેંકમાંથી પાછું લઈ આવવા કહ્યું. એ પછી પુસ્તક આશ્રમમાં આવ્યું ય ખરું, પણ ૧૯૫૮માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. મેહેર બાબાના મૃત્યુના છ દિવસ પહેલાં, ૨૫મી જાન્યુઆરી ૧૯૬૯ના રોજ એરચ જેસ્સાવાલાએ બાબાને એ પુસ્તક ક્યાં છે એ વિશે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં બાબાએ કહ્યું હતું કે, ''એ સારા હાથમાં છે.'' જેસ્સાવાલા નવ વર્ષની ઉંમરથી જ બાબાની મંડળીમાં જોડાઈ ગયા હતા. બાબાએ મૌન લઈને ઈશારાથી વાત કરવાનું ચાલુ કર્યા પછી જેસ્સાવાલા તેમના દુભાષિયા તરીકે કામ કરતા હતા.

ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ અને ઇન ગોડ્સ હેન્ડ પુસ્તકો

બાબાના મૃત્યુના થોડા દિવસ પછી, ૧૯૬૯માં, મેહેરાબાદ આશ્રમના એક રૂમમાંથી ૨૫૫ પાનાંનું હાથથી લખાયેલું પુસ્તક મળ્યું, પરંતુ એ બાબાના અક્ષરો ન હતા. આ ઘટનાનાં વર્ષો પછી, ૧૯૯૮માં, મેહેર બાબાના અક્ષરોમાં લખાયેલું ૩૯ પાનાનું એક નાનકડું પુસ્તક મળી આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, એ પુસ્તક અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકમાં ઘણી સમાનતા હતી. એટલે એવું પણ મનાયું કે, કોઈએ બાબાએ લખેલા પુસ્તકનું વિસ્તૃત સમજૂતી આપીને સારા અક્ષરોમાં લખવાનો પ્રયાસ કર્યો હશે! શેરિયાર પ્રેસ દ્વારા વર્ષ ૨૦૦૦માં એ ૩૯ પાનાના પુસ્તકનું 'ઈન ગોડ્સ હેન્ડ' નામે અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકનું 'ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ' નામે પ્રકાશન કરાયું હતું.

***

આજે ય કોઈ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી કે, મેહેર બાબાએ ટેબલ નીચે બેસીને લખ્યું હતું એ પુસ્તક એટલે પેલું ૩૯ પાનાનું પુસ્તક. જો એવું હોય તો કહી શકાય કે, મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપ્યું હતું એ પુસ્તક 'ઈન ગોડ્સ હેન્ડ'ની હસ્તપ્રત જ હતી. ખેર, એવા કોઈ જ પુરાવા નહીં હોવાથી આ પુસ્તક આજે ય 'ખોવાયેલું' જ ગણાય છે.

આ રહસ્યમય ઘટના સાથે સંકળાયેલા અનેક સવાલો ઇતિહાસમાં જ દફન થઈ ગયા છે. જેમ કે, મેહેર બાબાએ લખેલા ૩૯ પાનાના પુસ્તકની સમજૂતી આપવાનો પ્રયાસ કોણે કર્યો હતો? ગાંધીજીએ કાળા રંગની પેટી તોડાવીને એ પુસ્તક વાંચવાની મેહેર બાબાને ખાતરી આપી, પરંતુ એ પછી ગાંધીજીએ એવું કર્યું હતું ખરું? એસ.એસ. રજપૂતાના સ્ટીમર પર ગાંધીજી અને મેહેર બાબા એકથી વધુ વખત મળ્યા હતા, ત્યારે તેઓ બંને વચ્ચે એ પુસ્તક વિશે વાત થઈ હતી?

ગાંધી સાહિત્ય કે મેહેર બાબા વિશે લખાયેલા સાહિત્યમાં આ અંગે કોઈ જ ઠોસ જાણકારી મળતી નથી!

https://vishnubharatiya.blogspot.co.uk

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,4053,4063,4073,408...3,4203,4303,440...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved