Opinion Magazine
Number of visits: 9584423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંપારણ એક સદી પછી – સ્મારકોની દુર્દશા, ખેડૂતોની અવદશા

ધૈવત ત્રિવેદી|Opinion - Opinion|17 April 2017

આજે પૂર્વી ચંપારણ અને પશ્ચિમ ચંપારણ એમ બે જિલ્લા છે. પશ્ચિમ ચંપારણનું મુખ્ય મથક બેતિયા છે, જ્યારે પૂર્વ ચંપારણનું મોતિહારી. ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલા અનેક સ્મારકો અહીં વેરવિખેર પડયાં છે. ૧૦૦ વર્ષ પછી એમની સ્થિતિ શું છે?

ચંપારણ વિસ્તારની ૭૩ કોઠી પૈકી બેતિયા પાસે આવેલી એક માત્ર હરદિયા કોઠી આજે ખંડેર સ્વરૂપે હયાત છે. ગળીનાં પાંદડાં એકઠાં કર્યાં પછી કેવી રીતે ગળીની ગોળીઓ બનતી હશે, તેનો આછો-પાતળો ખ્યાલ અહીંથી મળી શકે છે. આ કોઠી હાલ ખાનગી માલિકી હેઠળ છે. ખાલી પડેલી કોઠીની બાજુમાં અંગ્રેજ અમલદારનો વિશાળકાય બંગલો પણ ભેંકાર પડયો છે. એ જમાનાનું એક દુર્લભ ટ્રેકટર પણ અહીં પડયું છે.

ભીતિહરવા આશ્રમ : ગાંધીજીના નામની એકમાત્ર જમીન!

બેતિયા પાસે આવેલા ભીતિહરવા ગામે ગાંધીજીએ નવેમ્બર ૧૯૧૭માં આશ્રમની સ્થાપના કરી હતી. ભારતમાં આજે ઘણી ગાંધી સંસ્થાઓ છે, પરંતુ ભીતિહરવા એકમાત્ર એવો આશ્રમ છે, જેની જમીન ખુદ ગાંધીજીના નામે હોય. ત્યારે ભારતમાં હજુ ગાંધીજીની શરૂઆત હતી, માટે કદાચ તેમણે જમીન પોતાના નામે રાખી હશે. કસ્તૂરબા અને અન્ય મહિલાઓ વાપરતી હતી એ કૂવો, અનાજ દળવાની ઘંટી વગેરે અહીં સાચવી રખાયાં છે.

ચંપારણની લડત : ક્યારે શું થયું?

ચંપારણ સત્યાગ્રહ ૧૯૧૭થી લઈને ૧૯૧૮ સુધી ચાલ્યો એમ કહી શકાય. એ દરમિયાન ગાંધીજી ચંપારણમાં કુલ ૧૭૫ દિવસ રહ્યા હતા. એ દરમિયાનની કેટલીક નોંધપાત્ર તવારીખો ..

૧૯૧૭

૧૦ એપ્રિલ  ગાંધીજી પટણા પહોંચ્યા. રાજકુમાર શુક્લ તથા અન્ય સાથીદારો સાથે તેઓ ચંપારણ જઈ રહ્યા હતા.

૧૫ એપ્રિલ બપોરે ૩ વાગ્યે ગાંધીજી મોતિહારી પહોંચ્યા. ચંપારણની ધરતી પર તેમનું આગમન થયું.

૧૬ એપ્રિલ સરકારે ગાંધીજીને નોટીસ પાઠવી કે ચંપારણ છોડીને પહેલી ટ્રેનમાં રવાના થઈ જાઓ.

ગાંધીજીએ જવાની ના પાડી દીધી.

૧૮ એપ્રિલ ગાંધીજી કોર્ટમાં રજૂ થયા, પોતાનો ગુનો કબૂલ કર્યો, કોર્ટ સમક્ષ બયાન વાંચી સંભળાવ્યુ. ગાંધીજીની મક્કમતાને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ અને કેસની મુદત પડી.

૨૦ એપ્રિલ  ગાંધીજી સામે બધા હથિયારો નિષ્ફળ જતાં સરકારે કેસ પાછો ખેંચી લીધો.

૨૨ એપ્રિલ  ગાંધીજી બેતિયા પહોંચ્યા, હજારીમલ ધર્મશાળામાં રહ્યા.

૨૫ એપ્રિલ ખેડૂતોએ પોતાને થતા અન્યાય અંગેના નિવેદનો ગાંધીજી સમક્ષ નોંધાવવાની શરૂઆત કરી

૫ મે ગળી ઉત્પાદક એસોસિયેશને ગાંધીજીની કામગીરી વિરૂદ્ધ ઠરાવ પસાર કર્યો અને સરકારને  ફરિયાદ કરી.

૨૪ મે બ્રિટિશ સરકારે ચંપારણના ખેડૂતો માટે તપાસ સમિતિ નિમવાનું નક્કી કર્યું.

૧૪ જૂન ગાંધીજીએ સરકારને જણાવ્યુ કે તેમની પાસે ૮૫૦ ગામના દસેક હજાર ખેડૂતોએ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. નિવેદનોમાં ગળીના ૬૦ માલિકો વિરુદ્ધ ફરિયાદ હતી.

૧૫ જુલાઈ તપાસ સમિતીના તમામ સભ્યો બેતિયા પહોંચ્યા.

૧૦ ઓગસ્ટ તીન કઠિયા પ્રથા સમાપ્ત થવી જોઈએ એવું તારણ સમિતિએ રજૂ કર્યું.

૭ ઓક્ટોબર ગાંધીજીએ બેતિયામાં ગૌશાળાની સ્થાપના કરી

૧૮ ઓક્ટોબર સરકારે તીન કઠિયા પ્રથા સમાપ્ત કરવાની ભલામણ કરતો તપાસ-પંચનો અહેવાલ મંજૂર કર્યો. આફ્રિકાથી આવ્યા પછી ગાંધીજીની ભારતમાં એ પહેલી નોંધપાત્ર સફળતા હતી.

૮ નવેમ્બર કસ્તૂરબા સાથે ગાંધીજી મોતિહારી આવ્યા અને અહીંના લોકોને શિક્ષિત કરવા અભિયાનનો આરંભ કર્યો

૧૪ નવેમ્બર ઢાકા પાસેના બહડરવા લખનસેન ગામે ગાંધીજીએ શાળાની સ્થાપના કરી.

૧૯૧૮

૧૨ જાન્યુઆરી ગાંધીજી ચંપારણથી અમદાવાદ પરત ફર્યા

૪ માર્ચ ભારતના ગવર્નર જનરલે તીન કઠિયા પ્રથા રદ કરતા કાનૂનને મંજૂરી આપી.

સફળતા પછી ગાંધીજી ઘણી વખત બિહાર ગયા હતા. ૧૯૩૪ની ૧૪મી માર્ચે ફરી મોતિહારી અને આસપાસના વિસ્તારો ફર્યા હતા. ૧૯૩૩માં ચંપારણમાં ભૂકંપ આવ્યો હતો, માટે ગાંધીજીએ ત્યાં રાહત કામગીરી શરૂ કરાવી હતી.

બાપુ ઉતર્યાં એટલે બાપુધામ

મોતિહારીનું ઐતિહાસિક રેલવે સ્ટેશન આજે બાપુધામ મોતિહારીના સત્તાવાર નામે ઓળખાય છે. રોજની લગભગ વીસેક ટ્રેનો અહીં આવન-જાવન કરતી રહે છે. ગાંધીજી ઉતર્યાં હતા એ સ્થળે આજે પ્લેટફોર્મ નંબર ૧ છે, જ્યારે પ્લેટફોર્મ નંબર ૨ પર ગાંધીજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગાંધીજી સાથે સંકળાયેલી કેટલીક ચીજો અહીં સાચવી રાખવામાં આવી હતી, પરંતુ અનામતના આંદોલન વખતે થયેલી તોડફોડમાં એ બધી યાદગીરી નષ્ટ થઈ ગઈ છે. નવા રૂપ-રંગ સાથે બાપુધામ સ્ટેશન બાપુનો વારસો સાચવીને અણનમ ઊભું છે.

ગાંધી શિક્ષણની શાળા

બેતિયા નજીક વૃંદાવન ખાતે ગાંધીજીએ બુનિયાદી શાળા શરૂ કરી હતી. આજે કેટલાક સ્વયંસેવકો અને સંસ્થાઓ ભારે આર્થિક ભીંસ વચ્ચે પણ આ વિસ્તારમાં ૨૭ જેટલી બુનિયાદી શાળાઓ ચલાવે છે. વૃંદાવન ખાતે ગાંધીજી આવ્યા હતા, ત્યારે તેમણે રજિસ્ટરમાં હસ્તાક્ષર કર્યા હતા.

મિટિંગની રાહ જોઈ રહેલું ટેબલ

ગાંધીજી સહિતની સમિતિના સભ્યો જે કદાવર ટેબલ ફરતે બેસીને મિટિંગ કરતા હતા એ ટેબલ આજે ય મોતિહારીના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં સચવાયેલું છે. ચંપારણના (અને બિહારના પણ) ખેડૂતોની અવદશા અંગે આજે સમિતિ મળે તો પણ તેની બેઠક આ ટેબલ ફરતે કરી શકાય છે.

૧૦૦ વર્ષની ઊજવણી છે, આયોજન નથી

બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીની ઉજવણી સર્વત્ર થઈ રહી છે. ઠેર ઠેર તેના વિશાળકાય પોસ્ટરો લગાવાયા છે. ખેડૂતોનું સન્માન, રાષ્ટ્રપતિ-વડા પ્રધાનની હાજરી સહિતના કાર્યક્રમો છે. પરંતુ ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલા સ્થળોની નથી જાળવણી થઈ રહી કે નથી સાફ-સફાઈ થઈ રહી. ઉજવણી માત્ર બિહાર સરકાર કરવા ખાતર કરી રહી હોય એવી હાલત છે. અનેક નાની-મોટી સંસ્થાઓ પણ પોતાની રીતે કાર્યક્રમો કરી રહી છે. તો વળી વિવિધ ગાંધી સંસ્થાઓ એકબીજાં સાથેના મતભેદો યથાવત રાખીને પોતપોતાના કાર્યક્રમો કરી રહી છે. ગાંધીજીએ ૧૦૦ વર્ષ પહેલા ચંપારણમાં સફાઈ પર ભાર મૂક્યો હતો અને આજે પણ ચંપારણની ધરતીને પગતળે કરીએ તો ખબર પડે કે સફાઈ-શિક્ષણની એટલી જ જરૂર છે, જેટલી ત્યારે હતી.

ગળીઃ ઇતિહાસના દરેક વળાંક પર છંટાયેલો ભૂરો રંગ

ગળીની ખેતી હવે તો થતી નથી, પણ મોતિહરીના સ્મારક ખાતે ગળીનો એક છોડ નમૂના સ્વરૂપે રાખવામાં આવ્યો છે

ઉડિયા કવિ સત્યાનંદ રાઉતરાયે ગળી વિશેની એક કવિતામાં સમયદેવતાની ‘ગળીના ભૂરા રંગમાં સમયદેવતાની છબી સ્પષ્ટ દેખાય છે’

પ્રથમ સત્યાગ્રહ તરીકે ગળીની પસંદગી કરવાનો ગાંધીજીનો નિર્ણય યોગ્ય જ હતો. આર્યો અને દ્રવિડોના સંઘર્ષમાં પણ ગળી કારણભૂત બની હતી. પાંચમી સદીમાં સમ્રાટ સ્કંદગુપ્તને પણ ગળીના કારણે જ પ્રજા સમક્ષ ઝુકવું પડયું હતું.  

ઉડિયા ભાષાના વિખ્યાત કવિ સત્યાનંદ રાઉતરાયે ગળી વિશેની એક કવિતામાં સમય દેવતાને સંબોધીને લખ્યું છે, 'નીલ ટોહો છવી લેય … ગળી તો તારી (ઈશ્વર)ની છબી છે … ચોખ્ખા આકાશની ભૂરાશની અમને ઈર્ષ્યા થતી હતી ત્યારે તેં (ઈશ્વરે) અમને ગળીની ભેટ આપી … પારદર્શિતાનો એ રંગ હવે ધરતી પર પણ અમને તારું સ્મરણ કરાવે છે …'  

કપડાંને ભૂરા રંગે રંગતી ગળી પહેલી નજરે મુદ્દલ એક નૈસર્ગિક રસાયણ છે પરંતુ એક આખા ય પ્રદેશના લોકજીવનને મન એ પરંપરા છે. ગળીનો મહિમા એટલો અનેરો છે કે સદીઓ સુધી ગળી એ માનવ સભ્યતાનું અર્થકારણ, સમાજકારણ અને યુદ્ધકારણ પણ બનતી રહી છે. ગળીને ભારત સાથે સીધો સંબંધ રહ્યો છે. તેનું અંગ્રેજી નામ 'ઈન્ડિગો' એ 'ઈન્ડિયા' સાથેનો તેનો નાતો સૂચવે છે, અને ભારતના ઇતિહાસના દરેક વળાંક પર ગળીના ભૂરા રંગની ઝાંય જોવા મળે છે.

ગળીના મૂળ જૈવવૈજ્ઞાનિક રીતે સાત-આઠ ફૂટથી ખાસ ઊંડા નથી હોતાં, પરંતુ તેના ઐતિહાસિક મૂળિયાં આજથી આઠ-દસ હજાર વર્ષ પૂર્વે છેક માનવ સભ્યતાના આરંભને અડે છે. સિંધુ કાંઠાની સમાંતરે પાંગરેલી સભ્યતાના લોકો ગળીના રંગથી કપડાં રંગતાં હોવાના પૂરાતત્વિય પ્રમાણો પ્રાપ્ત થયા છે. આર્યોના આગમન પહેલાંની એ સભ્યતા ગળીના છોડ, ઉછેર અને ઉપયોગિતાથી સુપેરે માહિતગાર હતી અને ગળીના રંગને સૂકવવામાં માહેર પણ હતી.

ઈસવી સન ૬૦૦૦ વર્ષ પૂર્વે સિંધુ ખીણની નગર સંસ્કૃિતના વેપાર કેન્દ્રો થકી સિલ્ક રૂટ તરીકે ઓળખાતા માર્ગ દ્વારા આજના મધ્ય એશિયા થઈને પૂર્વે છેક ચીન અને પશ્ચિમે ગ્રીસ સુધી ગળીના ભૂકાનો વેપાર થતો હતો. સિંધુ ખીણની સભ્યતાની આર્થિક ઉન્નતિમાં ગળીના વેપારનો એટલો મોટો ફાળો હતો કેે નવી જમીનની શોધમાં ખૈબરઘાટના માર્ગે સિંધુ પ્રદેશમાં પ્રવેશેલા આર્યોએ દ્રાવિડોને નમાવવા માટે સૌ પ્રથમ ગળીના વાવેતર પર જ હુમલો કરવાનું પસંદ કર્યું હતું.

પ્રાચીન નગર સભ્યતાના લોકો ઉત્પાદન અને તાંત્રિક બાબતોમાં નિષ્ણાત હતા, જ્યારે આર્યો ખેતી, પશુપાલન અને સિંચાઈમાં માહેર હતા. આર્યોએ દ્રવિડ વસાહતના ખેતરોમાં પહોંચતા પાણી રોકવા માટે નદીના ઉપરવાસમાં આડબંધ બાંધવા માંડયા અને એ રીતે ગળીના ખેતરો સૂકાવા લાગ્યા. આર્યો અને દ્રાવિડો વચ્ચેના સંઘર્ષનો એ આરંભ અને તેનું નિમિત્ત બની હતી ગળી.

આર્ય અને દ્રવિડ વચ્ચેના સંઘર્ષના કારણે ક્રમશઃ સિંધુ ખીણની સભ્યતાઓ પીછેહઠ કરતી ગઈ અને ગંગા-જમુનાના દોઆબ તરીકે ઓળખાતા મેદાની વિસ્તારોમાં આર્યો ફરી વળ્યા. અનુ, દ્રુહ્યુ, તુત્સુ, ભરત, યયુ એવા આર્ય જનપદો ખેતી, પશુપાલન પર આધારિત સમાજરચના ધરાવતા હતા અને ખેતીમાં પણ અનાજની સાથે ગળીના વાવેતરનું પણ એટલું જ મહત્ત્વ હતું. દ્રાવિડો પાસેથી શીખેલી ગળીની ખેતી આર્યોએ તો જાળવી જ, દ્રાવિડો પણ કાળક્રમે સહ્યાદ્રીની નૈસર્ગિક દિવાલ ઓળંગીને કાવેરીના સામા કાંઠે સ્થાયી થયા અને ત્યાં પણ ગળીની ખેતી જાળવી રાખવી.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં આર્યોની ખેતઉપજ તંદુરસ્ત રહે, માફકસરની વૃષ્ટિ થાય અને જીવાતરૂપી ઉપદ્રવ નાબૂદ થાય એ માટે જે પ્રાર્થનાઓ છે તેમાં પણ દૂધ, ધન, ધાન્ય, આયુર્વનસ્પતિની સાથેસાથે ગળીનો પાક સલામત રહે એવો ઉલ્લેખ દર્શાવે છે કે ગળીના વાવેતર આર્થિક રીતે પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ હતા.

બંગાળમાં બર્દવાન નજીકથી પ્રાપ્ત થયેલા એક અભિલેખમાં બહુ રસપ્રદ ઉલ્લેખ છે. સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં (ઈસ્વી સનની પાંચમી સદીમાં) હુણ આક્રમણને ખાળવા માટે રાજ્યની ઘણી ખરી શક્તિ ખર્ચાઈ રહી હતી ત્યારે સ્કંદગુપ્તના પ્રધાન વૈવદત્તે ગળીના વાવેતર રાજ્ય હસ્તક લઈ લેવાનું અને એ રીતે આવક વધારવાનું સુચન કર્યું હતું. પ્રજામાં તેની સામે ભારે રોષ પ્રગટયો હતો. અમુક વર્ષ સુધી ગળીના ઉત્પાદન લોકો પાસે કરાવીને તેની તમામ આવક રાજકોષમાં જમા કરાવવામાં આવતી હતી. આખરે પ્રજાની નારાજગી એટલી વધી કે સમ્રાટ સ્કંદગુપ્તે ગળીના વાવેતર પરનો કર વધારીને સંતોષ માન્યો હતો.

સ્કંદગુપ્તના સમયની આ ઘટના ભારતના (આજના) બંગાળમાં બની હતી, હવે એવી જ બીજી ઘટનાને સાંકળો તો ખ્યાલ આવશે કે ગળીના ભૂરા આકર્ષણને સમય કે સરહદના કોઈ સીમાડા નડયા નથી. વાત છે ૧૮૭૯ના અમેરિકાની. અમેરિકાએ સરકારી તિજોરીની ખાધ પર અંકુશ મૂકવા આયાત પર ટેક્સ ખાસ્સો વધારી દીધો. ભારતથી મોટા પ્રમાણમાં આયાત થતી ગળી પણ તેમાં અડફેટે ચડી ગઈ.

એ સમય એવો હતો કે આજે આધુનિક પહેરવેશ તરીકે અત્યંત લોકપ્રિય બની ચૂકેલા જીન્સનો એ આરંભકાળ હતો. ગળીના રંગે રંગાયેલું જાડું, ખદ્દડ કાપડ મહેનતકશ લોકોના પહેરવેશ તરીકે ભારે ઉપયોગી સાબિત થઈ ચૂક્યું હતું. મૂળ તેનો આવિષ્કાર ફ્રાન્સના નિમ્સ શહેરમાં, એટલે તે 'સર્જ ડી નિમ્સ' (નિમ્સના પાટલૂન) તરીકે ઓળખાતું હતું અને પછી અંગ્રેજીમાં અપભ્રંશ થઈને તે 'ડેનિમ' થઈ ગયું હતું. ગળી પરનો ટેક્સ વધ્યો એટલે આયાત ઘટી ગઈ. આયાત ઘટી ગઈ એટલે ડેનિમનું ઉત્પાદન ઘટતું ઘટતું ક્રમશઃ બંધ થવા આવ્યું. પરંતુ નાવિકો, મજૂરો, ખાણિયાઓ જેવા કારીગર વર્ગમાં જિન્સ એટલાં લોકપ્રિય થઈ ગયા હતા કે આવા મહેનતકશ લોકોએ ડેનીમના બેકાર થયેલા કામદારો સાથે વણાટના કારખાનાઓ પર જનતારેડ પાડવા માંડી. છેવટે સરકારે ગળી પરનો ટેક્સ ઘટાડયો ત્યારે જ લોકોના લીલાછમ આક્રોશને શાંતિની ભૂરાશ સાંપડી હતી.

ઈસ્વી સન પૂર્વે ૭૦૦૦ વ ર્ષ … ઈસ્વી સન ૪૭૦ … ઈસ્વી સન ૧૯૧૭ …

ઇતિહાસના દરેક વળાંક પર ગળીનો રંગ છંટાયેલો છે. આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજી દેશવ્યાપી આંદોલન માટે યોગ્ય મુદ્દાની તલાશમાં હતા. એ જ વખતે તત્કાલીન બંગાળ પ્રાંતના આગેવાનો દ્વારા તેમને ગળીના મજૂરોના શોષણની માહિતી મળી. સેંકડો એકરમાં ફેલાયેલા ગળીના ખેતરો ધરાવતા નીલ જમીનદાર યાને મોટા ખેડૂતો ગળી કામદારો, ખેતમજૂરોને પૂરતી મજૂરી ચૂકવતા નથી, બરડાફાડ કામ કરાવે છે અને બદલામાં પૂરતું વેતન પણ આપતાં નથી એવી ફરિયાદોને ગાંધીજીએ ગંભીરતાથી લીધી. પોતે ચંપારણની મુલાકાત લઈને જાતતપાસ કરી અને અંગ્રેજો સામે સત્યાગ્રહ કરવા માટે તેમને પહેલો મુદ્દો અહીં જડ્યો.

નેતા તરીકે મુદ્દો પારખવાની એ ગાંધીજીની કાબેલિયત ગણવી કે હિન્દના ઇતિહાસના દરેક વળાંક પર હાજર રહેવાની ગળીની તકદીર ગણવી? માત્ર ચાર-પાંચ ફૂટનો છોડ, સાધારણ વનસ્પતિ જેવો જ દેખાવ અને નિસર્ગે આપેલો સંમોહક, આસમાની ઝાંય ધરાવતો ભૂરો રંગ …

ઉડિયા કવિએ યોગ્ય જ કહ્યું છે, 'નીલ ટોહો છવી લેય … ગળીના ભૂરા રંગમાં સમયદેવતાની છબી સ્પષ્ટ વર્તાય છે'

હજારીમલ ધર્મશાળા : ગાંધીના નામે ચાલતો વેપાર

બેતિયામાં ગાંધીજી આવ્યા ત્યારે ૧૮૯૨માં સ્થપાયેલી હજારીમલ ધર્મશાળામાં રહ્યા હતા. એ ધર્મશાળાનો ઘણો-ખરો ભાગ આજે તૂટી પડયો છે અને ત્યાં શોપિંગ કોમ્પલેક્સ બંધાઈ ગયુ છે. ધર્મશાળાનો થોડોક ઢાંચો બાકી રહ્યો છે, જે ગમે ત્યારે પડે એમ છે.

ગાંધી ન હોત તો, દુનિયા આટલી ખુબસૂરત ન હોત!

* ગાંધીજીના સત્યાગ્રહની તાકાતથી પ્રભાવિત થયેલા વાઈસરોય વિલિંગ્ડને લખ્યું હતું : જો ગાંધી ન હોત તો દુનિયા આજે છે, એટલી સુંદર પણ ન હોત!

* ચંપારણ સત્યાગ્રહની યાદમાં સરકારે દિલ્હીથી મોતિહારી વચ્ચે ખાસ ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. અલબત્ત, ગાંધીજી સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા, પરંતુ આ ટ્રેન ભાગ્યે જ સમયસર મોતિહારી પહોંચે છે.

* રાજેન્દ્ર પ્રસાદ, બ્રજ કિશોર, ધરણીધર બાબુ વગેરે એ વખતના બિહારના પ્રથમ હરોળના વકીલો હતા. ત્યારે તેઓ કેસની દસ હજાર રૂપિયા જેવી માતબર ફી લેેતા હતા. પરંતુ ગાંધીજી સાથે જોડાયા પછી પોતાનાં કામો હાથે કરતાં થઈ ગયા હતા. કેટલાક વકીલ સત્યાગ્રહ વખતે પોતાના નોકર-ચાકર સાથે લઈને આવ્યા હતા. ગાંધીજીને ખબર પડી ત્યારે તેમણે બધાના નોકર પરત મોકલાવી દીધા હતા.

* ચંપારણમાં ભોજપુરી, મૈથિલી વગેરે ભાષા વપરાય છે. ગાંધીજી પહોંચ્યા ત્યારે પણ એ જ ભાષાઓ હતી, જે ગાંધીજીને સમજાતી ન હતી. ત્યાંના ખેડૂૂતો હિન્દી જાણતા ન હતા. માટે ગાંધીજીએ દુભાષિયાઓની મદદ લેવી પડતી હતી.

* લડત શરુ થઈ એટલે તરત ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં મગનલાલ ગાંધીને પત્ર લખ્યો અને તેમાં લખ્યું : રામચંદ્ર, ભરત, જનક, સીતાજીએ જે મુલકમાં વિહાર કર્યો છે તે બિહારમાં હું જેલમાં જઈશ એવું તો આપણે કોઈએ નહીં ધાર્યુ હોય (જો કે પછી ગાંધીજીને ત્યાં જેલમાં જવું પડયું ન હતું).

ગાંધીજીએ શરૂ કરેલી પ્રથમ શાળા

૧૯૧૭ની ૧૪મી નવેમ્બરે ગાંધીજીએ ઢાકા પાસે આવેલા બહડરવા લખનસેન ગામે સ્કૂલની સ્થાપના કરી. ભારતમાં ગાંધીજીએ સ્થાપેલી એ પ્રથમ સ્કૂલ. ૧૦૦ વર્ષ પછી મૂળ સ્કૂલ ખખડધજ થઈ ગઈ છે, એટલે તેનું રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું છે. આસપાસ બંધાયેલા નવા મકાનોમાં જો કે શાળા ચાલુ જ છે.

ચંપારણ : રાજા જનકની ભૂમિ

ચંપારણને રાજા જનકની ભૂમિ ગણવામાં આવે છે. સીતા અહીંની ધરતીમાંથી પેદા થઈ હતી. માટે જ કદાચ આજે ય ત્યાંની ધરતી અત્યંત ઉપજાઉ છે. આ તસવીર ચંપાના છોડની છે, જેનાં નામે વિસ્તાર ચંપારણ કહેવામાં આવે છે.

કેટલાં નૂર કપડાં?

ચંપારણ આવ્યા ત્યારે ગાંધીજી આવા દેહાતી પોશાકમાં સજ્જ હતા. એક કોઠી માલિકે તો ગાંધીજીના પોશાક અંગે ટીકા ટિપ્પણી કરતો લેખ પણ અખબારમાં લખ્યો હતો. મોતિહારીના સ્મારકમાં ગાંધીજીની આ પ્રતિમા ઊભી રાખવામાં આવી છે.

ગોરખ બાબુનું ઘર, આજે થયું બેઘર

મોતિહારી આવ્યા ત્યારે તેમને જોવા સૌ કોઈ આવ્યા હતા, પણ કોઈ ગાંધીજીને રાખવા તૈયાર ન હતા. અંગ્રેજ સત્તાનો સૌને ડર હતો. એ વખતે વકીલ ગોરખ બાબુ આગળ આવ્યા અને પોતાને ત્યાં ગાંધીજીને લઈ ગયા. એ ઘર આજે ખાનગી હાથોમાં છે. બહાર કોઈ માહિતીનું બોર્ડ નથી, એટલે ત્યાંથી પસાર થતા પ્રવાસીઓને ખબર પડે જ નહીં કે આ દેશી નળિયાથી ઢંકાયેલું ઘર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીને સાચવનારા મકાનને બિહાર સરકાર સાચવી શકી નથી.

ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજી સાથે કોણ કોણ હતા?

રાજકુમાર શુક્લએ સતત પગેરું દાબીને ગાંધીજીને ચંપારણ સુધી આવવા મજબૂર કર્યા હતા. ત્યાં આવ્યા પછી તેમની મદદ કરવા માટે ડો. રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક નેતાઓ હતા. રાજેન્દ્ર પ્રસાદે જ સત્યાગ્રહ પછી તેનો ઇતિહાસ લખ્યો હતો. બ્રજ કિશોર બાબુ નામના વકીલ ગાંધીજીના આગમન પહેલાથી જ અંગ્રેજો સામે લડત આપી રહ્યા હતા. શેખ ગુલાબ, પીર મહમ્મદ મુનિશ, સીતલ રાય વગેરે સ્થાનિક અગ્રણીઓ ચંપારણ સત્યાગ્રહ સફળ બનાવવા ખડે પગે હાજર રહ્યા હતા. આચાર્ય કૃપાલાણી ત્યારે મુઝ્ઝફરપુરમાં પ્રોફેસર હતા. તેમણે અહીં ગાંધીજીના ઉતારાની સગવડ કરી હતી. ગાંધીજીનું આગમન રાતે થયું ત્યારે તેમના સ્વાગત માટે કૃપાલાણીજી પોતે નાળિયેરી પર ચડીને નાળિયેર તોડી લાવ્યા હતા. ગાંધીજી સાથે ઈંગ્લેન્ડમાં ભણતા મૌલાના મઝહરૂલ હક બિહારના એ સમયના મહાજન હતા. ગાંધીજીના આગમન સાથે મદદ કરવા દોડી આવ્યા હતા. ગાંધીજીને મોતિહારીમાં કોઈ આશરો આપવા તૈયાર ન હતા, ત્યારે ગોરખ પ્રસાદે પોતાનું ઘર ફાળવી આપ્યું હતું.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-12-april-2017-champaran-satyagrah

[ફોટા-સામગ્રીનું સૌજન્ય : લલિત ખંભાયતા]

સૌજન્ય : ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 12 અૅપ્રિલ 2017

Loading

મૂલ્યનિરપેક્ષતાના મુલકમાં સ્વૈરવિહાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 April 2017

આખરે એ ‘ગુજરાત ગૌરવ’ અને ‘વિકાસ’ સ્તો હતાં જે વેચીને મોદી અખિલ હિંદ અપીલના ધરાર ધણી લેખાયા છે

ઇતિવૃત્તકાર રામચંદ્ર ગુહાના તાજેતરના લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ ખાતેના એ ઉદ્‌ગારોને કેવી રીતે ઘટાવશું વારુ? સહેજે બારપંદર દિવસ થઈ ગયા એ વાતને, અને દૈનિક પત્રના આ ચહેતા કતારચીએ હજુ તે વિશે રદિયાથી સમજૂતની તરજ પર કશી વાત પણ કરી નથી! રહો, ઓર નુક્તેચીનીમાં જવા પૂર્વે ગુહાના લંડન વક્તવ્યનો ટૂંકસાર જરી ઉતાવળે આપી દઉં: નરેન્દ્ર મોદી નાતજાતપ્રદેશને વટી જતી અખિલ હિંદ અપીલ ધરાવે છે. એ રીતે જોઈએ તો જવાહરલાલ નેહરુ અને ઇંદિરા ગાંધી પછીના ત્રીજા સફળ વડાપ્રધાન તરીકે ભાવિ ઇતિહાસ મોદીની નોંધ લેશે.

સામાન્યપણે ગુહા મોદી નેતૃત્વના ટીકાકાર તરીકેની છાપ ધરાવે છે. ભ્રષ્ટાચારનાબૂદી બાબતે તે ખરેખાત ઇચ્છુક છે કે કેમ એવો પ્રશ્ન પણ સવિશેષ તો વિભાજક અને વિષાક્ત કોમી રાજનીતિથી માંડીને આપણી ક્રિમિનલ જસ્ટિસ પદ્ધતિની મર્યાદાઓ સાથે તોડમરોડ સહિતનાં વાનાં એમનો બેબાક ટીકાવિષય રહ્યાં છે. મોદીના વિશ્વદર્શનની સંકીર્ણતા વિશે બોલતાં ગુહાએ સંકોચ કર્યો જાણ્યો નથી. આ ગુહા, નમોને નેહરુ, અને ઇંદિરા સાથે મૂકે? ખરું જોતાં, એ તો નેહરુ અને ઇંદિરાને પણ એક સાથે મૂકી ન શકે, કેમ કે નેહરુનું ઇતિહાસદર્શન-માનવતા-લોકશાહી સમાજવાદ એમને જે રીતે જમાતજુદેરા ને મૂઠીઊંચેરા મૂકી આપે છે એ રીતે કટોકટીખ્યાત ઇંદિરા ગાંધી સુધ્ધાં કિસ ગિનતી મેં એવો સવાલ લાજિમ છે. ટૂંકા ગાળાની વડાપ્રધાન આયુમાં દંતકથારૂપ ઉભરેલા લાલબહાદુર શાસ્ત્રી, ટટ્ટાર મોરારજી દેસાઈ, ઇન્સાનિયતની રાજનીતિ ચાહતા વાજપેયી, આ સૌને કોરાણે રાખીને નમોનું નામ લેવું તે જરૂર સાહસ માગી લે છે.

અધૂરામાં પૂરું, વાતમાં મોણ નાખવાને ધોરણે નહીં પણ પરિપ્રેક્ષ્યસર, બીજી જે એક વિગત અહીં નોંધવી જોઈએ તે પણ સંભારી લઉં. એજન્સીએ લંડન વક્તવ્ય પ્રસારિત કરતી વેળાએ ખાસ કાળજી રાખીને અંબોળેલી ટિપ્પણી એ હતી કે મોદીની અને હિંદુત્વ રાજનીતિની ટીકા સબબ ગુહાને ‘થ્રેટ મેલ’ (માત્ર ‘હેટ મેલ’ નહીં પણ ‘થ્રેટ મેલ’) મળે છે. જોકે ગુહા એને મહત્ત્વ નથી આપતા અને એક રોજિંદી બીના માત્ર તરીકે જ ઘટાવે છે એમ પણ એજન્સીએ ઉમેર્યું હતું. છતાં, એણે બે બાબતોને એક સાથે મૂકી આપવાની ચેષ્ટા કરી હતી એમાંથી કેમ જાણે કોઈ સૂચક સહોપસ્થિતિની બૂ ઊઠતી હતી.

ઇતિવૃત્તકાર કહેતાં ક્રોનિકલર ગુહા તાજેતરનાં વરસોમાં એક એવા બૌદ્ધિકરૂપે ઉભર્યા છે જેણે જાહેર જીવનમાં કાંક કહેવાપણું છે. જ્યારે એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે એમનો વિશેષોલ્લેખ કરીએ ત્યારે હમણાં સુધીની એમની મોદીમીમાંસાનું એ એક વાનું પણ બિનચૂક સંભારી લેવુ રહે કે બૌદ્ધિકો બાબતે મોદી સરકાર જે તુચ્છકારથી પેશ આવતી માલૂમ પડી છે એના ગુહા ટીકાકાર રહ્યા છે. મોદીના નેતૃત્વમાંથી સોડાતા બૌદ્ધિકવિરોધવાદ બલકે એન્ટિ-ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ વિશે બોલવાલખવામાં ગુહાએ કોઈ સંકોચ દાખવ્યો નથી. તેમ છતાં નેહરુ-ઇંદિરા-મોદી ત્રણેને અખિલ હિંદ અપીલને ધોરણે સફળતાના એક જ સોપાને ગુહાએ મૂક્યાં છે તે મૂક્યાં છે. એટલે જાહેર ચર્ચાના ક્ષેત્રમાંથી એમણે પણ પાપપુણ્યની બારી પેઠે પસાર થવું તો પડે. બલકે, પોતે પાપપુણ્યની બારીમાંથી પસાર થઈને પોતાનું વજૂદ અંકે કરવું રહે છે એ સમજવામાં જાહેર મતે એમને પ્રેમથી પુચકારીને કે લગરીક આરીનો અનુભવ કરાવીને ય મદદરૂપ થવું રહે છે. આ કોશિશ, આ પ્રક્રિયા અલબત્ત ગુહા સંદર્ભે જ નહીં જાહેર મતના બાકી સૌ લખવૈયા (આ લખનાર સહિત)ના લાભાર્થે ય ઈષ્ટ છે.

દરમ્યાન, કદાચ દૂરાકૃષ્ટ છતાં અહીં સાંભરતો એક પેરેલલ ચિમનભાઈ પટેલના ગુજરાતકારણ (અને સત્તાકારણ)નો છે. સોળ વરસ પછી એ બીજી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની એક નવી સ્વીકૃતિ બની હતી. નહીં કે એમનાં અગાઉનાં ટીકાસ્થાનો હવે નહોતાં; પણ તે છતાં સ્વીકૃતિ બની’તી તે બની’તી. એમના જૂના ટીકાકારોનો ટીકાભાવ ઝાઝો ઘટ્યો હશે, એવું પણ નહોતું. પણ જ્યારે ખરીખોટી અનવસ્થા વચ્ચે આ એક જણ ‘ડિલીવર’ કરી જાણનાર જણ છે, આપણે જે દોરમાંથી ગુજરી રહ્યા છીએ તેમાં ‘ત્રાહિમામ્’ને દાદ આપી શકે એવો કાબેલ જણ છે, એવો ભાવ પ્રજામાનસમાં જાગે ત્યારે આવી સ્વીકૃતિ બનતી હોય છે. આવી સ્વીકૃતિ વખતે કથિત વ્યક્તિત્વની મૂળભૂતપણે નીતિનિરપેક્ષ-મૂલ્યનિરપેક્ષ ગતિવિધિ કાં તો લક્ષમાં જ રહેતી નથી કે પછી તેવી ગતિવિધિ પોતે કાબેલિયતરૂપે મહિમામંડન પામી ભાગ્યશાળીને ભૂત રળે એ કહેવત સાચી પાડી આપે છે.

એટલે ગુહા જ્યારે નેહરુ-ઇંદિરા-મોદીને એક શ્વાસે એક સોપાને મૂકતા જણાય છે ત્યારે કાં તો જનમાનસનો પડઘો પાડતા (કે એમાં જોડાઈ જતા) માલૂમ પડે છે. આ સંજોગોમાં નીરક્ષીર અને નિકષને ધોરણે એ ક્યાં ઊભા છે એવો સવાલ પૂછવો લાજિમ છે. અથવા તો, એમણે એક સાથે બે ધાગે અને બે સ્તરે કામ લેવાપણું જરૂરી લાગે છે. એક પા, તે આ સ્વીકૃતિની જો નોંધ લે તો બીજી પા આ સ્વીકૃતિમાં ગૃહીત પારનૈતિક (અમોરલ) અભિગમ વિશે એ અજાણ નથી અને જનમતે પણ જાગ્રત રહેવાપણું છે તે એમણે ચોખારી અને ખોખારીને બોલવું રહે. જો આ વાતે, ‘સ્વીકૃતિ’નું વાસ્તવ સ્વીકારતે છતે આપણે ઢીલું મૂકીએ તો શું બને એ કલ્પવું પડે એમ નથી. મોદી સહી અને યોગી નહીં, એવો જે તર્ક આ આખું રાજકીય પેકેજ પ્રીછ્યા વગર આજકાલ આગળ ધરાઈ રહ્યો છે તે આનું જ એક ઉદાહરણ છે.

વણઝારાની બનતી આવતી સ્વીકૃતિ પણ આ સંદર્ભમાં જોવાતપાસવાપણું છે. ગુહા જો આ મુદ્દો ચૂકીને ચાલવાના હોય – એટલે કે બે ધાગે અને બે સ્તરે – એક સાથે સ્પષ્ટતાથી ચાલી શકવાના ન હોય તો એક જાગતલ અને જાણતલ પબ્લિક ઇન્ટેલેક્યુઅલ તરીકે એમને પક્ષે એ ઇતિહાસગોથું હશે. અંગ્રેજી પત્રકારત્વમાં મેઘનાદ દેસાઈ, તવલીન સિંહથી માંડીને એકાધિક ગુજરાતી કટારચીઓ આજે આવા એક ગોથાને અંગે ગુરુત્વાકર્ષણની પરિસ્થિતિ જાણેઅજાણે સરજી રહ્યાં છે. આ ગુરુત્વાકર્ષણની બલિહારી એ છે કે વિજ્ઞાનનિરપેક્ષપણે તે ઉપર (મોદી તરફ) અને નીચે (પારનૈતિક ને મૂલ્યનિરપેક્ષ ભોંય ભણી) એક સાથે ખેંચી શકે છે. આમાં બાદશાહના મહેલના દીવે જોઈ કાતિલ ઠંડીમાં નદી વચાળે ઉષ્મા મેળવતા નિરીહ નાગરિકની સરળતા જ નહીં, બાદશાહના ‘દિવ્ય વસ્ત્રો’ની અસલિયત જોતે છતે નહીં જોતા વિચક્ષણ જણની વશેકાઈ પણ છે. મધુ કિશ્વરની મોદીનામા ભણીની સફર અને તે પછી કંઈક ભોંયપછાડ પણ અહીં જરૂર સંભારી શકીએ.

કદાચ, કરવા જેવું એક કામ એનું એ જ જૂનું ગાણું લાગે તો પણ કથિત ગુજરાત મોડેલનો વાંસો લોક સમક્ષ લાવવા જેવું છે. માયા કોડનાની કેસમાં અમિત શાહને સાક્ષી તરીકે હાજર થવાનું બને તે આ સંદર્ભમાં તપાસવા જેવું છે. ગોધરા-અનુગોધરા તપાસ છેડા ક્યાં ને કેમ છૂટા મુકાયા છે ત્યાંથી માંડીને વિકાસનું વાસ્તવ શું છે તે વિશે પણ હજુ વિશેષ ઊહાપોહની જરૂરત છે. આખરે એ ‘ગુજરાત ગૌરવ’ અને ‘વિકાસ’ સ્તો હતાં. જે વેચી વેચીને મે 2014માં દિલ્હીપતિ બની મોદી અખિલ હિંદ અપીલના ધરાર ધણી લેખાયા છે. આ આખી પ્રક્રિયાથી લગારે અજાણ નહીં એવા ગુહા જ્યારે મૂલ્યનિરપેક્ષતાના મુલકમાં પોતાના લંડન વક્તવ્ય સાથે નાંગરે છે ત્યારે મોદીના સફાઈ અભિયાન સાથે નાગરિકને પક્ષે જરૂરી સફાઈ બેલાશક સાફ, સાફ અને સાફ હોવાની. નિયતિ કહો તો નિયતિ, સૌભાગ્ય કહો તો સૌભાગ્ય, આ નહીં તો શું છે, કહો જોઉં.

સૌજન્ય : ‘મુખ અને વાંસો’, “દિવ્ય ભાસ્કર”, 15 અૅપ્રિલ 2017

Loading

ચાંગદેવ ખૈરમોડેએ સાડા હજાર પાનાંમાં બાર ભાગમાં લખેલું ડૉ.આંબેડકરનું સૌથી સર્વગ્રાહી જીવનચરિત્ર 40 વર્ષે સંપૂર્ણ પ્રગટ થયું

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|14 April 2017

બાબાસાહેબના જીવનકાર્ય માટેની નિસ્બત અને ચાળીસ વર્ષનાં આકરા સંશોધનનું ફળ

બાર ભાગમાં લખાયેલા મહાગ્રંથના પ્રકાશનનું અધુરું કામ ચાંગદેવનાણ પત્ની દ્વારકાતાઈએ પાર પાડ્યું

ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેએ મરાઠીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર બાર  ભાગમાં લખ્યું છે. સાડા ચાર હજાર જેટલાં પાનાંનું આ ચરિત્ર પુનાના સુગાવા પ્રકાશને 1982 થી 2012 દરમિયાન પ્રસિદ્ધ કર્યું છે. આ અભૂતપૂર્વ મૌલિક ગ્રંથશ્રેણીના પહેલા બે ભાગનો વિમલકીર્તિએ કરેલો હિંદી અનુવાદ દિલ્હીના સમ્યક પ્રકાશને 2009-2010માં બહાર પાડ્યો છે.

ખૈરમોડે (1904-1971) બાબાસાહેબના અંતેવાસી હતા અને મુંબઈમાં બ્રિટિશ સરકારના સચિવાલયના વહીવટી કર્મચારી હતા. ચાળીસ વર્ષની મહેનતથી લખાયેલા આકરગ્રંથના ફક્ત પહેલા પાંચ ભાગનું પ્રકાશન અને આર્થિક નુકસાન જ તે જીવન દરમિયાન  જોઈ શક્યા હતા. તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેનાં થોડાંક વર્ષ પછી બાકીના સાત ભાગના સંપાદન-પ્રકાશનની કપરી કામગીરી તેમનાં પત્ની દ્વારકાતાઈએ પાર પાડી. પતિએ એકઠી કરેલી સામગ્રીનું સંકલન કરી તેમણે ઉચિત નિવેદનો તથા અભ્યાપૂર્ણ પ્રસ્તાવનાઓ સાથે ગ્રંથોનું પ્રકાશન, અને સતત માગ મુજબ પુનર્મુદ્રણ કરાવ્યું. તેમાં મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય આણિ સંસ્કૃિત મંડળની તેમ જ કેટલાક અભ્યાસીઓની બહુમૂલ્ય મદદ મળી.

જો કે 1952માં બહાર પડેલો પહેલો ભાગ તો ખુદ બાબાસાહેબે વાંચ્યો હતો. એ અંગે બીજા ભાગની પ્રસ્તાવનામાં ખૈરમોડેએ નોંધ્યું છે કે કેટલાક યુવાનોએ એ પુસ્તક વિશે બાબાસાહેબનો અભિપ્રાય માગ્યો ત્યારે તેમણે કહ્યું હતું : ‘આના કરતા તો વધારે હું શું લખી શક્યો હોત ? લેખકે મારા જીવનની પંચોતેર ટકા મહિતી આ ગ્રંથમાં આપી છે. જે જાણકારી બાકી રહી છે તે મારા અંગત જીવનની છે. એ માહિતી એ બિચારાને શી રીતે આપી શકાય ? એ તો હું જ લખીશ.’ લેખક એ પણ જણાવે છે કે ‘બાબાસાહેબ પોતાનું જીવનચરિત્ર પોતે અંગ્રેજીમાં લખવા માગે છે. એમાં અત્યાર સુધીની અજાણી વિગતો આવશે. ત્યાં સુધી મારી જાણકારીનો સ્વીકાર કરવા વાચકોને વિનંતી.’ ખૈરમોડે અભ્યાસીઓને ડૉ. આંબેડકરનાં અનેક રૂપ તપાસવાનું જણાવે છે. તે રૂપ છે : ‘પોતાનાં પરિવાર અને સુખદુ:ખ પર તુલસીપત્ર મૂકીને સતત વિદ્યાભ્યાસ-સંશોધન-મનન-લેખન કરનાર વિશાળ બુદ્ધિના પ્રબુદ્ધ વ્યક્તિ’, ‘સામાજિક ક્રાન્તિના તત્વવેત્તા અને ઉદ્‌ગાતા’, ‘પદદલિતોનાં અંત:કરણામાં માણસાઈનો ધગધગતો લાવારસ પેદા કરનાર કિમિયાગર નેતા’ અને ‘સામાજિક ક્રાન્તિ દ્વારા રાષ્ટ્રવ્યાપી શાંતિનું નિર્માણ કરનાર ધાર્મિક દ્રષ્ટા’.

આટલાં બધાં રૂપોમાં બાબાસાહેબને અભ્યાસનારા ખૈરમોડે પોતાના વિદ્યાર્થીકાળથી તેમના સંપર્કમાં આવ્યા હતા. તે  મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના પાચવડ ગામમાં 1904 માં જન્મ્યા હતા. એ દિવસોમાં બાબાસાહેબને આદર્શ ગણીને ગામડાંના કેટલાક દલિત વિદ્યાર્થીઓની જેમ એ પણ ભણવા માટે મુંબઈ આવ્યા. ઉત્તમ ગણાતી એલફિન્સ્ટન્સ શાળામાં અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં દાખલ થયા. તેમની વાંચવાની અને રાત્રે સૂવાની વ્યવસ્થા પરળ વિસ્તારના પોયબાવાડીમાં લેબરર્સ કૉમ્પેન્સેશન બ્યૂરોની કચેરીમાં થઈ. અહીં બાબાસાહેબ ‘બહિષ્કૃત ભારત’ની કચેરી પણ ચલાવતા. અભ્યાસમાં તેજસ્વી અને કવિતા લખવામાં ઇનામ મેળવનાર ચાંગદેવ બાબાસાહેબનાં વ્યક્તિત્વ, વિચારસરણી અને કામની પૅશનથી પ્રભાવિત ન થાય તો જ નવાઈ. એમણે 1920ના અરસામાં આંબેડકરને એમના કામમાં મદદ કરવાની શરૂઆત કરી. થોડાક સમયમાં તેમણે બાબાસાહેબનું જીવનચરિત્ર લખવાનું પણ નક્કી કર્યું. દ્વારકાતાઈ નોંધે છે કે જાણીતા અંગ્રેજી સાહિત્યકાર-શબ્દકોશકાર ડૉ. સૅમ્યુએલ જૉન્સનનું તેમના સાથી જેમ્સ બૉઝવેલે વીસ ભાગમાં 1791માં લખેલું ચરિત્ર ખૈરમોડેને નમૂનારૂપ લાગતું. તેમણે આંબેડકરનાં ભાષણોની નોંધો, તેને લગતાં અખબારી અહેવાલોનાં કતરણો, લખાણોનાં અંશો, પત્રવ્યવહાર, સંસ્થાઓના અહેવાલો જેવી સામગ્રી એકઠી કરવાની શરૂઆત કરી. આંબેડકર ચાંગદેવને વખતોવખત પોતાના જીવનની વાતો કરતા અને ‘તું મારું સરખું ચરિત્ર લખીશ’ કહીને પ્રોત્સાહન આપતા એવું પણ દ્વારકાતાઈને સાંભરે છે. ચાંગદેવજીએ 1929માં બી.એ. થઈને સેક્રેટરિયેટમાં નોકરી મેળવી, જે એ સમયના દલિત માટેની મોટી સિદ્ધિ હતી. તેમણે આંબેડકરના ‘હૂ વેર દ શૂદ્ર’ પુસ્તકનો અને ‘ધ રાઇઝ અ‍ૅણ્ડ ફૉલ ઑફ ધ હિન્દુ વુમન’ દીર્ઘ નિબંધનો અનુવાદ પણ કર્યો છે.

કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ખૈરમોડેના ચરિત્રનો પટ અતિ વિશાળ છે. લેખકે તો ‘હું બાબાસાહેબનું જીવનચરિત્ર ત્રણ ખંડોમાં લખી રહ્યો છું’, એમ પહેલાં ખંડમાં જણાવ્યું. પછીના પુસ્તકમાં પાંચ ભાગનું કહ્યું અને અંતે થયું એક તપ ! બાર ખંડોમાં વર્ષોને સરખા ભાગે વહેંચવામાં આવ્યાં નથી. બલ્કે જરૂરિયાત મુજબનું વિભાજન છે. જેમ કે, પહેલો ખંડ 1891 થી 1920 સુધીના ગાળાને આવરે છે, પછીના દસ વર્ષ બીજા ખંડમાં છે; દસમો ખંડ આઝાદીથી પાંચ વર્ષ સુધીનો છે, અગિયારમો તે પછીના બે વર્ષનો અને છેલ્લો ખંડ 1955થી મહાનિર્વાણ સુધીનો છે.

ખૈરમોડેનો મહાગ્રંથ બહુ આધારભૂત એવા આંબેડકર સર્વસંગ્રહની ગરજ સારે છે. એક દાખલો જોઈએ. અમ્બાવડેકર એવી મૂળ અટક આંબેડકર કેવી રીતે થઈ તેના માટે ચરિત્રકાર આંબેડકર જ્યાં ભણ્યા તે બે શાળા અને એક કૉલેજના સાત દસ્તાવેજોનો આધાર આપે છે. તેમણે આવી અપાર સામગ્રી દેશ અને દુનિયાના ખૂણેખૂણામાંથી ભેગી કરી છે તે પાદટીપો અને ગ્રંથસૂચિ ઉપરાંત ઋણનિર્દેશમાં પણ જોવા મળે છે. આ સામગ્રી માટેની સલામત જગ્યા માટે લેખકની કોશિશો ચાલી તે દરમિયાન તેમાંથી કેટલાક કાગળ ઉધઈ અને ઉંદરોનો ભોગ બન્યા. પછી મુંબઈ યુનિવર્સિટીએ આ સામગ્રી માટે જગ્યા ફાળવી, જેનો ઉપયોગ પશ્ચિમને આંબેડકરનો પરિચય કરવનાર વિદુષી એલિનોર ઝેલિયટે કર્યો. તદુપરાંત તેનો આધાર લઈને સ્વિટઝર્લૅન્ડના પીટર હેસે ધર્માન્તરની ચળવળનો અને ન્યુયૉર્કના એડેલ ફિસ્કેએ બુદ્ધના સંદર્ભે આંબેડકર પરનો અભ્યાસ કર્યો. આવાં નામોની યાદી પુષ્કળ લાંબી થઈ શકે જે તેમના કામની મહત્તા બતાવે.

અલબત્ત, આ મહત્તા સમજતા સમાજને વાર લાગી છે. પહેલાં પાંચ ખંડોના પ્રકાશકો અલગ અલગ હતા. તેની નવી આવૃત્તિ માટે મુશ્કેલી પડી. લેખકના અવસાન પછી આખા ચૌદ વર્ષે 1985 માં છઠ્ઠો ખંડ બહાર પડ્યો અને શ્રેણી એકવીસ વર્ષે 1992માં સાહિત્ય અને સંસ્કૃિત મંડળના ઉપક્રમે પૂરી થઈ. હયાતીમાં બહાર પડેલા ભાગ વિશે લેખક નોંધે છે : ‘આ ખંડોના પ્રકાશકો પાસેથી પુરસ્કાર તરીકે મને એક પૈસો ય મળ્યો નથી.’ દ્વારકાતાઈ નોંધે છે: ‘ત્રણસો-સાડીત્રણસો પાનાંનું સમગ્ર ચરિત્ર લખીને આપશો તો તમે માગશો એ રકમ આપશું એવી માગણી કેટલાક પ્રકાશકોએ કરી હતી. પણ ‘દુનિયાની સામે સામાજિક ચળવળનો સત્ય ઇતિહાસ મૂકવાનો છું, પૈસા માટે હું આ કામ કરતો નથી એમ કહીને તેમણે ટૂંકું ચરિત્ર લખવાનો સાફ ઇનકાર કર્યો હતો.’

આવી નિ:સ્વાર્થ નિષ્ઠા, પહેલો ખંડ વાંચ્યા પછીના બાબાસાહેબે કરેલા ઉદ્‌ગારોને સાર્થક ઠેરવે છે : ‘ મારા આત્મચરિત્રમાં મૂકી શકાય તેવું બધું જ આ ખંડમાં આવી ગયું છે.’

++++++

13  એપ્રિલ 2017

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 14 અૅપ્રિલ 2017 

Loading

...102030...3,4013,4023,4033,404...3,4103,4203,430...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved