Opinion Magazine
Number of visits: 9557041
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હથકડી સાથે અમેરિકાથી આવેલા ગુજરાતીઓ ક્યાં ગૂમ થઈ ગયા છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 February 2025

હેમંતકુમાર શાહ

પાંચમી ફેબ્રુઆરીએ અમૃતસર ખાતે અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘૂસેલા ૧૦૪ ભારતીયોને લઈને આવ્યું હતું. એમાં ઘણા ગુજરાતીઓ પણ હતા.

આ બધા ગુજરાતીઓ ક્યાં ગયા એ સમજાતું નથી. શું તેઓ ગુજરાતમાં તેમના વતન પાછા આવ્યા કે પછી તેઓ ગુજરાતી હતા, પણ ગુજરાતમાં રહેતા નહોતા એટલે જ્યાંના હતા ત્યાં ગયા? 

આજે દસ દિવસ થયા પણ તેઓ ગુજરાત પરત આવ્યા હોય, ટ્રેનમાં કે બસમાં કે કારમાં; પણ તેમના આગમનના કોઈ ફોટા અખબારોમાં પ્રસિદ્ધ થયાનું જાણમાં નથી આવ્યું! ટી.વી. ચેનલો ઉપર પણ તેમના આગમનના વીડિયો જોવા મળ્યા નથી. 

આવું કેમ? શું નરેન્દ્ર મોદીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર ઇચ્છતી નથી કે તેમની અખબારો અને ટી.વી. ચેનલોમાં મુલાકાતો લેવાય? શું તેમને ગુપચૂપ પોતાના ઘેર પહોંચી જવાનો અને કોઈને પણ કશું નહીં કહેવાનો આદેશ આપવામાં આવ્યો છે? જો તેઓ કશું કહે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી કોઈ ધમકી સરકારી સૂત્રોએ તેમને આપી છે? સરકારે જ એમને ગૂમ કરી દીધા છે કે શું? 

બંને સરકારો હકીકતો પ્રસિદ્ધ થાય તેનાથી કેમ ગભરાય છે? લોકોને હકીકતો જાણવાનો અધિકાર ખરો કે નહિ? અમેરિકન સરકારે તેમની સાથે હથકડી પહેરાવવા ઉપરાંત જે વ્યવહાર કર્યો હોય તેની જાણકારી ભારતના ગુજરાતી નાગરિકોને મેળવવાનો અધિકાર ખરો કે નહીં? 

એક સવાલ એ પણ છે કે અમેરિકાનું લશ્કરી વિમાન ભારતના સરહદી શહેર અમૃતસરમાં કેમ આવ્યું? દેશની રાજધાની તો દિલ્હી છે, અમૃતસર નહિ. સરકારે અમૃતસરમાં વિમાનને ઊતરવાની મંજૂરી કેમ આપી? એને દિલ્હી આવવાનું કેમ કહેવાયું નહીં? 

બધી ટી.વી. ચેનલો અને અખબારો આ બાબતે ચૂપ કેમ છે? 

તા. ૧૫-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભ્રષ્ટાચાર અને દેશની સંપત્તિની લૂંટ ‘વ્યક્તિગત બાબત’ છે?

રમેશ સવાણી|Opinion - Opinion|16 February 2025

ભારતના વડા પ્રધાન મોદીજીની એક જ લાયકાત છે કે તેઓ કોર્પોરેટ કંપનીઓની ચોકીદારી ઉત્તમ રીતે કરી શકે છે ! એટલે જ અદાણી / અંબાણીની માલિકીના મીડિયા મોદીજીની સતત સ્તુતિ કર્યા કરે છે. જ્યાં પણ આલોચના કરવાની ફરજ પડે ત્યાં ‘તંત્ર’ પર દોષનો ટોપલો ઢોળીને મોદીજીને દેવદૂત સાબિત કરે છે ! આ કોર્પોરેટ મીડિયા તથા ગોદી મીડિયા મોદીજીને દેશની સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછવાને બદલે ‘તમે ખિસ્સામાં પાકીટ રાખો છો કે નહીં? કેરી કાપીને ખાવ છો, કે ચૂસીને? આટલી ઊર્જા ક્યાંથી મેળવો છો?’ એવા એવા સાવ વાહિયાત સવાલો પૂછે છે. દેશની આર્થિક કમ્મર તોડનાર નોટબંધી હોય કે કોરોના દરમિયાન 40 લાખથી વધુ મોત થયા હોય, એક સાદી પ્રેસ કોન્ફરન્સ કરી નથી, એક તરફી મન કી બાત જ કરી છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડા પત્રકારોથી ડરે છે કેમ? 

‘મોદી હૈ તો મુમકિન હૈ / નોન બાયોલોજીકલ / અવતારી / વિશ્વના સૌથી લોકપ્રિય નેતા’ વગેરેની છાપ કોર્પોરેટ મીડિયાએ બનાવી છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની હાજરીમાં અમેરિકન પત્રકારે ‘અદાણી સામે શું પગલાં લીધાં?’ આ પ્રશ્ન પૂછતાં કોર્પોરેટ મીડિયાએ બનાવેલ વડા પ્રધાનની કલઈ જ ઊખડી ગઈ !

‘અદાણી સામે શું પગલાં લીધાં’ આ પ્રશ્નનો જવાબ મોદીજીએ આપ્યો : ‘અમારા સંસ્કાર અને સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમ્‌ની છે. અમે આખા વિશ્વને પોતાનો પરિવાર માનીએ છીએ. દરેક ભારતીયને હું મારા પોતાના માનું છું. બીજું કે આવી વ્યક્તિગત બાબતો માટે બે દેશના વડા ન મળે છે, ન બેસે છે, ન તો વાત કરે છે !’

સવાલ એ છે કે અદાણી સામે શું પગલાં લીધાં તેમાં વસુધૈવ કુટુમ્બકમ્‌ કઈ રીતે આવે? સંસ્કાર અને સંસ્કૃતિ કેમ ઘૂસાડી દીધા હશે? અને વાસ્તવમાં ‘દરેક ભારતીયને પોતાના’ માનતા હોય તો સીધા પ્રશ્નનો જવાબ અસંબંધિત આપે? વિદ્યાર્થીઓને પરીક્ષા કેમ આપવી તેના ઉપદેશો આપનાર વડા પ્રધાન પોતે પ્રશ્નોના જવાબ કઈ રીતે ટાળે છે, એનું ઉદાહરણ પૂરું પાડતા નથી? અદાણી અંગેનો પ્રશ્ન કઈ રીતે ‘વ્યક્તિગત બાબત’ કહેવાય? એક જ પ્રશ્નએ, મોદીજીની લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ બદલી નાખી ! ત્રણ ત્રણ ટર્મના શાસન છતાં મોદીજીને આ પ્રકારના સવાલનો સામનો કરવાની કોઈ પ્રેક્ટિસ જ નથી; કેમ કે ગોદી મીડિયાની સ્તુતિએ મોદીજીને દિવ્યાંગ બનાવી દીધા છે ! પત્રકાર તુષાર દવે કહે છે : ‘પત્રકારોએ કરોડરજ્જુ ભંગાવીને બંગલા બાંધ્યા છે, એન્કર્સ કરતાં સારા સવાલો કૉમેડિયનો ઉઠાવે છે !’

14 ફેબ્રુઆરી 2025ના રોજ, રાહુલ ગાંધીએ કહ્યું છે : “દેશમાં સવાલ પૂછો તો મૌન ! સવાલ પૂછનારને હેરાનગતિ / જેલ ! વિદેશમાં સવાલ પૂછો તો ‘વ્યક્તિગત બાબત’ ! મોદીજીએ અમેરિકામાં પણ અદાણીના ભ્રષ્ટાચારને ‘વસુધૈવ કુટુમ્બકમ્‌’ના પડદા હેઠળ ઢાંકી દીધો ! જ્યારે મિત્રનું ખિસ્સું ભરવું તે મોદીજી માટે રાષ્ટ્રનિર્માણ હોય ત્યારે ભ્રષ્ટાચાર અને દેશની સંપત્તિની લૂંટ ‘વ્યક્તિગત બાબત’ બની જાય છે !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમારાં બા

ઉમાશંકર જોશી (સંકલન : ભદ્રા-વિક્રમ સવાઈ)|Gandhiana|16 February 2025

૨૨ ફેબ્રુઆરી, કસ્તૂરબાની પુણ્યતિથિ. ‘બા’ અંગે આમ તો ઠીક ઠીક લખાયું છે. પણ ગાંધીજીની સરખામણીએ ‘બા’ અંગેનાં પુસ્તકો ઓછાં છે. ‘બા’ને સમજવા માટે પણ ગાંધીજીએ ક્યાંક લખ્યું છે એનો જ આધાર લેવો જરૂરી બન્યો છે.

આ નિમિત્તે વનમાળાબહેન પરીખ અને સુશીલાબહેન નય્યરના પુસ્તક ‘અમારાં બા'(નવજીવન પ્રકાશન)ને લઈને થોડી વાતો જણાવવી છે. આ પુસ્તક અંગે ‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી માર્ચ, ૧૯૪૬માં ઉમાશંકરભાઈ જોશીએ કેટલુંક પુસ્તકપરિચય અંગે જણાવ્યું છે તે જોઈએ.

•

‘ગાંધીજી જેવા દુરારાધ્ય પતિને બા શી રીતે રીઝવી શક્યાં ? ‘કેવળ સ્વેચ્છા’ના બળથી. જેમ જેમ બા ગાંધીજીને સેવાકાર્યમાં સમાતા જુએ છે, તેમ તેમ ગાંધીજીમાં – એટલે કે એમણે આંકેલા સેવાકાર્યમાં પોતે પણ સમાતાં જાય છે. પણ એ નક્કી કર્યું એમણે પોતે. એ સંકલ્પબળ અને સંકલ્પને જીવનભર જીરવવાનો પ્રયત્ન – એમાં બાની ખરી સિદ્ધિ છે. આખી પ્રક્રિયા બાના જ એક ઉદ્ગારમાં સ્પષ્ટ થાય છે : ‘તમારું મન જાણી લીધા પછી આપણે તો આપણું મન વાળી લીધું.’

બાનું આવું વલણ તે ગાંધીજીના પોતાના જ શુભ નિર્ણયનો મંગલ પ્રતિધ્વનિ છે. પણ તેઓશ્રી એનું બધું જ શ્રેય આપણી સંસ્કૃતિને આપે છે : ‘આ ગુણ હિંદુસ્તાનની ભૂમિને કદાચ વધુમાં વધુ ભાવે છે.’ આ જ વાત એમણે અન્ય પ્રસંગે પણ ભારપૂર્વક કહી છે : ‘મારી પત્ની વિશેનો મારો પ્રેમ અને મારી લાગણી હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ વિશેનો મારો પ્રેમ અને મારી લાગણીઓ હું વર્ણવી શકું.’ અને તેથી લોર્ડ વેવલને જવાબ આપતાં પોતાને સત્યાગ્રહનો પ્રથમ પાઠ આપનાર ગુરુ તરીકે બાને તેઓ ઓળખાવે છે ત્યારે નવાઈ લાગતી નથી. આવો એક પાઠ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે બાને જેલ પછીની ભારે માંદગીમાં સારવાર કરતાં કઠોળ-મીઠું છોડાવવા પોતે પણ છોડ્યાં એ છે.

બાએ ગાંધીજીને તેમના કડક આત્મનિરીક્ષણનું એક વધુ દૃષ્ટિબિંદુ સતત પૂરું પાડ્યા કર્યું હશે. વસુધૈવ કુટુંબકમ્‌ની સ્થિતિએ પહોંચતાં પહેલાંની શિથિલતાની પળો વખતે, પોતે જેનું સંકુચિત કુટુમ્બસુખ ઉખેડી નાખ્યું તે બાનું ‘બસ, થાક્યા ?’ એવું વહાલસોયા ઠપકાભર્યું ચિત્ર જરૂર ગાંધીજીને પ્રેરણાદાયક નીવડી રહ્યું હશે. અને પોતાના પગલામાં પગ મૂકી પાછળ ચાલી આવતી તપસ્વિનીને જોઈ ઘણી વાર એમણે પગમાં નવું જોમ અનુભવ્યું હશે.

બંને વચ્ચેના અતૂટ મેળનું તો એક અંગ્રેજનું અવલોકન મર્મગ્રાહી છે : ‘મેં એ દંપતીને એક વાર પણ એકબીજાંની સામે નજર માંડતાં ન જોયાં. પણ મારી ખાતરી છે કે એકબીજાંના મનમાં શું ચાલી રહ્યું છે તે બંને જાણતાં હતાં.’

પતિપત્ની જીવનરથનાં બે ચક્ર જેવાં ગણાય. ગાંધીજી જેવા ધર્મવીરને લગ્નજીવન નિર્મિત જ હતું તો એકંદરે આથી વધારે સુભગ યોગ ભાગ્યે જ કલ્પી શકાય. એક ચક્રના હકથી બીજાની ગતિ કદી ખોટકાઈ પડી ન હતી, હંમેશ અનુકૂળતા જ સાંપડી હતી. બાનો અંત જ જુઓ. ક્યાં એમનો જન્મ ? ક્યાં ક્યાં ને કેવું કેવું જીવન ? અને આખરે મૃત્યુ ક્યાં ? જેલખાનામાં ! પતિની ધર્મપ્રવૃત્તિને ઈષ્ટ એવું પોતા તરફથી એ છેલ્લું અને સૌથી મહાન અર્પણ.

[14 ફેબ્રુઆરી 2025]

•

લેખિકા બહેનો(વનમાળાબેન‌ પરીખ અને ડૉ. સુશીલા નૈયર)એ આપેલી હકીકતો જોતાં પણ સ્પષ્ટ થાય છે કે બાના આત્મવિકાસમાં ગાંધીજીએ કદી કોઈ જાતની ચોરી કરી નથી. પોતાનો રાગરહિત સદ્ભાવ જે સૌ જીવો ઉપર અનાયાસે વરસ્યા કરે તેમાં બાને પણ ભાગીદાર જરૂર ગણ્યાં હતાં. 1938ના એક પત્રમાં બાપુ લખે છે : ‘મેં તારા માથા ઉપર જતાં હાથ પણ ન મૂક્યો, મોટર ચાલી ને મને પણ લાગ્યું. પણ તું દૂર હતી. હવે તને બહારની નિશાની જોઈએ કે? ….’

બીજા કોઈ પણ માણસની બાબતમાં જે વ્યવહાર ક્યારેક હાસ્યાસ્પદ બની રહે તે ગાંધીજીમાં માણસાઈની પતાકારૂપ શોભી ઊઠે છે. કારણ કે વ્યવહારના એમના ઝીણા ઉકેલો પાછળ નિર્ભેળ કારુણ્યની જ પ્રવૃત્તિ હોય છે. ’42માં બારડોલીમાં બા બીમાર હાલતમાં ‘આટલે વર્ષ મને વિજોગ પડે ને ?’ એમ કરતાં આવી પહોંચે છે ત્યારે, બા નહિ તો દાદર ચડી ઉપર આવશે એમ ખાતરી હોઈ, તે શ્રમમાંથી તેમને બચાવવા ગાંધીજી નીચે ઊતરી આવે છે અને કોડીલા કંથની જેમ સામે જઈ ગાડીમાંથી બાને ઉતારે છે. 

છેલ્લા દિવસોમાં બા ગાંધીજી પાસે ગીતા શીખતાં, પંજાબી નદીઓનાં નામ ગોખતાં, ગુજરાતીનો અભ્યાસ વધારતાં ત્યારે ગાંધીજી નદીઓનાં નામ ગોખતાં, ગુજરાતીનો અભ્યાસ વધારતાં, ત્યારે ગાંધીજી ગુજરાતી વાચનમાળાની કવિતાઓના રાગ ગાઈ બતાવતા. સાંજને વખતે વૃદ્ધ પતિપત્ની સાથેસાથે કવિતાઓ ગાતાં હોય એ દૃશ્ય ઉપર તો સારું હતું કે સરોજિનીદેવી જેવાં હસનાર ત્યાં હતાં … પણ બધા જ પ્રસંગ હસવાના નથી હોતા.

એક પ્રસંગ તો એવો કરુણ છે કે કવિઓની કલ્પનામાં પણ એવા પ્રસંગ બહુ નહિ આવ્યા હોય. દંડકારણ્યમાં રાક્ષસી લીલાથી ક્ષણભર ત્રાસેલાં સીતાને ‘તમે કહો તો આપણે અયોધ્યા પાછાં જઈએ,’ એમ રામ કહે એવા પ્રસંગની જરી કલ્પના કરી જુઓ. સીતા હા પાડે જ નહિ, પણ એક વાર વચન નીકળી ગયા પછી એ પ્રમાણે રામ વર્તે નહિ એ તો ન જ બને. બાનું મન આ વખતે ગાંધીજીને સરકારે પકડ્યા તે પરથી ખાટું થઈ ગયું હતું એમ ગાંધીજીએ જ નોંધ્યું છે, પણ તેનું પરિણામ ક્યારે ય પણ એક ક્ષણાર્ધ માટે પણ ગાંધીજીને હસવામાં ય ‘તું કહે તો હું માફી માગું’ એવું કહેવામાં આવે એ ઘટના મનુષ્યજીવનમાં કેવી પારાવાર કરુણતા વણાયેલી છે એનો જ ઈશારો છે.

પૂ. બાના ચરણે શત શત નમન.

[15 ફેબ્રુઆરી 2025]
ઉમાશંકર જોશીકૃત ‘જીવનનો કલાધર’
[‘ભૂમિપુત્ર’માંથી સાભાર]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 241 − 242

Loading

...102030...339340341342...350360370...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved