Opinion Magazine
Number of visits: 9456545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવિધાન દિવસની પૂર્વસંધ્યાએ સર્વોચ્ચ અદાલતે દાખવેલ ધ્રુવતારકની દિશામાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 November 2024

બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ

ન તો ઇજારાશાહી મૂડીવાદ, ન તો રાજ્યનો મૂડીવાદ, વિવેકસર રાજ્ય અને બજાર વચ્ચેની રમઝટભેર નાગરિકને કેન્દ્રમાં રાખી સમતા–સ્વતંત્રતા–બંધુતાના આદર્શ સાથે આપણા પ્રજાસત્તાક સ્વરાજે આગળ વધવાપણું છે.

પ્રકાશ ન. શાહ

અલબત્ત, હતો તો એ એક જોગાનુજોગ જ, પણ એ નિઃશક સૂચક બની રહેશે. છવ્વીસમી નવેમ્બરના બંધારણ દિવસની પૂર્વસંધ્યાએ સ્વાભાવિક જ યાદ કરવાનું બન્યું હતું કે, બંધારણ પસાર થયું એને આગલે દિવસે, પચીસમી નવેમ્બરે બંધારણ સમિતિના વાસ્તવિક અગ્રપુરુષ આંબેડકરે ચિંતા અને ચેતવણીનાં શાંશાં વચનો ઉચ્ચાર્યા હતા. નાતજાત કોમ ધરમમજહબમાં વહેંચાયેલા આપણે ખરા ને પૂરા અર્થમાં હજુ ‘રાષ્ટ્ર’ બનવાનું છે.

આર્થિક-સામાજિક ખાઈ પણ આપણને ‘રાષ્ટ્ર’ બનતા રોકે, એનીયે એમણે ચિંતા દાખવી હતી. હવે તમે જુઓ, ઓણ બરાબર એ જ તારીખે – પચીસમી નવેમ્બરે – સર્વોચ્ચ અદાલતે રણકતો ચુકાદો આપ્યો કે બંધારણના આમુખમાંથી બિનસાંપ્રદાયિકતા (સેક્યુલરિઝમ) અને સમાજવાદ (સોશલિઝમ) એ શબ્દો કાઢવાનું કોઈ લૉજિક નથી. વડા ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજય કુમારની ખંડપીઠે આ બંને સંજ્ઞાઓની સરળ સમજૂત પણ સુપેરે આપી કે જ્યારે ‘સેક્યુલર’ એ સંજ્ઞા ખપમાં લઈએ છીએ ત્યારે અભિપ્રેત મુદ્દો એ છે કે એક પ્રજાસત્તાકને નાતે આપણે સર્વ ધર્મ પરત્વે સમાદરની ભૂમિકાએ છીએ. ‘સમાજવાદ’ કહેતાં અભિષ્ટ વાનું રાજકીય, આર્થિક, સામાજિક હર શોષણમાંથી મુક્તિનું છે. એક રીતે, આંબેડકરના બંધારણ સભાના વક્તવ્યનું સહજ વાર્તિક હોય એવી આ સુપ્રીમ ટિપ્પણી હતી અને છે.

આમુખમાંથી આ બંને સંજ્ઞાઓ પડતી મૂકવા માટેનો ધક્કો એ વિગતથી લાગતો રહ્યો છે કે ઇંદિરાજીએ તે કટોકટી દરમિયાન દાખલ કરાવી હતી. વાત સાચી, પણ એ બંધારણીય પ્રક્રિયાથી દાખલ થયેલી સંજ્ઞાઓ હતી અને હજુ હમણે જ સર્વોચ્ચ અદાલતે વળી એક વાર સ્પષ્ટ અને સ્ફુટ કર્યો છે તેમ તે બંધારણના મૂળભૂત માળખાને અનુવર્તી છે.

જનસંઘ અને ભા.જ.પ. સ્વરાજની લડત દરમિયાન સેક્યુલરિઝમનો જે ખયાલ વિકસ્યો એને અંગે સલામત અંતરની કંઈક વિરોધની, કંઈક વૈકલ્પિક વિમર્શની ભૂમિકાએ જણાય છે. તેમ છતાં ભા.જ.પે. જનસંઘના જનતાઅવતાર પછી સ્વતંત્ર પક્ષબાંધણીનો રાહ લીધો ત્યારે પોતાની મૂળભૂત નિષ્ઠાઓ તરીકે સકારાત્મક સેક્યુલરિઝ અને ગાંધીવાદી સમાજવાદનો બાકાયદા સ્વીકાર તો જાહેર કર્યો જ હતો. હિંદુરાષ્ટ્રવાદ અગર તો હિંદુત્વ રાજનીતિને કારણે એને અસુખ હોય તો પણ બહુધર્મી દેશમાં એક સમાવેશી અભિગમની અને ધરમમજહબને ધોરણે ‘રાષ્ટ્ર’ની વ્યાખ્યાથી પરહેજ કરવાની જરૂરત છે, હતી અને રહેશે. કાઁગ્રેસ શાસનમાં કે અન્યથા બિનસાંપ્રદાયિકતાના ગેરઅમલ અગર અણઅમલ અંગે તીખાં ટીકાટિપ્પણને અવકાશ હોય તો પણ નાવણિયા સાથે બાળુડાને ય ફગાવી દેવાનું ન જ સ્વીકારી શકાય.

જ્યાં સુધી સમાજવાદનો સવાલ છે, એને સોવિયેત સમાજવાદ સાથે એટલે કે રાજ્ય માલિકી સાથે ગોટવી દેવાનો તો સવાલ જ નથી. નેહરુ શાસનમાં જાહેર સાહસોની જરૂરત સાથે પણ આ રાજ્યનો મૂડીવાદ નથી એ એક સ્પષ્ટતા સતત રહી છે. જરૂર પ્રમાણે રાજ્યની સલાહકારીથી માંડી સામેલગીરીની ભૂમિકા હોઈ શકે પણ તે રાજ્યનો મૂડીવાદ ન હોઈ શકે. રાજ્યવાદ, ઇજારાશાહી મૂડીવાદ, ક્રોની કેપિટલિઝમ કરતાં લોકશાહી સમાજવાદ એ ન્યારો પદારથ છે.

ગોર્બાચેફે ગ્લાસનોંસ્ત(ખુલ્લાપણું) અને નવવિધાન (પેરેસ્ત્રોઇકા)ના રાહે સામ્યવાદી રૂસમાં પરિવર્તન આણ્યું ત્યારે એમની સમક્ષનો વિકલ્પ નેહરુના હિંદ પેઠે મિશ્ર અર્થતંત્રનો સ્તો હતો.

પક્ષો પોતાની સમજ અને જરૂરત પ્રમાણે રાજ્ય અગર સમાજને છેડેથી બાંધછોડ કે ગાંઠ બાંધવાનું કરે ત્યારે પણ એ મૂળ વિચારધારાની ‘મિથ’ને વળગી રહેવું પસંદ કરતાં હોય છે. ક્યારેક આદર્શવાદને ધોરણે ભલે સત્તાલક્ષી ખેંચાણથી પણ જેઓ એકત્ર આવ્યા હોય એમને સૌને ઘટતી બાંધછોડ અગર ગાંઠબાંધ છતાં સાથે રાખવાની દૃષ્ટિએ ‘મિથ’નો કારોબાર ખપ પણ આપતો હોય છે.

મુદ્દે, રાજ્ય મૂડીવાદ અને ઈજારાશાહી મૂડીવાદથી ઉફરાટે નાગરિક માત્ર પઇસે ઓછીવત્તી પણ ખરીદશક્તિ શક્ય બને અને વિષમતા હાલની બેફામ અનવસ્થાને બદલે પ્રમાણસરની બને એટલું તો થવું જ જોઈએ. આવો કોઈ ત્રીજો રસ્તો નથી એવું તો નથી. રાજ્યછેડે અને સમાજછેડેથી યથાસમય યથાર્હ આર્થિક નિર્ણયને અવકાશ ન હોવાનું કારણ નથી.

આમુખનો ધ્રુવતારક સાદ દે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 નવેમ્બર 2024

Loading

શું રણનીતિ હતી ! આભા થઈ જઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 November 2024

રમેશ ઓઝા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.એ. ગઠબંધનને ભવ્ય વિજય મળ્યો એનો વધુ નહીં તો કમ સેક મ ૩૦ ટકા શ્રેય એકલાં ચૂંટણીપંચને આપવો જોઈએ. ૧૯૯૯ની સાલથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાતી આવી છે. એ જ વિદાય લેતા વરસાદ અને તહેવારોની વચ્ચે. આગળ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની પાંચ ચૂંટણી વખતે ક્યારે ય ચૂંટણીપંચને એવું લાગ્યું નહોતું કે વરસાદ અને તહેવાર નડતરરૂપ થશે. આ વખતે લાગ્યું કારણ કે તેને આદેશ આપવામાં આવ્યો હતો કે હજુ શાસક મોરચા માટે જોઈએ એવી અનુકૂળતા નથી એટલે વખત આપો. ‘લાડકી બહીણ’ યોજના હજુ લાગુ કરવામાં આવી હતી અને તેનાં ઓછામાં ઓછા ત્રણ હપ્તા મહારાષ્ટ્રની ગરીબ સ્ત્રીઓનાં ખાતામાં જમા ન થાય ત્યાં સુધી ચૂંટણી યોજવામાં ન આવે. ચૂંટણીપંચ તો ગુલામપંચ છે એટલે તહેવારો અને વરસાદનું બહાનું આગળ કરીને સમય કાઢી આપ્યો. પૈસા ધડાધડ ખાતામાં આવવા માંડ્યા અને એ સિવાય બીજી પણ રેવડી આપવામાં આવી. આમ વિજયનો ત્રીસ ટકા શ્રેય એકલાં ચૂંટણીપંચને જાય છે. બાય ધ વે ચૂંટણીપંચ ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજી શકતું નથી ત્યાં વન નેશન વન ઈલેક્શનની વાત કરવામાં આવે છે.  

પણ બાકીનો ૭૦ ટકા શ્રેય ભા.જ.પ.ના રણનીતિકારોને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને, મબલખ પૈસાને અને યુતિ સરકારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપવો જોઈએ. શું રણનીતિ હતી! આભા થઈ જઈએ. પરિણામ એટલાં આશ્ચર્યજનક હતાં કે આ લખનારે મહારાષ્ટ્ર વિધાનસભાની પ્રત્યેક બેઠકનું બેઠકવાર આકલન કર્યું હતું. જ્યાં ઉદ્ધવ ઠકારેની શિવસેનાનો હાથ ઉપર હતો ત્યાં રાજ ઠાકરેના પક્ષના ઉમેદવારને ઉભો કરવામાં આવ્યો હતો. જ્યાં એમ લાગતું હતું કે રાજ ઠાકરે મત કાપી આપે એ પછી પણ ઉદ્ધવ ઠાકરેની સેનાના ઉમેદવારને હરાવવો મુશ્કેલ છે, કારણ કે વિધાનસભાની પાછલી ચૂંટણીમાં શિવસેનાએ પ્રચંડ બહુમતી મળેવી હતી ત્યાં શિવસેનાના જ કોઈ આજી-માજી નેતાને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રાખવામાં આવ્યો હતો. આ સિવાય બે-ત્રણ હજાર મત કાપી આપે એ સારુ અનેક અપક્ષ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યાં કાઁગ્રેસનો હાથ ઉપર હતો ત્યાં વંચિત બહુજન આઘાડી, બહુજન સમાજ પાર્ટી, પ્રહાર જનશક્તિ પાર્ટી, રાષ્ટ્રીય સ્વાભિમાન પાર્ટી અને દલિત તેમ જ મુસ્લિમ ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા. કાઁગ્રેસ મોટા ઉપાડે સામાજિક સમાનતાની, અનામતની, સહિયારા ભારતની અને બંધારણની વાત કરે છે તો લો કરો આ બધા મુદ્દાઓ લઈને રાજકારણ કરનારા નાનાનાના પક્ષોના ઉમેદવારોનો મુકાબલો. એ સિવાય જ્યાં કાઁગ્રેસની ગઈ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ સરસાઈ હતી ત્યાં ઉપર કહ્યું એમ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યાં શરદ પવારના રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સરસાઈ હતી ત્યાં તેમના જ પક્ષના કોઈ અસંતુષ્ટને ઊભા કરવામાં આવ્યા હતા. ભાગ્યે જ કોઈ એવું મતદારક્ષેત્ર હશે જ્યાં શરદ પવારને અજીત પવારના ઉમેદવાર ઉપરાંત પોતાના જ પક્ષના અસંતુષ્ટનો સામનો ન કરવો પડ્યો હોય.

યાદ રહે આવું સર્વત્ર જોવા નહોતું મળતું. જ્યાં મહાવિકાસ આઘાડીની તાકાત વધારે હતી એવા મતદારક્ષેત્રોમાં જ અલગ અલગ તીડને ઉતારવામાં આવ્યા હતા. તેમણે મતદાર ક્ષેત્રમાં કયા વિસ્તારમાં પ્રચાર કરવાનો છે એ વિસ્તાર પણ બતાવી આપવામાં આવ્યા હતા. તમે જીતવા માટે ચૂંટણી નથી લડતા, પણ અમે કહીએ એને હરાવવા માટે લડો છો એ ભૂલવાનું નથી. જેમ કે બોરીવલીના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવાર કુણાલ મેઈનકરે ગુજરાતી અને ઉત્તર ભારતીય વિસ્તારમાં પગ પણ નહોતો મુક્યો કે નહોતું કોઈ બેનર લગાડ્યું. પૈસા અને કાર્યકર્તાઓની તો તેમની પાસે કોઈ કમી નથી.

પણ વિજયનો શ્રેય જેટલો બી.જે.પી.ના રણનીતિકારોને જાય છે એટલો જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જાય છે. જે માણસ ભોંદુ લાગતો હતો, જે માણસ ચાવી આપેલાં રમકડા જેવો લાગતો હતો એ બહુ ચાલાક નીકળ્યો. એક સમયે બી.જે.પી.ના કેન્દ્રીય નેતાઓને સમજાય ગયું કે આ માણસ ચૂંટણી જીતાડી શકે એમ છે અને તેના જેટલી આવડત મહારાષ્ટ્રના બી.જે.પી.ના કોઈ પણ નેતામાં નથી. એકનાથ શિંદે લોકોની વચ્ચે લોકોના જેવા થઈને હળતામળતા હતા. કોઈ પ્રોટોકોલ નહીં અને મુખ્ય પ્રધાન હોવાનો આવિર્ભાવ નહીં. એક સમયના લાલુ પ્રસાદ યાદવની યાદ આવે. હું તો કહીશ કે તેમનાં કરતાં પણ ચડે. કોઈ વચન નહીં, તાત્કાલિક લાભ પછી ભલે એ લાભ તત્કાલીન હોય. બી.જે.પી.ના નેતાઓ જેને પગલૂછણિયું સમજતા હતા તેમના પગમાં બેસવાનો વખત આવ્યો હતો.

માત્ર બી.જે.પી.એ વિરોધ પક્ષોને પરાજીત નથી કર્યા, વિરોધ પક્ષો પરાજિત થયા પણ છે. છેલ્લે સુધી બેઠકો માટે સમજૂતી નહોતી થતી. વોટકટવાઓનો અને અસંતુષ્ટોનો ઉપયોગ કરવામાં આવશે એની તેમને પણ જાણ હતી, ઊઘાડો ખેલ હતો, પરંતુ તેમણે તેનો ઈલાજ નહોતો કર્યો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે અને લોકસભાની ચૂંટણી વખતે નાગરિક સમાજનો સહયોગ લેવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે તેમણે ઉદારમતવાદી નાગરિક સમાજને દૂર રાખ્યો હતો. કાંગ્રેસ પાસે તો જમીન પર કામ કરનારા કાર્યકર્તા જ નથી એટલે બૂથ મેનેજમેન્ટ કરી શકતી નથી.

હરિયાણા પછી કાઁગ્રેસને આ બીજો અણધાર્યો ફટકો પડ્યો છે. રાહુલ ગાંધીએ માત્ર નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાની જગ્યાએ હવે બી.જે.પી.ને ટાર્ગેટ કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને માર પડ્યો હતો, પરંતુ પેટા ચૂંટણીમાં એ જ બી.જે.પી.એ ભવ્ય વિજય મેળવ્યો છે અને બિહારમાં એન.ડી.એ.એ બધી જ ચાર બેઠક જીતી લીધી છે. કારણ બહુ સ્પષ્ટ છે. હરિયાણા મહારાષ્ટ્ર અને અન્યત્ર, ભા.જ.પ. માટે હવે નરેન્દ્ર મોદી ચૂંટણીનો ફેસ નથી, પણ પક્ષ અને સંઘની રણનીતિ છે. સંઘ/બી.જે.પી.એ સુકાનની દિશા બદલી નાખી ત્યારે કાઁગ્રેસે પણ સુકાન બદલવાની જરૂર છે.

 પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2024

Loading

માણસ આજે (૧૮) 

સુમન શાહ|Opinion - Opinion|27 November 2024

સુમન શાહ

સ્વિત્ઝર્લૅન્ડનું કૅપિટલ સિટી બર્ન અને બીજું સિટી ઝૂરિક મને હમેશાં યાદ હોય છે કેમ કે ચિ. મદીરનાં એ બન્ને નગરોમાં શ્વસુરગૃહ આવેલાં છે. મારાં એ વેવાઈ-વેવણ ઝૂરિકમાં વસે છે.  

પણ આજે સ્વિત્ઝર્લૅન્ડનું જીનીવા ઘણાં કારણે યાદ આવી ગયું : 

વરસો પહેલાં, કદાચ ૨૦૦૧માં, હું અને રશ્મીતા મદીરના મિત્રવર્તુળની યુવતી ત્રિન્ન સાથે જીનીવા ફરવા ગયેલાં. ત્રિન્નનાં બેન-બનેવી જીનીવામાં રહેતાં હતાં એ અનુબન્ધને કારણે ત્રિન્ન શ્હૅરની ભોમિયણ હતી. ફરતાં ફરતાં અમે વિશ્વના ઊંચામાં ઊંચા વિખ્યાત ફાઉન્ટેઇન Jet d’Eau પ્હૉંચી ગયેલાં. એ ફુવારો લગભગ ૫૦૦ ફીટ ઊંચે ઊછળે છે, ને ચોપાસ પાણીની સોડમ આવે છે, અનેરાં રમણીય દૃ઼શ્ય રચાય છે. અમે જોતાં રહી ગયેલાં. આછી ઠંડકભરી વાછંટ જેવું પણ અનુભવેલું. દૂર Jura Mountains-ની ગિરિમાળા દેખાતી હતી. 

Jet d’eau Geneve ––

એ પછી, ત્રિન્નનાં બેન-બનેવીને ત્યાં ભોજન લીધેલું. તેઓ માંસાહારી અને અમે બે ગુજ્જુ શાકાહારી બ્રેડ-બટર ને કૉફી સાથે, એક જ ડાઇનિન્ગ ટેબલ પર જમેલાં. એકાદ વાર રશ્મીતાને ઊબકો આવી ગયેલો. શું કરી શકાય એ વિમાસણમાં એ દમ્પતી અને ત્રિન્ન હાંફળાંફાંફળાં થઈ ગયેલાં; ત્રિન્ને રશ્મીતાનો વાંસો પંપાળી આપેલો, વગેરે. 

એ પછી અમે Red Cross-નું બિલ્ડિન્ગ જોવા ગયેલાં. ICRC-નું, એટલે કે, ઇન્ટરનેશનલ કમિટી ઑફ રેડ ક્રૉસનું, એ હેડ ક્વાર્ટર છે. ત્યાં રેડ ક્રૉસનું આન્તરરાષ્ટ્રીય સંગ્રહાલય છે. એ આ વિશ્વસંસ્થાની સુવ્યાપ્ત પ્રવૃત્તિઓનો આપણી સમક્ષ એક ચૉક્કસ ચીતાર ખડો કરે છે.   

પ્રવાસમાં હમેશાં ટાઇમટેબલને અનુસરવું પડે, નહિતર ટ્રેન કે પ્લેન છૂટી જાય. સમય ખૂટી ગયેલો એટલે અમે નીકળી ગયેલાં, જીનીવાના ગણાતા જગવિખ્યાત ફિલસૂફ અને પ્રભાવક સમાજવિજ્ઞાની વૉલ્ટેર રૂસોની પ્રતિમાના સ્થળે જવાનું રહી ગયેલું. 

કદાચ ૨૦૧૦ દરમ્યાન મેં જાણેલું કે યુનિવર્સિટી ઑફ જીનીવા સાથે જોડાયેલી ‘જીનીવા ઍકેડૅમી ઑફ ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ ઍન્ડ હ્યુમન રાઇટ્સ’, એક જાણીતી જગ્યા છે. એ સ્વરૂપના અધ્યયન માટે એ વિશિષ્ટ ગણાય છે. એથી શાન્તિ તો શેની સ્થપાઈ જાય, પણ મારે ફરી જીનીવા જવું હતું અને બને તો ત્યાં રહીને ભણવું’તું, પણ થઈ શકેલું નહીં. વિદેશે ભણવા જવાના મનસૂબા જાગ્યા હોય પણ ન જવાયું હોય એના વસવસાની યાદીમાં એ પરોવાયેલું છે. 

પણ હું અવારનવાર એનાં પ્રકાશિત જર્નલ્સ જોતો હોઉં છું. ઍકડૅમીનું એક ઑનલાઇન પોર્ટલ છે, RULAC – rule of law in armed conflicts. એનો તાજેતરનો અંક જણાવે છે કે વિશ્વમાં આજે બે મોટાં યુદ્ધ તો ચાલે છે, પણ ૧૧૦-થી પણ મોટી સંખ્યામાં આર્મ્ડ કૉન્ફ્લીક્ટસ ચાલુ છે — સશસ્ત્ર સંઘર્ષો.

જેમ કે –

મધ્ય પૂર્વમાં અને ઉત્તરી આફ્રિકામાં ૪૫. 

એમાં છે, સાયપ્રસ, ઇજિપ્ત, ઇરાક, ઇઝરાઇલ, લિબિયા, મોરક્કો, પૅલેસ્ટાઇન, સિરિયા, તુર્કી, યેમન, અને પશ્ચિમી સહારા.

આફ્રિકા સમગ્રમાં ૩૫. 

એમાં છે, બર્કિન ફાસો, કૅમેરૂન, સૅન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક, ડૅમોક્રેટિક રીપબ્લિક ઑફ ધ કૉન્ગો, ઇથિયોપિયા, માલિ, મોઝામ્બિક, નાઇજિરિયા, સેનેગલ, સોમાલિયા, દક્ષિણી સુદાન, અને સુદાન.

એશિયામાં ૧૯.

એશિયા બિન-આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીએટર કહેવાય છે. એટલે? એમ કે એમાં દેશ અને અન્ય સશસ્ત્ર દળો વચ્ચે સંઘર્ષ થતા હોય. 

એમાં છે, અફઘાનિસ્તાન, ઇન્ડિયા, મ્યન્માર, પાકિસ્તાન, અને ફિલિપાઇન્સની ઘટનાઓ.

યુરપમાં ૭.

યુરપ આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીયેટર કહેવાય છે. એટલે? એમ કે એમાં બે કે વધુ દેશો વચ્ચે સંઘર્ષ થતા હોય. 

એમાં છે, રશિયા-યુક્રેઇન. યુક્રેઇન બિન-આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીએટર કહેવાય છે, જેમાં, ડોનેત્સ્ક અને લુહાન્સ્કનાં ‘પીપલ્સ રીપબ્લિક્સ’ સંગઠનો સરકારી પરિબળો સામે લડી રહ્યાં છે. 

આટલું લખીને હું બીજા કામોમાં પરોવાયેલો, પણ સમાચાર વહેતા થયેલા કે જો પુતિન ન્યુક્લીયર વેપન્સ છોડશે તો વર્લ્ડ વૉર ૩ સરજાશે! 

યુદ્ધ અને સંઘર્ષની વૃત્તિ કદાચ દરેક સજીવની પ્રકૃતિમાં છે, પણ માણસની કરુણતા એ છે કે યુદ્ધ અને સંઘર્ષને એ પોતાની બુદ્ધિશક્તિથી ખૂબ જ વિકસાવી શક્યો છે. સાર એ છે કે બન્ને પક્ષે સૈનિકો મરે છે, જેમને બન્ને પક્ષનાં રાષ્ટ્રો ‘શહીદ’ કહે છે. બાકી, એ કોઈનો પુત્ર, કોઈનો પતિ, પ્રેમી કે કોઈનો પિતા કે ગાઢ મિત્ર હતો. અને એ સ્વજનો જ જાણતાં હતાં કે કઈ વિશેષતા કે કઈ વિવશતાનો માર્યો એ સેનામાં જોડાયેલો …  

+ + 

હું એ પણ ઉમેરવા જતો’તો કે જીનીવા મને, ‘જીનીવા સ્કૂલ’-ને કારણે પણ યાદ આવી ગયું. જીનીવામાં જનમેલા અને ભાષાવિજ્ઞાની સવિશેષે સંકેતવિજ્ઞાની રૂપે જાણીતા સૉસૂર તેમ જ વિવેચનમાં ફીનૉમિનોલૉજિ – પરક પરિપ્રેક્ષ્યથી કામ કરતા વિવેચકો યાદ આવી ગયા. ‘ચાળીસીના દાયકાથી સ્કૂલ સાથે કોઈ-ને-કોઈ કારણે જોડાયેલા વિવેચકોમાં મુખ્ય છે, Georges Poulet. એમણે સાહિત્યવિવેચનમાં રૂપનિર્મિતિની શોધને બદલે સર્જકચેતનાના અનુસરણ પર ભાર મૂક્યો હતો. તેઓ માનતા હતા કે સાહિત્યિક મૂલ્યોની તપાસ ઑબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ્ઝથી ન થઈ શકે. અમેરિકામાં એવું જ બીજું મહત્ત્વનું નામ હતું J. Hillis Miller-નું; કહેવાય છે કે પાછળથી તેઓ ડીકન્સ્ટ્રક્શન અનુસારની વિઘટનશીલ વિચારધારા સાથે જોડાયેલા. 

બીજાં નામો છે, Jean Rousset, Jean Starobinski, and Jean-Pierre Richard. આ વિવેચકોનું મન્તવ્ય હતું કે સાહિત્યકૃતિ એના કર્તાની ચેતનાની પ્રસ્તુતિ છે. કૃતિ એવી ‘વસ્તુ’ નથી કે અર્થ એમાં બેસી રહ્યો હોય; અર્થ જાણવા માટે કર્તાની ચેતનાને પામવી પડે. એટલે તેઓ બધા ‘ક્રિટિક્સ ઑફ કૉન્સ્યસનેસ’ કહેવાયેલા. 

જો કે, આ અભિગમ રૂપનિર્મિતિ – પરક ગુજરાતી વિવેચકોને નહીં ગમેલો, કેમ કે ચેતનાને પામવા સર્જકના જીવનમાં ઊતરવું પડે, અને તેથી, સંભવ છે કે વિવેચન બહુશ: જીવનકથાલક્ષી પણ બની જાય; બલકે એમાં એમને ફીનૉમિનોલૉજિની ભૂમિકા પણ ખાસ નહીં દેખાયેલી. સંરચનાવાદી, અનુસંરચનાવાદી કે વિઘટનશીલ વિચારધારાના આવિષ્કારો પછી ચેતનાના આ વિવેચકોનો ખાસ કશો મહિમા ન રહ્યો.  

+ +

હરારી કહે છે, વાર્તાઓ અને તમામ માહિતી શૃણ્ખલાઓની જેમ લિખિત દસ્તાવેજો પણ વાસ્તવિકતાની ચૉક્કસ રજૂઆત નથી કરતા. જો કે એથી નવી વાસ્તવિકતા સરજાય છે. સમ્પત્તિની યાદીઓ, વિવિધ કર-માળખાં, ચૂકવણાં વગેરેની લિખિત નૉંધણીઓને કારણે, એવા દસ્તાવેજીકરણને પ્રતાપે, વહીવટી તન્ત્રો, સામ્રાજ્યો, અને ધાર્મિક સંગઠનોની રચનાઓ આરામથી કરી શકાય છે. સ્પષ્ટપણે એમ કહેવાય કે દસ્તાવેજોએ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓના સર્જનની પદ્ધતિ જ બદલી નાખી!

મુખોમુખ પરમ્પરાઓ ધરાવતી સંસ્કૃતિઓમાં, આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ વાર્તાઓ અને લોકોનાં મુખે તેનાં પુનરાવર્તનોથી સરજાતી હતી, ઉપરાન્ત, મગજમાં સંઘરાતી હતી. પણ હકીકત એ છે કે માણસો યાદ રહેવાની ન હોય એવી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ નથી સરજી શકતા. 

હરારી દેવો, ચલણી નાણાં કે રાષ્ટ્રોને પણ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ કહી ચૂક્યા છે. હમણાં કહ્યું એમ, આગળ વધીને એમાં દસ્તાવેજોને પણ ઉમેરે છે; એટલું જ નહીં, માહિતી-પ્રસરણના મામલામાં સાહિત્યને પણ જવાબદાર ગણે છે. 

+ +

તો, જરા નિરાંતે સમજાવું કે આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા છે શું. 

આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા intersubjective reality-નો  મેં આપેલો ગુજરાતી પર્યાય છે. (અગાઉ મેં ‘આન્તરસ્વલક્ષી’ કહેલું, પણ એ બરાબર નથી)

કેટલીક વાસ્તવિકતાઓ માત્રઆત્મલક્ષી કે માત્રપરલક્ષી છે. જેમ કે, હું છું એ આત્મલક્ષી વાસ્તવિકતા છે, પણ ટેબલ ખુરશી પલંગ અરે આખો વસ્તુસંસાર પરલક્ષી છે. પણ કેટલીક વાસ્તવિકતાઓ એમ નથી, એ સહિયારી અને વ્યાપ્ત શ્રદ્ધાઓ છે, સ્વીકૃતિઓ છે, સાર્વત્રિક માન્યતાઓ છે. પરન્તુ એમનું ભૌતિક અસ્તિત્વ નથી. 

લાલ પીળી અને લીલી લાઇટ્સનો થાંભલો પરલક્ષી વાસ્તવિકતા, પણ સર્વસ્વીકૃત સ્ટોપ, કૉશન, અને ગો-ના સંકેતાર્થ આન્તરઆત્મલક્ષી. રૂપિયા ૧૦૦-ની નોટ પરલક્ષી વાસ્તવિકતા, પણ એનું એ સર્વસ્વીકૃત મૂલ્ય આન્તરઆત્મલક્ષી. 

ચલણી નાણાનો, રૂપિયા ૧૦૦-ની નૉટનો, દાખલો વિસ્તારથી સમજાવું. એ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા છે. એટલે કે મેં કે તેં કે તેણે જ નહીં પણ ભારતવાસી સૌએ સ્વીકારેલું છે કે એ કાગળ નામની વસ્તુ નથી, પણ નક્કી મૂલ્ય ધરાવતું નાણું છે. હું એ ધરીશ તો એ રકમનો માલ આપવાની દુકાનદાર મને ના પાડી શકશે નહીં. એ એક સુનિશ્ચિત કરાર છે. એ રૂપે એ ચાલે છે એટલે ચલણી કહેવાય છે. 

ગુજરાતી ભાષાનો આ ‘ચલણી’ શબ્દ આ વાસ્તવિકતાને સરસ રીતે વ્યક્ત કરે છે. આપણે સૌ એને ચલાવીએ છીએ, કેમ કે આપણે સૌ એ સમજના સહભાગી છીએ. આપણે સૌ જો ભૂલી જઈએ કે એનું મૂલ્ય ૧૦૦ રૂપિયા નથી, તો એ વાસ્તવિકતાનો નાશ થશે, એ કાગળિયું બની જશે. 

આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાનું અસ્તિત્વ એટલે છે કે એ એક સહિયારી માન્યતા છે, એક સમજ છે. જેમ કે, અતિપ્રાકૃતિક હસ્તીઓ કે દેવો એમ છે કેમ કે એ છે એમ આપણે સૌએ સ્વીકારેલું છે. સહિયારાં પૂજાપાઠ અને કર્મકાણ્ડને કારણે એ સ્વીકૃતિઓ દૃઢ થાય છે. 

ભારતમાં અને વિદેશે વધી રહેલાં હિન્દુ મન્દિરો અને એમાં અપનાવાયેલા વારતહેવારલક્ષી ક્રિયાકાણ્ડ એનું વર્તમાન દૃષ્ટાન્ત છે. 

ઇતિહાસ, સંસ્કૃતિ કે ભાષા સહિયારાં છે એ કારણે ભારત રાષ્ટ્ર છે. મારા કે કશીક ભૌતિક વસ્તુના ટેકે એ નથી, આપણે માનીએ છીએ, એટલે છે. અન્યથા એ, પૃથ્વીના અમુક ભાગની જમીન છે. એના અસ્તિત્વને જાળવી રાખવાનું આપણે કબૂલેલું છે, એ સામુદાયિક કબૂલાત છે. 

એ જ રીતે કૉર્પોરેશન્સ, જે વિશે હરારી તીવ્ર ટીકાઓ કરતા હોય છે, એટલે અસ્તિત્વ ધરાવે છે, કેમ કે સરકારમાં એની કાયદેસરની નૉંધણી થઈ છે; તેમછતાં સ્પષ્ટ છે કે એ ભૌતિક હસ્તી નથી. 

હરારી ભારપૂર્વક સૂચવે તો એ છે કે આ બધી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ લાભપ્રદ બની શકે, જો એના સ્વરૂપને સમજીને આપણે આપણી માન્યતાઓનું કે શ્રદ્ધાઓનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કરીએ. અન્યથા, એ અતિ સામર્થ્યવાન એ અર્થમાં છે કે એ આપણી વર્તણૂકોને અને આપણા નિર્ણયોને એવા પ્રકારે ઘડશે, જેના પરિણામે, અન્તે બધું અનિચ્છનીય પુરવાર થાય … 

= = =

(26Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...339340341342...350360370...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved