Opinion Magazine
Number of visits: 9767645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્દિરા ગાંધી : પહાડો કી બેટીનું બાયોફિલિયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 July 2017

ભારતનાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ઓળખાણ આજની પેઢીને આપવી હોય તો? તો એ જ કે ઇન્દિરા એક તેજતર્રાર, દબંગ નેતા હતાં. એ દુર્ગા તરીકે જાણીતાં હતાં, તેમણે પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા હતા. તેમણે કૉંગ્રેસને પણ બે ફાડચામાં વહેંચી નાખી હતી. તેમણે દેશમાં કટોકટી લાદી હતી, લોકતંત્રનું ગળું દબાવી દીધું હતું અને સંવેધાનિક વ્યવસ્થાઓને નપુંસક બનાવી દીધી હતી. પિતા જવાહરલાલ નહેરુ પછી સૌથી લાંબો સમય (1966થી 1977 અને 1980થી 1984) સુધી શાસન કર્યું હતું. તેમના જ બે અંગરક્ષકોના હાથે તેઓ શહીદ થયાં હતાં.

ઇન્દિરા ગાંધી આ બધું તો હતાં જ, અને એ ઉપરાંત પણ ઘણું બધું હતાં. કેટલાક લોકો માટે તેઓ સંત હતાં, જેણે ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી હતી. કેટલાક માટે એ શેતાન હતાં, જેમણે કટોકટી નામના પશુને દેશ ઉપર છોડી મૂક્યું હતું અને વિરોધીઓ ઉપર કચકચાવીને વેર લીધું હતું. ઇન્દિરા ઉપર ખૂબ લખાયું છે, અને હજુ ય લખાતું રહે છે. જેને બ્લેક એન્ડ વ્હાઇટ ચરિત્ર કહેવાય છે, તેવું ઇન્દિરાના કિસ્સામાં નથી. અલગ-અલગ લેખકો-પંડિતો ઇન્દિરાને પોત-પોતાના મૌલિક દૃષ્ટિકોણથી જુએ છે અને એ પરસ્પર વિરોધી દૃશ્યોમાંથી ઇન્દિરાનું એનિગ્મેટિક વ્યક્તિત્વ ઊભું થાય છે.

છેલ્લા એક મહિનામાં જ ઇન્દિરા ગાંધી ઉપર ત્રણ નવાં પુસ્તકો આવ્યાં છે અને જુલાઈમાં મધુર ભંડારકરની એક ફિલ્મ (ઇન્દુ સરકાર) રિલીઝ થઈ રહી છે. મે મહિનામાં ઇન્દિરાની જન્મ શતાબ્દી નિમિત્તે કૉંગ્રેસ પક્ષે ‘ઇન્ડિયાઝ ઇન્દિરા: અ સેન્ટેનીઅલ ટ્રિબ્યુટ’ પુસ્તક પ્રકાશિત કર્યું છે. બીજું પુસ્તક પત્રકાર સાગરિકા ઘોષનું છે ‘ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર’, જે ઇન્દિરાને જેમ્સ બોન્ડ અને બાહુબલીના ક્રોસ તરીકે પેશ કરે છે. ઇન્દિરાનું ત્રીજું ચરિત્ર કૉંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે લખ્યું છે, અને આ ત્રીજું પુસ્તક એટલું બધું મૌલિક છે કે અત્યાર સુધી ઇન્દિરા ઉપર લખાયેલાં તમામ પુસ્તકો(જેની સંખ્યા અંદાજે 35 છે)માં પહેલી વાર ઇન્દિરાને એક નવા આયામમાં પેશ કરવામાં આવ્યાં છે.

તમે અંગ્રેજીમાં ‘બાયોફિલા’ શબ્દ સાંભળ્યો છે? શબ્દ બહુ નવો છે. 1984માં (જે વર્ષે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી) અમેરિકન જીવશાસ્ત્રી એડવર્ડ વિલ્સને આ નામનું એક પુસ્તક લખ્યું હતું ત્યારથી એ શબ્દ વપરાશમાં છે. જેમ ફિલોસોફી શબ્દમાં ફિલોનો અર્થ પ્રેમ અને સોફીનો અર્થ જ્ઞાન થાય છે (જ્ઞાન માટેનો પ્રેમ), તેવી રીતે બાયોફિલોનો અર્થ થાય છે જીવ (બાયો) માટેનો પ્રેમ (ફિલો).

વિલ્સને કહ્યું હતું કે આપણી આજુબાજુમાં જે જૈવિક દુનિયા છે તેની સાથે દરેક વ્યક્તિના અચેતન મનમાં લગાવ હોય છે. પ્રકૃતિ સાથે, પશુ-પંખી-પાણી-વનસ્પતિ સાથે આપણે જોડાયેલા હતા, પરંતુ ઉત્ક્રાંતિ દરમિયાન મન-મગજનો વેગળો વિકાસ થતાં માનસિક સ્તરે એક અલગાવ પેદા થઇ ગયો અને પ્રકૃતિ સાથે પાછા એક થવાની કસક આપણી અંદર જીવતી રહી ગઈ. આ તડપ એટલે બાયોફિલા.

જયરામ રમેશે લખેલા જીવનચરિત્ર ‘ઇન્દિરા ગાંધી: અ લાઇફ ઇન નેચર’માં જે ઇન્દિરા બહાર આવે છે, તે આ બાયોફિલાની ફિતરતવાળાં ઇન્દિરા છે, જે અલગ, અજાણ્યાં અને અભિનવ છે. ઇન્દિરાનો પ્રથમ પ્રેમ પ્રકૃતિ હતી, અને રાજનીતિમાં તેઓ અનિચ્છાએ આવ્યાં હતાં. નિસર્ગ પ્રત્યેના એ ‘નેહડા’ને કારણે જ આ દેશના પર્યાવરણ તથા વન્ય સંબંધી કેટલા ય કાનૂનો ઇન્દિરાના કાર્યકાળ વેળા આવ્યા હતા, એ આ હેરત અંગે જ પુસ્તકની હાઇલાઇટ્સ છે.

‘વડાપ્રધાનો તો આવાં ગતકડાં કરતાં રહે’ એવું કહીને જો તમે ઇન્દિરાના આ ફિતૂરને ખારીજ કરી નાખતા હો તો જાણવા જેવું એ છે કે ઇન્દિરાનો પ્રકૃતિપ્રેમ દિલ્હીના સફદરજંગ રોડના બંગલામાંથી આવ્યો ન હતો, એ અલ્હાબાદના આનંદ ભવન અને દિલ્હીના તીન મૂર્તિ ભવનમાંથી આવ્યો હતો, જ્યાંથી પિતા જવાહરલાલ નેહરુએ ‘ગૂંગી ગુડિયા’ ઇન્દિરાને પત્રો લખ્યા હતા.

‘લેટર્સ ફ્રોમ ધ ફાધર ટુ હીઝ ડૉટર’ પુસ્તકમાં આવા ત્રીસ પત્રોનો સમાવેશ છે અને એમાં પાંચ પત્રો નૈસર્ગિક ઇતિહાસ ઉપર છે. ઇન્દિરાનો પ્રકૃતિ પ્રેમ જવાહરલાલ નેહરુ તરફથી આવ્યો હતો. 1973માં આ જ પુસ્તકની આવૃત્તિમાં પ્રસ્તાવનામાં ઇન્દિરાએ લખ્યું હતું, ‘આ પત્રોએ મને પ્રકૃતિને પુસ્તકની જેમ સાચવવાનું શીખવ્યું છે. મેં કલાકોના કલાકો પથ્થરો, છોડવા, જંતુઓ અને આકાશના તારાને ઓળખવામાં કાઢ્યા છે.’

ઇન્દિરા એક માત્ર ભારતીય પ્રધાનમંત્રી છે, જેમણે 1972માં સ્ટોકહોમમાં યુએન કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયર્નમેન્ટમાં સંબોધન કર્યું હતું અને લંડનના ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્રના મતે, ઇન્દિરાએ પહેલીવાર ગરીબીનું એક મૂળ પર્યાવરણ પરિવર્તનમાં જોયું હતું. લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરામાં નિસર્ગની તડપ કેવી હતી, એની એક મિસાલ અમેરિકાના ફોટોગ્રાફર ડોરોથી નોર્મનને 1958માં લખેલા એક પત્રમાં મળે છે. ઇન્દિરાએ ડોરોથીને લખ્યું હતું, ‘મને આ બધું છોડીને સુદૂર કોઇ પહાડોમાં જતાં રહેવાનું મન થાય છે.’ બીજા જ વર્ષે 1959માં એમણે કૉંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું. તે પછી બીજા એક મિત્રને લખ્યંુ હતું, ‘હું આ આખું વર્ષ ચુપચાપ અને શાંતિમાં પસાર કરવાનું વિચારતી હતી ત્યાં આ નવી જવાબદારી આવી પડી છે.’

ઇન્દિરા પક્ષીવિજ્ઞાની સલીમ અલીનાં મિત્ર અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પેટ્રન હતાં. ઇન્દિરાના પ્રયાસથી જ દિલ્હી બર્ડ વૉચિંગ સોસાયટીની સ્થાપના થઈ હતી. એક પત્રમાં એ પિતા નેહરુને ઘેરા પીળા રંગના, ચમકતા બ્લુ શેડ્સવાળા પૂંછડીવાળા, ઘુમાવદાર ચોંચવાળા પક્ષીનું નામ પૂછે છે. જવાબમાં નહેરુ લખે છે, ‘તું મને કોઇ પક્ષીનું સંદિગ્ધ વર્ણન કરીને અહીં બેઠાં બેઠાં એનું નામ આપવાનું કહે છે! મારા જ્ઞાનમાં તારો આ વિશ્વાસ મર્મસ્પર્શી છે, પણ ઉચિત નથી.’

નહેરુએ ઇન્દિરાને જે પુસ્તકો વાંચવા આપેલાં, એમાં એક બેલ્જિયાઇ નાટ્યકાર-કવિ મૌરીસ મેટલિંકનું ‘ધ લાઇફ ઑફ ધ બી’ છે, જે મધમાખીનો આધાર લઈને જીવનની વાત કરે છે. એમાં નહેરુ લખે છે, ‘ઇન્દિરા પ્રિયદર્શિની, પાપુ કા બહુત, બહુત પ્યાર, નૈની જેલ, 10 ડિસેમ્બર 1930’. વળતા પત્રમાં ઇન્દિરા લખે છે, ‘વાંચવાની મજા આવી. મેં ‘ધ લાઇફ ઑફ ધ એન્ટ’ પણ શરૂ કરી છે. હજુ થોડાં પાનાં વાંચ્યાં છે એટલે બહુ કહી નહીં શકું.’

વર્ષો પછી ઇન્દિરાએ એક પત્રમાં મિત્રને લખ્યું હતું, ‘ફેબર બુક્સ ઑફ ઇન્સેક્ટસ’ અને મૌરીસનાં પુસ્તકોએ મારું ઘડતર કર્યું હતું.’ ઇન્દિરાની અંગત લાઇબ્રેરીમાં પણ આવાં ઘણાં પુસ્તકો હતાં, એમાં એક બ્રિટિશ ચિત્રકાર ઇ. જે. ડેટમોલ્ડનું ‘ધ બુક ઑફ બેબી બર્ડ્સ’ હતું. એમાં પહેલા પાને નહેરુના હસ્તાક્ષર અને તારીખ-5-12-29, કલકત્તા હતી. એક પુસ્તક ફ્રેન્ચમાં પતંગિયા ઉપર હતું. બીજું માછલીઓ ઉપર હતું. અર્જેન્ટિનિયન પ્રકૃતિવિદ્ વિલિયમ હેન્રી હડસનની આત્મકથા હતી તો છોડવાનો કુદરતી ઇતિહાસ ‘ફ્લાવરિંગ અર્થ’ હતો.

ઇન્દિરાનાં સખી અને હસ્તકળાને પ્રોત્સાહન આપનાર પુપુલ જયકરને એમણે એકવાર કહ્યું હતું, ‘મને ફૂલો કરતાં વૃક્ષો વધુ પસંદ હતાં. મને બચપણથી જ વૃક્ષો જીવન-દાતા લાગતાં હતાં. મને વૃક્ષ ઉપર ચઢવાનું, એમાં છુપાઈ જવાનું ગમતું. મેં એમાં જગ્યા બનાવી હતી, જ્યાં હું મારી ચોપડીઓ લઇને બેસી જતી. હું જ્યારે પૂણેમાં ભણવા ગઈ ત્યારે પણ ગમતાં વૃક્ષ ઉપર ચઢી જતી હતી. નીચે લોકો બૂમો પાડતા, ‘પેલી ક્યાં ગઇ?’ અને હું ઉપર જ બેસી રહેતી.’ ડિપ્લોમેટ અને વિદેશ સચિવ જગત મહેતાએ નહેરુ-ગાંધીના ખૂલી હવાના પ્રેમનો એક કિસ્સો કહ્યો છે. 1958માં 67 વર્ષના નહેરુ અને 41 વર્ષનાં ઇન્દિરાએ 15000 ફૂટની ઊંચાઇએ નાથુલા પાસથી પારો સુધી પાંચ દિવસ 105 કિલોમીટર ચાલીને ભુતાન સુધી એક ડિપ્લોમેટિક મિશનની આગેવાની લીધી હતી. આજના જે લીડરો ભારતની બરબાદી માટે નહેરુ-ગાંધીનાં નામનાં છાજિયાં કૂટે છે, એ લીડરો જો જંગલ-પહાડના રસ્તે ચાલીને વિદેશ યાત્રા કરે તો એમના શરીર, સ્વભાવ અને દુનિયાદારીમાં પણ ચાર ચાંદ લાગશે. 

તા.ક. જયરામ રમેશના પુસ્તકનું વિમોચન થયું તે પ્રસંગે ઉપસ્થિત પ્રખ્યાત પર્વતારોહી મનમોહનસિંહ કોહલીએ કહ્યું કે એક વાર ઇન્દિરાએ એમને કહ્યું હતું, ‘પ્લીઝ, મને પહાડોની બેટી કહીને બોલાવો’.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 23 જુલાઈ 2017

Loading

રમણ સોનીનું અવલોકન-વિશ્વ

દીપક બી. મહેતા, દીપક બી. મહેતા|Opinion - Literature|23 July 2017

“અવલોકન-વિશ્વ” : સંપાદક – રમણ સોની : પ્રત્યક્ષ પ્રકાશન, ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા – 390 007 :  પહેલી આવૃત્તિ – ૨૦૧૭. પાનાં ૧૬ + ૩૫૨ = ૩૬૮ : મૂલ્ય – રૂ.૪૫૦

કુલ ભાષા ૨૯ (તેમાંની ૧૬ દેશની, ૧૩ પરદેશની). ૯૦ લેખકોએ લખેલાં ૮૭ પુસ્તકો વિશેના ૭૮ સમીક્ષકોએ લખેલા લેખો. (‘સંપાદકનું કથન’માં ૮૬નો આંકડો લખ્યો છે, પણ અંતે આપેલી ‘ગ્રંથસૂચિ’માં ૮૭ પુસ્તકો નોંધાયાં છે.) અને આ પુસ્તકો તે માત્ર સાહિત્યનાં જ નહિ. સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસવિચાર, કળાવિચાર, ચરિત્ર, ડાયરી, ફિલ્મવિચાર, ભાષાશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સંશોધન અને સંસ્કૃિતવિચારનાં પુસ્તકો પણ ખરાં. સાહિત્યમાં સૌથી વધુ (૧૫) પુસ્તકો નવલકથાનાં. ઉપરાંત કવિતા (૧૪), આત્મકથા (૧૩), વાર્તા (૭) અને વિવેચન(૬)નાં પુસ્તકો. અને આ બધાં જ પુસ્તકો બાવા આદમના જમાનાનાં નહિ, છેલ્લા એક દાયકા દરમ્યાન પ્રગટ થયેલાં – તેમાં ય ૬૦ પુસ્તકો તો છેલ્લાં ચારેક વર્ષમાં પ્રગટ થયેલાં. પણ આ આંકડા રાંકડા લાગે એવો સૂઝ ભર્યો શ્રમ સંપાદકે કર્યો છે. તેમણે લખનારાઓ પર કે પોતાના પર કૃત્રિમ બંધનો નથી લાદ્યાં, મોકળાશ રાખી છે. અમુક શબ્દોમાં જ લખો, અમુક પ્રકારનાં પુસ્તકો વિષે જ લખો, અમુક રીતે જ લખો – કે ન લખો – એવી લક્ષ્મણરેખા લખનારાઓ ફરતી નથી દોરી. તો એક લેખક એક લેખ, અમુક ભાષા, વિષય કે પ્રકારનાં પુસ્તકો અમુક સંખ્યામાં જ, રજૂઆતની અમુક જ પદ્ધતિ, એવાં બંધનોથી નથી પોતાની જાતને બાંધી. આનો અર્થ એવો નથી કે અહીં સંપાદન-કર્મ નથી. છે. પૂરેપૂરું છે, ચીવટ અને ઝીણવટભર્યું છે. જ્યાં ગુજરાતીમાં લખાયેલા લેખ ન મળ્યા ત્યાં બીજી ભાષામાં લખાવી તેના અનુવાદ કર્યા-કરાવ્યા છે. કોઈ અવલોકનમાં કશુંક ખૂટતું લાગે તો બીજા કોઈ પાસેથી પૂરક સામગ્રી મેળવીને મૂકી છે. કેટલાક લેખોને અંતે વધતી કોરી જગ્યામાં મૂકવા માટે મહેનત કરીને સુયોગ્ય અવકાશપૂરકો એકઠાં કર્યાં છે. (અને તેની અલગ અનુક્રમણિકા પણ આપી છે.) સાધારણ રીતે ગુજરાતીમાં લખવાથી ન ટેવાયેલા લેખકોના લખાણમાં તો સારી એવી જહેમત સંપાદકને લેવી પડી હોય.

અહીં મૂકેલા લેખોને એક બીજી રીતે પણ જોઈ શકાય – આપણા પ્રબુદ્ધ વાચકોના વાચન અંગેનાં રસ-રુચિની પારાશીશી રૂપે. અહીં ભારતીય અંગ્રેજીનાં ૧૦ પુસ્તકો વિષે, અમેરિકન અંગ્રેજીનાં ૧૮ પુસ્તકો વિષે, બ્રિટિશ અંગ્રેજીનાં ૧૩ પુસ્તકો વિષે – એમ કુલ ૪૧ અંગ્રેજી પુસ્તકો વિષે લખાયું છે. બીજી કેટલીક પરદેશી ભાષાનાં પુસ્તકો વિષે લખાયું છે તે પણ તેના અંગ્રેજી અનુવાદ થકી. ‘અંગ્રેજી હટાવ, ગુજરાતી બચાવ’ની બૂમો ગમે તેટલી પડતી હોય, અંગ્રેજીની સારી જાણકારી વગર આપણને ચાલવાનું નથી. આપણે અંગ્રેજી પુસ્તકો વાંચીએ છીએ તે આપણી ગરજે. અંગ્રેજીનો ઉદ્ધાર કરવા ખાતર નહિ.

લખનાર અવલોકન-લેખનનો નિષ્ણાત ન હોય તો ચાલે, વિષયનો જાણકાર હોય એટલે બસ. પરિણામે કેટલીક નવી-તાજી કલમોનો લાભ આ પુસ્તકને મળ્યો છે. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે લખનારાઓમાં જંગી બહુમતી આજી-માજી અધ્યાપકોની જ છે. ઓછામાં ઓછા ૪૭ લેખો તેમના લખેલા છે.

પુસ્તકોનાં અવલોકનો (બદ્ધાં નવાં નક્કોર, અહીંથી-તહીંથી ઉપાડીને છાપેલું એક પણ અવલોકન નથી)નું આવું દીર્ઘદૃષ્ટિ અને પરિશ્રમપૂર્વક તૈયાર થયેલું, આવું માતબર પુસ્તક આપણી ભાષામાં વારંવાર જોવા મળતું નથી. આવાં સંપાદનો કરતી વખતે કેવું લોહીનું પાણી કરવું પડે છે તે તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાને.’ અને છતાં સાહિત્યનો ઇતિહાસ લખતી વખતે કે લેખકોને ઇનામ અકરામ આપતી વખતે કોઈને સંપાદનો સાંભરતાં નથી. અનુવાદકની જેમ સંપાદક પણ આપણા સાહિત્યની વર્ણવ્યવસ્થામાં નીચલે પગથિયે છે.

છેલ્લે, નજર ન લાગી જાય માટે એક નાનકડું કાળું ટપકું : દરેક અવલોકનને મથાળે પુસ્તક અને તેના કર્તા, પ્રકાશકનાં નામ છાપ્યાં છે, પ્રકાશન વર્ષ છાપ્યું છે, દરેક પુસ્તકના જેકેટનું લઘુ રૂપ પણ છાપ્યું છે, તો સાથોસાથ પાનાંની સંખ્યા અને કિંમત પણ છાપ્યાં હોત તો? સૂચિકરણની શિસ્તની દૃષ્ટિએ એ જરૂરી છે એ તો ખરું જ, પણ તેમ કર્યું હોત તો જે થોડાઘણા – કે ઘણા થોડા – પુસ્તક પ્રેમીઓ હોય તેમની સગવડ થોડી વધુ સચવાઈ હોત. પુસ્તકનું મુદ્રણ સ્વચ્છ, સુઘડ, વ્યવસ્થિત. અને પૂંઠું તો આંખમાં જ નહિ, મનમાં વસી જાય તેવું. રમણભાઈએ તો દસ પગથિયાં ભારે જહેમત કરીને ગોઠવી આપ્યાં છે. તેના પર ચડી અવલોકન-વિશ્વમાં ડોકિયું કરવાનું કામ હવે આપણું છે.

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai – 400 051

Loading

Saare Jahan Se Ache ….

Ajit Ninan and Jug Suaiya, Ajit Ninan and Jug Suaiya|Opinion - Cartoon|22 July 2017

courtesy : 'Ninan's World', "The Times of India", 21 July 2017

Loading

...102030...3,3953,3963,3973,398...3,4103,4203,430...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved