Opinion Magazine
Number of visits: 9584536
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાણીરક્ષાની ચિંતા, ગોરક્ષાનું રાજકારણ

પ્રીતીશ નંદી|Opinion - Opinion|28 April 2017

ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત

હું ગોરક્ષક છું. ભલે તમારામાંના અનેક લોકોને (આજના વાતાવરણમાં) એ ગમે તેટલું ભયાનક લાગે. વર્ષો સુધી આપણામાંથી અમુક લોકો ગેરકાયદે કતલખાનાંમાં ગાયો અને વાછરડાઓની કતલ કરવા માટેની ગેરકાયદે હેરફેરને અટકાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. (અમુક રાજ્યોમાં તો પ્રત્યેક કાયદેસર કતલખાનાની પાછળ સો ગેરકાનૂની કતલખાનાં છે) અનેક વખત આપણે સફળ થતાં, તો મોટા ભાગે નિષ્ફળ  જતા. તેઓ લાંચ આપીને કે વ્યક્તિગત લાગવગથી છૂટી જતા.

પરંતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખનારા આપણા બધા માટે આ ભયાનક દૃશ્ય હતાઃ કમનસીબ પ્રાણીઓના પગ ભાંગીને તેને ટ્રક અને ટેમ્પોમાં ભરવામાં આવતાં, જેથી વધારેમાં વધારે પ્રાણીઓને તેમાં ઠાંસી શકાય. એકબીજાંની ઉપર ચઢાવવામાં આવતાં. અમુક તો બિચારાં કતલખાને પહોંચતાં પહેલાં જ શ્વાસ રુંધાઈ જવાથી મૃત્યુ પામતાં. જેમને બચાવી લેવાતાં, તે પણ માત્ર નામના જ જીવતાં રહેતાં. હું માત્ર ગોરક્ષક જ નહીં, કૂતરાં રક્ષક, બિલાડી રક્ષક, ભેંસનો રક્ષક, ત્યાં સુધી કે ચકલીનો રખેવાળ પણ છું, અને તેને નષ્ટ થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા માટે આ એ પ્રાણીને બચાવવાનો મુદ્દો નથી, જેની પૂજા હું કરું છું.

આ તો પ્રાણીઓ — તમામ પ્રાણીઓ, પંખીઓ, બધાં જીવિત પશુઓની રક્ષા કરવાની વાત છે. કારણ કે હું માનું છું કે આ પૃથ્વી એટલી જ એમની પણ છે, જેટલી મારી અને તમારી. આટલાં વર્ષમાં હું બીજા લોકોને મળ્યો અને જાણ્યું કે કેવી રીતે સિંહરક્ષક, હાથીરક્ષક, કાળિયારરક્ષક કેવી રીતે બની શકું છું. મને તો બધાં પ્રાણીઓ પસંદ છે, સૌમ્ય સ્વભાવની એ નીલગાય પણ, જેને સરકારે ‘વર્મિન’(નુકસાનકર્તા)નો દરજ્જો આપ્યો છે. તેનો અર્થ એ છે કે તેને મારી શકાય છે. મને લાગે છે કે બધાં પ્રાણી દુનિયાને સુંદરતા અને જાદુથી ભરી દે છે, જેને આપણે માનવોએ જંગલ અને ચેરિયા(મેન્ગ્રૂવ્સ)ને નષ્ટ કરી રહ્યાં છીએ, જે આ પ્રાણીઓનું પ્રાકૃતિક રહેઠાણ છે.

પરંતુ તમામ લાંબી યાત્રાઓની જેમ આ યાત્રા પણ એક નાનકડા પગલાથી શરૂ થઈ હતી. એ પગલું હતું, આપણાં શહેરોની ગલીઓમાં રખડતાં પશુઓને બચાવવાનું. પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે મુંબઈ શહેરમાં આવ્યો હતો, તો રખડતાં કૂતરાંને જ્યાંત્યાંથી પકડીને મારી નાખવામાં આવતાં. શેરીઓને શ્વાનમુક્ત કરવા માટે નિર્દયતાથી મારવા માટે તેમને મોટા વૉટરટબમાં નાખીને વીજળીનો કરંટ આપવા સહિતની પદ્ધતિઓ અપનાવવામાં આવતી. આમ છતાં, દર વર્ષે તેમની સંખ્યા વધતી જતી.

આપણે પશુગણતરી કરી, અદાલતોમાં ગયા અને આવાં પગલાંના બદલે કૂતરાંની નસબંધી કરવાની રજૂઆત કરી. હંમેશાંની જેમ આંદોલનોમાં સમય તો લાગ્યો, પરંતુ આ હત્યાઓ બંધ કરાવી શકાઈ. આપણું ન્યાયતંત્ર ભલે ધીમું હોય, પણ માનવતાવાદી છે. આપણે રાહતનો શ્વાસ લીધો. હવે મુશ્કેલી એ હતી કે આપણા સામાન્ય સંસાધનોથી તેમની નસબંધીનો કાર્યક્રમ કેવી રીતે ચલાવી શકાય. સદ્‌નસીબે અનેક એન.જી.ઓ. સામે આવી અને એ કામ ઉપાડી લીધું. તેમણે અત્યંત પ્રશંસનીય કામ કર્યું. મારાથી સારાં સ્ત્રી-પુરુષો છે, જેઓ આપણા અદ્‌ભુત વન્યજીવોનું રક્ષણ કરે છે, તેમની સંભાળ રાખે છે.

આ અત્યંત અઘરું કામ છે, કારણ કે જંગલોમાંથી પૈસા મળે છે અને ત્યાં રહેલાં પ્રાણીઓના બદલે ગેરકાનૂની શિકારીઓને વધારે રક્ષણ મળે છે. એટલા માટે આપણે બધા જાણીએ છીએ કે કોણે સિંહ અથવા શિંગડાવાળા ગેંડાની હત્યા કરી છે (અને કયા હેતુસર). ગુનેગાર ખૂબ ઓછા બનાવોમાં ઝડપાય છે અને તેમને સજા મળે છે. જેમ કે આપણી પશુગણતરીથી ખ્યાલ આવ્યો હતો કે છોડી મુકાયેલાં પશુઓ આપણા રસ્તાઓ પર સૌથી વધારે સંખ્યામાં છે. એક વખત તેઓ બિનઉપયોગી બની જાય, તો તેમના માલિક તેમને રસ્તાઓ પર મૂકી દે છે. તેમાંથી મોટા ભાગનાં પ્લાસ્ટિક ખાવાથી મરે છે. કારણ કે તેમને એટલી ભૂખ લાગી હોય છે.

અમુક જ ગોરક્ષકોને તેમની ચિંતા હોય છે. તેઓ કતલખાને જતી ગાયો(અને હવે ભેંસો)નો પીછો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. અનેક વખત તો ખોટા ઉત્સાહમાં તેઓ ગાયોને કાયદેસર કતલખાને લઈ જનાર લોકો પર જ હુમલો કરી દે છે, કારણ કે તમામ રાજ્યોમાં તો ગાયોને કતલખાને લઈ જવી ગેરકાનૂની નથી. કાશ! એવું હોત કે તમામ રાજ્યોમાં ગાયોની કતલની મનાઈ હોત. માત્રો ગાયો બચી જાત, ઉપરાંત માનવીય જિંદગીઓ પણ બચી જાત. ખાસ કરીને મુસ્લિમ અને દલિત તેમ જ વિચરતી જનજાતિઓ, જેઓ નવા યુગના બેફામ-બેકાબૂ ગોરક્ષકોના નિશાન પર આવી ગયા છે. તેઓ હવે શંકાના આધારે કોઈના પર પણ હુમલો કરી દે છે.

રોમાંચક વાત એ છે કે આપણે જ્યારે ગોરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વના સૌથી મોટા ગોમાંસ નિકાસકાર તરીકે ઊભરી આવ્યા છીએ. અમેરિકન કૃષિ વિભાગ અનુસાર આપણે 2015માં ગાય અને વાછરડાંના 24 લાખ ટન માંસની નિકાસ કરી હતી અને આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે. ભારત, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા મળીને વિશ્વનું 58.7 ટકા ગોમાંસ નિકાસ કરે છે. તેમાં એકલા ભારતની ભાગીદારી 23.5 ટકા છે. આઈ.સી.આર.એ.નું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં આપણી ગોમાંસની નિકાસ 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

એ વાત દુ:ખદ છે કે મોટા ભાગના પત્રકારો જે આ ઉપલબ્ધિને ઉત્સાહથી રિપોર્ટ કહે છે, તેને એ આધાર પર યોગ્ય ગણાવે છે કે ગાય નહીં, માત્ર ભેંસોને મારવામાં આવે છે. જ્યાં કતલખાનામાં કામ કરનારાઓ મોટા ભાગે મુસ્લિમ અને તેમની ચામડી ઉતરડનારા દલિતો હોય છે, પણ ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત હોતા. તેઓ પોતાના બિઝનેસને મુસ્લિમ નામોની બ્રાન્ડ બનાવી દે છે, જેથી મધ્ય-પૂર્વના બજારમાં તેને વેચવામાં સરળતા રહે અને પોતાની ઓળખ પણ છુપાવી શકાય. જો ગોરક્ષકો ગંભીર છે, તો તેઓ આ ગંદા કામમાં તેમને ત્યાં માત્ર કામ કરનારઓની મારઝૂડ કે હત્યા કરવાના બદલે આ મોટા લોકોને નિશાન કેમ નથી બનાવતા?

હા, હું હજી પણ ગોરક્ષક હું, પરંતુ એ પશુ આંદોલન જે આપણે આટલાં વર્ષ ચલાવ્યું, લોકોને બધાં પ્રાણીઓ પ્રત્યે કરુણા દર્શાવવાનો બોધ આપ્યો. હવે આ આંદોલન અમુક દાદાગીરી કરનારા અને હત્યારાઓના કારણે પોતાનું વાજબીપણું ગુમાવવાની અણીએ છે. કોઈને ખબર નથી કે એ અચાનક ક્યાંથી આવી ગયા. કોઈને ખબર નથી કે તેમને શું જોઈએ છે. વાત સ્પષ્ટ છે: તેમનો એજન્ડા ગાયોને બચાવવાનો નહીં, પણ લોકોની હત્યા કરવાનો છે.

સૌજન્ય : ‘ધંધાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2017

Loading

પેરુમલ મુરુગન પોંખાય છે ત્યારે…

દિવ્યેશ વ્યાસ|Opinion - Literature|27 April 2017

પેરુમલ મુરુગનની જે કૃતિ પર કટ્ટરવાદીઓ પ્રતિબંધ લાદવા માગતા હતા, તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, એ શું સૂચવે છે?

વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે – પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’

પેરુમલ મુરુગનની આ પોસ્ટ સમગ્ર દેશમાં ચર્ચિત બની હતી. એક વ્યક્તિને જીવતેજીવ લેખક તરીકે મરી જવા મજબૂર કરે, એવા ઘટનાક્રમે સમગ્ર દેશના સાહિત્યકારો અને સંવેદનશીલ લોકોને ઝકઝોરી નાખ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડેલા પડઘા જોઈને કટ્ટરવાદીઓએ જાહેરમાં વિરોધ પ્રદર્શનો તો બંધ કર્યાં, પણ લેખક પર યેનકેન પ્રકારેણ દબાણ લાવવા અશ્લીલતા, ઈશનિંદાથી માંડીને ધાર્મિક લાગણી દુભાવવાના તેમ જ સ્ત્રીના અપમાન સુધીના આરોપો લગાવીને પુસ્તકને પ્રતિબંધિત કરવા કેસ કર્યા હતા. તો સામે પી.યુ.સી.એલ. જેવી સંસ્થાઓએ લેખકની તરફેણમાં તેમના રક્ષણ માટે કોર્ટકાર્યવાહીનો માર્ગ લીધો હતો. આખરે જુલાઈ-2016માં મદ્રાસ હાઇકોર્ટે પેરુમલ મુરુગન તરફી આપેલા સજ્જડ ચુકાદાએ સૌનાં મોં બંધ કરી દીધાં હતાં. પેરુમલ મુરુગન નામના લેખકના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો અને તેમણે ફરી હાથમાં કલમ પકડી હતી. મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો અભિવ્યક્તિની આઝાદીની લડાઈ માટેનો એક માઇલસ્ટોન ગણાયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મ-સંપ્રદાય કે જાતિ-સમાજના નામે જે કટ્ટરતા અને અસહિષ્ણુતા વધતી જાય છે ત્યારે આ ચુકાદો લેખકો-સર્જકો-કલાકારો માટે આઝાદ પંછીની જેમ ઊડવાનો જાણે પરવાનો લઈને આવ્યો હતો!

તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને 2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જો કે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.

જે પુસ્તક પર પ્રતિબંધ લાદવા માટે કટ્ટરવાદીઓ તરફથી ધમપછાડા કરવામાં આવ્યા, એ જ પુસ્તક જ્યારે રાષ્ટ્રીય સ્તરે પોંખાય છે ત્યારે કટ્ટરવાદીઓ-સંકુચિત સંસ્થાઓએ આત્મમંથન કરવું જોઈએ. કટ્ટરતા કોઈ એક ધર્મનો ઇજારો નથી. દરેક ધર્મમાં કટ્ટરવાદી પરિબળો હોય જ છે અને અમુક રાજકીય કારણસર તેમને પોષવામાં પણ આવતાં હોય છે. આપણો દેશ બહુ સહિષ્ણુ છે, એવા અધકચરા સત્યના સહારે ગૌરવમાં જ રાચવાનું આપણને પોષાય નહીં. અસહિષ્ણુતાના મામલાની મજાક ઉડાવનારાઓએ એક વખત પેરુમલ મુરુગનનો આખો કિસ્સો જાણવો જોઈએ. એક નાગરિક તરીકે આપણે કટ્ટરતાનો તો વિરોધ કરવો જ પડે, પણ સાથે સાથે એ કટ્ટરતાને પોષક એવાં પરિબળોને પણ શોધવા પડે, ઓળખવાં પડે અને ‘સુધારવાં’ પડે.

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

http://samaysanket.blogspot.co.uk/2017/04/Perumal.Murugan.html

Loading

અડવાણીઃ જે પોષતું, તે મરાતું?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|26 April 2017

છેલ્લા એકાદ દાયકામાં કરેલાં છૂટાંછવાયાં નિવેદનોના જોરે તે કોમવાદી રાજકારણના રીઢા આરોપી મટી જતા નથી

રાજકારણનો ધંધો ગેંગ જેટલો જ કે ગેંગ કરતાં વધારે ખતરનાક છે. ગેંગ વિશે બે વાતનું સુખ હોય છેઃ એક તો, તે લોકસેવા કે લોકોનું પ્રતિનિધિત્વ કરતો પક્ષ નથી અને સત્તા-સંપત્તિ માટે ચાલતી ગેંગ છે તેની બધાને ખબર હોય છે. બીજું, તેનું કામ બંદૂકના કે રૂપિયાના જોરે ચાલે છે–ચાલી જાય છે. દેશના બંધારણ ને બંધારણીય સંસ્થાઓ સુધી પહોંચવાની તેને જરૂર પડતી નથી. પોલીસ-ન્યાયતંત્ર સાથે તેનો પનારો સતત ખરો ને તેમાં છીંડાં પાડવાના પ્રયાસ તે કરે, પણ તેના પાયામાં ઘા કરવાનું ગેંગની પહોંચથી બહાર રહે છે. રાજકારણમાં એ સુવિધા પણ મળી રહે છે.  હિંદી ફિલ્મોના પ્રતાપે સૌ જાણે છે કે કાનૂનના હાથ લાંબા હોય છે, પણ કાનૂનના લાંબા હાથ મરોડીને કાનૂનની જ કાનપટ્ટી પકડાવવાનું કામ રાજનેતાઓ કરી શકે છે. (ઘણા) રાજકીય પક્ષોની જેમ ગેંગમાં એક જ બોસ હોય છે. બાકીના બધા પીટર-રોબર્ટ-ટોની-માઇકલ (કે એવા પ્રકારનાં ભારતીય નામ). ગેંગમાં વડીલોનું કામ હોતું નથી — આજ્ઞાંકિત ન હોય એવા વડીલોનું તો બિલકુલ જ નહીં. રાજકારણમાં પણ લગભગ એવું જ હોય છે. એ કઠોર સત્ય સમજવામાંથી નાદુરસ્ત વાજપેયી બચી ગયા, પણ તંદુરસ્ત અડવાણી-મુરલી મનોહર જોશીને તે બરાબર સમજાઈ રહ્યું છે.

અડવાણી વિશે આગળ વાત કરતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઇએ કે માત્ર ને માત્ર માનવીય ધોરણ સિવાય બીજી કોઈ રીતે તેમની દયા ખાઈ શકાય તેમ નથી. વડાપ્રધાન મોદીની ઘણી કાર્યપદ્ધતિ સામે વાંધો હોય, તેનાથી અડવાણી આદરણીય રાજપુરુષ બની જતા નથી –અને છેલ્લા એકાદ દાયકામાં તેમણે કરેલાં છૂટાંછવાયાં નિવેદનોના જોરે તે કોમવાદી રાજકારણના રીઢા આરોપી મટી જતા નથી.

વાસ્તવમાં દેશના રાજકારણને નિર્ણાયક કોમવાદી વળાંક આપવામાં અડવાણી અગ્રસ્થાને રહ્યા છે. સરદાર પટેલને મુસ્લિમવિરોધી તરીકે ખપાવવામાં અને એ જ 'લાયકાત'થી પોતાને 'છોટે સરદાર' માનવાની બાબતમાં અડવાણી નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા.

ગાંધીજીની હત્યા પછી દેશમાં લાંબા સમય સુધી કોમી તોફાન બંધ રહ્યાં. પરંતુ રાષ્ટ્રવાદના નશીલા પ્રવાહીમાં કોમવાદનું ધીમું ઝેર ભેળવીને તેનું વિતરણ ધીમી ધારે સતત ચાલુ રહ્યું. તેની રાજકીય રોકડી કરવાનો મોકો દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન સમાપ્ત થયા પછી આવ્યો. ત્યારે વી.પી. સિંઘે મંડલ પંચના અભરાઈ પર ચઢાવાયેલા અહેવાલ પરથી ધૂળ ખંખેરીને ઓ.બી.સી. માટે 27 ટકા આરક્ષણની ભલામણનો અમલ કર્યો. દેશભરમાં ખળભળાટ મચ્યો. તે સમીકરણનો આધાર જ્ઞાતિ હતી. તેની સામે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન નિમિત્તે કોમી ધ્રુવીકરણનો માહોલ ઊભો કર્યો. 'મંડલ વિરુદ્ધ કમંડલ' તરીકે ઓળખાયેલું આ રાજકીય દંગલ ભા.જ.પ.ને ઘણું ફળ્યું. તેણે ભા.જ.પ.ને રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા, 'લુનેટિક ફ્રિંજ' એટલે કે છેવાડે રહીને ઉધમ મચાવતા પક્ષને બદલે મુખ્ય ધારાના રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કર્યો.

ગઝનીના મહેમૂદે કરેલા સંખ્યાબંધ હુમલા પછીનાં વર્ષોમાં સોમનાથ હિંદુ-મુસ્લિમ વૈમનસ્યનું કેન્દ્ર બન્યું હોય કે નહીં, પણ વીસમી સદીમાં (આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક બનેલા) કનૈયાલાલ મુનશીની નવકથાઓએ સોમનાથ સાથ કથિત હિંદુ ગૌરવના રાજકારણને આકાર આપવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. તેથી રામમંદિરની 'મંદિર વહીં બનાયેંગે’ ઝુંબેશ માટે રથયાત્રાના આરંભબિંદુ તરીકે સોમનાથની પસંદગી સમજાય એવી હતી. સોમનાથથી અયોધ્યાની એ યાત્રા હિંદુઓળખના નામે કોમવાદી રાજકારણને નવેસરથી સ્થાપિત કરવામાં, મુસ્લિમવિરોધ પ્રત્યેનો ખચકાટ દૂર કરીને તે દ્વેષને સરાજાહેર – મુખ્ય ધારામાં લઈ આવવામાં અને કોંગ્રેસના સગવડિયા સેક્યુલરિઝમની સાથોસાથ જમીની હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્વ, સર્વધર્મસમભાવ જેવી બાબતોના પાયામાં ઘા કરવામાં મહત્ત્વની બની. આ કામ પાર પાડવામાં અડવાણી એકલા ન હતા. સાધ્વી ઋતંભરા જેવાં બિનરાજકીય પાત્રોથી માંડીને સંઘ પરિવારનાં અન્ય સંગઠનો અને ભા.જ.પ.ના નેતાઓ પણ તેમાં સામેલ હતા. એ સમયના, હિંદુ કટ્ટરવાદના મહા-રથી તરીકે ઊભરેલું નામ અડવાણીનું હતું.  

હિંદુ ગૌરવના નામે કોમી ધ્રુવીકરણના પ્રતીક જેવી સોમનાથ-અયોધ્યા રથયાત્રામાં અડવાણીના સારથી (ભલે, કૃષ્ણ જેવા નહીં) નરેન્દ્ર મોદી હતા. એ વિશે સોમનાથમાં એપ્રિલ, 2017માં બોલતી વખતે ગુજરાતના એક મંત્રી ગૌરવથી કેવા ફાટફાટ થઈ શકે છે, એ તેમના જ શબ્દોમાંઃ 'તમને આ જણાવતાં આનંદ થાય છે કે આ સમગ્ર રથયાત્રાના શિલ્પી, સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રામનામના ઝંકારો, આખા દેશની અંદર પ્રસ્થાપિત કરવા અમે સમર્પિત થયા હતા.’

કોમી દ્વેષ અને વૈમનસ્ય ભડકાવનારી રથયાત્રાના 'શિલ્પી’ આજકાલ 'ન્યૂ ઇન્ડિયા’ના ઘડતરમાં વ્યસ્ત છે અને 'છોટે સરદાર'માંથી 'મોટે નહેરુ'ની ઐતિહાસિક ભૂમિકા માટે આગળ વધી રહ્યા છે. એ ચહેરાંમહોરાં વળી જુદી ચર્ચાનો વિષય છે, પણ રથના અસવાર, એન.ડી.એ. સરકારના વખતના નાયબ વડાપ્રધાન અને 'લોહપુરુષ’ અડવાણી હવે ભંગાર ખાતે છે. નાયબ વડાપ્રધાન અને પીએમ-ઇન-વેઇટિંગ (પ્રતીક્ષારત ભાવિ વડાપ્રધાન) સુધી પહોંચેલા અડવાણી તેમના ખંડ-શિષ્ય નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી, ચાલાકી, આયોજન, વ્યૂહબાજી અને નાણાંકીય તાકાત સાથે કદમ મિલાવી શક્યા નહીં. એટલે 2002માં ગુજરાતની કોમી હિંસા પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બચાવનાર અડવાણી એક દાયકામાં એ જ મોદીના નબળા હરીફ બની ગયા. ‘નરેન્દ્ર મોદીને રૂપિયાની શી જરૂર? તેમને ક્યાં પરિવાર છે?’ આવી બાળબોધી દલીલ કરનારા (ઘણી બાબતોની જેમ) એ વિચારતા નથી કે ગુજરાતમાં રહીને નરેન્દ્ર મોદીએ ભા.જ.પ.ના રાષ્ટ્રીય સંગઠનને અને સંઘ પરિવારને શી રીતે વશ કર્યાં.

ઉંમરની અસર, વધુ પડતો આત્મવિશ્વાસ, 'હાર્યો જુગારી બમણું રમે'ની વૃત્તિ — આવાં એક કે વધુ કારણે અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ ટીકાનો રસ્તો અપનાવ્યો અને નાના ફટાકડા ફોડતા રહ્યા, જે દેખાવમાં બોમ્બ લાગે પણ ફૂટે ત્યારે ટેટી જેવી અસર થાય. એ વખતની અડવાણીની સ્થિતિ 2002 પછીના ગુજરાતમાં કેશુભાઈ પટેલની સ્થિતિની યાદ અપાવે એવી હતી. કેશુભાઈ એટલા નસીબદાર કે તેમને જતી જિંદગીએ કોરટકચેરી થાય એવા સંજોગો ઊભા ન થયા અથવા તે નહીં સમજે તો એવા સંજોગો ઊભા થઈ શકે તેમ છે, એવા ઈશારાથી તે સમજી ગયા. સચ્ચાઈ જે હોય તે, પણ અડવાણી-મુરલી મનોહર જોષી-કલ્યાણસિંઘ-ઉમા ભારતી જેવા નેતાઓ સામે સર્વોચ્ચ અદાલતે બાબરીધ્વંસ કેસમાં ગુનાઇત કાવતરાનો આરોપ બહાલ કરતાં –અને તેમાં સરકારી એજન્સી ગણાતી સી.બી.આઈ.ની ભૂમિકા ધ્યાનમાં રાખતાં — અડવાણી ફસાયા છે. જે પક્ષને સત્તા પર આણવા માટે અડવાણીએ કોમી દ્વેષ અને ધ્રુવીકરણનો આશરો લીધો – અશાંતિનો માહોલ જગાડ્યો, એ પક્ષની સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર કેન્દ્રમાં છે અને 89 વર્ષના અડવાણીના માથે કોર્ટયોગ-જેલયોગ તોળાઈ રહ્યા છે. કર્મના સિદ્ધાંત કે કવિન્યાય જેવું કશું રાજકારણમાં હોતું નથી. છતાં, અડવાણીની વર્તમાન સ્થિતિ એવી છે કે તેમના માટે એ લાગુ પાડવાની લાલચ થઈ આવે.

સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.co.uk/2017/04/blog-post_25.html

‘યાદ રહે’, “દિવ્ય ભાસ્કર”, 25 અૅપ્રિલ 2017

Loading

...102030...3,3953,3963,3973,398...3,4103,4203,430...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved