Opinion Magazine
Number of visits: 9584357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી : ટર્કીના પ્રમુખ એર્ડવાને ભારતને સલાહ આપતાં પહેલાં એક નજર ઘરઆંગણે કરવી જોઈએ

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|3 May 2017

પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરના પ્રશ્નને આંતરરાષ્ટ્રીય કરવા માગે છે, પણ અત્યાર સુધી એને ધારી સફળતા નથી મળી. હવે અમેરિકા, યુરોપના બીજા દેશો અને ચીને પણ રસ લેવાનું બંધ કરી દીધું છે એટલે પાકિસ્તાને ટર્કી પર નજર દોડાવી હોય. મુસ્લિમ વિશ્વના બીજા કેટલાક દેશોનો પાકિસ્તાન કરતાં ભારત સાથે વધારે મોટો સ્વાર્થ છે એટલે એ પણ આમાં પડવા નથી માગતા

સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી એમ ટર્કીના પ્રમુખ રેસેપ તાઇલીપ એર્ડવાને ભારત સરકારને સલાહ આપી હતી કે ભારત અને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન અન્ય દેશોની હાજરીમાં બહુરાષ્ટ્રીય મંચ પર ઉકેલવો જોઈએ. તેઓ બે દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા એના આગલા દિવસે તેમણે આવું સૂચન કર્યું હતું અને ઉમેર્યું હતું કે તેમણે આ વિશે પાકિસ્તાનના વડા પ્રધાન સાથે વાતચીત કરી છે. તેમનું આવું સૂચન આશ્ચર્યજનક છે અને ગંભીર પણ છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા સહિત જગતનો કોઈ દેશ કાશ્મીરના પ્રશ્ને મધ્યસ્થી કરવાનું સૂચવતો નથી કે નથી એને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની સલાહ આપતો.

પહેલી વાત તો એ કે ટર્કી મધ્યસ્થી કરવાની કોઈ નૈતિક લાયકાત ધરાવતું નથી કે નથી એવી કોઈ રાજકીય વગ ધરાવતું. ટર્કી દાયકાઓથી ઉત્તર ટર્કીમાં વસતા કુર્દોને સતાવે છે. કુર્દોને નાગરિક અધિકારો આપવામાં નથી આવતા અને તેમની સાથે એટલા અત્યાચાર થઈ રહ્યા છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. લગભગ ત્રણ કરોડ જેટલી વસ્તી ધરાવતી કુદર્‍ પ્રજા ટર્કી, ઈરાન, ઇરાક, સિરિયા, અને મધ્ય એશિયાના બીજા દેશોમાં વહેંચાયેલી પ્રજા છે. આ પ્રજાનો વાંક એટલો છે કે એ કબીલાઈ પ્રજા છે અને કહેવાતા સભ્ય મુસલમાનોને એમ લાગે છે કે તેઓ અધૂરા મુસલમાનો છે. માત્ર ટર્કી નહીં, ઉપર ગણાવ્યા એમાંનો કોઈ દેશ કુર્દોને ન્યાય નથી આપતો. આમ કુદર્‍ સમસ્યા પોતે જ એક બહુરાષ્ટ્રીય સમસ્યા છે, પરંતુ ટર્કીને એમ નથી લાગતું કે કુર્દોનો પ્રશ્ન બહુરાષ્ટ્રીય ધોરણે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.

આ લેખના પ્રારંભમાં સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી એવી કહેવત વાપરી છે એનું બીજું કારણ સાયપ્રસ છે. સાયપ્રસ ભૂમધ્ય સમુદ્રનો એક ટાપુ છે અને ઉત્તર સાયપ્રસ પર ટર્કીએ ચાર દાયકાથી કબજો જમાવ્યો છે. સાયપ્રસમાં ગ્રીક સિપ્રિયોટ અને ટર્કી સિપ્રિયોટ એમ બે વંશની પ્રજા છે અને તેમની વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ટર્કીએ ઉત્તર સાયપ્રસ પર કબજો જમાવ્યા પછી લગભગ દોઢ લાખ ગ્રીક સિપ્રિયટોને ત્રાસ આપીને તગેડી મૂક્યા છે. નૈતિકતા અને સભ્યતા અનુસરવા માટેનાં મૂલ્યો છે, સલાહ આપવા માટેનાં નથી.

ટર્કીમાં પ્રમુખ એર્ડવાને લોકમત લેવાનું નાટક ભજવ્યું હતું એ તાજી ઘટના છે એટલે વાચકોને યાદ હશે. એ લોકમત બ્રિટનમાં બ્રેક્ઝિટના મુદ્દે લેવામાં આવેલા લોકમત જેવો લોકતાંત્રિક નહોતો. લોકમત પહેલાં અને એ પછીથી એર્ડવાનની સરકારે નિષ્ફળ નીવડેલા બળવામાં ભાગ લેનારા કે સહાનુભૂતિ ધરાવનારા લગભગ એક લાખ વિરોધીઓને જેલમાં નાખ્યા હતા અને બીજી અનેક રીતે સતાવ્યા હતા અને હજી આજે પણ સતાવી રહી છે. લોકમત તો સરકાર દ્વારા કરવામાં આવતા અત્યાચારોને પ્રજાકીય સમર્થન છે એમ બતાવવા માટેનું એક નાટક હતું. ૫૦ કરતા વધુ પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને અનેક મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક આમ ટર્કી કાશ્મીરની સમસ્યા બહુરાષ્ટ્રીય ધોરણે ઉકેલવાની ભારતને સલાહ આપવાની કોઈ નૈતિક લાયકાત ધરાવતો નથી.

ટર્કી એવી કોઈ રાજકીય વગ પણ ધરાવતું નથી. જે દેશો રાજકીય વગ ધરાવે છે એ દેશો પણ હવે કાશ્મીરની સમસ્યા બહુરાષ્ટ્રીય ધોરણે ઉકેલવાની સલાહ આપતા નથી. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરની સમસ્યા વકરેલી હતી ત્યારે પાકિસ્તાને અમેરિકાને અને બીજા દેશોને મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી. અમેરિકાએ કહ્યું હતું કે જો બન્ને દેશોને અમેરિકાની મધ્યસ્થી કબૂલ હોય તો જ એ મધ્યસ્થી કરશે. ભારત સરકારે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી પ્રશ્ન છે અને દ્વિપક્ષી રીતે ઉકેલવામાં આવશે. અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશે તો સાફ શબ્દોમાં પાકિસ્તાનને સલાહ આપી હતી કે એ ભારત સાથે ચર્ચા કરે અને કાશ્મીર સહિતના જે કોઈ પ્રશ્ન હોય એ દ્વિપક્ષી ધોરણે ઉકેલે. બીજા તો ઠીક, પાકિસ્તાનની જેની સાથે ગાઢ દોસ્તી છે એ ચીન પણ માને છે કે ભારત અને પાકિસ્તાને કાશ્મીરનો પ્રશ્ન દ્વિપક્ષી ધોરણે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.

તો પછી ટર્કીએ કૂદી પડવાની શી જરૂર પડી? જરૂર આમાં કોઈ એજન્ડા છે. પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કરવા માગે છે, પણ અત્યાર સુધી તેને ધારી સફળતા મળી નથી. હવે અમેરિકા, યુરોપના બીજા દેશો અને ચીને પણ રસ લેવાનું બંધ કરી દીધું છે એટલે પાકિસ્તાને ટર્કી પર નજર દોડાવી હોય. મુસ્લિમ વિશ્વના બીજા કેટલાક દેશોનો પાકિસ્તાન કરતાં ભારત સાથે વધારે મોટો સ્વાર્થ છે એટલે એ પણ આમાં પડવા નથી માગતા. ઘણું કરીને એર્ડવાનનું દોઢડહાપણ પાકિસ્તાનની ચડામણીનું પરિણામ છે. કદાચ બીજો કોઈ દેશ ટર્કીના સૂરમાં સૂર પુરાવે તો કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ શકે.

ભારત સરકારે ભારતની મુલાકાતે આવેલા ટર્કીના પ્રમુખને સાફ શબ્દોમાં કહી દીધું છે કે કાશ્મીર અને બીજા જે કોઈ પ્રશ્નો છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી પ્રશ્નો છે અને ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીતના અંતે એર્ડવાને જે નિવેદન બહાર પાડ્યું છે એમાં કાશ્મીરનો અને મધ્યસ્થીનો કોઈ ઉલ્લેખ નથી. ત્રાસવાદનો ઉલ્લેખ છે, પણ એ નક્સલવાદીઓની હિંસાના સંદર્ભમાં છે. તેમણે તેમના નિવેદનમાં પાકિસ્તાનમાં રહીને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરનારાઓનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એર્ડવાનની ભારતની મુલાકાતથી કોઈ મોટી ફળશ્રુતિ હોય તો એટલી છે કે તેમણે ભારતના યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થન આપ્યું છે. આટલું પણ ઘણું છે, બાકી તેમના દોઢડહાપણને ભારત સરકારે ઠેકાણે લાવી દીધું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 મે 2017

Loading

40 પહેલાંનાં બૈરાં

હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્ર|Opinion - Short Stories|3 May 2017

તમે માનશો? પહેલાંનાં બૈરાં શું શું કરતાં, તે બધું મને મોઢે થઈ ગયું છે. કારણ કે મારા પતિદેવ દિવસમાં દસ વાર એનું પારાયણ મને સમ્ભળાવે છે. સવારના પહોરમાં મને મરવાની પણ ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં બાફવાં, કૂકર ચઢાવવો, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડાવવાની, છોકરાંવને નિશાળે મોકલવાનાં – એ કશાયમાં જરીકે હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે? બાથરૂમમાં ટુવાલ મુક્યો? મારાં કપડાં ક્યાં? – ત્યારે સંયમ રાખવો અઘરો પડે.

તેમાં તે દિવસ તો લગભગ બરાડ્યા : 'મારા એકેય ખમીસને પૂરાં બટન નથી. ચાર દિવસથી તને કહ્યું છે. આખો દિવસ કરે છે શું? પહેલાંનાં બૈરાં તો કેટલું કામ કરતાં?'

'હમણાં અમારા મહિલા મંડળની વ્યાખ્યાનમાળા ચાલે છે. કાલે પૂરી થશે એટલે બધું વ્યવસ્થિત કરી આપીશ.’

થોડો વખત થયો, ત્યાં ફરી બાંગ પડી : 'મારો રૂમાલ નથી મળતો. પેન ને ઘડિયાળ ક્યાં છે? મારાં મોજાં?'

'પોતે વ્યવસ્થિત રાખવું નહીં અને બીજા પર ધમપછાડા?' મારાથી બોલાઈ ગયું.

'પહેલાંનાં બૈરાં આમ સામું નહોતા બોલતાં. પતિની સેવા માટે ખડે પગે હાજર! આખો દિવસ કામ કરીને રાતે પાછાં પગ દબાવી આપતાં, તળિયે ઘીનું માલિશ કરી દેતાં. આજે તો બસ, મહિલા મંડળ અને સમાન હક્ક !’

અને મને થયું, ચાલ બાઈ, એમની એવી જ ઇચ્છા છે તો પહેલાંનાં બૈરાંનો પાઠ ભજવી બતાવું! સાસુને પણ વિશ્વાસમાં લીધાં. સાંજે આવ્યા ત્યારે હું અસ્સલ પહેલાંનાં બૈરાંના સ્વાંગમાં સજ્જ હતી : કાછોટો મારી પહેરેલો નવ વારી સાડલો, માથે ઘટ્ટ અમ્બોડો, કપાળમાં વિક્ટોરિયા છાપ મોટો ચાંદલો, 15-20 બંગડીઓ! એ જોઈ જ રહ્યા, પણ સાસુની હાજરીમાં કંઈ બોલ્યા નહીં. થોડી વારે હાથમાં ઝોળી પકડાવીને કહ્યું, 'શાકભાજી લેતા આવજો. અને એલચી કેળાં. બાને ઉપવાસ છે'.

સાસુએ મમરો મુક્યો, 'તારા સસરા આને સાથે લઈ કાયમ શાક લઈ આવતા.’

એ શું બોલે? પછી એમણે આઘાપાછા થઈ કહ્યું, ‘તું ય ચાલને !’

'આજે અગિયારસ. મારે બા સાથે મંદિરે જવાનું છે.’

દોઢ કલાકે પરસેવે રેબઝેબ થતા આવ્યા. કાંઈ ભાજી આણી છે ભાજી! 'આટલી બધી?'

'કેટલી લાવવાની હતી તે ક્યાં કહેલું?'

'અને આ પડીકું શાનું?'

'તેમાં એલચી છે. એલચી, કેળાં લાવવાનું કહેલું ને?'

અમે સાસુ વહુ હસ્યાં છીએ કાંઈ હસ્યાં છીએ તે દિવસે ! રોજની જેમ છોકરાં લેસનની ડિફિકલ્ટીઝ પૂછવા આવ્યાં. મેં પપ્પા તરફ ધકેલ્યાં.

'છાપું વાંચવા દે ને. જા મમ્મીને પૂછ.’

'મમ્મી કહે છે જા, પપ્પા પાસે. પહેલાંનાં બૈરાંને નહોતું આવડતું એ જ ઠીક હતું.’

'લાવ, તું કયા વર્ગમાં છે?'

સાસુથી ન રહેવાયું, 'તને એ ય ખબર નથી?

હું તમાશો જોતી રહી. રાતે કાંસાનો વાટકો અને ઘી લઈ રૂમમાં પહોંચી ત્યારે ઘસઘસાટ ઊંઘતા હતા. ખૂબ થાક્યા હશે. મેં પગ દબાવવા માંડ્યા અને ઘી ઘસવા માંડ્યું. એ ઊઠીને બેઠા થઈ ગયા. 'આ શું માંડ્યું છે?'

'કાંઈ નહીં. પહેલાંનાં બૈરાં પતિની સેવા કરતાં !’

બીજે દિવસે સવારે બાથરૂમમાં અબોટિયું મૂક્યું : 'આજથી પૂજા નાહીને તમારે કરવાની.’

એમની આંખો પહોળી થઈ ગઈ : 'આ શું ગાંડપણ માંડ્યું છે?'

'પહેલાંનાં બૈરાં પૂજા નહોતાં કરતાં. પૂજાપાઠ પુરુષો જ કરતા.’

ત્યાર પછી બે-ચાર દિવસ ગાંધીને ત્યાંથી ખરીદી કરવી, વીજળીનું બીલ ભરવું, બૅન્કમાંથી પૈસા લાવવા, ગૅસ પૂરો થયો તેનો ફોન કરવો, છોકરાંવની નિશાળે જવું, શાક લાવવું, છોકરાંવને ભણાવવાં – બધું જ એમને સોંપ્યું ! 'તું કર' એમ કહેવાનો અવકાશ જ નહોતો, કેમ કે પહેલાંનાં બૈરાં આવું કાંઈ કરતાં નહોતાં. અને છેલ્લે ચાર દિવસની "હક્ક રજા" લઈ મેં કામમાંથી બિલકુલ છુટ્ટી લીધી.

એક દિવસ સાંજે આવી એમણે કહ્યું, 'તારી મા તારા ભાઈને ત્યાં આવી છે. તને મળવા બોલાવી છે. '

માને મળવાની હોંશમાં હું નાટક ભૂલી ગઈ. અને સ્વાંગ ઉતારી તૈયાર થઈ એમની સાથે નીકળી. ટૅક્સીમાં બેઠા પછી કહે, 'હાથ જોડ્યા, માવડી ! આઠ દિવસથી આ શું નાટક માંડ્યું છે?'

'નાટક? તમારી સેવામાં ખડે પગે હાજર રહું છું. રાતે પગચમ્પી કરું છું. પહેલાંનાં બૈરાં …'

'બસ, બસ હવે, બહુ થયું ! આજે હુંયે તને નાટક બતાવું !’

'એટલે શું, મા નથી આવી?'

'કેવી બનાવી !’ કહેતાંકને મારી સામે એમણે નાટકની બે ટિકિટ ધરી …. ‘ઘરસંસાર …. !’

(શ્રી વૈજયંતી ફણસળકરની ‘મરાઠી’ વાર્તાને આધારે)    

(વીણેલાં ફૂલ – 8;  પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 1985; પાના 01-04)

Loading

ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો ને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 May 2017

એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની ને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટ્રિપલ તલાકના મુદ્દે કોઈ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. તેમણે બીજી વાત એ કહી છે કે ભારતીય દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી વખતોવખત જરૂરી સુધારા થતા રહે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પરંપરાને અનુસરીને અને બદલાયેલા સમયની જરૂરિયાત પારખીને મુસ્લિમ સમાજ પોતે જ ટ્રિપલ તલાકનો અંત લાવશે અને મુસ્લિમ બહેનોને ન્યાય મળશે. વડા પ્રધાનની વાત સાચી છે. કોઈ રાજકીય પક્ષે ધર્મનું રાજકારણ ન કરવું જોઈએ. વડા પ્રધાન આવું બોલે છે ત્યારે ઘડીભર વ્હાલ વકરી લેવાનું મન થઈ આવે છે, પરંતુ ત્યાં તો બીજા દિવસે ગાંવ મેં યદિ કબ્રસ્તાન હો સ્મશાનભૂમિ ભી હોની ચાહિએ એવું કથન સાંભળવા મળે છે અને મન ખાટું થઈ જાય છે. દેશના ભવિષ્ય વિશે ચિંતા થવા લાગે છે. ઓછામાં ઓછી વડા પ્રધાન પાસેથી એટલી અપેક્ષા રહે છે કે તેઓ તત્ત્વનો ખીલો પકડી રાખે જે રીતે જવાહરલાલ નેહરુ ગમે એવી સ્થિતિમાં પકડી રાખતા હતા. નેહરુની મહાનતા આ કારણે છે.

જે દિવસે વડા પ્રધાને મીઠીમધુરી વાત કહી એ દિવસે જ ઉત્તર પ્રદેશના એક પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે કામાંધ મુસલમાનો વાસના સંતોષવા ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના આ એક પ્રધાન બહુ મોટી હસ્તી છે. તેઓ BJPના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વમાં BJPને ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય મળ્યો હતો. તેઓ મુખ્ય પ્રધાન થતાં-થતાં રહી ગયેલા માણસ છે. આવાં તો બીજાં અનેક કથનો ટાંકી શકાય એમ છે અને એવાં કથનો કરનારાઓમાં ખુદ નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. આનો દેખીતો અર્થ એ થયો કે વડા પ્રધાન પોતે અને BJP સમયે-સમયે જરૂરિયાત મુજબ ધર્મનું રાજકારણ કરે છે. પ્રમાણ જોઈએ તો એક નહીં હજાર મળી શકે એમ છે.

યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારા લોકોએ બંધારણસભામાં આ પ્રશ્ન કઈ રીતે હાથ ધરવામાં આવ્યો હતો એના પર એક નજર કરવી જોઈએ. એ પ્રશ્નને ધર્મની એરણે, સુધારાઓની એરણે, સ્ત્રીઓને મળવા જોઈતા ન્યાયની એરણે અને ભારતની એકતા તેમ જ ભવિષ્યની એરણે તપાસવામાં આવ્યો હતો. સાંગોપાંગ અભ્યાસ કર્યા પછી એટલો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધર્મના નામે અન્યાય કરવાનો કોઈને અધિકાર નથી. જો અન્યાયી રિવાજ, કાયદો કે વિધિવિધાન કાયમ રાખવા માટે ધર્મની આડ લેવામાં આવતી હોય તો સંબંધિત સમાજને સમજાવવો જોઈએ અને યોગ્ય સમયે ભવિષ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવામાં આવે.

પુરુષોને ફાયદો કરી આપનારા કાયદાઓ અને રિવાજોને ટકાવી રાખવા માટે પુરુષો દ્વારા ધર્મની આડ લેવામાં આવે છે એ એક હકીકત છે. એ અર્થમાં એ પ્રશ્ન ધાર્મિક છે એમાં કોઈ શંકા નથી. કોઈ સમાજનો સ્થાપિત વર્ગ ધર્મનો દુરુપયોગ કરતો હોય તો બીજા લોકોને એનો વિરોધ કરવાનો અધિકાર છે. અધિકાર નહીં, એ તેમની ફરજ બને છે. એ ફરજ બને છે એટલે તો બંધારણસભામાં એ વિશે ચર્ચા થઈ હતી. સવાલ એ છે કે એ વિરોધ ન્યાયકેન્દ્રી હોવો જોઈએ કે ધર્મકેન્દ્રી? જો ન્યાયની ખેવના હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય અને જો ધર્મ કેન્દ્રમાં હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય.

વાચકોએ નોંધ્યું હશે કે ન્યાયની ખેવના ધરાવનારા લોકો જ્યારે યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ કરે છે ત્યારે તેમની દલીલો અને ભાષા શરિયતના કાયદાઓનો બચાવ કરનારા મુસ્લિમ પુરુષોની અને સંઘપરિવારની દલીલો અને ભાષા કરતાં જુદાં પડે છે. ધર્મને કેન્દ્રમાં રાખીને શરિયતનો બચાવ કરનારાઓની દલીલો અને ભાષા જુનવાણી હોય છે જ્યારે ધર્મને કેન્દ્રમાં રાખીને યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારાઓની દલીલો અને ભાષા કોમી હોય છે. એટલે તો સ્વામી પ્રસાદ મૌર્યે કોમી અને અભદ્ર ભાષામાં યુનિફૉર્મ સિવિલ કોડની વકીલાત કરી છે. આ સંઘપરિવારની વૈચારિક પરંપરા છે અને વડા પ્રધાને જે કહ્યું છે એ અપવાદ છે. આપણે આશા રાખીએ કે વડા પ્રધાને કરેલી દલીલો અને વાપરેલી ભાષા અપવાદ મટીને સંઘપરિવારમાં નિયમ બને, નવી પરંપરા બને.

ભારતની દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી આપોઆપ સુધારાઓ થતા રહે છે એ વડા પ્રધાને કહેલી બીજી વાત આંશિક પ્રમાણમાં સાચી છે. એમાં કોઈ શંકા નથી કે ભારતમાં અનેક સામાજિક સુધારાઓ સ્થળકાળની જરૂરિયાત મુજબ થતા આવ્યા છે. સુધારાઓમાં ધર્મ આડો આવતો હોય અને મોટા પ્રમાણમાં સમાજ વિગ્રહ થયો હોય એવું ભારતમાં બન્યું નથી જેવું પશ્ચિમના દેશોમાં અને અન્યત્ર બન્યું છે. વાચકોને મારે એટલું જ કહેવું છે કે વીતેલા યુગમાં અને આધુનિક ભારતમાં સુધારાઓના પક્ષે કરવામાં આવેલી દલીલો અને ભાષાનું સ્વરૂપ કેવું હતું એના પર એક નજર કરી જાય. એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને સૂફીઓની, આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની અને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય. 

આમ છતાં કેટલાક સુધારાઓ નહોતા થયા એ નહોતા જ થયા. ન્યાય, માનવતા અને કરુણાસભર દલીલોની લાંબી પરંપરા હોવા છતાં ખાસ કરીને દલિતો અને સ્ત્રીઓ સાથે ન્યાય કરવામાં નહોતો આવ્યો. આ કામ છેવટે બંધારણસભાએ અને એ પછી હિન્દુ કોડ બિલ લાવીને ભારત સરકારે કરવું પડ્યું હતું. એ સમયે કૉન્ગ્રેસના જુનવાણી વિચારો ધરાવનારા નેતાઓએ અને સંઘપરિવારે એનો વિરોધ કર્યો હતો. જો એ સમયે હિન્દુઓએ એનો વિરોધ ન કર્યો હોત તો કદાચ એ સમયે જ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો હોત. ભારતના વિભાજન પછી મુસલમાનો શરિયતના કાયદાઓ માટે આગ્રહ કરવાની સ્થિતિમાં નહોતા. આમ ભારતની દાર્શનિક પરંપરા લચીલી અને સમૃદ્ધ છે એમાં કોઈ શંકા નથી, પરંતુ એ એટલી પણ લચીલી અને સમૃદ્ધ નથી કે રાજ્યે હસ્તક્ષેપ ન કરવો પડે. મુસલમાનો સાત દાયકા પછી પણ સ્વૈચ્છિકપણે સ્ત્રીઓને ન્યાય આપવાની પહેલ કરતા નથી એટલે રાજ્યે હસ્તક્ષેપ કરવો પડે છે. એનો અર્થ એ થયો કે ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો અને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો.

વડા પ્રધાન ભૂલ્યા ત્યાંથી ફરી ગણવા માગતા હોય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. અહીં માત્ર વાસ્તવિકતાનો અરીસો સામે રાખવામાં આવ્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 મે 2017

Loading

...102030...3,3913,3923,3933,394...3,4003,4103,420...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved