Opinion Magazine
Number of visits: 9584438
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષાનું પેપર

મનીષી જાની|Poetry|6 May 2017

પહેલાં
તમે
મારી માની ભાષાને
લસોટી નાંખી ..
ચટણીની જેમ …
મારી અનેકાનેક માવડીઓનું વહાલ, ગરમાવો, શાણપણ, ડહાપણ, વારસો, હસીમજાક, ઠઠ્ઠો, ગાણાંફટાણાં, ભાઈચારો, સહિયરપણું …
એ બધાંયને શાહીમાં ડુબોડી ડુબોડી
સપાટાબંધ સપાટ-સપાટ કરીને,
બ્રાહ્મણવાદી-બજારવાદી રંગરોગાન કરીને
માતૃભાષાની સરકારી ચોપડી
બનાવી કાઢી …
ને
હવે કહે છે કે
છઠ્ઠા ધોરણની પરીક્ષાનું
માતૃભાષાનું પેપર ફૂટી ગયું …
માતૃભાષાનું પેપર-વેફર ફૂટ્યું
એ તો ઠીક,
રામરામ!
પણ આ મૂળિયાં ખોદી નાંખ્યાં
ને
મૂળિયાં ફૂટ્યાં નહીં તેનું શું?

૨૦ એપ્રિલ, ૨૦૧૭

(‘છઠ્ઠા ધોરણનું ગુજરાતીનું પેપર ફૂટી ગયું’- છાપામાં આ મથાળું વાંચતાં  થયેલી માંહ્યલી હલચલ)

E-mail : manishijani@hotmail.com

સૌજન્ય : "નિરીક્ષક", 01 મે 2017; પૃ. 12

Loading

ભારતમાં વંચિતોની ચળવળ

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|6 May 2017

મનીષા દેસાઈ મૂળ ભારતીય ને વલસાડી. વખતોવખત ભારત આવે ને કંઈક ને કંઈક સંશોધનાત્મક પ્રકલ્પ હાથ ધરીને આંતરરાષ્ટ્રીય માપદંડથી વાસ્તવિકતાને મૂલવવાનો પ્રયત્ન કરે. એમાં પણ વિશેષ નારીવાદી દૃષ્ટિકોણ રહે. તેમનું "Subaltern Movement in India: Gendered Geographies of Struggle against Neoliberal Development" પુસ્તક તાજેતરની ત્રણ ચળવળને નજીકથી જોઈ, સમજી તેનાં વિવિધ પાસાંને નજર સમક્ષ રાખીને નારીવાદી દૃષ્ટિકોણથી તૃણમૂલ સ્તરે સમજ કેળવીને વાસ્તવિકતાને મુખર કરે છે. આ ત્રણ ચળવળ છે : (૧) નાર-પાર આદિવાસી સંગઠન (૨) મહુવા ખેતીવાડી પર્યાવરણ બચાવો સમિતિ અને (૩) માછીમાર અધિકાર સંઘર્ષસમિતિ પ્રેરિત જન આંદોલનો. આ ત્રણે ચળવળ દક્ષિણ ગુજરાત-વનાંચલ, સૌરાષ્ટ્રઃ મેદાની  વિસ્તાર અને કચ્છના બંદર વિસ્તારને  આવરે છે, એટલે અહીં યોગાનુયોગે પૂરું ગુજરાતનું ચિત્રણ છે. આ ચળવળો ગાંધીવિચાર પ્રેરિત, પ્રજાસમાજવાદી, સમાજવાદી, નારીવાદી અને પર્યાવરણવાદી સંગઠનો અને નેતાઓ દ્વારા સ્ત્રી-પુરુષ-આબાલવૃદ્ધ સૌને સાંકળીને સ્થાપિત હિતોને પડકારે છે અને કેટલેક અંશે સારી સફળતા પણ હાંસલ કરે છે. કાયદાકીય રસ્તો, જનવાદી સંગઠિત દેખાવો ને સંઘર્ષ સાથે તળજમીની પરિવર્તનશીલ બદલાવના કારણે બહુપાંખિયા જંગ માટેની ચુસ્ત રણનીતિને દર્શનાંકિત કરે છે. એક બાજુ સ્થાપિત હિતો ધરાવતી સરકારી નીતિની જાળ છે, નફાના હેતુથી બજારલક્ષી રસ ધરાવતી નિરમા જેવું ઉદ્યોગગૃહ છે, તો પાવરપ્લાન્ટ માટે સક્રિયતા છે, જે અનુક્રમે આદિવાસીઓ, ખેડૂતો, માછીમારોની પરંપરાગત, વાસ્તવિક જિંદગીને અસરકર્તા તો બને જ છે, સાથે એમને મૂળિયાં સમેત ઉખેડવાની સ્થિતિમાં મૂકવાની ત્રેવડ પણ ધરાવે છે.

મનીષા અહીં દરેક પ્રકરણની શરૂઆત ચળવળમાં ગવાતાં ગીતો, રેલી જેવા દેખાવો ને જનસમુદાયના મિજાજ દર્શાવતાં દૃશ્યોથી કરે છે. પ્રવર્તમાન સંજોગોમાં  સામાન્ય લોકો શું વિચારે છે, કઈ રીતે વર્તે છે, પોતાની તળજમીની સ્થિતિ માટે શું અનુભવે છે, તેનું ઝીણવટભર્યું આલેખન કરે છે. આઝાદી-આંદોલનમાં સ્ત્રીઓની ભાગીદારીની ઐતિહાસિક ભૂમિકાની માંડણી પર ત્યાર પછીના સમયમાં જે બદલાવ સામાજિક, શૈક્ષણિક  રાજકીય, કાયદાકીય, આર્થિક અને સંાસ્કૃિતક સ્તરે આવ્યા, તેની પણ એ સારી એવી નોંધ લે છે. આ બદલાવે  પુરુષો અને સ્ત્રીઓ પર શું અસર કરી, તેમના દરજ્જામાં શું ફેરફાર આવ્યો, સકારાત્મક અસરકારક નોંધની સાથે રાજકીય ઇચ્છાશક્તિનો પ્રભાવ, આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાતી નોંધોનો પ્રભાવ, વૈશ્વિક સ્તરના આર્થિક પ્રવાહો અને પર્યાવરણ માટેની જાગૃતિ જેવા અનેક મુદ્દાને સમગ્ર પુસ્તકમાં સર્વગ્રાહી વલણ સાથેની ન્યાયિક રજૂઆત માટેની મનીષાની લેખિની બળકટ પુરવાર થાય છે. એ નિર્ભીક, તટસ્થ, નિર્મમ વિશ્લેષણ કરીને પણ સંતુલિત આલેખન કરે છે. પોતાના પૂર્વસૂરિ સમાજશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનો તો એમની પરંપરા પ્રમાણે વખતોવખત ઉલ્લેખ કરે જ છે. તે રીતે જનસમુદાયને સહકારી પીઠબળ પૂરું પાડનાર સંસ્થાઓ-સર્વોદય પરિવાર ટ્રસ્ટ : પીંડવળ, બી- સેતુ : ભદ્રેશ્વર, ઉજાસ, ઉત્થાન, આનંદી, કચ્છ મહિલા વિકાસ સંગઠન, ગુજરાત લોકસમિતિ, અવાજ જેવી સંસ્થાઓ, તેના સુકાનીઓ, જનઆંદોલનકારીઓના અગ્રણીઓ, કાન્તિભાઈ, સુજાતા, કાશીનાથભાઈ, માધવભાઈ, કેશવભાઈ, મનોહરભાઈ, જયપ્રકાશભાઈ, લખનભાઈ, આનંદભાઈ, અનસૂયાબહેન, ડૉ. કનુભાઈ કળસરિયા, ચુનીકાકા, સનતભાઈ, ઇલાબહેન, કડવીબહેન, ઇબ્રાહીમભાઈ, સુષ્મા આયંગાર, ભરતભાઈ, રાકેશભાઈ, ઉસ્માનભાઈ, અચ્યુતભાઈ, આનંદ અને બીજાં અનેકની ભૂમિકાનો ઉલ્લેખ આ પુસ્તકમાં અવારનવાર થયો છે. છ પ્રકરણમાં આ પુસ્તકનો વ્યાપ છે.

મનીષા અહીં માહિતી-અધિકાર, જળ-જંગલ-જમીન પર આદિવાસીઓનો અધિકાર, પંચાયતી રાજમાં સ્ત્રીઓને મળેલી દૃશ્યતા, બેટીબચાવ, સ્ત્રી-અધિકાર માટેના રક્ષણાત્મક કાયદાની સારી અસર અને તેના અસરકારક પ્રભાવની નોંધ લે છે. કાયદાકીય અને પર્યાવરણીય બદલાવમાં અસરકારક અભિગમની પણ નોંધ લે છે. આ સાથે દેશદેશાવરની વિવિધ ચળવળોને અહીં યાદ કરી, તેને પણ આ ત્રણે આંદોલન સંદર્ભે મૂલવે છે. જેમ કે, દક્ષિણ ભારતમાં તેલંગણા, આફ્રિકી સ્ત્રીઓનું આંદોલન, ચીપકો-ચળવળ, નર્મદાબચાવ વગેરે. વિસ્થાપિતો અને તેમના પુનઃવસવાટની નીતિરીતિ, મુખ્ય પ્રવાહમાં સામાન્ય સમૂહનું ભળવું, ઓળખની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે બદલાતા પ્રવાહના સ્વરૂપ, તૃણમૂળ અને સ્થાનિક સ્તરે જ્ઞાતિવિષયક અને કોમવાદી માનસનો પ્રભાવ અને વર્તમાન સરકારનું વલણ જેવા મુદ્દાઓની વિશદ ચર્ચા અહીં થઈ છે.

તળજમીની વાસ્તવિકતામાં સ્ત્રીઓની દૃશ્યતા, એમનું રેલી – સભાસરઘસમાં સહભાગી થવું, પોતાની વાત કહેવી, જો ક્યાંક નજરઅંદાજ કરવામાં આવે, તો એની નોંધ લેવી, ગીતો બનાવવાં ને ગાવાં, કોઈ સ્થળે તો પુરુષોની સમકક્ષ પોતાનું કૌવત બતાવવું જેવી સકારાત્મક નોંધ  પણ છે. તેની સમાંતર દરેક ભૌગોલિક-સ્થાનિક સ્તરે નિર્ણયની ભાગીદારીમાં એમને બાકાત રાખવાનું વલણ, પિતૃસત્તાક પરિબળોનો પ્રભાવ, સ્ત્રીઓ પર હિંસા જેવા મુદ્દે મૌન, સરકાર સામે રજૂઆત સમયે ગ્રામીણ સ્ત્રીઓની નહીંવત્ સહભાગિતા, ચળવળની આંતરિક વ્યવસ્થામાં સ્ત્રીઓનું ગૌણત્વ, ક્યારેક સામાન્ય પુરુષોનું પણ ગૌણત્વ, કામની વહેંચણીમાં સ્ત્રીઓના ભાગે આવતું ઘરેલુ પરંપરાગત કામ જેવી સહજસ્વીકૃત બાબતોની મનીષા ઝીણવટથી નોંધ લઈ એને ચર્ચાની એરણે ચઢાવી સમાનતાના સર્વાધિકારી માપદંડમાં એની વાસ્તવિકતાને ધારદાર રીતે રજૂ કરે છે. સરકારી વલણને તો સ્પષ્ટ કરે જ છે, સમાંતરે આખી વાસ્તવિકતાની જટિલતા સમજાવી હજી લિંગભેદ-નાબૂદી માટે કેટલી દડમજલ બાકી રહે  છે,  તે પણ દર્શાવે છે. શું કરવું જોઈએ અને કઈ રીતે થઈ શકે, તેનું સમાપન આ રીતે કરે છે કે આ નિરંતર શિક્ષણની પ્રક્રિયા છે. એ માટે સતત બોલવું ને કરવું જોઈશે. એનું આશાવાદી વલણ પણ છે કે સ્થાપિત હિતોને પડકારીને બદલાવની શરૂઆત થઈ છે. કાર્ય મુશ્કેલ હશે. પરંતુ અશક્ય તો નથી જ. જનસમુદાયની સંગઠિત તાકાત તો જીતે જ છે ને જીતશે જ ને એક-બે મુદ્દે કહેવું છે કે મહુવા-આંદોલનમાં એ મોરારિબાપુની શું ભૂમિકા રહી તેની નોંધ લેવાનું ટાળે છે અથવા એ તેના ધ્યાનબહાર રહ્યું છે. તે રીતે સંચારમાધ્યમોના વલણ ને પ્રભાવની નોંધ પણ કંઈક અંશે ઓછી લે છે. આ ત્રણે ચળવળને આંતરરાષ્ટ્રીય મુલવણીનું પરિમાણ આપીને મનીષાએ લોકશાહી મૂલ્યોને પ્રણિપાદિત કરવાની દિશાને વેગવંત બનાવી છે, તે બદલ એ અભિનંદનને પાત્ર છે.                                

Email : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 08 

Loading

એમ. કે. ગાંધીની ઝાંખી

ઉમા ગોહિલ|Gandhiana|6 May 2017

મગનલાલભાઈના જીવન વિશે ઘણી ઓછી વિગતો મળે છે, પરંતુ જેટલી પણ મળી છે, તે સચોટ કહી શકાય. આ લેખન મગનલાલભાઈ પર થયેલી કામગીરી તેમ જ ગાંધી આશ્રમના ડાયરેક્ટર ત્રિદીપ સુહૃદની સહાયક માર્ગદર્શક ભૂમિકા તેમ જ અમૃતદાદાને આભારી છે.

− ઉ.ગો.

શ્રાવણ સુદ બીજના દિવસે ગાંધીપરિવારમાં બીજો એક ઝગમગતો તારલો ચમક્યો. ખુશાલચંદ અને દેવકુંવર ગાંધીના પારણે પોઢેલો એમ.કે. ગાંધી. આ તારલાએ મહાત્માને ગગનચુંબી બનાવવામાં ધ્રુવતારક રૂપી યોગદાન આપ્યું.

આ એમ.કે. ગાંધી અર્થાત્ મગનલાલ ખુશાલચંદ ગાંધી. (જન્મઃ ૦૫-૦૮-૧૮૮૩, શ્રાવણ સુદ બીજ • અવસાન : ૨૩-૦૪-૧૯૨૮, વૈશાખ સુદ ત્રીજ) મોહનદાસ કરમચંદ ગાંધીની પ્રતિકૃતિ બની રહીને માત્ર ‘આશ્રમનો પ્રાણ’ બન્યો બલકે સ્વાતંત્ર્યચળવળમાં પણ અનેરું યોગદાન આપ્યું છે.

અઢાર વર્ષના ફૂટડો યુવાને યુવાનીની પગદંડીમાં પ્રથમ ડગ જ માંડ્યું છે. આ તરવરિયાને પૂરી દુનિયા અને પરિવારનાં મન જીતવાની હામ છે, જે ૧૯૦૧માં મૅટ્રિકની પરીક્ષામાં નિષ્ફળ નીવડતાં ફરી ૧૯૦૨ના નવેમ્બરમાં અમદાવાદ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી સીધો મુંબઈ પહોંચે છે. ભવિષ્યમાં આગળ શું ધંધો કરવો, તે ચર્ચા અર્થે મુંબઈ જાય છે. એ જ સમય દરમિયાન ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવા અંગેનો સંદેશો મળે છે. મગનલાલ પોતે શું કામ કરશે, તેની હજુ કલ્પના સુધ્ધાં પણ ન હતી, અને અચાનક જ કાકા મોહનદાસ દક્ષિણ આફ્રિકા પોતાની સાથે આવવાનો પ્રસ્તાવ આપતાં કહે છે, “ચાલો મારી સાથે આવતા હો તો લઈ જાઉં.”(પ્રભુદાસ ગાંધી, ‘જીવનનું પરોઢ’) દુનિયાદારી અને વ્યવહારિક જ્ઞાનથી અપરિચિત મગન પિતાજી અને પરિણામ વિશે જણાવતાં કહે છે, “પણ હજુ તો મારું પરીક્ષાનું પરિણામ નથી આવ્યુંને? ‘રિઝલ્ટ’ જાણવાની આતુરતા રહે; બાકી મને આપની સાથે આવવું બહુ ગમે. હું તૈયાર છું. રાજકોટ જઈ આવવા જેટલો વખત છે?” ગાંધીજીએ કહ્યું, “ના. હું ખુશાલભાઈની રજા મંગાવી લઉં છું.” (પ્રભુદાસ ગાંધી, જીવનનું પરોઢ)

આ આખરી શૈક્ષણિક પરીક્ષા જીવનઘડતરની પ્રથમ પરીક્ષા બનતાં કદાચ અહીંથી જ આજ્ઞાંકિત પ્રતિકૃતિ બનવાનો જાણતા-અજાણતા પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. મુંબઈનો કિનારો તા.૧૪-૧૧-૧૯૦૨ના રોજ છોડ્યો. આખરે તા. ૨૫ નવેમ્બર, ૧૯૦૨ના રોજ તેઓ દક્ષિણ આફ્રિકા ગયા, મગનલાલ ગાંધી અને આણંદલાલને પણ સાથે લઈ ગયા. જ્યારે દેશ છોડી વિદેશ ગમન કરી રહ્યા હતા, ત્યારે જ તેમના ચિત્તમાં દરિયાનાં મોજાં માફક ઉત્સાહ અને ઉચાટ પણ ઊછળી રહ્યાં હતાં. તો બીજી તરફ કશું કરી છૂટવાની અને શું કરીશ, તેવા ભરતી-ઓટ રૂપી પ્રશ્નો પણ મૂંઝવી રહ્યા હતા. આખરે ગાંધીજીની છત્રછાયા હેઠળ પોતાના વતનના બીજા છેડાની ભૂમિ અર્થાત્ દક્ષિણ આફ્રિકાના નાનકડા ટોંગાટમાં આવી પહોંચે છે.

અજાણી જગ્યા, અજાણ્યા લોકો, ત્યાંની વિચિત્ર બોલી, અને સાવ અલગ જ રહેણીકરણી વચ્ચે પોતાની પ્રિય પત્ની સંતોક અને પરિવારના સ્મરણો વાગોળતાં આખરે મનને પરિશ્રમમાં પરોવતાં ધંધો જમાવવાનાં સ્વપ્ના સાકાર કરવામાં લાગી જાય છે. ટોંગાટમાં છેલ્લાં ચાર-પાંચ વરસથી પોતાના કુટુંબીજન અભેચંદ ગાંધી  સાથે એ.એ. કંપનીના ભાગીદાર બને છે. જે કંપનીના આ બંને ઉપરાંત કાળાભાઈ અને રેવાશંકરભાઈ મળીને ચાર ભાગીદાર છે. એ.એ. ગાંધી કંપની હેઠળ દિવસો, મહિનાઓ પસાર થવા લાગ્યા. બીજી તરફ પોતાને પણ ધંધામાં સૂઝ બૂઝ સાથે ધંધો જમાવતાં અને ત્યાંના પૂરા પરિવેશનો સંપૂર્ણ ખ્યાલ આવવા લાગ્યો છે. તેવા સંદેશાઓ દ્વારા પરિવારને પણ  ચિંતા ન કરવા જણાવે છે.

સમય જતાં પરિવારના અન્ય સભ્યો, જેમાં પત્ની સંતોક, જ્યેષ્ઠ ભાઈ છગનલાલ, ભાભી કાશીબહેન તેમ જ નાનકડો ભત્રીજો પ્રભુદાસ સાથે પરિવાર ટોંગાટ આવી વસવાટ કરે છે. ગાંધીજીની શાબ્દિક બાદ વૈચારિક છત્રછાયા નીચે દક્ષિણ આફ્રિકામાં ‘ફિનિક્સ’ આશ્રમની સ્થાપના કરવામાં આવે છે. સમયાંતરે સંપૂર્ણ જવાબદારી મગનલાલભાઈના શિરે આવે છે. આમ, આશ્રમનો પ્રાણ બની રહેવાનું બીજ રોપાઈ ચૂક્યું હતું જે અંકુર સાબરમતી આશ્રમમાં કૂંપળ બાદ અંતિમ શ્વાસ સુધી વધસ્તંભ માફક વટવૃક્ષ બની રહે છે.

આમ, વારંવાર આશ્રમની સંપૂર્ણ જવાબદારી નિભાવતાં નિભાવતાં આખરે આશ્રમનો સંપૂર્ણ કારભાર  તેમના પર જ આવી ચૂક્યો. પુસ્તકોનાં વાચન દરમિયાન કઠોર, કર્મનિષ્ઠ, આત્મવિશ્વાસુ આશ્રમ મૅનેજર અને આશ્રમના પ્રાણ તેવી જ છબી મનમસ્તિષ્કમાં કંડારાયેલી હતી. તેઓ પોતે પણ તે વાતનો સ્વીકાર સંતોક ગાંધી પરના એક પત્રમાં કરે છે. એક યુવા વેપારી, જે સ્વદેશ છોડી એક અજાણ્યા પ્રદેશમાં અનેક મુશ્કેલીઓ વેઠ્યા બાદ પણ આત્મવિશ્વાસરૂપી આકાશમાં આકાંક્ષાઓને અંકિત કરતો વેપારક્ષેત્રમાં પ્રથમ ડગ માંડી રહ્યો છે, જે અમુક વર્ષો વિતાવ્યા બાદ વેપારવાણિજ્ય જ નહીં, બલકે જીવનમર્મ પણ સમજવા લાગે છે. વિદેશની ભૂમિ પર કુટુંબથી જોજનો દૂર હોવા છતાં પ્રત્યક્ષતાની પૂર્તિ અર્થે કલમ દ્વારા લાગણીને વાચા આપી પરિવાર સાથે પત્રોના માધ્યમથી સંકળાયેલ રહે છે. એક તરફ વેપારની ચિંતા છે, તો બીજી તરફ પરિવારનો અસહ્ય વિરહ છે.

મગનલાલભાઈ પર લખાયેલા પુસ્તકના વાચન દરમિયાન ઘણાં પ્રકારના પ્રશ્નો સહજ રીતે ઊપજતા હતા, પરંતુ ધીરે-ધીરે વાચનની ગતિ પકડાતા મનમાં ઊઠતા સહજ પ્રશ્નોનો હલ પણ આપમેળે જ મળતો ગયો. અમુક વર્ષોમાં તો તે એક કુશળ વેપારી તરફની આગેકૂચ કરે છે. પત્ની સંતોકને પ્રેમભર્યા પત્રોમાં ‘વહાલી સંતી’ના પ્રિય સંબોધન સાથે રોમાંચિત પત્રો લખતા, તો બીજી તરફ એ જ પ્રાણપ્રિય પત્નીને એવી તે પ્રશ્નોની વણજારમાં કેદ કરતા આશ્ચર્ય સાથે વિચારોની સરવાણીઓ સ્ફુરવા લાગે છે. મિત્ર કનૈયાલાલને મિત્રતાભર્યા પત્રોમાં મૈત્રીની સુવાસ સાથે પત્નીની સાચી માહિતી પણ મેળવવાનો પ્રયત્ન કરે છે. મગનલાલભાઈને મન વિદેશની ભૂમિ પર રહેવું એટલે જિંદગી ખરાબ કરવી. પરિવાર કે દેશનાં સંસ્મરણોની સતામણી જ નથી, બલકે સદંતર તેમને ત્યાં ગમતું જ નથી. કોઈ પત્ર દ્વારા ત્યાં આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો તેઓ ઘસીને ના પાડી દે છે. એક પત્રમાં સાતેક વર્ષ વિતાવવાની વાત છે, પરંતુ તેઓ માટે તો એક-એક દિવસ વર્ષ સમાન છે, તેવું લાગી રહ્યું છે. મગનલાલભાઈએ તા.૨૬-૦૨-૧૯૦૪ના રોજ તેમના પિતા ખુશાલદાસ ગાંધી પર લખેલા પત્ર દ્વારા જાણી શકાય છે કે ગાંધીજીને તે સમય દરમિયાન ટ્રાન્સવાલમાં ભારતીયોના હક માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે!

૧૯૨૫ના ઑગસ્ટ માસમાં પટણાથી પોતાની નાની દીકરી રૂખીબહેનને પત્ર દ્વારા પત્રોનું મહત્ત્વ સમજાવતાં મગનલાલભાઈ પોતે જ કહે છે, “હું સાત અંગ્રેજી ભણી ઊતર્યો, ત્યાં સુધી લખવાની ને વિચાર પ્રગટ કરવાની શક્તિ મારામાં જાગી નહોતી. પછી પૂ. બાપુ સાથે દક્ષિણ આફ્રિકા ગયો અને ત્યાં તેમણે બહુ હેતુપૂર્વક કાગળ લખવા માંડ્યા અને દર અઠવાડિયે ટોંગાટથી જોહાનિસબર્ગ મારે તેમને એક કાગળ લખવો એવી આજ્ઞા કરી. તેમના સિવાય મારું કોઈ નહોતું. આથી આજ્ઞાને બરાબર નિખાલસભાવે પાળતાં હર્ષ, શોક, અભિલાષા, મહત્ત્વાકાંક્ષા વગેરે જેવા ઉમળકાઓ મારા બાળકમનમાં ઊઠતા તેવાં હું લાંબા-લાંબા કાગળો દ્વારા તેમને જણાવતો. તેઓ પણ દર અઠવાડિયે પ્રત્યુત્તરમાં દિલાસો, ઉત્સાહ, શિખામણો આપી એકલો નથી એવો આભાસ આપતા. આમ, વાંચનની સલાહ, પુસ્તકોની પત્રો દ્વારા ચર્ચા વગેરે સમય જતાં બાપુનો ભક્ત બની ગયો. અને આ એક જંગલી ઉન્મત્ત જુવાન હતો તેમાંથી વિચાર કરતો અને પોતાની દશાનું તથા આસપાસની દુનિયાની સમજણનું ભાન કરતો તેમણે મને પત્રવ્યવહારથી જ બનાવ્યો.” (આશ્રમનો પ્રાણ, પા.૯૫) આમ, આપણે પણ જાણી શકીએ છીએ કે જીવનઘડતરમાં શૈક્ષણિક પાઠોમાંથી એક પાઠ પત્રો પણ હોઈ શકે છે.

જે આગળ જતાં વણાટશાસ્ત્ર, ચરખાશાસ્ત્ર,  The Taklis Teacher વગેરે પુસ્તકોના પણ સાપ છે.

ખાદીભક્ત, વણાટશાસ્ત્રના તજ્જ્ઞ, કઠોર પારિશ્રમિક, આશ્રમનો પ્રાણ, આશ્રમ વધસ્તંભ આવાં અનેક શિરમોર બિરુદ વચ્ચે એક ખડતલ, આત્મવિશ્વાસથી સજ્જ વિરલ વ્યક્તિ આખરે સૌ કોઈના દિલમાં ધ્રુવ- તારો બની રહી છે. જેઓ ૪૪ વર્ષ, ૮ માસ, ૧૮ દિવસનું આયુ પૂર્ણ કરી ૨૩ એપ્રિલ, ૧૯૨૮ના રોજ વિદાય લે છે.

E-mail : ukgohil222@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 16 અને 15

Loading

...102030...3,3873,3883,3893,390...3,4003,4103,420...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved