Opinion Magazine
Number of visits: 9584341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હસમુખ બારાડી-સ્મરણાંજલિ

કૃષ્ણકાંત કડકિયા|Opinion - Literature|15 May 2017

હસમુખભાઈ સાથેની મારી ઓળખાણ ભરત નાટ્યપીઠમાં જ.ઠા.ને કારણે થયેલી. ભરત નાટ્યપીઠ સંસ્થા ત્યારે પૂરબહારમાં હતી. ત્યાં હું જતો આવતો હતો. એક મિટિંગમાં જ.ઠા.એ હસમુખભાઈનો મને પરિચય કરાવ્યો. ત્યારે હું એમનાથી ખાસ પ્રભાવતિ થયો ન હતો. પણ એ મિટિંગમાં મેં એમની દલીલો સાંભળી. તે વેળાએ ચોક્કસ જ પ્રભાવિત થયો હતો. ગુજરાતમાં નાટક છે એવો એમનો વિશ્વાસ, એ સામેની ખોટી કાગારોળો, નટ અને પ્રેક્ષકો વચ્ચે દેખાતો દંભી સંબંધ, કુશળ ડાયરેક્ટર એટલે શું વગેરે અંગેની એમની દલીલો, આક્રોશો ઇત્યાદિ કોઈને પણ પ્રભાવિત કરે એવા હતા. પછી તો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. એક દિવસ મેં જ.ઠા. સમક્ષ હસમુખભાઈનાં વખાણ કર્યા. એમની દલીલોને બિરદાવી. ત્યારે જ.ઠા.એ હસતાં હસતાં કહ્યું : બારાડીને પાછા રશિયા મોકલી દેવાના છે.

જ.ઠા.એ ભલે મજાકમાં ઉપરનું વિધાન કર્યું હતું પણ એમાં જે ગંભીરતા હતી તે મને સમજાવા લાગી. ગંભીરતા એ હતી કે અહીં જે ખ્યાલોથી નાટકનું વાતાવરણ બનેલું છે તે કરતાં હસમુખભાઈના વિચારો જુદા હતા.

માટે ટૂંકમાં કહેવું હોય તો એમ કહું કે એ એક ‘સત્યનિષ્ઠ નાટ્યકર્મી’ હતા. તેઓ માનતા કે નટને પૂરતી સ્વતંત્રતા મળવી જોઈએ – એને રિહર્સલ કે થિયટર હૉલ માટે લાચાર થઈને ઊભા રહેવું ન પડે. નટનું પોતાનું થિયેટર હોય, કોઈ પણ જાતની રોકટોક વગર એ નાટક લખી-ભજવી શકે. એવું એમનાં મનમાં એટલી હદે હતું કે એ માટે જરૂર પડે એમણે લડતો પણ આપી છે. સેન્સર-બોર્ડ સામેની એમની લડતો, ‘બુડ્રેટી’ની સ્થાપના કે ‘નાટક’ નામના સામયિકનું આવવું એ એમના વિચારો તથા એમની લડતો ઇત્યાદિને સાચવવા માટેનાં સ્મારકો છે.

ઉપર કહ્યું ત્યાં સુધી પહોંચતા એમને અપ્રિય પણ થવું પડતું હતું. કદાચ તેથી જ તો તેઓ સંસ્કૃત રંગભૂમિ ઊભી કરવાનું એમનું સ્વપ્ન પૂરું કરી શક્યા ન હતા.

નાટક પ્રત્યેનો એમનો પ્રેમ છૂપો રહી શકે એવો  હતો. તક મળે તે ખુલ્લો થયા કરતો. નાટક અંગે કામ કરનારા દરેકે દરેકની સ્વતંત્રતાના એ ચાહક હતા. આ અંગે તેઓ કહે છેઃ “… કામ કરે છે એને કામ કરવા દઈએ, એને કોઈ સાધનસંપત્તિની ખોટ ન પડે એ જોઈએ. એનું કામ અધૂરું કે એના તારતમ્યો ફક્ત સામાયિક હશે તોપણ એણે સાચવ્યું છે અને વાત કરવાની હિંમત દાખવી છે એટલા પૂરતી પણ અમે એની પીઠ થાબડીશું અને ઝઘડો કરવો હશે ત્યારે એને જ સામે બેસાડીને કરી લઈશું, પરંતુ સાહિત્યેતર કે નાટ્યેતર રસહિત ધરાવનારાઓએ આમાં માથું મારીને કામ કરતાં કોઈને રોકવા ન જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે.”૧

૧૯૮૨માં મારું પુસ્તક ‘રૂપિત’ પ્રગટ થયું ત્યારે, પુસ્તકના વેસ્ટની પાંખ પર વિશિષ્ટ પ્રકારના આ નાટક વિવેચનની, બારાડીએ ખૂબ પ્રશંસા કરેલી. પણ એ પ્રસંશા કરતાં એમને પોતે જ સ્વીકારતા નથી તેને સહૃદય મિત્રભાવે છુપાવ્યું છે એમ કોઈ ન માને; દા.ત. ‘જસમા : લોકનાટ્ય પ્રયોગ-શિલ્પની દૃષ્ટિએ’ વિશે લખતાં ‘એબ્સર્ડ’ વિશે શોધવું વગેરે વાતો એમને વિચાર કરવા પ્રેરે છે.૨ મારા અભ્યાસની પ્રામાણિકતા તેઓ સ્વીકારે છે.૩ અને મેં વિસ્તૃત નોંધો, તારતમ્યો વગેરે શાત્રીય રીતે પેશ કર્યા છે.’ એમ પણ કહે છે૪ ‘છતાં “બુદ્ધિપ્રકાશ” ૧૯૯૦, મે માં ‘જસમા : લોકનાટ્ય-પ્રયોગો-શિલ્પની દૃષ્ટિએ’ વિશે લખે છે : જે તે શું છે. કેવું છે – એનો દસ્તાવેજ અને એને શાત્ર બનાવી શકાય એવો મસાલો કડકિયાએ આપ્યો છે.૫ એટલું કહે છે. તેઓ એને શાસ્ત્ર તો કહેતા નથી. આ તટસ્થતા એમના અન્ય લેખોમાં પણ વરતાય છે.

એમના ગ્રંથો અંગે હું વિવેચન કે સંશોધન કરું એવો આગ્રહ સતત એઓ રાખતા. અને એ રીતે મેં એમનાં નાટકો અને બીજા ગ્રંથો અંગે ‘સ્વાધ્યાય’ તથા બીજે પણ વખતોવખત લખ્યું હતું. વ્યાખ્યાનો દ્વારા પણ કહેવાનું બન્યું હતું; ‘શકાર મહાઅવતાર : એક સમીક્ષા૬’ એ લેખ મેં “સામીપ્ય” ઑક્ટોબર ’૯૪ – માર્ચ, ‘૯૫માં લખ્યો હતો. ‘રૂપકિત’માં નાટક સરીખો નાદર હુન્નર’ જે ગ્રંથસ્થ છે તે વસ્તુતઃ તો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ‘ગ્રંથનો પંથ’માં પ્રસારિત કરેલ વ્યાખ્યાન પરથી સુધારા વધારા સાથે લખેલ છે૭. મને સમય ન હોય તો તેઓ રાહ પણ જોતા; એક વાર મધુસૂદન પારેખનો મારા પર ફોન આવ્યો : ‘બુડ્રેટી’ના પ્રકાશનો અંગે તમે લેખ કરી આપો. હું એવા કામોમાં અટવાયો હતો કે મેં ના પાડી. મધુસૂદનભાઈએ કહ્યું કે ‘બારાડીનો એવો આગ્રહ છે કે તમે જ લખો.’ મેં કહ્યુંઃ હું છ-એક માસ સુધી તો લખી શકું એમ નથી. મધુસૂદનભાઈઃ અમે લેખની રાહ જોઈશું. છ માસ પછી, આ સંદર્ભે, બારાડીનો ફોન આવ્યો. મને એમ કે બારાડીએ આ વાત છોડી દીધી હશે. પણ એમણે ધીરજ રાખી હતી અને મેં લેખ લખ્યો. ધીરજ અંગેની એમની આવી અસાધારણ શક્તિનો મને વારંવાર અનુભવ થયો છે છતાં આ, ઉપર જે ટાંક્યો છે તે, પૂરતો ગણીને, બાકીના પડતા મૂકું છું.

હસમુખભાઈ પાસેથી સતત નવું શીખવાનું મળતું. ‘નાટક સરીખો નાટક હુન્નર’ તપાસો. જે આ બાબતની નોંધ માગી લે એવો, પુરાવો છે. ‘સીનરી’ વગેરે બાહ્ય પડો વીંધી નાખવા, નટ અને પ્રેક્ષકોની જીવંત ભાગીદારી, નવી દિશા, નવા ઉન્મેષો, તેમ કેટલીક સૈદ્ધાંતિક વાતો એમણે કરી છે. વ્યાખ્યાનો દરમિયાન પણ એમણે ઘણી વાર એ કહ્યું છે. પ્રોસિનિયમ આર્ક સામે તો ઠીક ઠીક આક્રોશ ઠાલવ્યો છે અને આર્ત ચીસો પાડી છે – એમ લાગે કે એ સંદર્ભમાં તેઓ પોતાના વિચારો છોડી શકે એમ નથી. પણ એમ ન હતું. યથાસમયે તેઓ પોતાના વિચારો છોડતા. એમના એવા એક વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી દરમિયાન મેં કહેલુંઃ પ્રોસિનિયમ આર્ક સામે ગમે તેટલો ઊહાપોહ થાય તો પણ એમાં દૃષ્ટિ ફ્રેમની બહાર ન નીકળે એ લાભ ઓછો નથી. માટે એ ટકશે. ત્યારે તેઓ મારી વાત સાથે સહમત થયા હતા અને કહેલું કે ‘તેથી જ તો બધે, પ્રોસિનિયમ આર્ક ફરી ફરીને આવ્યા કરે છે અને વળી રિયાલિસ્ટિક નાટકો માટે તો એ બહુ અનુકૂળ પણ છે. આમ છતાં એમનો વિરોધ એટલા માટે હતો કે પ્રેક્ષકો માટે તેઓ આંશિક નહીં સર્વાંગી દર્શન માગતા. એમનો પ્રયત્ન નટ દંભ તોડે, જીવતી કલા બચે, લોકકલાઓ ઈજા ન પામે એ તરફનો હતો. એ ત્યારે જ શક્ય બને કે પ્રોસિનિયમ આર્ક તૂટે. માટે જ તો એ આર્ત ચીસ વિસ્તરી હતી એક માર્ગી દૂરનિયંત્રિત સમૂહમાધ્યમો સુધી-ટી.વી. જેવાં માસ મીડિયા સુધી આ એમનો સમાંતરોનો આલેખ આપણને થિયેટર તેમ નાટકને એકાંગી ઘટના તરીકે જોવામાંથી બહાર કાઢે છે. ગુજરાતી નાટ્યક્ષેત્રે બારાડીનું આ એક મહત્ત્વનું પ્રદાન છે.

આમ છતાં કોઈ એમ ન માને કે સમગ્ર ભૂતકાળને તેઓ ઉસેટી દેવા માગતા હતા. એમ ન હતું. વસ્તુતઃ તો એ, ઇતિહાસ માટેની સામગ્રી માટે, સતત સચવાય એવી એમની પ્રવૃત્તિ રહી હતી. તે કારણે જ તો તેઓએ ‘બુડ્રેટી’ Preservation, Reprint, Record of history, preservation and Conservation of archival Photographs etc. સચવાઈ રહે અને ઉપલબ્ધ રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં નાટ્ય મહોત્સવો, સમારોહો, નટોના અવાજો, ઇન્ટરવ્યૂ તસ્વીરો, રંગભૂમિનાં ગીતો વગેરે સાચવવાની મથામણ સતત છે.

એક વાર બન્યું એમ કે ‘ગ્રંથગોષ્ઠિ-વડોદરામાં, તા. ૨૬-૧૧-૮૮ના રોજ વ્યાખ્યાન આપવા મારે જવાનું થયું. શ્રીમદ્‌ ઉપેન્દ્રાચાર્યજી રચિત ‘શ્રીકૃષ્ણ કુંતી સંવાદ’ એ કૃતિના નાટ્ય-સંવાદથી માંડીને સંસ્કૃિત સુધીના વ્યાપારમાં સંરચનાવાદ એ મારા વ્યાખ્યાનનો વિષય હતો. શ્રીમદ્‌ ઉપેન્દ્રાચાર્યજીનો ત્રિદૃશ્યાત્મક ખુલ્લો મંચ મેં જોયો હતો. તેમાં ભજવતાં નાટકો પણ જોયા હતા. પણ મારી પાસે એ રંગમંચ પર ભજવાતા કોઈ નાટકની એક પણ છબી ન હતી. મારે એની જરૂર હતી. મેં લવકુમાર દેસાઈને વાત કરી. એમણે શ્રીમદ્‌ ઉપેન્દ્રાચાર્યજી સંદર્ભે મહાપ્રબંધ લખ્યો છે. પણ લવકુમારભાઈ પાસે સુધ્ધાં આવું કોઈ ચિત્ર ન હતું. પછી મેં બારાડીને વાત કરી. ક્ષણેક તો થયુંઃ બારાડી પાસે ક્યાંથી હોય ? ત્યાં જે નાટકો થાય છે એ તો પ્રચાર દૃષ્ટિએ થાય છે. ધર્મ વિવરણ કે ધર્મને નિત્ય વ્યવહારમાં ઉતારાની અગત્ય અથવા ધર્મ અને જીવનનો સમન્વય, આવું કોઈ કાર્ય, ઉપેન્દ્રાચાર્યજી – સંવાદો દ્વારા રજૂ કરવા માટેનું આ થિયેટર છે. બારાડીને એમાં શો રસ હોય ? એની જાણે કે કોઈ કિંમત જ ન હોય તેમ તેઓએ તો એ તરફ કંઈ ધ્યાન ન આપ્યું નહિ હોય એમ મને લાગ્યું. પણ મારા વિચારાયેલા મત ખોટા હતા. અચંબા વચ્ચે એમણે મને એક આલ્બમ આપ્યું. જેમાં શ્રીમદ્ ‌ઉપેન્દ્રાચાર્યજીનો ત્રિદૃશ્યાત્મક ખુલ્લો મંચ અને એમાં ભજવાતાં નાટકોના ફોટા હતા જે તેમને જુદી જુદી વ્યક્તિઓ પાસેથી ઉપલબ્ધ થયા હતા. મારા લેખમાં જે ચિત્ર મેં મૂક્યું છે તે પણ મને ત્યાંથી જ ઉપલબ્ધ થયું. વસ્તુતઃ આ ચિત્ર ઉત્પલ ત્રિવેદીનું હતું અને તેઓએ તે બારાડીને આપ્યું હતું. બારાડીના આ વ્યવહારથી જાણે કે મને એમ સમજાતું હતું કે આવા ઉમદા દૃષ્ટિબિંદુ આગળ, આ તપસ્યા આગળ, સિદ્ધાંતો વિરોધો કે અંગત માન્યતાઓ કંઈ વિસાતમાં નથી.’

બારાડીની સર્જનશક્તિનો લાભ ગુજરાતી સાહિત્ય બહુ ઓછો લીધો છે; જો કે એમની એવી શક્તિ માટે મારો એવો અભિપ્રાય છે કે, જેઓએ એ લાભ લીધો છે એમને પોતાનું લખાણ સરળ, પ્રામાણિક અને શુદ્ધ કર્યું છે. અંગ્રેજી નાટક જ્યારે એ વાંચતા, અનુવાદ કરતા ત્યારે એમ લાગતું કે આપણે ઘણી ભૂલો કરી હોત. ૧૯૮૭નો ડિસેમ્બર માસ મારે યુ.જી.સી. સ્પૉન્સર સેમિનારમાં વડોદરા જવાનું થયું. ‘બ્રેશ્ટ અને ભારતીય નાટ્ય’ એ વિષય સંદર્ભે મારે કહેવાનું હતું. ત્યાં નાટકના અનેક તજ્‌જ્ઞો પણ આવ્યા હતા. બારાડી પણ હતા. બારાડીએ ત્યાં કહેવાયેલા તમામ ઉચ્ચારો સુધારી પ્રામાણિક કરી આપ્યા હતા. આ એમનું મહત્ત્વનું પ્રદાન હતું. ‘બેટ્રય’ને બદલે આપણે ‘બ્રેશ્ટ’ ઉચ્ચારતા તથા લખતા થયા તે બારાડીને કારણે ચં.ચી. મહેતા ‘બ્રેટ્‌ચ’ એમ લખતા. નંદકુમાર પાઠક ‘બ્રેટ’ એમ લખતા. ‘બ્રેશ્ટ’ના નાટકોનો આધાર લઈ ‘કાનન’ (પન્નાલાલ પટેલ) અને ‘સગપણ એક ઉખાણું’ (રમેશ પારેખ), એ બે ગ્રંથો જે લખાયા, તેમાં પણ ઉચ્ચારોનું વૈવિધ્ય દેખાય છે. બારાડી દ્વારા આ ઉચ્ચારોમાં એકવાક્યતા આવી છે. આ જર્મન નાટ્યકાર બર્ટોલ્ડ બ્રેશ્ટના થિયેટર બર્લિન એન્સેબલના ઉદ્દેશો માટે બારાડીએ ૧૯૯૪માં એક પરિચય પુસ્તિકા લખી છે. એ પુસ્તિકાએ આ ઉચ્ચારો અને તેની એકવાક્યતા માટે ગતિ પૂરી પાડી છે. વળી તેઓ બ્રેશ્ટનાં નાટકો ‘થ્રી પેની ઑપેરા’ ‘સૅન્ટ જોઆન ઑફ સ્ટૉકયાર યાર્ડ’ ‘ધ મેઝર’ એક્સેપ્સન એન્ડ ધ રૂલ’ ‘ગેલેલિયો ગેલિલે’ તથા બીજા નાટકો પ્રત્યે ઠીક ઠીક આકર્ષાયા હતા. ‘એક્સેપ્સન એક વણઝારની વાત’ એક ત્રાજવું પલ્લાં બે’ ‘ગેલિલિયો ગેલિલે’ એવા નામે એમના દ્વારા ગુજરાતીમાં એ અનુવાદ પણ પામ્યા. જેને મેં પેલી ચાલની વાત કરી તેને ગતિમાન થવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.૧૧

બારાડી સેન્સરની સામે પડ્યા હતા. એનો અર્થ એ નથી કે નાટક ઊહાપોહ જગાવે એવું લાગે તો પણ એ ભજવવું. ૧૯૭૦માં મારી ‘સ્વરૂપ’૧૨ નવલકથા બહાર પડી હતી. મહિલા મુદ્રણ, ખાનપુરમાં એ છપાતી હતી. કંપોઝ કરેલી આખી ચોપડી ‘આ અસ્લીલ છે.’ એવી દલીલ કરી પ્રેસના સંચાલકોએ અને પ્રકાશકે પણ મને પરત કરી. ત્યારે કે.સી. પરીખ, ઉમાશંકર જોશી, યશોધર મહેતા અને રમણલાલ જોશીના ‘આ અસ્લીલ નથી’ એવા પ્રકારના બચાવ તથા પ્રયત્નોથી કેટલીક શરતો સાથે, એ પ્રગટ થઈ. એક વાર બારાડીએ મને કહ્યું તારી ‘સ્વરૂપ’ નવલકથા મેં વાંચી. ત્યારે મેં એમના ચહેરા પર આનંદ જોયો. એ પળ હું કશું કહી શકું એ માટેની પ્રેરણા આપે તેવી હતી. હું લોભાયો. મને થયું ‘બારાડી અત્યારે નવું નાટક શોધવાના મૂડમાં છે.’ એટલે મેં કહ્યું : તમે આ નવલકથા પરથી નાટક કરો. એ હસ્યા. મને થયું. બારાડી મારી વાત સાથે સહમત થયા છે. પણ એમ ન હતું. એ તો મને તડૂક્યા ‘તારે મને લોકોના માર ખવડાવવો છે?’ મેં જોયું, એમાંથી સેન્સર બોર્ડ કશું કટ કરે તે પહેલાં બારાડીએ પૂરું નાટક જ કટ કરી દીધું.

જ.ઠા. ઘણી વાર કહેતા કે ‘જેને રંગભૂમિ પર પગ મૂકતાં આવડે છે તેને જીવનમાં પણ પગ મૂકતાં આવડે છે.’ આ વાત બારાડીમાં મેં બરાબર સાર્થક થતાં જોઈ છે. આમ કહેવા માટે મારી પાસે એક કરતાં વધારે પ્રમાણો છે જે અત્યારે તો કહી શકાય એમ નથી, પણ હું એક પસંદ કરું છું અને અહીં લખું છું અને તે કારણે જ હું પોતે તો બારાડીને એ રીતથી જ ઓળખું છું. બન્યું એમ કે ૧૯૯૪માં ભારતીય લોક-કલા મંડલે (ઉદયપુર) લોકરંગમંચ ભવાઈ પર કેન્દ્રિય સંગોષ્ઠિનું આયોજન કર્યું હતું. એમાં મુખ્ય તેઓએ મને આમંત્રણ આપ્યું હતું. ત્યાંના સ્થાનિક અખબારો અને રંગાયને પણ વિસ્તૃતરૂપમાં તેની વિગતો પ્રકાશિત કરી હતી. આમંત્રણનો સ્વીકાર કરતાં પહેલાં મારે ભાનુ ભારતી સાથે વાત થઈ હતી. બારાડી, જનકભાઈ અને બીજા પણ વક્તાઓ ત્યાં આવવાના હતા. આ તમામ મારા કરતાં સિનિયર હતા અને નાટ્ય ક્ષેત્રે મારા કરતાં અનુભવી હતા. મેં કહ્યું : ‘આ બધાની સાથે મુખ્ય વક્તા તરીકે હું કઈ રીતે હોઈ શકું ?’ એમની સિનિયોરીટી અને અનુભવને અવગણી શકાય નહિ. માટે બારાડી કે બીજા સિનિયરને એ માટે નિમંત્રણ મોકલો. ભાનુ ભારતીએ કહ્યું : તમને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે તે બારાડી અને બીજા સિનિયરોના આગ્રહથી જ આપવામાં આવ્યું છે. મેં બારાડીને ફોન કર્યો. બારાડીએ કહ્યું : નાટકના માણસ તરીકે ‘સ્ટેજ ચોરી’ન થાય તે પણ આપણે જોવું જોઈએ ને ? તમે જે કામ કર્યું છે તે જોતાં, કોઈ પણ નટ દ્વારા, એ સિનિયર હોય તોપણ, ‘સ્ટેજ ચોરી’ તો ન જ થવી જોઈએ ને ? મેં કહ્યું : આ ક્યાં નાટ્યપ્રયોગ છે ? બારાડી : સ્ટેજ હોય કે જીવનનો કોઈ પણ પ્રસંગ હોય, નિયમોને કઈ રીતે અવગણી શકાય ? હું એમની વાત સમજ્યો. કોઈ દિગ્દર્શક આજ્ઞા કરતો હોય એમ મને લાગ્યું અને તેથી હું તે અવગણી ન શક્યો. આ છે હસમુખ બારાડી. મનમાં છાપ પડી ગઈ છે કે ફક્ત રંગભૂમિ પૂરતા જ એ નટ કે દિગ્દર્શક ન હતા, પણ રંગભૂમિ બહાર, જીવન અને જીવનના પ્રસંગોમાં, સુધ્ધાં એ સાચા નટ અને દિગ્દર્શક હતા. જીવનશિક્ષક જેવા – હૃદયસંસ્કાર નટદિગ્દર્શક.

કે.કા. શાસ્ત્રીજીના આદેશથી મારા નામના ટ્રસ્ટ દ્વારા અમે એક અધ્યયન – સંશોધન ગ્રંથાલય ઊભું કર્યું છે.  KKTSRLIB — અમારી અપેક્ષા હતી સરકાર અને સમાજ તરફ શાસ્ત્રીજીના અવસાન પછી પણ એ અપેક્ષા ચાલુ રહી હતી. સત્તાધારીઓની, એટલે કે સરકારની રીત પોતાની હતી. થોડું નુકસાન કે ગેરલાભ વેઠીએ તોપણ સરકાર તરફથી અપેક્ષા સંતોષાય એમ ન હતી. રહ્યો સમાજ. અનેક લોકોને, ટ્રસ્ટોને, એ વાતની ખબર પડી કે અમારી પાસે અનેક મૂલ્યવાન ગ્રંથો છે તેમની પાસે મોટા મોટા કૉલ હતા. એઓ એમ કહેતા હતા કે ‘પુસ્તકો અમને આપી દો અમે ચલાવીશું અને તમારી તકતી પણ મૂકીશું.’ અમે પૂછ્યું : તમે કેટલી વખત આવ્યા અધ્યયન – સંશોધન ગ્રંથાલયમાં ગયા છો ? જવાબ હતો : ગયા તો નથી, પણ હવે જઈશું. શું ભણ્યા છો ? જવાબ હતોઃ લખતાં વાંચતાં આવડે છે. વાત રહી તકતીની. તકતી — મને કે અમારા કોઈ ટ્રસ્ટીને એમાં રસ ન હતો. ચાર ખૂણા વાળી તકતી માટે કે વિદ્યાનિષ્ઠ કે ધન-નિસ્પૃહી ન દેખાતા, દુર્ભાગ્યે અમને મળવા આવેલા, અધિકારીઓ માટે તો અમે આ કર્યું ન હતું. અમારે માટે એ, લોકના બધા જીવનને સ્ફૂિર્ત આવી નવું રાખતી. સાહિત્ય અને સંસ્કૃિતની સ્થાપના કરનાર-શક્તિ હતી. એટલું જ નહિ, જીવનને કઠોર કે લૂખું કર્યા વિના ઊંચી ગતિ આપનાર તાકાત હતી – અમારી આ વાતને સમજવા કુદરતે જ જાણે એક વાર બારાડીને મારે ત્યાં મોકલ્યા. ત્રણ માળનું મારું મકાન પુસ્તકોથી ભરેલું જોઈ એ તો છક જ થઈ ગયા પૂછ્યું : કેટલા છે આ ? મેં કહ્યું : સિત્તેર હજાર. બારાડી કોઈ વ્યવસ્થા થઈ ? મેં કહ્યું : ના, અત્યારે તો મારા મકાનમાં એ ચાલી છે. બારાડી : TMCમાં આવી જાવ. નાટ્યગૃહ તો છે જ. છત પણ મોટું છે. એના પર ગ્રંથાલય કરો. એક રૂપિયો ટોકન માત્ર આપજો. આમ તો મેં એ નાટ્યગૃહ અનેક વાર જોયું હતું પણ આ હેતુએ સ્ટ્રક્ચરચ એન્જિનિયર સાથે ગયો. નવની દીવાલ હતી અને છત આટલાં બધાં પુસ્તકો સહી શકે એવું ન હતું. અમે જઈ ન શક્યા. પણ બારાડી આવા અસાધારણ કાર્યની મૂલવણી કરી શકે એવી સહૃદયી અને નવરત્ન વ્યક્તિ છે એવી ઘેરી છાપ મારા પર પડી જે પછી પણ કાયમ રહી છે અથવા જે ગ્રંથાલય કે જ્ઞાન-કેન્દ્રની પાસે આવીને સરકાર, સમાજ કિંવા વિદ્યાની અધિકારી વ્યક્તિ આવીને, કહે કે ‘હેં ગ્રંથાલય, હે જ્ઞાન કેન્દ્ર, હું તારું રક્ષણ કરીશ, તું મારા સુખના સ્થાનરૂપ છે. મારી સાથે ચાલ !’ – એવા કેટલા તમારા પરિચયમાં છે ? તો હું કહીશ કે એવો એક વિદ્યાનિષ્ટ, નટ-કર્મી, નિસ્પૃહી,  વિદ્યાનો અધિકારી-બ્રાહ્મણ-મેં જોયો છે : હસમુખ બારાડી

૧. એ માટે ‘જસમાઃલોકનાટક – પ્રયોગો-શિલ્પની દૃષ્ટિએ’ દ્વિ.આ.પ્રકા. ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, ૨૦૧૦, પૃ. ૭૭

૨. એજન પૃ. ૭૬

૩-૪. એજન પૃ. ૭૭

૫. “બુદ્ધિપ્રકાશ” – મે, ૧૯૯૦

૬. (એ) ‘શકાર મહાઅવતાર, બારાડી હસમુખ, ઉપલબ્ધ-સ્ક્રિપ્ટ બેન્ક, બુડ્રેટી’ (બી) ‘ભાવાનુભૂતિ’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ. ૨૦૦૪

૭. (એ) ‘નાટક સરીખો નાદર હુન્નર’ બારાડી હસમુખ, અક્ષરી, હરિહર સોસાયટી-૧૪ ૧૯૮૩, પ્ર.આ. (બી) ‘રૂપકિત’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ.૨૦૦૪

૮-૯. (એ) નાટ્ય લેખ માટે – રસદર્શન, દ્વિતીય ગુચ્છ, ગદ્ય પ્ર.આ. ૧૯૮૬, પ્રકા. શ્રેયસાદક અધિકારી વર્ગ, વડોદરા (બી) વ્યાખ્યાન માટે ‘સ્વાધ્યાય’ પૃ. ૨૮, અંક ૧-૨, ૧૯૯૦

૧૦. ચિત્ર માટે ભાવિત, ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૯૯૬ પૃ. ૧૩૨ની સામે ૭ (અ) ‘નાટક સરીખો નાદર હુન્નર’ બારાડી હસમુખ, અક્ષરી, હરિહર સોસાયટી-૧૪ ૧૯૮૩ પ્ર.આ. (બી) ‘રૂપકિત’ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, અમદાવાદ-૧૫, દ્વિ.આ. ૨૦૦૪

૧૧. (એ) આ અનુવાદો છપાયા નથી (એના પ્રયોગો થયા છે.) ટાઈપ કોપી સ્ક્રિપ્ટ બેન્ક, બુડ્રેટીમાં ઉપલબ્ધ છે. (બી) પછીથી પાછલા બે અનુવાદો ‘એક ત્રાજવું પલ્લાં બે’ અને ‘ગેલેલિયો ગેલિલે’ ્‌સ્ઝ્ર એ પ્રગટ કરેલ છે. એ માટે ્ TMC-GSTChenpur Road, New Ranip, Ahmedabad – 382 470‌

૧૨. ‘સ્વરૂપ’, કૃષ્ણકાંત કડકિયા, પ્રકા. વાય.પી.શાહ. ૧૯૭૦, પ્ર.આ.

[સહ-સંપાદક, ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 11-15 

Loading

‘આખરે …. આઝાદ’ પુસ્તક પરિચય

રમેશ મહેતા|Opinion - Opinion|15 May 2017

‘આખરે …. આઝાદ’ મૂળ લેખક : ડેનિયલ ગ્રીનબર્ગ, અનુવાદ : ક્ષમા કટારિયા, પ્રકાશન : ઓએસીસ પ્રકાશન, વડોદરા. પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૪, પૃષ્ઠ : ૨૦૮, કિંમત : ૨૦૦

એક બાજુ ગુજરાતના કેળવણીકારો, ચિંતકો અને તેજસ્વી અધ્યાપકોથી માંડી તમામ મનીષીઓ ગુજરાતમાં શિક્ષણમાં અંગ્રેજી માધ્યમ વિશે બળાપો વ્યક્ત કરતા રહ્યા છે. ‘માતૃભાષામાં શિક્ષણ’ની ઝૂંબેશ ચલાવી રહ્યા છે. આમ છતાં પ્રજાજનમાં તેનો કોઈ પ્રતિસાદ કે પડઘો પડતો હોય એવું અનુભવાતું નથી. અંગ્રેજી ભાષાની સજ્જતા માટે અંગ્રેજી શિક્ષણ (ખાસ કરીને પ્રાથમિક કક્ષા) મહત્ત્વનું નથી. બલકે બાળકના વિકાસને અવરોધે છે, તેવી સ્વયંસ્પષ્ટ સમજ વાલીઓને ગળે ઊતરતી નથી તેવા આ સમયમાં આ પુસ્તક શિક્ષણની નવી દિશા ચીંધનારું બની રહે છે.

આ પુસ્તક ‘સડબરી વેલી શાળા’ની શિક્ષક પ્રક્રિયા-અનુભવો વિશે વાત માંડે છે. ઈ.સ. ૧૯૬૦ના પાછલા દાયકામાં ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રી તેમનાં પોતાનાં બાળકો માટે બોસ્ટનની નજીક બાળકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને ચાલતી હોય એવી શાળાની શોધમાં હતા. તેઓે તે ન શોધી શક્યા તેથી કેટલાક સમાન માનસિકતા ધરાવતા વાલીઓ ભેગા મળ્યા અને તેમણે મેસેચ્યુએટ્‌સમાં ઈ.સ. ૧૯૬૮માં સડબરી વેલી સ્કૂલની સ્થાપના કરી. બાળકોને જવાબદાર નાગરિક તરીકે નિર્માણ કરતી આ સ્કૂલના રોમાંચક અનુભવો આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

આ એક એવી શાળા છે જ્યાં કોઈ અભ્યાસક્રમ નથી, કોઈ વર્ગો નથી. કોઈ ગ્રેડ નથી, કોઈ ગણવેશ નથી, કોઈ ઘંટ વાગતો નથી. ટૂંકમાં કહીએ તો ચીલાચાલુ શાળાની વ્યાખ્યામાં આવતા કોઈ દૈનિક કાર્યો જ નથી. ત્યાં બાળકો બંધનમુક્ત રીતે ખીલે છે. આ શાળાનું દૃષ્ટિબિંદુ એ છે કે શીખવાની પ્રક્રિયા સ્વ-પ્રેરણા, સ્વ-નિયમન અને સ્વ-વિવેચનથી જ શ્રેષ્ઠ રીતે વિકસી શકે.

આ શાળામાં બાળકોને એક જવાબદાર નાગરિક તરીકે જોવામાં આવે છે. બાળક કશુંક શીખવા માટે ઉત્સુક થાય તેની પ્રતીક્ષા કરવામાં આવે છે. બાળકો પોતે ગમતા વિષયો શોધી કાઢે છે અને સહજ રીતે જ શિક્ષકો તેની સાથે અનુસંધિત થાય છે. સમયનો કોઈ વિચાર કર્યા વિના એ પ્રક્રિયા સહજ રીતે ચાલતી રહે છે. મનુષ્ય માત્ર જીવનના પ્રાકૃતિક, સહજ ભાગરૂપે સતત શીખતા જ હોય છે. શીખવાની આ કુદરતી પ્રક્રિયાને અહીં સાકાર કરવામાં આવી છે.

અહીં બાળકો પ્રવેશે છે ત્યાર પછી પોતા પર નિર્ભર હોય છે. પોતે જ પોતાના નિર્ણયો લેવાના હોય છે. શાળા, સ્ટાફ, મકાનો, સાધન-સામગ્રી, પુસ્તકાલય વગેરે બધાં જ સ્રોત મોજુદ હોય છે. બાળકો પોતાના રસ મુજબ આસપાસના વિશ્વને સંવેદે છે. તેમાંથી શીખવું શોધી કાઢે છે અને એને હાંસલ કરવા પ્રયાસો કરે છે. વાતો કરતા, રમતા, વિકસતા જોવા મળે છે. બાળકો પોતાની આગવી ઓળખ માટે તીવ્ર ભાવના વિકસાવે છે અને ભવિષ્યનાં ધ્યેયો નક્કી કરે છે. કોઈપણ જાતની બળજબરી, લાલચ, દબાણ વિના બાળક પોતાની જાતને વિષયની અંદર નાંખે છે. શાળાની ભૂમિકા માત્ર વિદ્યાર્થીઓના પ્રયત્નોને પ્રતિભાવ આપવા પૂરતી હોય છે. શાળાનું વાતાવરણ ખુલ્લું, પ્રામાણિક, વિશ્વાસપાત્ર અને ભયમુક્ત રાખવામાં આવ્યું છે.

ભાગ-૧માં એકવીસ પ્રકરણમાં બાળકો જુદા જુદા વિષયો કેવી રીતે પસંદ કરે છે, શીખવાનું કેવી રીતે શરૂ કરે છે, શિક્ષકો અને શાળાની ભૂમિકા કેવી રહે છે અને બાળકો એ વિષયમાં આગળ જતાં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેના અનુભવો વ્યક્ત કર્યા છે. વિષયો જુઓ : અંકગણિત, જાદુગરનો ખેલ, રસોઈ, રમત, રસાયણશાસ્ત્ર, માછલી પકડવી વગેરે વગેરે … બાળકોનાં અનેક કૌશલ્યોનો સહજ વિકાસ કેવી રીતે થાય તે પણ બતાવ્યું છે.

બીજા ભાગમાં ‘શાળા જીવન’ના કેટલાક મુદ્દાઓ સંદર્ભે આ શાળા કેવી રીતે કામ કરે છે તેનો ચિતાર અપાયો છે. શાળા-સભા, જોખમો, ખેલદિલીભર્યું દૃશ્ય, પ્રવાસ, કમિટીઓ અને કલાર્કો, સાફસફાઈ, સ્ટાફ, બજેટ, વાલીઓ, મુલાકાતીઓ, સમસ્યા પેદા કરનારાં બાળકો વગેરે શીર્ષકથી શાળાની અનોખી કાર્યપ્રણાલિનો ખ્યાલ આવે છે.

આ પુસ્તકમાંથી પસાર થયા પછી આપણી આજની હાટડી બની ગયેલી શિક્ષણ સંસ્થાઓનો વિચાર આવે છે. સંચાલકો માત્ર આર્થિક ઉપાર્જનને કેન્દ્રમાં રાખી બાળકોના ભવિષ્ય સાથે જે રીતે ચેડાં કરે છે તે વિશે ચિંતા થાય. નિસર્ગ, સહજતા, માનવમૂલ્યો, વગેરેનો સમૂળગો છેદ ઉડાડી માત્ર ટકા લઈ આપવાની ગેરંટી સાથે સંકડાશમાં ફૂટી નીકળેલી શિક્ષણની દુકાનો આપણને ક્યાં લઈ જશે ?

માત્ર શિક્ષણનો જ નહીં પરંતુ સંતાનનો વિચાર કરનાર, ચિંતા અને ચિંતન કરનારે આ પુસ્તકમાંથી પસાર થવું રહ્યું.

ગુજરાતીના અધ્યાપક, માંગરોળ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 17-18

Loading

દરેક ક્ષેત્રમાં સામાજિક આંદોલનો શરૂ કરવાનો સમય આવ્યો છે

ધવલ મહેતા|Samantar Gujarat - Samantar|15 May 2017

ભારતમાં રાજ્યો અને કેન્દ્રની સરકારો ચૂંટણીમાં લોકપ્રિયતા મેળવવા લોકોને અનેક પ્રકારનાં વચનો આપે છે. મતદારો આ વચનોમાં ભોળવાઈને લોકરંજક નેતાઓને ખોબલે ખોબલે મત આપે છે, પરંતુ સરકારો તેમનાં વચનોનું પાલન નહીં કરતી હોવાથી નિરાશ થાય છે. પાંચ વર્ષ પછી આ જ પ્રક્રિયા રિપીટ થાય છે. તે ઉપરાંત રાજ્યો અને કેન્દ્રિય સરકારો લોભામણાં બજેટ બનાવીને લોકો સમક્ષ રજૂ કરે છે. બજેટમાં ફાળવેલી રકમ હોવા છતાં સરકાર તેનો પૂરેપૂરો ઉપયોગ કરતી નથી અથવા ઘણાં નાણાં ભ્રષ્ટાચારમાં વેડફાઈ જાય છે. આ બંને કારણોસર સમાજમાંથી સરકાર સામે લોકોનો અસંતોષ વધે છે, પંરતુ ન્યાય માટે ક્યાં જવું તે ખબર પડતી નથી. દેશની હજારો સ્વૈચ્છિક સંસ્થાઓ શરૂઆતના જુસ્સા પછી તેમના ધ્યેયોમાં વિચલિત થઈ જાય છે. તેઓએ કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ, પરંતુ સમાજમાંથી નવા લોહીવાળા યુવાનોએ હજારો સામાજિક આંદોલનો શરૂ કરવાં જોઈએ. આ આંદોલનો સેક્યુલર અને પ્રજાતરફી હોવાં જોઈએ. આ આંદોલનો શરૂ કરવા નવાં સંગઠનો જોઈએ. આ સંગઠનો ઊભાં કરવાનું કામ કઠિન નથી અને આ સંગઠનોનું ધ્યેય સ્થાનિક પણ હોઈ શકે છે, દાખલા તરીકે શહેરના કે ગામના કોઈ વિસ્તારમાં પાણી ના મળતું હોય, તો તે માટે સંગઠન થઈ શકે. વીજળી પુરવઠા ના મળતો હોય કે શિક્ષણની સુવિધા અપૂરતી હોય, તો શિક્ષણસુધારણાનાં સંગઠન જોઈએ. સરકારી વિકાસનાં કામોમાં લાંચ લઈને જ લોકોનાં કામ થતાં હોય, તો તેનાં વિરુદ્ધનાં સંગઠનો હોય, સરકારી હૉસ્પિટલમાં તબીબી સારવાર ના મળતી હોય કે તે માટે સાધનો અપૂરતા હોય, તો તે માટે સંગઠન હોય. આપણાં મંદિરો ભક્તો પાસેથી અખૂટ દાન મેળવે છે. તે દાનનો ઉપયોગ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે થાય તે માટેની મંદિરના સ્થાપકોને ફરજ પાડનારી સંસ્થાઓ પણ સ્થાપી શકાય. લોકો, સરકારી રાહતો ભ્રષ્ટાચાર વિના મળે તે માટે પણ હજારો સ્થાનિક સંસ્થાઓ તાલુકે-તાલુકે સ્થાપી શકાય. રેશનિંગની દુકાનેથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગામડે ગામડે સંગઠનો સ્થાપી શકાય. એ માટે શું કરી શકાય …

એક જ વ્યક્તિની પહેલવૃત્તિ જરૂરી :  આ સંગઠનોની શરૂઆત કોઈ એક સમાજસુધારણાની ધગશ ધરાવતી વ્યક્તિને ઘેરથી થઈ શકે. શરૂઆતમાં સમાન દૃષ્ટિ ધરાવતી પાંચ-છ વ્યક્તિઓ દર અઠવાડિયે કોઈ એક વ્યક્તિને ત્યાં મળે અને સુધારણાના મુદ્દાની કલાક કે બે કલાક ચર્ચા કરે. આ પ્રક્રિયા આઠથી દસ અઠવાડિયાં થાય, ત્યારે એમાં ભાગ લેનાર વ્યક્તિઓમાં બિરાદરી (કોમરેડશિપ) ઊભી થાય છે. આ કોમરેડશિપ જ્ઞાતિ અને ધર્મના વાડાને વટાવી દે છે, અને ભવિષ્યમાં તે સંગઠનનો પાયો બને છે. અહીં  યાદ રહે કે અહીં આપણે જ્ઞાતિ કે ધર્મના હિતોનું સંરક્ષણ કરવાની વાત કરતા નથી, પણ અહીં આપણે શરૂઆતમાં જે લોકોને અનાજ પાણી, વીજળી, શિક્ષણ જેવાં પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય, તેની વાત કરીએ છીએ. આ સંગઠનોને સફળ થવા પ્રથમ બહુ નાના મુદ્દા પર ફોક્સ કરવું પડે. દાખલા તરીકે અમદાવાદના અમુક વિસ્તારોમાં કૅમિકલયુક્ત કેમ પાણી આવે છે અથવા જે આવે છે તે કેમ પૂરું આવતું નથી, અમદાવાદની ખાનગી શાળાઓ કેમ આટલી બધી ઊંચી ફી લે છે, ગામની ભાગોળ કેમ ચોખ્ખી થતી નથી, કૉલેજમાં કેમ આટલા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે છોકરા-છોકરીને કેમ આંતરજ્ઞાતિય લગ્ન કરવા દેવામાં આવતા નથી, સરકાર દરેક ડિસ્ટ્રિક્ટ અને તાલુકામાં પોતાના શિક્ષણ અને સ્વાસ્થ્યનાં લક્ષ્યાંકો કેમ પૂરાં કરતી નથી? અહીં ખાસ અગત્યનો મુદ્દો એ છે કે આ આંદોલનોમાં જેને લાભ થતો હોય, તેવા લાભાર્થીઓએ કરવાની જરૂર નથી. જેને લાભ ના મળતો હોય તેવા લોકોનો આંદોલનોમાં વિશેષ ફાળો જોઈએ. અન્યને લાભ કરતાં સંગઠનો વધુ ચાલે છે. તેઓ વધુ વિશ્વસનીય  હોય છે.

સંગઠનનો મુખ્ય મુદ્દો – મોબિલાઇઝેશન : ભારતમાં સામાજિક આંદોલનોનો યુગ બેસી ગયો છે. ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન કે ૧૯૫૬માં ગુજરાતના અલગ રાજ્ય માટેનું આંદોલન કે અધ્યાપકોને ખાનગી સંચાલકોની ચુંગાલમાંથી મુક્ત કરવાનાં વગેરે આંદોલનો સફળ રહ્યાં છે. નવનિર્માણનું કે ગુજરાતના અલગ રાજ્ય માટેનાં આંદોલનો રાજકીય ગણી શકાય, પરંતુ પર્યાવરણ-સુધારણા, દલિતમુક્તિ, સ્ત્રીમુક્તિ, ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ વગેરેનાં આંદોલનો સામાજિક ગણી શકાય. આંદોલનો શરૂ થાય ત્યારે આપણને એમ જ લાગે છે કે તે કદાપી સફળ નહીં થાય. પરંતુ તેવો નિરાશાવાદ સેવવાની જરૂર નથી. ભૂતકાળમાં ઘણાં સામાજિક આંદોલનો સફળ થયાં છે અને તેની માંગણીઓને કાયદામાં સમાવી લેવામાં આવી છે. દા.ત., દલિતોને ગૌરવ પ્રાપ્ત થાય, સ્ત્રીઓને પુરુષ સમાન હક્કો મળે, પર્યાવરણ શુદ્ધ રહે, બાળકોનું શોષણ ન થાય, અધ્યાપકોનાં ગૌરવ અને પગાર સચવાય – બધા મુદ્દાઓ શરૂમાં તો આંદોલન તરીકે જ ‘આંદોલિત’ થયા હતા અને હવે તે પછી તે અંગેના કાયદાઓ કે ચુસ્ત નિયમો થઈ ગયા છે. માત્ર ભ્રષ્ટાચારવિરોધી આંદોલનો – ભ્રષ્ટાચારવિરોધી કાયદાઓ થયા હોવા છતાં – નિષ્ફળ ગયાં છે. અણ્ણા હજારેનું, જયપ્રકાશ નારાયણનું, કેજરીવાલનું આંદોલન ભ્રષ્ટાચાર વિરોધથી શરૂ થયું હતું. જયપ્રકાશ નારાયણના આંદોલનને પરિણામે ઇન્દિરા ગાંધીએ જવું પડ્યું હતું અને નવનિર્માણના આંદોલનને પરિણામે ચીમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેની સત્તા છોડવી પડી, પરંતુ ભ્રષ્ટાચારમાં જ ગયા. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને પરિણામે કેજરીવાલે ‘આપ’ની સરકાર દિલ્હીમાં બનાવી પણ અત્યારે કોઈ નક્કર પરિણામ જણાતું નથી. અમેરિકાના ન્યુયૉર્કમાં એક પર્સન્ટ ધનિકો વિરુદ્ધ ૯૯ ટકા વંચિતોનું આંદોલન શરૂ થયું હતું તે નિષ્ફળ ગયું. ભૂદાનનું આંદોલન સારી રીતે શરૂ થયું, પરંતુ વહીવટી કુશળતાના અભાવે તે બેસી પડ્યું. તે ધર્મપ્રચુર હતું. દાન દ્વારા કોઈ સંપત્તિ ગ્રહણ કરવી તે મુદ્દો ગરીબોને પણ હીણપતભર્યો લાગ્યો. દાન નહીં, ભીખ નહીં, પણ જમીન મેળવવાનો હક્ક ગરીબ લોકોને જોઈતો હતો. ગરીબોને પણ આત્મસન્માન વહાલું છે. જે આંદોલનો માત્ર રાજકીય સત્તા મેળવવા માટે જ થતાં હોય કે રાજ્યકર્તાઓને ઉઠાડી કે ભગાડી મૂકવા સિવાય કોઈ ‘એજન્ડા’ના હોય, તેને આપણે રાજકીય આંદોલન કહીએ છીએ, જ્યારે સમાજના કોઈ પણ દૂષણને કે અન્યાયને દૂર કરવાના આંદોલનને આપણે સામાજિક આંદોલન કહી શકીએ. ભારતમાં પ્રબુદ્ધતા ફેલાવવા આંદોલન કરનાર રાજા રામ મોહનરાય કે ગુજરાતમાંથી વહેમ-અંધશ્રદ્ધા દૂર કરવામાં અગ્રેસર સુરતના નર્મદાશંકર(અને પાંચ દદા)ને સામાજિક આંદોલનના પુરસ્કર્તા કહી શકાય. ધાર્મિક આંદોલનોને સામાજિક કહી શકાય કે નહીં તે ચર્ચાનો વિષય છે, પણ ધર્મ આધારિત અંધશ્રદ્ધા અને પ્રપંચ ફેલાવનારા સાધુસંતોના આંદોલન સામેના પ્રતિઆંદોલનો ચોક્કસ સામાજિક ગણી શકાય. રેશનાલિસ્ટો જાનના જોખમે તે કામ કરે છે, આ આંદોલન ગુજરાતમાં અંધશ્રદ્ધાનો સતત વિરોધ કરે છે. આ સામાજિક આંદોલન હાલમાં પણ ચાલી રહ્યું છે અને ઘણું પ્રસંશાપાત્ર છે. તેમાં ઘણાં રેશનાલિસ્ટ ચિંતકો અને રેશનાલિસ્ટ ઍક્ટિવિસ્ટો અને “વિવેકપંથી”, “નયા માર્ગ”, “વૈશ્વિક માનવવાદ” અને સુરતથી બહાર પડતા “સત્યાન્વેષણ”નો નક્કર ફાળો છે. જે કામ સરકાર કરી શકતી નથી, તે કાળ રેશનાલિસ્ટો કરે છે. કોઈ વ્યક્તિગત લાભ વિના માનવસ્વાતંત્ર્યના ક્ષેત્રમાં ગુજરાતનું પી.યુ.સી.એલ. જબરદસ્ત સારું કામ કરે છે. બધાને સલામ.

આંદોલનની સફળતા :  આંદોલનની સફળતાનો એક આધાર લોકોનું ‘મોબિલાઇઝેશન’ છે. આંદોલન માટે લોકોને એકત્ર કરવા પડે, લોકોને એકત્ર કરીને આંદોલનના હેતુ વિષે તેમને સાદી ભાષામાં સમજણ આપવી પડે. તે માટે ઇન્દુલાલ યાજ્ઞિક કે રતિલાલ દવે કે એસ.આર. ભટ્ટ કે  વડોદરાના હર્ષદ મહેતા કે શાંતારામ સબનીસ જેવા જોરદાર વક્તાઓ જોઈએ જેઓ આંદોલનના વિષયમાં નિષ્ણાતી જ્ઞાન ધરાવતા હોય. યશવંત શુક્લ પ્રખર વક્તા હતા, પણ આંદોલનમાં બૌદ્ધિકો માટેની યશવંતી શૈલી નહીં પણ સનત મહેતા, ઇન્દુલાલ – હરિહર ખંભોળજા – એસ.આર. ભટ્ટ, ઝીણાભાઈ દરજી, ઇન્દુભાઈ જાની જેવા વક્તાઓ જોઈએ. આ બધા વક્તાઓ સ્રોતાઓને ડોલાવી દેવાની તાકાત ધરાવતા હતા કે ધરાવે છે અને સુંદર ભાષાપ્રયોગ સાથે બુદ્ધિપૂર્વકની દલીલો કરી શ્રોતાઓને આંદોલનનો હેતુ સમજાવવામાં સફળ થયા છે. લોકોના મોબિલાઇઝેશન માટે માત્ર સભાઓ ભરવાનું પૂરતું નથી, તેમને વારંવાર સભામાં નેતાઓને સાંભળવાનું મળે તેમ જ આંદોલનનું વિપુલ પ્રચારસાહિત્ય પ્રાપ્ત થાય, તેની પણ આંદોલનકારોએ ગોઠવણ કરવાની છે. સારી રીતે ‘પૅમ્ફ્લેટિયરિંગ’ કરનારો વર્ગ ખાસ જુદો હોય છે, તે પૅમ્ફ્લેટ્‌સમાં દલીલો ઉપરાંત કટાક્ષમય કાર્ટુન અને કટાક્ષમય હાસ્યકવિતાઓનો પણ ઉમેરો કરી જાણે છે. આટલું પૂરતું નથી. સૌથી અગત્યની બાબત માસ મોબિલાઈઝેશન એ વાત ખરી પરંતુ આંદોલનના નેતાઓ અણીશુદ્ધ રીતે આંદોલનને વફાદાર (કમિટેડ) રહેવા જોઈએ. તેમનો હેતુ આંદોલનની સફળતા જ હોવો જોઈએ. પોતાનો સ્વાર્થ બિલકુલ ના જોઈએ. આંદોલનના અનુયાયીઓ મૂર્ખા હોતા નથી. તેમને પ્રામાણિક અને અપ્રામાણિક નેતાનો ભેદ ખબર પડતો હોય છે. તકસાધુઓને તે ઓળખી લે છે. કેજરીવાલ અને તેમનું ગ્રૂપ સરકારમાં ના ગયું હોત, તો તેમની વિશ્વસનીયતા હજુ વધારે હોત, અણ્ણા હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અપ્રત્યક્ષ રીતે સફળ થયું છે. ભ્રષ્ટાચારનો મુદ્દો તમામ રાજકીય પક્ષોની સત્તાપ્રાપ્તિ માટે કેન્દ્રમાં આવી ગયો છે. અત્યારે ગોરક્ષાના નામે થતાં આંદોલનો ‘કાઉન્ટર રિવૉલ્યુશનરી છે. તે સમાજને પાછળ લઈ જાય છે.’

ઑફિસ જરૂરી : આંદોલનને લાંબા સમય સુધી ચલાવવા એક ઑફિસ જોઈએ. ભલે તે ભાંગલી-તૂટલી હોય અને તેના ટેબલ પર ચાના ડાઘા પડ્યા હોય, તો પણ ઑફિસ જોઈએ જ. સાંજ પડે ત્યાં આંદોલનમાં રસ ધરાવનારાઓનું ગ્રૂપ ચાના પ્યાલા પર (ટેબલ પર બીડી બુઝાવવી નહીં) ચર્ચા કરતું અને પ્રોગ્રામ ઘડતું નજરે પડવું જોઈએ. બહારગામના લોકો જેમને આંદોલનમાં રસ હોય, તે પણ નવરા પડે, સાંજે આંદોલનની ઑફિસે આંટો મારી જાય’ તેવું વાતાવરણ ઊભું થવું જોઈએ. આંદોલન માટે પૈસા જરૂરી છે. બહુ પૈસા નહીં, પણ બીજરૂપ, ફાઇનાન્સ તો જોઈએ જ. આ માટે એક ખાસ ટુકડી જોઈએ અને તેનો વ્યવહાર તદ્દન પારદર્શક હોવો જોઈએ. આંદોલન જો સાચું હોય અને તેના નેતાઓ ‘કમિટેડ’ હોય, તો સમાજમાં એટલા બધા પરગજુ લોકો છે કે પૈસાની બહુ ખેંચ ના રહે. આંદોલન લાંબું ચાલે, તો તેની અઠવાડિક કે પખવાડિક કે માસિક પત્રિકા ચલાવવા માટે નાણાકીય સગવડ જોઈએ. યાદ રહે કે પરગજુ લોકો ત્યારે જ પૈસા આપે, જ્યારે આ આંદોલનથી આંદોલનકારીઓને ફાયદો થતો ના હોય. આંદોલન-નેતાઓ – ડિવિઝન ઑફ વર્ક – કામની વહેંચણી ચુસ્ત રીતે કરી તેનું નિયમિત ફોલોઅપ કરવું પડે. સ્વયંસેવકોની ફોજનું ગૌરવ અને માન સાચવાવાં જોઈએ. કારણ કે તેઓ આંદોલન માટેના ફૂટસોલ્જર્સ છે અને આંદોલન માટે નિઃશુલ્ક કામ કરે છે. નેતાએ ટીમવર્ક ઊભું કરવું પડે, પણ સ્વયંસેવકોને તો ખૂબ માન આપવું જોઈએ. જે આંદોલનોથી આંદોલનકારીઓને જ લાભ થતો હોય, તેને આપણે અંગ્રેજીમાં ‘ઇન્ટરનેટ ગ્રુપ્સ’ કે બેનિફિશિયરી ગ્રૂપ કહે છે. ટ્રેડયુનિયનની પ્રવૃત્તિ ઇન્ટરનેટ ગ્રુપમાં આવે.

પ્રતિ આંદોલનો : દરેક આંદોલન સામે પ્રતિ આંદોલન મોટે ભાગે થાય જ છે. નકસલવાદીઓ સામે એક ઝનૂની સલવા-જુડમ જૂથ ઊભું થયું હતું. ગુજરાતમાં નર્મદાબંધની વિરુદ્ધમાં અને તરફેણમાં જૂથો ઊભાં થયાં હતાં. ગુજરાતમાં જડ સરકાર અને ખાનગી સંચાલકોની જોહુકમી સામે અધ્યાપકમંડળ ઊભું થયું હતું, જે તેનાં ઘણાં ધ્યેયોમાં સફળ થયું. તે અધ્યાપકોના ગૌરવ માટે લડતું સંગઠન હતું. હવે તે લગભગ ઓગળી ગયું છે અને માત્ર પરચૂરણ પ્રશ્નો માટે લડે છે. આનું મુખ્ય કારણ એ કે તે ઇન્ટરનેટ ગ્રૂપ હતું અને છે. શોષિત લોકો પોતાના શોષણને દૂર કરવા આંદોલનો કરે તે ભલે ‘ઇન્ટરેસ્ટ ગ્રૂપ્સ’ હોય તોપણ તેમાં કાંઈ ખોટું નથી. દા.ત., સ્ત્રીઓ દ્વારા થતા સ્ત્રીયુક્ત કે દલિતમુક્તિનાં આંદોલનો પ્રોગ્રેસિવ છે.

ઉપસંહાર : એક બિનઇચ્છનીય વાત એ છે કે પ્રગતિશીલ આંદોલનો સફળ થાય છે, તો કેટલીક વાર બિનપ્રગતિશીલ, હિંસક, રિઍક્શન આંદોલનો પણ સફળ થાય છે. સામાજિક આંદોલનો ક્યારે શરૂ થશે અને તે સફળ જશે કે નિષ્ફળ જશે, તે આપણે અગાઉથી કહી શકતા નથી, પરંતુ ભૂતકાળમાં ઘણાં આંદોલનો સફળ થયાં છે. દા.ત., અમેરિકામાં ગુલામી સામેનું આંદોલન સફળ થયું. ગુજરાતમાં નર્મદાના ‘એનલાઇટમેન્ટ’ આંદોલને મોટી જાગૃતિ પ્રજામાં ફેલાવી. ગરીબોનાં આંદોલનો દ્વારા ભારતમાં ગરીબો સામે અનેક કલ્યાણયોજનાઓ શરૂ થઈ છે, તે બધી કાંઈ આંદોલનો વિના થઈ નથી. આંદોલનોના અભ્યાસ અને તેના ડાયનેમિક્સ માટે વધુ સંશોધનો જરૂરી છે. સમાજને બદલવામાં આંદોલનોનો મોટો ફાળો છે. તે પ્રજાના કલ્યાણ માટે ચાલવાં જ જોઈએ. દોઢસો વર્ષો પહલાં ટ્રેડ યુનિયનની સ્થાપના અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં ‘કોન્સ્પિરસી’ (કાવતરું) ગણાતી હતી. આજે ટ્રેડયુનિયન્સ સ્થાપવાનો શ્રમિકોને અધિકાર છે. આંદોલનની સામે પ્રતિ ક્રાંતિકારી આંદોલનો પણ થવાનાં. સિક્યુલારિઝમ સામે ઝનૂની, ધર્મકેન્દ્રી સંગઠનો ઊભાં થવાનાં અને હિંસા ફેલાવવાનાં જ. લગભગ દરેક વ્યક્તિ શરૂઆતમાં એમ માને છે કે આ આંદોલન તો ચાલવાનું જ નથી, પણ તે ખોટો નિરાશાવાદ છે. એક ભય એ છે કે કોઈ પણ હિંસક રિઍક્શનકારી પ્રતિ ક્રાંતિકારી આંદોલનનો (ઇસ્લામિક સ્ટેટ, નિયોનાઝીવાદ, સાલવા-જુડમ, અમેરિકામાં કુક્લક્સકલાન) પણ સફળ થતાં જણાય છે. સમાજ સીધી લાઇનમાં નહીં પણ ઊંચેનીચે જતી ઝિગઝેગ રેખા દ્વારા પ્રગતિ અને કોઈક વાર અવગતિ કરતો રહે છે. માનવસમાજમાં હિટલરો અને મુસોલિનો પાકે છે તો ગાંધીજી પણ જન્મ લે છે.

પરંતુ યાદ રહે કે દરેક સોશિયલી સેન્સિટીવ વ્યક્તિ પહેલવૃત્તિ દ્વારા કોઈ પ્રોગ્રેસિવ બાબત પર લોકોને સંગઠિત કરી આંદોલન શરૂ કરી શકે છે. કહેવાની જરૂર નથી કે તે તદ્દન અહિંસક હોવા જોઈએ, ફેબિયન સોશિયાલિઝમ રેશનાલિઝમ, પીયુસીએલ જેવાં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 06-07

Loading

...102030...3,3813,3823,3833,384...3,3903,4003,410...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved