Opinion Magazine
Number of visits: 9767296
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેપી અને લોહિયા 1974, 2017

અરુણકુમાર ત્રિપાઠી|Opinion - Opinion|10 August 2017

નેહરુએ જેપીને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી (વડાપ્રધાન) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે તેમણે નકારી કાઢ્યો હતો

નીતીશકુમારે બીજી વખત ભાજપનો હાથ ઝાલ્યા પછી બિનસાંપ્રદાયિક બૌદ્ધિક જગતમાં એ દલીલ વ્યાપક બની છે કે સમાજવાદીઓ તો હંમેશાંથી ફાસીવાદીઓને ટેકો આપતા રહ્યા છે. નીતીશકુમારે એવું બોલીને સમગ્ર હિન્દી બેલ્ટમાં સમાજવાદીઓના કાયમી પરાજયની ભવિષ્યવાણી કરી દીધી છે કે 2019માં નરેન્દ્ર મોદીને પડકાર આપનારું કોઈ નથી. બીજી તરફ, હિન્દુત્વવાદીઓ દ્વારા એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જયપ્રકાશ નારાયણ અને લોહિયાને શક્તિ પૂરી પાડનારા સંઘના જ માણસો (દીનદયાળ ઉપાધ્યાય અને બાળાસાહેબ દેવરસ) હતા, એટલે લોહિયા અને જેપીના ખરા અનુયાયીઓ એ જ ગણાય, જે ભા.જ.પ.ની સાથે છે. આ બંને દૃશ્યોથી અલગ ‘ભારત છોડો આંદોલન’ના આ મહાનાયકોની એ તસવીર પણ બહાર આવવી જોઈએ, જે ખંડિત છે, સુંદર છે અને આદર્શ પણ છે.

જેમના વિના ન તો ભૂતકાળ સમજવો શક્ય છે અને ન તો ભવિષ્યમાં કોઈ સમજદારીભર્યો રાજકીય હસ્તક્ષેપ શક્ય છે. વર્તમાન પરિસ્થિતિઓ કદાચ એવું જ દર્શાવે છે કે જેપી અને લોહિયાના અનુયાયીઓ બિનલાયક નીકળ્યા અને તેઓ દીનદયાળ ઉપાધ્યાય-ગોળવેલકરના શિષ્ય બનવા માટે મજબૂર બન્યા પછી પોતાના ગુરુઓની સાથે ઇતિહાસની કચરાટોપલીમાં જઈ રહ્યા છે? એવું કહી શકાય કે ડેનિયલ બેલે ઔદ્યોગિક દેશોમાં માર્ક્સવાદ, સમાજવાદ, સંકુચિતવાદ અને ઉદારવાદ જેવી વિચારધારાઓના અંતની જે જાહેરાત સાઠના દાયકામાં કરી હતી, એ ભારતમાં આજે ચરિતાર્થ થઈ રહી છે? સવાલ જેપી અને લોહિયાના મુલાયમસિંહ, લાલુપ્રસાદ, નીતીશકુમાર અને શરદ યાદવ જેવા ચેલાઓના પતિત થવા અને નબળા પડવાનો છે. તેમની નબળાઈનું કારણ એ નથી કે તેમના નેતાઓએ ક્યારેક જનસંઘ તો ક્યારેક ભા.જ.પ.ની સાથે જોડાણ કર્યું હતું અને હિન્દી વિસ્તારોમાં સામાજિક પરિવર્તન માટે જાતિઓને આધાર બનાવીને પોતાના રાજકારણને વિસ્તાર્યું હતું.

આ દલીલો દ્વારા એવો ભ્રમ પણ પેદા થાય છે કે જેપી અને લોહિયા આખરે કોના માટે નાયક છે અને કોના માટે ખલનાયક છે? સૌથી મોટી વિડંબણા એ છે કે જે સંઘ પરિવાર તેમને પોતાના નાયક કે સહનાયક તરીકે રજૂ કરી રહ્યો છે, એ તેમની તત્કાલીન વ્યૂહરચનામાં સહયાત્રી હતો. બીજી તરફ, સામ્યવાદી જે તેમનાં સપનાં અને સિદ્ધાંતની નજીક બેસે છે, પણ બદલાતા રાજકારણમાં તેમનાથી દૂર રહ્યા છે, તેમને ખલનાયક અથવા ગુનેગાર તરીકે દર્શાવે છે અને તેમના ‘ભારત છોડો’ સંઘર્ષને બિનજરૂરી માને છે.

અરુણા અસફ અલી – જય પ્રકાશ નારાયણ – રામ મોહન લોહિયા – અચ્યૂત પટવર્ધન – પ્રભા દેવી

જેપી અને લોહિયા કોણ હતા, એ જાણવા માટે 1974 પહેલાં 1942ના વર્ષને યાદ કરવું પડશે. 2017 ‘ભારત છોડો’ આંદોલનની પ્લેિટનમ જ્યુબિલી (પંચોતેરમું) વર્ષ છે અને એ યાદ કરવું જરૂરી છે કે જ્યારે સામ્યવાદીઓ જનઆંદોલનના નામે અંગ્રેજોને સાથ આપી રહ્યા હતા, વિનાયક દામોદર સાવરકર અંગ્રેજો માટે ફૌજમાં ભરતી કરાવી રહ્યા હતા, અને ઝીણા અંગ્રેજો સાથે મળીને ભારતના ભાગલા પડવાની તૈયારી કરતા હતા, ત્યારે જેપી હઝારીબાગ જેલમાંથી ભાગીને નેપાળમાં લોહિયાની સાથે પોલીસ સામે મોરચો માંડી રહ્યા હતા. લાહોર જેલની જે કોટડીમાં ભગતસિંઘને ત્રાસ આપવામાં આવ્યો હતો, એ જ જગ્યાએ લોહિયાને 1945માં રાખીને તેમની પર અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. આ લોકો માટે નેહરુ સરકારમાં મોટા હોદ્દાઓના તમામ દરવાજા ખુલ્લા હતા.

1964માં તબિયત ખરાબ હોવાના કારણે નેહરુએ જેપીને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી (વડાપ્રધાન) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેમણે નકારી કાઢ્યો હતો. એ ઘટના યાદગાર છે કે જેપી, લોહિયાએ પોતાને સત્તાવિરોધના રાજકારણ અને સંગઠનની શોધમાં હોમી દીધા. સતત મળતી નિરાશાઓમાંથી બહાર આવવા માટે લોહિયાએ બિનકૉંગ્રેસવાદની રણનીતિ બનાવી. જેમાં તેમને એક હદ સુધી સફળતા પણ મળી. પછીથી જેપીએ પણ તે રણનીતિ અપનાવી અને તેમને ઇંદિરા ગાંધીને સત્તા પરથી દૂર કરવામાં સફળતા મળી. આ કંઈ જેપીનું દીર્ઘકાલીન લક્ષ્ય નહોતું કે ન તો લોહિયાનું. આજે આ લક્ષ્ય આરજેડી, સપા અને જે.ડી.(યુ)નું બની ગયું છે. તેમનું લક્ષ્ય સપ્તક્રાંતિ અથવા સંપૂર્ણક્રાંતિનું હતું. તેઓ કોઈને દુશ્મન નહોતા માનતા, પરંતુ સમતા અને સંપન્નતા આધારિત વ્યવસ્થા માટે વધુ લોકોને સાથે લેવા માગતા હતા.

જેપીએ 1974 પહેલાં અનેક જગ્યાએ સંઘના સિદ્ધાંતો અને નીતિઓની ટીકા કરી હતી. આંદોલન વખતે તેઓ ઇચ્છતા હતા કે તેમાં માર્ક્સવાદી, સમાજવાદી અને ગાંધીવાદીઓ પણ ભાગ લે. પરંતુ માર્ક્સવાદીઓનું કહેવું એવું હતું કે સંઘને હટાવો, જ્યારે જેપી એવું માનતા હતા કે તેઓ હવે સાંપ્રદાયિક નથી રહ્યા, તેમણે સંપૂર્ણ ક્રાન્તિમાં ભરોસો દર્શાવ્યો. ચોક્કસપણે આ તેમનું ભોળપણ સાબિત થયું. અનેક વિશ્લેષકોનું માનવું છે કે જો માર્ક્સવાદી 1974ના આંદોલનમાં સામેલ થયા હોત, તો હિન્દી બેલ્ટમાં તેમનો વિસ્તાર થયો હોત અને 1942ની ઊણપ પણ પૂરી થઈ ગઈ હોત. કદાચ એ સંકોચનો પસ્તાવો તેમને જ્યોતિ બસુને વડાપ્રધાન ન બનવા દેવા જેવો રહેશે.

આજે સપ્તક્રાંતિનો નારો સાંભળનારું કોઈ નથી કે સંપૂર્ણક્રાંતિ વિશે સાંભળનારું પણ કોઈ નથી. નીતીશ, લાલુપ્રસાદ, મુલાયમસિંહ અને શરદ યાદવ એ સૂત્રોને ભૂલી ગયા હશે અને કદાચ અખિલેશ અને તેજપ્રતાપને ભણાવાયા હશે. આજે રાજકારણ એક ચૂંટણીથી બીજી ચૂંટણી વચ્ચેની વિજયયાત્રા છે. આમ છતાં, વિરોધપક્ષ જો સંકોચ અને નિરાશામાંથી બહાર આવીને નબળી બનતી જતી લોકશાહીને કંઈ શક્તિ આપવા માગે, તો તેણે બિનકૉંગ્રેસવાદ અને બિનભાજપવાદની વચ્ચેની અટવામણમાંથી બહાર આવવું પડશે. આ બંને છેડાનો ભ્રમ જો સમાજવાદીઓમાં છે, તો સામ્યવાદીઓમાં પણ છે. એ બંનેને ભારતીય સમાજમાં ક્રાંતિ નહીં, તો બંધારણમાં નોંધાયેલી સમતા, સ્વતંત્રતા અને બંધુત્વના આદર્શો માટે આગળ આવવું પડશે. તેના પર ચાલવાનો કાર્યક્રમ બનાવવાથી નવો રસ્તો આપોઆપ મળી આવશે.

જેપીને આર્થર કોએસલરનું પુસ્તક ‘ધ યોગી ઍન્ડ કમિસાર’ ખૂબ પસંદ હતું. જે દર્શાવે છે કે એક તરફ યોગનો નૈતિતાનો માર્ગ નિષ્પ્રભાવી લક્ષ્ય સુધી પહોંચાડે છે, તો બીજી તરફ કમિસાર (નાયબ)નો માર્ગ રાજકીય સત્તા પ્રાપ્તિ પછી કઠોર વ્યવસ્થા લાગુ કરવા અને દમન તરફ લઈ જાય છે. જેપી હંમેશાં માનવસમાજને આ બંને બાબતોથી મુક્ત કરાવવામાં જ જોતરાયેલા રહ્યા. લોહિયા પણ ઉત્થાન અને પતનના ઇતિહાસ ચક્રમાંથી માનવ સભ્યતા અલગ કરવાનું સપનું જોતા રહ્યા. ચોક્કસપણે, તેમના શિષ્યો આજે સૌથી વધારે લાચાર અને પરાજિત છે, કારણ કે તેમની પાસે મોટું સપનું નથી. પરંતુ તેમના પ્રયોગધર્મી ગુરુઓનો ત્યાગ અને વિચારોનો આદર્શ એટલો નાનો નથી કે તેમને પથભ્રષ્ટ અથવા નકરા લટકણિયા જેવા ગણાવી શકાય.

[લેખક વર્ધા ખાતેના મહાત્મા ગાંધી આંતરરાષ્ટૃીય હિન્દી વિશ્વવિદ્યાલયમાં પ્રૉફેસર છે]

e.mail : tripathiarunk@gmail.com

સૌજન્ય : ‘સ્મરણ’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉગસ્ટ 2017 : ફોટા સૌજન્ય : ઇન્ટરનેટ

Loading

હિન્દુ રાષ્ટ્ર અને ઇતિહાસલેખન

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2017

ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે

પાકિસ્તાનને બરબાદ કરવામાં સ્કૂલોમાં ભણાવવામાં આવતા ખોટા અને અધૂરા ઇતિહાસે કેવો ભાગ ભજવ્યો છે એ જો તમે જાણવા માગતા હો તો પરવેઝ હુડભોયે કરેલા અભ્યાસનો અહેવાલ જોઈ જવો જોઈએ. પરવેઝ હુડભોય પદાર્થવિજ્ઞાની છે અને સેક્યુલર પાકિસ્તાનના હિમાયતી છે. તેમનો અહેવાલ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો મળી જશે. ખોટા અને અધૂરા ઇતિહાસે પાકિસ્તાનની બે પેઢીને બરબાદ કરી નાખી છે અને આજે જ્યારે પાકિસ્તાનને આધુનિક તેમ જ યુગસુસંગત બનાવવાની જરૂર છે ત્યારે એનું ઉપરાણું લેનારું કોઈ નથી. મોટી પીડા એ છે કે આજે ૭૦ વર્ષે ઇતિહાસ સુધારવો એ ઇતિહાસ બદલવા કરતાં પણ કપરું કામ થઈ ગયું છે.

પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના વિદ્યાર્થીઓને સિંધુ સભ્યતાથી લઈને આજ સુધીનો ઇતિહાસ ભણાવવો જોઈએ. એના દ્વારા વિદ્યાર્થીઓને જાણ થશે કે કઈ રીતે સભ્યતાઓ જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે.’

કોઈ સભ્યતા ધર્મગ્રંથમાં કે ધર્મગ્રંથ દ્વારા વિકસતી નથી. ઊલટું ધર્મ, ધર્મગ્રંથ અને ધર્માનુયાયી સમાજ પણ એ સભ્યતાનો હિસ્સો હોય છે. ધર્મનાં ચશ્માંથી સભ્યતાઓને જોવાની ન હોય અને જો એવો પ્રયાસ કરવામાં આવશે તો તમે તમારી આગલી પેઢીને અસભ્ય બનાવવાનું પાપ કરશો. કહેવાની જરૂર નથી કે ફૈઝ અહમદ ફૈઝે જિંદગીનાં કેટલાંક વર્ષો જેલમાં ગાળવા પડ્યાં હતાં. પાકિસ્તાનમાં ત્યારે બીજા પણ ઘણા ફૈઝ હતા જેમને સાંભળવામાં આવ્યા નહોતા. આજે પાકિસ્તાનને ફૈઝની જરૂર છે અને ફૈઝ બહુ ઓછા પેદા થાય છે.

સિંધુ સભ્યતાને પાકિસ્તાને પોતાની એટલે કે ઇસ્લામિક નથી એમ કહીને નકારી કાઢી, વૈદિક સભ્યતાને નકારી કાઢી, બૌદ્ધ સંસ્કૃિત ગેરમુસ્લિમ છે એમ કહીને નકારી કાઢી, તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો ગૌરવશાળી ઇતિહાસ નકારી કાઢ્યો, પાણિનિના ભાષાકીય વારસાને નકારી કાઢ્યો (પાણિનિનો જન્મ ખૈબરની ખીણમાં કોઈ ગામમાં થયો હતો જેને માટે પાકિસ્તાન ધારે તો ગર્વ લઈ શકે), ઉર્દૂ ભાષામાંથી સંસ્કૃત શબ્દો હટાવી દેવામાં આવ્યા એમ નકારવાની લાંબી યાદી હતી. છેવટે નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં મુસલમાનો આવ્યા ત્યારથી ઇતિહાસ ભણાવવાની શરૂઆત કરવી જોઈએ. પ્રાગ ઇસ્લામિક ઇતિહાસ અસ્તિત્વ ધરાવતો હોય તો પણ સાચા મુસલમાન માટે અસ્તિત્વ નથી ધરાવતો એટલે એને ભણાવવાની જરૂર નથી. કારણ વિના વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન જાગે અને પ્રશ્ન કોમવાદીઓને બહુ તકલીફ આપનારી ચીજ છે. શ્રદ્ધા રાખો, શંકા અને પ્રશ્નો નહીં કરવાના એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આગ્રહપૂર્વક શીખવવામાં આવે છે. આ પ્રશ્નો સાલા બારી-બારણાં ખોલી નાખે છે એને કારણે ઘેટાંઓને નાસી જવાનો મોકો મળે છે.

બધું જ નકારી કાઢ્યા પછી પાકિસ્તાનમાં મુસલમાનોના આગમનથી ઇતિહાસ ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું. પાઠ્યપુસ્તકો લખાયાં જેમાં ખોટો અને અધૂરો ઇતિહાસ હતો. હિન્દુઓને મુસલમાનોના અને ભારતને પાકિસ્તાનના દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યા અને એવા દુશ્મન કે અક્ષરશ: રાક્ષસ બાજુમાં વસતો હોય. પાકિસ્તાનની બે પેઢી કાલ્પનિક (કહો કે પેદા કરવામાં આવેલા મૅન્યુફૅક્ચર્ડ) રાક્ષસના પડછાયામાં ઊછરી છે જે ભયભીત છે એટલે આક્રમક છે. આ બાજુ મુસલમાનોના ઇતિહાસને ભવ્ય ઇતિહાસ તરીકે રજૂ કરવામાં આવે છે.

જો કે પ્રશ્નો તો અહીં પણ જાન છોડતા નથી. કેટલાક ચતુર વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી રહ્યા છે કે મહાન મુસ્લિમ શાસકોએ જ્યાં પરાક્રમ કર્યાં એ ભૂમિ ભરતમાં છે, તેમણે જે ભૂમિ પર શાસન કર્યું એ ભૂમિ ભારતમાં છે, તેમણે જે મહાન સ્થાપત્યો બંધાવ્યાં એ બધાં ભારતમાં છે, મુસલમાનોનાં પવિત્ર ધર્મસ્થાનો ભારતમાં છે, મુસ્લિમ લીગની સ્થાપના ભારતમાં થઈ હતી, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરતા હતા અને તેમનું મકાન ભારતમાં છે તો પછી પાકિસ્તાન એક ખૂણામાં શા માટે છે? બોલો, આ પ્રશ્નોનો શું જવાબ આપવો? પાકિસ્તાનમાં પાઠ્યપુસ્તકો લખનારા દીનાનાથ બાત્રાઓને કહેવામાં આવ્યું હતું કે આવા પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં પેદા ન થાય એવી રીતે પાઠ્યપુસ્તકો લખો. પાકિસ્તાની દીનાનાથ બાત્રાઓ સાત દાયકાથી શંકાતીત સંપૂર્ણ સત્યની જગ્યા લઈ શકે એવા અસત્યની શોધ કરી રહ્યા છે, પણ સાલું સત્ય ક્યાંક ને ક્યાંકથી સરકી જાય છે.

એક શંકા અને એક પ્રશ્ન જૂઠની ઇમારતને તોડી પાડવા સમર્થ હોય છે અને હવે પાકિસ્તાનમાં એ જ બની રહ્યું છે. દરેક સમાજ ખૂબી અને મર્યાદા ધરાવતો હોય છે. દરેક સમાજ ગૌરવ લેવા જેવો અને એ સાથે શરમાવા જેવો ઇતિહાસ ધરાવતો હોય છે. દરેક સમાજે પરાજય અને લાંછનનો અનુભવ કર્યો હોય છે. આમાં જગતનો કોઈ સમાજ અપવાદ નથી. કોઈ એટલે કોઈ જ નહીં. આમાં શરમાવા જેવું અને છુપાવવા જેવું શું છે? બીજું છુપાવી શકાય એમ ન હોય તો એવો ભૂંડો અને ફૂહડ પ્રયાસ કરવો પણ શા માટે જોઈએ? હિન્દુઓનો દરેક યુદ્ધમાં પરાજય શા માટે થયો એનો જવાબ આખી દુનિયા જાણે છે. જ્ઞાતિના કારણે હિન્દુ સમાજ આંતરિક રીતે વિભાજિત હતો એ પરાજયનું કારણ છે એ નકારી ન શકાય એવું સત્ય છે, પરંતુ હિન્દુ રાષ્ટ્રવાદીઓને એનો સ્વીકાર કરતા મરચાં લાગે છે. જેમ દરેક સમાજની પોતપોતાના હિસ્સાની શરમ હોય છે એમ આ આપણા હિસ્સાની શરમ છે. બસ, વાત પૂરી; આમાં છુપાવવા જેવું શું છે?

પરંતુ સત્યનો સ્વીકાર કરવા માટે આપણે મહાત્મા ગાંધી પાસેથી ૫૬ની છાતી ઉધાર લેવી પડે. જૂઠ બોલવા માટે જિગરની જરૂર નથી પડતી, થોડી સી બેઈમાની સે કામ ચલ જાતા હૈ. તો વાતનો સાર એટલો કે ૧૯૪૭માં પાકિસ્તાનના શાસકોએ ઇસ્લામિક પાકિસ્તાનની સ્થાપના કરવી હતી એટલે ઇતિહાસ સાથે દરજીકામ કર્યું હતું. ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે.

તમે શું કરવા માગો છો? જવાબ આપતા પહેલાં હિન્દુ રાષ્ટ્રમાં ઊછરેલો તમારો પૌત્ર કેવો હશે, શું વિચારતો હશે અને શું કરતો હશે એનું એક ચિત્ર આંખ સામે લઈ આવજો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉગસ્ટ 2017

Loading

બા બાપુની શીળી છાયામાં …

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|10 August 2017

‘અંગ્રેજી સાહિત્યમાં જેટલું ડાયરી સાહિત્ય છે તેટલું આપણે ત્યાં નથી. સૈનિકો, સાહસિકો, રાજપુરુષો, કળાકારો વગેરેએ તેમની ડાયરીને આધારે मॅमोइर्स લખીને અંગ્રેજી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આપણે ત્યાં જો આ જાતનું સાહિત્ય વિપુલ હોત તો આપણી ઇતિહાસની દૃષ્ટિમાં થોડો ફેર પડ્યો હોત એમ હું માનું છું કારણ કે આ સાહિત્ય કેટલીક ખાનગી રાખવામાં આવેલી મહત્ત્વની હકીકતો બહાર લાવે છે અને તત્કાલીન જીવનનનાં વિધવિધ પાસાંઓ પર પ્રકાશ ફેંકે છે.

‘ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સાહિત્ય થોડું છે. ગુજરાતી સાહિત્યનો વિચાર કરતાં સહેજે નરસિંહરાવ દિવેટિયાની ડાયરીનો ઉલ્લેખ થાય. પરંતુ ગુજરાતી તેમ જ જગત ડાયરી સાહિત્યમાં સુંદર ફાળો આપ્યો હોય તો તે મહાદેવભાઈની ડાયરીએ. મહાદેવભાઈની ડાયરીએ સાહિત્યની દૃષ્ટિએ તો સુંદર છે જ પરંતુ તેથી વિશેષ તે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની તેમ જ બાપુના જીવનદર્શનની દૃષ્ટિએ મહત્ત્વની છે. મહાદેવભાઈની પ્રણાલિકા મનુબહેને જાળવી રાખી તે આપણું સદ્દભાગ્ય છે.’

મોરારજીભાઈ દેસાઈએ ‘દિલ્હીમાં ગાંધીજી[ભાગ પહેલો]’ની પ્રસ્તાવનામાં સને 1964માં આમ લખેલું. આ પુસ્તકના બીજા ભાગમાં, વળી, એમની દીર્ઘ પ્રસ્તાવનાન છે અને તેમાં મોરારજીભાઈ લખે છે :

‘આખી ડાયરીમાં એક ફિલ્મની જેમ એક પછી એક દૃશ્ય આપણી સમક્ષ આવે છે. એક અત્યન્ત વિશાળ ફલક ઉપર એક વિરાટ માનવનો હાથ ફરી રહેલો આપણે જોઈએ છીએ. પ્રચંડ વાવાઝોડામાં એક વામન દેહ દૃઢતાથી સંચરે છે. એ બધાની મધ્યમાં એ છે છતાં એને કશું સ્પર્શતું નથી, બધાથી એ પર છે, અલિપ્ત છે. ગીતાધર્મને આત્મસાત્‌ કરીને અનાસક્ત બનેલા એક સ્થિતપ્રજ્ઞની કથા આપણે વાંચીએ છીએ, અનુભવીએ છીએ.’

15-16 વર્ષની નાની વયે બાપુની સેવા કરતાં અધરાત મધરાત જ્યારે સમય મળ્યો ત્યારે બાપુનાં કાર્યો, ભાષણો અને મનોમંથનોને વિસ્તારથી ટપકાવીને મનુબહેને માનવજાતની બહુ મોટી સેવા કરી છે. વળી આ ડાયરી બાપુએ વાંચેલી અને એમાં પોતે સહી કરેલી તેથી એના શબ્દે શબ્દની સચ્ચાઈ વિષે તેમણે મહોર મારી છે. મનુબહેનનો આપણે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે.’

સન 1942થી 1945ના ગાળાની નોંધવિગતો આ પુસ્તકમાં છે. તે વેળા મનુબહેનને બા-બાપુજી સાથે રહેવાનું થયું, ત્યારે એમને જે કેળવણી મળી તેનું ચિત્ર અહીં રજૂ થયું છે.

મહાદેવભાઈની ડાયરીઓ, સુશીલાબહેન નય્યરની ‘બાપુના કારાવાસની કહાણી’, ‘પૂર્ણાહુતિ’ નામે પ્યારેલાલના વિગતે લખાયેલા ગ્રંથો, નિર્મળકુમાર બોઝની ડાયરીઓ ઉપરાંત કુસુમબહેન હ. દેસાઈની હસ્તપ્રતના આધારે ગાંધીજીની ‘રોજનીશી’ સરીખાં પુસ્તકો આપણી સમક્ષ છે. ઉપરાંત મનુબહેને ડાયરીનાં વીસેક પુસ્તકો આપ્યાં છે. આવી એક ડાયરીમાં ‘નિવેદન’ રૂપે મનુબહેને લખ્યું છે : “… આવા એકબે લેખો પૂ. બાપુની હયાતીમાં પ્રગટ થયેલા. બાપુએ ટૃેનમાં આ વાંચીને વિનોદ કર્યો કે, ‘મેં મારી મંત્રી તરીકે તને ‘અભણ’ને અને નાનકડી છોકરીને રોકી તો તું ય ‘ખતરનાક’ નીવડી અને હવે લેખો લખવા માંડી !’ સાથોસાથ ગુજરાતી કહેવત કહી કે ‘ઘરનો બળ્યો વનમાં જાઉં તો વનમાં લાગી આગ.’ ખૂબ હસ્યા. પણ ‘આ રીતે તું તૈયાર થશે. મને બતાવીને બધું મોકલતી રહેજે.’ એમ સમજ આપી. આ રીતે શ્રી મનુભાઈના પ્રોત્સાહનથી મારું લેખન શરૂ થયું.”

મનુભાઈ જોધાણી “સ્ત્રીજીવન”ના સંપાદક હતા. અને એમની કુનેહથી આપણને પ્રથમ ‘બાપુ – મારી બા’ પુસ્તિકા સાંપડે છે, અને પછી ‘બા બાપુની શીળી છાયામાં’ પુસ્તક. ડૉ. હરીશ વ્યાસ નોંધે છે તેમ, ‘આ આગાખાન મહેલમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં બ્રિટિશ સલ્તનત સામે ઝઝૂમતાં, જેલજીવનનાં કષ્ટો − યાતનાઓ ભોગવતાં મૃત્યુને પ્રેમથી ભેટતાં કસ્તૂરબાની’ કુરબાનીને લેખિકાએ અહીં વર્ણવી છે.

સન 1949માં પ્રકાશિત ‘બાપુ મારી મા’ ચોપડી પહેલી છે અને પ્રાથમિક સ્તરે છે. તે પછીના ક્રમે, સન 1952માં, આપણને ‘બા બાપુની શીળી છાયામાં’ મળે છે. આરંભે ‘નવજીવન’ પ્રકાશન સંસ્થાના તત્કાલીન પ્રકાશક લખે છે તેમ, ‘… સુશીલાબહેન નય્યરે આગાખાન મહેલની ગાંધીજીની નજરકેદનાં આ વરસોનો ઇતિહાસ તેમની રમ્ય શૈલીમાં ‘બાપુના કારાવાસની કહાણી’ પુસ્તકમાં આ પ્યો છે. આ ચોપડી જરા જુદી બાજુએથી તેમાં જોવા જેવો ઉમેરો કરે છે. પરંતુ તેની ખાસ નજરમાં આવતી બાજુ તો લેખિકાને ગાંધીજીએ જે તાલીમ આપી તે છે. એમાં શિક્ષણ-રસવાળા વાચકોને ગાંધીજી એક શિક્ષક તરીકે કામ કરતા જોવા મળશે. પરંતુ શાળાના શિક્ષક તરીકે તે કામ નથી કરતા. તે ત્યાં આગળ પોતાનું ઘર ચલાવનાર એક વાલી તરીકે કામ કરે છે અને તે દ્વારા બાળકોને ને સૌને શિક્ષણ આપતા અને પોતે લેતા જોવા મળે છે. બાળક શાળામાં જ નહીં, ઘરમાં અને તેમાં ચાલતાં કામો મારફતે − માતા પિતા તથા સાથે રહેતાં ભાઈભાંડુ સૌના સંસર્ગ મારફતે, તેઓનાં કામોમાં યથાશક્ય સહકાર કે મદદ કરવામાંથી − પણ કેળવાય છે. અને એ વસ્તુમાં રહેલું શિક્ષણ સચોટ હોય છે. એ શિક્ષણ એવું છે કે, જેવું ઘર ને તેનાં માણસો તેવું તે થશે. તે બધાં જે રીતે કામકાજ કરતાં હશે, તેવું તે બાળકનું સહજ-શિક્ષણ ચાલવાનું. બાળકોને આપમેળે જ તે તાલીમ અને સંસ્કારો આપશે. એમાં જેટલો જાગ્રતભાવ હશે તેટલું એ સારું થશે; તે નહીં હોય તેટલું તે વિચારશુદ્ધ નહીં બને, છતાં તે પોતાનો સહજ પ્રભાવ તો પાડશે જ.’

રસપ્રદ અને એકબીજા સંગાથે રસપૂર્વક સંકળાયેલા કુલ 43 પ્રકરણો અને 252 પાનમાં પથરાયું અ પુસ્તક વાચકને સતત જકડી રાખે છે. સાદી, સરળ ગુજરાતી તેમ જ ટૂંકા વાક્યો તે આ પુસ્તકની વિરાસત છે. પહેલું પ્રકરણ ‘શીળી છાયામાં’ રજૂ થયું છે. મનુબહેન કેવી ભૂમિકા વચ્ચે બા બાપુ પાસે જઈ પહોંચે છે, તેની રોચક વાત અહીં છે. સેવાગ્રામમાં બાપુ જોડે મનુબહેન પહોંચ્યાં અને બાપુએ કસ્તૂરબાને હવાલો સોંપતા જ કહી દીધું : ‘લે, તારા માટે એક દીકરીને લાવ્યો છું. હવે એને બરાબર સાણસામાં રાખજે કે છટકી ન શકે.’ તાકડે મનુબહેનની નોંધ કહે છે : ‘ઉપલા શબ્દો આજે જ્યારે મારી નોંધપોથીમાંથી મને વાંચવા મળે છે ત્યારે જાણે કે એકએક શબ્દની આગાહી બાપુએ તે વખતે કહી દીધી હતી એમ લાગે છે. હું બે મહિનાનું વૅકેશન ગાળવા પૂરતી જ સેવાગ્રામ ગયેલી, પણ કોઈ પૂર્વજોના પુણ્યના પ્રતાપે બંનેની આખરી સેવા કરવાનું મને મળ્યું.’

આ પુસ્તકમાંથી પસાર થતી વેળા વાચકને એક વાતનું સતત અચરજ રહે છે : વાત છો એક મહાત્માની હોય, એક તપસ્વી સતીની હોય, પણ આ ચોપડીને પાને પાને કુટુંબવત્સલ, સંસ્કારપ્રિય, સદાચારી, સૌજન્યશીલ, પરગજુ માણસનાં ચિત્ર ઉપસી આવે છે. બીજાં માટેનાં અનુકંપા, સમજણ, સૌહાર્દ તેમ જ સતત સર્વસમાવેશક જીવનનો પાસ આ બે માણસમાં દેખા દે છે. આ સંપૂર્ણપણે અસામાન્ય દંપતી કેવાં આસાન, સરળ, માણસભૂખ્યાં ને વળી સ્વાશ્રયી છે તેની પરખ મળે છે. આગાખાન મહેલમાં એમને સારુ યરવડા જેલમાંથી કેદીઓ લવાતા. તે દરેક માટે બાને જે ભાવ રહેતો, જે અનુકંપા રહેતી તે તો સમળૂગી કલ્પાનીત છે. વળી, સરોજિની નાયડુ, મીરાંબહેન, કિશોરલાલ મશરૂવાળા, સુશીલાબહેન નય્યર, પ્યારેલાલ, ગિલ્ડર, જેવાં જેવાં અનેક મુઠ્ઠી ઊંચેરા આગેવાનો કંઈ કેટકેટલી માણસાઇથી ભરેલાં હતાં તે વાંચતાં તો રોમાંચક થઈ જવાય છે.

બા અને બાપુના કેટકેટલા સંવાદો પાયાની કેળવણી સમાન વર્તાય છે. ફ્રૉક પહેરવું, સાડી પહેરવી, ભોજન વેળા પાણીનો લોટો ભરી લેવાની વાત હોય. મનુબહેન કહે છે તેમ, ‘ઝીણી ઝીણી ટેવો કેટલી સૂક્ષ્મતાથી અને ટૂંકમાં સમજાવી શકતાં’.

આ પુસ્તકમાંથી પસાર થતાં, એક બીજી અગત્યની વાત પકડાયા વગર રહેતી નથી : કસ્તૂરબાની ‘સિક્સ્થ સેન્સ’; અને કેટલાક દાખલામાં બાપુની સામે કસ્તૂરબાને જે સમજાય છે, દેખાય છે તે વિશેષપણે વાસ્તવમાં જોવાઅનુભવવા મળે છે ! આગોતરા ને ત્રીજા પ્રકરણમાં મનુબહેન જ નોંધે છે : ‘બાપુજીએ પોતે જ ઠરાવો કર્યા, ભાષણો આપ્યાં, છતાંયે બાપુજીની ગણતરી ખોટી પડી ! અને માત્ર છાપાંઓ પરથી કરેલ અભણ બાનું અનુમાન તદ્દન સાચું પડ્યું અને બધાને જેલ જવું પડ્યું !’

મહાદેવ દેસાઈ તેમ જ કસ્તૂરબાના દેહવિલય વેળાની તાદૃશ વાત મનુબહેને લખી જ છે અને બા બાપુની માનવસહજ સમજણને ઉજાગર કરી છે. નાગપુરની જેલમાંના સુપરિન્ટેન્ડેન્ટનું ચિત્રણ બહુ જ સરસ થયું છે. એમની લાક્ષણિકતા અને સમજણની વાચક તારીફ કર્યા વિના રહી શકતો નથી.

‘જેલમાં ભણતર’ નામક પ્રકરણમાં તો કરકસર બાબતની ભારે પાયાગત બાબતો ચર્ચાઈ છે. ભૂમિતિ શીખવવા માટે મનુબહેને દોઢ રૂપિયાને ખર્ચે ચોપડી મગાવી. અને બાપુએ આપણને દરેકને પણ શીખવા, અનુસરવા લાયક ભારે અગત્યની સમજ આપી. મનુબહેન નોંધે છે : ‘સાંજ પડી. બાપુ અને અમે બધા બહાર ફરવા નીકળ્યાં. ફરી નોટબુક પ્રકરણ ઊપડ્યું, “તું સમજીને, એમાંથી તને કેટલો મોટો પાઠ મળ્યો ? (૧) એ દોઢ રૂપિયો કોણ આપે છે ? કોને ચૂસીને આ બધું ખર્ચ પૂરું પડાય છે ? એ બધા ખર્ચનો પૈસો કંઈ વિલાયતથી નથી આવતો. એટલે એમાં મેં તને ઇતિહાસ શીખવ્યો. (૨) અને જોઈએ તે કરતાં વધુ કોઈ પણ જાતની સગવડ મળતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે માનવતાનાં ઘણાં લક્ષણોમાંનો એક ગુણ શીખવ્યો. (૩) અને પડેલી ચીજનો સુંદર ઉપયોગ થશે. એ તારીખિયાં અમસ્તાં ફેંકાઈ જાત તે હવે જો તારા ઉપયોગનાં હશે તો સંઘરાશે. અને નહીંતર ફેંકાય તો ય એનો ઉપયોગ થયા પછી ફેંકાય, તેમાં કશી હરકત નથી. (૪) વળી કદાચ તારે બહાર જવાનું થાય તો પાકા પૂંઠાની આટલી સુંદર નોટબુક અને તેમાં દાખલા ગણ્યા હોય અને તું શાળામાં ભણવા જાય તો કદાચ ચોરાઈ પણ જાય, (અમારા વખતમાં ઘણી વખત એમ બનતું) એટલે આવાં તારીખિયાં કોઈને ય ચોરવાનું મન ન થાય. બોલ આ સહુથી મોટો ફાયદો થયોને ?”

આપણે સરકારમાં, જાહેર જીવનમાં તેમ જ ખાનગી જીવનમાં નકરો બગાડ કરીએ છીએ ત્યારે આ ઘટના આપણને સૌને ને દરેકને ભારે મોટી કેળવણી આપી જાય છે.

કસ્તૂરબાનો એક ભાતીગળ પ્રસંગ લેખિકાએ ‘સાચું સ્વદેશી’ પ્રકરણમાં લીધો છે. આ પ્રકરણનો મહદ્દ અંશ આમ છે :

હું દૂધ ગાળતી હતી. મોટીબા કહે : ‘મીરાની તબિયત કેમ છે ?’

મેં કહ્યું : ‘મને કપડું મળતું ન હતું તેથી એમને પૂછવા ગઈ હતી, પણ ઊંઘતાં હતાં એટલે મેં જગાડ્યાં નહીં.’

મોટી બા કહે : ‘ત્યારે આ કપડું ક્યાંથી લીધું ? શામાંથી ફાડ્યું ? ધોયું હતું કે નહીં ?’

મેં કહ્યું : ‘કરાંચીના પારસલમાં જેની અંદર ખજૂર બાંધેલું હતું તે કપડું છે. કપડું તદ્દ્ન નવું મેં ધોઈને સાચવી મૂક્યું હતું. ફરી અત્યારે ધોઈને જ આ દૂધ ગાળું છું.’

મોટીબાએ એ કપડાને હાથમાં લીધું. કપડું બરાબર ઊંધું સીધું ફેરવીને જોયું. પણ કપડું હતું મિલનું. ‘આ મિલના કપડાથી બાપુજીને પીવાનું દૂધ ગળાય કે ? આ તો મિલનું કપડું છે. બાપુજીને ખબર પડે કે મિલના કપડાથી ગાળ્યું છે તો એમનું મન દુભાશે. આપણી પાસે ખાદીના કકડા ક્યાં ઓછા છે ? આપણાથી આપણા ઉપયોગમાં મિલનું કપડું કેમ જ વપરાય ? જો કદાચ મિલના કપડાથી જ આપણી ગરજ સરતી હોય તો એવી ગરજનો ત્યાગ કરવો જોઈએ. પણ મિલના કે વિલાયતી કપડાથી આપણો સ્વાર્થ ન જ સધાય. તું જાણે છે કે મિલનાં કપડાં દેખાવમાં ઝીણાં લાગે છે. તેથી ઘણી વખત એમ મનાય છે કે ગાળવા કે એવા ઉપયોગને સારુ એ ઉત્તમ છે. પણ એ તદ્દન ખોટું છે. ખાદીનું જાડું કપડું હશે છતાં ય ખાદીના વણાટમાં એવાં છિદ્રો રહેલાં છે કે એ કપડું મિલના કપડા કરતાં ઉત્તમ કામ આપે. આજે તો તને એમ થયું હશે કે, આ કપડાથી સારું ગળાશે; અને ગાળવામાં શી હરકત ? કપડું પહેરવું હોય તો વાંધો. પણ આ મોટી ભૂલ છે. આજે તો તેં દૂધ ગાળ્યું અને કાલે તો તને થશે કે કેવું મુલાયમ લાગે છે, ચાલને પહેરી લઉં ! એટલે ત્યાં મન ડગે. વળી મિલના કપડાથી ગાળેલું દૂધ પેટમાં જાય એટલે ઝીણી નજરે એ એક જાતનું પાપ પેટમાં ગયું કહેવાય. આપણે તો સ્વદેશીની પ્રતિજ્ઞા છે. વળી બાપુજી કેવા પ્રતિજ્ઞાશાળી છે ? એટલે તને તો આવી કંઈ ખબર ન જ હોય. તેં તો સ્વચ્છ અને ઝીણો કટકો જોઈને વાપર્યો. પણ તને હવે પછી ચેતવવા અને શીખવવા કહું છું. પ્રતિજ્ઞા તો પાળનાર હોય કે પળાવનાર હોય. (તું અત્યારે મારી કે બાપુજીની પ્રતિજ્ઞા પળાવનાર છો.) એટલે તું કદાચ બકરીના દૂધને બદલે ભેંસનું દૂધ બાપુજીને આપી દે. બાપુજી તો દોષમાં નથી પડતા, પણ તું પડે છે. એટલે બંનેએ પ્રતિજ્ઞાને સુક્ષ્મ રીતે સાચવવી જોઈએ. તો જ એ પ્રતિજ્ઞા સાચી. બાકી તો સગવડિયા ધર્મ જેવો નર્યો દંભ જ કહેવાય. હવે ફરીથી ખાદીના કકડાથી દૂધ ગાળી લે અને આ ઉપરથી બરાબર સાવચેતી રાખજે.’

મેં બધું દૂધ ફરી ખાદીના કટકાથી ગાળી લીધું. પણ પ્રતિજ્ઞાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે કેમ પાલન કરવું એ સમજાયું, અને મિલના કટકાથી ગાળેલું દૂધ ફરી ખાદીના કટકાથી બાએ ગળાવ્યું, એવા સમજપૂર્વકના ખાદીના આગ્રહના બનાવની બાપુજીને મેં વાત કહી.

બાપુજી કહે : “ભલે બા અભણ છે, પણ મારી દૃષ્ટિએ જેટલું એ પામી છે, જેટલું એ સમજી છે, એનું સૂક્ષ્મ પૃથક્કરણ એ કરી શકે છે. અને ઘણી વખત હું માનું છું કે, જેમ કૉલેજમાં કોઈ ખાસ વિષયના પ્રોફેસરો ખાસ વિષયો ઉપર અણિશુદ્ધ અને ભાવનામય વ્યાખ્યાન છોકરાઓને આપી શકે, તેમ બાએ પણ સમજપૂર્વક જેટલું પચાવ્યું તેમાં શ્રદ્ધાની સાથે જ્ઞાન ભેળવીને આજે તને ખાદીનું આટલું મહાતમ સંભળાવ્યું. જેમ એકાદશીમહાતમ તારી પાસે બા દરેક એકાદશીને દિવસે વંચાવે છે, તેમ આ પણ એક પવિત્ર ખાદી મહાતમ છે. જો ઘરમાં માતાઓ પોતાનાં બાળકોને આવી કેળવણી આપતી થઈ જાય તો મને પૂર્ણ સંતોષ છે. આમાં નથી કંઈ અંગ્રેજી, ભૂમિતિ કે બીજગણિત શીખવાની જરૂર. કેવળ શ્રદ્ધા જોઈએ. પણ એ શ્રદ્ધા જ્ઞાનપૂર્ણ હોવી જોઈએ.

વારુ! કેવાં કર્મઠ, ઊંડાણભરી અને વળી સાધનશુદ્ધિની પાયાગત સમજણ અને સ્વીકાર. આપણે દરેક આમ રોજ-બ-રોજ જીવતાં થઈ જઈએ તો, … કમાલની વાત બને !

કસ્તૂરબાના અવસાનનું પ્રકરણ ઘણું કહી જાય છે. બા ભારે માંદગીને લીધે બીછાને છે. મરણની ઘડીઓ હતી. અને બા બાપુની સગવડ સાંચવવાની સૂચનાઓ લેખિકાને આપતાં જ રહ્યાં છે. ચોપાસ અનેક છે અને એકાએક અંતે, ‘બાપુજી’ કહી એમને બોલાવે છે. ગાંધીજી હસતા હસતા આવ્યા. કહે, ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી ?” એમ કહી જયસુખભાઈ ગાંધીની જગ્યાએ બેઠા. ધીમેથી માથે હાથ ફેરવે છે. બાપુજીને કહે, ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુ:ખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો શ્વાસ રૂંધાયો. … સૌ રામનામ લેતાં હતાં. એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથૂં મૂકી કાયમની નિદ્રા લીધી !

મનુબહેન લખે છે : ‘બાપુજીની આંખમાંથી બે ટીપાં આંસુનાં પડી ગયાં. ચશ્માં કાઢી નાખ્યાં. હું તો બાઘાની જેમ જોઈ રહી. શું ઘડી પહેલાનો મોટીબાનો પ્રેમાળ અવાજ હવે નહીં સંભળાય ? માણસ બે જ ક્ષણમાં આમ ચાલ્યું જાય છે, એ દૃશ્ય મારી જિંદગીમાં આ પહેલું જ હતું.

બા બાપુની શીળી છાયામાં મનુબહેનનું જે ઘડતર થયું છે તેનો, ભલા, જોટો ક્યાં પણ જડે ? કદાચ નહીં! … આમ, આ એક બહુ અગત્યનું પુસ્તક. કદાચ અનેક રીતે ઐતિહાસિક પણ.

હૅરો, 09 જુલાઈ 2017

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

શબ્દ સંખ્યા : 2075

[પ્રગટ : "नवजीवनનો અક્ષરદેહ", વર્ષ – 05; અંક – 07-09; જુલાઈ-સપ્ટેમ્બર 2017; પૃ. 254 – 255]

Loading

...102030...3,3813,3823,3833,384...3,3903,4003,410...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved