Opinion Magazine
Number of visits: 9584500
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શબ્દો : સાવચેતી અને સમજથી વાપરવા જેવા, બદલવા જેવા કે પછી સાવ છોડી દેવા જેવા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 May 2017

શબ્દોના ઐતિહાસિક, રાજકીય, સામાજિક પાસાં રસપ્રદ હોય છે …

હમણાં શાળા-કૉલેજોમાં ઉનાળાની રજાઓ પડી. નિવૃત્ત થઈ રહેલાં શિક્ષકો-અધ્યાપકોના વિદાય સમારંભ થયા. અધ્યાપકોના વિદાય સમારંભમાં કહેવામાં આવતું હોય છે કે તેમણે સંસ્થાને ‘દીર્ઘકાળ સેવા આપી છે’. આ ‘સેવા’ તેમણે દર વર્ષે આઠેક અઠવાડિયાનાં વેકેશન, રવિવાર અને અન્ય રજાઓ ભોગવીને કરી હોય છે. તેમાં દરેક વર્ષે અને દર દસ વર્ષે તેમને પગાર વધારો મળ્યો છે. છતાં તેમણે કરેલી નોકરીને ‘સેવા’ ગણીને બિરદાવવામાં આવે છે. સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓએ પણ વર્ષો સુધી પૂરા પગાર અને તમામ લાભ સાથે કરેલી નોકરીની બાબતે પણ ‘સેવા’ શબ્દ વપરાય છે. આ બધાએ કરેલી નોકરીની નિષ્ઠાની સામે સવાલ કર્યા વિના પણ એમ પૂછવાનું થાય કે એને ‘સેવા’ કહેવાય ખરી ?

જો એ સેવા હોય તો વધારે જોખમ-જવાબદારી-જિગર અને ઓછાં પગાર-સગવડ-રજાઓ સાથે ફરજ બજાવનારા લશ્કરના સૈનિકો જે કરે છે એને શું કહેવાય ? એને આપણે ફરજ કહીએ છીએ. ખરેખર તો આપણા જવાનોને અને મોટાભાગના શ્રમજીવીઓને તેમના કામના પ્રમાણમાં જે નજીવું વળતર મળે છે તેને જોતાં તેઓ ‘સેવા’ આપી રહ્યા છે એમ જ કહેવું પડે. વળી સમાજ પાસેથી વ્યાજબી વેતન લઈને કરવામાં આવતું કામ એ સેવા હોય તો રવિશંકર મહારાજે જે કર્યું તેને શું કહેવાય ? અરે હા, પોતાના નામ પહેલાં એક નહીં, બે વખત શ્રી લગાડતા  તેમ જ યમુનાનો પટ ગંદો કરતા ધનાઢ્ય ગૉડમૅનના જમાનામાં આ રવિશંકર શબ્દ પણ ગુજરાતમાં સાચવીને વાપરવો પડે એમ છે.

બીજો એક ધ્યાનથી વાપરવા જેવો, ખરેખર તો ટાળવા જેવો શબ્દ છે ‘પ્રજા’. દુનિયામાંથી રાજાશાહી શાસનવ્યવસ્થાનો એકંદરે અંત થયો છે. પ્રજા શબ્દ રાજાશાહી સૂચવે છે. લોકશાહી અર્થાત્‌ ‘ડેમૉક્રસી’ શબ્દમાં ‘ડેમોસ’ એવા ગ્રીક શબ્દનો અર્થ સર્વસામાન્ય લોકો એવો થાય છે. ભારતના બંધારણના આમુખમાં લોકતંત્ર શબ્દ છે. આ ‘લોક’ મહત્ત્વનું છે. તે અ-લૌકિક કે દૈવીની વિરુદ્ધનું એટલે કે માનવીય છે. લોકવિદ્યા, લોકકલા, લોકસાહિત્ય, લોકસંગીત જેવા શબ્દોમાં ‘લોક’ છે, પ્રજા નહીં. જનતા શબ્દમાં પણ જન સમાયેલાં છે. એટલે ભારતના એક સમર્પિત  સંગઠનનું નામ ‘જનઆંદોલનોં કા રાષ્ટ્રીય સમન્વય’ એવું છે. જયપ્રકાશ નારાયણની ચળવળ પ્રજાઆંદોલન નહીં પણ જનઆંદોલન કે લોકઆંદોલન કહેવાય છે. આ ‘લોક’નો એકડો આપણા શાસનતંત્ર તેમ જ જાહેરજીવનમાંથી ભૂંસાતો જાય છે.

ખરેખર તો આપણે ભૂંસવાની જરૂર છે સ્ત્રીઓ વિશે આપણે ત્યાં વપરાતાં શબ્દો, રૂઢ પ્રયોગો અને કહેવતો. ‘સતી’ શબ્દ સ્ત્રીની મહત્તા માટે વપરાય છે. પણ તે આપણા દેશમાં લોકજીભે ચઢ્યો છે તે પતિ પાછળ પત્ની ચિતા પર ચઢે તે બદીને કારણે. આ જોરજુલમથી જ થતું અને પછી તેને મહાનતાનાં લોહિયાળ વાઘાં પહેરાવવામાં આવતાં. ક્યાંક સ્ત્રી સ્વેચ્છાએ સતી થયાની વિવાદાસ્પદ આધાર સાથેની નોંધ હોય તેમાં પણ સ્ત્રીના મનનું સામાજિક અભિસંધાન (સોશ્યલ કન્ડિશનિન્ગ) હોય. ‘સતો’ શબ્દ કે વિભાવના નથી એ જ હકીકત સતીના રિવાજની ક્રૂર પુરુષકેન્દ્રિતા બતાવે છે. સતી શબ્દ ભાષામાંથી નીકળી જાય તે બેહતર છે.

વૈધવ્ય અને તેની સાથે સંકળાયેલા શબ્દો આપણે ત્યાં ઘણી વખત વપરાય છે. ‘બોડી બામણીનું ખેતર’, ‘રાંડ્યા પછીનું ડહાપણ’, ‘બોડીને ત્યાં વળી કાંસકી કેવી?’, ‘છાતી પીટતી વિધવાઓ જેવો કકળાટ’ જેવાં રૂઢ પ્રયોગો સમાજના એક હિસ્સાએ વિધવા સ્ત્રીની જિંદગી દોજખ બનાવી હતી તે જમાનાના છે. હવે આપણે ખુદને સુધરેલા સમાજના ગણાવતા હોઈએ તો એ સ્ત્રીઓ માટેનાં અપમાનજનક એક્સપ્રેશન્સને વિદાય આપવી જોઈએ. બાઈઓ, બૈરું, બૈરાં, બાયડી, બૈરાંની-બુદ્ધિ-પગની-પાનીએ, દીકરી-ને-ગાય-દોરે-ત્યાં-જાય એવી  તુચ્છકારવાળી ભાષા આપણે જ્યારે વાપરીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી માતા કે બહેનો પણ સ્ત્રી જ છે. તદુપરાંત ‘અબળા’ અને ‘પુરુષ સમોવડી’ પ્રયોગો બિલકુલ છોડી ન દઈ શકાય ? ‘ભગીરથ પ્રયાસ’, ’પ્રથમ પુરુષ એકવચન’ અને ‘પુરુષાર્થ’ જેવા પ્રયોગોના વિકલ્પો વિચારી શકાય ?  વળી ‘વેશ્યા’ અને ‘કુંટણખાના’ને બદલે સેક્સ વર્કર અને બ્રૉદેલ કેમ ન વાપરી શકીએ ? અંગ્રેજી કે સંસ્કૃત ભાષા શબ્દોથી સૂચવાતી અણગમતી બાબતોને સોજ્જી અથવા સોફિસ્ટિકેટેડ રૂપે રજૂ કરે છે એવું આપણે માનીએ છીએ. જાજરુ-મૂતરડી-સંડાસના શબ્દોને બદલે ટૉયલેટ કે વૉશરૂમ, શૌચાલય કે સ્વચ્છતાગૃહ શબ્દો વાપરીએ છીએ. સંસ્કૃત અને અંગ્રેજી બંને સત્તાધારીઓની ભાષા રહી હતી. એક બ્રાહ્મણોની અને બીજી બ્રિટિશરોની. આ બંને વર્ગોની આપણા સમાજમાનસ પરનાં સીધાં કે આડકતરાં, સભાન કે અભાન આધિપત્યને પરિણામે જે તે ભાષાના રોજબરોજ બોલાતા શબ્દોની જગ્યાએ સંસ્કૃત કે અંગ્રેજી શબ્દોનો સહારો લઈએ છીએ. અહીં મૂળ ધારણા એવી છે કે આ બંને ભાષા સંસ્કારિતાની નિર્દેશક છે.

શબ્દોને તથાકથિત સંસ્કારિતાનો રંગ આપવા આપણે ક્યારેક પ્રશિષ્ટ ભાષા સંસ્કૃતનો સહારો લઈએ છીએ. જેમ કે, અંધ માટે પ્રજ્ઞાચક્ષુ, કે શરીર વેચીને જીવનારી સ્ત્રી માટે રૂપજીવિની, અને બહુ જ વિવાદાસ્પદ રીતે અપંગ માટે દિવ્યાંગ. અંગ્રેજી ભાષા યુરોપની પ્રશિષ્ટ ભાષા લૅટિનનો સહારો નથી લેતી, પણ તે આવકાર્ય  વિકલ્પો અંગ્રેજીમાં જ આપે છે. જેમ કે, કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા માણસ માટે અર્થપૂર્ણ શબ્દ છે ‘ચૅલેન્જ્ડ’. એમાં ભાવ એ છે કે વિકલાંગતાને કારણે જિંદગી એક પડકાર હોવાનો, તેમાં દિવ્યતા-ફિવ્યતા જેવું અષ્ટમ-પષ્ટમ કશું નથી. એટલે ‘બ્લાઇન્ડ’ ને બદલે ‘વિઝ્યુઅલિ ચૅલેન્જ્ડ’, રિટાર્ડેડને બદલે ‘મેન્ટલિ ચૅલેન્જ્ડ’ શબ્દો વાપરવા જેવા છે. એકંદર અપંગ માટે અંગ્રેજીમાં બીજા બે હકારાત્મક શબ્દો છે ‘ડિફરન્ટલિ એબલ્ડ’ અથવા ‘સ્પેશ્યલી એબલ્ડ’ ! ‘ત્રીજા/ચોથા વર્ગના કર્મચારી’, ‘પટાવાળા’, ‘નોકર’, ‘રામા’ જેવા શબ્દોને બદલે ‘સેવકો’, ‘મદદ કરનાર’ જેવા શબ્દો ન આવે ?

‘સપોર્ટ સ્ટાફ’ એવો શબ્દ છે. કચરો વાળનારા માટે સફાઈ કર્મચારીથી લઈને સફાઈકર્મી, સ્વચ્છતાસેવક કે આરોગ્યદૂત ચલણમાં ન મૂકી શકીએ ? પત્ની કે ઘર સંભાળનાર સ્ત્રી માટે આપણે ત્યાં ગૃહિણી અને અંગ્રેજીમાં ‘હોમમેકર’ શબ્દ છે. અંગ્રેજી ભાષામાં જેન્ડર-ન્યુટ્રલ એટલે કે લિંગ નિરપેક્ષ શબ્દોના ઉપયોગનો પ્રયત્ન કરવામાં આવે છે.  એની પાછળ ખ્યાલ એમ છે કે એવા શબ્દો ટાળવા જોઈએ કે જે જરૂર ન હોય ત્યાં પણ સ્ત્રી-પુરુષોનો ભેદ પાડે, સ્ત્રીને બીબાંઢાળ બંધનકર્તા ભૂમિકામાં બતાવે કે કોઈ પ્રવૃત્તિ/હોદ્દો માત્ર પુરુષને જે સિદ્ધ હોય એવા માનસ પર આધારિત હોય. એટલે ‘પોએટેસ’ને બદલે પોએટ છે, અને ઍક્ટ્રેસને બદલે ઍક્ટર. ચેરમાં હંમેશાં મૅન જ શા માટે હોય ?  એટલા માટે  ચેરપર્સન , અને રમતગમત  કંઈ પુરુષોનો ઇજારો નથી એટલે સ્પોર્ટસપર્સન. જો કે આપણે ત્યાં પ્રતિભા પાટીલ દેશના સર્વોચ્ચ સ્થાને હતાં ત્યારે ય તેમના માટે લગભગ બધે રાષ્ટ્રપતિ શબ્દ જ ચાલુ રહ્યો હતો. રાષ્ટ્રપ્રમુખ  શબ્દ હોવા છતાં !

03 મે 2017

+++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની “નવગુજરાત સમય” માંહેની સાપ્તાહિક કટાર, 12 મે 2017

Loading

જે શહીદ થાય તે જ દેશભક્ત કહેવાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 May 2017

ગુજરાતીઓ સૈન્યમાં જોડાતા નથી એવું મહેણું બહુ જૂનું છે, એટલે ‘કેટલા ગુજરાતી શહીદ થયા?’ એવો ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનો કટાક્ષ ઘા ઉપર મીઠું ભભરાવવા જેવો છે, પરંતુ ગુજરાતીઓએ એનાથી નારાજ થવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. યાદવનું નિશાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદના નામ ઉપર ચાલતી રાજનીતિ હતી અને એની સામે સવાલ કરતા કહ્યું, ‘યુપી, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત હર જગહ સે શહીદ હુએ હૈ, ગુજરાત કા કોઇ જવાન શહીદ હુઆ હો તો બતાઓ.’

તથ્યોના આધાર પર અખિલેશનું વિધાન ગલત છે. ‘દિવ્ય ભાસ્કર’ની ઓનલાઇન આવૃત્તિમાં ગુજરાત સરકારની સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરીના પ્રગટ થયેલા આંકડા પ્રમાણે 1965થી અત્યારે સુધીમાં 86 ગુજરાતી સૈનિકો શહીદ થયા છે. આમાં કારગિલ યુદ્ધ (1999) પછી શહીદ થયેલા ગુજરાતીઓની સંખ્યા 50 છે.  જો કે, અખિલેશે જે ‘સળી’ કરી છે તે પેલી પ્રચલિત માન્યતા પર આધારિત છે કે ગુજરાતીઓ ‘મની માઇન્ડેડ’ છે અને ‘દાળ-ભાતિયા’ છે.

એને સૈન્યમાં બીજા પ્રદેશના લોકોના પ્રતિનિધિત્વ સાથે જોડો એટલે દાખલો એવો બેસે કે અન્ય રાજ્યોના સૈનિકો દેશની રખેવાળી કરતાં કરતાં શહીદી વહોરે છે ત્યારે ગુજરાતીઓ એમનું બેન્ક બેલેન્સ તગડું કરવામાં વ્યસ્ત હોય છે. આમાંથી જ એ માન્યતાએ જન્મ લીધો છે કે ગુજરાતીઓ સૈન્યની આકરી કારકિર્દીને બદલે ધંધા-વેપારનો સુંવાળો વ્યવસાય પસંદ કરે છે. આમાં ભાવ એવો અભિપ્રેત છે કે પૈસા બનાવવા એ સ્વાર્થી પ્રવૃત્તિ (અને એટલે ક્રાઇમ) છે અને સરહદ પર લડવું એ સેવા છે (અને દરેકની ફરજ છે).

આવા કુતર્કના આધારે એવી ‘ગાળ’ આપવામાં આવે છે કે ગુજરાતી મા-બાપો એમના દીકરાને સરહદ ઉપર મોકલવાને બદલે ગલ્લા પર બેસાડે છે. રાહુલ ધોળકિયાએ શાહરુખ ખાનની (અમદાવાદના ડોન લતીફ આધારિત) ફિલ્મ ‘રઇસ’માં આ જ માન્યતા આગળ ધપાવી હતી, જેમાં ‘લતીફ’ એક જગ્યાએ કહે છે, ‘અમ્મીજાન કહેતી થી, કોઇ ધંધા છોટા નહીં હોતા, ઔર ધંધે સે બડા કોઇ ધર્મ નહીં હોતા.’ પહેલા તો ગુજરાતીઓએ આ મહેણાથી નારાજ થવાની જરૂર નથી, કારણ કે દેશપ્રેમ બતાવવાની એક માત્ર સાબિતી સૈન્યની નોકરી કે શહીદી નથી.

બીજું, સૈન્યમાં ગુજરાતીઓ ઓછા છે તે વાત સાચી છે, અને તેનાં ઠોસ કારણો છે. બીજી વાત પહેલા. સૈન્યમાં કેટલા ગુજરાતી છે તેના અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી, કારણ કે સરકાર (કે સૈન્ય) પ્રાદેશિક જાતિ પ્રમાણે આંકડા રાખતી નથી. જેનો રેકોર્ડ મળે છે તે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશ બ્રિટિશરાજ સમયની ‘માર્શલ રેસ’ (લડાયક જાતિ) પરંપરામાં આવે છે.

2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ડેપ્યુટી પ્રધાનમંત્રી એલ. કે. અડવાણીએ ભારતીય સેનામાં ગુજરાત રેજીમેન્ટ ઊભી કરવાની માગણી કરી હતી, તેને ફગાવી દેતાં તત્કાલિક રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે કહ્યું હતું કે સ્વતંત્રતા પછી સેનાએ કોઇ જાતિ, સમુદાય કે બીજી કોઇ ઓળખના આધારે રેજીમેન્ટ બનાવવાનું બંધ કર્યું છે અને શીખ, ગોરખા કે ડોગરા જેવી ‘સિંગલ ક્લાસ’ રેજીમેન્ટ બ્રિટિશ પરંપરાના ભાગરૂપે જ રાખવામાં આવી છે. એટલે ગુજરાતીઓ એ જ કારણથી ઓછા છે, જે કારણથી તમિલિયનો કે કન્નડો ઓછા છે: રેજીમેન્ટનો અભાવ.

બીજું, કાળજીપૂર્વકનું આયોજન કહો કે અકસ્માત, આઝાદી પછી આર્થિક સત્તા પશ્ચિમ ભારત તરફ ખસી, રાજકીય ગઢ મધ્યપૂર્વ ભારતમાં મજબૂત થયો, વહીવટી ક્ષમતા દક્ષિણના નિયંત્રણમાં આવી અને સૈનિક તાકાત ઉત્તરમાં કેન્દ્રિત થઇ. એટલે દેશને ચલાવવા માટે એક રાજકારણીને કેરળના કુશળ વહીવટદારની, પંજાબના જાબાંઝ સૈનિકની અને ગુજરાતના ધંધાદારીની આવશ્યકતા રહે છે, અને આ ચારેય ‘ભારત’ નામની ઓળખ બતાવે છે.

એટલે, મહેણાની વાત કરીએ તો, ગુજરાતનો વેપારી દેશની તરક્કી અને ઇજ્જતમાં એટલો જ સહયોગ આપે છે, જેટલો ભોગ મરાઠા લાઇટ ઇન્ફંટ્રી કે રાજપૂતાના રાઇફલ્સ આપે છે. ભારતીય સૈન્ય જેવી સેક્યુલર ફોર્સ બીજી કોઇ નથી, અને એનો જશ બ્રિટિશરોને જાય છે જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આવતા પહેલાં અંદરો-અંદર લડતા ભારતના વિભાજિત લશ્કરોને પ્રોફેશનલ આર્મીની છત્રી નીચે એકઠા કરીને એમને ‘ખાધે-પીધે’ એટલા સુખી અને સમૃદ્ધ બનાવી દીધા કે એમને દેશમાં ચાલતી વહીવટી કે રાજકીય માથાકૂટમાં રસ લેવાની જરૂર ન રહી.

હકીકત એ છે કે એક સામાન્ય માણસ સૈન્યમાં જોડાય છે તેની પાછળ માત્ર ને માત્ર કોઇ કટ્ટર રાષ્ટ્રભક્તિ કે દેશસેવા નહીં પરંતુ સામાજિક ઇજ્જત, ઉચિત આમદની અને જીવનભરના પેન્શનની સુવિધાની ભાવના પણ હોય છે. એમાં જીવનું જોખમ છે તે સાચું, પરંતુ એને દેશભક્તિ સાથે જોડવા કરતાં વ્યાવસાયિક જોખમ ગણવું વધારે ઉચિત છે. જે લોકો એને દેશભક્તિની સાબિતી ગણે છે તે લોકો સૈન્યને રાજકીય રંગ ચઢાવીને એની વ્યાવસાયિક કુશળતાને હાનિ પહોંચાડી રહ્યા છે.

રાષ્ટ્રભક્તિની પહેચાન શૂરવીરતા કે શહીદીમાં જ નથી, પણ પોતાના પરિવાર, પ્રદેશ અને સરકાર પ્રત્યેની પ્રામાણિક જવાબદારીમાં છે. એ રીતે એક વિજ્ઞાની, રમતનો ખેલાડી, શિક્ષક કે એક વેપારી એટલો જ રાષ્ટ્રભક્ત છે, જેટલો એક વફાદાર અને ઇમાનદાર સૈનિક હોય છે. એમ તો મહાત્મા ગાંધી સરહદ પર જઇને લડ્યા ન હતા, અને છતાં એમને રાષ્ટ્રભક્તોમાં ઊંચા રાષ્ટ્રભક્ત ગણવામાં આવે છે. એ રાષ્ટ્રભક્તિ એમના ડહાપણ, પ્રામાણિકતા અને જવાબદેહીમાંથી આવતી હતી. એટલા માટે જ એમને ‘અહિંસાના સૈનિક’ એવું નામ પણ મળ્યું હતું. આ ‘સૈનિક’ ગુજરાતી જ હતા, એ ઓછું છે?

જેસી કૃષ્ણ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 21 મે 2017

Loading

સાર્થ જોડણીકોશઃ મહિમા અને મર્યાદા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|20 May 2017

પચાસ વરસનાં અંતરાલ પછી સાર્થ જોડણીકોશની નવી આવૃત્તિનું આવવું તેમ જ ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક છે

તુષાર ભટ્ટે એક વાર પુસ્તકમેળા વિશે ફીચર કર્યું ત્યારે ચોંટડૂક મથાળું કીધું હતું – બુક્સ અધર ધેન ચેકબુક્સ! સાધારણ રીતે કોષ કહેતાં ખજાનો સમજાય એ ગુજરાતની કથિત તાસીર છે, પણ આજકાલ ગૂજરાત વિદ્યાપીઠનો કોશ (સાર્થ જોડણીકોશ) ચર્ચામાં અગર તો વિવાદમાં છે એ કોશ(ષ)ના અન્ય અર્થની રીતે ગુજરાતીઓની પોતાની અને એમને વિશે બીજાઓની બદલાઈ શકતી સમજનું જ કદાચ એક દષ્ટાંત તો નથી ને?

કોશ એક ચર્ચ્ય અને ચિંત્ય વિષય છે એવો રસ વર્તમાનપત્રોને જાગે તે પણ ઠીક જ છે; કેમ કે મુદ્રિત માધ્યમનો અને એમાં પણ વિસ્તરતાં વર્તમાનપત્રોનો લાંબો ઇતિહાસ ધરાવતા ગુજરાતમાં કોઈ વર્તમાનપત્રે પોતાનું સ્પેલચેકર બનાવવાની રીતે આર્થિક રોકાણ કરવાની જરૂરત જોયાનું જાણ્યું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદનાં આરંભિક વર્ષોથી આપણી પાસે ધોરણસરનો કોશ નહીં હોવાની – ખરું જોતાં જે તે જોડણી બાબતે ચોક્કસ ધોરણ નહીં હોવાની એક ફરિયાદલાગણી અને તે સબબ કંઈક કરવાની ધખના વરતાતી હશે; સાક્ષરો ને શિક્ષણકારો તે વિશે ઊહાપોહ અને કોશિશ કરતા હશે, પણ સંકલ્પપૂર્વકની ભોં ભાંગવાનું ગાંધીજીને લમણે લખાયું હતું.

એમના સૂચનથી કાકા કાલેલકર અને ગૂજરાત વિદ્યાપીઠ આદિએ એ જવાબદારી સાહી, એમાં યથાપ્રસંગ રા.વિ. પાઠક, નરહરિ પરીખથી માંડીને મગનભાઈ પ્ર. દેસાઈ, ચંદ્રશંકર શુકલ, વિશ્વનાથ ભટ્ટ અને બીજા સમિધ પૂરતા રહ્યા. 1929માં એની પ્રથમ આવૃત્તિનું પ્રગટ થવું એ મોટી મંદી વચાળે ગુજરાતના જાહેર જીવનમાં એક નરવી તેજી જેવી બીના હતી. આ કોશ, હવેના લોકશાહી જમાનામાં હેમચંદ્રકૃત વ્યાકરણને હાથીએ આરૂઢ કરી સવારી કાઢનાર સિદ્ધરાજની અપેક્ષા અલબત્ત ન સેવી શકે. પણ પ્રાંતિક સ્વરાજનાં વર્ષોમાં મુંબઈ સરકારે એને માન્યતા આપી તે સાથે, સ્વભાષાની સેવાની રીતે, સ્વરાજનાં ઉંબર વર્ષોમાં અક્ષતકુંકુમ સરખી એ એક મહિમાવંતી ઘટના જરૂર હતી.

હવે ચાલુ વરસે 73,000 શબ્દો સાથે એની છઠ્ઠી આવૃત્તિ – ખાસાં પચાસ વરસના અંતરાલ પછી – સુલભ થઈ છે ત્યારે સિદ્ધહૈમ વ્યાકરણ વેળાનાં ડંકાનિશાન નહીં તો પણ વિવાદવચનોની ડિંડિમિકાનું માન એને જરૂર મળી રહ્યું છે. અચ્છા પ્રૂફચી (જેમ તોપચી, નગારચી, કટારચી તેમ પ્રૂફચી) વજેસિંહ પારગીનું ફેસબુકની રાંગેથી ખાબકવું અને ઓનલાઇન પ્રસાર સાથે અખબારી પાનાં પર પણ ઝળકવું જો એનો એક છેડો છે, તો તાજેતરનાં વર્ષોમાં સંશોધનક્ષેત્રે અકુતોભય સજ્જતા સમેત સંચાર કરનાર તરીકે ઊભરેલા હેમંત દવેએ ‘સાર્થક જલસો-8’માં આપણા સૌ નાનામોટા કોશોના ઝડપી છતાં ચોક્કસ સર્વેક્ષણની જે તક આ નિમિત્તે ઝડપી તે એનો બીજો છેડો છે.

અહીં આવા પ્રયાસો વિશે અનુમોદનાના હૃદયભાવ સાથે બેત્રણ મુદ્દા સાર્થ જોડણીકોશ સંદર્ભે કરવા ધાર્યા છે. અસ્થાને અંગ્રેજીના (ખાસ કરીને બાળવયે શિક્ષણના માધ્યમ તરીકે) એક દોર પછી કેટલાંક વર્તુળોમાં કદાચ કંઈક મૂર્છા ઊતરી રહી હોય કે પછી કોઈ બીજા છેડેથી ગતાનુગતિક ઘેલાં કાઢવાનો ઉત્સાહ જાગ્યો હોય તેમ મારી માબોલી, માતૃભાષા વગેરે હાલ ઉજવણાંનું મહત્ત્વ પામેલ છે. ગમે તેમ પણ, પ્રજામાત્ર એની ભાષા અને એના ભાવની અભિવ્યક્તિથી પોષાય અને પોંખાય છે. એ  રીતે જો કોશ વિશે કશીક સભાનતા જાગી હોય અને તે વિશે ઊહાપોહભેર આગળ વધવાપણું સમજાતું હોય તો એ જરૂર સ્વાગતાર્હ છે. અને એ રીતે પચાસ પચાસ વરસના અંતરાલ પછી એની નવી આવૃત્તિનું આવવું તેમ જ તે નિમિત્તે ટીકાત્મક અવાજોનું ઊઠવું બેઉ મુબારક જ મુબારક છે.

1967થી 2017નાં પચાસ વરસનો આ અંતરાલ આપણી કોશસાધનામાં આવેલ ઝોલાનો સૂચક છે એ બીજો મુદ્દો પણ અહીં તરત કરવો જોઈએ. મગનભાઈનો કાર્યકાળ સંકેલાયો તે પછી કોશ કાર્યમાં જે સાતત્ય ને શોધન જોઈએ એ રહ્યાં નહીં. મગનભાઈના કાળમાં પણ કોશ કાર્યાલય કોઈ ઑક્સફર્ડ સમકક્ષ સ્વાભાવિક જ નહોતું, પરંતુ મગનભાઈની સજ્જ અને સમર્પિત પ્રતિભા અને એને મળી રહેલો સહયોગ કેટલું બધું હજી ખૂટે છે એવી સભાનતા સાથે ય કાર્યનિરત અવશ્ય હતાં. તે પછી પૂરતી ફાળવણી અને અગ્રતાને અભાવે જે બન્યું એમાં સ્વાભાવિક જ તદર્થ (એડહોક) ખાસું હતું, અને અપૂરતું તો એ હતું જ. આમ પણ કોશનું કામ એ એક અર્થમાં કદી પૂરું નહીં થતું કામ છે, અને તે માટે સજ્જ માણસો પણ ઘણુંખરું ઓછા હોવાના, એ મતલબની દિલખુલાસ વાત કોશકાર્યના માર્ગદર્શક મંડળના ચંદ્રકાન્ત શેઠે છઠ્ઠી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે મૂકી જ હતી.

અહીં આ આવૃત્તિમાં રહેલી ભૂલોની તપસીલમાં જવાનો ન તો આશય છે, ન તો એવો અધિકાર પણ છે. એ બધી વાતો તો જેમણે પણ કેડે કાંકરો મેલીને આ આવૃત્તિ માટે કામ કર્યું એ કદાચ આપણા સૌ કરતાં વધારે ધોરણસર કરી શકે. અલબત્ત, એક જ શબ્દની અલગ અલગ જોડણી (સંવૃત/વિવૃત) અગર તો અંગ્રેજી શબ્દોના પરબારા સ્વીકાર અને ઉચ્ચારણ બાબતની અનવસ્થા વગેરે સહેજ વધુ સંભાળથી, લગીર ઓછા અનવધાનથી ટાળી શકાયાં હોત એવું કહેવામાં હરકત નથી. કોશના ડિજિટલ સંસ્કરણ માટે ગુજરાત લેક્ઝિકોન સાથે કામ કરનાર વિદ્યાપીઠને સ્પેલ ચેકરનો ઉપયોગ સહજ કેમ સૂઝ્યો નહીં હોય, એવી વિપુલ કલ્યાણીની ઑનલાઈન અમૂઝણ વિચારણીય છે.

પણ એક વાત ખરી કે જેને આવા કામમાં પોતાનું કૉલિંગ વરતાય છે એને કેરિયર પણ મળી રહે અને કોશને ખુદને ઘરનું ઘર મળી રહે એવા સમગ્ર પ્રબંધન અને આયોજનની જરૂરત છે. હમણાં જે એક – બે ટીકામુદ્દા નોંધ્યા તે સિવાય પણ ઘણુંબધું કરવાનું રહે છે. એ કદાચ ત્યારે જ બને જ્યારે કોશ કાર્યાલય પૂરા કદનું હોય. શતાબ્દી ભણી અગ્રસર ગૂજરાત વિદ્યાપીઠ જો શાસન અને શ્રેણીઓના સહયોગપૂર્વક વિદ્વજ્જનોને જોતરી શકે તો એ મોટું કામ થશે. ટીકાનું નાળચું, વિદ્યાપીઠે ક્યારેક કરેલી આવકાર્ય પહેલ પરત્વે અભિવાદનપૂર્વક, વચગાળામાં પડેલ લાંબા ઝોલાથી માંડીને પૂરા કદના જોડણીકોશની જરૂરતો ભણી ફેરવવું ઘટે છે. ક્યારેક આ કોશે આપણી ઘણી મોટી ગરજ સારી, કંઈક ભાવઠ પણ ભાંગી, પણ એક અંતરાલ પછી એણે અગાઉની મર્યાદાઓને લાંઘીને જે વિશ્વરૂપ પ્રગટ કરવાપણું છે તે તો હજી છેટે ને છેટે જ છે.

જે ટીકાટિપ્પણ થઈ રહ્યાં છે અને થશે એનો સારભાગ પકડીને વિદ્યાપીઠ કોશકાર્યની શુદ્ધિ, વૃદ્ધિ અને પૃષ્ટિ પરત્વે અગ્રતાસૂચિને ધોરણે આગળ વધશે તો ટીકાવચનોમાંથી ઘઉં ને કાંકરા અલગ પાડવા સાથે આપણે ટીકાકારોનો પણ પાડ માનીશું. વિદ્યાપીઠનો તો એ પાડ અલબત્ત છે જ કે એણે મહેણું ભાંગતો આરંભ કર્યો ને કંઈક ચલાવ્યો. ટીકાઓ પરત્વે કુલનાયક અનામિક શાહે આપેલો વિધાયક પ્રતિસાદ નવા તબક્કા બાબતે બેલાશક આશા જગવે છે. મજલ અલબત્ત લાંબી અને લાંબી જ હોવાની છે.

પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : ‘સ્વાગત’, “દિવ્ય ભાસ્કર”, 20 મે 2017

પૂરવણી :

સૌજન્ય : ‘અમદાવાદ સિટી ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 18 મે 2017

Loading

...102030...3,3753,3763,3773,378...3,3903,4003,410...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved