Opinion Magazine
Number of visits: 9584424
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાય, ભારત અને હિન્દુત્વ

રજની દીક્ષિત|Opinion - Opinion|25 May 2017

વેદમાં એક એવી કથા જોવા મળે છે કે ત્રિતઋષિ અગ્નિ શોધતા હતા અને એમને ગાયના માથામાં અગ્નિ મળ્યો. આજે ભારતમાં આપણે ‘ગાય’માંથી પ્રગટેલી એક મોટી દાહક આગ જોઈએ છીએ. ગાય એ હિન્દુઓમાં પૂજ્ય છે એમ કહેવાય છે અને એ કારણે ગૌહત્યા એ ધાર્મિક લાગણી દૂભવનાર વિષય બની ગઈ છે. આ વિષયમાં કેટલાક લાગણીશીલ લોકો દ્વારા આવી શંકાને કારણે દલિતો અને અહિન્દુઓને પીડવામાં કે મારી નાખવામાં આવ્યાના બનાવો પણ બન્યા છે. તો, આપણે એ જોઈએ કે આપણા ધાર્મિક સમાનતામાં માનતા દેશના કાયદાઓ અને બંધારણ તેમ જ આ દેશની મહત્તમ પ્રજાસંખ્યા દ્વારા પળાતો ધર્મ ગૌહત્યા બાબતમાં શું કહે છે.

ભારતના બંધારણમાં રાજ્યોની રાજનીતિ માટે માર્ગદર્શક નિયમોમાં ગૌહત્યા બંધ કરવાનો ઉલ્લેખ થયો છે. (કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નીતિ ઘડવા માટે કરાયેલાં સૂચનો, જેને કોર્ટનો કોઈ કાયદો ફરજિયાત બનાવતો નથી.) ગૌહત્યાવિષયક સૂચનો આર્ટિકલ-૪૮માં નોંધાયાં છે, તે આ પ્રમાણે છે : “રાજ્યો ખેતી અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક રીતે વિકસાવવા પ્રયત્ન કરશે અને ખાસ કરીને ગાય, વાછરડાં અને બીજાં દૂધ અને વહનકાર્ય માટેનાં પ્રાણીઓની હત્યા બંધ કરાવવા તેમ જ તેમની જાતિ સુધારવા અને તેમને સાચવવા પગલાં લેશે.” (રાજ્યોના નીતિવિષયક સૂચિત નિયમો, ન્યાય અને કાયદા મંત્રાલય)

આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી બંધારણમાં મુકાયેલાં આ સૂચનો માત્ર ગૌહત્યાનો વિરોધ નહીં, પણ સામાન્યપણે સર્વ દુધાળાં પ્રાણીની હત્યાનો વિરોધ કરે છે, અને તે ધાર્મિક કારણે નહીં પણ આર્થિક કારણે. ‘દૂધ માટેનાં પ્રાણીઓ’ શબ્દોમાં ગાય, ભેંસ અને બકરા સર્વનો સમાવેશ થાય છે. ભારતમાં ગાયનાં દૂધ કરતાં ભેંસનું દૂધ ઘણું વધારે પિવાય છે. ઉપરાંત ૬૫ ટકા કરતાં વધારે લોકો વિશ્વમાં બકરાનું દૂધ વાપરે છે. તે જોતાં ભારતમાં પણ વસતીનો ઘણો ભાગ એ વાપરતો હોવાની શક્યતા છે જ.

૨૦ ડિસેમ્બર, ૧૯૫૦ના એક પત્ર દ્વારા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લાદવો એમ જણાવ્યું છે અને તે માટે આર્થિક કારણો જણાવ્યાં છે. (ડી.એ.એચ.ડી. ૨૦૦૨ પેરા ૬૪) ઉપરાંત, ૧૯૯૫માં ભારતીય કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પશુધનના સંવર્ધનને તેમ જ તેમના યોગ્ય પ્રકારે ઉપયોગને ઉત્તેજન આપતી હતી અને એમાં ઉત્તમ પ્રકારના માંસની, પરદેશ થતી  નિકાસ તેમ દેશની અંદરનાં બજારોમાં વેચાણ માટે ઉત્પાદનનો પણ સમાવેશ થતો હતો. (ડી.એ.એચ.ડી. ૨૦૦૨ પેરા ૬૫) છેલ્લા થોડા દશકામાં સરકારે અદ્યતન કતલખાનાં બનાવવા માટે ગ્રાન્ટ અને લોન આપવી પણ શરૂ કરી હતી. (ખાદ્યપદાર્થ ઉદ્યોગમંત્રાલય એચ.ડી.)

અનેક કેસોમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે આર્થિક દૃષ્ટિએ, નકામા ગોધા કે બળદ રાખવા એ સમાજ માટે ભારરૂપ થતું હોય અને તેથી જનહિતમાં ન હોય તો, (ગૌહત્યા પર) સંપૂર્ણ પ્રતિબંધ કરવો પરવાનગી યોગ્ય ન હતો. (ડી.એ.એચ.ડી. ૨૦૦૨ પેરા ૧૨૪)

તો આ ભારતના બંધારણમાં ગૌહત્યા વિષયે ધારાવિષયક માહિતી.

હવે હિન્દુત્વ તરફ જોઈશું. હિંદુ ધર્મ વૈદિક ધર્મ કહેવાયો છે. હિન્દુ ધર્મના આધારભૂત મનાયેલા વેદો ‘શ્રુતિ’ અર્થાત્‌ ‘ઈશ્વરવચન’ કહેવાય છે અને વેદવચનને હિન્દુઓ અંતિમ નિર્ણાયક માને છે. પછીના સમયમાં રચાયેલાં રામાયણ, મહાભારત, ભાગવત, મનુ સ્મૃિત જેવાં પુસ્તકો ‘સ્મૃિત’ અર્થાત્‌ ‘જે સ્મરણમાં રહ્યું તે’ કહેવાય છે. અને તેથી ઓછાં આધારભૂત મનાય છે. આ પાછળનાં પુસ્તકોમાં દર્શાવેલ વિચાર અને વેદમાં દર્શાવેલ વિચારમાં જો કોઈ વિરોધ જણાય, તો વેદવચનને જ સાચું માનવું ઘટે, એવો આદ્ય શંકરાચાર્ય સહિત હિન્દુ ધર્મની સર્વ મહાન વ્યક્તિઓનો મત છે.

હિંદુ ધર્મના ઇતિહાસ તરફ એક ટૂંકી આડનજર : હિન્દી પ્રજાના મહદંશ દ્વારા પળાતા આ ધર્મનું હિન્દુ ધર્મ મૂળ નામ તો નથી જ. હકીકતમાં આ ધર્મને વર્ણનાત્મક નામ ‘વૈદિક ધર્મ’ સિવાય કોઈ અન્ય નામ નથી. એ શુદ્ધ ‘આર્ય ધર્મ’ નથી, પણ આર્ય ધર્મ અને તત્કાલીન ભારતની નિવાસી પણિઓ, અસુરો, રાક્ષસો, નાગો વગેરે પ્રજાઓના અનાર્ય ધર્મોનું મિશ્રણ છે.

જે સમય વિષે આપણે અહીં વાત કરીએ છીએ, તે આશરે ૨૦૦૦ ઈસ્વીસન પૂર્વેનો સમય મનાય છે. આર્ય રાજા સુદાસ, એના પુરોહિત-મુખ્ય મંત્રી વશિષ્ઠ અને એમનો આર્ય જનસમૂહ ઘણા સમયથી પંજાબમાં (તત્કાલીન નામ સપ્તસિંધુ) ભારતવાસી અનાર્યો સાથે  યુદ્ધો કર્યાં પછી સ્થિર થયા હતા. એમના પડોશી પ્રાંતમાં સિંધ-ગુજરાતમાં (મોહેં જો ડારો હરપ્પા પ્રદેશમાં) વસતા વેપારી અનાર્ય પણિ સમાજને તેઓ ધિક્કારતા હતા. આ સમયે વિશ્વામિત્ર અને એનો જનસમાજ તત્કાલીન એક યુદ્ધને કારણે રેફ્યુજી તરીકે યુરોપથી ભારત આવ્યો (ii). અને વસિષ્ઠની મદદ માંગી. વસિષ્ઠને આ માટે પોતાના શત્રુ પણિઓની સહાયતા માંગવાની ફરજિયાત જરૂર પડી અને આશ્ચર્ય થાય છે, પણ પણિઓ સહાયતા કરવા તૈયાર પણ થયા.

મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા પોતાના નિરાશ્રિત આર્ય બંધુઓને આશ્રય આપવામાં આ અનાર્ય સમાજે સહાયતા કરી એ હકીકતે વસિષ્ઠને પોતાના આ અનાર્યો તરફના વેરભાવ વિશે વિચારતા કરી મૂક્યા. એના અનાર્યો અને એમના ધર્મ તરફના વિચારો ફેરવાયા અને એણે અનાર્ય-દેવનો આર્ય ધર્મના દેવોમાં સ્વીકાર કરવાનું શરૂ કર્યું [ઋગ્વેદ ૭-૮૬ (૨-૭)]

આમ, હિન્દુ ધર્મની સ્થાપના વસિષ્ઠે કરી, અને જુદી-જુદી જાતિઓ અને સંસ્કૃિતઓ વચ્ચે પરસ્પર મેળ એનો આધારસ્તંભ છે એમ કહી શકાય. આનો સમય, વિશ્વામિત્રની પુત્રીના પુત્ર મહાન રાજા ભરત જેના ઉપરથી ભારતનું નામ રખાયું છે તેના સમય સાથે મહદંશે એક છે. એ સમયને વેદ સમયનો સુવર્ણકાળ કહી શકાય.

ગુજરાતની તે સમયની સંભવિત રાજધાની ‘દિવ’ના લોકો સાથે મળીને કાર્ય કરવાની વસિષ્ઠે શરૂઆત કરી (iii). એણે અનાર્યોના દેવ શંકરને આર્યદેવમાં સ્વીકારવાનો નિર્ણય લીધો અને પોતાના યજ્ઞમાં એને પણ આહુતિ આપવાનું શરૂ કર્યું. [ઋગ્વેદ ૭.૮૮ (૧,૨૭)]. ક્રમે કરીને મૂર્તિ-પૂજાનો પણ સ્વીકાર થયો. વિભિન્ન ધર્મોના એકીકરણ માટે વસિષ્ઠે મહાપ્રયત્ન કર્યો. અને આ રીતે ભારતમાં એક આર્ય ધર્મના નવા પ્રકારની શરૂઆત થઈ જે આજે હિન્દુધર્મ તરીકે ઓળખાય છે. એમાં આર્યોના દેવ બ્રહ્મા અને વિષ્ણુની અનાર્ય દેવ શંકર સાથે ત્રિમૂર્તિ બની, અને મોંહે જો-ડારોની યોગમાયા, જે વિશ્વસર્જકનું માતૃસ્વરૂપ હતું, અને અનાર્યપૂજા, જેની મંદિરોમાં પૂજા કરતી, તેને માટે યજ્ઞ, હવન થવા લાગ્યા. મહાકાલ એટલે અનંત સમયનાં સ્ત્રીસ્વરૂપ મહાકાલી, જે સૃષ્ટિસર્જક માતા તેમ જ વિનાશક મનાય છે, તે આર્યદેવી અદિતિ અને મોહેં જો ડારોની  યોગમાયાનું મિશ્રરૂપ લાગે છે. આમ, પ્રાણીઓ, રાક્ષસો અને નાગોના દેવ હિંદુ દેવ બન્યા અને સર્વ ધર્મની સ્વીકૃતિ એ તત્કાલીન મુખ્ય મંત્ર બન્યો.

આમ, હિન્દુધર્મની સ્થાપનાનું મૂળ ‘ધર્મ સંબંધે હિંસકતાનો અભાવ’ એ છે હિન્દુ ધર્મનો પાયો, એનો મુખ્ય વિચાર એ છે.

ગાયની પવિત્રતા વિશેની માન્યતા મૂળમાં શું છે ?

ગૌહત્યા તો ન જ કરાય એ માન્યતાનું મૂળ છે. ઋગ્વેદમાં પ્રયોજાયેલો ‘અધ્ન્યા’ (અર્થાત્‌ જેને મરાય નહીં તે) શબ્દ, પાછલા સમયમાં હિન્દુઓએ એ શબ્દ સામાન્યપણે સર્વ ગાયોને માટે પ્રયોજાયો છે, એમ ભૂલથી માની લીધું છે, પણ વસ્તુતઃ એમ નથી. આપણા બંધારણની જેમ ઋગ્વેદ પણ માત્ર એટલું જ સૂચન કરે છે કે જે દુધાળી, ઘરડી નહીં એવી ગાયો હોય તેને ‘અધ્ન્યા’ અર્થાત્‌ ‘મારવા લાયક નહીં’ માનવી, અને તે પણ આર્થિક કારણોસર. એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઉપયોગી નથી, તેને મારવી જોઈએ.  [ઋગ્વેદ ૧૦ ૯૫ (૬)] ભારતનાં મોટા ભાગનાં રાજ્યોના પશુસંરક્ષણના કાયદાઓ પણ એ જ જણાવે છે.

ઋગ્વેદમાં ગાયને માટે માતા શબ્દ ક્યારે ય વપરાયો નથી. ઋગ્વેદ સમયની પ્રજાને મન ગાય એ સંપત્તિ હતી અને એ સમયમાં લક્ષ્મીપૂજા ન હતી, પ્રકૃતિ અને સર્જનની પૂજા થતી. સંપત્તિ, ગાયો, એ તો પાર્થિવ ચીજો અને તેથી માત્ર ઉપયોગની વસ્તુઓ ગણાતી. સંસ્કૃતમાં ‘ગો’ શબ્દનો અર્થ ‘ગાય’ ઉપરાંત ‘પૃથ્વી’ અને ‘વાણી’ પણ થાય છે, પણ તેથી ગાય પવિત્ર છે, એમ સૂચન થતું નથી. આ શબ્દનું મૂળ ‘ગમ્‌’ ક્રિયાપદ છે જેનો અર્થ ‘જવું’ ઇંગ્લિશમાં, પણ ‘જવું’ને માટે ‘ગો’ શબ્દ છે એ નોધવું ઘટે. ‘ગો’ શબ્દના ઉપરના ત્રણે અર્થ સાથે ગમનની ક્રિયા સંકળાયેલી છે. ‘પૃથ્વી’ તે છે જેના પરથી તમે ‘જાઓ’ છો, ચાલો છો. ‘વાણી’ તે છે, જેનાથી તમારા વિચારો બીજા પાસે ‘જાય’ છે, અને પાળેલી ‘ગાય’ તો ‘દોરે ત્યાં જાય’, એ કહેવત ગુજરાતીમાં અજાણી નથી.

આ ઉપરાંત, હિન્દુ ધર્મમાં પાછળથી પ્રવેશેલી કેટલીક અન્ય માન્યતાઓ પણ ગાય પવિત્ર ગણાવાનું કારણ બની છે.

૧. પૃથુ વૈન્યને ગાયને રૂપે મળેલી પૃથ્વીની પૌરાણિક કથા

૨. મોહેં જો ડારો વૃષભનું, પાછળથી શિવનું વાહન અને પાલિત પશુ ગણાવું.

૩. ઐતિહાસિક કૃષ્ણનું આહિર, ગોવાળ દેવ જોડે ભૂલથી મનાયેલું જોડાણ.

રાજા પૃથુ વૈન્યની કથા એવી છે કે પૃથ્વી ગાય બની ગઈ અને પૃથુ વૈન્યે તેને દોહી. આની પછીની સત્ય હકીકત એ જ હોઈ શકે કે રાજા પૃથુએ એના રાજ્યકાળ દરમિયાન કૃષિ વિકાસ કર્યો અને એ રીતે પૃથ્વીની ઘણી અધિક સંપત્તિ દોહી. આપણે આગળ જોયું કે ‘ગો’ શબ્દના ‘ગાય’ ઉપરાંત બીજા બે અર્થ પણ છે. કદાચ આને જ કારણે કથાકારને પૃથ્વી માતાએ ગાયનું રૂપ લીધું એવી કથા સૂઝી. ભારતમાં ધર્મકથાકારો હંમેશાં ધંધાદારી રહ્યા છે. કથા એમનું કમાણીનું સાધન રહી છે અને તેથી એ કથાને લોકભોગ્ય બનાવવાની એમને ફરજ પડી છે. કમભાગ્યે આ પૌરાણિક કથાકારોએ, આપણા અત્યારના ટીવી-સિરિયલોના કથા લેખકોની જેમ ક્યારે ય શ્રોતાગણ સમક્ષ એ વિધાન નથી કર્યું કે આ કથા કાલ્પનિક છે અને ‘એમાં જણાતી ખરી વ્યક્તિઓ સાથેની સમાનતા માત્ર આકસ્મિક છે.’ આથી, આપણી જનતાએ આ કથાઓને અક્ષરશઃ સાચી માની લીધી છે અને પરિણામે ગૌહત્યા માટે વેર લેવા મનુષ્યહત્યા કરાય એવું પણ બન્યું છે. આ ધર્મકથાઓ, જેને અતિ રસપ્રદ ‘અકબર-બિરબલની વાર્તાઓ’ જેવું સ્થાન મળવું જોઈતું હતું, એને સ્થાને અકબરના સાચા ઇતિહાસ જેવું સ્થાન હિન્દુ પ્રજાના મનમાં કરી ગઈ છે. આ સ્થાને એ જણાવવું આવશ્યક છે કે ભાગવતપુરાણ (૪૧૭૦૨૫૧, ૨. શ્રીમદ્‌ ભાગવતપુરાણ) ડબલ્યુ, ડબલ્યુ. ડબલ્યુ. સંસ્કૃત ડૉક્યુમેન્ટસ્‌ ઑર્ગે. પરથી ડાઉનલૉડ કરાયેલું) (એચ.ટી.ટી.પી. ડબલ્યુ.ડબલ્યુ.ડબલ્યુ. સંસ્કૃત ડૉક્યુમેન્ટ્‌સ ઑર્ગ. = http //sanskritdocuments.org)માં પૃથુ વૈન્યે પૃથ્વી ગાયને એવું કહ્યાનો ઉલ્લેખ છે કે જો એ દૂધ નહીં આપે, તો પૃથુ એને મારીને એનું માંસ ગ્રહણ કરશે. આથી સ્પષ્ટ થાય છે કે ભાગવતમાં પણ ગાયને અધ્ન્યા (ન મારવા યોગ્ય) કહી નથી.

ગૌપૂજા પાછળનું બીજું કારણ મોહેં જો ડારો વૃષભ હોવાનો સંભવ લાગે છે. મોહેં જો ડારોની વૃષભમુદ્રાઓ જાણીતી છે. અને પાછલા સમયના હિંદુ ધર્મમાં આ વૃષભે શંકરના પાલિત વાહન નન્દીનું રૂપ ગ્રહણ કર્યું છે. પાછળના સમયના હિન્દુ ધર્મમાં મોટા ભાગના દેવોને પાલિત પશુવાહન તરીકે નામ અપાયાં છે. વિષ્ણુ મંદિરોમાં ગરુડ, માતાનાં મંદિરોમાં વાઘ અને શંકરનાં મંદિરોમાં વૃષભ હોય એ જાણીતું છે. મૂળભૂત રીતે, અનાર્યોએ શંકરને, આર્યોએ જેમ ઇન્દ્ર અને અન્ય દેવોને કલ્પ્યા હતા, તેમ મનુષ્ય રૂપમાં કલ્પ્યા ન હતા. અનાર્ય પ્રજા અરૂપ અદેહ સ્રષ્ટામાં માનતી હતી, અને તેથી જ સર્જકની મૂર્તિ તરીકે માત્ર લિંગની જ પૂજા થતી. ભારતમાં વૃષભ ખેતી અને વાહન સાથે સંકળાયેલો હોવાથી હંમેશાં પેદાશ કરનાર મનાયો છે અને તેથી જ સ્રષ્ટાના રૂપક તરીકે વૃષભ મુદ્રાઓ બનાવવામાં આવી જણાય છે, પણ વાસ્તવમાં અનાર્યો સ્રષ્ટાનું મનુષ્ય કે વૃષભ કોઈ ‘સ્વરૂપ’ માનતા ન હતા. વૃષભ મુદ્રાઓ છતાં એમણે ક્યારે ય ગાયને પૂજ્ય માની ન હતી.

ઋગ્વેદમાં મને એક વિચિત્ર પંક્તિ જોવા મળી છે. [ઋગ્વેદ ૧૦.૮૭ (૧૬)] ‘અનાર્યો ‘ક્રવિષ’થી, ઘોડા, ગાય, ‘પૌરુષેય’થી અભિષેક કરે છે.” આ પંક્તિને સાયણ અને અન્ય વિદ્વાનોએ “અનાર્યો પુરુષના ઘોડાના અને ગાયના માંસથી અભિષેક કરે છે.” એવું ભાષાંતર કર્યું છે. પરંતુ સાચો અર્થ સમજવા માટે ‘ક્રવિષ’ અને ‘પૌરુષેય’ એ બે શબ્દોનો અર્થ બરાબર સમજવાની જરૂર છે. ‘ક્રવિષ્‌’ એ વેદનો શબ્દ છે. અને પાછળની સંસ્કૃત ભાષામાં મળતો નથી, તેથી સાયણ વગેરેએ એનો ‘ક્રવ્ય’ એટલે ‘માંસ’ અર્થ સમજી લીધો છે. પણ ‘ક્રવિષ્‌’ શબ્દ ઇંગ્લિશ શબ્દ ‘ક્રેવિસ્‌’ (ફ્રેન્ચમાં ‘ક્રિવેઇસ’, લેટિન ‘ક્રિષારે’) સાથે વધારે સીધો સાંકળી શકાય એમ છે. એનો અર્થ છે ‘તડ’, ‘છેદ’, એટલે એમ જણાય છે કે જળાધારી, જેમાં નીચે કાણું હોય છે, તેનાથી શિવલિંગની ઉપર સતત થતા અભિષેક વિશે અહીં વાત કરવામાં આવી છે. હિન્દુ શિવમંદિરોમાં એ હંમેશાં જોવા મળે છે. એ પાણી પછી શિવલિંગ સાથે જોડાયેલા નાના ખુલ્લી નળી જેવા ભાગમાં વહીને બહાર જાય છે. આમ લિંગ અને આ નળી બે સાથે મળીને પુરુષ, ગુહ્યાંગને મૂર્તિમંત કરે છે.

હવે બીજો શબ્દ ‘પૌરુષેય’ એ શબ્દ ‘પુરુષ’ શબ્દ પરથી બન્યો છે, જે નરજાતિનું સૂચક છે. ‘વીર’ પરથી બનેલા ‘વીર્ય’ શબ્દના જ્ઞાત અર્થ જેવો જ આ શબ્દનો અર્થ પણ છે.

હવેનાં હિન્દુ મંદિરોમાં પાણી વપરાય છે, તેને સ્થાને એમ દેખાય છે કે, અનાર્ય પ્રજા તે જમાનામાં અશ્વો અને વૃષભોનાં સરળતાથી મળી રહેતાં સાચાં વીર્ય-મૂત્રનો જ ઉપયોગ એમનાં મંદિરોમાં કરતી. ઋગ્વેદ. ૭.૮૬ (૭)માં વસિષ્ઠ મહાદેવને માટે ‘મિઢુષ્‌’ (મિઢ્‌ એટલે મૂત્રક્રિયા કરવી.) એવો શબ્દ વાપરે છે, તેનાથી ઉપર કથિત સંભાવનાને ટેકો મળે છે. પાછલા સમયમાં, કદાચ આ પ્રથાને કારણે જ, હિન્દુઓએ, જ્યારે ગાયને પવિત્ર માનવા માંડી ત્યારે ગૌમૂત્રને પ્રસાદ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું હશે. ઉપર કથિત ઋગ્વેદની પંક્તિનું સાચું ભાષાન્તર ‘પુરુષ ઘોડા અને ગાયનું માંસ’ નહીં, પણ ‘ઘોડા અને વૃષભનું વીર્ય, કાણાં મારફતે’ એમ થવું ઘટે.

સંભવિત છે કે તત્પશ્ચાત્‌ જ્યારે કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનીને એની પૂજા કરવાની શરૂઆત થઈ, ત્યારે એ કારણે હિન્દુ ધર્મમાં ગાયનું મહત્ત્વ પણ ઘણું વધી ગયું હોય, તો હવે આપણે ઐતિહાસિક વ્યક્તિ કૃષ્ણની દેવત્વ તરફની યાત્રા વિચારીએ.

કૃષ્ણનું મનુષ્યમાંથી દેવત્વ તરફ ગમન અને તે સાથે ગૌપૂજનનું જોડાણઃ

છાન્દોગ્ય ઉપનિષદ્‌ (ઈ.પૂ. છઠ્ઠી શતાબ્દી) એક ઐતિહાસિક વ્યક્તિ કૃષ્ણ દેવકી પુત્ર વિશે લખે છે, તે એક તત્ત્વજ્ઞાની ધર્મવિચારક છે અને સાચો ધર્મ શું તેની શોધમાં છે. એના પિતાના નામ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એની જાતિ પણ જણાવાઈ નથી. એ એના માતૃનામે ઓળખાય છે. એના જેવી જ એક અન્ય માતૃનામે ઓળખાતી ઉપનિષદ કથિત ઐતિહાસિક વ્યક્તિ છે સત્યકામ જાબાલ, જેની માતાને અનેક પુરુષો સાથે રહેવું પડ્યું હોવાને કારણે એ એના પિતાનું નામ કહી શકતી ન હતી.

શર્મા (૨૦૧૬) જણાવે છે કે પાછલાં સાહિત્યમાં આ કૃષ્ણ દેવકીપુત્ર અન્ય વ્યક્તિ કૃષ્ણ વાસુદેવ સાથે, અને એક (આહિર) આભીરદેવ સાથે એક મનાતો થયો અને દેવ પણ ગણાતો થયો. આમ, કૃષ્ણની કથામાં ત્રણ વ્યક્તિઓનું ચરિત્ર મિશ્રિત છે, એક છે ધર્મતત્ત્વજ્ઞ, બીજો છે ચતુર રાજકારણી અને ત્રીજો છે, ગોવાળોનો દેવ. આ ત્રીજાનું મિશ્રણ ગૌપ્રેમ અને ગૌપૂજા હિંદુધર્મમાં પ્રવેશવાનું મુખ્ય કારણ બન્યું. આશ્ચર્યની વાત તો એ છે કે આ કૃષ્ણપ્રેમ છતાં જે રીતે ગૌપૂજા હિન્દુધર્મમાં દાખલ થઈ તે રીતે આહિરો અને એવી અન્ય ‘હલકી’ ગણાઈ ગયેલી જાતિઓ તરફ એ સાથે સંમાન પણ કેમ દાખલ ન થયું.

‘અધ્ન્યા’ શબ્દનો પ્રયોગ :  ઋગ્વેદમાં યુવાન દુધાળી ગાયને માટે વપરાતો અધ્ન્યા (ન મારવી જોઈએ એના) શબ્દ ગાયોને મરાય નહીં, એ હિન્દુ માન્યતાનું મુખ્ય કારણ બન્યો છે. પાછળના સમયમાં ઋગ્વેદની જૂની સંસ્કૃત ભાષા, સમજાતી બંધ થઈ ત્યારે ઋગ્વેદમાં અધ્ન્યા માત્ર યુવાન દુધાળી ગાયને જ કહેવાય છે, ગાય માત્રને નહીં એ વાત ભુલાઈ ગઈ (iv)

ગાય તો જીવતી દેવી હતી, રસ્તે ગમે ત્યાં મળે, એટલે એને સ્પર્શ કરીને કે એના મૂત્રનું પાન કરીને સ્વર્ગ મેળવવાનું અતિ સરળ લાગતું. એટલે ગૌપૂજા અતિ લોકપ્રિય બની ગઈ અને બ્રાહ્મણોના મગજમાં ઋગ્વેદમાંના ‘અધ્ન્યા’ જેવા ઉચ્ચારના અન્ય શબ્દો પણ ‘અધ્ન્યા’ રૂપે જ સંભળાવા લાગ્યા. વેદ તો સદીઓથી મૌખિક પરંપરાએ જ જળવાયા હતા. વેદપાઠી વિદ્યાર્થીઓ જ્યાં ‘અધ્ન્યા’ને સમાન ઉચ્ચારવાળો શબ્દ આવે, ત્યાં ‘અધ્ન્યા’ પાઠ સમજતા થઈ ગયા. ઋગ્વેદ ૧૦.૪૬ (૩)માં જ્યાં પાછલા સમયના હિન્દુઓએ મિત્રને અધ્ન્યાના માથામાં અગ્નિ જડ્યાની વાત વાંચી છે, ત્યાં વસ્તુતઃ માત્ર મનુષ્યે ઇચ્છે, ત્યારે જાતે અગ્નિ પ્રગટાવવાની રીત કેવી રીતે શોધી તે કહ્યું છે જેમ ન્યુટને સફરજન પડતું જોયું હતું તેમ ત્રિત વૈભુવસે ‘એગ્નસ કાસ્ટ્‌સ’ વૃક્ષની ટોચ પરની શાખાઓમાં ઘર્ષણથી અગ્નિ પ્રકટતો જોયો (ગ્રીક નામ એગ્નોસ, સંસ્કૃતમાં ‘અગ્ન્યા’ અર્થાત્‌ ‘જેમાંથી અગ્નિ પ્રકટે છે તે’) અને એ શોધનો પ્રસંગ ઋગ્વેદના આ પંક્તિમાં અમર કરાયો છે. પણ આપણા ગૌપૂજકોએ સ્વાભાવિક રીતે જ માની લીધું કે શબ્દ ‘અધ્ન્યા’ હશે, ‘અગ્ન્યા’ નહીં, એટલે ગાય વંદનીય બની ગઈ અને ઘેરઘેર અગ્નિ પહોંચતો કરનાર ત્રિત વૈભુવસ ભુલાઈ ગયો.

વેદનું સંસ્કૃત :  હિન્દુ ધર્મની ભાષા લોકોની ભાષા નથી અને વેદનું સંસ્કૃત તો અન્ય જ્ઞાત સંસ્કૃત કરતાં ઘણું જ જુદું છે. એ ભારત પર હુમલો કરનાર પરદેશી આર્યોની ભાષા છે અને તેથી પાછલા સમયની સંસ્કૃત અને યુરોપની ભાષાઓમાં પણ ઘણી સમાનતા જણાય છે. ઋગ્વેદમાં તો એવા અનેક શબ્દો છે જે પાછળની સંસ્કૃતમાં રહ્યા નથી અને જે યુરોપિયન ભાષાના પરિચયથી જ સમજી શકાય. પરંપરાગત જૂની વિચારસરણીના હિન્દુઓ ઋગ્વેદનું ભાષાન્તર અને સમજૂતી સાયણભાષ્યને આધારે કરે છે, પણ સાયણાચાર્ય એમની સમયમર્યાદાને કારણે સ્વાભાવિક રીતે જ આવા શબ્દો સમજી શકે એમ ન હતા અને તેથી અનેક વાર એમણે આવા શબ્દોને દેવ કે રાક્ષસના નામ તરીકે સમજાવ્યા છે અને તેથી અર્થઘટન અનેક વાર દોષયુક્ત બન્યું છે.

જેઓ એમ માને છે કે ઋગ્વેદ સમજવાની શ્રેષ્ઠ રીત જૂના આચાર્યોનાં કથન વાંચવાં એ જ છે, તેમનું ધ્યાન હું અહીં થોડાં ઉદાહરણો આપીને સંસ્કૃત અને ઇંગ્લિશમાં કેટલું સામ્ય છે, તે તરફ ખેંચવા માગું છું :

પાછળના કાળમાં સંસ્કૃત પંડિતોને વેદના જે શબ્દો સમજાતા નથી, તે પાશ્ચિમાત્ય ભાષાજ્ઞાનની મદદથી આપણે સમજી શકીએ, એ દર્શાવવા આટલાં ઉદાહરણો પૂરતાં છે.

વેદમાં ગૌમાંસ : ગૌમાંસ અને ગૌહત્યાને લગતી હિન્દુઓની લાગણીશીલતાએ જે હિંસકતા ફેલાવી છે તે જોતાં એમ લાગે છે કે હિન્દુઓ પોતાનો વૈદિક ધર્મ શું કહે છે તે બરાબર જાણે અને ભૌતિક વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર જેવા અન્ય વિષયોની જેમ જ ધર્મ પણ અભ્યાસ વગર સમજાતો નથી અને કિંવદન્તીઓથી એને જાણી શકાય નહીં એ સમજે એ જરૂરી છે. તો આપણે ગાયો વિષયક ધાર્મિક માન્યતા સાચી રીતે સમજવા વેદોક્તિઓનું વિવરણ કરીએ.

જેમ આપણા બંધારણમાં છે તેમ જ ઋગ્વેદમાં પણ ગૌરક્ષણ એ ફરજિયાત નથી પણ એક સૂચન છે. ગૌહત્યાને માટે કોઈ સજા, જુવાન દુધાળી ગાયને મારવા માટે પણ નથી. ગૌમાંસ ભક્ષણ પર બંધી નથી. ભોજન સમારંભોમાં ગૌમાંસની છૂટ છે એટલું જ નહીં, એ કરવું વખણાય છે. અને ‘અતિથિરવ’ એટલે અતિથિને ગૌમાંસ જમાડનાર’ તરીકે બિરદાવાય છે. ઈંદ્રયજ્ઞમાં વૃષભનું બલિ ચઢાવવું આવશ્યક છે. લગ્ન પ્રસંગે ગૌમાંસનું જમણ હંમેશાં હોય જ (ઋગ્વેદ. ૧૦.૮૫)

ગાયો પવિત્ર ગણાતી નથી અને હિન્દુઓને ગોમાંસભક્ષણની મનાઈ નથી. ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ સવિતાના મુખમાં એને પોતાને ઘેર યોજાયેલા ભોજન સમારંભમાં મૂકાયેલી આ પંક્તિ જુઓ. ‘રાત્રે અમે ગાયો કાપવાના છીએ.’ [ઋગ્વેદ ૧૦.૮૫ (૧૯)] ઋગ્વેદ ૧૦.૮૯ (૧૪)માંનું વર્ણન છે. “ભોજન માટેની, કતલખાનાની જમીન પર આમતેમ વેરાતી પડેલી ગાયો.” લેખકે અહીં ‘પ્રાણીઓ’ શબ્દ નથી વાપર્યો પણ ‘ગાયો’ શબ્દ વાપર્યો છે તે નોંધનીય છે. આ દર્શાવે છે કે ગૌમાંસ જ સૌથી વધુ લોકપ્રિય હતું અને ગાયો જ સૌથી વિશેષ મરાતી. ઋગ્વેદ ૯૫ (૬) જણાવે છે કે ‘ઘરડી ગાયો જે દૂધ ન આપતી હોય તે’ માત્ર રાંધવામાં કામની ગણાય. ‘એમાં જ આગળ કહે છે,’ ‘નકામી ગાયોને રાંધવા માટે લઈ જવાય છે, પણ દુધાળીને ક્યારે ય નહીં.’

એ સ્પષ્ટ જણાય છે કે, હિન્દુ ધર્મમાં કતલખાનાં પર બંધી નથી, ગૌમાંસ પર પણ બંધી નથી, અને નકામાં ગાયબળદોને મારવાની છૂટ છે. ઉપર કથિત ઋગ્વેદની પંકિતઓથી એ સ્પષ્ટ થાય છે કે પાછળનાં પુસ્તકોમાં ‘અધ્ન્યા’ શબ્દનો અર્થ સામાન્યપણે ‘ગાય’ એવો થયો છે તે બરાબર નથી. ઋગ્વેદમાં પ્રકૃતિપૂજા હતી તેથી નંદીઓને માતા કહીને માન આપવામાં આવે છે પણ આખા ઋગ્વેદનાં ૧,૦૦૦થી વધારે કાવ્યોમાં ગાયની પૂજા માટે એકેય પંક્તિ લખાઈ નથી. ગાયોવૃષભો; બળદો એ માત્ર સંપત્તિ છે. અને તેથી એને પૂર્ણ કરકસરપૂર્વક વાપરવાની છે. ગાયોમાંથી જ્યાં સુધી દૂધની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તે મેળવી લેવાનું છે અને દૂધ ન મળે ત્યારે ગૌમાંસ મેળવવાનું છે એમ ઋગ્વેદ માને છે.

હવે જોઈએ યજુર્વેદ (૩૦.૧૮) જેનું થોડા સમય ઉપર રાષ્ટૃીય સ્વયંસેવક સંઘના મુખપત્ર ‘પાંચજન્ય’માં (v) અવતરણ થયું હતું, અને એમાં ગૌહત્યા કરનારને મૃત્યુદંડ આપવાનું લખ્યું છે એમ કહેવામાં આવ્યું હતું. (ભારદ્વાજ, ઇન્ડિયન એક્સપ્રેસ, ૨૦૧૫) સંસ્કૃતમાં આ શબ્દો છે. ‘મૃત્યવે ગોવ્યચ્છમ્‌ અન્તકારય ગોઘાતમ્‌’ અને એમાંના ‘અન્તક’ શબ્દનો અર્થ મૃત્યુ, યમદેવ થાય છે એટલે આવો અર્થ કરાયો છે.

આપણે જો એ અર્થ સ્વીકારીએ તો ચાર પંક્તિ પહેલાં જ યજુર્વેદ(૩૦.૧૪,૩૦.૧૫)માં બીજાં બેનો ઉલ્લેખ પણ મૃત્યુદંડ માટે જણાશે. ત્યાં કહ્યું છે. ‘યમાય અસૂમ્‌, યમાય યમસૂમ્‌’ તેનો અર્થ પણ ‘જેને બાળક ન થતું હોય તેને યમરાજાને આપો, જેને બે બાળક થાય તેને પણ યમરાજાને આપો.’ એવો કરવો રહ્યો. ખરું જોતાં આ લીટી (૩૦.૧૪ અને ૩૦.૧૫) જે સ્ત્રીઓને બાળક ન થતાં હોય અને જેમને હંમેશાં જોડિયાં બાળક થતાં હોય તેમને માટે થોડા સમય પૂરતું લગ્નજીવનનું નિયમન અર્થાત્‌ બંધ કરવાનું સૂચવે છે. જેમ ૩૦.૧૪ અને ૩૦.૧૫નો ઉપર મુજબ ખોટો વિચિત્ર અર્થ કોઈ કરી શકે છે, તેમ જ ૩૦.૧૮ની બાબતમાં પણ થયું છે. ‘ગો’ શબ્દનો બીજો અર્થ પણ છે, ‘વાણી’. તે મારા મતે અહીં યોગ્ય છે. ‘મૃત્યવે ગોવ્યચ્છમ્‌’ એ શબ્દોનો અર્થ છે ‘ખૂનના મામલોમાં જૂઠું બોલનાર સાક્ષી’ (મૃત્યવે – ખૂન બાબત, ગો-વાણી, વ્યચ્છમ્ ‌= ભેળસેળ કરનાર) આમાં ગાયની કોઈ વાત નથી.

યજુર્વેદ ઋગ્વેદ કરતાં મોડો લખાયો છે. અને એમાં ઋગ્વેદમાંથી અવતરણો કરવામાં આવ્યાં છે. એમાં ઋગ્વેદના શ્લોકો સાથે ઋગ્વેદના યજ્ઞો કેવી રીતે કરવા તે જ બતાવાયું છે. આમ યજુર્વેદ કોઈ સ્વતંત્ર વેદ નથી અને તેથી ઋગ્વેદના કથનની વિરુદ્ધ જઈ ન શકે અને જતો પણ નથી. એટલે યજુર્વેદમાં ગૌહત્યા માટે મૃત્યુદંડ કહ્યો હોય એવું બની જ ન શકે. સામવેદનું પણ એવું જ છે.

હવે અથર્વવેદ તરફ વળીએ. એ વેદ સ્વતંત્ર છે, ઋગ્વેદ આધારિત નથી, અને તેથી ગાયો અને ગૌમાંસ વિશેનાં એનાં વિધાનો પણ સ્વતંત્ર અને તેથી અગત્યનાં છે. અથર્વવેદનો સ્વાસ્થ્ય અને ઔષધિ સાથે સંબંધ છે. એમાં ‘વશા ગૌ સૂક્ત’માં કઈ જાતનું ગૌમાંસ સર્વ કોઈ ખાઈ શકે અને કઈ જાતનું ગૌમાંસ માત્ર વિદ્વાન બ્રાહ્મણોને માટે જ રાખવુું જોઈએ તેનો નિયમ આપ્યો છે. ‘વશા’ ગાય એટલે જે દૂધ ન આપતી હોય, જેને બચ્ચાં આવે એમ ન હોય, એવી ગાય, વસૂકી ગયેલી ગાય.

અથર્વ ૧૨.૪ (૧૩)માં કહ્યું છે કે જો કોઈ બ્રાહ્મણ કોઈ અબ્રાહ્મણ પાસે ગાય માંગે, તો ‘પોતાને ઘેર ગોમાંસનો ભોજન સમારંભ યોજાયેલો હોય તો પણ, બ્રાહ્મણે જે માંગી હોય તે ગાય સિવાયની બીજી કોઈ ગાય પોતાને ત્યાંના જમણ માટે મારવી.’

અથર્વ ૧૨.૪ (૪૩)માં પ્રશ્ન કર્યો છે, ‘હે નારદ! એવી કેટલી જાતની ‘વશા ગાયો છે કે જે બ્રાહ્મણ સિવાય બીજા કોઈથી ખવાય નહીં?’ આ સ્પષ્ટ દર્શાવે છે કે બ્રાહ્મણો પણ ગૌમાંસ ખાતા અને વેદમાં એનો વિરોધ નથી. એટલું જ નહીં. ઊલટું, વેદ તો કેટલીક ગાયોનું માંસ ‘માત્ર બ્રાહ્મણ માટે’ એમ આરક્ષિત કરે છે. જે વસ્તુઓને આવશ્યક સમજવામાં આવે તેને માટે જ આરક્ષણના નિયમો કરાય છે. અથર્વવેદ અમુક ગૌમાંસ તે જમાનાનાં ‘રિઝર્વેશન’-વર્ગ-શિક્ષિત બ્રાહ્મણોને માટે આરક્ષિત કરવાની વાત કહે છે એટલે એ સ્પષ્ટ જણાય છે કે આ સ્વાસ્થ્ય સંબંધિત વેદ ગૌમાંસને આહારમાં આવશ્યક માને છે. અથર્વવેદનો ‘વશા ગો’ અને ‘બ્રાહ્મણ ગવિ’ સૂક્તોના ૧૨૫ જેટલા શ્લોકો આ શિક્ષિત બ્રાહ્મણો માટૈ ગૌમાંસ-આરક્ષણને ફાળવ્યા છે.

અંતિમ કથિતવ્ય : આમ, વેદમાં ગાયની અગત્ય દૂધ, ગૌમાંસ અને ખેતી તેમ જ વાહન વ્યવહાર માટે છે, પણ એને પૂજ્ય કે દૈવી મનાઈ નથી. ‘અધ્ન્યા’ માત્ર દુધાળી ગાયને કહેવાઈ છે, કારણ કે એને મારવી આર્થિક દૃષ્ટિએ હિતાવહ નથી. ‘વશા’ ગાય માંસને માટે જ ગણાય છે અને અમુક અંશે એને બ્રાહ્મણોને માટે આરક્ષિત કરવામાં આવી છે.

હિન્દુ ધર્મ વેદને પોતાની સુપ્રીમ કોર્ટ તરીકે ગણે છે, જેનો નિર્ણય અંતિમ છે, અને જો પાછળના સમયનું કોઈ પણ સંસ્કૃત કે અન્ય ભાષાનું લખાણ કે મૌખિક ભાષણ વેદે જે કહ્યું છે તેનાથી વિરુદ્ધ મત દર્શાવે તો, સાચા હિન્દુએ વેદનાં વચનને જ સ્વીકારવાનાં છે. આમ બિનસાંપ્રદાયિક ભારત ગૌહત્યા વિરુદ્ધ આર્થિક કે નૈતિક કારણોસર કાયદો કરી શકે (અને એ દૃષ્ટિએ તો એ પ્રતિબંધ સર્વ પ્રાણીઓને લાગે, માત્ર ગાયને નહીં) પણ કોઈ હિન્દુ ગૌહત્યાનો ક્યારે ય ધર્મની દૃષ્ટિએ વિરોધ ન કરી શકે. કોઈ વ્યક્તિ નૈતિક દૃષ્ટિએ શાકાહારમાં માની શકે કે આર્થિક દૃષ્ટિએ એની વિરોધ કરી શકે, પણ ગૌમાંસ કે ગૌહત્યાને માટે અત્યારે જે ધાર્મિક અસહિષ્ણુતા ઊભી થઈ છે તેને માટે કોઈ પણ તાર્કિક આધાર નથી.

સંદર્ભ

  • ૧. ‘ઋગ્વેદસંહિતા, સ્મૉલ હિમ ફાઇલ્સ ઇન દેવનાગરી’ પ્રાપ્તિ http/w.w.w./ સંસ્કૃત વેદનોટ/ ઋગ્વેદ/# ૧.૨
  • ૨. આશુતોષ ભારદ્વાજ (૨૦૧૫) ‘આર.એસ.એસ. માઉથપીસ ડિફેન્ડ્‌સ દાદરી લીચિંગઃ વેદસ ઑર્ડર કિલિંગ ઑફ સીનર્સ હુ કિલ કાઉઝ.’ ઇન્ડિયન ઍક્સપ્રેસ ઑક્ટોબર ૧૮, પ્રાપ્તિ http/ ઇન્ડિયન એક્સપ્રેસ કોમ/આર્ટિકલ ઇન્ડિયા/ ઇન્ડિયા ન્યૂઝ – ઇન્ડિયા.
  • ૩. ડિપાર્ટમેન્ટ ઑફ એનિમલ હઝબંડરી, ડેરી ઍન્ડ ફિશરીઝ (૨૦૦૨) ‘રિપોર્ટ ઑફ ધ નેશનલ કમિશન ઑન કેટલુ (રાષ્ટ્રીય ગોવંશ આયોગ)’ ચૅપ્ટર ૧, પેરા ૬૪, પ્રાપ્તિ. http/dahd.nic.in//રિલેટેડ લિંક્સ/ ચૅપ્ટર-૧ ઇન્ટ્રોડક્ષન.
  • ૪. ડિપાર્ટમેન્ટ ઑફ એનિમલ હઝબંડરી ડેરી ઍન્ડ ફિશરીઝ (૨૦૦૨) ‘રિપોર્ટ ઑફ ધ નૅશનલ કમિશન ઑન કેટલ્‌(રાષ્ટ્રીય ગોવંશ આયોગ) ચૅપ્ટર-પેરા ૬૫ પ્રાપ્તિ dehd http/dahd.nic.in/ રિલેટેડ લિંક્સ/ ચૅપ્ટર ઇન્ટ્રોડક્ષન.’
  • ૫. મિનિસ્ટ્રી ઑફ ફંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ (h.d.) ‘મૉડનૉઇઝેશન ઑફ એબટોર્સ’, પ્રાપ્તિ http/mofpi.nic.in/ સ્વીટમૂસી/ મૉડર્નાઇઝેશન – એબેટર્સ.
  • ૬. મિનિસ્ટ્રી ઑફ લૉ ઍન્ડ જસ્ટિસ (૨૦૦૮) ‘ધ કૉન્સ્ટિટ્યૂશન ઑફ ઇન્ડિયા’ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઑફ સ્ટેટ પૉલિસી, આર્ટિકલ ૪૮, પૃ. ૨૩ પ્રાપ્તિ http/lawmini.nic.in/cai/ કોએઝન ૨૯, જુલાઈ, ૦૮ pdf.
  • ૭. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય (ed) ૨૦૦૫ ‘અથર્વવેદસંહિતા’ – વીથ ઇઝી હિન્દી ઍક્સ્પ્લેનેશન ‘યુગનિર્માણ યોજના, ગાયત્રી તપોભૂમિ, મથુરા, પ્રાપ્તિ – https// વેદપુરાણ ફાઇલ્સ, વર્ડપ્રેસ કોમ/૨૦૧૩/૧૨/ અથર્વવેદ pdf.
  • ૮. શર્મા રુચિકા (૨૦૧૬) ‘હાઉ કૃષ્ણ વૉઝ ટ્રાન્સફોર્મ્ડ ફ્રૉમ ટ્રાઇબલ ડીટી ટુ એ સુપ્રીમ ગોડ ઇન ધ પુરાણિક ટ્રેડિશન.’ સ્ક્રોલ, ઑગસ્ટ-૨૪, પ્રાપ્તિ http.// સ્ક્રોલ ઇન /આર્ટિકલ/ ૮૧૪૭૫૪
  • ૯. શાસ્ત્રી જ્ઞાનપ્રકાશ (એડ) (૨૦૦૮) ‘યર્જુર્વેદભાષ્યમ્‌ – પ્રોડ્યુસ્ડ બાય શ્રીમદ દયાનંદ સરસ્વતી સ્વામી ઇન સંસ્કૃત ઍન્ડ હિન્દી’ શ્રદ્ધાનન્દ વૈદિક શોધનાસંસ્થાન, ગુરુકુલ, કાંગડી, વિશ્વવિદ્યાલય, હરિદ્વાર, પ્રાપ્તિ http/gkv.ac.in/f.wd// યજુર્વેદ pdf.

(i) ૨૦ ડિસેમ્બરે ભારત મધ્યસ્થ સરકારે લખેલા પત્રમાંથી અંશાવતરણઃ

‘જાતે મરેલાં પશુ કરતાં મારવામાં આવેલાં પશુનું ચામડું વધારે સારું હોય છે, અને એની કિંમત વધારે આવે છે. જો કતલ બંધ કરવામાં આવે, તો જે ઉત્તમ પ્રકારનું ચામડું હોય છે, જેનું નિકાસમૂલ્ય વધારે હોય છે, તે નહીં મળે. આમ, કતલ પર પૂર્ણ પ્રતિબંધ નિકાસ માટે હાનિકારક છે અને ચામડાંની ટ્રેનિંગના ધંધામાં ગેરલાભકારક સિદ્ધ થશે.’

(ii) પ્રસિદ્ધ દશ રાજાઓનું યુદ્ધ (દાશરાજ્ઞ), જેનો ઉલ્લેખ ઋગ્વેદનું, સૂક્ત ૧૮.૩૩ અને ૮૩ (૪-૮)માં છે.

(iii) સામાન્યતઃ દેવોને માટે વપરાતો ‘દેવ’ શબ્દ અનેક સ્થાને ઋગ્વેદમાં ‘દિવ’ના માણસોને માટે પણ વપરાયો છે, અર્થાત્‌ ગુજરાતના વ્યાપારી પણિઓને માટે વપરાયો છે.

(iv) વિના સમજે ગોખીને વેદસૂક્તોનું ધાર્મિક કાર્યોમાં ઉચ્ચારણ કરવું એક ક્રમ બની ગયો, અને વેદનો ઉચ્ચારમાત્ર પવિત્ર ગણાવા લાગ્યો. ઈસ્વીસન પૂર્વ ચોથી શતાબ્દીના પ્રખ્યાત સંસ્કૃત ભાષાવિદ યાસ્કના સમયમાં એવું મનાતું હતું કે વેદના મંત્રનો કોઈ અર્થ નથી, એ કારણે યાસ્કે વેદની સાર્થકતા સિદ્ધ કરવાનું કાર્ય કર્યું.

(v) ઇન્ડિયન ઍક્સપ્રેસના એક આર્ટિકલમાં આ મારા વાચવામાં આવ્યું. એમાં ‘પાંચજન્ય’માંના લેખ ‘ઇસ ઉત્પાત કે ઉસ પાર’ના લેખકનું  આ લખાણ અવતરિત કર્યું છે. ‘યજુર્વેદ ૩૦.૧૮માં કહ્યું છે કે ગૌહત્યા કરનારને મૃત્યુદંડ કરવો.’

[વિદુષી રજની દીક્ષિત સંસ્કૃતનાં નિવૃત્ત અધ્યાપક છે, અને એમનો આ અભ્યાસલેખ મૂળે ‘કાફિલા’માં પ્રગટ થયો હતો. https://kafila.online/2017/04/04/bovines-india-and-hinduism-rajani-k-dixit/ તેનો તેમણે પોતે જ કરેલો ગુજરાતી અનુવાદ.]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 09-13

Loading

ટાગોરના ‘તરંગી’ વાનગી પ્રયોગો

વિશાલ શાહ|Opinion - Opinion|24 May 2017

આમશોટ્ટો દૂધેય ફેલી

તાહાતેય કોડોલી ડોલી

શોંદેશ માખિયા દિયા તાહેય

હાપૂશ-હુપુશ શોબ્દો

ચરીદિક નિસ્તોબ્ધો

પીપરા કન્ડિયા જાયે પાતે …

ના, અહીં ગુજરાતી ફોન્ટમાં ગરબડ નથી થઈ ગઈ. તમે બરાબર જ વાંચી રહ્યા છો. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં લખેલા આ કાવ્યમાં તેમના ભોજનપ્રેમની પ્રતિતી થાય છે. કવિવર કહેવા માગે છે કે, સુંવાળા સુંવાળા આમ પાપડ (કેરીનો રસ તડકે સૂકવીને બનાવેલા પાપડ) દૂધમાં નાંખો, થોડાં પોચાં પોચાં કેળાં પણ એમાં ઝબોળો અને પછી થોડું સોંદેશ (બંગાળી મીઠાઈ) પણ લઈ લો. એ પછીની નીરવ શાંતિમાં જઠરાગ્નિ ઠરી રહ્યો હોય એવો હાપૂશ-હુપુશ (એક પ્રકારનો અવાજ) અવાજ સંભળાશે. અરે, કીડીઓ પણ ખાલી વાસણો જોઈને તેમના માળામાં પાછી ફરશે અને આંસુડા સારશે.

'નિમંત્રણ' નામના અન્ય એક કાવ્યમાં પણ ટાગોરનો કેરી પ્રેમ છતો થાય છે. એ કાવ્યમાં ગુરુદેવ કહે છે કે, બીજું કશું ના હોય તો વાંસની ટોપલીમાં ગુલાબી ઝાંયવાળી થોડી કેરીઓ રેશમના રૂપેરી રૂમાલમાં લપેટીને લાવજો … આ કાવ્યોમાં ટાગોરના ભોજનપ્રેમની માત્ર નાનકડી ઝલક મળે છે. આજે ખૂબ ઓછા લોકો જાણે છે કે, ટાગોરે જીવનના ઉત્તરાર્ધના આશરે ચાળીસ વર્ષ સુધી જુદી જુદી વાનગીઓ બનાવવાના પ્રયોગો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બાળવયે જ લખવાનું શરૂ કરનારા ટાગોરે પહેલું કાવ્ય ભોજન વિશે જ લખ્યું હતું. સાહિત્ય અને સંગીતની જેમ તેઓ સ્વાદ-સુગંધના પણ જાણતલ અને માણતલ હતા. આજકાલ તો લોકો પોતાનાથી અલગ પ્રકારનો ખોરાક ખાનારા પ્રત્યે પણ સહિષ્ણુ નથી રહી શકતા, ત્યારે ટાગોર જેવા મહામેઘાવી વિશ્વમાનવના ‘સેક્યુલર’ ભોજન પ્રેમને ખાસ યાદ કરવો જોઈએ.

રવીન્દ્રનાથ ટાગોર

ટાગોર ૧૯૦૧માં ૪૦ વર્ષની વયે (આયુષ્ય કુલ ૮૦ વર્ષ) તેમના પિતાની માલિકીની શાંતિનિકેતન એસ્ટેટમાં રહેવા જતા રહ્યા હતા. આ એસ્ટેટને તેમણે આશ્રમમાં પરિવર્તિત કરી દીધી હતી. આ આશ્રમ સ્થાપતા પહેલાં ટાગોરે અગાધ વાંચન અને પ્રવાસ કરીને અન્ય ધર્મો, સમાજ, ગીતસંગીત, કળા-સંસ્કૃિત અને ભોજનની આદતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ ખરા અર્થમાં વિશ્વ માનવ બની ચૂક્યા હતા. કદાચ એટલે જ ટાગોરને હોમ સિકનેસ જેવું કશું ન હતું. તેઓ નાનપણથી એક ઘરમાં લાંબો સમય સુધી રહ્યા ન હતા, કદાચ રહી શકતા જ ન હતા. શાંતિનિકેતનમાં પણ ટાગોરે અનેક ઘર અને કોટડીઓ બનાવી હતી. એ તમામ કોટડીમાં તેઓ વારાફરથી રહેવા જતા. આશ્ચર્યની વાત એ છે કે, ભોજનની બાબતમાં પણ ટાગોરે સતત આવા પ્રયોગો કર્યા હતા.

એક સમયે ટાગોરે શાંતિનિકેતનમાંફક્ત ઉકાળેલા ભાત અને માટીના વાસણમાં બાફેલા શાકભાજી ખાવાનું શરૂ કર્યું હતું, જેથી બીજા લોકોએ પણ પરાણે એ પ્રયોગ કરવો પડતો. મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમથી શાંતિનિકેતનમાં મહેમાન બનેલા કેટલાક સભ્યોએ ટાગોરને કહ્યું કે, લસણ પાચન માટે ખૂબ જ સારું છે. તો ગુરુદેવે સવાર-સાંજના ભોજન સાથે લસણની પેસ્ટ નાંખીને બનાવેલાં ભજિયાં ખાવાનું શરૂ કરી દીધું હતું. જીવનના એક તબક્કે ટાગોરને લાગ્યું કે, સૌથી ઉત્તમ આહાર તો બાફેલાં શાકભાજી જ છે. વળી, બંગાળીઓ ૧૫ જાતની જુદી જુદી વાનગી બનાવવા ઘણો બધો સમય બગાડે છે. એ રીતે પણ બાફેલું ખાઈ લેવું ઉત્તમ છે. આવો વિચાર કરીને ટાગોર મહિનાઓ સુધી બાફેલાં બટાકા, દૂધી, કોળું અને કારેલા પર લીંબુ નીચોવીને ખાઈ લેતા હતા.

ટાગોરે શાંતિનિકેતનમાં બનાવેલું (ક્લોકવાઈઝ) મૂળ ઘર ઉત્તરાયણ, પીળા રંગની દ્વિજ વિરામ કુટિર, ચીકણી માટીમાંથી બનાવેલી કુટિર શ્યામલી, સફેદ રંગનું ઘર ઉદયન અને વૃક્ષોની છાયામાં ઊભેલું પુનાસ્યા

ટાગોર વારંવાર રહેવાનું સ્થળ બદલતા તેનાથી પરિવારના બીજા સભ્યોને ખાસ તકલીફ નહોતી, પરંતુ તેમના જાતભાતની વાનગીઓ બનાવવાના પ્રયોગોથી શાંતિનિકેતનના બીજા સભ્યો રીતસર ચિંતિત રહેતા. થોડી રમૂજી બાબત એ પણ છે કે, ગુરુદેવ ખૂબ જ ઓછું ભોજન લેતા અને ચિત્રવિચિત્ર વાનગીઓ બનાવવાના પ્રયોગો કરાવીને બીજાને ખવડાવતા. આ ઉપરાંત તેઓ રસોઈ બનાવવાથી માંડીને વિવિધ વાનગીઓની ડાઇનિંગ ટેબલ પરની સજાવટનું એક કલાકાર જેવી બારીક દૃષ્ટિથી ધ્યાન રાખતા. તેઓ બધી જ વાનગીઓ આરસપહાણના સુંદર થાળી-વાટકામાં તૈયાર કરાવતા અને પછી જ ચીવટપૂર્વક પીરસવાનું શરૂ થતું. ગુરુદેવ ભોજન લેવામાં ઓછો રસ લેતા, પરંતુ રસોઈ બનવાથી માંડીને પીરસાય ત્યાં સુધીની બધી જ બાબતોની જાત-તપાસ કરતા.

એકવાર ટાગોર એવું જાણી લાવ્યા કે, લીમડાનાં પાંદડાંનો ગાળ્યા વિનાનો જ્યૂસ અને એરંડાના તેલમાં તળેલા પરાઠા શરીર, મગજ અને આત્મા માટે ઉત્તમ છે. થોડા દિવસ તેમણે આ પ્રયોગ પણ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ટાગોર પરિવારની સ્ત્રીઓ પણ ગુરુદેવમાં ઊંડો વિશ્વાસ રાખી તેમના વાનગી પ્રયોગોમાં સાથ આપતી. ટાગોરના પત્ની મૃણાલિની દેવીના હસ્તે જેકફ્રૂટ યોગર્ટ કરી, દહીં માલપુઆ, સુરણની જલેબી, ફૂલગોબી સોંદેશ, પરવર-જિંઘાનું રાયતું તેમ જ મસ્ટર્ડ (સરસવ) પેસ્ટમાં રાંધેલા માંસ જેવી એક એકથી ચડિયાતી વાનગીઓ જન્મી હતી. બંગાળમાં દાયકાઓથી દરિયાઈ ખોરાક, સુરણ અને ખાંડથી ભરપૂર મીઠાઈઓ ભરપૂર ખવાય છે, જે તેની ભૂગોળ અને સાંસ્કૃિતક આદાનપ્રદાનને આભારી છે. શાંતિનિકેતનમાં મૃણાલિની દેવીનું અલાયદું રસોડું પણ હતું. ત્યાં તેઓ  જાતભાતના વાનગી પ્રયોગો કરતાં અને ટાગોરના તરંગી વિચારોનો પણ અમલ કરતા. એ સમયે સ્ત્રીઓમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની આવડત હોય તો એ ખૂબ મોટો ગુણ ગણાતો.

ટાગોરે ૧૮૮૬માં તેમના જેવા જ ભેજાબાજોની 'ખામ ખેયેલી સભા' એટલે કે 'તરંગી લોકોની ક્લબ' શરૂ કરી હતી. આ ક્લબના સભ્યોમાં વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝ, દેશબંધુ ચિત્તરંજન દાસ, સાહિત્યકાર શરદચંદ્ર ચટોપાધ્યાય, શાસ્ત્રીય ગાયક રાધિકાનાથ ગોસ્વામી અને બંગાળી કવિ-સંગીતકાર દ્વિજેન્દ્રલાલ રે જેવી હસ્તીઓનો સમાવેશ થતો. આ ક્લબની બેઠકમાં ખાણીપીણી સૌથી મહત્ત્વનો હિસ્સો રહેતો. આ દરમિયાન ભોજનની જવાબદારી મૃણાલિની દેવી સંભાળી લેતાં અને બધી જ વાનગીઓ આગવી તહેજીબથી પીરસાતી. આ દરમિયાન શાંતિનિકેતનના રસોડામાંથી કેટલાંક શાકભાજીની છાલ અને બિયામાંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવવાના પ્રયોગો થયા હતા.

બોર્નવિટાની જાહેરખબરમાં ગુરુદેવ અને દસમી જુલાઈ, ૧૯૧૨ના રોજ ગીતાંજલિના પ્રકાશન વખતે ઈન્ડિયા સોસાયટી-લંડન દ્વારા આયોજિત પાર્ટીનું મેન્યૂ. આ મેન્યૂમાં વિસિચિયસ (બટાકામાંથી બનતો એક પ્રકારનો સૂપ), પ્રોન (જિંઘા) કોકટેલ, એગ્સ ફ્લોરેન્ટાઈન, કિચ લોરેઇન (ઓપન પેસ્ટ્રી જેવી નોનવેજ કેક),  ચિકન અ લા કિવ,  શેફર્ડ્સ પાઈ, ફોન્ડૂ, ફિશ વેરોનિક, રેટેટ્યૂલી (શાકભાજીનો વઘારેલો સલાડ), બ્લેક ફોરેસ્ટ રુલેડ અને એપલ સ્ટ્રુડેલ જેવી વાનગીઓનો ઉલ્લેખ છે.

શાંતિનિકેતનમાં આવ્યા પછી ટાગોરે અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, ઇટાલી, સ્પેન, તૂર્કી, આર્જેન્ટિના તેમ જ બાલી, જાવા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ કર્યો હતો. ટાગોર ખરા પ્રવાસી હતા તેથી જ્યાં જાય ત્યાંથી રાજકીય, સાહિત્યિક અને ગીત-સંગીતની જેમ ભોજનની પણ ઊંડી જાણકારી લઈને આવતા. જે કોઈ દેશોમાં ટાગોરના માનમાં ભોજન સમારંભો યોજાય ત્યારે તેઓ એક મેન્યૂ કાર્ડ અચૂક સાથે રાખી લેતા. આજે ય વિશ્વભારતીની આર્કાઇવ્સમાં એ મેન્યૂ કાર્ડ સચવાયેલા છે. ગુરુદેવે આપેલી માહિતીના આધારે શાંતિનિકેતનમાં પશ્ચિમી વાનગીઓ બનતી અને ફ્યૂઝન વાનગીઓના પણ પ્રયોગો થતા. ટાગોરે પશ્ચિમી દેશોના કલાત્મક વાસણોનો પણ સંગ્રહ કર્યો હતો, જેમાં તેઓ બંગાળી વાનગીઓનો લુત્ફ ઉઠાવતા.

ટાગોરને વાંસનું શાક પણ ખૂબ જ ભાવતું. વર્ષ ૧૯૧૩માં નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોરની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી. એ પછી ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વ બંગાળ(આજનું બાંગ્લાદેશ)ના લોકો ટાગોરને શાંતિનિકેતન મળવા આવે ત્યારે વાંસ (રાંધીને ખાઈ શકાય એવું) લઈને આવતા. આજે ય આ પ્રદેશોમાં વાંસનું શાક મોટા પાયે ખવાય છે. બંગાળની પ્રખ્યાત 'ચોરચોરી' પણ ટાગોરની પસંદીદા વાનગી હતી. બટાકા, કોળું, શક્કરિયા અને રીંગણ જેવાં શાકભાજીને સરસવના તેલમાં સાંતળીને બનાવાતી આ વાનગીમાં ક્યારેક માછલીનો પણ ઉપયોગ થાય છે. સવાર-સાંજનું ભોજન લેવામાં ટાગોર ટિપિકલ બંગાળી હતા, પરંતુ માંસ-માછલી અને સૂપની બાબતમાં તેઓ પશ્ચિમી હતા. જર્મનીની બોર કેમિકલ કંપનીએ ૧૮૯૮માં સેનેટોજિન નામનું બ્રેઇન ટોનિક બજારમાં મૂક્યું હતું. ગુરુદેવ રોજ રાત્રે એ પીને સૂઈ જતા. બ્રિટિશકાળમાં ટાગોર બોર્નવિટાની પ્રિન્ટ જાહેરખબરમાં દેખાયા હતા.

આ બંને પુસ્તકમાં ટાગોર પરિવારના રસોડાની અંતરંગ માહિતી મળે છે

આશ્ચર્યની વાત એ છે કે, જીવનની અંતિમ ક્ષણ સુધી લેખન કરનારા ટાગોરે અમુક કવિતાઓને બાદ કરતાં ભોજન વિશે ખાસ કંઈ લખ્યું નથી. જો કે, ટાગોર પરિવારની સ્ત્રીઓ જાતભાતની વાનગીઓ અને પ્રયોગોની ડાયરીમાં નોંધ (બંગાળી ભાષામાં) કરતી. એ આદતના કારણે જ આપણને બંગાળી ભોજનના ઇતિહાસને લગતાં ઉત્તમ પુસ્તકો મળી શક્યાં છે. આવું જ એક પુસ્તક એટલે 'વિમેન ઓફ ધ ટાગોર હાઉસહોલ્ડ'. આ પુસ્તક ચિત્રા દેબે બંગાળીમાં જ લખ્યું હતું, જેનો સ્મિતા ચૌધરી અને સોના રોયે અંગ્રેજી અનુવાદ કર્યો છે. પેંગ્વિન ઈન્ડિયાએ ૨૦૧૦માં પ્રકાશિત કરેલા આ પુસ્તકમાં ટાગોર પરિવારની સ્ત્રીઓ સાથે સંકળાયેલો રોચક ઇતિહાસ આલેખાયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે 'કલિનરી કલ્ચર ઓફ કોલોનિયલ ઇન્ડિયા' નામે પ્રકાશિત કરેલા પુસ્તકમાં પણ ટાગોર પરિવારના રસોડાની માહિતી મળે છે. ટાગોર પરિવારના રસોડામાં શું બનતું, ટાગોર પરિવારની સ્ત્રીઓએ કઈ કઈ વાનગીઓની શોધ કરી તેમ જ સાંસ્કૃિતક આદાનપ્રદાનમાં ટાગોર પરિવારનાં અમૂલ્ય પ્રદાન વિશે જાણકારી મેળવવા માગતા લોકો માટે આ બંને પુસ્તકો તૃપ્તિનો લાંબો ઓડકાર આપે એવા છે.

આશરે ત્રણ સદીનો ઇતિહાસ ધરાવતા ટાગોર પરિવારે રાજકીય, સામાજિક, સાહિત્ય, ગીત-સંગીતની જેમ ભારતની આહાર સંસ્કૃિતના વિકાસમાં પણ જબરદસ્ત પ્રદાન આપ્યું છે એ વાંચતી વખતે અચંબિત થયા વિના રહી શકાતું નથી!

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

Loading

ધર્મ વિષે વિચાર વલોણું

આશા બૂચ|Opinion - Opinion|23 May 2017

ફેઈથ નેટ વર્ક ફોર માન્ચેસ્ટર એક એવું સંગઠન છે જે સર્વ ધર્મ સમભાવ અને કોમી એખલાસ માટે વિવિધ વાર્તાલાપો, શાળાઓમાં જઈને અવેરનેસ સેશન્સ અને વિચાર શિબિરો યોજીને એક સરાહનીય કાર્ય કરી રહી છે. આ સંગઠનમાં સક્રિય થઈને ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તેને મારુ સદ્ભાગ્ય લેખું છું. માન્ચેસ્ટરને અલવિદા કરી તેના થોડા સમય પહેલાં, fn4m દ્વારા, એક ટચુકડી ફિલ્મ બનાવવાનો પ્રકલ્પ હાથ ધરાયો; જેમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે બોલવાનું કહેવામાં આવ્યું. એ પ્રશ્નોત્તરી અહીં જેમની તેમ રજૂ કરું છું.

સવાલ: હિન્દુ ધર્મ પાળતા સમાજના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહો છો, તો આ શહેર પાસે તમારી શી આશાઓ છે? તમારા ધર્મના બીજા લોકો પણ આવી જ આશાઓ સેવતા હશે તેમ તમે કહી શકો?

જવાબ: હું મારાં મૂલ્યો વિના રોક ટોક અમલમાં મૂકી શકું તેવું મુક્ત જીવન આ શહેરમાં જીવી શકું તેવી મારી આશા છે. એ મૂલ્યો મારા ધર્મના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના વારસાનો પરિપાક છે. અલબત્ત, હું આ મૂલ્યોની જાળવણી અન્યના અધિકારોનું ખંડન કર્યા વિના કરી શકું તેમ ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે મોટાભાગના હિન્દુ ધર્મના અનુયાયીઓ કે જેઓ માન્ચેસ્ટરમાં વસે છે અથવા કહોને કે યુનાઇટેડ કિંગ્ડમમાં અથવા સારા ય વિશ્વમાં જ્યાં ક્યાં ય પણ વસે છે તેઓની પણ આવી જ આશા રહે.

સવાલ: તમારા ધર્મનાં મૂળભૂત મૂલ્યો કયા ગણાવી શકો? તમારા ધર્મના અન્ય અનુયાયીઓ એમાં બીજાં કોઈ મૂલ્યોનો ઉમેરો કરી શકે તેમ તમે માનો છો?

જવાબ: જે રીતે હું હિન્દુ ધર્મ સમજી છું અને તેનું અર્થઘટન કરી શકી છું તેના પરથી ત્રણ મુખ્ય મૂલ્યોની તારવણી કરી છે: અ) માનવ તરીકે આપણે બધા જન્મથી સમાન છીએ અને તે સ્વીકારવું. બ) જેવી રીતે સૃષ્ટિની બીજી બધી રચનાઓ વૈવિધ્યથી ભરપૂર છે તેવી જ રીતે માનવ જાત પણ અગણિત વિવિધતાથી સભર છે. એ હકીકતનો આદર કરવો અને તેનો જશમ મનાવવો. ક) અન્યના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. જો તમે તેને અનુસરી ન શકો તો કમસે કમ પરસ્પર માટેના સમજણપૂર્વકનું સહઅસ્તિત્વ નિભાવવા તેનો સાદર સ્વીકાર કરો. સત્ય, અહિંસા અને શાંતિમય સહઅસ્તિત્વનાં મૂલ્યો આ વિચારમાંથી જ પ્રગટ થયા છે. મારા ધર્મના અન્ય સભ્યો કદાચ પોતપોતાના કૌટુંબિક અને સામાજિક ધારાધોરણનાં મૂલ્યોને કેવી રીતે પાળવા તેની રીતોને તેમાં ઉમેરવા ઈચ્છે.   

સવાલ: હિન્દુ ધર્મના એક સભ્ય તરીકે માન્ચેસ્ટરમાં રહેવામાં તમને કઈ બાબત ખાસ ચિંતનીય લાગે છે? હિન્દુ ધર્મના બીજા અનુયાયીઓને અન્ય બાબતો ચિંતીત કરતી હોય તેવું બને?

જવાબ: મારો અંગત અભિપ્રાય છે કે આજકાલ હિન્દુ ધર્મ વિષેની સમજણ યુવાન પેઢીને અપાય છે તેમાં જરા સંકુચિત દ્રષ્ટિકોણ ભાગ ભજવે છે. હિન્દુ ધર્મ જાણે કે હવે ક્રિયાકાંડ અને રીત રસમો, મૂર્તિ પૂજા અને કુટુંબના પ્રસંગોની અતિ ભવ્ય ઉજવણીઓમાં સંકોડાઇને બંધિયાર થઇ ગયો છે. આપણે આ પુરાતન ધર્મ અને સંસ્કૃિતના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના ખજાનાને સમજી, સમજાવીને અમારા પછીની પેઢીને એ મૂલ્યો અને સંસ્કારોને આધુનિક પશ્ચિમી જગતમાં કઈ રીતે અમલમાં મૂકી શકાય તેના વિષે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.

સવાલ: તમને કે અન્યોને બ્રિટનમાં હિન્દુ ધર્મના સભ્ય તરીકે રહેવામાં કોઈ પ્રકારનો ભય સતાવે છે?

જવાબ: બધા ધર્મોમાં ઉગ્ર અને જુનવાણી વિચારો તરફની કૂચનું વલણ વધી રહ્યું છે તે ચિંતા જનક છે. પોતાના ધર્મની માન્યતાઓ અને શ્રદ્ધાને ટકાવી રાખવા લોકો વધુ એકાકીપણું પસંદ કરે, જેથી કરીને  બીજા સાથે વાર્તાલાપના માર્ગો બંધ કરી દે અને તેનાથી દરેક કોમ વચ્ચે પરસ્પર અંતર વધે, જે પૂર્વગ્રહને જન્મ આપે અને છેવટ બીજા ધર્મ પ્રત્યે પરાયાપણાની દ્રષ્ટિ કેળવે તેવો આજકાલનો માહોલ રચાયો છે. મને પોતાને કે હિન્દુ ધર્મના અન્ય સભ્યોને હિન્દુ ધર્મ પર જોખમ હોય તેવું નથી લાગતું, પણ અમારા તેમ જ સહુના ધર્મની રક્ષા સુરક્ષિત વાતાવરણમાં કરવાની ઇચ્છ સહજે રહે.

સવાલ: તમારા ધર્મના મુખ્ય આદર્શો કે માન્યતાઓ શી છે?

જવાબ: વસુધૈવ કુટુંબકમ. અનેકતામાં એકતા એ અમારો આદર્શ છે. બીજો સિદ્ધાંત છે, ‘ઈશા વાસ્યમ ઈદમ સર્વમ, યત કિંચ જગત્યામ જગત, તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધ કસ્યચિત ધનમ’ એટલે જ તો આ જગતમાં જે કંઈ દ્રશ્ય કે અદ્રશ્ય ભાસે છે તે કુદરતનું પેદા કરેલું છે, તેથી તેનો ત્યાગ કરીને અથવા બીજાને આપીને ભોગ કરવો, બધું જ જાત માટે ભોગવવું નહીં અને અન્યની દોલતની કદી ઝંખના પણ ન કરવી એ ઉપદેશ નજર સામે રાખીને જીવન જીવવા સહુ પ્રયત્નશીલ રહે તે જ હિન્દુ ધર્મનું ખરું પાલન થયું ગણાય.

સવાલ: તમારા અને અન્ય ધર્મો વચ્ચે શું સામ્ય છે?

જવાબ: દુનિયાના બધા મુખ્ય ધર્મો માનવતાનાં મૂળભૂત સિદ્ધાંતો પર રચાયેલા છે. તમામ જીવોની પ્રેમ અને કરુણા દર્શાવી સેવા કરો, કોઈ પણ જીવને હાનિ ન પહોંચાડો, તમારાથી ઓછા ભાગ્યશાળી માટે કરુણા અને અનુકંપા ધરાવો અને આપણને બધાને સર્જનહારે મૂળે સમાન ઘડયા છે; આ અને આવા અનેક ઉપદેશાત્મક કથાનક સર્વે મુખ્ય ધર્મોમાં લખેલા-કહેવાયેલા જણાય છે.

સવાલ: હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે પાયાના કયા તફાવતો છે?

જવાબ: હિન્દુ ધર્મ વિષે હંમેશ એમ માનવામાં આવ્યું છે કે તે અનેકેશ્વરવાદમાં માનનારો અને મૂર્તિપૂજક ધર્મ છે, જે સત્ય હકીકત છે. અને એ તફાવત સામાન્ય લોકોની નજરે વધુ પડે છે, જ્યારે તેના આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનના આદર્શો અન્ય ધર્મો સાથે કેટલા મળતા આવે છે તે ભાગ્યે જ કોઈ નોંધે છે. અમારો ધર્મ વિવિધ પ્રતીકોથી ભરપૂર છે. એક ઈશ્વર કે અનેક ઈશ્વરની કલ્પનાની વિભાવનાને સમજવાની જરૂર છે. એ માન્યતાઓ વિષેનું અર્થઘટન એ છે કે એક ઈશ્વર એક છે પરંતુ તેનામાં અનેક ગુણો અને લાક્ષણિકતાઓ હોય છે. દરેક વ્યક્તિ કોઈ ચોક્કસ ખૂબી કે શક્તિને કોઈ એક દેવ કે દેવીમાં આરોપે છે અને એ રીતે તે એક ખાસ દેવ કે દેવી પોતાનામાં એ વિશિષ્ટ ગુણો કેળવવામાં પ્રેરણા રૂપ બને તેવું પ્રાર્થે છે, જેથી કરીને પોતાનામાં રહેલ ખામીઓ દૂર કરી શકે અને તેના પ્રત્યેની શ્રદ્ધાથી જીવનમાં આવતાં વિઘ્નો હિંમતથી પાર પાડી શકે. મને લોકો આવી વિભાવના ધરાવે તેમાં કશું અયોગ્ય નથી લાગતું. જ્યારે લોકો એવા પ્રતીકોને જ ઈશ્વર સ્વરૂપ માની તેના પૂજન-અર્ચનના બાહ્યાચારમાં અટવાઈ જાય અને ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિસારે પડી જાય ત્યારે એ વિષે ચિંતા સેવવી ઘટે. બાકી હિન્દુ ધર્મમાં તો નાસ્તિકનો પણ સ્વીકાર કરવામાં આવે છે. જે ધર્મો મૂર્તિપૂજાના વિરોધી છે અને એક જ ઈશ્વર છે તેમ માને છે તેમાંના કેટલાક લોકોએ હિન્દુ ધર્મના પૂજાગૃહોનો ધ્વંસ પણ કર્યો છે. જો તમે કોઈની શ્રદ્ધાના પ્રતીકોનો નાશ કરો તો તમે તેમના વિશ્વાસનો ભંગ કરો છો. કેટલાક મિશનરીઓ અને ધર્મના આગેવાનોએ હિન્દુ ધર્મના અનુયાયીઓને બળ અથવા ધમકીનો ઉપયોગ કરીને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પણ પાડી છે. અને આ એક મોટો તફાવત છે હિન્દુ ધર્મ અને અન્ય ધર્મો વચ્ચે. હિન્દુ ધર્મના ઇતિહાસમાં ક્યાં ય તેણે બીજા ધર્મના લોકોને પોતાનો ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવા માટે લલચાવ્યા કે બળજબરી કર્યાના ઉદાહરણ નહીં સાંપડે કે તેઓએ ધર્મને નામે અન્ય દેશો પર ચડાઈ કરી તેને ગુલામ બનાવ્યા હોય તેવું કદી બન્યું નથી તેની પણ તવારીખમાં નોંધ થઇ છે.

મારી એવી પાકી સમજ છે કે બધા ધર્મોના પાયાના સિદ્ધાંતો અને ઉદ્દેશ્યો સમાન છે, પરંતુ પૂજા-પ્રાર્થના કરવાની રીત અને કેટલાક ક્રિયાકાંડને અનુસરવાની પદ્ધતિમાં તફાવત હોય છે. એ તફાવતો પાછળના તર્ક અને કારણોને સમજવાની આપણી ક્ષમતાના અભાવ અને વૈવિધ્ય માટેની અસહિષ્ણુતાને પરિણામે સમાજમાં ખુન્નસ અને હિંસાનું વાતાવરણ પ્રવર્તે છે.

અહીં મને કહેતાં આનંદ થાય છે કે સીખ, જુઇશ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના પ્રતિનિધિઓને આ જ સવાલો પૂછવામાં આવ્યા અને જો તેમના ઉત્તરોની આગળ જે તે ધર્મનો ઉલ્લેખ કરવામાં ન આવે તો વાચકો કે શ્રોતાઓને એ જવાબોમાં એટલું સામ્ય લાગે કે કયો જવાબ કયા ધર્મના પ્રવક્તાએ આપ્યો છે તે કળી ન શકે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,3733,3743,3753,376...3,3803,3903,400...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved