Opinion Magazine
Number of visits: 9584341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અથ શ્રી ‘જાંબુ પુરાણ કથા’

વિશાલ શાહ|Opinion - Opinion|16 July 2017


એક સમયે સ્કૂલ રિસેસમાં ચાર-પાંચ દોસ્તારો ભેગા થઈને લારી કે ખૂમચાવાળા પાસેથી કાચી કેરી, આમળા, ચણી બોર, ફાલસા, રાયણ, કોઠું, શેતૂર, ગોરસ આંબલી, કાકડી, ટામેટાં, તરબૂચનાં બિયાં, ટેટીનાં બિયાં, જાંબુ, શીંગ-ચણા, દાળિયા, વટાણા કે કચુકા જેવી જાતભાતની ચીજોનો મિસમેચ બ્રેકફાસ્ટ ઓર્ડર કરીને મેગા પાર્ટી કરતા હોય, એવાં દૃશ્યો સામાન્ય હતાં  . આ બધામાં જાંબુ સિઝનલ ફ્રૂટ હોવાથી રથયાત્રા આવે એના થોડા દિવસ પહેલાં લારીઓમાં દેખાવાના શરૂ થતાં. ખૂમચાવાળો માંડ બે-ત્રણ રૂપિયામાં ચાટ મસાલો કે મીઠું ભભરાવેલા જાંબુ કાગળના પડીકામાં ભરી આપતો. જાણે જાંબુ ચાટ. જાંબુનો સ્વાદ થોડો એસિડિક કહી શકાય એવો ખાટ્ટોમીઠો અને ઉપરથી થોડી ખારાશ-ખટાશ-તીખાશ ધરાવતો મસાલો. બસ અને ટ્રેનની મુસાફરીમાં પણ આવો જ જાંબુ ચાટ ઝાપટવાની જ્યાફતો ઉડાવાતી. જાંબુ ચાટની મજા માણ્યા પછી સ્કૂલમાં હોઈએ તો એકબીજાને જાંબુડિયા રંગની જીભ બતાવાની અને શેરીમાં રમતા હોઈએ તો આસપાસ પાર્ક કરેલાં વાહનોના કાચમાં જઈને જીભ જોવાની. આવું કરીશું તો કોણ શું કહેશે અને કેવું લાગશે એવી બધી બાળસહજ બેપરવાઇમાંથી ખુશીઓના ફુવારા ફૂટતા.

આ તો પૈસા ખર્ચીને ખાવાની વાત થઈ પણ ઝાડ પરથી જાંબુ પાડીને ખાવામાં પણ ઓનલાઈન શૉપિંગ કર્યા પછી પાંચ આંકડાનું વાઉચર ફ્રીમાં મળ્યું હોય એનાથીયે વધારે આનંદ આવતો. આજે ય જૂના અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મોગલ અને અંગ્રેજકાળના સ્થાપત્યોની આસપાસ જાંબુના વૃક્ષો અડીખમ ઊભાં છે. અંગ્રેજ કાળમાં કોઈ મહત્ત્વનાં સ્થળ સુધી પહોંચવાના રસ્તે વૃક્ષો ઊગાડાતાં. વૃક્ષ જ જે તે સ્થળ સુધી પહોંચવાનું સરનામું. નવી દિલ્હીના હાઈલી સિક્યોર્ડ લ્યુટયેન્સ બંગલૉઝ એરિયામાં પીપળો, લીમડો, અંજીર અને અર્જુનની સાથે જાંબુનાં વૃક્ષો પણ હજુયે જોવા મળી રહ્યાં છે. બ્રિટિશ ભારતમાં જે તે વિસ્તારમાં સુંદરતા અને ઠંડક વધારવા તેમ જ પાણીનો પ્રશ્ન વિચારીને વૃક્ષો ઊગાડાયાં હતાં. દિલ્હી રાજપથની આસપાસનો વિસ્તાર હજુયે જાંબુનાં મહાકાય વૃક્ષોથી બનેલી લીલીછમ છત્રીઓથી ઘેરાયેલો છે. અંગ્રેજકાળમાં જાંબુનાં વૃક્ષની પસંદગી કદાચ એટલે કરાઈ હતી કે, જાંબુડો બારેમાસ પાંદડાથી ભર્યોભર્યો રહે છે. બીજાં વૃક્ષોની જેમ જાંબુનું ઝાડ પાનખરમાં બોડું નથી થઈ જતું. જો જાંબુના બદલે ઠંડા અને ભેજવાળા વિસ્તારના વિદેશી વૃક્ષો ઊગાડવામાં આવે તો ખાતર-પાણી વધારે જોઈએ, પરંતુ જાંબુનું તો વતન જ ભારતીય ઉપખંડ છે. અહીં જ તેનો જન્મ થયો હતો. ઉત્ક્રાંતિકાળમાં જ જાંબુડાને ઓછી જરૂરિયાતોથી ભરપૂર જીવન જીવવાની કુદરતી બક્ષિસ મળેલી છે.

જાંબુ ફલિન્દા 

વૈજ્ઞાનિક ભાષામાં સાયઝિજિયમ ક્યુમિની નામે ઓળખાતાં જાંબુ ફ્લાવરિંગ પ્લાન્ટ કેટેગરીમાં આવતી મિર્ટેસિયા જાતિનાં ફળ છે. જામફળ, વિદેશી મરી અને લવિંગ પણ આ જ જાતિ સાથે સંકળાયેલા છોડ છે. ભારતની દરેક મુખ્ય ભાષામાં જાંબુનું નામ છે. જેમ કે, સંસ્કૃતમાં 'જાંબુ ફલિન્દા' જેવું શાસ્ત્રીય નામ અપાયું છે, તો હિન્દીમાં ‘જામુન’, મરાઠીમાં ‘જાંભુલ’, બંગાળીમાં ‘જામ’, તમિલમાં ‘નગા પઝમ’, મલયાલમમાં ‘નવલ પઝમ’, તેલુગુમાં ‘નેરેન્ડુપન્ડુ’ અને કન્નડમાં ‘નિરાલે હન્નુ’ નામે જાંબુ ઓળખાય છે. એક સમયે પશ્ચિમી દેશોના લોકો જાંબુને બ્લેકબેરી કહેતા, પરંતુ અદ્દલ જાંબુ જેવી લાગતી બ્લેકબેરી રોઝેસિયા જાતિનું ફળ છે. બ્લેકબેરી વૃક્ષો પર દ્રાક્ષ જેવા ઝુમખામાં ઊગે છે, જ્યારે જાંબુ ઝુમખામાં નથી થતાં. આ તફાવત ખબર પડ્યા પછી પશ્ચિમી દેશોએ જાંબુને ઈન્ડિયન બ્લેકબેરી, મલબાર પ્લમ કે જાવા પ્લમ જેવાં નામ આપ્યાં છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ એગ્રિકલ્ચરે છેક ૧૯૧૧માં ફ્લોરિડામાં પહેલીવાર જાંબુની ખેતી શરૂ કરાવી હતી. અમેરિકામાં વાયા બ્રાઝિલ જાંબુ ગયાં હતાં, જ્યારે બ્રાઝિલમાં પોર્ટુગીઝો થકી ભારતીય જાંબુ પહોંચ્યાં હતાં. એ પછી તો આ પ્રદેશનાં પક્ષીઓ થકી જાંબુનાં બીજ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગયા અને થોડા દાયકામાં તો લેટિન અમેરિકાના ગુયાના, સુરિનામ, ટ્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોમાં પણ જાંબુના વૃક્ષો દેખાવા લાગ્યાં.

આ ઐતિહાસિક તથ્યો જ સાબિત કરે છે કે, જાંબુ ભારતીય ઉપખંડનું એક્સક્લુસિવ ફળ છે. ભારતની પ્રાચીન સંસ્કૃિતમાં જાંબુને ઘણું મહત્ત્વ અપાયું હોવાની પણ સાબિતીઓ છે. મરાઠી-કોંકણી સંસ્કૃિતમાં લગ્નનો માંડવો જાંબુનાં પાનથી સજાવાય છે. દક્ષિણ ભારતમાં તો જાંબુની ડાળખી કે છોડ રોપીને લગ્નવિધિ શરૂ કરાવાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોના ખેડૂતો બળદગાડું, ખેતીના ઓજારો તેમ જ ઘરના બારી-દરવાજા બનાવવા જાંબુનાં વૃક્ષનું લાકડું વાપરતા. હિંદુ ધર્મગ્રંથો અને પ્રાચીનતમ સંસ્કૃત પુસ્તકોમાં પણ જાંબુના ઉલ્લેખ છે. પુરાણોમાં પૃથ્વીલોકને સાત ખંડમાં વહેંચવામાં આવી છે. પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, ક્રોંચ દ્વીપ, શાક દ્વીપ, પુષ્કર દ્વીપ અને જંબુ દ્વીપ. આ જંબુદ્વીપ એટલે જાંબુનાં વૃક્ષોથી શોભતો પ્રદેશ. અહીં દ્વીપ શબ્દ 'ખંડ'ના અર્થમાં છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ જંબુદ્વીપની વાત કરાઈ છે. ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં આવેલું દિગમ્બર જૈનોનું તીર્થ આ 'પૌરાણિક જંબુદ્વીપ'ની તર્જ પર જ ડિઝાઈન કરાયું છે. વિષ્ણુપુરાણમાં તો જંબુદ્વીપમાંથી કેવી નદી વહે છે એનું રસિક વર્ણન કરતા કહેવાયું છે કે, મેરુ પર્વતની તળેટીનાં જાંબુનાં મહાકાય વૃક્ષો પર ઊગેલા હાથી આકારના જાંબુનાં ફળ પાકીને નીચે પડે છે. આ ફળો પર્વત પર ટકરાઈને નીચે પડે છે ત્યારે તેમાંથી રસ નીકળીને સુંદર નદીનું સર્જન થાય છે. અહીં રહેતા લોકો તેનું જ પાણી પીએ છે. આ જળનું પાન કરવાથી પરસેવો, દુર્ગંધ, વૃદ્ધત્વ અને ઈન્દ્રિયક્ષયમાંથી છુટકારો મળે છે. આ નદીને જાંબુ નદી કહે છે. જાંબુ નદીના કિનારાની માટી અને જાંબુનો રસ મિશ્રિત થાય પછી મંદ મંદ પવન ફૂંકાતા જંબુનદ નામની ધાતુ બને છે. અહીંના સિદ્ધપુરુષો આ જ માટીના આભૂષણો પહેરે છે …

જૈન ખગોળ પ્રમાણે જંબુદ્વીપની રચના

ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં ૨૫૦ ફૂટના વ્યાસમાં  ડિઝાઈન કરાયેલું જંબુદ્વીપ અને ૧૦૧ ફૂટ ઊંચો સુમેરુ પર્વત

મહાભારતના અશ્વમેઘ પર્વના અધ્યાય ૪૩ના પહેલાં જ શ્લોકમાં બ્રહ્માજીના મુખે એક સંવાદમાં કહેવાયું છે કે, ''… વડલો, જાંબુ, પીપળો, સેમલ, સીસમ, મેષશૃંગ અને પોલો વાંસ – આ લોકના વૃક્ષોના રાજાઓ છે, એ વાતમાં કોઈ શંકા નથી …'' સેમલ એટલે ઈન્ડિયન કોટનવુડ અને મેષશૃંગ એટલે ગુડમારનો વેલો. 'ભાગવત્ પુરાણ'માં પણ ક્યાંક ક્યાંક જાંબુના ઉલ્લેખ મળે છે. જેમ કે, દસમા સ્કંધના વીસમા અધ્યાયમાં કહેવાયું છે કે, ''વર્ષાઋતુમાં વૃંદાવન આવી જ રીતે પાકેલાં ખજૂર અને જાંબુથી શોભાયમાન રહેતું …'' તો દસમા સ્કંધના ૩૦મા અધ્યાયમાં બીજાં અનેક વૃક્ષોની સાથે જાંબુને પણ યમુના કિનારે બિરાજમાન મહાકાય સુખી વૃક્ષ ગણાવાયું છે. મહાભારતમાં 'દશાર્ણ' નામના એક પ્રદેશનું વર્ણન છે. આ દશાર્ણ એટલે આજના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચાયેલો બુંદેલખંડનો પ્રદેશ. આ પ્રદેશમાં કુલ દસ નદીઓ વહેતી એટલે તેનું નામ પડયું, દશાર્ણ. આ દશાર્ણ પ્રદેશનો 'મેઘદૂત'માં ઉલ્લેખ કરતા મહાકવિ કાલિદાસ કહે છે કે, ‘'… આ પ્રદેશમાં વરસાદ પછી જાંબુના લતામંડપો ફૂલેફાલે છે અને એટલે જ અહીં યાયાવર હંસો થોડા દિવસ રોકાઈ જાય છે …''

કૃષ્ણના શરીરનો રંગ જાંબુડિયો છે કારણ કે, કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે અને વિષ્ણુનો સંબંધ પાણી સાથે છે અને પાણીનો રંગ જાંબુડિયો છે. કૃષ્ણ અને શિવનું શરીર વાદળી કે જાંબુડિયા રંગનું હોવા પાછળ બીજું પણ એક કારણ અપાયું છે. પ્રકૃતિએ રચેલા આકાશ અને દરિયો જાંબુડિયા રંગના છે એટલે મૂર્તિકારો અને ચિત્રકારોએ પણ હિંદુ દેવતાઓનું શરીર જાંબુડિયા રંગનું બનાવ્યું છે. ભૂરો, વાદળી કે જાંબુડિયો રંગ આકાશ-દરિયા જેવી સ્થિરતા, ધૈર્ય, શીતળતા, સાહસ અને સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. કૃષ્ણના પેલા વિખ્યાત ભજનમાં પણ એક પંક્તિ આવે છે, 'આંબુ લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ:' ટૂંકમાં, જાંબુ એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું અતિ પૌષ્ટિક ફળ છે અને એટલે જ રથયાત્રામાં પણ જાંબુનો પ્રસાદ આપવામાં આવે છે.

જાંબુનું આખેઆખું વૃક્ષ એટલે કે ફળ, ઠળિયા, ફૂલ, છાલ અને લાકડું બધું જ ઉપયોગી છે. જાંબુના ઠળિયાને સૂકવીને-શેકીને-દળીને બનાવેલું ચૂરણ ડાયાબિટીસમાં અકસીર છે કારણ કે, જાંબુનાં તત્ત્વો સ્ટાર્ચને ગ્લુકોઝમાં પરિવર્તિત થતાં રોકવાની ક્ષમતા ધરાવે છે. ડાયાબિટીસ મટાડવાનો દાવો કરતી હર્બલ ટીમાં પણ જાંબુના ઠળિયાનું ચૂરણ મિશ્રિત કર્યું હોય છે. જાંબુનાં એસિડિક તત્ત્વોમાં પથરી ઓગાળવાનો ગુણ પણ રહેલો છે. જાંબુનું ચૂરણ પાયોરિયા જેવા દાંતના રોગમાં ફાયદાકારક છે. કબજિયાત, મરડો, કૃમિ અને પથરી જેવા પાચનતંત્રને લગતા રોગોમાં પણ જાંબુ અને જાંબુના ઠળિયાનું ચૂરણ લાભદાયી છે. પેટ સારું રહે તો ત્વચા પણ સારી રહે. એ રીતે જાંબુનું સેવન કરવાથી સુંદર ત્વચા પણ મળે છે.

જાંબુડિયું શરબત

જાંબુમાં વિટામિન 'બી' કોમ્પ્લેક્સ અને 'સી' ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત જાંબુ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેિશયમ, ફોસ્ફરસ, પોટાશિયમ અને સોડિયમ જેવાં ખનીજ તત્ત્વોનો પણ ભંડાર છે. આ તમામ તત્ત્વો કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે, જેથી હૃદયરોગ થતો અટકે છે અથવા કાબૂમાં રહે છે. જાંબુમાં કેટલાક એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ હોય છે. સીધી સાદી ભાષામાં કહીએ તો એન્ટિ ઓક્સિડન્ટ્સ એટલે એવાં તત્ત્વો કે જે શરીરમાં ઓક્સિજન સાથે ભળીને સડો કરતાં તત્ત્વોને અટકાવે. આમ, ઓક્સિડાઇસેશનને અટકાવે એવાં તત્ત્વો એટલે એન્ટિ ઓક્સિડન્ટ્સ. જેમ કે, વિટામિન સી પણ એન્ટિ ઓક્સિડન્ટ જ છે. જાંબુમાં પોલિફેનોલન્સ જેવા અનેક બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ પણ હોય છે. પોલિફેનોલ્સ કેન્સરના કોષો સામે લડનારા કેમિકલ તરીકે જાણીતું છે. કદાચ એટલે જ કિમોથેરેપી લેતા દર્દીઓને જાંબુનો જ્યૂસ પીવાનું સૂચન કરાય છે.

આયુર્વેદમાં જ નહીં, ચીન અને યુનાની ઔષધશાસ્ત્રમાં પણ જાંબુથી થતાં ફાયદાનું વિસ્તૃત વર્ણન મળે છે. આયુર્વેદમાં તો જાંબુ ક્યારે અને કેવા સંજોગોમાં ના ખાવા જોઈએ એની પણ વિગતવાર વાત કરાઈ છે. જેમ કે, સાંધાના દુ:ખાવા, લકવો, વાઇ, આંચકી જેવા રોગોમાં તેમ જ ગર્ભવતીઓને, ભૂખ્યા પેટે અને શરીરે સોજા રહેતા હોય એવા લોકોને જાંબુ ખાવાની આયુર્વેદમાં 'ના' છે.

ખેર, આ જાંબુ પુરાણ હવે અહીં જ અટકાવીએ.

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk

Loading

નાગરિક ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2017

હારનું ગણિત સાફ હોય ત્યારે ચૂંટણી લડવી, એ નાગરિક હિસ્સેદારીનો અને ઝમીરનો મામલો છે

અશોક યુનિવર્સિટીના ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક ગોપાલકૃષ્ણ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિપદ માટે અઢાર જેટલા વિપક્ષોની વિનંતી સ્વીકારી ચૂંટણીજંગમાં પ્રવેશ કર્યો એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? એમનો પૂર્વરંગ, આમ તો, સનદી સેવકનો છે. રાષ્ટ્રપતિના મંત્રીથી માંડીને હાઈકમિશનરું અને ગવર્નરું પણ કરેલું છે. આ કોયડો, જો કે, એમણે પોતે જ ઉકેલી આપ્યો છે અને પસંદગી પછી તરતના કલાકોમાં કહ્યું છે કે હું તો નાગરિક ઉમેદવાર (સિટિઝન કેન્ડિડેટ) છું.

મહાત્મા ગાંધીના પૌત્ર અને ચક્રવર્તી રાજગોપાલાચારીના દૌહિત્ર એવી ગોપાલકૃષ્ણની ઓળખાણ આપી તો શકાય, પણ કીર્તિવંત પિતામહ અને માતામહના થડે નહીં બેસતાં વિદ્યા ને કૌશલ સંપાદન કરી ઊંચી પાયરીએ જવું તે પોતે થઈને કદાચ એથી મોટી ઓળખ છે. અને એથીયે વધુ ઊંચી પાયરીએ કોઈ માંચીમિજાજમાં નહીં ગોટવાતાં ધરતીની ધૂળ અને આમ આદમી સાથે નાતો જાળવી જાણવો તે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે વેશવટો કરી એ ગ્રામજનો સાથે સુખદુઃખની વાતો કરવા નીકળી પડતા, એવી ઉજેણીના વિક્રમ ફેઇમ વાતો સાંભળવાનું બન્યું છે. અને હમણાં જ આ અખબારે હસમુખ પટેલના હવાલે યાદ આપી તેમ આપણે ત્યાં બનાસકાંઠામાં એ અજાણ્યા અણઓળખાયા શ્રમિકનું જીવન ગુજારી ચૂક્યા છે.

રહો, હમણાં પશ્ચિમ બંગાળના એમના રાજ્યપાલકાળની જિકર કરી એનો એક ખાસ સંદર્ભ આજના સંજોગોમાં જે છે તે તો નોંધવો જ રહ્યો. એમણે નંદીગ્રામમાં સી.પી.એમ. સરકારે જે દમનનું વલણ લીધું એને વિશે સ્પષ્ટ વિરોધમત દર્શાવતાં સંકોચ કર્યો ન હતો. એક રીતે, એ એમનો અસાધારણ નિર્ણય હતો; કેમ કે કૉંગ્રેસ-ડાબેરી જોડાણવાળી યુ.પી.એ. સરકારના એ દિવસો હતા અને તરતમાં આવી રહેલ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિચારાઈ રહેલાં સત્તાવાર નામોમાંયે એ હોઈ શકતા હતા. પણ નંદીગ્રામના ઘટનાક્રમમાં એમણે દાખવેલ પ્રજા-અનેે-ન્યાય-પરક અભિગમ પછી રાજ્યની ડાબેરી સરકારનું વલણ એમની પસંદગી બાબતે વીટોના કુળનું હતું. ઊંચી પાયરીએ પહોંચવાની જે લાયકાત ગોપાલકૃષ્ણે નાગરિક સંધાનથી મેળવી હતી એ જ ડાબેરી સરકાર સારુ એમની ગેરલાયકાત બની રહી. આગળ ચાલતાં, તમે જુઓ, સિંગુરના મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને વિપક્ષનેતા (ભાવિ મુખ્યમંત્રી) મમતા બેનરજી વચ્ચે વાતચીત વાટે ભોં ભાંગવાની પહેલકારી આ જ સિટિઝન ગવર્નરની હતી!

એ રીતે જોતાં, એમની વર્તમાન ઉમેદવારી બાબતે ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ જોડે આવ્યાં તે સાથે આખું વર્તુળ કેમ જાણે પૂરું થાય છે. બેશક, ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પણ બની શક્યા હોત, પણ રામનાથ કોવિંદના જવાબમાં મીરાં કુમારની વરણી પાછળ દલિત કાર્ડનું સામસામું રાજકારણ કદાચ દુર્નિવાર હતું. જે તે રાજ્યમાં સ્થાનીય ધોરણો અનુસાર ક્યાંક ઓ.બી.સી. તો ક્યાંક દલિત હોઈ શકતા રામનાથ કોવિંદ સામે જગજીવનરામનાં પુત્રી, પૂર્વસ્પીકર મીરાં કુમારને લડાવવાનું મનોગણિત સમજી શકાય એમ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર રાજ્યપાલ કોવિંદના પક્ષે રહ્યા એથી વિપક્ષી એકતામાં પડી શકતી દરાર સામે ડેમેજ કન્ટ્રોલ તરીકે એમને માન્ય, બલકે એમણે જેમને રાષ્ટ્રપતિ ભવનમાં જોવા પણ પસંદ કર્યા હોત તે ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર બનાવવાનો ચોક્કસ લાભ બેશક છે.

‘ફર્સ્ટ પોસ્ટ’માં લખતાં સંજયસિંઘે એ મુદ્દે ધોખો કીધો છે કે રાજમોહન હોય કે ગોપાલકૃષ્ણ, મહાત્માના પૌત્રો ક્યાં સુધી ચૂંટણીઓ હારવા માટે જ લડતા રહેશે. વળી ઉમેર્યું છે કે આ રીતે તો તેઓ ઊલટાના મહાત્માના વારસાને નીચે ઉતારી અપ્રસ્તુતતા વહોરે છે.

શું કહીશું, આ સંજયદૃષ્ટિ માટે? લોકશાહીમાં નાગરિક લેખે સક્રિય હિસ્સેદારી – જેમાં ચૂંટણી લડવુંયે હોઈ શકે – એ તો લૂણ છે. જયપરાજય તો પછીની વાત છે, દ્વૈતીયિક વાનું છે. વાનાનું વાનું તો હિસ્સેદારીનો પડકાર ઝીલવો તે છે, અને મહાત્માના પૌત્રો બાપને ગલ્લે બેઠા દાપુંદરમાયું ઉઘરાવી ન ખાતા હોય એથી મહાત્માએ શા સારુ રાજી ન હોવું જોઈએ? વાત એમ છે કે રાષ્ટ્રપતિ ભવનમાં જઈ શક્યા હોત એ ગાળામાં નંદીગ્રામ દરમ્યાનગીરીથી સંભવિત ટેકેદારોની ખફગી વહોરવી અને હવે જ્યારે હારનું ગણિત સાફ છે ત્યારે ચૂંટણી લડવી, એ ઝમીરનો સામલો છે.

મુદ્દે, જયપરાજયથી ઉફરાટે આ ચૂંટણીપ્રવેશ સાથે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રીય વિમર્શ ધોરણસર ચાલે એવી શક્યતાઓનો માહોલ સરજે છે. વિપક્ષોના નિમંત્ર્યા એ પ્રવેશ્યા છે એ સાચું પણ એમના પ્રવેશ-પ્રક્ષેપણને એમણે નાગરિકના હસ્તક્ષેપ તરીકે ઘટાવવાપણું જોયું છે. ગોપાલકૃષ્ણ ગાંધીને અભીષ્ટ નાગરિક હસ્તક્ષેપ એક રીતે આપણા સ્વાતંત્ર્યસંગ્રામનું, ને પછી બીજા સ્વરાજ માટેના સંઘર્ષનું સાતત્ય દર્શાવે છે. કૉંગ્રેસના ચાર આના સભ્ય મટી ગયેલા ગાંધી આ નાગરિક હસ્તક્ષેપનું જો તરત સાંભરતું દૃષ્ટાંત છે તો સ્વાતંત્ર્યોત્તર ભારતમાં એનું સૌથી મોટું દૃષ્ટાંત કદાચ જયપ્રકાશનું છે. આ પેરેલલ સંભારતી વેળાએ ગાંધીજેપીનાં કદ ને કાઠી સાથે ગોપાલકૃષ્ણને મૂકવાની કોઈ ચેષ્ટા કરવા ધારી નથી. માત્ર, ફ્રિક્વન્સી અને તરંગલંબાઈને ધોરણે ગાંધીજેપી ઘટનાને સંભારી જરૂર છે.

રાજકારણને આપણે સામાન્યપણે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ખંડી લેવાતો ઈલાકો સમજીએ છીએ. વસ્તુતઃ દેશનો સુવિસ્તૃત નાગરિક સમાજ, આ બેઉ કરતાં ક્યાં ય મોટો છે. જો માત્ર પક્ષો વચ્ચે જ બધો હિસાબ હોય તો નાગરિકનું તો નામું જ નંખાઈ જાય ને. સામસામા મેનિફેસ્ટોમાં બધું સમેટાઈ જવાનું હોય તો નાગરિક પહેલને અવકાશ ક્યાંથી હોઈ શકવાનો હતો. બંધારણનાં મૂલ્યો, બૃહદારણ્યક ઉપનિષદના ઋષિએ જેમ ધર્મને ‘ક્ષત્રિયનો પણ ક્ષત્રિય’ કહ્યો હતો તેમ ઢંઢેેરાનાં ઢોલનગારાં અને સામસામા પેચપવિત્રા કરતાં ક્યાં ય ઊંચે છે. સભામાં, જંગમાં એનો અવાજ, નાગરિકનો બળુકો અવાજ, છેવટે વિભીષણ-વિકર્ણ તરજ પર ક્યાંકથી, કશેકથી તો ઊઠવો જોઈએ ને.

એવું જ રાજ્યની સંસ્થાઓનું. ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્રમાં જ જો સઘળું સમેટાઈ જતું હોય તો લોક ક્યાં, એનો અવાજ ક્યાં. માન્યું કે ચુંટાઈને બેઠેલાઓ (ઘણુંખરું જે તે પક્ષના નુમાઇન્દાઓ) દેશના કાનૂનન સાર્વભૌમ (લીગલ સોવરેન) છે. પણ રાજકીય સાર્વભૌમ, ખરેખરના માલિક તો નાગરિક છે. જેને બિબ્લિકલ ગુજરાતી કહી શકીએ એવા અનુવાદમાં ગાંધીએ થોરોની વાત ભરીબંદૂક મૂકી આપી છે કે આપણે પહેલાં મરદ અને પછી રૈયત છીએ. બુધવારે (12મી જુલાઈએ) બરાબર થોરોનાં બસો વરસે ગોપાલકૃષ્ણનો ચૂંટણી પ્રવેશ આ ફ્રિકવન્સી પરની બીના છે.

વાતનો બંધ વાળતાં આપણે ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર (ડેઝિગ્નેટ) હું તમને વડાપ્રધાનપદે જોવા ઇચ્છતો નહોતો’ એ અસંદિગ્ધ શબ્દો સાથે ગોપાલકૃષ્ણ ગાંધીએ મે 2014માં લખેલ પ્રગટ પત્રને સંભારીશું: ‘ભારત તો વિવિધતાઓથી ભરેલ જંગલ સમાન છે જે સાંસ્કૃિતક વૈવિધ્યને રાજનૈતિક એકેશ્વરવાદનો રંગ આપીને નહીં, પરંતુ પોતાની વિવિધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઇચ્છે છે … (પણ) તમારાં નિવેદન લોકોમાં ડર પેદા કરે છે, નહીં કે વિશ્વાસ. મિસ્ટર મોદી, લોકશાહી ભારતમાં આ તમારી વિશેષતા ન હોઈ શકે. કારણ કે તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો.’

શું કહીશું આને, જન કી બાત, જે કહેવાને ગોપાલકૃષ્ણ પ્રવેશ્યા છે.

સૌજન્ય : ‘લોકશાહીનું લૂણ’, “દિવ્ય ભાસ્કર”, 15 જુલાઈ 2017

Loading

… અને હવે આમિર ખાનના પીળા રૂમાલની ગાંઠ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 July 2017

આપણે જેને ઠગ-પીંઢારા એવા જોડિયા નામથી ઓળખીએ છીએ, તે ઠગ હકીકતમાં કેવા હોય એની ખબર ગુજરાતી વાચકોને 1970 પછી પડી હતી. તે વર્ષે હરકિશન મહેતાની મશહૂર ધારાવાહિક નવલકથા ‘અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ પ્રકટ થઇ. 1968થી એ હપ્તાવાર આવતી હતી એટલે મુશાયરાઓની ભાષામાં કહીએ તો, ‘હવા’ બંધાઇ જ ગઇ હતી અને પુસ્તકરૂપે એની પ્રથમ આવૃત્તિ આવી ત્યારે ઇન્સ્ટંટ હિટ થઇ ગઇ. એ પહેલાં લોકોએ ઠગોની વાતો માત્ર લોકવાયકા મારફતે જ સાંભળી હતી.

હરકિશન મહેતા અને ‘પીળા રૂમાલની ગાંઠ’ વિશે ગુજરાતીમાં બહુ લખાઇ ગયું છે. લોકરંજક વાર્તાઓના ચાહકોને ખબર છે કે હરકિશન મહેતાએ જે પ્રથમ બે માસ્ટર ક્લાસ નવલકથાઓ આપી – ‘જગ્ગા ડાકુના વેરનાં વળામણાં’ અને ‘પીળા રૂમાલની ગાંઠ’- તે અપરાધની દુનિયાના વિષય તરીકે એક નવી શરૂઆત હતી. મતલબ કે અપરાધી તરીકે ડાકુઓ અને ઠગ બંને લોકરંજક વાર્તા સાહિત્યમાં સાવ જ નવો વિષય, એટલે ‘આમાં આવું હોય?’ એવા આશ્ચર્ય સાથે બંને નવલકથાઓ જબરદસ્ત લોકપ્રિય થઈ. ફૉલો-અપમાં તો હરકિશનભાઈ ‘ચંબલ તારો અજંપો’માં ફરી પાછા ડાકુઓને લઇને આવ્યા, અને પછી તો ગુજરાતીમાં બીજા લેખકો પણ ડાકુકથા લાવ્યા.

ઠગનો વિષય પહેલીવાર અને છેલ્લીવાર ‘પીળા રૂમાલની ગાંઠ’માં આવ્યો. ડાકુઓ તો સિનેમામાં પણ આવતા હતા, પરંતુ અપરાધીઓના કબીલા તરીકે ઠગ આટલા બેરહમ, રહસ્યમય, અંધશ્રદ્ધાથી ભરપૂર અને ચકોર હોય એ વાત જ નવી હતી. મધ્યભારતમાં ઠગોની એક સંસ્કૃિત હતી, અને એનાથી સામાન્ય લોકોથી લઇને અંગ્રેજ સરકાર પણ ખાસી પરેશાન હતી. હરકિશન મહેતા અમીર અલી નામના આવા જ એક અત્યંત ઘાતકી અને બુદ્ધિશાળી ઠગની વાર્તા લઇને આવ્યા ત્યારે ગુજરાતી વાચકોને પહેલીવાર મધ્યભારતના બે સદી જૂના અંડરગ્રાઉન્ડ ઇતિહાસની ખબર પડી.

સમાચાર એ છે કે, વાસ્તવિક ચરિત્રો કરવા માટે મશહૂર અામિર ખાને અમીર અલી ઠગની ભૂમિકા સ્વીકારી છે. ‘ઠગ ઑફ હિન્દોસ્તાન’ નામની યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ આગામી દિવાળીએ રિલીઝ થશે. એમાં આમિર સાથે પહેલીવાર અમિતાભ બચ્ચન પણ છે, જે સંભવત: ઠગ સંસ્કૃિતનો સફાયો કરનાર બ્રિટિશ અફસર વિલિયમ હેનરી સ્લીમેનનો કિરદાર કરે છે, જેણે 1835માં અમીર અલી ઠગને ગિરફતાર કરીને સરકારી સાક્ષી બનાવ્યો હતો.

હરકિશનભાઇના કારણે જે ચરિત્ર ઘરે-ઘરે જાણીતું બની ગયું અને જે હવે સિનેમાના પરદા ઉપર આવીને નવી પેઢીનું રંજન કરશે, તે અમીર અલી અને એની ઠગાઇની દુનિયાને ઓળખવા જેવી છે – જે હરકિશનભાઇની નવલકથાથી પણ આગળ જાય છે. જેમણે ‘પીળા રૂમાલની ગાંઠ’ ધ્યાનથી વાંચી હશે એમને ખબર હશે કે હરકિશનભાઇએ એની પ્રસ્તાવનામાં જ લખ્યું હતું કે ‘પીળા રૂમાલની ગાંઠ’ નવલકથા અંગ્રેજ લેખક કર્નલ મેડોઝ ટેલરે 1839માં લખેલી તથ્યાત્મક નવલકથા ‘કન્ફેશન ઑફ અ ઠગ’ આધારિત છે. ‘પીળા રૂમાલ’ પહેલાં 19મી સદીના બ્રિટનમાં આ ‘કન્ફેશન ઑફ અ ઠગ’ એક બેસ્ટ સેલર પુસ્તક બની ચૂક્યું હતું.

આ કર્નલ ટેલર પંદર વર્ષની ઉંમરે મુંબઇના એક અંગ્રેજ વેપારીના ક્લાર્ક તરીકે આવેલા અને પાછળથી હૈદરાબાદ નિઝામ માટે પૂરી જિંદગી કામ કરતી વખતે હૈદારાબાદની જેલમાં આવેલા અમીર અલી ઠગના પરિચયમાં આવેલા. આ અમીર અલીને કર્નલ સ્લીમને પકડ્યો હતો. જે અંગ્રેજ સરકારે ઊભા કરેલા ઠગ અને ડાકુ વિરોધી વિભાગનો કમિશનર હતો. 19મી સદીના પ્રારંભે ભારતમાં ઠગ લોકોનો આતંક એટલો બધો હતો કે અંગ્રેજોને પણ લાગતું હતું કે ભારતની જનતાનો વિશ્વાસ અને ખુદ ભારતને જીતવું હશે તો આ ઠગોની સફાઇ કરવી પડશે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ માહિતી પ્રમાણે ઠગ સંસ્કૃિતના 500 વર્ષના ઇતિહાસમાં અંદાજે 10 લાખ લોકોની હત્યા થઇ હતી. કેવી રીતે? ઠગ રસ્તે જતા યાત્રીઓનો વિશ્વાસ જીતીને કાફલામાં સામેલ થઇ જતા અને લાગ જોઇને દરેક યાત્રીની પાછળ ગોઠવાઇ જઇને એના ગળામાં પીળા રંગનો રેશમી રૂમાલ બાંધીને શ્વાસ રુંધી નાખતા, અને પછી કાફલાનો માલ-સામાન લૂંટી લેવાતો.

કર્નલ હેનરી સ્લીમન આમ તો બ્રિટિશ આર્મી ઑફિસર હતો, પણ પાછળથી વહીવટી કામમાં પણ જોડાયેલો. એમાં એની સૌથી મોટી ઉપલબ્ધિ આ ઠગોની ગેંગની સફાઇ કરવાની. ઠગોનો સૌથી વધુ ત્રાસ ઉત્તર અને મધ્ય ભારતમાં હતો. એટલે સ્લીમેને જબલપુર જિલ્લાને એનું વડું મથક બનાવેલું. જબલપુરથી 62 કિલોમીટર દૂર એના નામ પરથી સ્લીમનાબાદ નામનું ટાઉન પણ છે, જ્યાં પોલીસ થાણાના પરિસરમાં પીપળાના ઝાડ ઉપર ઠગોને લટકાવી દેવાતા હતા. કહે છે કે સ્લીમનના ઇંગ્લેન્ડ સ્થિત વારસદાર પાસે આવા જ એક ઠગનો પીળો રૂમાલ આજે ય છે.

આ સ્લીમને ઘણા ઠગોના એન્કાઉન્ટર કરેલાં કે નિષ્કાષિત કરેલા, પરંતુ એમાંથી બે ઠગ સરદાર મર્યા પછી પણ ‘જીવતા’ રહી ગયા. એક, બહેરામ જમાદાર અને બીજો, સૈયદ અમીર અલી. બહેરામ જમાદાર દુનિયાનો પહેલો સિરિયલ કિલર અને માફિયા ગણાય છે. 1790થી 1840 વચ્ચેના ગાળામાં આ બહેરામ કુલ 931 જેટલી હત્યામાં સંડોવાયેલો હતો. સ્લીમનની ટીમના ઑફિસર જેમ્સ પેટોન પાસે આ બહેરામે એવી શેખી મારી હતી કે, ‘મેં મારા હાથે રૂમાલ બાંધીને 125 લોકોની કતલ કરી હતી, અને આવી રીતે બીજા 150 લોકોની કતલ વખતે હું હાજર હતો.’ 1840માં આ બહેરામ જમાદારને અંગ્રેજોએ લટકાવી દીધો હતો.

અમીર અલી વધારે ફેમસ થઇ ગયો, કારણ કે હૈદારાબાદની જેલમાં એણે કર્નલ ટેલરને પોતાની વાત માંડીને કરી હતી. ટેલર સાહેબ ‘કન્ફેશન ઑફ અ ઠગ’માં લખે છે, ‘હું એને 1832માં મળ્યો હતો. એને સાગર(મધ્યપ્રદેશ)માંથી નિઝામનાં રાજ્યોમાં કાઢી મુકાયો હતો અને એ સરકારનો સાક્ષી બની ગયો હતો. એણે જે કબૂલાતો કરી હતી એ રોચક અને ડરામણી હતી. સરકારી રેકોર્ડ, બીજા ઠગોની કબૂલાત અને એની ખુદની વાત પ્રમાણે એ 719 લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. એણે મને એકવાર કહ્યું હતું, ‘ઓ સાહેબ, હું બાર વર્ષ જેલમાં રહ્યો ન હોત તો આંકડો એક હજારનો હોત.’

ટેલરસાહેબે આ કબૂલાતને વાર્તામાં ઢાળીને ત્રણ ભાગમાં નવલકથા લખી, જે 1839માં પ્રગટ થઇ. આ પહેલાં અમીર અલીને પકડનાર કર્નલ સ્લીમને 1836માં ઠગો દ્વારા બોલાતી વિશિષ્ટ ભાષા ઉપર ‘રામોસી’ નામના વિચિત્ર ટાઇટલ હેઠળ પુસ્તક લખ્યું હતું. જેમાં સૈયદ અમીર અલી(જેને એ ફિરંગી કહે છે)ની વાત હતી, જેણે જયપુરથી શરૂ કરીને સુરત સુધી જાળ બિછાવતી ઠગોની કામ કરવાની પદ્ધતિ બતાવી હતી.

સ્લીમને ઠગોની દુનિયા ધ્વસ્ત કરી એનાથી ભારતીયોનો બ્રિટિશરાજમાં વિશ્વાસ અને વફાદારી વધી, એ બાબત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી છે. ઠગોથી રાજા-રજવાડાં યાત્રાળુઓ અને સોદાગરો એટલા પરેશાન હતા કે એમનો આ આતંક ઓછો ન થયો હોત તો કદાચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો ઇતિહાસ જુદો હોત. સ્લીમનાબાદ પોલીસ થાણામાં મોટા બોર્ડ ઉપર અને બહાર વરંડામાં પીપળાના ઝાડ ઉપર આનો ઇતિહાસ આજે પણ ગવાહી પૂરે છે.

‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 જુલાઈ 2017

https://www.facebook.com/permalink.php?story_fbid=1848160168845367&id=1379939932334062&substory_index=0

Loading

...102030...3,3343,3353,3363,337...3,3403,3503,360...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved