Opinion Magazine
Number of visits: 9687748
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનું વિભાજન ધર્મને આધારે શા કારણે થયું?

આશા બૂચ|Opinion - Opinion|22 September 2017

‘Partition me and my family’ – એ શીર્ષક હેઠળ BBC1 પર, થોડા વખત પહેલાં, રજૂ કરાયેલ એક કાર્યક્રમે વિચાર મંથન પેદા કર્યું, તેના પરિણામ સ્વરૂપ આ લખાણ લખાયું. સ્વાભાવિક રીતે આ લેખમાં તેમાંથી કેટલીક વિગતો લેવામાં આવી છે.

ભારત કે હિન્દુસ્તાન નામે ઓળખાતી એ પુરાતન ભૂમિની એક પહેચાન હતી નિરાળી. 1947માં જે દેશ India તરીકે જીવી રહ્યો હતો, તેના ધર્મને આધારે બે ભાગ થયા, પ્રજાસત્તાક ભારત અને મુસ્લિમ સ્ટેટ પાકિસ્તાન. ભારતના ભાગલા શા માટે કરવામાં આવ્યા, તેનો જવાબ તમે કોને પ્રશ્ન પૂછો છો તેના પર આધાર રાખે છે. જેમણે આઝાદીની લડાઈમાં ભાગ લીધેલો કે જેઓ એ વિષમ પરિસ્થિતિનો ભોગ બન્યા અને બચવા પામ્યા તેમાંના હવે બહુ ઓછા લોકો જીવિત છે. વિભાજન પહેલાં ભારતમાં બધી કોમ મહદ્દ અંશે સંપીને રહેતી એ હકીકત કહેનારા જીવિત નહીં હોય, ત્યારે આવનારી પેઢીઓ સંસ્થાનવાદના ઇતિહાસને કેવી રીતે જોશે અને તેમાંથી શું તારણ કાઢશે તે કહેવું મુશ્કેલ. ભારત – પાકિસ્તાનને સ્વતંત્રતા મળ્યે 70 વર્ષનાં વહાણાં વાયાં, તે ટાંકણે બંને દેશોના ભૂતકાળ, વર્તમાન કાળ અને ભાવિ વિષે ખૂબ ચર્ચા થઇ રહી છે, તે વેળા એક સવાલ ઊઠે છે મનમાં, જો ભારતના ભાગલા ધર્મને આધારે ન થયા હોત તો? તો શું કોઈ બીજા મુદ્દાને લઈને બે દેશ બન્યા હોત? કે એક અખંડ દેશ સ્વતંત્ર થયો હોત?

એક અભિપ્રાય એવો છે કે બીજા વિશ્વયુદ્ધમાં જો બ્રિટનને જોરદાર આર્થિક ફટકો ન પડ્યો હોત અને મજૂર પક્ષ સત્તા પર ન આવ્યો હોત, તો ભારત હજુ બ્રિટનના તાબામાં જ લહેર કરતું હોત. વળી, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે અને હજુ આજે પણ કેટલાક લોકોની એવી માન્યતા હતી અને છે કે હિન્દુ, મુસ્લિમ અને સીખ પ્રજા ક્યારે ય સાથે રહી નહોતી અને રહી શકી ન હોત, તેથી દેશનું વિભાજન અનિવાર્ય હતું. કદાચ આઝાદી બાદ કેટલીક શાળાઓમાં ઇતિહાસના પાઠમાં એ જ વાત સમજાવાતી હતી અને દુનિયાને તો એ જ વાત કહીને વિભાજન વ્યાજબી ઠરાવાયેલું હતું. જો એ ત્રણેય કોમ વચ્ચે કાયમની દુશ્મનાવટ હતી, તો મોગલ શાસન અને બ્રિટિશ શાસનના 150 વર્ષ દરમ્યાન કેમ બે જુદા દેશો ન બન્યા?

એક વિચારધારા એવી પણ હતી કે ભારતને સ્વતંત્રતા મેળવવાનો એક માત્ર માર્ગ દેશના ભાગલા પર થઈને જ જતો હતો. જો આ માન્યતામાં વજૂદ હોય તો એ લોકોને પૂછી શકીએ કે 1857માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જેને ‘બળવા’ તરીકે ઓળખાવેલ એ મૂળે તો બ્રિટિશ સત્તાની જડ ભારતમાં ન જામે તે માટેનો હિન્દુ-મુસ્લિમ બંને કોમનો સહિયારો પ્રયાસ હતો એ ભૂલી ગયા? ઈ.સ. 1905માં બંગાળના ભાગલા કરીને ભવિષ્યમાં થનારા પૂરા દેશનું ધર્મને આધારે વિભાજન કરવાનાં બીજ બ્રિટિશ સરકારે રોપી દીધેલાં. બંગ ભંગને પરિણામે બે કોમ વચ્ચે અવિશ્વાસ અને વૈમનસ્યની લાગણી જોર પકડવા માંડેલી. હા, મોગલ સામ્રાજ્ય દરમ્યાન લઘુમતી સંખ્યાના મુસ્લિમ શાસકોએ બહુમતી સંખ્યક હિન્દુ પ્રજા પર રાજ્ય કરેલું, પરંતુ ત્યારે બંને કોમની આમ પ્રજા મહદ્દ અંશે એખલાસથી રહેતી આવી અને તેથી જ તો સારાયે મોગલ સામ્રાજ્ય હેઠળના પ્રદેશોનો વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થયેલો, એનો ઇતિહાસ સાક્ષી છે. ‘હિન્દુ મુસ્લિમ પ્રજા ક્યારે ય સાથે રહી નહોતી’ એમ કહેનારા કદાચ પેલા છ અંધજનોએ હાથીને જે રીતે ‘જોઈને’ હાથી વિષે પોતાનો અભિપ્રાય આપેલો તેવી રીતે ભારતના છેલ્લા હજારેક વર્ષના ઇતિહાસને એક આંખે જોયો હોય તેમ ન બની શકે?

રાજકારણમાં ધર્મની ધજા ક્યારથી લહેરાવવામાં આવી તે જોઈએ. 1885માં Indian National Congressની સ્થાપના થઇ. તેના સભ્યો અને હોદ્દેદારોની યાદીમાં હર કોમ અને ધર્મના લોકોના નામ જોઈ શકાય. એટલું જ નહીં, 1916ના લખનૌ કરાર વખતે મુહમ્મદ અલી જિન્નાહ કે જેઓ કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પણ સભ્ય હતા, તેમણે આ બંને સંગઠનોને બ્રિટિશ સરકાર પર Indiaને વધુ સ્વાયત્તતા આપવા માટે દબાણ લાવવા સહમત કરેલા. તો સવાલ એ થાય કે મુસ્લિમ લીગ અને મુહમ્મદ અલી જિન્નાહ ‘મુસ્લિમો માટે અલગ મુલ્ક’ની માગણી ક્યારથી કરવા લાગ્યા અને શા માટે તેમની વફાદારીએ પડખું બદલ્યું? એવી કઈ પરિસ્થિતિ ઊભી થઇ જેથી સદીઓથી સાથે હળી મળીને રહેનાર પડોશીઓ એક બીજાના જાન લેનારા બન્યા? જેમનાં ભાષા, ખોરાક અને પહેરવેશ સરખાં હતાં, જેઓ એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવતા, સુખે-દુ:ખે પરસ્પરનું જીવન જાળવી લેતા એ એકાએક ખૂન તરસ્યા કેવી રીતે બની ગયા?

એક રસપ્રદ વાત જાણવામાં આવી. મુસ્લિમો માટે અલગ દેશ હોય તેવો ખ્યાલ મુસ્લિમ લીગના સભ્યો અને ખાસ કરીને મુહમ્મદ અલી જિન્નાહને જ આવ્યો હશે, તેવું અનુમાન થાય તે સ્વાભાવિક છે. પરંતુ હકીકત કંઈ જુદી છે. 1933માં કેમ્બ્રીજ્માં કાયદાનો અભ્યાસ કરનાર ચૌધરી રહેમત અલી ખાને ‘Now or Never – are we to live or perish for ever? શીર્ષક સાથે એક ચોપાનિયું બહાર પાડયું, તેમાં પ્રથમ વખત ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રયોગ કરાયેલો. એ નામમાં નવા બનનારા કાલ્પનિક દેશમાં સમાવી લેવાનારા જુદા જુદા મુલકના નામોનો સમાવેશ કરાયેલો. ‘પ’ પંજાબનો, ‘અ’ અફઘાનિસ્તાનનો, ‘ક’ કાશ્મીરનો, ‘સ’ સિંધનો અને ‘સ્તાન’ બલૂચિસ્તાનનો દ્યોતક. એમ કરીને એ શબ્દ રચાયો – ચતુર આદમી ખરો એ બંદો.

મજાની વાત એ છે કે તેના આવા ઉશ્કેરણી કરે તેવા વિચારો પ્રગટ થયા બ્રિટનમાં, તો પણ ભારતમાં તે વખતે કોઈ અલગ દેશ માગવાનો વિચાર નહોતું કરતું. તો સવાલ એ થાય કે 1935ની સાલ પછી એવું તે શું બન્યું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સંયુક્ત વસતી 40 કરોડની હતી તે ત્રણ દેશોમાં વહેંચાઈ ગઈ? એક સક્ષમ ધારાસભ્ય અને ઇતિહાસવિદ્દ શશી થરૂર કહે છે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજ્ય વહીવટ દરમ્યાન થયેલ 1857ના મુક્તિ સંગ્રામમાં હિન્દુ-મુસ્લિમ ઐક્ય બ્રિટિશ સત્તાને કેવી હચમચાવી નાખે છે, તેનું માપ નીકળી ગયું તેથી કંપની સરકાર પાસેથી વહીવટ  હાથમાં આવતાં જ બ્રિટિશ સરકારે લોર્ડ કર્ઝનના કર કમળથી બંગાળના ધર્મને આધારે ભાગલા 1905માં કર્યા, મુસ્લિમ સંગઠનો અને મદરેસાને અલગ ભંડોળ પૂરું પાડયું એટલું જ નહીં,  હિંદુઓને હિન્દુ અને મુસ્લિમને મુસ્લિમ ધારાસભ્ય ચૂંટવાની સગવડ કરી આપીને અલગતા માટે માર્ગ મોકળો કરી આપ્યો. આમ છતાં હજુ 1930-40ના દાયકામાં એ તબક્કે પણ અલગ દેશની માગણી નહોતી કરાઈ. આથી જ તો 1915/1920થી શરૂ થયેલ અને 1942ની છેલ્લી ચળવળ સુધીની તમામ ચળવળ આઝાદી માટેની હતી, કોઈ એક કોમના અધિકાર માટેની નહોતી.

ગાંધીજીના ભારતીય રાજકારણના તખ્તા પરના પ્રવેશ સાથે તેમણે જાહેરમાં સર્વ ધર્મ પ્રાર્થના અને સામાજિક તેમ જ રાજકીય જીવન સાથે અધ્યાત્મને જોડ્યું. તેઓ માનતા હતા કે ધર્મમાં રાજકારણ ન પેસવું જોઈએ, પરંતુ રાજકારણમાં ધર્મનું સ્થાન હોવું જોઈએ જેથી લોકહિતને ધ્યાનમાં લઈને ન્યાયી અને સમાનતાના પાયા પર રચાયેલું વહીવટી તંત્ર, અર્થતંત્ર અને સમાજ રચના ઘડાય. એવી ધર્મમય રાજનીતિ અંગત તેમ જ જાહેર જીવનને ઘડે અને તો જ પ્રામાણિક તથા નૈતિક મૂલ્યો આધારિત પ્રજાજીવન આકાર લે એવી તેમની માન્યતા હતી. જિન્નાહે એવું અર્થઘટન કર્યું કે આવા ધાર્મિક બહુસંખ્યક હિંદુઓના રાજ્યમાં અલ્પ સંખ્યક મુસ્લિમોનું હિત નહીં જળવાય. મોગલ રાજ દરમ્યાન લઘુમતી મુસ્લિમ શહેનશાહો દ્વારા બહુસંખ્યક હિંદુઓ સલામત રહ્યા તો બહુસંખ્યક હિંદુઓ તો આઝાદી બાદ લોકશાહી અને ધર્મ નિરપેક્ષ રાજ્ય રચવાના હતા; તેમાં મુસ્લિમોનું હિત અને સલામતી નહીં જળવાય એવો પ્રચાર કયા આધારે કર્યો? વળી મુસ્લિમો માટે જુદા દેશની માગણીનો પ્રસ્તાવ 1940 પહેલાં નહોતો મુકાયો, એટલે કે જો આઝાદી તે પહેલાં મળી હોત તો કદાચ ભારતના ધર્મને આધારે ભાગલા ન થયા હોત એ પણ શક્ય હતું. જિન્નાહે ભારતમાં રહીને લઘુમતી કોમ તરીકે હિંદુઓ તરફથી અન્યાય સહન કરવો પડશે માટે મુસ્લિમો માટે અલગ દેશમાં રહેવું સારું તેમ લોકોના મનમાં ઠસાવેલું. પણ 70 વર્ષના ગાળા દરમ્યાન પાકિસ્તાનમાં લોકશાહી શાસન કરતાં લશ્કરી શાસન વધુ વર્ષો રહ્યું, સિંધ અને બલૂચિસ્તાનને અન્યાય થયા કર્યો, અંદરોઅંદર લડાઈ સતત ચાલુ રહી, આતંકવાદ વધ્યો અને ભારતમાં રહેતા મુસ્લિમોને મળે છે તે કરતાં ઓછી સ્વતંત્રતા પાકિસ્તાનના મુસ્લિમોને મળે છે, એ હકીકતો શું તેઓ નથી જાણતા? તો ભારતથી અલગ થયાનો ફાયદો કોને થયો?

જોવાનું એ છે કે 1937માં પ્રાંતીય સરકારો રચાઈ તેવે સમયે પણ હજુ મુસ્લિમો માટે અલગ દેશની માગણી નહોતી કરવામાં આવી. થયું એવું કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતને તેની ઈચ્છા કે પરવાનગી વિના ઘસેડવામાં આવ્યું, જેનો વિરોધ કોંગ્રેસે કર્યો. પરિણામે તેના મોટા ભાગના નેતાઓને જેલ ભેગા કર્યા અને જીન્નાહે એ અવકાશ પૂર્યો. 1940માં લાહોર ખાતે જીન્નાહે પહેલી વખત મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાનની વાત કરી અને ઇતિહાસે કરવટ બદલી. માત્ર સાત વર્ષમાં એક આખો દેશ કોરી કાઢવામાં આવ્યો. કોણ કહે છે કે હિન્દુ-મુસ્લિમ વચ્ચે સદીઓ જૂનાં વેર હતાં, તેઓ કદી સાથે રહી શકે તેમ નહોતા અને કાયમ લડતા રહેતા? જો એમ જ હોત તો મોગલ શાસન દરમ્યાન જ ભાગલા થઇ ગયા હોત, 1940ની સાલ સુધી રાહ ન જોઈ હોત. આ ઘોષણા બાદ એકમેકની કોમના પડોશીઓ પર શંકા કરવી, પોતાની જ કોમના વેપારીઓ પાસેથી માલની લે-વેચ કરવી, બીજા વિષે હલકા અભિપ્રાયો આપવા, લોક લાગણીને ઉશ્કેરે તેવાં લખાણો છાપવાં વગેરે શરૂ થયું. સામાન્ય પ્રજા વચ્ચે અંતર વધ્યું, આમ છતાં મોટા ભાગની મુસ્લિમ પ્રજા હજુ પણ અલગ દેશ મેળવવા નહોતી ઇચ્છતી. તો આખર થયું શું? વિભાજન વિશેના નિષ્ણાતોના અભ્યાસ પરથી માલુમ થાય છે કે જિન્નાહને આઝાદી બાદ હિન્દુઓના આધિપત્ય નીચે બીજા નંબરના નાગરિક તરીકે રહેવું તે કરતાં મુસ્લિમો માટેના જુદા દેશમાં જીવવું વધુ સારું એમ પ્રતીત થયું, અને તેથી મુસ્લિમ લીગને મત આપો તો પાકિસ્તાન મળે એટલું જ નહીં પણ મુસ્લિમ લીગ માટે મત એટલે ઇસ્લામ માટે મત એ પ્રચારથી મુસ્લિમ પ્રજાની વફાદારીનું સુકાન બદલાવી નાખ્યું. અહીં ધર્મમાં રાજકારણ પ્રવેશ્યું. ધર્મને નામે એક જ મુલકના નાગરિકો એકબીજાના દુ:શ્મન બન્યા.

ઘડીભર માની લઈએ કે મુસ્લિમો માટે અલગ દેશ હોય તે બંને – હિંદુઓ અને મુસ્લિમોના હિતમાં હતું. જિન્નાહે પાકિસ્તાન ધર્મ નિરપેક્ષ દેશ બને તેમ ઈચ્છેલું અને પોતાના પ્રથમ પ્રવચનમાં કહેલું, “આ દેશના તમામ નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે, તમે ચાહે તો મંદિર જઇ શકો, ચાહે તો મસ્જિદ જઇ શકો.” ધર્મને આધારે જુદો દેશ માગ્યો, એ પ્રદેશમાં સદીઓથી રહેતા આવેલા હિન્દુ અને સીખ લોકોને જાનનું જોખમ હતું તેથી હિજરત કરવી પડી તો પછી એ દેશ ધર્મ નિરપેક્ષ કેવી રીતે બને? સાત સાત દાયકાઓ વીત્યા છતાં લોકશાહી વહીવટી તંત્ર આપવામાં સફળ ન થયેલ દેશમાં બલૌચ અને સિંધ પ્રાંત હજુ પોતાને વિકાસની સમાન તકો મળે તેની રાહ જોઈ રહ્યા છે, તેવું કેમ બન્યું? જે દેશ ધર્મને આધારે રચાયો હોય અને તેનું સંચાલન પણ એ જ ઉસુલો પર થતું હોય ત્યાં આતંકવાદને પનાહ કેમ મળતી રહે છે? એક જ ધર્મના અનુયાયીઓ થકી બનેલ દેશ વધુ સુરક્ષિત, પ્રગતિશીલ અને ધનાઢ્ય બનવો જોઈએ તે કેમ સિદ્ધ ન થયું?

એક દેશના બે ભાગલા થયા, તે પણ ધર્મને આધારે અને તેનો નિર્ણય અત્યંત ટૂંકા સમયમાં લેવાયો તેથી પારાવાર જાનહાનિ થઇ, જે ટાળી શકાઇ હોત. ભારતની સ્વતંત્રતા સમયે થયેલ જાનહાનિ માટે કોણ જવાબદાર હતું, એ જોવા જઈએ તો જણાશે કે મુસ્લિમોને જુદો ભૂમિભાગ જોઈતો હતો કેમ કે તેઓ હિન્દુઓથી ડરવા લાગેલા, તેથી તેમણે હિંદુઓ પ્રત્યે હિંસા આચરી, જેના પ્રતિસાદ રૂપે હિન્દુઓએ પણ હિંસાનો જ માર્ગ લીધો. કરુણતા તો એ છે કે જે બે પ્રજા બ્રિટિશ રાજ સામે હથિયાર ઉપાડ્યા વિના લડી તે જ પ્રજા અંદરોઅંદર કપાઈ મૂઈ! બ્રિટિશ સરકાર ત્યારે હજુ ભારત પર શાસન કરતી હતી, ધાર્યું હોત તો એ મહા વિનાશ રોકી શકી હોત. સરકાર હિંસા રોકવા શક્તિમાન નહોતી, કે તેમ કરવાની ઇચ્છનો અભાવ હતો? બ્રિટિશ સૈન્યને ઉપરી અધિકારીઓ તરફથી સૂચના મળેલી કે જ્યાં સુધી કોઈ બ્રિટિશ અમલદારનો જાન જોખમમાં ન હોય ત્યાં સુધી કોઈ સૈનિકે એવા દંગામાં હિંસા રોકવાની ચેષ્ટા ન કરવી. જાણે કેમ હિન્દુ કે મુસ્લિમ જાનની કોઈ કિંમત નથી. બ્રિટિશ અમલદારોને માત્ર પોતે સહીસલામત ભારતમાંથી રવાના થવામાં જ રસ હતો, પોતે કરેલ વિભાજનથી બે કોમ લડે-ઝઘડે તે તો એમનો પ્રશ્ન છે, તેમ કહીને છૂટી ગયા.

કલકત્તા, લાહોર અને અમૃતસર ભારતને મળશે કે પાકિસ્તાનમાં જશે એ મહા મુશ્કેલીથી નક્કી થયેલ. કાશ્મીર કોને આપવું તે માટે બંને પક્ષ વચ્ચે સમાધાન ન કરાવી શક્યા તેથી બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું, જેના પરિણામ હજુ પણ બંને દેશના સૈનિકો અને નિર્દોષ પ્રજા ભોગવે છે. જોવાનું એ છે કે 16 ઓગસ્ટ 1946ના દિવસે મુસ્લિમ લીગે ‘સીધાં પગલાં’નો દિવસ જાહેર કર્યો ત્યાં સુધી ભારતની બ્રિટિશ સામ્રાજ્ય સામેની તમામ લડતો બધી કોમ સાથે મળીને લડતી હતી, જ્યારે આ માત્ર મુસ્લિમ કોમની હાકલ હતી, પાકિસ્તાન રચવાની માગણી માટેની. કલકત્તામાં ત્રણ દિવસમાં પાંચ હજાર લોકો મરાયા, ત્યારે ત્યાંના મેયરે લશ્કર ન મોકલ્યું કે કર્ફ્યુ ન લાદ્યો કેમ કે તેઓ સામ્રાજ્યથી હાથ ધોઈ બેઠેલા. હવે આ દેશ છોડીને જવું જ છે તો શા માટે માથું મારવું એવું તેમનું વલણ સ્પષ્ટ દેખાઈ આવ્યું. બે મુખ્ય કોમ વચ્ચે ધિક્કાર અને હિંસા મુખ્ય તખતા પર આવ્યા. બ્રિટિશર્સ હજુ શાસનકર્તા હતા, તેઓ ક્યાં ગયા? ધાર્યું હોત તો એ સંહાર અને વિનાશ અટકાવી શક્યા હોત, તેને બદલે વહેલા ચાલ્યા જવાનું પસંદ કર્યું. આ છે બ્રિટિશ રાજની દેણગી.

જેમ હિન્દુ અને મુસ્લિમ પ્રજા એકબીજા પરનો ભરોસો ગુમાવી બેઠેલી તેમ તત્કાલીન બ્રિટિશ રાજ પણ પલટતી પરિસ્થિતિથી મૂંઝાઈને ઝડપથી નિર્ણયો લેવા માંડેલી. બ્રિટનના વડાપ્રધાન ક્લેમન્ટ એટલી ભયાનક હિંસાના સમાચારોથી ડઘાઈ ગયા, એટલે તેમણે ભારતના નેતાઓને લંડન બોલાવ્યા, પણ તેમની વચ્ચે કોઈ બાબતે સહમતી ન સધાઈ. પંડિત નહેરુ તો સીધા સ્વદેશ પાછા ફર્યા, પણ જિન્નાહ બે અઠવાડિયાં રોકાયા અને ઘણા આગેવાનો-ખાસ કરીને ચર્ચિલને મળ્યા. ચર્ચિલની ભારત વિશેની આ ઉક્તિ પ્રખ્યાત છે, “હું ભારતને નફરત કરું છું, એ રાક્ષસી લોકોનો બનેલ રાક્ષસી દેશ છે.” હિન્દુ લોકો અનેકેશ્વરવાદમાં માને, જ્યારે ઇસ્લામ અને ક્રીશ્ચિયાનિટી એકેશ્વરવાદમાં માને એટલે માત્ર ચર્ચિલ જ નહીં, તે સમયના રાજા-રાણી પણ પાકિસ્તાન એક અલગ દેશ બને તેની તરફેણમાં હતા. ચર્ચિલે તો 1945ના મે માસમાં કહેલું જ કે બ્રિટન જો ભારત પરનો કબજો ગુમાવે તો પૂર્વના દેશો પર સામ્યવાદ છવાઈ જાય અને પોતાનો કોઈ અડ્ડો ન રહે. એ ભયથી તેઓ માનતા કે ભારતે ન તો સ્વતંત્ર થવું જોઈએ કે ન તો તટસ્થ નીતિ અપનાવવી જોઈએ. ભારત સ્વતંત્ર પણ થઇ શકે અને તટસ્થ નીતિ અપનાવી બ્રિટિશ કોમનવેલ્થ નહીં પરંતુ માત્ર કોમનવેલ્થના સભ્ય રહીને દુનિયામાં માનભર્યું સ્થાન મેળવી શકે આ બંને બાબત સિદ્ધ કરીને રહ્યું. જિન્નાહે બ્રિટનને રાજકીય લાભ મળે તેવી સવલત કરી આપી તેના બદલામાં બ્રિટને તેમને પાકિસ્તાન આપ્યું. આમ રાજકરણીઓના સ્થાપિત હિતોને પરિણામે પ્રજાની ગંગા જમની ધારા ધર્મની લાઠીથી આખર જુદી પડી. ધર્મને આધારે દેશની સીમારેખાઓ નક્કી કરવી કે કોઈ દેશની સરકારને પોતાનો આગવો ધર્મ હોય એ તો યુરોપિયન વિચારસરણી છે, તેને ભારત પર કેમ થોપી બેસાડ્યો? હજુ 1947ની ઘટનાઓ પરથી બોધપાઠ ન મળ્યો તે 1948માં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એ બે દેશો પણ યહૂદી અને મુસ્લિમ કોમ માટે જુદા કોતરી કાઢવામાં આવ્યા અને જુઓ, એ બંને દેશો પણ પૂરાં સિત્તેર વર્ષથી ખૂંખાર જંગ ખેલી રહ્યા છે.

બ્રિટિશ સામ્રાજ્યની પડતીના શ્રીગણેશ ભારતની સ્વતંત્રતાથી થયેલા ગણાય. એક વાત આંતરરાષ્ટ્રીય કોમે સમજી લેવી રહી કે માનવ જાત પેદા થઇ ત્યારથી તેણે કોઈ ને કોઈ સ્વરૂપે ધર્મની વિભાવના સર્જી છે, જેના પરિણામ સ્વરૂપ અનેક સંસ્કૃિતઓ, કલા અને નીતિમત્તાના ધોરણો ખીલી શક્યાં. ધર્મ માનવીને એકમેક સાથે જોડે, વિભાજીત ન કરે. ધર્મને આધારે વિભાજીત કરેલ દેશ કે કોમ ક્યારે ય શાંતિથી જીવી ન શકે, ન બીજાને જીવવા દે.

ભારતની સ્વતંત્રતા અને પાકિસ્તાનની રચના ભલે ધર્મને આધારે કરવામાં આવી, હવે બંને દેશો પોતપોતાની હસ્તી એક બહુસાંસ્કૃિતક દેશ તરીકે વિકસાવે અને એકબીજાને મિત્ર દેશ ગણી આંખના કણાની જેમ ખૂંચતા પ્રશ્નોનો નિકાલ કરી ‘જિયો ઔર જીને દો’ સિદ્ધાંતનો અમલ કરે તેમાં જ સહુની ભલાઈ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

વૃક્ષોને કપાતાં બચાવવા માટે પોતે કપાવા તૈયાર થઈ ગયેલાં ગૌરાદેવી

રુચિતા શાહ|Opinion - Opinion|22 September 2017

ચિપકો આંદોલન તરીકે દેશવિદેશમાં પ્રચલિત બનેલા વૃક્ષોને બચાવવાનાં અનોખા અભિયાનને કારણે આપણને પર્યાવરણ મિનિસ્ટ્રી મળી. પર્યાવરણ સંવર્ધનનો કાયદો પણ આ આંદોલનની જ દેણ છે. એક અભણ આદિવાસી મહિલાની દૂરંદેશી અને દૃઢતાની જબરદસ્ત દાસ્તાન પ્રસ્તુત છે અહીં.

હિમાલયના ગઢવાલ વિસ્તારમાં આવેલા લાઠા નામના ગામમાં આદિવાસી પરિવારમાં ગૌરાદેવીનો જન્મ થયેલો. પહાડી મહિલાઓ ઘરમાં ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ ભેગાં કરવા જંગલમાં જતી. બાળપણમાં પોતાની માતા સાથે જંગલમાં જમીન પર પડેલી સૂકાં ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ વીણતી મમ્મીને જોઈને ગૌરાએ પ્રશ્ન પૂછેલો, ‘શું કામ આપણે જમીન પર પડેલી આ ડાળખીઓ વીણીએ છીએ? એના કરતાં આ ઝાડને જ કાપી લઈએ તો?’

ત્યારે તેમની માતાએ સમજાવ્યું હતું, ‘બેટા, આ ઝાડ છેને એનાં મૂળિયાં હાથ જેવાં હોય છે, જેણે આપણી જમીનને પકડી રાખી છે. વધુ વરસાદ પડે કે પહાડ પીગળીને ત્યાંથી પાણીનો ધોધ આવે ત્યારે એ પાણીને પણ સાચવી લે છે અને સાથે જ માટીને પણ પકડી રાખે છે. જો કોઈ આ ઝાડને કાપી લે તો આપણે પાણી સાથે વહી જઈએ.’

માતા પાસેથી સમજેલી આ વાત ગૌરાદેવીના મનમાં એવી ઠસી ગઈ કે તેમણે એક ઐતિહાસિક આંદોલનને જન્મ આપ્યો. ૧૧ વર્ષની ઉંમરે લગ્ન કરીને રેણી ગામમાં રહેવા આવેલી ગૌરાનો જીવનસંઘર્ષ ચાલુ હતો. પતિનું બાવીસ વર્ષની ઉંમરે અવસાન થયું હતું અને એક બાળકની જવાબદારી તેમના માથે હતી. છતાં નાનપણના સંસ્કારો કામ કરી રહ્યા હતા અને તેઓ પોતાની સાથે સમાજના કલ્યાણ માટે કામ કરી રહ્યાં હતાં. એવામાં એક ઘટના બની.

બન્યું એવું કે ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ પછી સૈનિકોને સરહદ પર આવાગમન માટે સરળતા રહે એટલા માટે એક માર્ગ બનાવવાનું સરકારે નક્કી કર્યું. એ માર્ગ બનાવવા અંતર્ગત જ હિમાલયનો બૉર્ડર-વિસ્તાર ગણાતા ચમૌલી જિલ્લાના રેણી ગામ અને એની નજીક આવેલાં જંગલોનાં લગભગ ૨,૪૫૦ વૃક્ષો કાપવાની તૈયારી વનવિભાગે કરી લીધી હતી. આમાં કેટલાક તકવાદી લોકોએ પોતાના અંગત લાભ માટે પણ વૃક્ષો અને એનાં લાકડાંઓનો ઉપયોગ કરવા આ કાર્ય પાર પડે એવા પ્રયત્નો કર્યા હતા. આના વિરોધમાં ગઢવાલ વિસ્તારના કેટલાક સમાજસેવકો કાર્ય કરી રહ્યા હતા. એવામાં ૧૯૭૦ના ગાળામાં અલકનંદા નદીમાં પૂર આવતાં પહાડી લોકોએ ભારે વિપદાનો સામનો કર્યો હતો. આ પૂરમાં અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં વિવિધ સામાજિક કાર્યકરોમાં ગૌરાદેવીની વિશેષ ભૂમિકા હતી. પહાડી ગામોમાં રહેતા પરિવારોની તકલીફો દૂર કરવા માટે એક મહિલા સંગઠન રચવામાં આવ્યું હતું, જેમાં ગૌરાદેવી પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. (પહાડી પ્રદેશોમાં પરિવાર સાચવવાની સાથે બહારનું કામ કરીને આર્થિક મદદ કરવામાં પણ મહિલાઓની વિશેષ ભૂમિકા હોય છે, એટલે જ તેમના જીવન સાથેના સંકળાયેલા પ્રશ્નોના સમાધાન માટે પણ મહિલાઓ વિશેષ સક્રિય હોય છે).

પૂરથી પોતાના પ્રદેશનું રક્ષણ કરવું હશે તો વૃક્ષોનું હોવું જરૂરી બનશે, એ વાત ચાંદી પ્રસાદ ભટ્ટ, ગોવિંદ સિંહ રાવત જેવા કેટલાક સામાજિક કાર્યકરો સારી રીતે જાણતા હતા. ગૌરાદેવી પણ આ બાબતમાં ગંભીર હતાં. ૧૯૭૪ની ૨૪ માર્ચે રેણી અને આસપાસનાં ગામોના પહાડી લોકોએ ભેગા થઈને વૃક્ષો કાપવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા એક રૅલી પણ કાઢી હતી. સ્થાનિક લોકો દ્વારા વૃક્ષોને કાપવાનો વિરોધ થઈ રહ્યો હોવા છતાં સરકારે પાકા પાયે તૈયારી કરીને એ લોકો સાથે વાટાઘાટના પ્રયત્નો આદરી દીધા હતા. જમીનના બદલામાં તેમને સારું વળતર આપવામાં આવશે એવી લાલચો અને વાતચીતોના નામે એ લોકોને ભોળવવાનું સંપૂર્ણ પ્લાનિંગ પણ કરી લીધું હતું.

દિવસ હતો ૧૯૭૪ની ૨૬ માર્ચનો. રેણી ગામના પુરુષો સરકાર દ્વારા જમીન માટે આપવામાં આવનારા વળતરને લેવા માટે ચામોલી ગામે જતા રહ્યા હતા. ત્યાંના સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરવા માટે તેમને રેણી નજીક આવેલા ગામમાં બોલાવી દેવામાં આવ્યા હતા. ગામમાં મહિલાઓ અને બાળકો જ હતાં. એ સમયે વનવિભાગના કેટલાક અધિકારીઓ મોટી-મોટી ટ્રક લઈને દેવદારનાં વૃક્ષોથી ભરચક જંગલો કાપવા માટે પહોંચી ગયા હતા. આ બધી જ હિલચાલ પર એક નાનકડી બાળકીની નજર ગઈ અને તેણે આંખેદેખ્યો અહેવાલ ગૌરાદેવીને સંભળાવ્યો. આ હિલચાલ વિશે જાણીને ગૌરાદેવી ઍક્શનમાં આવી ગયાં. બધી જ મહિલાઓ અને બાળકોને લઈને તેમણે જંગલ તરફ દોટ મૂકી. મજૂરો ઝાડ કાપવાના પોતાના કામે લાગે એ પહેલાં જંગલોમાં જઈને ઝાડનું રક્ષાકવચ બનીને તેમની સામે ઊભાં રહી ગયાં. ગૌરાદેવી કહી રહ્યાં હતાં, ‘ભાઈ, આ જંગલો અમારા પિયર સમાન છે. અહીંથી અમને જડીબુટ્ટીઓ, તાપણા માટેનાં લાકડાંઓ, ફળો અને શાકભાજી મળે છે. આને કાપવાથી તો પૂર આવશે.’

વન-અધિકારીઓ માટે આ એન્ટ્રી અણધારી હતી. જંગલો ન કાપવા માટે આ મહિલાઓએ અધિકારીઓને ભલામણ કરી તો અધિકારીઓએ દમદાટી કરીને તેમને ભગાડવાના પ્રયત્નો કર્યા, તેમની સામે બંદૂક તાકીને તેમને ડરાવવાની કોશિશ કરી, અપશબ્દો બોલીને અને તેમના પર થૂંકીને તેમને ડગાવવાના પ્રયત્ન કર્યા; પણ ગૌરાદેવી અને તેમની સાથે રહેલી મહિલાઓ અને બાળકો નીડર રહ્યાં.

એક પછી એક બધી જ મહિલાઓ જંગલમાં વિખેરાઈ ગઈ અને વૃક્ષોને ભેટીને ઊભી રહી ગઈ : ‘વૃક્ષને કાપતાં પહેલાં તમારે અમને કાપવાં પડશે.’ આટલો મક્કમ નિર્ધાર અને મહિલાઓની આ અડગતા જોઈને વન-અધિકારીઓએ હથિયાર નાખીને ત્યાંથી ચાલતી પકડવી પડી. વૃક્ષોને ચોંટીને, ચીપકીને તેમને બચાવનારી આ મહિલાઓનું અનોખું આંદોલન દેશભરમાં જ નહીં, આખા વિશ્વના લોકોમાં નોટિસેબલ બન્યું. વૃક્ષોને બચાવવાનો આ અહિંસાવાદી પ્રયાસ અખબારોની હેડલાઇન બન્યો. ‘ચિપકો આંદોલન’ને કારણે ગૌરાદેવી અને તેમની સાથે જોડાયેલી લગભગ બાવીસ મહિલાઓને વિશ્વના તમામ લોકોએ બિરદાવ્યાં. દેશવિદેશના પર્યાવરણપ્રેમીઓએ આ દિશામાં ધ્યાન આપીને સરકારના કાન પણ આમળ્યા અને એનું સૌથી મોટું દેખીતું પરિણામ એ આવ્યું કે સરકારે એની તપાસ માટે એક ખાસ સમિતિની રચના કરી. ડૉ. વીરેન્દ્ર કુમાર નામના શખ્સની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિની તપાસમાં ખબર પડી કે રેણી ગામનાં જંગલોની સાથે આજુબાજુમાં આવેલી અલકનંદા નદી અને એમાં મળનારી અન્ય તમામ નદીઓ તથા કુંવારી પર્વતમાળાનાં જંગલોની સુરક્ષા પર્યાવરણીય દૃષ્ટિથી ખૂબ જ આવશ્યક છે. તપાસના આ રિપોર્ટ પછી સરકારે આ વિસ્તારનાં વૃક્ષોને પંદર વર્ષ સુધી ન કાપવાનો આદેશ આપ્યો.

ચિપકો આંદોલને આપણા દેશને પર્યાવરણ વિભાગ આપ્યો અને આગળ જતાં એમાંથી પર્યાવરણ મિનિસ્ટ્રીની પણ રચના થઈ. આ એક આંદોલન ફૉરેસ્ટ કન્ઝર્વેશન ઍક્ટને જન્મ આપવામાં પણ નિમિત્ત બન્યું. કલ્પના તો કરો કે એક સાવ અભણ અને આદિવાસી મહિલાની દૃઢ ઇચ્છાશક્તિ અને લડી લેવાની નીડરતા કેટલી કારગત નીવડી. ઉત્તરાખંડ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારત સુધી આ આંદોલન પહોંચ્યું હતું અને દરેકે વૃક્ષને બચાવવા માટે આ પેંતરો અજમાવ્યો હતો. કન્નડમાં ચિપકોને એપ્પિકો કહેવાય છે એટલે કર્ણાટકમાં ચિપકો આંદોલનથી પ્રેરિત એપ્પિકો આંદોલન પ્રચલિત બન્યું હતું.

દુ:ખની વાત એ છે કે એ સંદેશ લાંબો સમય ટક્યો નહીં. સમયમર્યાદા પૂરી થતાં વૃક્ષો કાપવાનો સિલસિલો અકબંધ રહ્યો અને કદાચ એના પરિણામરૂપ જ ૨૦૧૩માં ઉત્તરાખંડમાં પૂર આવ્યું અને એણે લગભગ સાડાચાર હજાર ગામડાંઓમાં તબાહી મચાવી તથા લગભગ છ હજાર લોકોનો જીવ લીધો. આ પૂરને કારણે થયેલી તબાહીને રોકી શકાઈ હોત, જો ગૌરાદેવીની દૂરંદેશી પર સરકાર અને વનવિભાગ કાયમ રહ્યું હોત અને ત્યાં આવેલાં જંગલોનો ખાતમો ન બોલાવ્યો હોત. દર વર્ષે વિશ્વના તમામ દેશો ભેગા થઈને ગ્લોબલ વૉર્મિંગ માટે ચિંતાઓ દર્શાવે છે, પર્યાવરણના સંવર્ધનની વાતો કરે છે અને અંદરખાને ડેવલપમેન્ટના નામે જંગલોનો ખાતમો બોલાવી રહ્યા છે. આજે પણ તેઓ ઇચ્છે તો આ પહાડી મહિલાની વાતને સમજીને સ્વીકારે તો અનેક કુદરતી આફતોથી લોકોને બચાવી શકાય એમ છે. આજે નવરાત્રિના પહેલા દિવસે પર્યાવરણ અને પ્રકૃતિ માટે પોતાના જીવની પરવા કર્યા વિના જંગે ચડેલાં ગૌરાદેવીને હૃદયપૂર્વક શત શત પ્રણામ.

રાજસ્થાની મહિલાના પરાક્રમને પણ જાણીએ :

ખૂબ ઓછા લોકો જાણે છે કે ગૌરાદેવી જેવું જ આંદોલન સત્તરમી સદીમાં એક રાજસ્થાની મહિલાએ કર્યું હતું. લગભગ ૨૬૦ વર્ષ પહેલાં જોધપુરના રાજાએ પોતાના મહેલ માટે લાકડું લાવવાનો આદેશ આપ્યો અને રાજાના અધિકારીઓ મેવાડના ખેજડીનાં વૃક્ષો ધરાવતા જંગલને કાપવા પહોંચ્યા ત્યારે બિશ્નોઈ સમુદાયનાં અમૃતાદેવી નામનાં મહિલાના નેતૃત્વ હેઠળ મહિલાઓ ઝાડને ચોંટીને ઊભી રહી ગઈ. ‘સર સાંટે રુખ રહે તો ભી સસ્તો જાણ’ (વૃક્ષને બચાવવા માથું કપાવું પડે તો પણ એને સસ્તું ગણજો) એવા નારા સાથે એ મહિલાએ લોકોનો જુસ્સો જગાડીને પોતાનો વિરોધ અને મક્કમતા દર્શાવ્યાં હતાં. લગભગ ૮૪ ગામની સેંકડો મહિલાઓ વૃક્ષોને કાપવાના વિરોધમાં આડે આવી. અમૃતાદેવી સહિત લગભગ ૩૬૩ મહિલાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી. એ પછી તો આખો બિશ્નોઈ સમુદાય આ કાર્યમાં જોડાઈ ગયો હતો. આજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકારના વનવિભાગ દ્વારા વનસંવર્ધન માટે કામ કરતા લોકોને અમૃતાદેવી બિશ્નોઈ સ્મૃિત અવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

સૌજન્ય ‘ધ ગ્રેટ નારી’, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2017

Loading

ધૂર્ત બાબાઓની ધોંસ કેમ ચાલે છે?

નેહા શાહ|Opinion - Opinion|22 September 2017

જ્યાં ‘ના’ પાડવાનો અવકાશ ન હોય એવા સંજોગોમાં ઇચ્છા વિરુદ્ધ અપાયેલી મંજૂરીને મંજૂરી ગણાય ?

‘ડેરા સચ્ચા સોદા’વાળા બાબા રામ રહીમની કરતૂતોના પડઘા હજી કાનમાં સંભળાય છે. તેમની સામે પોતાના હોદ્દાનો ઉપયોગ કરી બે સ્ત્રીઓના જાતીય શોષણ કર્યાનો આરોપ સી.બી.આઈ. કોર્ટે મંજૂર રાખીને તેમને વીસ વર્ષની સજા સંભળાવી, ત્યારે એવી આશા જાગે કે લોકોની આંખો પર બંધાયેલી અંધવિશ્વાસની પટ્ટી હવે ખૂલશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક પછી એક આવી ઘટનાઓ આવતી જ રહી છે.

આસારામ બાપુ અને નારાયણ સંાઈ, નિત્યાનંદ પરમહંસ, યુ.પી.ના બાબા પરમાનંદ, કેરળના સ્વામી ગણેશાનંદ અને એવા તો બીજા દેશના ચારે ખૂણામાં ફેલાયેલાં અનેક નામોની યાદી લંબાતી જ ગઈ છે. જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવી, ખૂન અને બળાત્કાર જેવા ગુનાઓમાં એમનાં નામ સંડોવાયેલાં છે. તેમનાં દુષ્કર્મોનાં પોટલાં એક પછી એક ઉઘડતાં જ જાય છે, તો પણ હજી તો એવા કેટલા ય બની બેઠેલા ગુરુ, સ્વામી, બાબા, મૌલવી, ફકીર હશે જેમની પાપલીલા બહાર નથી આવી. છતાં ય આપણા દેશમાં દરેક બાબા અત્યંત શ્રદ્ધાભાવથી પૂજાય છે. એક જાય તો બીજા દસ ઊભા થઈ જાય છે. તેમને એટલાં બધાં અનુયાયીઓ મળી રહે છે કે તેઓ એક સંપ્રદાય ઊભો કરી શકે!

મોટા સંપ્રદાય પર સામ્રાજ્ય ચલાવતા ગોડમેન / ગુરુનાં કરતૂતની વાત જાહેરમાં લાવવી અઘરી છે. તેની પાછળ ઘણાં કારણ કામ કરતાં હોય છે. સમાજની સમજણ જ એવી કે ગુરુજી સામે ના બોલાય. ગુરુ તો જાણે સાક્ષાત્ ઈશ્વર. ગુરુના ચેલાઓ પણ એ જ રીતે પ્રચાર કરતાં હોય છે. ગુરુ સાથેના સંબંધને ઈશ્વરને પામવાની સીડી સમજાવીને રજૂ કરવામાં આવે છે અને એમ માની લેનારા લોકો નીકળે પણ છે! ભોગ બનેલી વ્યક્તિ પણ મનેકમને તેમની સાથે થતા વ્યવહારને સ્વીકારી લે છે.

તેમાં ભણેલાગણેલા લોકો પણ આવી જાય. શૈક્ષણિક લાયકાત અને અંધશ્રદ્ધાને કોઈ સંબંધ નથી હોતો. માનસિક પછાતપણાને દૂર કરવા અક્ષરજ્ઞાન જરૂરી છે પણ ડિગ્રીલક્ષી ભણતરથી માનસિક પછાતપણું જાય જ, એ જરૂરી નથી. એ વાત સાચી કે આવી પાપલીલાનો ભોગ માત્ર સ્ત્રીઓ જ બને એવું નથી. ઘણી વાર બાળકો અને કેટલાક કિસ્સામાં પુરુષો પણ આધ્યાત્મિક ગુરુની જાતીય સતામણીનો ભોગ બનતા હોય છે. પરંતુ સ્ત્રીઓ અને બાળકોની હાલત પુરુષોની સરખામણીએ ઘણી વધારે કફોડી હોય છે. ગુરુની મહેરબાની સ્ત્રીઓ પર વધુ વરસતી હોય છે.

એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે સંપ્રદાયમાં સ્ત્રીઓના શારીરિક શોષણની વાત બહાર આવી, ત્યારે ગુરુ દ્વારા થતી જાતીય સંબંધની માગણીને એ સ્ત્રીના ગૌરવ તરીકે રજૂ કરવામાં આવતી હતી — જાણે કે એને કોઈ ઈશ્વરીય ભેટ મળી હોય અથવા પરમાત્માને પામવાનો આ એક રસ્તો હોય! ઘણાં કુટુંબો તો શ્રદ્ધાના રંગે એવા રંગાયેલા હોય છે કે પોતાની વહુ – દીકરીઓને આશ્રમમાં ગુરુની સેવા કરવા સામેથી મોકલતાં હોય છે. ગુરુ સેવાને જ ઈશ્વર સેવા ગણતાં લોકો પોતાની દીકરીઓને ગુરુને પ્રસન્ન રાખવાનું જ શીખવાડે છે.

સ્ત્રીને ગુરુના બીજા ચહેરાનો સાક્ષાત્કાર થાય ત્યારે ભગવાન સમાન ગુરુને નારાજ કર્યાનો ડર અને સાથેસાથે સમાજ તથા કુટુંબને પણ નારાજ કર્યાના ડરનું એવું મિશ્રણ થાય છે કે સ્ત્રીઓ પોતાનું શોષણ થવા દે છે. તેની સામે અવાજ ઉઠાવવાને બદલે તે ચૂપ રહેવાનું પસંદ કરે છે. આ જ ડરનો ઉપયોગ વારંવાર એની સામે કરવામાં આવે છે. બળાત્કાર એટલે મંજૂરી વિના જબરદસ્તીથી બંધાયેલો શારીરિક સંબંધ. જરૂરી નથી કે જબરદસ્તીના સંબંધ માટે હંમેશાં શારીરિક બળનો પ્રયોગ થાય જ.

જ્યારે એવા સંજોગો રચાયા હોય કે જ્યાં ‘ના’ પાડવાનો અને ‘ના’ સાંભળવાનો અવકાશ ન હોય એવા સંજોગોમાં ઈચ્છા વિરુદ્ધ અપાયેલી મંજૂરીને મંજૂરી ગણાય? જ્યારે સત્તાના સમીકરણમાં એક પલ્લું ભારે હોય અને બીજા પાસે બોલવાનો કે વિરોધ કરવાનો કોઈ અવકાશ જ ન હોય તેવા સંજોગોમાં બંધાયેલા સંબંધ પણ બળાત્કાર જ ગણાય. વળી, છેલ્લાં થોડાં વર્ષોમાં જે કિસ્સા ઉઘાડા પડ્યા છે, તેમાં ગુરુ અને તેમના આશ્રમ પાસે હથિયારની તાકાત અને રાજકીય વગ હોવાનું પણ બહાર આવ્યું છે. તેનાથી ડર બેવડાય છે. ગુરુ/બાબા સામેના આક્ષેપો સાબિત થયા અને તેમને સજા થઇ ત્યારે તેમના ઘણા અનુયાયીઓએ આશ્રમમાં ચાલતી ગુનાઈત પ્રવૃત્તિઓના આક્ષેપોનું સમર્થન કર્યું.

સવાલ એ ઊભો થાય છે કે કયા કારણથી આટલા બધા લોકો આ ગુરુઓ અને તેમની સંસ્થાઓ તરફ આકર્ષાય છે? કેટલાક સમાજશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ આ ગુરુઓ / બાબાઓના સામાજિક કામ પ્રત્યે લોકો આકર્ષિત થતા હોય છે. શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં રાજ્ય જ્યાં નિષ્ફળ ગયું હોય ત્યાં રાહતના દરે મળતી સુવિધાઓ લોકોને આકર્ષવાની જ. વળી, ગુરુઓ દ્વારા ચાલતા વ્યસનમુક્તિ જેવા કાર્યક્રમથી સચવાઈ જતાં કુટુંબો તેમ જ ક્યારેક આશ્રમમાં રોકટોક વગર મુક્ત રીતે આવવા-જવાની છૂટને કારણે મળતો સામાજિક સ્વીકાર લોકોને તેમના ભણી દોરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.

સાંપ્રદાયિક ગુરુઓના સમાજ પર પ્રભાવ પર થયેલા અભ્યાસો કહે છે કે સામાજિક રીતે વધારે નિર્બળ વ્યક્તિની બાબાઓ પ્રત્યે વધુ આકર્ષિત થવાની શક્યતા વધી જાય છે. સામાન્ય સંજોગોમાં ડગલે ને પગલે હડધૂત થતા-અપમાન અનુભવતા લોકોને સામાજિક સ્વીકાર અને સન્માનની લાગણી મળતી હોય ત્યારે આંખે પાટા બાંધી તેઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. સ્ત્રીઓની હાલત પણ કંઈક એવી જ હોય છે. એકધારી ઘરેડમાં ચાલતી, જેની ઉપર તેમનો પોતાનો ખાસ કોઈ અધિકાર પણ ન હોય તેવી જિંદગીને અાધ્યાત્મિક પ્રવૃત્તિ એક અર્થ આપતી હોય છે. એટલે તે આવી પ્રવૃત્તિઓમાં સંકળાતી રહે છે. તેમના માટે બે ખરાબ વિકલ્પમાંથી એકને પસંદ કરવાની વાત હોય છે.

જો કે, આર્થિક-સામજિક તેમ જ શૈક્ષણિક રીતે સધ્ધર લોકો પણ બાબાઓના ચમત્કારિક ઉપાયો અજમાવવા માટે તત્પર હોય છે. વધતી જતી અસલામતી અને અસમાનતાને કારણે તે અાધ્યાત્મિક બાબાઓનું શરણું શોધતા હોય છે. મૂળે સામાજિક સ્તરે વૈજ્ઞાનિક ઢબે વિચારવાની પ્રકૃતિ જરા નબળી જ છે. છેક સ્કૂલથી જ બાળકને સવાલ નહિ પૂછવાની ટેવ આપણે પાડીએ છીએ. ‘ટીચર જે કહે એ સાચું’ એ વલણ સાચા-ખોટાનો ભેદ પારખતા રોકે છે.

વર્ષો સુધી ગોરખધંધા કરતાં આશ્રમોની હકીકત રાજ્યના ધ્યાનમાં ન આવે એ બનવાજોગ નથી. ‘બેટી બચાવો’ના સૂત્રમાં રાચતા આપણા રાજકારણીઓને પણ બળાત્કારી બાબાઓના આશીર્વાદની જરૂર પડે, સત્ય સામે આવે ત્યારે પણ તેમને છાવરવાની જરૂર પડે અને તેઓ છાવરે પણ ખરાં! વોટબેંકની સામે નાગરિકહકોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા નબળી પડી છે, તે વાસ્તવિકતા છે.

સૌજન્ય : ‘મજબૂરીનું નામ …’, “દિવ્ય ભાસ્કર”, 22 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,3203,3213,3223,323...3,3303,3403,350...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved