Opinion Magazine
Number of visits: 9584182
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીનમાં લોકશાહી માટેના લડવૈયા લિઉ ઝાઓબો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 August 2017

ચીનમાં લોકશાહીની લાંબી અને અહિંસક લડત ચલાવવા માટે નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર અધ્યાપક અને રાજકીય લેખક  લિઉ ઝાઓબોનું તેરમી જુલાઈએ કૅન્સરને કારણે ચીનના શેન્યાન્ગ શહેરની સરકારી હૉસ્પિટલમાં અવસાન થયું. અવસાન સમયે ઝાઓબો  રાજકીય કેદી તરીકે અગિયાર વર્ષના કારાવાસની સજા ભોગવી રહ્યા હતા. તેઓ ૨૦૦૯થી જેલમાં હતા અને ગયા ચારેક મહિનાથી તેમને સારવાર માટે પૅરોલ આપવામાં આવી હતી. ડિપ્રેશન એટલે કે હતાશાથી પીડાઈ રહેલાં તેમના પત્ની ઝિઆ અત્યારે પણ નજરકેદ હેઠળ છે. એકસઠ વર્ષના ઝાઓબોની કાર્યરત જિંદગીના અડધાં એટલે કે સત્તર વર્ષ ચીનની જેલોમાં વીત્યાં છે. આ એવાં વર્ષો હતાં કે જે દરમિયાન તેઓ ચાઇનિઝ સાહિત્યના તેજસ્વી અધ્યાપક તરીકે ઝળહળતી કારકિર્દી બનાવી શક્યા હોત. પણ તેમણે ચીન જેવા દમનકારી દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય માટે સંઘર્ષનો કપરો માર્ગ પસંદ કર્યો. તેના માટે તેમને દુનિયાના અનેક દેશોએ અને માનવ અધિકાર સંગઠનોએ ટેકો આપ્યો.

જો કે, ઝાઓબોનું નામ ખુદ ચીનમાં પણ ઓછું જાણીતું હતું. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા તે વખતે એ.એફ.પી. સમાચાર સંસ્થાએ આસપાસના જે વીસ માણસોને તેમના વિશે પૂછ્યું તેમાંથી એક જ વ્યક્તિને એમના વિશે ખબર હતી. આમ બનવાનું એક મહત્ત્વનું કારણ એ ચીનની સામ્યવાદી સરકારનાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરનાં નિયંત્રણો છે. હંમેશ માટે ચીનની સરકાર સામે પડેલા ઝાઓબો વિશે માધ્યમોમાં જે થોડુંઘણું લખાતું તેમાં પણ તેમનો ઉલ્લેખ ઘણું કરીને ચીનદ્રોહી તેમ જ પશ્ચિમપરસ્ત તરીકે જ થતો. તેમના અવસાન પછી ચીન તરફથી તેમના વિશે જે લખાયું તેમાં તેમની માનવ અધિકારો માટેની લડત કરતાં તેમને સરકારે કેવી સારી સારવાર આપી તેના દાવા નોંધવામાં આવ્યા. ચીનના પ્રમુખ અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’એ તેમને ‘victim led astray’ એટલે કે ગેરમાર્ગે દોરવાઈને ભોગ બનેલા વ્યક્તિ ગણાવ્યા. વળી, દુનિયાનાં માધ્યમોએ તેમના કરેલા ગૌરવનું અર્થઘટન ચીનને ખરાબ ચીતરવાના પ્રયાસ  તરીકે પણ કરવામાં આવ્યું.  તેમના અવસાન અંગે ચીનની સરકારે માધ્યમો પર કડક અંકુશ રાખ્યો છે. ચીનના સર્ચ એન્જિન Baidy કે ટિ્‌વટર જેવાં Weiboમાં LXB એવા તેમના નામના અક્ષરો પણ બ્લૉક કરવામાં આવ્યા છે. Weibo પર તેમનું નામ એન્ટર કરવામાં આવે તો રિઝલ્ટમાં ‘according to relevant laws and policies results for Liu Xiaobo cannot be displayed’ એમ લખાઈને આવે છે. RIP (rest in peace) એવા અક્ષરો પણ સેન્સર ભૂંસી નાખે છે. શ્રદ્ધાંજલિના પ્રતીક સમી કૅન્ડલ એટલે કે મીણબત્તી માટેનો ચીની ભાષાનો શબ્દ કે તેનું ચિત્ર પણ સોશ્યલ મીડિયામાં આવવા દેવામાં આવતાં નથી. એટલે તેમના ચાહકોએ રસ્તા કાઢ્યા. કેટલાકે કાળા ચોખંડામાં માત્ર જીવનકાળ ૧૯૫૫-૨૦૧૭ એટલું લખ્યું, તો વળી ક્યાંક એક દંપતી એકબીજાના કાનમાં કંઈક કહેતું હોય એવી ચહેરા વિનાની આછી આકૃતિ પણ તેમણે મૂકીને ઝાઓબો દંપતીનો નિર્દેશ કર્યો. કેટલાકે મંચ પર, પ્રકાશવર્તૃળ નીચે ગોઠવવામાં આવેલી એક ખાલી ખુરશીની છબી મૂકી.

આવી ખાલી ખુરશીને નોબલ સન્માન સમારોહમાં તેમની ગેરહાજરીના પ્રતીક તરીકે મંચ પર ગોઠવવામાં આવી હતી. ઝાઓબો ૨૦૧૦નું નોબલ સન્માન સ્વીકારવા માટે જઈ શક્યા ન હતા, કારણ કે તેમને ચીનની સરકારે કેદમાં રાખ્યા હતા. આઠમી ડિસેમ્બર ૨૦૦૮થી તેમને અગિયાર વર્ષ માટેના કારવાસની સજા ફટકારવામાં આવી હતી. આ તેમની ચોથી વખતની જેલ હતી જે છેલ્લી સાબિત થઈ. તેમને સરકાર ઉથલાવવા માટે ઉશ્કેરણી પૂરું પાડતું લખાણ કરવા માટે ગુનેગાર ગણવામાં આવ્યા હતા. આ લખાણ Charter-૮ તરીકે જાણીતું છે. તેમાં તેમણે ચીનની એકપક્ષીય નિરંકુશ સામ્યવાદી રાજ્ય પદ્ધતિની જગ્યાએ લોકશાહીનો પુરસ્કાર કર્યો હતો. તેમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, જનતાંત્રિક ચૂંટણીઓ, ન્યાયતંત્રની સ્વાયત્તતા, રાજ્યહસ્તક ઉદ્યોગોના ખાનગીકરણ અને આર્થિક ઉદારીકરણનો સમાવેશ થતો હતો. તેની પર તેમણે સાડા ત્રણસો બૌદ્ધિકોની સહીઓ પણ મેળવી એટલે ચિંતામાં પડેલી સરકારે તેમને જેલમાં પૂરી દીધા.

જો કે, આવું પહેલી વાર બન્યું ન હતું. ઝાઓબોનો જેલનો પહેલો ફેરો ૧૯૯૨માં હતો. બીઈજિંગ નૉર્મલ યુનિવર્સિટીના પી.એચડી. અને એમાં જ ચાઇનિઝ સાહિત્યના અધ્યાપક ઝાઓબોએ તેમની વિદ્વત્તા અને વિવેચક તરીકેના તેમના રૅડિકલ વિચારોથી પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ કોલંબિયા, ઓસ્લો અને હવાઇ યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક બન્યા હતા. તેઓ ૧૯૮૯માં અમેરિકાના અધ્યાપન પ્રવાસમાં હતા ત્યારે ચીનમાં વિદ્યાર્થીઓએ અને લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. એટલે ઝાઓબો તાકીદે ઘરે પાછા ફરીને આંદોલનમાં જોડાયા. તેમણે દેશ આખામાં ભાષણોની ઝુંબેશ કરી અને ત્રણ દિવસના ઉપવાસ શરૂ કર્યા. પણ તેના પહેલા જ દિવસ એટલે કે ત્રીજી જૂનની રાતથી ચીનની સરકારે તાઇનાન્મન સ્ક્વેરમાં એકઠા થયેલા આંદોલનકારીઓ પર લશ્કરી મશિનગનો અને ટેંકો ચલાવી, સેંકડો લોકોનાં મોત થયાં. હત્યાકાંડ ઉપરાંત સરકારે જે ધરપકડો કરી તેમાંથી વાટાઘાટો દ્વારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને છોડાવવામાં ઝાઓબોનો ફાળો હતો. જો કે, તેમની ખુદની પણ ધરપકડ થઈ અને તેમને એકવીસ  મહિનાની કેદ વેઠવી પડી તેમ જ અધ્યાપક તરીકેની તેમની નોકરી ગઈ.

જેલમાંથી છૂટ્યા બાદ ઝાઓબોએ માનવ અધિકાર અને રાજકીય સમસ્યાઓ પર લખવાનું શરૂ કર્યું, પણ તેમને લખાણો પ્રકાશિત કરવાની મંજૂરી ન હતી. તેમનું પહેલું પુસ્તક તાઈવાનથી બહાર પડ્યું. ૧૯૮૯ના આંદોલનનાં અંગત  સંભારણાં અને તેની સમીક્ષાના આ પુસ્તકનું નામ છે The Monologues of a Doomsday’s Survivor. ઝાઓબોને ૧૯૯૩ના જાન્યુઆરીમાં એક દસ્તાવેજી ફિલ્મ માટે ઑસ્ટ્રેલિયા અને અમેરિકા બોલાવવામાં આવ્યા હતા. તેમના મિત્રોએ તેમને ત્યાં વસી જવાનું સૂચવ્યું હતું. પણ તેમણે ચીન પાછા જઈને ફ્રિલાન્સ લેખનનો રાહ પસંદ કર્યો.

ઝાઓબેએ ૧૯૯૫માં તાઇનાન્મનની છઠ્ઠી વરસીએ સરકાર સામે ફરી એક ઝુંબેશ શરૂ કરી. તેમણે  હત્યાકાંડના પુનઃમૂલ્યાંકન અને લોકશાહી તરફી એકંદર રાજકીય સુધારાની માગણી કરી. એમને ઘરમાં જ અટકાયતમાં રાખવામાં આવ્યા. થોડા સમયની મુક્તિ બાદ ચીનની તાઈવાન તરફની નીતિના વિરોધ કરતા October Tenth Declaration નામના લખાણ માટે ફરીથી તેમની ધરપકડ કરીને તેમને ત્રણ વર્ષ માટે  ‘રિ-એજ્યુકેશન થ્રૂ લેબર’ તરીકે ઓળખાતી મજૂરીની એક્સ્ટ્રાજ્યુડિશિયલ કહી શકાય તેવી શિક્ષા આપવામાં આવી. અહીં તેમણે ઝિઆ સાથે લગ્ન કર્યાં. પત્નીએ તેમને છેલ્લા દિવસ સુધી અસાધારણ સમજ અને ધીરજથી સાથ આપ્યો. એ સજા પૂરી થયા બાદ તેમણે તાઈવાનમાંથી Nation that Lies to Conscience નામનો રાજકીય સમીક્ષાનો ચરસો પાનાંનો ગ્રંથ બહાર પાડ્યો. તદુપરાંત તેમણે કવિતા, જેલવાસ દરમિયાન તેમની પત્ની સાથેના પત્રવ્યવહાર અને સાહિત્ય વિવેચનનાં પુસ્તકો પણ લખ્યાં. ઝાઓબોએ ૨૦૦૩માં ચીનમાં માનવ અધિકારોની પરિસ્થિતિ વિશે અહેવાલ લખવાનો શરૂ કર્યો એટલે તેમનાં દસ્તાવેજો, પત્રો અને કૉમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યાં. તેમના ઘરની પાસે એક ચોકી ઊભી કરવામાં આવી અને એમના ફોન તેમ જ ઇન્ટરનેટ ટૅપ થવાં લાગ્યાં. તેમની પાસેથી બીજાં બે પુસ્તકો પણ મળ્યાં,જેમનાં નામ વિષયનો નિર્દેશ કરે છે : The Future of Free China Exists in Civil Society અને Single-Blade Poisonous Sword: Criticism of Chinese Nationalism. આ પુસ્તકો અને ઝાઓબોનાં લગભગ બધાં લખાણો ચીનની સરકારને જોખમકારક લાગતાં રહ્યાં છે. એમાં બહુપક્ષીય ચૂંટણીઓ, મુક્ત બજાર, સ્વાતંત્ર્ય, સત્તાના વિકેન્દ્રીકરણ અને સરકાર દ્વારા તેનાં દુષ્કૃત્યોનો સ્વીકાર જેવા મુદ્દાની છણાવટ  છે.

ઝાઓબો જ્યારે અધિકૃત રીતે જેલમાં ન હોય ત્યારે પણ સરકાર તેમના પર કડક જાપ્તો રાખતી. વળી, સરકારને જ્યારે જ્યારે રાજકીય વાતાવરણ સંવેદનશીલ લાગે ત્યારે તેમને નજરકેદમાં રાખવામાં આવતા. સ્વાભાવિક રીતે જ ઝાઓબો અને તેમનાં પત્નીની જિંદગી પીડાજનક હતી. તેમનાં પત્નીએ એ મતલબનું કહ્યું છે કે નોબલ સન્માન સ્વીકારવા માટે તેમને સરકારે જવા ન દીધા ત્યારે તેઓ ખૂબ હતાશ થયા, રડ્યા, એ સંજોગો તેમને અસહ્ય લાગ્યા. તેમની ઇચ્છા સન્માનની રકમ તાઇનાન્મનના ભોગ બનેલા માટે ઉપયોગમાં લેવાની હતી એમ પણ ઝિઆએ જણાવ્યું હતું.

જીવનસંગિની ઝિઆ વિશે, ઝાઓબોએ નોબલ સન્માન વખતે વંચાયેલા પોતાના ભાષણમાં લખ્યું છેઃ ‘હું નક્કર જેલમાં છું ત્યારે તું તારા હૃદયના કારાવાસમાં મારી રાહ જોઈ રહી છે. તારો પ્રેમ એવો સૂર્યપ્રકાશ છે કે જે ઊંચી દિવાલો ઓળાંડીને, મારી જેલની બારીના લોખંડના સળિયાની આરપાર થઈને આવે છે, અને મારા રોમરોમને સ્પર્શે છે, મારા શરીરના દરેકેદરેક કોશને હૂંફ આપે છે. તેનાથી મારું મન શાંત, ખુલ્લું અને ઊજળું રહે છે. તારી એ હૂંફ જેલની અંદરની મારી દરેક ક્ષણને અર્થ આપે છે. બીજી તરફ મારો તારા માટેનો પ્રેમ એ રંજ અને પસ્તાવાના ભારથી ક્યારેક ડગી જાય છે. હું વેરાનમાં પડેલા પથ્થર જેવો છું. તે ભયંકર પવનની થપાટો ખાઈને અને ભારે વરસાદમાં ભીંજાઈને તે એટલો બધો કઠોર થઈ ગયો છે કે તેને અડવાની હિમ્મત કોઈ કરતું નથી. પણ મારો પ્રેમ કોઈ પણ અવરોધને વીંધે એવો મજબૂત અને ધારદાર છે. હું ભૂક્કો, થઈ જઉં તો પણ મારી રાખથી તને બાથમાં લઉં.’ 

આમ તો આખી માનવજાતિને પ્રેમથી બાથમાં લેવી એ ઝાઓબોની ખ્વાહિશ હતી. એમનામાં એક જુદી જ ઉદારતા હતી, જેને કારણે કેટલાક કર્મશીલોને એ મવાળ પણ લાગ્યા હતા. જાહેર વાતમાં એ જેમ તેમના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની તરાપને વખોડે છે. સાથે તેમની પર કાર્યવાહીઓ કરનારા પોલિસ અને ન્યાયખાતાના લોકોએ તેમની તરફ બતાવેલા સદભાવને તેઓ વખાણે પણ છે. તાઇનાન્મન વખતે એક વાર તેમણે કહ્યું હતું, ‘I have no enemies and no hatred.’ આ જ ઉચ્ચારણ  નોબલ વ્યાખ્યાનમાં પણ મૂકીને તેઓ કહે  છેઃ ‘હેટરેડ એટલે કે તિરસ્કારથી માણસની બુદ્ધિ અને તેના અંતરાત્મા સડી જાય છે. દુશ્મનાવટની લાગણી  દેશની ચેતનામાં ઝેર રેડી શકે છે, ક્રૂર સંઘર્ષો માટેની ઉશ્કેરણી પૂરી પાડી શકે છે, સમાજની સહિષ્ણુતા અને માણસાઈનો નાશ કરે છે, અને સ્વાતંત્ર્ય અને લોકશાહી તરફની દેશની ગતિને અવરોધે છે. એટલા માટે હું ઇચ્છું છું કે હું મારા વ્યક્તિગત અનુભવોથી પાર જઈને મારા દેશના વિકાસ અને સામાજિક પરિવર્તનનો વિચાર કરી શકું, શાસકોની શત્રુવૃત્તિનો સામનો સર્વોચ્ચ સદભાવથી કરી શકું અને ધિક્કારને પ્રેમથી મીટવી  શકું.’

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 09-11 

Loading

જેપી અને લોહિયા 1974, 2017

અરુણકુમાર ત્રિપાઠી|Opinion - Opinion|10 August 2017

નેહરુએ જેપીને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી (વડાપ્રધાન) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે તેમણે નકારી કાઢ્યો હતો

નીતીશકુમારે બીજી વખત ભાજપનો હાથ ઝાલ્યા પછી બિનસાંપ્રદાયિક બૌદ્ધિક જગતમાં એ દલીલ વ્યાપક બની છે કે સમાજવાદીઓ તો હંમેશાંથી ફાસીવાદીઓને ટેકો આપતા રહ્યા છે. નીતીશકુમારે એવું બોલીને સમગ્ર હિન્દી બેલ્ટમાં સમાજવાદીઓના કાયમી પરાજયની ભવિષ્યવાણી કરી દીધી છે કે 2019માં નરેન્દ્ર મોદીને પડકાર આપનારું કોઈ નથી. બીજી તરફ, હિન્દુત્વવાદીઓ દ્વારા એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જયપ્રકાશ નારાયણ અને લોહિયાને શક્તિ પૂરી પાડનારા સંઘના જ માણસો (દીનદયાળ ઉપાધ્યાય અને બાળાસાહેબ દેવરસ) હતા, એટલે લોહિયા અને જેપીના ખરા અનુયાયીઓ એ જ ગણાય, જે ભા.જ.પ.ની સાથે છે. આ બંને દૃશ્યોથી અલગ ‘ભારત છોડો આંદોલન’ના આ મહાનાયકોની એ તસવીર પણ બહાર આવવી જોઈએ, જે ખંડિત છે, સુંદર છે અને આદર્શ પણ છે.

જેમના વિના ન તો ભૂતકાળ સમજવો શક્ય છે અને ન તો ભવિષ્યમાં કોઈ સમજદારીભર્યો રાજકીય હસ્તક્ષેપ શક્ય છે. વર્તમાન પરિસ્થિતિઓ કદાચ એવું જ દર્શાવે છે કે જેપી અને લોહિયાના અનુયાયીઓ બિનલાયક નીકળ્યા અને તેઓ દીનદયાળ ઉપાધ્યાય-ગોળવેલકરના શિષ્ય બનવા માટે મજબૂર બન્યા પછી પોતાના ગુરુઓની સાથે ઇતિહાસની કચરાટોપલીમાં જઈ રહ્યા છે? એવું કહી શકાય કે ડેનિયલ બેલે ઔદ્યોગિક દેશોમાં માર્ક્સવાદ, સમાજવાદ, સંકુચિતવાદ અને ઉદારવાદ જેવી વિચારધારાઓના અંતની જે જાહેરાત સાઠના દાયકામાં કરી હતી, એ ભારતમાં આજે ચરિતાર્થ થઈ રહી છે? સવાલ જેપી અને લોહિયાના મુલાયમસિંહ, લાલુપ્રસાદ, નીતીશકુમાર અને શરદ યાદવ જેવા ચેલાઓના પતિત થવા અને નબળા પડવાનો છે. તેમની નબળાઈનું કારણ એ નથી કે તેમના નેતાઓએ ક્યારેક જનસંઘ તો ક્યારેક ભા.જ.પ.ની સાથે જોડાણ કર્યું હતું અને હિન્દી વિસ્તારોમાં સામાજિક પરિવર્તન માટે જાતિઓને આધાર બનાવીને પોતાના રાજકારણને વિસ્તાર્યું હતું.

આ દલીલો દ્વારા એવો ભ્રમ પણ પેદા થાય છે કે જેપી અને લોહિયા આખરે કોના માટે નાયક છે અને કોના માટે ખલનાયક છે? સૌથી મોટી વિડંબણા એ છે કે જે સંઘ પરિવાર તેમને પોતાના નાયક કે સહનાયક તરીકે રજૂ કરી રહ્યો છે, એ તેમની તત્કાલીન વ્યૂહરચનામાં સહયાત્રી હતો. બીજી તરફ, સામ્યવાદી જે તેમનાં સપનાં અને સિદ્ધાંતની નજીક બેસે છે, પણ બદલાતા રાજકારણમાં તેમનાથી દૂર રહ્યા છે, તેમને ખલનાયક અથવા ગુનેગાર તરીકે દર્શાવે છે અને તેમના ‘ભારત છોડો’ સંઘર્ષને બિનજરૂરી માને છે.

અરુણા અસફ અલી – જય પ્રકાશ નારાયણ – રામ મોહન લોહિયા – અચ્યૂત પટવર્ધન – પ્રભા દેવી

જેપી અને લોહિયા કોણ હતા, એ જાણવા માટે 1974 પહેલાં 1942ના વર્ષને યાદ કરવું પડશે. 2017 ‘ભારત છોડો’ આંદોલનની પ્લેિટનમ જ્યુબિલી (પંચોતેરમું) વર્ષ છે અને એ યાદ કરવું જરૂરી છે કે જ્યારે સામ્યવાદીઓ જનઆંદોલનના નામે અંગ્રેજોને સાથ આપી રહ્યા હતા, વિનાયક દામોદર સાવરકર અંગ્રેજો માટે ફૌજમાં ભરતી કરાવી રહ્યા હતા, અને ઝીણા અંગ્રેજો સાથે મળીને ભારતના ભાગલા પડવાની તૈયારી કરતા હતા, ત્યારે જેપી હઝારીબાગ જેલમાંથી ભાગીને નેપાળમાં લોહિયાની સાથે પોલીસ સામે મોરચો માંડી રહ્યા હતા. લાહોર જેલની જે કોટડીમાં ભગતસિંઘને ત્રાસ આપવામાં આવ્યો હતો, એ જ જગ્યાએ લોહિયાને 1945માં રાખીને તેમની પર અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. આ લોકો માટે નેહરુ સરકારમાં મોટા હોદ્દાઓના તમામ દરવાજા ખુલ્લા હતા.

1964માં તબિયત ખરાબ હોવાના કારણે નેહરુએ જેપીને બોલાવીને પોતાના ઉત્તરાધિકારી (વડાપ્રધાન) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેમણે નકારી કાઢ્યો હતો. એ ઘટના યાદગાર છે કે જેપી, લોહિયાએ પોતાને સત્તાવિરોધના રાજકારણ અને સંગઠનની શોધમાં હોમી દીધા. સતત મળતી નિરાશાઓમાંથી બહાર આવવા માટે લોહિયાએ બિનકૉંગ્રેસવાદની રણનીતિ બનાવી. જેમાં તેમને એક હદ સુધી સફળતા પણ મળી. પછીથી જેપીએ પણ તે રણનીતિ અપનાવી અને તેમને ઇંદિરા ગાંધીને સત્તા પરથી દૂર કરવામાં સફળતા મળી. આ કંઈ જેપીનું દીર્ઘકાલીન લક્ષ્ય નહોતું કે ન તો લોહિયાનું. આજે આ લક્ષ્ય આરજેડી, સપા અને જે.ડી.(યુ)નું બની ગયું છે. તેમનું લક્ષ્ય સપ્તક્રાંતિ અથવા સંપૂર્ણક્રાંતિનું હતું. તેઓ કોઈને દુશ્મન નહોતા માનતા, પરંતુ સમતા અને સંપન્નતા આધારિત વ્યવસ્થા માટે વધુ લોકોને સાથે લેવા માગતા હતા.

જેપીએ 1974 પહેલાં અનેક જગ્યાએ સંઘના સિદ્ધાંતો અને નીતિઓની ટીકા કરી હતી. આંદોલન વખતે તેઓ ઇચ્છતા હતા કે તેમાં માર્ક્સવાદી, સમાજવાદી અને ગાંધીવાદીઓ પણ ભાગ લે. પરંતુ માર્ક્સવાદીઓનું કહેવું એવું હતું કે સંઘને હટાવો, જ્યારે જેપી એવું માનતા હતા કે તેઓ હવે સાંપ્રદાયિક નથી રહ્યા, તેમણે સંપૂર્ણ ક્રાન્તિમાં ભરોસો દર્શાવ્યો. ચોક્કસપણે આ તેમનું ભોળપણ સાબિત થયું. અનેક વિશ્લેષકોનું માનવું છે કે જો માર્ક્સવાદી 1974ના આંદોલનમાં સામેલ થયા હોત, તો હિન્દી બેલ્ટમાં તેમનો વિસ્તાર થયો હોત અને 1942ની ઊણપ પણ પૂરી થઈ ગઈ હોત. કદાચ એ સંકોચનો પસ્તાવો તેમને જ્યોતિ બસુને વડાપ્રધાન ન બનવા દેવા જેવો રહેશે.

આજે સપ્તક્રાંતિનો નારો સાંભળનારું કોઈ નથી કે સંપૂર્ણક્રાંતિ વિશે સાંભળનારું પણ કોઈ નથી. નીતીશ, લાલુપ્રસાદ, મુલાયમસિંહ અને શરદ યાદવ એ સૂત્રોને ભૂલી ગયા હશે અને કદાચ અખિલેશ અને તેજપ્રતાપને ભણાવાયા હશે. આજે રાજકારણ એક ચૂંટણીથી બીજી ચૂંટણી વચ્ચેની વિજયયાત્રા છે. આમ છતાં, વિરોધપક્ષ જો સંકોચ અને નિરાશામાંથી બહાર આવીને નબળી બનતી જતી લોકશાહીને કંઈ શક્તિ આપવા માગે, તો તેણે બિનકૉંગ્રેસવાદ અને બિનભાજપવાદની વચ્ચેની અટવામણમાંથી બહાર આવવું પડશે. આ બંને છેડાનો ભ્રમ જો સમાજવાદીઓમાં છે, તો સામ્યવાદીઓમાં પણ છે. એ બંનેને ભારતીય સમાજમાં ક્રાંતિ નહીં, તો બંધારણમાં નોંધાયેલી સમતા, સ્વતંત્રતા અને બંધુત્વના આદર્શો માટે આગળ આવવું પડશે. તેના પર ચાલવાનો કાર્યક્રમ બનાવવાથી નવો રસ્તો આપોઆપ મળી આવશે.

જેપીને આર્થર કોએસલરનું પુસ્તક ‘ધ યોગી ઍન્ડ કમિસાર’ ખૂબ પસંદ હતું. જે દર્શાવે છે કે એક તરફ યોગનો નૈતિતાનો માર્ગ નિષ્પ્રભાવી લક્ષ્ય સુધી પહોંચાડે છે, તો બીજી તરફ કમિસાર (નાયબ)નો માર્ગ રાજકીય સત્તા પ્રાપ્તિ પછી કઠોર વ્યવસ્થા લાગુ કરવા અને દમન તરફ લઈ જાય છે. જેપી હંમેશાં માનવસમાજને આ બંને બાબતોથી મુક્ત કરાવવામાં જ જોતરાયેલા રહ્યા. લોહિયા પણ ઉત્થાન અને પતનના ઇતિહાસ ચક્રમાંથી માનવ સભ્યતા અલગ કરવાનું સપનું જોતા રહ્યા. ચોક્કસપણે, તેમના શિષ્યો આજે સૌથી વધારે લાચાર અને પરાજિત છે, કારણ કે તેમની પાસે મોટું સપનું નથી. પરંતુ તેમના પ્રયોગધર્મી ગુરુઓનો ત્યાગ અને વિચારોનો આદર્શ એટલો નાનો નથી કે તેમને પથભ્રષ્ટ અથવા નકરા લટકણિયા જેવા ગણાવી શકાય.

[લેખક વર્ધા ખાતેના મહાત્મા ગાંધી આંતરરાષ્ટૃીય હિન્દી વિશ્વવિદ્યાલયમાં પ્રૉફેસર છે]

e.mail : tripathiarunk@gmail.com

સૌજન્ય : ‘સ્મરણ’, “દિવ્ય ભાસ્કર”, 10 અૉગસ્ટ 2017 : ફોટા સૌજન્ય : ઇન્ટરનેટ

Loading

હિન્દુ રાષ્ટ્ર અને ઇતિહાસલેખન

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2017

ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે

પાકિસ્તાનને બરબાદ કરવામાં સ્કૂલોમાં ભણાવવામાં આવતા ખોટા અને અધૂરા ઇતિહાસે કેવો ભાગ ભજવ્યો છે એ જો તમે જાણવા માગતા હો તો પરવેઝ હુડભોયે કરેલા અભ્યાસનો અહેવાલ જોઈ જવો જોઈએ. પરવેઝ હુડભોય પદાર્થવિજ્ઞાની છે અને સેક્યુલર પાકિસ્તાનના હિમાયતી છે. તેમનો અહેવાલ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો મળી જશે. ખોટા અને અધૂરા ઇતિહાસે પાકિસ્તાનની બે પેઢીને બરબાદ કરી નાખી છે અને આજે જ્યારે પાકિસ્તાનને આધુનિક તેમ જ યુગસુસંગત બનાવવાની જરૂર છે ત્યારે એનું ઉપરાણું લેનારું કોઈ નથી. મોટી પીડા એ છે કે આજે ૭૦ વર્ષે ઇતિહાસ સુધારવો એ ઇતિહાસ બદલવા કરતાં પણ કપરું કામ થઈ ગયું છે.

પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના વિદ્યાર્થીઓને સિંધુ સભ્યતાથી લઈને આજ સુધીનો ઇતિહાસ ભણાવવો જોઈએ. એના દ્વારા વિદ્યાર્થીઓને જાણ થશે કે કઈ રીતે સભ્યતાઓ જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે.’

કોઈ સભ્યતા ધર્મગ્રંથમાં કે ધર્મગ્રંથ દ્વારા વિકસતી નથી. ઊલટું ધર્મ, ધર્મગ્રંથ અને ધર્માનુયાયી સમાજ પણ એ સભ્યતાનો હિસ્સો હોય છે. ધર્મનાં ચશ્માંથી સભ્યતાઓને જોવાની ન હોય અને જો એવો પ્રયાસ કરવામાં આવશે તો તમે તમારી આગલી પેઢીને અસભ્ય બનાવવાનું પાપ કરશો. કહેવાની જરૂર નથી કે ફૈઝ અહમદ ફૈઝે જિંદગીનાં કેટલાંક વર્ષો જેલમાં ગાળવા પડ્યાં હતાં. પાકિસ્તાનમાં ત્યારે બીજા પણ ઘણા ફૈઝ હતા જેમને સાંભળવામાં આવ્યા નહોતા. આજે પાકિસ્તાનને ફૈઝની જરૂર છે અને ફૈઝ બહુ ઓછા પેદા થાય છે.

સિંધુ સભ્યતાને પાકિસ્તાને પોતાની એટલે કે ઇસ્લામિક નથી એમ કહીને નકારી કાઢી, વૈદિક સભ્યતાને નકારી કાઢી, બૌદ્ધ સંસ્કૃિત ગેરમુસ્લિમ છે એમ કહીને નકારી કાઢી, તક્ષશિલા વિશ્વવિદ્યાલયનો ગૌરવશાળી ઇતિહાસ નકારી કાઢ્યો, પાણિનિના ભાષાકીય વારસાને નકારી કાઢ્યો (પાણિનિનો જન્મ ખૈબરની ખીણમાં કોઈ ગામમાં થયો હતો જેને માટે પાકિસ્તાન ધારે તો ગર્વ લઈ શકે), ઉર્દૂ ભાષામાંથી સંસ્કૃત શબ્દો હટાવી દેવામાં આવ્યા એમ નકારવાની લાંબી યાદી હતી. છેવટે નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં મુસલમાનો આવ્યા ત્યારથી ઇતિહાસ ભણાવવાની શરૂઆત કરવી જોઈએ. પ્રાગ ઇસ્લામિક ઇતિહાસ અસ્તિત્વ ધરાવતો હોય તો પણ સાચા મુસલમાન માટે અસ્તિત્વ નથી ધરાવતો એટલે એને ભણાવવાની જરૂર નથી. કારણ વિના વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન જાગે અને પ્રશ્ન કોમવાદીઓને બહુ તકલીફ આપનારી ચીજ છે. શ્રદ્ધા રાખો, શંકા અને પ્રશ્નો નહીં કરવાના એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આગ્રહપૂર્વક શીખવવામાં આવે છે. આ પ્રશ્નો સાલા બારી-બારણાં ખોલી નાખે છે એને કારણે ઘેટાંઓને નાસી જવાનો મોકો મળે છે.

બધું જ નકારી કાઢ્યા પછી પાકિસ્તાનમાં મુસલમાનોના આગમનથી ઇતિહાસ ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું. પાઠ્યપુસ્તકો લખાયાં જેમાં ખોટો અને અધૂરો ઇતિહાસ હતો. હિન્દુઓને મુસલમાનોના અને ભારતને પાકિસ્તાનના દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યા અને એવા દુશ્મન કે અક્ષરશ: રાક્ષસ બાજુમાં વસતો હોય. પાકિસ્તાનની બે પેઢી કાલ્પનિક (કહો કે પેદા કરવામાં આવેલા મૅન્યુફૅક્ચર્ડ) રાક્ષસના પડછાયામાં ઊછરી છે જે ભયભીત છે એટલે આક્રમક છે. આ બાજુ મુસલમાનોના ઇતિહાસને ભવ્ય ઇતિહાસ તરીકે રજૂ કરવામાં આવે છે.

જો કે પ્રશ્નો તો અહીં પણ જાન છોડતા નથી. કેટલાક ચતુર વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી રહ્યા છે કે મહાન મુસ્લિમ શાસકોએ જ્યાં પરાક્રમ કર્યાં એ ભૂમિ ભરતમાં છે, તેમણે જે ભૂમિ પર શાસન કર્યું એ ભૂમિ ભારતમાં છે, તેમણે જે મહાન સ્થાપત્યો બંધાવ્યાં એ બધાં ભારતમાં છે, મુસલમાનોનાં પવિત્ર ધર્મસ્થાનો ભારતમાં છે, મુસ્લિમ લીગની સ્થાપના ભારતમાં થઈ હતી, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરતા હતા અને તેમનું મકાન ભારતમાં છે તો પછી પાકિસ્તાન એક ખૂણામાં શા માટે છે? બોલો, આ પ્રશ્નોનો શું જવાબ આપવો? પાકિસ્તાનમાં પાઠ્યપુસ્તકો લખનારા દીનાનાથ બાત્રાઓને કહેવામાં આવ્યું હતું કે આવા પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં પેદા ન થાય એવી રીતે પાઠ્યપુસ્તકો લખો. પાકિસ્તાની દીનાનાથ બાત્રાઓ સાત દાયકાથી શંકાતીત સંપૂર્ણ સત્યની જગ્યા લઈ શકે એવા અસત્યની શોધ કરી રહ્યા છે, પણ સાલું સત્ય ક્યાંક ને ક્યાંકથી સરકી જાય છે.

એક શંકા અને એક પ્રશ્ન જૂઠની ઇમારતને તોડી પાડવા સમર્થ હોય છે અને હવે પાકિસ્તાનમાં એ જ બની રહ્યું છે. દરેક સમાજ ખૂબી અને મર્યાદા ધરાવતો હોય છે. દરેક સમાજ ગૌરવ લેવા જેવો અને એ સાથે શરમાવા જેવો ઇતિહાસ ધરાવતો હોય છે. દરેક સમાજે પરાજય અને લાંછનનો અનુભવ કર્યો હોય છે. આમાં જગતનો કોઈ સમાજ અપવાદ નથી. કોઈ એટલે કોઈ જ નહીં. આમાં શરમાવા જેવું અને છુપાવવા જેવું શું છે? બીજું છુપાવી શકાય એમ ન હોય તો એવો ભૂંડો અને ફૂહડ પ્રયાસ કરવો પણ શા માટે જોઈએ? હિન્દુઓનો દરેક યુદ્ધમાં પરાજય શા માટે થયો એનો જવાબ આખી દુનિયા જાણે છે. જ્ઞાતિના કારણે હિન્દુ સમાજ આંતરિક રીતે વિભાજિત હતો એ પરાજયનું કારણ છે એ નકારી ન શકાય એવું સત્ય છે, પરંતુ હિન્દુ રાષ્ટ્રવાદીઓને એનો સ્વીકાર કરતા મરચાં લાગે છે. જેમ દરેક સમાજની પોતપોતાના હિસ્સાની શરમ હોય છે એમ આ આપણા હિસ્સાની શરમ છે. બસ, વાત પૂરી; આમાં છુપાવવા જેવું શું છે?

પરંતુ સત્યનો સ્વીકાર કરવા માટે આપણે મહાત્મા ગાંધી પાસેથી ૫૬ની છાતી ઉધાર લેવી પડે. જૂઠ બોલવા માટે જિગરની જરૂર નથી પડતી, થોડી સી બેઈમાની સે કામ ચલ જાતા હૈ. તો વાતનો સાર એટલો કે ૧૯૪૭માં પાકિસ્તાનના શાસકોએ ઇસ્લામિક પાકિસ્તાનની સ્થાપના કરવી હતી એટલે ઇતિહાસ સાથે દરજીકામ કર્યું હતું. ભારતના વર્તમાન શાસકો ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે એટલે તેઓ ઇતિહાસ સાથે દરજીકામ કરી રહ્યા છે. ત્યારે ફૈઝ અહમદ ફૈઝોની સંખ્યા ઓછી પડી અને ચૂપ રહીને મૂક સંમતિ આપનારા બહુમતીમાં હતા એટલે પાકિસ્તાનની જે હાલત થઈ એ આપણી સામે છે.

તમે શું કરવા માગો છો? જવાબ આપતા પહેલાં હિન્દુ રાષ્ટ્રમાં ઊછરેલો તમારો પૌત્ર કેવો હશે, શું વિચારતો હશે અને શું કરતો હશે એનું એક ચિત્ર આંખ સામે લઈ આવજો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉગસ્ટ 2017

Loading

...102030...3,3123,3133,3143,315...3,3203,3303,340...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved