Opinion Magazine
Number of visits: 9584099
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક રદ થયા પછી

નેહા શાહ|Opinion - Opinion|25 August 2017

કાયદા કે નિયમો મનસ્વી હોય તો એને બદલીને નાગરિક હકોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજમાં આવે છે

ત્રણ વખત ‘તલાક’ બોલી તાત્કાલિક લગ્ન તોડવાની પ્રથા તલાક-એ-બિદ્દત એટલે કે ટ્રિપલ તલાકને સુપીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. આધુનિક અને બિનસાંપ્રદાયિક ભારતમાં આ ઘણો અગત્યનો ચુકાદો છે. દેશની સર્વોચ્ચ અદાલત એક ધર્મની સામાજિક પ્રથાને સ્ત્રીના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને ગેરબંધારણીય ઠેરવે એનું ઐતિહાસિક મહત્ત્વ છે. ચારે તરફથી એને આવકાર મળી રહ્યો છે.

ભારતીય મુસ્લિમ સમાજમાં મુખ્યત્વે તલાકની બે પ્રથા પ્રચલિત છે. સુપ્રીમે કોર્ટે જે અંગે ચુકાદો આપ્યો છે એ તલાક-એ-બિદ્દત પ્રથા અનુસાર જો પતિ ત્રણ વાર ‘તલાક’ બોલી જાય તો એ તલાક અફર થઈ જાય છે. એમાં ફેરબદલી કે સમાધાનને અવકાશ નથી રહેતો. આ હક માત્ર પુરુષો પાસે જ છે. સ્ત્રીને છૂટાછેડા જોઈતા હોય તો ‘ખુલા’ કરવા પડે જેની પ્રક્રિયા અલગ અને લાંબી હોય છે. બીજી પ્રથા તલાક-હસન અને તલાક-અહસન તરીકે ઓળખાય છે, જેમાં સમાધાન દ્વારા તલાકના નિર્ણયને બદલવાની શક્યતા છે. આ પ્રથા અંગે સુપ્રીમ કોર્ટે કોઈ ટિપ્પણી કરી નથી. એટલે આ ચુકાદાની એની પર કોઈ અસર પડશે નહિ.

ટ્રિપલ તલાક સામેનો સંઘર્ષ લાંબો છે. 1984માં શાહબાનોના કેસથી લઈને આજ સુધી ટ્રિપલ તલાક ચર્ચાનો વિષય રહ્યો છે. હાલના કેસમાં સુપ્રીમ કોર્ટના બે સભ્યોની બેન્ચની સામે ટ્રિપલ તલાકનો કિસ્સો આવ્યો એ સંદર્ભે કોર્ટે સુઓ મોટો (સામે ચાલીને) નોંધ લીધી કે તલાકના કારણે શું મુસ્લિમ સ્ત્રીઓ લિંગભેદનો શિકાર બને છે? વિષયની નાજુકતા સમજીને કોર્ટે આ કેસ પાંચ સભ્યોની બેન્ચને સોંપ્યો અને છ મહિના આ વિષય પર સંશોધન કરવા માટે આપ્યા. છેલ્લાં દસેક વર્ષ દરમિયાન સમાજમાં પણ સારી એવી જાગૃતિ આવી. સેંકડો મુસ્લિમ બહેનોએ પોતાની આપવીતી કહી અને તલાક-એ-બિદ્દત બંધ કરવાના માગણીપત્ર પર સહી કરી. ઇસ્લામના વિદ્વાનોએ પણ કહ્યું કે આ પ્રથાને મહમ્મદ પયગમ્બરે પણ ઉચિત માની ન હતી. ઇસ્લામના ઉદયની એકાદ સદી પછી આ પ્રથા ઊભી થયાનું અનુમાન છે. માત્ર સુન્ની મુસલમાનોમાં જ એનું ચલણ છે. શિયા તલાક-એ-બિદ્દતને માન્યતા આપતા નથી. દેખીતી રીતે અન્યાયી એવી આ પ્રથા પર ઘણાં ઇસ્લામિક રાષ્ટ્રો પ્રતિબંધ મૂકી ચૂક્યાં છે. પણ ભારતમાં એ અત્યાર સુધી ચાલુ રહી અને ઘણા રાજકીય રોટલા એના પર શેકાયા.

આ નિર્ણય 3 વિરુદ્ધ 2ની બહુમતીથી આવ્યો છે. પાંચ જજની બેન્ચમાં બે જજ – ચીફ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે સમાનતાના મૂળભૂત અધિકારની સામે ધાર્મિક પ્રણાલીઓને મહત્ત્વ આપ્યું. તેમના ચુકાદા અનુસાર આ પ્રથા મુસ્લિમ પર્સનલ લૉનો હિસ્સો હોવાથી અને ધર્મસ્વાતંત્ર્ય બંધારણનો મૂળભૂત અધિકાર હોવાથી અદાલતના ચુકાદા દ્વારા તેને રદબાદલ ન કરી શકાય. તેમણે સરકારને સૂચન કર્યું કે આગામી છ મહિનામાં રાજકીય પક્ષો આ મુદ્દે યોગ્ય ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી નવો કાયદો ઘડે.

આ સૂચવે છે કે જ્યારે સમાનતા અને ધર્મ સ્વાતંત્ર્યતાના સિદ્ધાંતો પરસ્પર સામસામે આવે ત્યારે ધાર્મિક લાગણીઓ સામે સમાનતાનો સિદ્ધાંત હજુ પણ ઝૂકી જઈ શકે છે. મુદ્દો એ છે કે કોને વધુ મહત્ત્વ અપાય છે – બંધારણે આપેલા મૂળભૂત નાગરિક અધિકારને કે પછી ધર્મના વૈયક્તિક કાયદાને? આ કિસ્સામાં મોટું આશ્વાસન એ છેકે બાકીના ત્રણ જજ – જસ્ટિસ જોસેફ, જસ્ટિસ નરિમાન અને જસ્ટિસ લલિતે ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ સાથે અસંમતી દર્શાવી અને ટ્રિપલ તલાકની પ્રથામાં બંધારણની કલમ 14નું ઉલ્લંઘન થતું હોવાથી તેને ગેરબંધારણીય ઠેરવી છે. તેમણે કહ્યું કે આ પ્રથા કુરાનના હાર્દની પણ વિરુદ્ધ છે. આ ઉપરાંત જસ્ટિસ નરિમાને એમ પણ કહ્યું કે જો કાયદા કે નિયમો મનસ્વી હોય તો એને બદલીને નાગરિક હકોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજમાં આવે છે.

વિશ્વભરના આજના માહોલમાં જ્યારે પરંપરાના ગુણગાન ગાવાનો અને તેના પર ગર્વ લેવાનો જુવાળ ચાલ્યો છે ત્યારે ટ્રિપલ તલાક સામે ચાલેલી સમગ્ર ઝુંબેશ તેમ જ આ ચુકાદામાંથી એ બોધપાઠ લેવાનો છે કે જે પ્રથાઓ માનવ અધિકારો સામે વિસંગતી ઊભી કરે છે અને બંધારણીય અધિકારોનું હનન કરે છે તેને પાછળ મૂકી, બંધારણીય હકોને પ્રાથમિકતા આપવાની દૃષ્ટિ કેળવવી પડે. આ પ્રથાઓ લઘુમતી સમાજની હોય કે પછી બહુમતી સમાજની. એનો ભોગ સ્ત્રીઓ પણ બનતી હોઈ શકે કે પછી દલિત કે આદિવાસી.

કોર્ટના ચુકાદાથી સ્ત્રીઓની પરિસ્થિતિ રાતોરાત બદલાવાની નથી. ખરો પડકાર કાયદાનો યોગ્ય અમલ થાય એ પરિસ્થિતિ ઊભી કરવામાં છે. સામાજિક સુધારણાની પ્રક્રિયા ધીમી જ હોય છે. આજે મુસ્લિમ સમાજમાં છૂટાછેડાના ગણ્યાગાંઠ્યા કેસ જ ફેમિલી કોર્ટ સમક્ષ આવે છે, જ્યારે 90 ટકાથી પણ વધારે કેસ શરિયત કોર્ટમાં જાય છે. ત્યાં રૂઢિવાદી ધાર્મિક નેતાઓનું જ વર્ચસ્વ રહેવાનું છે. તેમાંના ઘણા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ગણાવી ચૂક્યા છે. જ્યાં સુધી પીડિતાનો સવાલ છે ત્યાં સુધી મોટા ભાગે સમાજના કવચમાંથી બહાર નીકળવાનો એની પાસે ખાસ કોઈ વિકલ્પ નથી હોતો. ભલેને એ અન્યાયી હોય, છતાં ય સુરક્ષાનો ભાવ એને પોતાના સમાજમાં જ મળશે. એટલે સમાજના અગ્રણીઓ જે ફેંસલો આપશે એને માનવા સિવાય કોર્ટના દરવાજા ખખડાવવાની હિંમત કેટલી સ્ત્રીઓ કરી શકશે? આવા સમયે એન.જી.ઓ. તેમ જ સમાજના પ્રગતિશીલ વરિષ્ઠોની ભૂમિકા અગત્યની થઈ રહેશે, જે યોગ્ય સમયે દખલગીરી કરી પીડિતાને ન્યાય અપાવવામાં મદદ કરે અને કાયદાના યોગ્ય અમલમાં મદદ કરે.

સ્ત્રીઓની મારપીટ, હેરાનગતિ, અપમાનજનક વર્તન, લડાઈ ઝઘડા વગેરેનો અંત આ કાયદાથી નથી આવવાનો. જો લગ્ન તૂટે તો તલાકશૂદા સ્ત્રીને ન્યાયપૂર્ણ યોગ્ય વળતર મળી રહે એ માટે પણ એક અલગ જ સંઘર્ષ છે. આ દુર્દશા માત્ર મુસ્લિમ સ્ત્રીઓની જ નથી. એ બધા ધર્મમાં વ્યાપક છે. એને કોઈ વર્ગના વાડા પણ નથી નડતા. ગરીબ હોય કે તવંગર દરેક ધર્મની, દરેક વર્ગની સ્ત્રીઓની દુર્દશાનાં અનેક ઉદાહરણ મળી રહેશે.

હવે પછીનું પગલું દેશમાં લગ્ન સંબંધે નાગરિક કાયદો બનાવવાનું હોવું જોઈએ, જે કાયદા અનુસાર લગ્ન કોઈ પણ ધાર્મિક વિધિથી થયાં હોય, પણ લગ્નજીવનમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર મળે. એવો કાયદો જે લગ્નવિચ્છેદન થાય તો લગ્નજીવન દરમ્યાન ભેગી થયેલી સંપત્તિ પર સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન અધિકાર સ્વીકારે. વળતર નક્કી કરતી વખતે કુટુંબ માટે સ્ત્રીએ આપેલા સમય, શક્તિ અને લાગણીની કદર કરી શકે. આ કાયદો બધી ધાર્મિક પરંપરાઓથી ઉપર ઊઠીને માત્ર મૂળભૂત માનવ અધિકારોને ધ્યાનમાં રાખતો હોવો જોઈએ.

સૌજન્ય : ‘અપેક્ષા’, “દિવ્ય ભાસ્કર”, 25 અૉગસ્ટ 2017

Loading

ધર્મનું આધુનિક સ્વાંગવિજ્ઞાન

ભરત શાં. શાહ|Opinion - Opinion|25 August 2017

આશ્ચર્યની વાત છે કે વધતી જતી અવૈજ્ઞાનિક મનોવૃત્તિની સાથે-સાથે જ પોતાને વૈજ્ઞાનિકમાં ખપાવવાની પ્રવૃત્તિ પણ જોર પકડતી જાય છે. ધર્મ અને વિજ્ઞાનની સૃજનજૂની દુશ્મનાવટને વીસરી જઈને ધર્મો પણ પોતાને ‘વૈજ્ઞાનિક’માં ખપાવવા માંડ્યા છે. આ મહિને ન્યૂજર્સીમાં મળેલા (Federation of JAINA (Jain Associations in Nroth America))ના દ્વિવાર્ષિક અધિવેશનનું તો સૂત્ર જ હતું ‘જૈનધર્મ અને વિજ્ઞાન.’ બીજા ધર્મોએ પણ અવારનવાર આવા દાવા કર્યા છે. અમેરિકામાં પણ રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ આજે પણ ડાર્વિનના સિદ્ધાંતને બદલે બાઇબલ પ્રમાણે સૃષ્ટિના સર્જનની કથા ભણાવવાનો દુરાગ્રહ રાખે છે.

આમ તો જ્ઞાન માત્રને વિજ્ઞાનમાં સમાવી શકાય, પરંતુ સામાન્ય રીતે વિજ્ઞાન એટલે પદાર્થોનું ઇન્દ્રિયો દ્વારા અથવા બીજાં સાધનો દ્વારા માપી શકાય તેવું જ્ઞાન, એમ મનાય છે. તે સિવાયનું બધું અજ્ઞાન છે, તેમ નથી, પણ તેને વૈજ્ઞાનિક જ્ઞાન ન કહેવાય. વેદાંત તો વિજ્ઞાનને ‘અવિદ્યા’ જ ગણાવે છે. તો પછી ધર્મોને વૈજ્ઞાનિક ગણાવાનું ઘેલું કેમ લાગ્યું છે, તે વિચારવાયોગ્ય છે. મુખ્ય પ્રશ્ન તો એ છે કે આપણે શું સાચ્ચે જ ધર્મને વિજ્ઞાનના માપદંડથી માપવા માંગીએ છીએ?

ધર્મ કોઈ શાસ્ત્રકાર કે પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા રાખે છે, તેને સર્વજ્ઞના જ્ઞાન તરીકે સ્વીકારી લે છે અને તેની સામે પછી દલીલને અવકાશ રહેતો નથી. આત્મા, પુનર્જન્મ, કર્મફળ, સ્વર્ગ, નર્ક, ઇત્યાદિમાં આપણે માનીએ કે ન માનીએ, પણ તે આ કે પેલી બાજુ સાબિત થઈ શકે તેમ નથી. ધર્મના સિદ્ધાંતો શાશ્વત ગણાય છે, અને તે સમય જતાં બદલાતા નથી, તે સનાતન સત્યો કહેવાય છે. ધર્મના સિદ્ધાંતોના અર્થ ઉપર શાસ્ત્રાર્થ અને વાદવિવાદ થઈ શકે, અને એક યા બીજો પક્ષ તેમાં હારે કે જીતે, પણ તેથી તે સિદ્ધાંત નથી પુરવાર થતો કે નથી તેને ફગાવી દેવાતો. ધર્મના માર્ગે ચાલીને માણસ પ્રગતિ કરી શકે, પણ ધર્મ પ્રગતિ કરે છે, તેવું સાંભળવામાં આવતું નથી.

આપણે નથી ધર્મનું સ્વરૂપ સમજતા કે નથી વિજ્ઞાનનું, અને તેથી આપણે વિતંડાવાદમાં ફસાઈ પડીએ છીએ, ધર્મ તથા વિજ્ઞાન-બંનેને અન્યાય કરીએ છીએ અને તેમને જોખમમાં નાખીએ છીએ. ગાડાનાં બંને પૈડાંઓની આપણને જરૂર છે, પણ એ બંનેને આપણે ભેગાં ન કરીએ તો સારું. વિજ્ઞાન પુરાવા ઉપર ચાલે છે, એવી એક ભ્રમણા છે. હકીકતમાં વિજ્ઞાનમાં કશું પુરવાર નથી થઈ શકતું. ‘સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, ઈંડાં નથી મૂકતી,’ એ વિધાન વૈજ્ઞાનિક છે, પણ અબજો સ્ત્રીઓનો અભ્યાસ કર્યા પછી પણ તે સાબિત નથી થતું, પરંતુ એક જ સ્ત્રી જો ઈંડું મૂકતી મળી આવે, તો એ વિધાન અસત્ય છે, તેમ સ્વીકારાય છે. વિજ્ઞાન માત્ર સ્વીકાર ઉપર ચાલે છે, સાબિતી ઉપર નહીં.

વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત ખોટો નીવડે, તો તેનો શોક નથી પળાતો, કેમ કે વિજ્ઞાન ત્યારે જ આગળ વધે છે. કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતની સૌથી સારી ગતિ તો એ છે કે તે ગલત નીકળે. નવો સિદ્ધાંત તેનું સ્થાન લે, પણ તેણે જૂનો સિદ્ધાંત માત્ર ખોટો હોવાનો દાવો કર્યે ન ચાલે, પણ જૂનો સિદ્ધાંત કેમ અમલમાં આવ્યો હશે તે પણ સમજાવું પડે. ‘હું જ ડાહ્યો અને બાકી બધા મૂર્ખ’ના આધારે વિજ્ઞાન નથી ચાલતું. વિજ્ઞાનમાં ચર્ચા સૈદ્ધાન્તિક હોય છે, તે સિદ્ધાંત કોનો છે તે મહત્ત્વનું નથી. એક અદનો વિદ્યાર્થી પણ ન્યૂટન કે આઈન્સ્ટાઇનનું માનવા બંધાયેલો નથી. પંડિત, આચાર્ય, પ.પૂ.ધ.ધૂ. કે સ્વામીનો ત્યાં જરા પણ ભાર નથી પડતો.

ધાર્મિક પુસ્તકો મહદંશે તો એની એ જ વાત દોહરાવતાં હોય છે, અલબત્ત, જુદા-જુદા સ્વરૂપે. કથાઓ અને પ્રવચનોનું પણ એવું જ છે. વ્યાખ્યાનોના અંતે તો વક્તા અત્યંત નમ્રતાપૂર્વક બે હાથ જોડીને, શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ કંઈ બોલી જવાયું હોય તે બદલ ક્ષમા યાચે છે. બીજી બાજુ, કોઈ વૈજ્ઞાનિક જર્નલ ઉઘાડીને જુઓ. તેનો પ્રત્યેક લેખ, અત્યાર સુધીની મજલની વાત કરીને સત્વરે તે દરમિયાન થયેલી ભૂલો અને શરતચૂકની વાત કરીને, કોઈ એક નવા સિદ્ધાંતની રજૂઆત કરે છે, કે જે અલબત્ત, અત્યાર સુધીનું જે સંગૃહીત જ્ઞાન હતું તેની સદંતર વિરુદ્ધ જાય છે, નહીંતર તો તે લખવાની જરૂર જ શી હતી?

ધ્યાનમાં રહે કે અદ્યાપિ કોઈ દિવસ વિજ્ઞાને પોતે ધાર્મિક હોવાનો દાવો કર્યો નથી. તેણે કોઈ ધર્મગુરુને શૂળીએ ચડાવ્યા નથી કે જીવતા બાળી મૂક્યા નથી. જ્યારે ધર્મના નામે કેટલા ય વૈજ્ઞાનિકોને ‘મોક્ષ’માં પહોંચાડી દેવાયા છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં વાહિયાત વાત કરવામાં આવે, તો તેની થોડી ચકાસણી કર્યા બાદ તેમાં કંઈ સત્ત્વ ન હોવાની ખાતરી થતાં જ તેને એક બાજુ ઉપર મૂકી દેવાય છે, ભવિષ્યમાં ક્વચિત્ ફરીથી તેની જરૂર પડે તે ખ્યાલથી. ધર્મ સંપૂર્ણ જ્ઞાન ધરાવવાનો દાવો નમ્રતાપૂર્વક કરે છે. જ્યારે વિજ્ઞાન સંપૂર્ણ જ્ઞાનમાં પોતાનો કાળ જુએ છે. જ્યાં જ્ઞાનની શોધ પૂરી થાય, ત્યાં વિજ્ઞાનનો અંત આવે છે.

હવે આ કોયડાને જરા વધારે ગૂંચવીએ. મારા જેવા કેટલા ય યોગભ્રષ્ટ આત્માઓ આ જગતમાં વસે છે કે જેમને ધર્મ અને વિજ્ઞાન બંનેને માટે આદર અને પ્રીતિ છે. તેઓ એ બેયની આવશ્યકતા સ્વીકારે છે અને બેમાંથી એક પણ ક્ષેત્રમાંથી તેમની હકાલપટ્ટી કરવાના પ્રયત્નો સામે તેઓ ઝઝૂમે છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય કે સહઅસ્તિત્વની શક્યતાઓ સારી છે અને તે આવકારપાત્ર છે. વૈજ્ઞાનિક દૃષ્ટિ ધર્મમાંથી અંધશ્રદ્ધાને દૂર કરી શકે અને ધાર્મિક દૃષ્ટિ વિજ્ઞાનને હૃદયહીન થતું અટકાવી શકે, પરંતુ કોઈ પણ ધર્મ વૈજ્ઞાનિક છે, એવો દાવો  કરનારાઓએ જરા ખમી જઈને પોતાની જાતને થોડા પ્રશ્નો પૂછવાની જરૂર છે :

૧. આપણા ફિરસ્તાઓનાં વચનો કે સિદ્ધાંતોની નિર્દય ચકાસણી માટે આપણે તૈયાર છીએ?

૨. ચકાસણીના નિર્ણયના આધારે આપણે તેમાં ફેરફાર કરવા કે તેને ફગાવી દેવા તૈયાર છીએ?

૩. સત્ય સિવાયની બધી અધિકૃતતાઓ – જેમ કે, સર્વજ્ઞ, સર્વદર્શિન, સર્વશક્તિમાન, વ્યક્તિઓને દૂર મૂકવા આપણે તૈયાર છીએ?

૪. વિજ્ઞાનમાં પુરાવાના નિયમો છે કે જેના આધારે સાબિતી સ્વીકાર્ય કે અસ્વીકાર્ય બને છે. કશું પણ સાચું છે તે કોઈ આધાર વિના, માત્ર કોઈના પવિત્ર વચન ઉપર ભરોસો રાખી માની લેવાથી આપણે દૂર રહી શકીશું?

૫. માત્ર એક યા બીજી ધાર્મિક ક્રિયા કરવાથી આરોગ્યને ફાયદો થાય છે, એટલાથી જ, આરોગ્યને હાનિકર્તા સેંકડો ક્રિયાઓને અવગણીને આપણે તે ધર્મને વૈજ્ઞાનિક કહેવાનું બંધ કરવા રાજી છીએ?

૬ ‘નારી નર્કની ખાણ છે, માસિક ધર્મ વખતે સ્ત્રી અપવિત્ર હોય છે’, ‘સ્ત્રીને વેદાભ્યાસનો કે મોક્ષનો અધિકાર નથી’, ‘દરિયો ઓળંગવાથી ધર્મને હાનિ પહોંચે છે’, ‘શાકાહારથી અહિંસાની ભાવના થાય છે (હિટલર પણ શાકાહારી હતો)’, ‘સૌ સૌનાં કરમ ભોગવે છે, તેમાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી. લાખ વખત ફલાણા ભગવાનનું નામ લખવાથી મોક્ષ મળી જાય છે’, ‘જિંદગીભર નાહ્યા વગર કે દાતણ કર્યા વગર માત્ર જટા રાખવાથી કે મૂંડણ કરવાથી શરીરની અને આત્માની શુદ્ધિ થાય છે’, આ બધાં વિધાનોને આપણે વૈજ્ઞાનિક કહીશું?

એક સ્પષ્ટતા, ધાર્મિક સિદ્ધાંતો કે મંતવ્યો ખોટાં છે કે વાહિયાત છે, એમ કહેવાનું અહીં પ્રયોજન નથી. આત્મા, પરમાત્મા, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, ઇત્યાદિ અતિ ઊંચી વિચારધારાનાં ફળ છે, અને તેમનું માનવજાતના ઉત્થાનમાં મહત્ત્વનું સ્થાન અને પ્રદાન છે, પણ … એ સર્વે વૈજ્ઞાનિક સિદ્ધાંતો નથી જ, વૈજ્ઞાનિક સિદ્ધાંત એને જ કહેવાય કે જેને ખોટો પાડી શકાય તો પછી તે વિધાનને વૈજ્ઞાનિક ન જ કહેવાય, આપણો આ કે પેલો ધર્મ તો વૈજ્ઞાનિક છે, એવો દુરાગ્રહ શા માટે?

(આ જ લેખ જુદા સ્વરૂપે JAINAના અધિવેશનના ગૌરવગ્રંથ માટે મોકલાવેલો, પણ સુયોગ્ય કારણોસર તે છપાયો નથી, અને એ બાબત ફરિયાદનું કંઈ કારણ નથી, પણ જરા વિચાર તો કરો કે ‘ધર્મ અને વિજ્ઞાન’ના વિષય ઉપરના સામયિકમાં “Religion and Science: Sellers Beware” એવો લેખ છપાય તો વૈજ્ઞાનિકતાના આપણા દાવાને કેટલો મોટો ધોકો પહોંચે! ‘અનેકાન્તવાદ’ એટલે એકસરખા સો લેખોનો સંગ્રહ)

ગ્રેટ નૅક, ન્યૂયૉર્ક

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 10-11

Loading

‘નર્મદા વૅલીમાં સંહારની તૈયારી કરી રહેલી રાજ્યસત્તા’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|24 August 2017

સરદાર સરોવરના વિસ્થપિતોનાં સંપૂર્ણ પુનર્વસનની માગણી સાથે મેધા પાટકર અને તેમનાં દસેક સાથીદારો સત્ત્યાવીસ જુલાઈથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચિખલ્દા ગામમાં અચોક્કસ મુદતના ઉપવાસ પર હતાં. મેધાબહેનની તબિયત લથડતાં પોલીસે સાતમી ઑગસ્ટના સોમવારે તેમને બળપૂર્વક ઇન્દોરની હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમની સાથે ઉપવાસમાં જેમની તબિયત લથડી તે સાથીદારો પણ હતાં. મેધાબહેનને હૉસ્પિટલમાં બળપૂર્વક લઈ જવાનાં પગલાનો વિરોધ કરનારા નર્મદા બચાઓ આંદોલનના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીમાર પણ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓને ઇજા પહોંચી હતી. હૉસ્પિટલમાં મેધાબહેનને સારવારને નામે નજરકેદમાં રાખીને સંપર્કોથી દૂર રાખવામાં આવ્યા હતાં. નવમી ઑગસ્ટે મોડી બપોરે તેમને હૉસ્પિટલમાંથી છોડ્યાં બાદ તેઓ બડવાની તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની પોલીસે ધરપકડ કરી હતી અને તમને ધાર લઈ ગયાં હતાં. તેમનાં ઉપવાસી સાથીદારો અને ઘાયલ સમર્થકોમાંથી કેટલાંક હૉસ્પિટલમાં છે. મેધાબહેનની ધરપકડનો દેશ અને દુનિયાના કર્મશીલોએ વિરોધ કર્યો હતો. વિશ્વવિખ્યાત બળવાખોર અમેરિકન બૌદ્ધિક નોમ ચોમસ્કીએ પણ પહેલી ઑગસ્ટ નર્મદા બચાઓ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. એ પણ નોંધવું જરૂરી છે કે મેધાબહેનની સાથે સેંકડો લોકો વિરોધ કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠાં છે અને પોલીસનો જુલમ-જાપ્તો સહન કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે મેધાબહેન ધારની જેલમાં છે, સરકાર તેમની પર વધુ મુશ્કેલ કલમો લગાવવાની ફિરાકમાં છે અને આંદોલનના ટેકેદારો મોટી સંખ્યામાં ગિરફતારીનો વિરોધ કરી રહ્યા છે.

સાતમી ઑગસ્ટે નૅશનલ અલાયન્સ ફૉર પીપલ્સ મૂવમેન્ટસ (એન.એ.પી.એમ.) અને ભૂમિ અધિકાર આંદોલન સંગઠનોએ દિલ્હીમાં સંયુક્ત રીતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેનો હેતુ નર્મદા વૅલી અને પુનર્વસન સ્થળો પર ચાલીસ હજારથી વધુ પરિવારોના પુનર્વસનની પરિસ્થિતિ  અંગે મધ્ય પ્રદેશની સરકારના જૂઠાણાંનો પર્દાફાશ કરવાનો હતો. તે પત્રકાર પરિષદનો સાર ક્રૅકટિવિઝમ, ગણશક્તિ અને ઇન્ડિયા રેઝિસ્ટ્સ નામનાં  પોર્ટલ્સ પર નવમી ઑગસ્ટે મૂકાયો છે. તેમાં જણાવ્યા મુજબ  પત્રકારો સાથે વાત કરનાર નિષ્ણાતો હતાં : ઑલ ઇન્ડિયા કિસાન સભાના મહામંત્રી અને પૂર્વ સાંસદ હન્નન મોલ્લાહ (Hannan Mollah), ભારત જ્ઞાનવિજ્ઞાન જાથાના પર્યાવરણ અને ઊર્જા નિષ્ણાત સૌમ્યા દત્તા (Soumya Dutta) અને નૅશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વિમેનના મહામંત્રી ઍની રાજા (Annie Raja). 

આ નિષ્ણાત કર્મશીલોએ જણાવ્યું કે મધ્ય પ્રદેશની સરકાર નર્મદા વૅલીમાં અત્યારના સમયના  એક રાજ્યસંચાલિત માનવસંહારની તૈયારીમાં આગળ વધી રહી છે. નર્મદા બંધના દરવાજા બંધ કર્યા બાદ સરદાર સરોવર જળાશયના પાણીની સપાટી વરસાદને કારણે વધી રહી છે. નિમાડ પંથકમાં આવેલું ધર્મપુરી નામનું નગર અને ૧૯૧ જેટલાં ગામ ડૂબમાં જવાનાં છે. આ ગામોમાંથી  કેટલાંક પૂરેપૂરાં ડૂબવાનાં છે અને કેટલાંકનો મોટો હિસ્સો પાણીમાં જવાનો છે. નર્મદા બચાઓ આંદોલનના અંદાજ મુજબ આ ગામોમાં અત્યારે રહેતાં ચાલીસ હજાર જેટલા પરિવારોને હજુ પણ પુનર્વસનના હકો બિલકુલ અપાયા નથી, અથવા આંશિક જ અપાયા છે. જો કે સરકારના ખૂબ નીચા અંદાજ મુજબ અઢાર હજારથી વધુ પરિવારોનું પુનર્વસન હજુ બાકી છે.

મંદિરો, મસ્જિદો અને આદિવાસીઓનાં પૂજાસ્થાનો થઈને સેંકડો ધાર્મિક સ્થળો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, હજારો દુકાનો, નાના-મોટા ધંધા-રોજગારનીની જગ્યાઓ, ફળ અને શાકભાજીની માવજતથી ઊછેરવામાં આવેલી વાડીઓ – એમ બધું જ ડૂબી જશે. સરકારી સમયપત્રક પ્રમાણે મોડામાં મોડું ઑક્ટોબરના પહેલા અથવા બીજા અઠવાડિયામાં આ થશે. કેટલાંક ગામોમાં પ્રાગૈતિહાસિક માનવવસવાટના નોંધપાત્ર પુરાતત્વીય પૂરાવા મળ્યા છે. કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સમૂદાયોએ નર્મદા વૅલીને પ્રાચીન કાળથી અત્યાર સુધીના કાળમાં કુદરતી ઉત્પાદનોના ખજાના સમી બનાવી છે. અને છતાં આજે આપણે આ પાગલપનભરી તારાજી જોઈ રહ્યા છીએ – થોડાક મેગાવૉટ વીજળી માટે, અને મૃગજળ સમી અનિશ્ચિત સિંચાઈ માટે !

મધ્ય પ્રદેશની સરકારે બડવાની જિલ્લામાં નર્મદાકાંઠે આવેલી, મહાત્મા ગાંધીની સમાધિ રાતના અંધારામાં બાંધકામનાં યંત્રો વડે તોડવાનું નિંદનીય કૃત્ય પણ કર્યું છે.

નર્મદા યોજનાને કારણે વિસ્થાપિત થનાર પરિવારોનાં પુનર્વસન અંગે સર્વોચ્ચ અદાલતે ૨૦૦૦ અને ૨૦૦૫નાં વર્ષોમાં બે આદેશ આપ્યા છે. તેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જમીન ગુમાવનાર દરેક અસરગ્રસ્ત પરિવારનું ‘જમીન માટે જમીન’ એવા સિદ્ધાન્ત મુજબ પુનર્વસન થવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે સરકારે આ પુનર્વસન વિસ્થાપનનાં છ મહિના પહેલાં, વિકાસ માટેના ઓછામાં ઓછા સત્તર નિયત  માપદંડો અનુસાર પૂરેપૂરા વિકસિત હોય તેવા વિસ્તારમાં ઘર માટેના પ્લૉટ આપીને કરવાનું છે. જેમની જમીન ગઈ નથી પણ આજીવિકા ગઈ છે તેવા અન્ય વિસ્થાપિતોનું પુનર્વસન આજીવિકાને થયેલા નુકસાનની ભરપાઈની રીતે કરવાનું છે. આ બધી બાબતો નર્મદા વૉટર ડિસ્પ્યુટસ ટ્રિબ્યુનલે તેના ૧૯૭૯ના આદેશમાં પણ જણાવી છે.

મધ્ય પ્રદેશની અને કેન્દ્રની સરકારે આ પૂર્વે સર્વોચ્ચ અદાલત સમક્ષ  ફરી ને ફરી જુઠાણું ચલાવ્યું છે કે પુનર્વસન અત્યારે ‘ઝીરો બૅલન્સ’ની સ્થિતિમાં છે, એટલે કે જે કોઈનું પુનર્વસન કરવું જરૂરી હતું તે દરેકનું પુનર્વસન થઈ ચૂક્યું છે. નર્મદા કન્ટ્રોલ ઑથોરિટીએ સામજિક ન્યાય મંત્રાલયની રિલીફ ઍન્ડ રિહૅબિલિટેશન માટેની પેટા સમિતિના તદ્દન નવા અહેવાલને આધારે બંધના સત્તર મીટર ઊંચા દરવાજા બંધ કરવાની અને તેના અનુસંધાને બંધની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર વધારવાની મંજૂરી આપી. આ નિર્ણય દ્વારા પણ પુનર્વસન પૂરું થઈ ગયું છે અથવા લગભગ થવામાં  છે એવો દાવો જાણે સાચો સાબિત કરવામાં આવ્યો!

સત્ત્યાવીસમી જૂને રીલિફ ઍન્ડ રિહૅબિલિટેશનની પેટા સમિતિના, હોદ્દાની રુએ વડા એવા કેન્દ્રના સમાજ કલ્યાણ મંત્રાલયના સચીવે એમ સ્વીકાર્યું કે ‘તેઓ જાણે છે’ કે ડૂબમાં જનારાં ગામોમાં હજુ પણ અઢાર હજારથી વધુ પરિવારો એવા છે કે જેમનું પુનર્વસન કરવું જરૂરી હોય. હજારો તોતિંગ વૃક્ષો પણ આ ગામોમાં ઊભાં છે, અને એ ન હોવા અંગેનો સરકારનો દાવો પણ જૂઠો છે. નર્મદા બચાઓ આંદોલન સાથે જોડાયેલાં ન હોય તેવાં જે અનેક સ્વતંત્ર જૂથોએ નર્મદા યોજનાના અસરગ્રસ્ત ગામોની ગયા ચાર મહિનામાં મુલાકાત લીધી અને  તેમનાં ધ્યાનમાં આવ્યું કે પુનર્વસન અંગે સરકારના દાવા મહદંશે ખોટા છે.

પુનર્વસન માટે નક્કી કરેલી ૮૮ સાઇટ્સમાંથી મોટા ભાગની જગ્યાઓ પર હજુ તો જમીન સમથળ કરવાની બાકી છે. તો પછી પીવાનું પાણી, એ જગ્યાએ પહોંચવાના ધોરી માર્ગો અને આંતરિક રસ્તા, ગટર, વીજળી, શાળા, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓની તો વાત જ ક્યાં રહી!

સર્વોચ્ચ અદાલતનો આઠમી ફેબ્રુઆરીનો આદેશ આ મતલબનો છે : જેમની માલિકીની જમીનના પચીસ ટકા જેટલી જમીન પણ ડૂબમાં જઈ રહી હોય અને જેમણે હજુ સુધી કોઈ વળતર લીધું ન હોય તેમને સરકારે સાઠ લાખ રૂપિયાનું (ખેતીની પાંચ એકર જમીનની એ વિસ્તારમાંની અંદાજિત કિંમતનું) વળતર આપવું. ત્યારબાદ અદાલતે વારંવાર સ્પષ્ટતા કરતા આદેશ આપ્યા છે કે વળતરના હકદારોમાં પુખ્ત વયનાં સંતાનોને અલગ પરિવાર ગણવાનાં છે. પહેલાં જેમણે ૫.૫૮ લાખ રૂપિયાનું નજીવું વળતર લીધું છે, પણ જે અધિકારીઓ અને જમીનના દલાલોની સાંઠગાંઠથી છેતરાયા છે તેમને કુટુંબ દીઠ પંદર લાખ રૂપિયા આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. ઊંચા હોદ્દા પરના સરકારી અધિકારીઓની સંડોવણીથી વિસ્થાપિતોના વળતરમાં મોટાં કૌભાંડો થયાં. આ કૌભાંડોની તપાસ માટે મધ્ય પ્રદેશની વડી અદાલતે ઝા કમિશન નીમ્યું હતું. આ કમિશને ઝીણવટભરી તપાસ કરીને આપેલો અહેવાલ જોવા જેવો છે.

જો કે સર્વોચ્ચ અદાલતના છેલ્લા આદેશમાં એમ ઉલ્લેખ છે કે જો એક વાર ગામના લોકોનું પુનર્વસન થઈ જાય પછી સરકાર તેમના પર બળપ્રયોગ કરીને ગામ ખાલી કરાવી શકે છે. આ આદેશનું ખોટું અર્થઘટન મધ્યપ્રદેશની  સરકાર  કરી રહી છે. આ પુનર્વસન થયું છે એવો દાવો જ વિવાદાસ્પદ છે. પુનર્વસન હજુ ઘણું છેટું છે, ઘણા કિસ્સામાં તો એ નિષ્ઠાપૂર્વક શરૂ પણ થયું નથી. એ કરવાને બદલે મધ્ય પ્રદેશની સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી છે. આ પોલીસ ડરામણી કવાયતો કરે છે, ગામ લોકોને  ગામ ખાલી કરવા માટે ધાકધમકી કરે છે.

ગામ ખાલી કરીને જવાનું ક્યાં? પુનર્વસન માટે નક્કી કરેલી ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પહોંચવા માટે રસ્તા જ નથી. ઘર બાંધવા માટેના પ્લૉટ પણ એવી  ઘણી જગ્યાઓ પર છે કે જ્યાં કાં તો ખડક હોય અથવા ખાડા! ઘણી સાઇટસ પર બ્લૅક કૉટન સૉઇલના મોટા થર છે. આવી જમીન પર ઘરનાં પાયા લેવા એ ખૂબ ખર્ચાળ બાબત છે. કેટલાંક સાઇટસ અને પ્લૉટસ એવા છે કે જેની વચ્ચેથી ચોમાસુ નાળાં પસાર થતાં હોય. ધરમપુરી કસબાની એક આવી જગ્યા પૂરઝડપે વહેતાં પહાડી ઝરણાની બિલકુલ બાજુમાં છે. આ ઝરણું દરેક સારા ચોમાસે આજુબાજુના વિસ્તારમાં નુકસાન કરે છે.

નર્મદા વૅલીમાં ધાકધમકીના ઓથાર હેઠળ જીવી રહેલાં સમૃદ્ધ અને શાંતિપ્રિય ખેડૂતોની સાથે કરવામાં આવેલા અમાનુષ વર્તન-વ્યવહારની કથાઓ અઢળક છે. આ બધાં પછી પણ હકીકત તો એ રહે જ છે કે ગુજરાતનાં જળાશયોમાં પાણી ભરાઈ ચૂક્યાં છે અને કેટલીક કૅનાલોમાં પાણીનું જોર વધવાને કારણે ભંગાણ પડવાથી ગુજરાતમાં પૂરની તીવ્રતા વધી છે.

આમાંથી ફલિત થાય છે કે સરદાર સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય ગુજરાત કે રાજસ્થાનના પાણીપૂરવઠા માટે લેવામાં આવ્યો નથી. પણ એ નિર્ણય ગુજરાતની ચૂંટણીઓ પર પ્રભાવ પાડવા માટેનું એક સાધન ઊભું કરવા માટે લેવામાં આવ્યો છે. નર્મદા વૅલીના લાખો લોકો ડૂબાડનારો આ નિર્ણય સરકારોના નિર્લજ્જ રાજકારણની પેદાશ જ ગણાય.

મેધાબહેને સાતમી ઑગસ્ટે તેમની ધરપકડના થોડાક જ સમય પહેલાં વોઈસ ક્લિપ પર આપેલો સંદેશ આવા વખતે ઉપયુક્ત છે :

આજ મધ્ય પ્રદેશ સરકાર હમારે બારવેં દિન અનશન પર બૈઠે હુએ બારહ સાથીયોંકો માત્ર ગિરફ્તાર કરકે જવાબ દે રહી હૈ. યે કોઈ અહિંસક આંદોલન કા જવાબ નહીં હૈ.

મોદીજી કે રાજમેં શિવરાજજી કે રાજમેં એક ગહરા સંવાદ નહીં હુઆ, જો હુઆ ઉસ પર જવાબ નહીં, આંકડોં કા ખેલ, કાનૂન કા ઉલ્લંઘન ઔર કેવલ બલપ્રયોગ જો આજ પુલીસ લાકર ઔર કલ પાની લાકર કરને કે ઉનકી મંશા હૈ. ઇસકા ઉપયોગ હમ લોગ ઈસ દેશમેં ગાંધી કે સપનોં કી હત્યા માનતે હૈ, બાબાસાહેબ કે સંવિધાન કો ભી ન માનનેવાલે, યે રાજ પર બૈઠે હૈ.

ઔર સમાજોં કે, ગાયોં કે, કિસાનોં કે, મજદૂરોં કે, મછુઆરોં કે (સમાજોં કી) કોઈ પરવાહ નહીં કરતે હૈં. યહ અબ ઇસ બાત સે સ્પષ્ટ હો રહા હૈ. ઉંન્હોંને બંદૂકોં સે હત્યા કી, ઔર યહાં જલહત્યા કરને કી મંશા હૈ, ઇસલિએ હમ ઉનકે બીચ મેં આ રહે હૈ ઐસા ઉનકા માનના હૈ. પહલે અનશન તોડો ઔર ફિર બાત કરો, યહ હમ કૈસે મંજૂર કર સકતે હૈ?

એક બાજુ મુખ્યમંત્રી ખુદ કહ રહે હૈ કી ટ્રિબ્યૂનલ કા ફૈસલા જો કાનૂન હૈ, ઉસકા અમલ પૂરા હો ચૂકા હૈ. દૂસરે બાજુ બોલ રહે હૈ અનશન તોડને કે બાદ ચર્ચા કરેંગે. ઇસકે સાથ જિન મૂદ્દોં (પર ચર્ચા કરની થી) સબ તો રખ ચૂકે હૈ. તો અબ યહ ચોટી પર જાના પડેગા, અહિંસક આંદોલન ઔર જવાબ સમાજને દેના પડેગા. નર્મદા ઘાટી કે લોગોં પર બહુત કહાર મચાને જા રહે હૈ. પ્રકૃતિ સાથે દે રહી હૈ, ગુજરાત પાનીમેં લબાલબ હૈ, યહાં પાની નહીં ભરા હૈ. લેકીન કલ ક્યા હોગા કૌન જાને?

બારહ અગસ્ત કો મોદીજીને અગર ઇસ મુદ્દે પર મહોત્સવ મનાયા ઔર જશ્ન મનાયા વહ ભી સાધુઓં કે સાથે ઔર બારહ મુખ્યમંત્રીયોં કે સાથ, તો ઉનકી સરકાર ઔર પાર્ટી કિસ પ્રકાર કે વિકાસ કો આગે ધકેલના ચાહ રહી હૈ . ઇસ દેશ કે કૌને કૌને મેં સંઘર્ષ પર ઉતરે સાથી કહ રહે હૈ, વહી બાત ફિર અધોરેખિત કરતે હૈ. હમ ઇતના ચાહતે હૈ કી ‘નર્મદાકા હો સહી વિકાસ, સમર્થકોં કી યહી હૈ આસ’ – યહ હમારા નારા કેવલ નર્મદા ઘાટી કે લિએ નહીં, દેશ મેં કોઈ ભી વિસ્થાપન કે આધાર પર વિકાસ માન્ય નહીં કરેં. વિકલ્પ વો હી ચુનેંગેં. યહી હમ ચાહતે હૈ.

૧૦ ઑગસ્ટ ૨૦૧૭

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 04-05

Loading

...102030...3,3023,3033,3043,305...3,3103,3203,330...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved