Opinion Magazine
Number of visits: 9584052
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મસંસ્થાનો હઈડો સંભળાવા લાગ્યો છે એ બહુ રાજી થવા જેવી ઘટના છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 August 2017

શુક્રવારની ઘટના ગમગીન હોવા છતાં મનમાં ઊંડે-ઊંડે એક પ્રકારના રાજીપાનો અનુભવ પણ થઈ રહ્યો છે કે ચાલો, ધર્મસંસ્થા એના અંત તરફ ઝડપથી આગળ વધી રહી છે.

ધર્મસંસ્થાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે. દેહ ર્જીણ થઈ જાય અને મૃત્યુ નજીક આવે ત્યારે ધીરે-ધીરે શ્વાસ શરીરનાં બીજાં અંગોમાંથી સમેટાતો જાય છે અને કેવળ નાભિથી લઈને શ્વાસનળી વચ્ચે ચાલે છે. દેશી ભાષામાં આને નળો કહેવામાં આવે છે અને મૃત્યુ પામનાર માણસનો શ્વાસ જ્યારે નળામાં ચાલતો હોય છે ત્યારે જોર-જોરથી અવાજ આવે છે (કાઠિયાવાડમાં એને હઈડો કહે છે). આને શિષ્ટભાષામાં નાભિશ્વાસ કહે છે જે મૃત્યુનો સંકેત આપે છે. વિનોબા ભાવેએ કહ્યું હતું કે ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં. વિનોબા આ દ્વારા શું કહેવા માગતા હતા એની વાત આ લેખમાં આગળ જતાં સ્પષ્ટ થતી જશે.

ગઈ કાલે કહ્યું હતું એમ મોટા ભાગના (અહીં પહેલાં મેં કેટલાક એવો શબ્દ લખ્યો હતો, પરંતુ એ પછી દરેક ધર્મ અને જાણીતા ધર્મગુરુઓ પર બારીક નજર કર્યા પછી એમ લાગ્યું હતું કે કેટલાકની જગ્યાએ મોટા ભાગના શબ્દ ઉચિત રહેશે) ખ્યાતિપ્રાપ્ત ધર્મગુરુઓ ધર્મનો અફીણ તરીકે, વેપાર તરીકે, રાજકારણ માટે અને પેટ્રોલ તરીકે એકસાથે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હજારો એકર જમીન ધરાવે છે. તેઓ ધંધો કરે છે અને કેટલાકે શાસકોને સાધીને વાણિજ્ય સામ્રાજ્યો ઊભાં કર્યાં છે. કેટલાક આશ્રમોમાં પાપલીલા આચરે છે, કેટલાક રીતસર રાજકારણ કરે છે અને સત્તા ભોગવે છે, કેટલાક રાજકારણીઓને આર્શીવાદ આપે છે અને જે-તે રાજકીય પક્ષોને મત આપવાની સલાહ આપે છે, કેટલાક મહાવીરસ્વામીને શરમ આવે એવી વાણીમાં બોલે છે. જગતને ઉદારતાનો સર્વોત્તમ સંદેશ આપનારા અનેકાંતવાદથી વિપરીત તેમની વાણી હોય છે.

ધર્મગુરુઓ આમ ચિડાઈને, ગુસ્સે થઈને મોટે-મોટેથી શા માટે ઉપદેશ આપતા હોય છે એવો સવાલ એક દિવસ મેં મારા એક મિત્રને પૂછ્યો હતો. તેણે જવાબ આપ્યો હતો કે શ્રોતા વિચારી ન શકે એટલા માટે. શ્રોતા ધર્મગુરુની થિયેટ્રિકલ ભાષા અને બૉડી-લૅન્ગ્વેજમાં એટલો પરોવાઈ જાય કે નેતા કે ધર્મગુરુ શું બોલે છે એની ચકાસણી જ ન કરે. જે. કૃષ્ણમૂર્તિ એક મિત્ર મિત્રો સાથે બેસીને વાત કરતા હોય એમ ગંભીર વાત કહેતા હતા. તમે કોઈ ધર્મગુરુને મિત્રભાવે ગંભીર વાત કહેતા સાંભળ્યા છે? નહીં સાંભળ્યા હોય. એ રીતે નેતાઓ પણ નથી બોલતા જે રીતે એક જમાનામાં એમ.એન. રૉય બોલતા હતા. નેતા જાણે કે ક્રાન્તિ કરવા કેસરિયા કરીને બહાર પડ્યો હોય એમ બરાડા પાડીને બોલે છે. જો મિત્ર તરીકે વાત કરે તો શ્રોતા વિચારમાં ભાગીદાર બની જાય. આ તેમને પરવડતું નથી. શ્રોતા ભક્ત બની રહેવો જોઈએ, વિચાર-વિમર્શમાં ભાગીદાર સહચિંતક નહીં.

આમ ખ્યાતવાન ધર્મગુરુઓ એકથી એક બત્રીસલક્ષણા છે. એક ખ્યાતનામ ધર્મગુરુએ દાયકા પહેલાં વિશ્વશાંતિ ખાતર મુંબઈમાં વિશ્વધર્મ પરિષદ બોલાવવાનો વિચાર કર્યો. તેમના એક સહાયક સાધુએ મારી મદદ માગી અને સર્વધર્મ સંવાદમાં કયા-કયા ધર્મના કયા ધર્મગુરુને બોલાવવા એની યાદી બનાવવા અમે સાથે બેઠા. તેઓ ધર્મગુરુઓના જે નામ સૂચવતા હતા એ ગામના ઉતાર જેવા હતા. મેં એ ધર્મગુરુએ સૂચવેલાં નામો સામે વાંધો લીધો અને તેમનાં કરતૂતોની જાણકારી આપી ત્યારે તેમણે કહ્યું હતું કે હા, એવું હશે; પરંતુ તેઓ જાણીતા છે. બીજા દિવસથી તેમણે મને બોલાવવાનું બંધ કરી દીધું હતું. આ બાજુ મારી પણ આંખ ઊઘડી હતી કે ધર્મસંવાદ એક ઢોંગ માત્ર છે. જેને અધ્યાત્મનાં રહસ્યો સમજાયાં છે એ રૂઢ અર્થમાં ધાર્મિક ન હોય અને જે રૂઢ અર્થમાં ધાર્મિક હોય એ અંદરથી સાવ ખાલીખમ હોય. તે સંવાદ કઈ રીતે સાધી શકે? તે શ્રોતા સાથે જે. કૃષ્ણમૂર્તિની માફક વાતચીતનો સંબંધ કેવી રીતે વિકસાવી શકે? વધુમાં વધુ તે ભસી શકે અને સ્ટેજ પરથી બે ટુચકા બે ડૂસકાંનાં નાટકો કરી શકે, શ્રોતા સાથે વાતચીત ન કરી શકે.

જે બાજુમાં બેસીને મિત્ર તરીકે ઉપદેશ આપે તે જ્ઞાની અને જે સામાન્ય માણસને દૂર ટોળાનો ભાગ બનાવી રાખીને દિવસરાત VIPઓને શોધતો ફરતો હોય અને કેવળ VIP માટે ઉપલબ્ધ હોય તે ઢોંગી. છેતરપિંડીથી બચવા માટેની આ ગુરુચાવી હું તમને આપું છું. આમ પણ ઉપદેશ શબ્દમાં ઉપનો અર્થ નજીક એવો થાય છે. જે નજીકમાં બેસાડીને સંસારનાં રહસ્યોનો સંદેશ આપે એ ઉપદેશ.

એક ધર્મગુરુના નેતાઓ સાથેનાં પોસ્ટરો હજી મહિના-બે મહિના પહેલાં તમે જોયાં હશે. આખા શહેરને પોસ્ટરોથી છલકાવી દેવામાં આવ્યું હતું. હું મનોમન વિચારતો હતો કે જે સંતને પોતાનું સંતત્વ સિદ્ધ કરવા માટે રાજકારણીઓના ખભાની જરૂર પડે એ કેવા સંત હશે? બીજું, કોણ મહાન? રાજકારણી કે સંત? કોનો ખભો મોટો? રાજકારણીનો કે સંતનો? રાજકારણી જાહેરમાં લોકો સામે પગે લાગે અને નીચા આસને બેસે એ ભાગીદારીની શરતમાત્ર છે, બાકી રાજકારણી પણ જાણતો હોય છે કે ભાઈ કેવા છે. NDTV હિન્દીના પ્રાઇમ ટાઇમના ઍન્કર રવીશ કુમારે માત્ર એક વાક્યમાં બહુ માર્મિક વાત કહી હતી. પંચકુલામાં ગુરમીતના જે અનુયાયીઓ એકઠા થયા હતા તેઓ હથિયાર લઈને આવ્યા હતા, મીઠાઈ લઈને નહોતા આવ્યા. કહેવાનું તાત્પર્ય એ કે અનુયાયીઓને પણ જાણ હતી કે આપણા ગુરુ કેવા છે અને ચુકાદો શું આવવાનો છે.

ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં એમ કહ્યા પછી વિનોબાએ આગળ ખુલાસો કર્યો હતો કે આ બન્ને સંસ્થા સમાજને જોડનારી નથી, તોડનારી છે એટલે એમનો સૂર્યાસ્ત નજીક છે. આ બન્ને સંસ્થાઓ પોતાને ટકાવી રાખવા લોકોની અંદર દ્વેષ ભરવાનું કામ કરે છે એટલે બન્ને સંસ્થા હિંસાનું કારણ છે. આ બન્ને સંસ્થા એકબીજા સાથે ભાગીદારીમાં કામ કરે છે એટલે બન્ને પરસ્પરના વિનાશનું કારણ બનવાની છે. આ બન્ને સંસ્થાઓનો સ્થાપિત હિતો અને ગુંડાઓ ઉપયોગ કરી રહ્યા છે એટલે તેઓ આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરી રહ્યા છે. આ બન્ને સંસ્થાઓ લક્ષ્મીની ગુલામ છે અને તેમના પગમાં આળોટે છે.

ધર્મ ઔર રાજનીતિ કે દિન લદ ગએં હૈં એમ જ્યારે વિનોબાએ કહ્યું છે તો એનો અર્થ એવો નથી કે આવનારાં થોડાં વર્ષોમાં એનો સૂર્યાસ્ત થઈ જવાનો છે. મધ્યાહ્ન પછી પશ્ચિમ તરફ ઢળતા સૂર્યને પણ અસ્ત થતાં છ-સાત કલાક લાગે છે. જેમ બપોર પછી સાંજ આવે અને પ્રકાશ ઘટતો જાય એમ ધર્મસંસ્થા અસ્તાંચળ તરફ આગળ વધી રહી છે એના સંકેતો મળવા લાગ્યા છે. આપણી હયાતીમાં ધર્મસંસ્થા હજી વધુ હિંસક અને વિકૃત સ્વરૂપમાં આપણને જોવા મળશે. આપણા પછીની બેએક પેઢી કદાચ હજી વધુ વિકૃત ચહેરો જોશે અને એ પછી ધર્મસંસ્થાનો અસ્ત થઈ જશે. એ માનવીય ઉત્ક્રાન્તિની નવી ઊંચાઈ હશે. એના માટે એકાદ સદીની રાહ જોવી પડશે. જેમ ફળને પાકતાં સમય લાગે છે એમ સડતાં પણ સમય લાગે છે.

ભગવાન કૃષ્ણ પણ સંભવામિ યુગે યુગે કહીને ગયા છે અને તેમણે પણ વાયદો પાળવાનો છે. ભગવાને જન્મ લેવો પડે એટલું પાપ નેતાઓ અને ધર્મગુરુઓ એકઠું કરી રહ્યા છે. એટલે જ પ્રારંભમાં કહ્યું એમ પંચકુલાની ઘટના ગમગીન હોવા છતાં મનમાં ઊંડે-ઊંડે રાજીપો અનુભવાય છે. ધર્મસંસ્થાનો હઈડો સંભળાવા લાગ્યો છે એનો રાજીપો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2017

Loading

ઓશિંગણ ખરાં, ઓશિયાળાં નહીં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 August 2017

મુસ્લિમ પર્સનલ લૉ સહિતના બધા જ પર્સનલ લૉઝ તળેઉપર તપાસ તથા તળિયાઝાટક સાફસૂફી માગી લે છે

નવ નવ ન્યાયમૂર્તિઓની બેન્ચે ‘રાઇટ ટુ પ્રાઇવસી’ને મૂળભૂત અધિકાર કહ્યાના શીર્ષ ઉભરાટેભર્યાં છાપાંથી ઘેરાયેલ શુક્રવારની સવારે બે અક્ષર પાડતી વેળાએ સર્વોચ્ચ અદાલત બાબતે ‘આફરીન’, ‘આફરીન’ના આફરે ઝોકું ખાવાથી બચવાનો મનોવ્યાયામ પણ ચાલી રહ્યો છે. જાહેર સ્મૃિત કહેતીગત ટૂંકી લેખાય છે તો પણ આ ક્ષણે ભૂલી શકાતું નથી કે પૂર્વે બબ્બે વાર સર્વોચ્ચ સ્તરે અલબત્ત નાની બેન્ચે ‘પ્રાઇવસી’ની એક અધિકાર તરીકેની મૂળભૂતતા બાબતે હાથ ઊંચા કરી દીધા હતા.

નહીં કે મારા તમારા અંગત દાયરાની અધિકારમા વજત બાબતે સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી હું રાજી નથી. નહીં કે ‘આધાર’ સહિતના મુદ્દે એણે સંભાવનાની જે ક્ષિતિજો ખોલી નાખી છે તે સ્વાગતાર્હ નથી. માત્ર, અદાલતી કુમક અને બંધારણી હૂંફનાં ઓશિંગણ રહેતે છતે એનાં ઓશિયાળાં ન રહેવાનો આગ્રહ ચોક્કસ છે, કેમ કે સવાલ છેવટે તો જણનારીના જોરનો છે. આપણી લોકશાહીના મુખ્ય પક્ષો રાજકીય સંસ્કૃિતની દૃષ્ટિએ કેટલાક બુનિયાદી આગ્રહમાં ઓછા અને પાછા પડે છે, અને નાગરિક તરીકે આપણે એમનું મૂલ્યાંકન કરવામાં કંઈક મોળા પડીએ છીએ. કદાચ, આપણે આશુતોષ છીએ, કેમ કે પાયાની સમજ અને ધોરણનો આગ્રહ હજુ આપણો સ્થાયી પ્રજાકીય ભાવ બન્યો નથી. બાકી, સીનીઅર ચંદ્રચુડના વારામાં ભરકટોકટીએ હેબિયસ કોર્પસ બાબતે સર્વોચ્ચ અદાલતે હાથ ઊંચા કરી દીધા તે પછી આપણે અદાલતો બાબતે આશાઅપેક્ષાવશ આશ્વસ્ત જ આશ્વસ્ત નહીં રહેવાની જરૂર હતી અને છે.

વાતની શરૂઆત સ્વાભાવિક જ શુક્રવારની સવારથી કરી પણ ખરું જોતાં ભઠ્ઠી તો બુધવારની બપોરથી જ તપવા માંડેલી હતી. ‘તીન તલાક’ને તલાક આપતો ચુકાદો ગમ્યો જ હતો. કોને ન ગમે. લાંબે સમયે પણ એક સોજ્જું પગલું શક્ય બન્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ પણ નથી. પણ પ્રશ્ન એ છે કે એક નાગરિક સમાજ તરીકે આ પ્રક્રિયામાં તમે અને હું ક્યાં ઊભા છીએ. પ્રશ્ન એ પણ છે કે શાસન પોતાના ઉત્તરાદાયિત્વને મુદ્દે ક્યાં ઉભેલું છે.

રાજકારણીઓનું તો જાણે કે સમજ્યા (જો કે તેઓ કોઈ આરોપથી અતીત નથી); પણ આપણે નાગરિક છેડેથી આ પ્રશ્નને ‘હિંદુ’ કે ‘મુસ્લિમ’ પ્રશ્ન તરીકે જોઈએ છીએ કે લૈંગિક ન્યાયની નાગરિક ચિંતા તરીકે જોઈએ છીએ? મોદી સરકાર મુસ્લિમ મહિલાઓની મુક્તિનો જશ હંમેશના સ્વાવલંબનપૂર્વક લે તો ભલે, પણ બન્યું તો સર્વોચ્ચના બહુમતી ચુકાદાથી છે – અને એ માટે જે પહેલ, જે ખાંખત અને સર્વાધિક તો જે હિમ્મત તે તો અદાલતનાં દ્વાર ખટખટાવનારી મુસ્લિમ મહિલાઓની છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ ચુકાદામાં ધરમમજહબ આધારિત પર્સનલ લૉની ફતેહ જોઈ છે, કેમ કે સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદામાં કહ્યા પ્રમાણે તીન તલાક ઇસ્લામની વિરુદ્ધ છે. મુસ્લિમ બોર્ડે, હકીકતે, મોડે મોડે પણ આ કેસમાં એક વિશેષ એફિડેવિટ વાટે આ મતલબની રજૂઆત પણ કરી હતી. જો કે, સાથોસાથ, સરકારને હસ્તક્ષેપ નહીં કરવા અનુરોધ પણ કર્યો હતો. અદાલતે પણ, તમે જુઓ કે, પર્સનલ લૉને અડવાપણું જોયું નથી અને ત્રણે પ્રકારની તલાકને ગેરકાનૂની ગણાવવાની કેન્દ્ર સરકારની રજૂઆત બહાલ નહીં રાખતા કેવળ ‘તીન તલાક’ બાબતે જ પગલું ભર્યું છે.

હવે શું, એ વિચારવા 10મી સપ્ટેમ્બરે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ મળી રહ્યું છે. ‘તીન તલાક’ ચુકાદાને મૂળભૂત અધિકારરૂપ ધર્મસ્વાતંત્ર્ય પરના પ્રહારરૂપે ઘટાવવાના જમિયત ઉલમા એ હિંદના વલણ કરતાં પર્સનલ લૉ બોર્ડની ભૂમિકા જરૂર આગળ જતી છે. પણ પ્રશ્ન એ છે કે પર્સનલ લૉ બોર્ડે પોતે આગળ પડીને ‘તીન તલાક’ને રદબાતલ ઠરાવવાની દિશામાં આટલાં વરસ સુધી કોઈ અસરકારક કારવાઈ કેમ ન કરી? મુસ્લિમ નેતાગીરી કોઈ રાજકીય ગણતરીથી પાછળ પડી હશે, કે પછી આપણે ત્યાં એકંદરે જે પુરુષસત્તાક સમાજમાનસ છે એ કામ કરી ગયું હશે? ઓછેવત્તે અંશે બંને કારણ હોઈ શકે છે.

રાજકીય ગણતરીઓ ઉપરાંત, સવિશેષ તો, રાજકીય માહોલનો પણ સવાલ છે. આ સવાલ ગઈ અગર એથી આગલી સદીથી ખેંચાતો આવ્યો છે; કેમ કે રાષ્ટ્રની વ્યાખ્યા ધર્મકોમને ધોરણે કરવાનો એક પ્રવાહ શરૂ થયેલો છે. આ પ્રવાહ 1947ના ભાગલા સુધી લઈ ગયા પછી અટક્યો નથી. એણે સામસામાં કોમી ધ્રુવીકરણથી, રાષ્ટ્રવાદની સાંકડી ને ઝનૂની સમજથી બળતામાં ઘી હોમવાનું ચાલુ રાખ્યું છે. સૌથી મોટી વાત કદાચ એ છે કે આપણા રાજકારણે અને જાહેર જીવને સુધારાની ચળવળને નામે લગભગ માંડી વાળેલું છે. જીર્ણમતના ગૌરવનું રાજકારણ, સમગ્ર સ્વરાજકારણને ગ્રસી તો નહીં જાય ને, એવી દહેશત અસ્થાને નથી.

મુસ્લિમ નેતાગીરીને આજે નર્મદ, દુર્ગારામ જેવા સુધારકોની એક આખી શૃંખલાની જરૂર છે. તીન તલાક, કેમ કે ઇસ્લામવિરુદ્ધ છે, માટે જાય એવી દલીલનો રાહ લેતી સર્વોચ્ચ અદાલત અગર તો અમે તીન તલાકને ધર્મ સમ્મત માનતા નથી એમ કહેતે છતે સુધારા બાબતે સુસ્ત રહેતું પર્સનલ લૉ બોર્ડ એ કોઈ ઉગાર નથી. મુદ્દાની વાત એ છે કે લૈંગિક ન્યાય અને સમાનતાનું જે મૂલ્ય છે એને ધોરણે મુસ્લિમ પર્સનલ લૉ સહિતના બધા જ પર્સનલ લૉઝ તળેઉપર તપાસ અને તળિયાઝાટક સાફસૂફી માગી લે છે.

સંઘ પરિવારગત ‘હિંદુ’ પ્રતિક્રિયા આવા સમગ્ર સંદર્ભમાં ભાગ્યે જ પથ્ય પુરવાર થાય. મુસ્લિમ સ્ત્રીઓના ત્રાતા તરીકે પોતાને આગળ કરતી રાજનીતિની પનાહમાં સ્ત્રી-અત્યાચારના જખમ હજુ નીંગળતા નથી એમ કહી શકાતું નથી. યુનિફોર્મ સિવિલ કોડનો નારો ને નેજો આ નિમિત્તે ફરી ઊઠવાનાં હોય તો પહેલાં તો એના ભળતા ગુજરાતી બાબતે નિર્ભ્રાન્ત થઈ જઈએ. ‘સમાન નાગરિક ધારો’ માંનો ‘નાગરિક’ શબ્દ ગેરરસ્તે દોરે છે. આ ધારો વારસા, લગ્ન ઇત્યાદિ કૌટુંબિક બાબતોને લગતો છે. દેશની એકતાના અર્થમાં અહીં ‘નાગરિક’ એ પ્રયોગ નથી તે નથી. બીજું, હિંદુ-ખ્રિસ્તી-મુસ્લિમ પર્સનલ લૉઝને એક જ લૉ બનાવી દેવા સાથે કથિત ધર્મસ્વાતંત્ર્યના સવાલો સંકળાયેલા હોય એ સંજોગોમાં નવાં મૂલ્યો (જેમ કે જેન્ડર જસ્ટિસ)ને ધોરણે જે તે પર્સનલ લૉમાં સુધારાની પ્રક્રિયા હાથ ધરી શકાય, એ વાનું અગ્રતા માંગી લે છે.

અંતમાં મેન ઓફ ધ મેચ – સૉરી, પર્સન્સ ઑફ ધ મેચ રૂપ ઉભરેલી મુસ્લિમ મહિલાઓને સલામ સાથે આપણે મજાઝની એ પંક્તિઓ સંભારીશું જે આ દિવસોમાં આરીફ મોહમ્મદ ખાને દોહરાવી છે:

તેરે માથે પે યે આંચલ બહૂત હી ખૂબ હૈ લેકિન
તૂ ઇસ આંચલ સે પરચમ બના લેતી તો અચ્છા થા.

સૌજન્ય : ‘સુધારાનો સાદ’, “દિવ્ય ભાસ્કર”, 26 અૉગસ્ટ 2017 

Loading

ઝાડ માટેની લાગણી અમદાવાદમાં વધી રહી છે, એ વધતી રહે એવી ઇકો ફ્રેન્ડલી ગણપતિદાદાને પ્રાર્થના

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|26 August 2017

વૃક્ષારોપણનાં કાર્યક્રમો, માટીની ગણેશમૂર્તિ અને કૉર્પોરેશનની સક્રિયતા નોંધપાત્ર છે

ભાદરવાના આરંભે અધઝાઝેરા ચોમાસે બધે લીલોત્રી હોય ત્યારે પધારતાં ગણેશ એ આપણા સહુથી ઇકો ફ્રેન્ડલી દેવ છે. આમ તો આપણા બધાં દેવો વનસ્પતિને ચાહે જ છે. જેમ કે, કૃષ્ણ વડ અને તુલસીને, મહાદેવની બિલીને, હનુમાનજી આકડાને, લક્ષ્મીજી કમળને. પણ ગજાનનને તો  એક નહીં એકવીસ વનસ્પતિ ગમે છે. તે ગણેશના પૂજાપામાં પણ છે. મરાઠીમાં તેને ‘પત્રી’ કહે છે.  ગણેશોત્સવની  કૌટુંબિક અને જાહેર પરંપરા ભારતમાં જ્યાં સહુથી મોટી છે તે મહારાષ્ટ્રમાં પૂજાસામગ્રીમાં ‘પત્રી’નો અચૂક ઉલ્લેખ આવે છે. ‘પત્રી’માં આ મુજબની વનસ્પતિઓનાં પાન કે ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે: અગસ્તી (અગથિયો), અર્જુન (સાદડો), અઘેડો, આકડો, કરેણ, કેવડો, જાતિપત્ર (જુઈ કે જાસૂદ), બૃહતિપત્ર (ઊભી ભોંયરિંગણી), તુલસી, દુર્વાંકુર (ધરો), દેવદાર, દાડમ, ધતુરો, પીપળો, બિલી, બોર, મરવો અથવા ડમરો, ભૃંગરાજ, મધુમાલતી, વિષ્ણુકાન્તા અથવા શંખપુષ્પી, શમી (ખીજડો). આ વૈવિધ્યપૂર્ણ યાદી ઔષધશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર બંનેની રીતે રસપ્રદ છે.

વનસ્પતિ અને પ્રાણીઓને ભારતીય સંસ્કૃિતએ જુદા જુદા ભગવાન સાથે જોડ્યાં છે તેની પાછળ તેમના રક્ષણની ભૂમિકા છે. વર્ષમાં એક-એક વખત આવતા ધાર્મિક તહેવારોમાં ભગવાનને પૂજવા ઉપયોગમાં લેવા માટે આપણે ઘરઆંગણે હંમેશાં વૃક્ષ-વનસ્પતિ ઊગાડીએ એવો આશય પ્રભુ અને પ્રકૃતિના આ જોડાણની પાછળ છે. દરેક વ્યક્તિ ભલે વર્ષમાં એક વખતની પૂજા માટે પણ તેના ભગવાનને ગમતાં ફૂલ-છોડ-ઝાડ ઉગાડે તો ધરતી ન્યાલ થઈ જાય.

આ ઝાડ ઊગાડવાની વૃત્તિ સદભાગ્યે અમદાવાદમાં ખીલી રહી છે. જાણીને નવાઈ લાગે કે ત્રીજીથી છવ્વીસમી જુલાઈ દરમિયાન અમદાવાદમાં વૃક્ષારોપણનાં કુલ સાડત્રીસ કાર્યક્રમો નોંધાયા, અને નહીં નોંધાયેલા અનેક હશે. એમાં ય કેટલાક દિવસોએ તો બે-બે જગ્યાએ વૃક્ષારોપણ હાથ ધરાયાં. ત્યાર પછી સંસ્થાઓ, સંગઠનોને  રેલ રાહતના કામ તરફ ન વળવું પડ્યું હોત તો કદાચ ઝાડ ઊગાડવાનાં કામ ચાલુ જ રહ્યાં હોત. અલબત્ત ઓગસ્ટ મહિનાનાં બીજાં-ત્રીજાં અઠવાડિયામાં છૂટાછવાયાં કાર્યક્રમો ચાલતાં રહ્યા છે. વૃક્ષારોપણો યોજનારાંમાં શાળા-કૉલેજો અને સમાજસેવી સંસ્થાઓ ઉપરાંત જ્ઞાતિનાં મંડળો અને ઘણી રહેણાંક સોસાયટીઓ હતી એ વાત મહત્ત્વની છે. કેટલાંક ઉપક્રમોમાં વનખાતું અને અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન પણ મદદરૂપ થતાં રહે છે.

અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન વૃક્ષો અંગે કેટલી સજાગ છે તેના દાખલા તાજેતરમાં મળ્યા. નવી બની રહેલી એક બહુ મોટી સ્કીમનો બિલ્ડર તેના કમ્પાઉન્ડની બહાર આવેલાં રસ્તા પરનાં ઝાડ ઊડાવી દેવાની ફિરાકમાં હતો. જેસીબી આવી ગયાં હતાં, રસ્તો સમથળ કરવાની સાથે ઝાડ પણ ભોંયભેગા થાય એવી શક્યતા ઊભી થઈ હતી. એક નાગરિકે મ્યુિનસિપાલિટીના અધિકારીઓને અને કેટલાક પત્રકારોને માત્ર મેસેજ કર્યા. તંત્ર તરત જ સક્રિય બન્યું, ઝાડ કપાતાં અટક્યાં, એટલું જ નહીં બીજે દિવસે એ નાગરિકને કૉર્પોરેશનના એક કર્મચારીનો ઝાડની સલામતી અંગે ખબર પૂછતો ફોન પણ આવ્યો. કૉમનપ્લૉટમાં પાંચ મોટાં વૃક્ષોથી સમૃદ્ધ એક સોસાયટીએ, કૉમનપ્લૉટ સરખો કરાવવાના આયોજનનાં ભાગ રૂપે કૉમનપ્લૉટની વચોવચ આવેલાં વીસેક વર્ષનાં વડની છટણી – ટ્રિમિંગ કરવા માટેની મંજૂરી માગી (સામાન્ય રીતે બીજી સોસાયટીવાળાઓ બારોબાર આખાં ઝાડ કપાવી નાખતાં હોય છે). કૉર્પોરેશને વૃક્ષોનાં ફોટા મગાવ્યા. પછી જે લેખિત મંજૂરી આપી એમાં સાફ જણાવ્યું હતું કે વૃક્ષમાં ચાર ઇંચથી  વધુ જાડાઈ ધરાવતો કોઈપણ હિસ્સો કાપવો નહીં !

અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનના બગીચા વિભાગના નિયામક જિજ્ઞેશ પટેલની વૃક્ષો માટેની નિસબતનો એક દાખલો નોંધપાત્ર છે. એક અખબારની નાગરિક-સહાય પ્રકારની કૉલમમાં એક મહિલા વાચકે સવાલ પૂછ્યો હતો : ‘મારા વિસ્તારમાં ઝાડ કાપવામાં આવી રહ્યું હોય તો તે અટકાવવા મારે શું કરવું ?’ સંવેદનશીલ જિજ્ઞેશભાઈએ પોતાના નામ સાથે અખબારમાં આપેલો જવાબ આ મુજબ હતો : ‘ તમારી આસપાસ, કે પછી ગમે તે જગ્યાએ,  તમે ઝાડને ગેરકાયદેસર રીતે કપાતું જુઓ તો તમારે ૯૮૨૫૦૯૭૨૪૮ નંબર પર ફોન કરી દેવો. મારી ટુકડીને હું તત્કાળ એ જગ્યાએ મોકલીશ. અમારી ટુકડી શહેરનાં ઝાડ બચાવવા માટે હંમેશાં તૈયાર અને તત્પર હોય છે. શહેરમાં તમારા જેવા નાગરિકો છે એનો અમને આનંદ છે. ઝાડ બચાવો, કુદરત બચાવો.’ વૃક્ષ બચાવવાના બીજા એક મહત્ત્વનાં ઉપક્રમમાં પણ  જિજ્ઞેશભાઈ અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન થકી જોડાયાં છે. મેટ્રો રેલવેના રસ્તે આવી રહેલાં ૬૫૦ વૃક્ષોને કાપી નાખવાને બદલે તેમને ફરીથી રોપવાનું અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આયોજન થયું છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી પણ જોડાઈ છે. વાઇસ-ચાન્સલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું છે કે વૃક્ષોને યુનિવર્સિટી મેદાનની અંદરની ધાર પર ઊગાડવામાં આવશે અને યુનિવર્સિટીનો વનસ્પતિશાસ્ત્ર વિભાગ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરશે. ‘કયાં વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે તે તેમના થડની જાડાઈ પરથી નક્કી કરવામાં આવ્યું છે. ટ્રાન્સપ્લન્ટેશન પછી ૬૫% ઝાડ જીવી જાય છે’, એમ જિજ્ઞેશભાઈ જણાવે છે. તેમના જેવા અધિકારીઓ છે ત્યાં સુધી શહેરના વૃક્ષપ્રેમીઓને આશા છે.

શહેર સુધરાઈના બગીચા વિભાગે બીજી એક યોજના હાથ ધરી છે તે રિવરફ્રન્ટ પર માંદા પડેલાં વૃક્ષોની સારવારની. ભારે વરસાદને કારણે રિવરફ્ન્ટ પાણીમાં ગરકાવ થતાં તેને બંને કાંઠે ઊછેરવામાં આવેલા હજારો વૃક્ષો બીમાર થઈ ગયાં હતાં, તેમનાં મૂળમાં કોવાટો લાગી ગયો હતો. તેને ફૂગનાશક દવા તેમ જ અન્ય જંતુનાશક દવાથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એ પણ નોંધવું જોઈએ કે શહેરનાં અનેક વૃક્ષો, ખાસ કરીને લીમડા હવે વયોવૃદ્ધ થયાં છે. તો વળી સેંકડો વૃક્ષો રસ્તા કે ફૂટપાથને કારણે ડામર અને કૉન્ક્રિટમાં જકડાઈ ગયાં છે, તેમની ધરતીમાતાનો ખોળો ગુમાવી રહ્યાં છે. નાનકડું વાવાઝોડું પણ તેમને ઊખાડી નાખે છે. આવી રીતે યાતના વેઠી રહેલાં વૃક્ષોની આસપાસનું કૉન્ક્રિટ તોડીને તેમને માટીના ક્યારા આપવા જોઈએ. વરસાદ-વાવાઝોડામાં પણ  ઘણાં વૃક્ષો બચશે, ઘણાં નવજીવન પામશે.

ઝાડને નવજીવન આપવાનું વંદનીય કામ કેટલીક વ્યક્તિઓ કરી રહી છે. સ્થાપત્ય અને બાગાયત ક્ષેત્રોમાં કામ કરનાર ચાર મિત્રો શહેરમાં આંબા વાવવાનું અને દર મહિનાના પહેલા શનિવારે ટ્રી વૉકનું વૃક્ષદોસ્તી માટેની પરિક્રમાનું આયોજન કરે છે. તેઓ છે : લોકેન્દ્ર બાલાસરિયા, નાગેન્દ્ર પુરોહિત, સ્નેહલ દવે અને આસિફ મેમન. એકલવીર રાજ સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝ્મા રિસર્ચમાં એન્જિનિયર છે. તેમની ઑફિસનો રસ્તો યુનિવર્સિટી પાસેના રિંગ રોડ થઈને જાય છે. ખેડૂત પરિવારમાંથી આવતા આ સંશોધક ગયાં ત્રણેક વર્ષથી રિંગ રોડ પરના કેટલાક હિસ્સામાં  વવાયેલાં છોડને પાણી સીંચે છે અને નવાં વૃક્ષો વાવે છે. જે આર.જે. ધ્વનિતના ‘મૉર્નિંગ મંત્ર’ પુસ્તકનું રવિવારે પ્રકાશન થવાનું છે તેની ઝાડ વાવવા માટેની  સક્રિયતા જાણીતી છે. બાવળા સ્ટેશનની સામેનો ઘટાદાર વૃક્ષોથી હર્યોભર્યો વિસ્તાર સ્ટેશન અધિક્ષક સુરેન્દ્ર પ્રિયદર્શીએ 1993થી શરૂ કરેલ બે તપની મહેનતનું ફળ છે. ભગવાન તો આ તપથી પ્રસન્ન થાય છે. ગણેશ તો ધરો રૂપે ઘાસના તણખલાથી લઈને પીપળ જેવા મહાવૃક્ષ સુધી હરિયાળીના બધાં રૂપોને ચાહે છે. એટલે ઝાડ-પાન ઉગાડી-ઉછેરીને કહીએ  ગણપતિ બાપ્પા મોરયા !

+++++

૨૪ ઓગસ્ટ ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 25 અૉગસ્ટ 2017 

Loading

...102030...3,3003,3013,3023,303...3,3103,3203,330...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved