Opinion Magazine
Number of visits: 9584256
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સુગણિતમ્‌’ સામયિક : ગણિતશાસ્ત્રી પ્ર.ચુ. વૈદ્યએ ગુજરાતને આપેલી પરંપરા જે અત્યારે પણ પ્રકાશિત છે

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|15 September 2017

ગયા રવિવારે વૈદ્ય સાહેબના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં  કાર્યક્રમ યોજાયો હતો

ગયાં પંચાવન વર્ષથી પ્રકાશિત થઈ રહેલું ‘સુગણિતમ્‌’ નામનું ગણિત વિષય પરનું ગુજરાતી સામયિક એ આપણાં વિદ્યાજગતનું બહુ મોટું ગૌરવસ્થાન છે. આ સામયિકની શરૂઆત મોટા ગણિતજ્ઞ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ-ચાન્સલર પ્રહ્લાદરાય ચુનીલાલ વૈદ્ય(1918-2010)એ કરી હતી. પ્ર.ચુ.વૈદ્ય આઇન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ ક્ષેત્રે તેમણે આપેલા ‘વૈદ્ય મેટ્રિક’ નામના સિદ્ધાન્ત માટે વિશ્વવિખ્યાત છે. ગૂગલના માહિતીસંગ્રહ મુજબ જગતમાં ખગોળ ભૌતિકનાં જે સંશોધનપત્રો લખાયાં તેમાં વૈદ્ય મેટ્રિકનો ઉલ્લેખ એક લાખ વીસ હજારથી પણ વધુ વાર થયો છે. આ માહિતી ગણિતવિદ્દ પૂર્વ અધ્યાપક અરુણ વૈદ્યએ ‘આપણી મોંઘી ધરોહર’ (2016) નામે લખેલાં,  વૈદ્યસાહેબના સુવાંગ જીવનચરિત્ર માં મળે છે.

આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર વૈદ્યસાહેબ પોતાના રાજ્યના શિક્ષણને ભૂલ્યા નહીં. ગુજરાતમાં ગણિતના અભ્યાસક્રમો, અધ્યયન અને અધ્યાપનના સ્તરમાં સુધારો થાય તે માટે તેમણે ‘ગુજરાત ગણિત મંડળ’ થકી આજીવન પ્રયત્નો કર્યા. મંડળનાં પાંચમાં વર્ષમાં એટલે કે 1967ના માર્ચમાં તેના અમદાવાદ એકમે ‘સુગણિતમ્‌’ નામના અર્ધવાર્ષિક સામયિકનો આરંભ કર્યો. તેના પહેલા અંકના તંત્રીલેખમાં કોઈ દાવા-દલીલ ન હતાં; સામયિકમાં આવરી લેવામાં આવનાર વિષયોની યાદી હતી : ગણિત શિક્ષણ, ગણિત અને વિજ્ઞાન, અદ્યતન ગણિત, ગણિત વિકાસની કેડી, ખગોળ, વર્ગનોંધ, કૂટપ્રશ્નોના ઉકેલ, પુસ્તક સમાલોચના, કણિકાઓ અને સામાન્ય. એક રૂપિયો લવાજમ અને બસો ગ્રાહકો સાથે શરૂ થયેલું ‘સુગણિતમ્‌’ છ વર્ષ પછી ત્રિમાસિક બન્યું અને 1977થી દ્વિમાસિક. અરુણભાઈ વૈદ્ય ૧૯૭૧થી તેના તંત્રી છે. પ્ર.ચુ. વૈદ્ય સાહેબે દસમાં વર્ષે લખ્યું કે ‘સામયિકનું ધ્યેય ગુજરાતમાં ગણિત ચાહકોનો એક વર્ગ ઊભો કરવાનું રહ્યું છે.’ આ ધ્યેયમાં ‘સુગણિતમ્‌’ સફળ રહ્યું, એટલું જ નહીં, પણ તેને એક તબક્કે ‘યુનેસ્કો’ની ઇન્ટરનૅશનલ પિરિયૉડિકલ ડિરેક્ટરીમાં સ્થાન પણ મેળવ્યું.

‘સુગણિતમ્‌’ના સંખ્યાબંધ અંકોમાંથી પસાર થતાં સમજાય છે કે તેણે ગુજરાતના શાળા સ્તરે ગણિત વિષયના પ્રહરી તરીકેની ભૂમિકા ભજવી છે. વળી, તે ગણિત અને આનુષંગિક વિષયોનો જ્ઞાનકોશ તેમ જ  માર્ગદર્શક  છે. ‘ગણિત શિક્ષકની નોંધપોથી’ એક મહત્ત્વનો વિભાગ  છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગણિતના  શિક્ષણ દરમિયાન સૂઝેલી ખાસ હકીકતો ટૂંકી નોંધરૂપે આ વિભાગમાં મળે છે. તેમાંથી  ગણિતના વિદ્યાર્થીઓની ટેવો અને તેમનાં વલણોનો પણ નિર્દેશ મળે છે. સામયિકમાં ગણિત સંમેલનોનાં અહેવાલો અને અધ્યક્ષીય ભાષણો હોય છે. ગણિતને લગતી વિવિધ સ્પર્ધાઓની તમામ માહિતી પણ છે. શુદ્ધ, શુષ્ક અને ગહન ગણિત તો અહીં હોય જ. પણ લગભગ તેના જેટલો જ હિસ્સો ગણિતને હળવી કે સુબોધ રીતે મૂકતી સામગ્રી માટે પણ ફાળવવામાં આવે છે. એટલે ‘ગણિતનાં રમકડાં’  ‘અખબારોમાં ગણિત’, ‘ચાલો ગણિત રમીએ’  જેવા વિભાગો હતા. વૈદ્ય સાહેબે ‘નરસૈયો’ તખલ્લુસથી ખગોળશાસ્ત્ર પરની ‘અખિલ બ્રહ્માંડમાં’ લેખમાળા લખી. પછી ‘ચૉક અને ડસ્ટર’ મથાળાં હેઠળ ગણિત શિક્ષકનાં સંભારણાં લખ્યાં. તે બંને પુસ્તકો તરીકે પ્રસિદ્ધ થયાં છે. તેમણે ‘ઉમેદરામ અમેરિકામાં’ નામે એક લેખમાળા પણ કરી. જેમાં સૌરાષ્ટ્રના ગણિત-શિક્ષક મિસ્ટર હૅન્ડરસન નામના અમેરિકન સમવ્યાવસાયિકને મળે છે. તેમની વચ્ચે ત્યાંના અને અહીંના, નવા અને જૂનાં ગણિત વચ્ચે મજાની કાઠિયાવાડી લઢણમાં ચાલેલી, જ્ઞાન સાથે ગમ્મત આપતી ચર્ચા વાંચવા મળે છે.  ગણિત માટેનો   રંજક  અભિગમ  કેટલાક લેખોના વિષયો / શીર્ષકોમાં પણ જોવા મળે  છે. જેમ કે, ‘ઝીરો ગણિતનો હિરો’, ‘મન માકડું તો ગણિત ફાંકડું’ ‘શરદપૂર્ણિમા અને ગણિત’, ‘ચૂંટણી અને  ગણિત’, ‘સંવેદનાનું માપ’, ‘કીડીને કણ હાથીને મણ’, ‘મધમાખીઓની ગાણિતિક સંખ્યા’, ‘એક પલ જૈસે એક યુગ બીતા’, લઘુ નાટક ‘નટીની ઉંમર’, કટાક્ષિકા ‘રસેલ, ગણિત અને હું’, દીવાસળીઓ-લખોટીઓ-કાંકરીઓની રમતની વાત, ગાંધી શતાબ્દીની તારીખ ૨-૧૦-૧૯૬૯નો જાદુઈ ચોરસ અને અન્ય.

ગણિત અને તેની સાથે સંકળાયેલ વિષયોના અગ્રણીઓ ‘સુગણિતમ્‌’નો મહત્ત્વનો વિષય છે.  આઇઝૅક ન્યૂટન,  આર્કીમીડિઝ, આર્યભટ્ટ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, એડમન્ડ હેલી, કાર્લ ગાઉસ, કૉપર્નિકસ, ચન્દ્રશેખર સુબ્રમણ્યમ, ચન્દ્રશેખર વેંકટ રામન, ચાર્લ્સ રાસીન, જગતનારાયણ કપૂર, પાયથાગોરસ, બર્ટ્રાન્ડ રસેલ, યુક્લીડ, રૉબર્ટ ઓપેનહાઇમર, શ્રીનિવાસ રામાનુજન્‌, સત્યેન્દ્રનાથ બોઝ, સ્ટેફાન બનાખ જેવાને ‘સુગણિતમ્‌’ અચૂક યાદ કરે છે. અનેક ક્ષેત્રોની જેમ ગણિતમાં મહિલાઓ અને દલિત વર્ગો માટે સ્થાન ઓછું રહ્યું છે. ‘સુગણિતમ્‌’માં  પણ આ બંને વર્ગોના લેખકો ઓછા છે. પણ અરુણ વૈદ્ય મહિલા ગણિતજ્ઞો વિશે એક લેખમાળા આપે છે જે મોટી વાત છે. વ્યક્તિવિશેષો ‘સુગણિતમ્‌’ના મુખપૃષ્ઠ પર પણ હોય છે. વળી ગાણિતિક આકૃતિઓ સાથેનાં મુખપૃષ્ઠ એક ખાસિયત છે. ખાસ ઉલ્લેખ ચોવીસમાં વર્ષના પાંચ અંકોનાં બહુ અનોખાં મુખપૃષ્ઠોનો કરવો જોઈએ. તેમાં દરેકમાં એક ચિત્ર છે, તેની સાથે સંસ્કૃત શ્લોક છે જે ગણિત-ઉખાણું છે અને તેનો ગુજરાતી અનુવાદ છે ! ગ્રંથાવલોકન વિભાગમાં રામાનુજન્‌ના ઑક્સફર્ડસ્થિત ગુરુ જી.એચ. હાર્ડીના ‘અ મૅથેમૅટિશિયન્સ અપૉલોજિ’ના શંભુપ્રસાદ દવેએ કરેલા ગુજરાતી અનુવાદ, નૅશનલ કાઉન્સિલ ઑફ ટીચર્સ  મૅથેમૅટિક્સના પ્રકાશનો, જયંત નારળીકરના અનુવાદિત પુસ્તક ‘ટ્રૉયનો ઘોડો’ વિશે વાંચવા મળે છે.

‘સુગણિતમ્‌’ને કાર્લોસ વાલેસ, છોટુભાઈ સુથાર, મધુસૂદન વ્યાસ, હરિહર ભટ્ટ, જેવા અનેક લેખકો મળતા રહ્યા છે. હિતચિંતકો તેમ જ સંસ્થાઓએ લવાજમો અને જાહેરખબરો દ્વારા ટેકો કર્યો છે. અત્યારે ‘સુગણિતમ્‌’નું પંચાવનમું વર્ષ અને ૨૮૮મો અંક ચાલી રહ્યાં છે. અઢી હજાર નકલોનો ફેલાવો ધરાવતાં આ દ્વિમાસિકની મોટા ભાગની જવાબદારી સહસંપાદક અને પૂર્વ અધ્યાપક પી.કે. વ્યાસ અનેક વ્યક્તિગત મુશ્કેલીઓ વચ્ચે પણ નિભાવી રહ્યા છે. અત્યારના અંકોમાં રાવસાહેબના સવાલ-જવાબ, ગણિત નોંધપોથી, વાચક નોંધપોથી, ‘કેવી રીતે સાબિત કરવું’ એવી ભૌમિતિક લેખમાળા, પુસ્તક અવલોકન, સો અંક પહેલાં જેવા વિભાગો છે. દ્વિઅંકી નિરુપણ, આનંદી સરવાળા, મૅથ્સ ઑલિમ્પિયાડ અને બીજી પરીક્ષાઓના પ્રશ્નપત્રો છે.  દિવંગત શિક્ષકોને અંજલિ છે. ગયા બે અંકથી જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વૈદ્ય સાહેબ પરના અનેક  લેખો છે. વૉટસઅ‍ૅપ પરનું ગણિત અને જેઈઈની પરીક્ષા જેવી વાત પણ બદલાતા સમયની સાથે છે. સમય છતાં બદલાયેલી નથી તે ‘સુગણિતમ્‌’ના સંપાદ, લેખકો, કાર્યકર્તાઓની નિરપેક્ષ નિષ્ઠા.

મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ગણિત એકંદરે ગળાકાપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાં પ્રવેશ મેળવવા માટેનો વિષય બની રહ્યો છે. અનેક શિક્ષકો માટે તે મોટી કમાણીનું સાધન છે. અંગ્રેજી ભાષા અને ઝડપી પરિણામનું દબાણ છે. આવા સમયમાં, ગુજરાતીમાં લગભગ શુદ્ધ ગણિતનો ફેલાવો કરવાની – માત્ર એકસો વીસ રૂપિયાના વાર્ષિક લવાજમ સાથે ચાલતાં – ‘સુગણિતમ્‌’ની સમર્પિતતા ખાસ આદરપાત્ર બને છે. વૈદ્યસાહેબે આ લખનારને કહ્યું હતું : ‘સુગણિતમ્‌’ સરેરાશ કરતાં વધુ બુદ્ધિશાળી અને ગણિતમાં ખરેખર રસ ધરાવતા વિદ્યાર્થી માટે છે. સાધારણ વિદ્યાર્થી માટે શાળા છે. કારકિર્દી બનાવવા માગનાર માટે ઢગલો કોચીંગ ક્લાસ છે. પણ ગણિતમાં સરસ રુચિ ધરાવનાર હોંશિયાર વિદ્યાર્થી છે તેનાં આનંદ અને અભિવ્યક્તિ માટે ‘સુગણિતમ્‌’ છે.’ સંસ્કૃતમાં ગણિત માટે ‘પ્રદીપ: સર્વ વિદ્યાનામ’ એવું કહેવાયું છે. વૈદ્ય સાહેબ માટે કહેવાય  ‘પ્રદીપ: સર્વ ગણિતજ્ઞાનામ’.

+++++

13 સપ્ટેમ્બર 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 15 સપ્ટેમ્બર 2017

Loading

હું આવી કેમ ?

શરીફા વીજળીવાળા|Opinion - Opinion|15 September 2017

મને કાયમ મારી જાત માટે થોડાક પ્રશ્નો થાય : ગામ આખાયને આંટો વાઢે તોય વેંત્ય વધે એવડી લાંબી જીભ હોવા છતાંય હું કેમ ઝઘડી ના શકું ? ઝઘડાની આશંકાથી પણ મારા ટાંટિયા કેમ ધ્રૂજવા માંડે ? ઝઘડવાની તાકાત ઘણી, દલીલો પણ બહુ આવડે; તે છતાં બોલવા જાઉં તે પહેલાં દગાખોર આંખો સાથ કેમ છોડી દે ? દુનિયાને એકલા હાથે ભરી પીવાની હિંમત છતાંય હું ઝઘડાથી આટલી કાયર કેમ ? અડાબીડ વગડા વચાળે, કાળાડિબાંગ અંધારામાં મોટી થઈ હોવા છતાં ભૂતની કલ્પનાથી પણ હું કેમ કાંપું ? કદી ત્રાગાં કરી ના શકું અને કોઈનાંય ત્રાગાં વેઠી ના શકું એવું કેમ ? લાખ કોશિશ કરું તોય ખોટું ના બોલી શકું, ખોટું ના કરી શકું એવું કેમ ? મને સોંપાયેલાં કોઈ પણ કામમાં કદી વેઠ કેમ ના ઉતારી શકું ? મૂલ્યો બાબતે કદી બાંધછોડ કેમ ના કરી શકું ? દિવસ-રાત વાંચવાનો મને કંટાળો કેમ ના આવે ? બધાય ધર્મોનું વાંચ્યા પછી માણસાઈ સિવાયનો કોઈ ધર્મ મને મારો કેમ ન લાગે ? જાતિ, ધર્મ કે વ્યવસાયને કારણે મને કોઈ કદી પણ ઊંચ કે નીચ કેમ નથી લાગ્યું ? આવા કેટલાય ‘કેમ’ ના જવાબો મને મારા બાળપણમાંથી મળે છે.

સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં અભણ મા-બાપને ત્યાં મારો જન્મ. બહુ કાઠા કાળમાં જન્મેલી એટલે ભીંત્યું હાર્યે માથા પછાડીએ તો જ મારગ થાય એવું બાળપણ વીત્યું. મા અને દાદીએ હાથે ચણેલા ગારાના ઘર પર માથું અડી જાય એટલાં ઊંચા પતરાં છાયેલાં. અમે ગામ બારા આવળ, બાવળ, બોરડીને ઇંગોરિયાનાં જાળાં વચાળે અફાટ વગડામાં સાવ એકલાં રહેતાં હતાં. અમારા ઘરે લાઈટ તો અમે બધાએ ભણી લીધું ઈ પછી આવી છેક 1983માં. અમે તો બધાએ ફાનસના અજવાળે જ વાંચ્યું છે. મોસમે મોસમની ચીજુંની ફેરી કરતા મારા બાપુજી બોર, બરફ, કેળાંને બદલે છાપાંનાં ધંધામાં ઠરીઠામ થયાને ગામેગામનાં પાણી પીધા પછી ભાવનગર જિલ્લાના જિંથરી (ટી. બી. હૉસ્પિટલ) ગામે સ્થિર થયા પછી મારો જન્મ. ચીનના યુદ્ધના પડછાયામાં જન્મેલી એટલે મા કાયમ કહેતી, ‘તું આવી ને કાળા કોપની મોંઘવારી લઈ આવી.’ પછી તો મોંઘવારી એટલી વધતી ગઈ કે ગમે એટલાં ટુંટિયાં વાળવા છતાંયે ચાદર ટૂંકી જ પડતી.

એ કાઠા કાળમાં ડોક ઊંચી રાખીને ટકી રહેવા ઝાંવાં નાખવાં પડતાં. ટંક ચૂક્યા નો’તા;
પણ ચૂકી જવાની ધાસ્તી તો કેટલીયે વાર અનુભવી હતી. જે ઉંમરે છોકરાં નિશાળેથી આવીને માને ચૂપચાપ બેઠેલી જોઈને સમજી જાય કે ‘નક્કી કશુંક હશે’ ત્યારે અમે સમજી જતાં કે મા ચૂપચાપ બેઠી છે તે ‘નક્કી આજે કંઈ જ નહીં હોય’ ને કંઈ પણ બોલ્યા વગર થેલાં મૂકી અમે રમવા દોડી જતાં. ડહાપણની દાઢ અમારે ભાઈબેનોને જરાક વેલી જ ઊગી ગયેલી. ખબર હતી કે ઉપરવાળાએ એવાં મા-બાપ દીધાં છે કે હોય તો માગ્યા વગર મળે જ. ને ખરેખર આ દિવસોએ એવી તો ખુદ્દારી શીખવી કે ખુદા પાસેય કદી કશુંય નથી માગ્યું. એક પાક્કો ભરોસો કે ભાગ્યમાં હોય તે આપમેળે મળે એમાં માંગવાનું ન હોય. એવા કાઠા કાળમાં અલ્લાઉદ્દીનના ચિરાગની જેમ દશેરાના દિવસે જલેબી ચખાડતાં મા-બાપે દિવાળીની રાતે અર્ધો ખોબો ફટાકડા પણ કાયમ અપાવેલાં. ગામ આખાનાં કપડાં સીવતી મા અર્ધી રાતે રેશનિંગના એક જ તાકામાંથી અમારા બધાંયનાં કપડાં પણ સીવી દેતી. પતંગ ટાણે બાપુ જ ભાઈઓને દોરી પાઈ દેતા ને ઉનાળે બધાને ભાગે કેરીની બે-ત્રણ ચીરીય આવતી. કોઈ અભાવ મા-બાપે ઊંડો નો’તો ઊતરવા દીધેલો. કીડીને કણ અને હાથીને મણ આપનારા હજાર હાથવાળા પર એટલે જ અમનેય મા-બાપ જેટલો જ ભારોભાર વિશ્વાસ. ગમે તેવા કપરા સંજોગો છતાં અમે કોઈ નાસ્તિક ન થયા; પણ આસ્તિક થયાં એમાં બાળપણના અનુભવો જવાબદાર.

મારા બાપુજીને છાપાંનો ધંધો. છાપાંનાં બિલ ન ભરાયાં હોય અને છાપાં બંધ થયાં હોય ત્યારેય ઘરાકને તો છાપું જોઈએ જ. બાપુ મને ભળકડે ઉઠાડી દસ-પંદર ગાઉ આઘા શિહોર ગામે છાપાં લેવા મોકલતાં. ચોથા-પાંચમા ધોરણમાં હું રોજ દસ-પંદર ગાઉ આઘેથી 50-75 છાપાં લઈ આવતી. જે વાહન મળે એમાં જવાનું-આવવાનું, હિસાબ પાક્કો રાખવાનો. કોઈના બાપથીય ના બીવું એ મને આ સવારની સફરે જ શીખવાડ્યું હશે ને ? બાજુના સોનગઢ ગામે જૈનોના મેળાવડા થાય, ડોંગરેજી મહારાજની સપ્તાહ બેસે ત્યારે હજારોની સંખ્યામાં માણસ ભેળાં થાય. એ દિવસોમાં છાપાંની 50-60ના બદલે 1000-1200 નકલ ખપે. એક હાથમાં છાપાં ઊંચકી, બીજા હાથે છાપું ઊંચું પકડી, મોટા સાદે લહેકા કરી છાપાં વેચતા અમે બાપુને જોઈ જોઈને શીખી ગયેલાં. આમેય આખા ગામની બાયુંને બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમની વાર્તાયું કહેવાનો મારો એકહથ્થું ઈજારો સાવ નાનેથી જ. આજે કદાચ આટલા માણસ વચ્ચે જે ખુમારી અને આત્મવિશ્વાસથી બોલી શકું છું એનાં બીજ નાનપણમાં વવાયેલાં. પાસે બેસાડી લાડ કરવાનો કે વાર્તા સંભળાવી સુવાડવાનો વખત તો એ કાઠા કાળમાં દીવો લઈને ગોતો તોય જડે એમ ન હતો. પણ અભરાઈ ઊટકતાં, ગારિયાં ખૂંદતાં, ગાર્યું કે દયણાં કરતાં, ભીંત્યુંને થાપ દેતાં કે ત્રાટા ભીડતા બાએ મબલખ વાર્તાયું કીધી છે. ઉખાણાં અને કહેવતો, ભડલી વાક્યો અને પંચીકડાંનો ભંડાર મારા બાળપણની બહુ મોટી મૂડી છે.

આપણા સમાજમાં ઉંમરના ધોરણે નહીં; પણ આર્થિક ધોરણે જ વ્યવહાર ચાલતો હોવાને કારણે આખું ગામ મારા બાપુજીને ‘તું’ કહીને જ બોલાવતું. અમારા મનમાં ચચરાટ તો બહુ થાય, લમણાં ફાટી જાય; પણ કરીએ શું ? મનોમન ગાંઠ વળતી જાય. કંઈક એવા બનવું, એટલા આગળ વધવું કે આ ‘તું’ કહેનારાં મારાં મા-બાપને ‘તમે’ કહેતાં થાય. મનમાં એક બીજી ગાંઠ પણ વળી ગઈ કે જિંદગીમાં કદીએ મારાથી મોટી ઉંમરની વ્યક્તિને હું તુંકારે નહીં બોલાવું. હોદ્દો કે પૈસા નહીં; પણ ઉંમર મહત્ત્વની છે એ મને મારા બાળપણે સમજાવેલું. એટલે જ મને યાદ નથી કે મેં કદી મારાં કામવાળાં બહેન કે કૉલેજના પટાવાળાને પણ ‘તું’ કહીને બોલાવ્યાં હોય.

અમે રોજ સવારે મન થાય ઈ દશે ડબલું ઉલાળતાં હાલ્યાં જતાં અને વળતાં એયને તલબાવળનાં તાજાં તેલ જેવાં દાતણ ચાવતાં ચાવતાં હાલ્યા આવતાં હાથ ઉલાળતા. એમાં એક દિવસ મોટોભાઈ (બારેક વર્ષનો હતો, હું આઠની) કોઈ ડૉક્ટરના ઘરની પછવાડે પડેલું દાંતે ઘસવાનું રંગીન બ્રશ લઈ આવ્યો. પેલ્લીવાર બ્રશ હાથમાં પકડેલું એટલે અમારો હરખ ઝાલ્યો ઝલાય નહીં. બાપુના કાને અમારો કલબલાટ પહોંચ્યો એટલે કારણ જાણવા પાસે આવ્યા. જેવું બ્રશ જોયું કે મગજ છટક્યું. ‘ક્યાંથી લાવ્યો ? કોને પૂછીને લાવ્યો ?’ ધરબાઈ ગયેલ ભાઈએ ‘ત્રિવેદીસાહેબના ઘર પછવાડેથી’ એટલું માંડ માંડ કહ્યું. ‘હમણાં ને હમણાં જ્યાંથી લીધું ત્યાં જ પાછું નાખી આવ્ય. . .’ ભાઈ બારો ઘા કરવા તૈયાર. બાનો પણ ટેકો પણ બાપુ ધરાર નો માન્યા. સાઈકલ કાઢી અને સાથે ગયા. . . જ્યાંથી લીધું હતું ત્યાં ઘા કર્યો બ્રશનો પછી વળતાં બાપુ ભાઈને સાઈકલ પર બેસાડીને ઘરે લઈ આવ્યા. જિન્દગીમાં ગમે તેટલા અભાવ હોય અને દુનિયા ગમે એટલી રંગીન હોય તોય; કોઈની ચીજને કદી હાથ ન લગાડાય એ અમે બધાં એ દા’ડે શીખી ગયાં. કાયમ ઊંચા માથે લડી શકાય, બોલી શકાય એ માટે સાચું બોલવું ને સાચું કરવું એ મા-બાપે બાળપણમાં ડગલે ને પગલે શીખવાડ્યું.

ગામડામાં મોટા થવાને કારણે ધર્મ બધાના ઘરના ઉંબરાની અંદર જ રહેતો. નવરાત્રિ, હોળી, દિવાળી કે ખીહર અમને કદી પારકા નો’તા લાગ્યા. ગણેશચોથના દા’ડે આખું ઘર ખાય એટલા લાડવા પડોશમાંથી આવતા અને ઈદના દા’ડે એ બધા ઘરની ગણતરી સાથે જ ખીરનું તપેલું ચૂલે ચડતું. ગુરુકુળમાં ભણવાને કારણે મેં અને ભાઈએ સત્યાગ્રહ કરી આખા ઘરને શુદ્ધ શાકાહારી બનાવ્યું. કોઈને પણ ત્યાં કથા હોય કે ભજન, રાંદલનો ઘોડો ખૂંદવાનો હોય કે લગનનાં ગીત. . . મારી અને નાનીબેન વગર કોઈનો પાટલો ન ખસતો. હું નરી ‘માણસ’ બની તે આવા બાળપણને કારણે. આવાં મા-બાપ અને આવી નિશાળને કારણે.

આમ હું ભારે હિંમતવાળી. દુનિયાને એકલા હાથે ભરી પીવાની વાતું કરવાવાળી. પણ જ્યાં ઝઘડાની વાત આવે કે પાણીમાં બેસી જાઉં. કાગળ પર લડી શકું; પણ આમનેસામને નહીં. જ્યાં ઝઘડો મંડાય ત્યાં દગાખોર આંખો સાથ છોડી દે. હાથ-પગ માંડે ધ્રૂજવા. અને કહેવાની વાત મનમાં જ રહી જાય. આમ તો તરત જ ભડકો થઈ જાય એવો સ્વભાવ, એટલે ઝઘડા ન થાય એવું તો બને જ નહીં. પણ બોલી ના શકું. નીતરતી આંખનો જવાબ શોધવા મથામણ કરું તો જવાબ છેક બાળપણમાંથી મળે છે અને એ જવાબ સાથે સંકળાયેલ છે એક અદભુત ‘ક્યારેક્ટર’ – ‘મારા દાદા.’

ફળિયામાં છૂટાં ફેંકાતાં વાસણ, ગાળોની રમઝટ, મરવાનાં ત્રાગાં વચ્ચે થરથરતાં અમે ભાઈ-બેનો ઊગે ત્યાંથી આથમે ત્યાં સુધી દાદા ‘કાં બાધ્ય અને કાં બાધવાવાળું દે’ના ન્યાયે લડતા જ રહેતા. સમરાંગણમાં શાંતિ ત્યારે જ થાય જ્યારે એ ઘરબારા જાય. અંગ્રેજોના જમાનામાં દાદાએ પોલીસપટલાઈ કરેલી. પોતે ઘોડે બેઠા હોય અને પસાયતા અડખે-પડખે શ્વાસભેર દોડતા હોય. દાદાના કંઈક જુલમોની વાતો બા પાસેથી મોટા થયે સાંભળેલી. જાત માટે જીવવા સિવાય જિન્દગીમાં એમણે બીજું કશું કર્યું જ નો’તું ! સામો હરફ ઉચ્ચારવો તો એકબાજુ; પણ આંખ્ય ઊંચી કરી જોવાતું પણ નંઈ એવો તાપ હતો દાદાનો. મારા બાપુ કદાચ એટલે જ મોઢાના મોળા રહી ગયા હશે. પણ આઝાદી પછી કરવી પડેલી નોકરીની તાબેદારીએ દાદાનો તાપ જરાક ઓછો કર્યો. પણ કાયમ એકલા જ રહેવાને કારણે ઘરના લોકો સાથેનો વહેવાર તો એવો ને એવો જ રહેલો. 1968માં નિવૃત્ત થઈ દાદા અમારા ભેળા રહેવા આવ્યા અને અમારા માઠા દા’ડા બેઠા. પાશેર તેલમાં પાશેર શાક કરીને ખાનારને અમારું ડબકડોયા જેવું શાક શે ગળે ઉતરે ? એટલે પછી ખાવા ટાણે રોજ ઠામનો ઘા સીધો ફળિયામાં પહોંચે. બધાનું ખાવાનું ઝેર કરીને પોતે તો કંદોઈને ત્યાં કંઈને કંઈ ખાઈ આવે. કોઈથી સામે ન બોલાય. જરાક બોલવા જાય તો મરવા દોડે. . . બહુ વર્ષો ચાલ્યો આ ત્રાસ. . .

અમે દસ-બાર વર્ષનાં થયાં એટલે મેં અને ભાઈએ સામો મોરચો માંડ્યો. પેલ્લીવાર કોઈને થાળી પરથી ના ઊભા થવા દીધા. મરી જવાના એમના ત્રાગા સામે નમવાને બદલે ભાઈએ કાતર હાથમાં રહેવા દીધી. જરાક ઘસરકો કરવા સિવાય દાદાએ કંઈ ના કર્યું. ઘરમાં માત્ર શાકાહારી ભોજન જ થશે એ માટે મેં અને ભાઈએ રીતસરનો સત્યાગ્રહ આદર્યો. (આનેય આમ તો ત્રાગું જ કહેવાય !) બે-ચાર દિવસમાં દાદાએ હથિયાર હેઠાં મૂક્યાં. અઠવાડિયે એકવાર તાલુકે જઈ એ ખાતા થયા; પણ ઘર આખું શાકાહારી થયું. મને લાગે છે કે આ ઘટનાક્રમે મારા પર બહુ લાંબાગાળાનો પ્રભાવ પાડ્યો. જે મળે તેમાં ચલાવી લેવું, સાચા અને સારા હેતુ સિવાય ત્રાગુ કદી ના કરવું, અન્નનું અપમાન કદી ના કરવું એ હું રોજેરોજના આ તાયફાઓમાંથી શીખી. ને આ જ ઘટનાક્રમે મને કાયમી ધોરણે ઝઘડાની કાયર બનાવી.

આમ, કશાથી નહીં ડરનારી હું, એક ઝઘડાની વાતે ધ્રૂજું અને બીજી ભૂતની વાતે કાંપી ઊઠું. આમ તો વર્ષોથી હું ભૂતની જેમ સાવ એકલી રહું છું; પણ કદી ભૂતની વાતો સાંભળી કે વાંચી ન શકું, ભૂતની ફિલ્મો જોઈ ના શકું. આનું કારણ પણ મારું બાળપણ જ. વેરાન વગડા વચાળે, કાજળકાળા અંધારામાં ફાનસના ટમટમતા અજવાળામાં મારા દાદા, મારા મોસાળવાળા બધાં ભેળા થઈ ભૂતની વાતું માંડતા. બધાય જાણે ભૂત હારે રમીને મોટા થયા હોય અને ભૂતડા ભેળી એમની ભાઈબંધી હોય એવી મોજથી વાતુંના તડાકા મારતા. એક એક વાતે મારાં રુંવાડાં ઊભાં થઈ જાય, હું કાન આડા હાથ દઈ દઉં, રોઉં, ઘરમાં પાણી પીવાય એકલી ના જાઉં. . . પણ તોય વાતું કરવાવાળા તો હાંક્યે જ રાખતા. કોઈને મારી દયા ન આવતી. એટલે જ કોઈના બાપથી નહીં બીનારી હું, આજેય ભૂતની વાતે રાડ્ય નાખું છું. . . કદાચ નાનપણના ભૂતોએ હજીયે મારો કેડો નથી મેલ્યો.

ગામની નિશાળમાં ચાર ધોરણ ભણ્યા પછી પાંચમાથી બે ગાઉ આઘા સોનગઢ ગામે જવું પડતું. ચોથા ધોરણ સુધી તો ઉઘાડા પગ ને ગમે તેવા ફ્રોક ચાલી ગયાં; પણ પાંચમા ધોરણથી સફેદ બુસકોટ અને ભૂરું સ્કર્ટ ફરજિયાત બન્યાં. ઉઘાડા પગ સામે નિશાળને વાંધો નો’તો એટલો પાડ માનવો પડે. મારા વાંભ એક લાંબા બોથડ મોવાળા છ મહિનામાં ધોળા બુસકોટની પીઠ ખાઈ જતા. જાન્યુઆરી-ફેબ્રુઆરી આવતાં સુધીમાં તો થીંગડાંની બે-ત્રણ નકલ પણ ખવાઈ જતી ને યુનિફોર્મ વગર જવા માટે લગભગ રોજ વર્ગની બહાર ઊભા રહેવું પડતું. અમારા ગામના ડૉક્ટરની દીકરી મનીષા મારાથી બે વર્ષ આગળ ભણે. આ ખેલ એ રોજ જોતી હશે. એક દિવસ એનાં મમ્મીએ મને ઘરે બોલાવી રાજી થઈ જવાય એવો યુનિફોર્મ આપ્યો. આપણા રામ તો બીજા દા’ડે ભારે ઉત્સાહથી એ યુનિફોર્મ ચડાવીને નિશાળે ગયા; પણ મને જોતાંની સાથે જ બધી છોકરીઓ કાબરની જેમ ‘હેય માંગેલાં કપડાં પહેર્યાં. . . માંગેલાં કપડાં પહેર્યાં. . .’ કહેતી રીતસરની મારા પર તૂટી જ પડી. હંમેશાં બધાને ભરી પીનારી હું સાવ હેબતાઈ ગઈ. આંખ નીતારવા સિવાયની કોઈ પ્રતિક્રિયા આપવાની સમજ ના પડી. ઘરે જઈ યુનિફોર્મનો મા પર સીધો ઘા કરી ભીષ્મપ્રતિજ્ઞા જાહેર કરી : ‘જિન્દગીમાં હવે કદી કોઈનું ઉતરેલું નંઈ પેરું. . .’ મા થોડી વાર મારી સામે તાકી રહી પછી સપાટ અવાજે બોલી : ‘રોજેરોજ બારા ઊભા રે’વું એના કરતાં એક બે દિ’ હાંભળી લેવામાં નાના બાપની થઈ જાવાની ? બે દિ’ બોલીને બધા ભૂલી જાશે. આપડે ક્યાં તાલેવંતના સોકરા સીએ, તે વાતે વાતે વાંકું પાડવાનું પોહાય ? જે મળ્યું એ ખુદાએ દીધું એમ માનીને પે’રી લેવાનું. . .’ ખબર નંઈ માના એ સપાટ અવાજમાં કેવી તો લાચારી હતી. . . પણ પછીથી મેં એ સ્કર્ટ પટ્ટો ઉતારીને છેક 10મા ધોરણ સુધી પેરેલું. . . દુનિયાના બોલવાથી ડગી જવું કે ડરી જવું એકેય ન પોસાય એ મને આ અનુભવે શીખવાડ્યું. . . સાથે સાથે ફી કે કપડાંની જરૂરિયાતવાળા વિદ્યાર્થીને મારી આંખ આજે ગમે ત્યાંથી શોધી કાઢે છે એનું કારણ પણ આ અનુભવ. હું જ્યારે પણ કોઈ વિદ્યાર્થીની ફી ભરું કે પુસ્તક લઈ આપું ત્યારે નાનપણમાં માથે ચડાવેલું ઋણ ફેડતી હોઉં એવું જ લાગે છે કાયમ.

કેવા તો અદભુત દિવસો હતા બાળપણના ? ચોરના માથાની જેમ રખડવા સાથે, મોસમે મોસમની બદલાતી રમતો રમવા ઉપરાંત ઢગલોએક વાંચવાનું પણ ખરું. . . ‘બાવલાનાં પરાક્રમો’, ‘બત્રીસ પુતળીની વાર્તાઓ’, જૂલે વર્નના મૂળશંકરદાદાના અનુવાદો, ગીજુભાઈની વાર્તાઓ પાછળ હું ઘેલી હતી. આ બધું નિશાળમાંથી મળી રહેતું. વળી ઘરે બાપુને છાપાંનો ધંધો એટલે ‘ફૂલવાડી’, ‘ઝગમગ’, ‘બાલસંદેશ’, ‘રમકડું’, ‘ચાંદામામા’ એ બધું પણ વાંચવા મળી રહેતું. દિવસે લીમડાને છાંયે કે થોરની વાડ્ય પાછળ ખાટલો ઢાળીને વાંચ્યે રાખતી; તો રાતે ફાનસના બાદશાહી અજવાળે વંચાતું રહેતું. આમેય હું રસનું ઘોયું ને યાદશક્તિ જરાક સારી તે વાંચેલી વાર્તાઓ નિશાળમાં કહેતી થઈ. બે ધોરણના ટાબરિયાંવને ભેળાં કરી વાર્તાઓ કહેવાતી. હું હાથ વીંઝતી, મલાવી મલાવીને એયને ટેસથી ઝીંક્યે રાખતી. આમેય ગામની બાયુંને શ્રાવણ મહિનાની વાર્તાઓ કહેવાની મને ટેવ. વળી લાંબા સાદે છાપાંય વેચતી. ઘર્યે મા-દાદી પાસેય જાતભાતની વાર્તાયું સાંભળેલી. એટલે વગર અટક્યે કલાક-દોઢ કલાક ખેંચી કાઢતી. આમેય સત્યનારાયણની કથા, ઓખાહરણ કે ભવાયાના વેશ. . . હું આમાંનું કાંય ના છોડતી. . . મોડી રાત સુધી ભવાયા રમે તો મારી જેવા પાંચ-સાત રસનાં ઘોયાં માંડવા હેઠળ જ સૂઈ જતાં. સવારે ઊઠીને ઘરભેળા થતાં; પણ મા-બાપને પાક્કો વિશ્વાસ હતો કે આ બીજે ક્યાંય નંઈ જાય અને ના કહીશું તોય ભવાયા જોવા તો જાવાની જ. પણ આ બધાને કારણે કોઈ જાતના આયાસ વગર બોલવાની ફાવટ આવતી જતી હતી, શબ્દભંડોળ અને ભાષાની અભિવ્યક્તિ સમૃદ્ધ થતા જતાં હતાં, લોકસાહિત્ય જીભના ટેરવે રમતું થઈ ગયું હતું. . . એ તો છેક હવે સમજાય છે.

જરાક સારા વરસાદમાં ઘરની કાચી દીવાલો શ્વાસ ઊંચો કરી દેતી. ઘર પર પતરાં હતાં એટલે ત્રમઝટ વરસતો મે’ નગારા પર આડેધડ પડતી દાંડી જેવો લાગતો. એટલે જ હવે મને વરસાદ સાવ મુંગો લાગે છે! એકાદી દીવાલ નમે ત્યારે મજૂર, ઇંટ વગેરે સપનામાંય નો’તા આવતાં. ભાઈ ત્રિકમથી પથરા ખોદે, અમે તગારામાં લાવીએ અને બા ગારા સાથે માંડતાં જાય બે દાડામાં ભીંત પાછી હોય એવી થઈ જાય. ભલે ખાવાનાં ફાંફાં હતાં ને કમાવા માટે બધાએ કંઈ ને કંઈ કરવું પડતું પણ સૌથી હુંફાળા, પ્રેમાળ દિવસો બાળપણે જ આપ્યાં. પરસ્પર પ્રત્યેનો ઊભરાતો પ્રેમ, એકમેક માટે જતું કરવાની ભાવના, મુશ્કેલી સામે છાતી કાઢીને ઊભા રહેવાની ટેવ બાળપણે જ આપી. અમે એક વાત જાણતાં હતાં કે અમારા બાપદાદા વારસામાં સિવાય સંઘર્ષ, બીજું કંઈ આપી નો’તા ગયા. મા વારેવારે કહેતી : ‘આપડે ક્યાં તાલેવંતના છોકરાં છીએ તે બાપદાદાની મિલકતું વાટ જોતી હોય. તમારે અમારી જેમ તૂટી ના મરવું હોય તો ભણો. . . ભણશો તો જ દા’ડા વળશે. નઈતર તમેય કરજો અમારી જેમ ઢસરડા. . .’ માનાં રોજનાં આવાં વેણ અને બાપુનાં સપનાંની લંગારે અમને ભણવા બાજુ વધુ ગંભીર કર્યાં. ભણવા ઉપરાંત છાપાંના ધંધાને કારણે રમતગમત, રાજકારણ, ફિલ્મ, સાહિત્ય. . . એ બધાંય ક્ષેત્રમાં મને સરખો રસ. ઘરમાં સામસામી દલીલો ચાલે એમાં બાપુ પણ ભાગીદાર. . . દરેકને પોતીકો મત વ્યક્ત કરવાની પૂરી સ્વતંત્રતા.

નિશાળમાંથી જાતભાતની નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવા બહાર મોકલતા. નિબંધો જાતે લખતી થઈ. નાનપણમાં શિક્ષકો પણ એવા મળ્યા કે જેમણે ગણિત, ભાષા અને ઇતિહાસ-ભૂગોળને સરખું મહત્ત્વ આપતાં શીખવ્યું. મૌલિક વિચારને જાતે અભિવ્યક્ત કરતા ચોથા-પાંચમાના શિક્ષકોએ શીખવાડ્યું. જાતે લખેલા જવાબો વર્ગ વચ્ચે વંચાવતા શિક્ષકોએ મૌલિક લખાણની સાથે શુદ્ધ ઉચ્ચારણની પણ અનાયાસ જ તાલીમ આપી. શિક્ષકો કદી પણ મશીનની જેમ ‘બે પાઠ લખી આવો’ કે ‘પાંચ વાર લખો’ એવું ન કહેતા. રોજેરોજ જવાબો તપાસતા ને જાહેરમાં ખભો પણ થાબડતા. પૈસા કે ધર્મ આધારિત કોઈ ભેદભાવ મેં નિશાળમાં નો’તો અનુભવ્યો. મંત્રોચ્ચાર કે હોમહવનમાં મારી પણ સરખી જ ભાગીદારી રહેતી. શ્રેષ્ઠ વિદ્યાર્થીની પસંદગીમાં પણ કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહનો અનુભવ નો’તો થયો. આ નિશાળે મને કહેવાતા ધર્મથી દૂર રાખી માત્ર માણસ બનાવી. મા-બાપ, શિક્ષકો ઉપરાંત વાચને મને ધરમૂળથી બદલી. પોતાની રીતે વિચારવાની, પૃથક્કરણ કરવાની ટેવ પડી, રજૂઆતની તાકાતને વાચને ધાર કાઢી આપી, તર્ક અકાટ્ય થતા ચાલ્યા. ખોબા જેવડા ગામડામાં જીવતા મારા જેવા જીવને પુસ્તકોએ બૃહદ જગત સાથે જોડી આપ્યો. મારા આંતરસત્ત્વને પુસ્તકોએ ઝળાંહળાં કર્યું. ગમે તેટલું જાણો, વાંચો તોય ઓછું જ પડવાનું; કારણ કે જ્ઞાનને કોઈ સીમા નથી હોતી એ પણ મને પુસ્તકોએ જ શીખવ્યું. ગીતા, રામાયણ, મહાભારત કે બાઈબલ મને કુરાન જેટલાં જ મારાં લાગ્યાં. મને કોઈ ધર્મના માણસ બનવામાં કદી રસ ના પડ્યો. માત્ર માણસ બનવામાં જ રસ પડ્યો એની પાછળ મારાં મા-બાપ, મારી નિશાળ, મારા શિક્ષકો જેટલો જ ફાળો પુસ્તકોનો પણ ખરો જ. નાનપણમાં શીખેલું કદી અફળ નથી જતું. બાળપણમાં ઉત્તમ વાવો તો આવતીકાલ ઉજળી જ ઊગે એ વાતનો સૌથી મોટો પુરાવો અમે ભાઈબહેન છીએ. ટી.વી., મોબાઈલ અને કમ્પ્યૂટરની માયાજાળમાં અટવાઈ ગયેલા આજના બાળપણને જોઉં છું ત્યારે મને મારા બાળપણનું મહત્ત્વ સમજાય છે. ભલા ભગવાન, સારું થયું તે અમને અફાટ વગડા વચાળ આવું ભર્યું ભર્યું હૂંફાળું બાળપણ દીધું. . . એટલે જ આજે હું આવી છું. આવું બાળપણ બધાને મળો.

મૂળે ‘જનકલ્યાણ’ માસિકમાં પ્રકાશિત થયેલો આ લેખ ભાઈ મૃગેશ શાહે પોતાની પ્રસિદ્ધ વેબસાઈટ http://www.readgujarati.com/2013/10/02/aavi-kem/ માં October 2nd, 2013 ના દિવસે મૂક્યો તેમના સૌજન્યથી સાભાર ….

Associate Professor, Department of Gujarati, Veer Narmad South Gujarat University, Surat 395 007

eMail : skvijaliwala@yahoo.com

2013-10-13

Loading

Discovery of Another India

Natwar Gandhi|English Bazaar Patrika - Features|15 September 2017

In his first Independence Day speech, “A Tryst with Destiny,” at the midnight hour on August 14,  1947, India’s first Prime Minister Jawaharlal Nehru famously asked his fellow citizens: “Whither do we go and what shall be our endeavor? To bring freedom and opportunity to the common man…to build up a prosperous, democratic and progressive nation, and to…ensure justice and fullness of life to every man and woman.”  As I ponder on what would the Prime Minister of India say from  ramparts of the Red Fort on August 15, 2047 at the completion of India’s first hundred years as a free and independent nation? I imagine he or she would say that we have travelled far, wide and long from the day when Pandit Nehru gave his now famous speech with ceiling fans furiously circling overhead in the parliament before a rapt audience of fellow freedom fighters.

As I look ahead thirty years from now, at the end of first century of its independence, India would have still remained a free and integrated country despite its continental size and myriad of differences among its widely varied people. At the time of independence, however, imperialists in UK and elsewhere were quick to warn that an Independent India would not survive long. During fifties and sixties, there was no shortage of observers at home and abroad who ominously predicted that the country would soon disintegrate.  Some even called it “an area of darkness,” and wrote it off. Despite all this foreboding, India has survived as a largely secular, liberal democracy while many countries that got their independence just about the same time have descended into periodic dictatorships, military rules, or worse, chaos. I am quite sure that India will celebrate centenary of its independence as the most populous, largely stable, and mostly secular democratic country in the world.

By the time the hundredth anniversary of its independence arrives, India would have made substantial progress toward reducing the crushing burden of poverty that has plagued Indian masses all through its modern history. By year 2047, I predict a globalized Indian economy buoyed by a vastly improved infrastructure, an integrated national market, and an expanding manufacturing sector that would draw rural masses to its vibrant metropolis and would provide them with a better life.

However, I also see two danger signs. First, thirty years from now, I see India most likely facing massive challenges of environmental degradation and air pollution unless drastic measures are taken now to protect environment and curb pollution. Second, its demographic dividend–the largest pool of young people ready to work in the world–could become a major liability if the economy does not produce enough jobs.  If this expanding workforce–a million or more a month–is not gainfully employed, then I see India failing to achieve its full potential.  

Despite resilience and resourcefulness of people of India, the country has been hamstrung for over a century by an obdurate and insensitive bureaucracy and a feudal framework of social and political institutions.  This iron frame has to be reshaped because it has hindered India’s march towards a nation of Pandit Nehru’s vision on that day in 1947 when he said we had “a tryst of destiny.”

e.mail : natgandhi@yahoo.com

Natwar Gandhi was Chief Financial Officer of Washington, DC during 2000-2013

http://www.indiaabroad-digital.com/indiaabroad/20170825?pg=30#pg30

Loading

...102030...3,2863,2873,2883,289...3,3003,3103,320...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved