Opinion Magazine
Number of visits: 9584158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિવેદન :

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા|Opinion - Literature|18 September 2017

[ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ ૨૦૧૮-૨૦ના સમયગાળા માટેના પ્રમુખપદ માટેની તેમ જ મધ્યસ્થ સમિતિ અંગેની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખપદ માટે મારું નામ પરિષદના આજીવન સભ્યો દ્વારા સૂચવાયું હતું અને એ અંગેની મારી અનુમતિ મેં ચૂંટણી અધિકારીને પહોંચાડી છે. આ બન્ને ચૂંટણીઓના સંદર્ભે કરેલું મારું આ નિવેદન વાંચવા આપને વિનંતી.]

***

— એક —

ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી અને ઉમાશંકર જોશી જેવા પ્રમુખોએ જેનું જતન કર્યું છે, એ આપણી ગુજરાતી સહિત્ય પરિષદ માટે આજે મુખ્ય બે ધ્યેય, અપેક્ષા, શુભેચ્છા (અંદેશો પણ) મનમાં રહે છે. અપેક્ષા એ છે કે —

(૧) પરિષદ પૂરેપૂરી પરિષદની જ બની રહે.

(૨) પરિષદ સહુની (‘વિવિધ પ્રકારના સહુ’ની) બનતી આવે,

અરસપરસ જોડાયેલાં એ બે ધ્યેયો, આજે આપણી આગળ છે. એ બન્ને સામેનાં ભારે ભયસ્થાનો પણ સામે છે. તે છતાં આપણાં એ બે કામ પાર પાડવામાં સહુ સાથે જોડાવાની લગની છે, એટલે આ ચૂંટણીમાં આપ સહુ, પરિષદના સભ્યો પાસે તમારો સહકાર માગવા આવ્યો છું.

***

(૧) પરિષદ પૂરેપૂરી પરિષદની જ બની રહે, એટલે મારે મન શું છે, એ તમારી સામે મૂકુંઃ

પરિષદનું સંચાલન મુક્ત-નિસ્વાર્થ ચર્ચાઓ વડે, પરિષદના સભ્યો અને એમણે ચૂંટેલાં મધ્યસ્થ અને કાર્યવાહક મંડળોમાં લેવાયેલા નિર્ણયો મુજબ થાય; ન કે આંતર્બાહ્ય કોઈના યે ઇશારે કે દોરીસંચારે, એ મુખ્ય વાત છે. એમાં જ પરિષદનું અને આપણા સહુનું ગૌરવ રહ્યું છે.

કોઈ એક વ્યક્તિ કે જૂથ કે સત્તાની સાગમટે વિરુદ્ધમાં રહી (આની કે તેની) સામે ઊભા રહેવાની કે કામ કરતા રહેવાને મારી નેમ નથી. તેમ કોઈ અન્ય વ્યક્તિ, જૂથ કે અન્ય સત્તાની સાગમટે તરફેણમાં રહી, એના વતી કામ કરવાની યે નેમ નથી. મારી લગની પૂરી પરિષદ તરફી છે, એટલે કે નિરીક્ષાશીલ અને અનન્યપરતંત્ર એવી સર્જકતા-ભાવકતાનું જતન કરતી, ઉપર (૧) અને (૨) મુદ્દે નોંધેલાં ધ્યેય મુજબ કામ કરતી સંસ્થા તરફી છે.

એવી સંસ્થા કઈ રીતે મજબૂત બને? એ તરુવરનાં મૂળિયાંને સામાજની અને વ્યક્તિની ચેતનાની માટી પોષણ આપે છે. એવી ચેતના જે ન તો જોહુકમી કરનારી હોય અને ન કોઈથી દબાયેલી રહે. એવી વ્યક્તિગત અને સામાજિક ચેતના કેળવાતી-ટકતી-વધતી રહે, એ માટે મથવું, એમાં આપણું કામ છે. એવી સાહિત્યિક સાંસ્કૃિતક આબોહવાનું, ‘માનવોની’ એવી ‘મનોમ્રુત્તિકા’નું, જતન જે લેખક-વાચક-વિવેચક-અધ્યાપકો કરવા હંમેશ ચાહે છે, એવા અનેક ગુજરાતીઓમાંનો હું એક છું.

ગુજરાતી સહિત્યની એવી ગરિમા માટે ગમે તે કરી છૂટવાના નિશ્ચયને કારણે આ ચૂંટણીમાં મેં ભાગ લીધો છે. પ્રમુખપદની ચૂંટણીમાં આપનો મત મને મળે, એ વિનન્તી સાથે મધ્યસ્થ સમિતિમાં સાહિત્ય અને સંસ્કૃિત અંગે વિવિધ અભિગમો અને સમજણો ધરાવતા, પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને કોઈ પણ જૂથના હિતની ગણતરીઓમાં ન સપડાયેલા, વિવિધ સાહિત્યકારોને આપનો મત મળે, એ પણ વિનન્તી.

(૨) પરિષદ સહુની (‘વિવિધ પ્રકારના સહુ’ની) બનતી આવે, એટલે શું?

સાહિત્ય અને સંસ્કૃિત અંગે જુદા જુદા અભિગમો, સમજણો ધરાવતા અને વિવિધ લોકેશનોથી આવતા અનેક સર્જકો, સહૃદયો, સામાજિકો સહુ સાથે પરિષદ વધારે ને વઘારે જોડાતી, અનુબંધો બાંધતી આવે.

અનેક કાર્યકરોની મહેનતથી પરિષદ સંસ્થા લેખે પ્રજા સાથેના સંબંધને વિકસાવતી રહી છે. પણ એ અનુબંધો સતત, નવા નવા, અંદરથી બંધાતા આવે, એ પરિષદની ગતિશીલતા માટે જરૂરી છે.

નિસ્વાર્થ-કર્મઠ સાથીઓ માટે પરિષદમાં કરવાનાં કામનો પાર નથીઃ આજની યુવાન પેઢીના સર્જકોને એમની સર્જકતા માટે પુરસ્કાર જ નહીં, એમની કૃતિઓનું ઉત્તેજક અને બિનંગત પરીક્ષણ પણ જ્યાં મળે એવી જગ્યા પરિષદ કઈ રીતે બને? ગામેગામ વસતા સામાન્ય વાચકોને નવા નવા ઉત્તમ સાહિત્ય (અને બીજી કલાઓ) તરફ અભિમુખ કરી, એ માટેનો રસ પરિષદે કઈ રીતે જગાડતા જવો? ગુજરાતના શક્તિભર્યા દલિત સાહિત્યકારોને પરિષદ પોતીકી કઈ રીતે લાગે? જ્યાં નારીચેતનાનાં નવા નવા આયામો પ્રગટે, એવી જગ્યા પરિષદ કઈ રીતે રચી શકે? ફીઝીકલી ચેલેન્જ્ડ સર્જકો-ભાવકો, ‘દિવ્યાંગ’ બલકે ‘અન્યથા સમર્થ’ સર્જકો-ભાવકોનું ઘર બહારનું ઘર પરિષદ કઈ રીતે બની શકે? ગ્લોબલ ગુજરાતીને પરિષદ માટે આત્મીયતા (ન કે ઉપયોગીતા)-નો ભાવ કઈ રીતે જાગે? ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ગુજરાતી ભાષા માધ્યમ તરીકે અથવા મુખ્ય ભાષા તરીકે અથવા, ગુજરાત બહાર એક વિકલ્પ રૂપે શાળા-કોલેજોમાં ગુજરાતી ભાષા સામેલ હોય, એ માટેના પરિષદના પ્રયત્નોને કઈ રીતે વેગ આપવો? ગુજરાતી ભાષાન પ્રાદેશિક વિવર્તો, બોલીઓનું, તેમ જ સંસકૃત-પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસનું, જતન કરતાં આયોજનોમાં કોના કોના સાથ મેળવવા? અનુવાદો, પ્રકાશનો, સંભાષાઓ, ઈ-માધ્યમનો સર્જનાત્મક ઉપયોગ, શાળા-કોલેજમાં થતા કામમાં સહાય — આ બધું કોઈ એક સી.ઈ.ઓ.-નું, સુપર મેનેજરનું પ્રોજેક્ટ વર્ક નથી. સહુનું સહિયારું, દિલ દઈને કરવાનું કામ છે.

— બે —

આમ, પરિષદના પ્રમુખ કોણ હોવા જોઈએ, એ મુદ્દો એના એનાથી વધારે મહત્ત્વના એક મુદ્દાનો ભાગ છેઃ ગુજરાતી સાહિત્ય પરિષદની ગરિમા, ગતિશીલતા અને અનુબંધરચનાશક્તિની જાળવણી કઈ રીતે કરી શકાય અને એમાં આજે જરૂરી વધારો કઈ કઈ રીતે થઈ શકે? એમાં સહુની સાથે રહી, સહુને સાથે રાખી નિસ્વાર્થ લગનીથી મથવું, એ પ્રમુખનું કામ. એ કામ મને સમજાય છે, ગમે છે, મારી લગનીનું છે.

***

ગરિમા, ગતિશીલતા અને અનુબંધો કઈ રીતે સચવાય અને વધે?

એ માટે પરિષદમાં ખુલ્લાપણું જરૂરી છે. જે નિસ્વાર્થ હોય તે સહુને માટે આવકારનો ભાવ, એ જ ખુલ્લાપણું. એ ખુલ્લાપણામાં, જે ડાયનામિઝમ સંસ્થાની અંદરથી, જુદા જુદા મંતવ્યો અને અભિગમો ધરાવતા એના સભ્યોની મુક્ત, પુખ્ત, નિર્ભય અને નિસ્વાર્થ ચર્ચાઓના પરિણામે પેદા થતું હોય, તે જ પરિષદનું સાચું અને ટકાઉ ડાયનામિઝમ. વિવેકાનંદ કહેતા કે ‘ડેવલપમેન્ટ’ (બહારથી આયાત કરેલો બઢાવો) નહીં પણ ‘ગ્રોથ’ (અંદરથી, પોતાની ગરજે, શરતે, રીતે અને તાકાતે થતો વિકાસ),એ ભારતની સંસ્કૃિતની રીત છે. પરિષદની આવી ગતિશીલતા આવી ચર્ચાઓ, આવા નિર્ણયો અને એમાંથી નીપજતા અનેકાનેક કાર્યક્રમો, કાર્યશાળાઓ, પ્રકલ્પો, પ્રકાશનોમાં પેદા થાય અને વ્યક્ત થાય.

ગરિમા, ગતિશીલતા અને ‘ગ્રોથ’ કહેતાં જાતે વિચારીને, આપમહેનતે કરેલો વિકાસ, એ ત્રણનું જતન કરવાનું કામ પરિષદનાં ચૂંટાયેલાં સત્તામંડળો, બલકે વ્યવસ્થામંડળો કરે. પરિષદના પ્રમુખ એ સર્વમાં સક્રિય રહે, પરિષદના બંધારણ પ્રમાણે ગુજરાતી સાહિત્ય-સંસ્કૃિતની ગરિમા, ગતિશીલતા અને આવી કાર્યશીલતાની જાળવણી કરતા રહે — સક્રિય, સચેત, દ્રઢ-કોમળ રીતે, એવી મારી પરિષદ-પ્રમુખ અંગેની સમજણ છે.

***

વ્યાપક ભારતીય સાહિત્ય સાથેનો ગુજરાતી સાહિત્યનો અનુબંધ આગળ વધારવાનું કામ પરિષદ સામે છે. ગુજરાતી સાહિત્યની સીમાચિહ્ન રૂપ કૃતિઓ અને આજે રચાતા ગુજરાતી સહિત્યમાંથી બિનંગત રીતે ચયન કરેલી કૃતિઓના સંચયો-સંપાદનોના હિંદી અને અંગ્રેજી કરાવવા-પ્રકાશિત કરવા-કરાવવાનું કામ આપણી સામે છે.

એ જ રીતે, વિશ્વસાહિત્ય અને ભારતીય સાહિત્યની ઉત્તમ કૃતિઓના અને એનાં નવ-પ્રસ્થાનોના ગુજરાતી અનુવાદો કરાવવાનું કામ પણ સામે છે.

બીજી કલાઓ, ચિત્ર, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, ન્રુત્ય, સિનેમા અંગેનાં વ્યાખ્યાનો, સ્લાઇડ-શો વગેરે આપણી સાહિત્યિક ક્ષિતિજોનો વિસ્તાર કરવામાં ઉત્તેજક બને. મોટાં શહેરોમાં જ નહીં, મધ્ય ગુજરાતમાં જ નહીં, અનેક કેન્દ્રોમાં આ કામ ઉપાડી લે એવા સહૃદયો ઉપલબ્ધ છે.

વીજાણુ માધ્યમોનો ઉપયોગ આ કામો માટે ગુજરાતમાં સચેત સાહસિકોએ કરવા માંડ્યો છે. પરિષદનો એ સહુ પ્રયોગશીલો સાથેનો અનુબંધ બાંધવાનો સમય આવી ગયો છે.

લોકવિદ્યા સાથેનો સંબંધ જે શક્તિ આપે, એ મેળવવાનાં આયોજન અનેક-કેન્દ્રી રીતે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને બીજે કરવાં રહ્યાં. આદિવાસી સમાજો સાથેની આપલે એ અનેક-કેન્દ્રી રીતે કરવાથી ‘મ્યુિઝયમ મેન્ટાલિટી’ અને ‘મૉલ-મેન્ટાલિટી’-થી અલગ એવું સર્જનાત્મક કામ થાય.

— ત્રણ —

પરિષદનાં આવતા ગાળાનાં આ અને આવાં કે અલગ બીજાં કામ પાર પાડવાનાં છે. એ માટે એ જરૂરી છે કે એની પરિકલ્પના, આયોજન અને કાર્યાન્વય, પરિષદના પોતાનાં મંડળોમાં થતી ચર્ચાઓ વડે નક્કી થાય, ન કે એક વ્યક્તિ કે વૃંદ દ્વારા. જુદી જુદી દ્રષ્ટિ, અલગ અલગ અભિગમો ધરાવતા સભ્યો વચ્ચે વિચારપૂર્વકના (સ્વાર્થજન્ય વિતંડા વગરના) સંવાદો, ચર્ચાઓ થાય, બીજાના કે પોતાના મંતવ્યમાં બદલાવ લાવવાની ક્ષમતા અને ઉદારદિલી હોય, અને દરેક મુદ્દે એ મુદ્દાસર થતી સ્વ-શિસ્ત-ભરી ચર્ચા પછી સંમતિથી નિર્ણય લેવાય, આયોજન થાય, દિલ દઈને કામ કરાય, તો જ ખરી ગતિશીલતા આવે.

પ્રમુખ એટલે આ સર્વ જેમાં વિકસે એવું વાતાવરણ.

*********

આ પ્રકારે કામ કરવાનો અવસર તમારો મત મને આપશે, એ વિશ્વાસ.

Loading

અંગત એજન્ડા માટે વિદેશી મહેમાનોનો રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 September 2017

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ ચાઈના સીના કિનારે આવેલા લગભગ બધા જ દેશોની મુલાકાત લીધી છે અને જે દેશોની મુલાકાત નથી લીધી ત્યાં હવે પછી જવાના છે. આવતા નવેમ્બર મહિનામાં તેઓ ફિલિપીન્સ જવાના છે. ચીનને ભારત સાઉથ ચાઇના સીમાં રસ લઈ રહ્યું છે એ પસંદ નથી અને એટલે કદાચ ચીને ૧૧૦ દિવસ માટે ડોકલામ પર કબજો જમાવ્યો હતો અને અત્યારે પણ ચીન ત્યાંથી સાવ હટી ગયું છે એવું નથી. આ બાજુ ઈશાન ભારતમાંની વિકાસ યોજનાઓમાં જપાન મદદ કરવાનું છે એની ચીને ટીકા કરી છે

જપાનનો બે રીતનો ખપ છે. ભારત સરકારને જપાનનો ખપ છે ચીન સામે દીવાલ રચવા અને નરેન્દ્ર મોદીને જપાનનો વધારાનો ખપ છે જંગી ખર્ચવાળી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ દ્વારા પ્રજાને આંજીને ચૂંટણી જીતવા. જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેની ભારત મુલાકાત દરમ્યાન ભારતની અને વડા પ્રધાનની મહેચ્છાઓ કંઈક અંશે પૂરી થઈ છે. પહેલા ભારતની વાત.

ભારત અને જપાન બન્ને ચીનના વિસ્તારવાદથી પરેશાન છે અને બન્ને વિકલ્પની શોધમાં છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા પણ છે જે જપાનને વધારે પરેશાન કરી રહ્યું છે. ભારતની સમસ્યા એ છે કે ભુતાન સહિતના દક્ષિણ એશિયાના દેશો કેટલો સમય ચીનનું દબાણ ખાળી શકશે એ કહેવું મુશ્કેલ છે. આવતા વર્ષે ભુતાનમાં સામાન્ય ચૂંટણી છે (ભુતાનમાં રાજાશાહી હોવા છતાં મર્યાદિત પણ નક્કર લોકતંત્ર પણ છે) અને અત્યારથી જ કહેવાનું શરૂ થઈ ગયું છે કે શા માટે ડોકલામમાંના ભારતના હિત માટે ચીન સાથે સંબંધ બગાડવા? ડોકલામનો લશ્કરી ખપ ભુતાન કરતાં ભારતને વધારે છે, કારણ કે એ તળ ભારત સાથે ઈશાન ભારતને જોડનારા બગલાની ડોક જેવા કૉરિડોરની નજીક છે. ટૂંકમાં ડોકલામનો ખપ જેટલો ભારતને છે એટલો ભુતાનને નથી અને ભારત આ જાણે છે. ભારત ખાતર ચીન સાથે સંબંધો નહીં બગાડવા માટે ભુતાનની સરકાર પર દબાણ આવી રહ્યું છે એ પણ ભારત જાણે છે.

જપાનની ચિંતા સાઉથ ચાઇના સીમાં ચીનના વિસ્તારની અને કબજો કરવાની યોજનાની છે. અહીં પણ ચીન સમુદ્રને કિનારે આવેલા નાના દેશોને આર્થિક સહાય અને વિકાસની લાલચ આપીને પટાવે છે અને જે દેશો ચીનની છત્રીમાં નથી આવતા એની સાથે ચીન દાદાગીરી કરે છે. આ સમુદ્રના પેટમાં ૧૧ અબજ બૅરલ ક્રૂડ ઑઇલ અને એક લાખ ૯૦ હજાર અબજ ઘનફૂટ જેટલો ગૅસ છે. ફિલિપીન્સ, બ્રુનેઈ, સિંગાપોર, મલેશિયા, વિયેટનામ, ઇન્ડોનેશિયા, તાઇવાન વગેરે દેશો આ સમુદ્રના કાંઠે આવેલા છે. વાસ્તવમાં ભૌગોલિક રીતે જોઈએ તો સાઉથ ચાઇના સી પર આ બધા નાના દેશોનો હક વધારે છે, પરંતુ ચીન એના વિરોધને ગણકારતું નથી. ગયા વરસના જુલાઈ મહિનામાં હેગની વિશ્વ અદાલતે સાઉથ ચાઇના સીમાં થાણા સ્થાપવાની બાબતે ફિલિપીન્સની તરફેણમાં અને ચીનની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવા છતાં ચીન એને ગણકાર્યા વિના આગળ વધી રહ્યું છે. આમ જેવી સ્થિતિ ભારતની ડોકલામમાં છે એવી સ્થિતિ જપાનની સાઉથ ચાઇના સીમાં છે. જેમ ભારત અને ચીન વચ્ચે ડોકલામના પ્રશ્ને સીધો ઝઘડો નથી એમ સાઉથ ચાઇના સીમાં ચીનનો સીધો ઝઘડો જપાન સાથે નથી. આમ છતાં ભારતની જેમ જ સાઉથ ચાઇના સીમાં નિશાન જપાન છે. એટલે તો જપાનને ચીનનો વિસ્તાર નડે છે.

ભારત સાઉથ ચાઇના સીના પ્રશ્નમાં રસ લઈ રહ્યું છે એની સામે ચીનને વાંધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ ચાઇના સીના કિનારે આવેલા લગભગ બધા જ દેશોની મુલાકાત લીધી છે અને જે દેશોની મુલાકાત નથી લીધી ત્યાં હવે પછી જવાના છે.

આવતા નવેમ્બર મહિનામાં તેઓ ફિલિપીન્સ જવાના છે. ચીનને ભારત સાઉથ ચાઇના સીમાં રસ લઈ રહ્યું છે એ પસંદ નથી અને એટલે કદાચ ચીને ૧૧૦ દિવસ માટે ડોકલામ પર કબજો જમાવ્યો હતો અને અત્યારે પણ ચીન ત્યાંથી સાવ હટી ગયું છે એવું નથી. આ બાજુ ઈશાન ભારતમાંની વિકાસ યોજનાઓમાં જપાન મદદ કરવાનું છે એની ચીને ટીકા કરી છે.

જપાન અને ભારતને અકળાવનારી હજી એક બાબત અમેરિકાની ઉદાસીનતા છે. ડોનલ્ડ ટ્રમ્પને સાઉથ ચાઇના સીમાં કે ભુતાનમાં ચીન શું કરે છે એની સાથે નિસબત નથી. બન્ને દિશાના ચીનના વિસ્તારવાદ સામે અમેરિકાએ સરખું નિવેદન સુધ્ધાં બહાર પાડ્યું નથી. ડોનલ્ડ ટ્રમ્પ કોઈ ધોરણસરના પ્રમુખ નથી એટલે અમેરિકા પાસેથી ચોક્કસ ધોરણની અપેક્ષા રાખી શકાય એમ નથી. તમને જાણ હશે કે સાઉથ ચાઇના સીના લગભગ બધા જ દેશો અમેરિકાની પાંખમાં છે અને છતાં અમેરિકા એની મદદે નથી આવતું. દક્ષિણ એશિયામાં અને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકા મોટી વગ ધરાવે છે, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને મળેલા બિનભરોસાપાત્ર કહો કે મૂરખ પ્રમુખ છે એટલે ભારત અને જપાન માટે અત્યારે તો અમેરિકાનો કોઈ ખાસ ખપ નથી.

આમ ભારત અને જપાનની હાલત આવ ભાઈ હરખા આપણે બે સરખા જેવી છે એટલે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારત અને જપાનના વડા પ્રધાનો વચ્ચે ત્રણ વરસમાં ત્રણ દ્વિપક્ષી બેઠકો યોજાઈ છે. પહેલી વાર નરેન્દ્ર મોદી જપાન ગયા હતા જ્યાં તેમણે કારણ વિના ચીનને અસભ્ય દેશ હોવાનો વાગે એવો ટોણો માર્યો હતો. બે વખત જપાનના વડા પ્રધાન ભારત આવ્યા છે જેમાં આ વખતની મુલાકાત વધારે મહત્ત્વની છે. એક કારણ હેગની અદાલતના ચુકાદાની ચીને કરેલી અવગણના છે અને બીજું કારણ ડોકલામ છે. બન્ને દેશોના વડા પ્રધાને સંયુક્ત નિવેદનમાં સાફ શબ્દોમાં ત્રાસવાદી સંગઠનોના નામ લઈને ત્રાસવાદની નિંદા કરી છે. એ પછી સવાલ આવે છે ચીનના વિસ્તારવાદનો તો એ વિશે ચીનનું નામ આપ્યા વિના ચીનની સાઉથ ચાઇના સીમાંની અને વન બેલ્ટ વન રોડની નીતિની ટીકા કરી છે. નામ લેવામાં નથી આવ્યું, કારણ કે ચીનના વિસ્તારવાદને ખાળવા ભારત અને જપાનને અમેરિકાની જરૂર છે અને અમેરિકન પ્રમુખ ગાંડી માથે બેડું લઈને ફરે છે.

આ થઈ ભારતની જરૂરિયાતની વાત. જપાનની એક જરૂરિયાત નરેન્દ્ર મોદીને પણ છે. એ જરૂરિયાત છે દેશને આંજી દેનારી મોટા કદની યોજનાઓ લઈ આવવાની. એટલે તો લોકો મજાકમાં કહે છે કે જપાનના વડા પ્રધાનને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઍરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ-શો કરવામાં આવ્યો હતો. એ પછી ૧.૦૮ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બંધાનારી બુલેટ ટ્રેનની સમજૂતી થઈ હતી. નોટબંધી દ્વારા કુલ મળીને જેટલું કાળું નાણું હાથ લાગ્યું એનો સાત ગણો ખર્ચ બુલેટ ટ્રેન પાછળ થવાનો છે. જે દેશમાં સરેરાશ અઠવાડિયામાં બે રેલવે-અકસ્માત થતા હોય, જે દેશમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોય, જે દેશમાં કુપોષણને કારણે બાળમરણ થતાં હોય એ દેશના વડા પ્રધાનને બુલેટ ટ્રેનનાં સપનાં જોવામાં શરમ નથી આવતી. જપાનના વડા પ્રધાન પણ મનોમન હસતા હશે આ પણ દેશની એક કમનસીબી છે.

દરમ્યાન બનારસને ક્યોટો બનાવવાની યોજના હવે ભૂલી જવામાં આવી હોય એમ લાગે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક હતી ત્યારે ગયા વરસે જપાનના વડા પ્રધાનને બનારસ બોલાવવામાં આવ્યા હતા અને ગંગાઆરતી બતાવ્યા પછી બનારસને ક્યોટો જેવું પ્રાચીન પણ અત્યાધુનિક શહેર બનાવવાની સમજૂતી થઈ હતી. એ યોજનાનું શું થયું યાદ છે?

અંગત એજન્ડા માટે વિદેશી મહેમાનોના રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે એ સાહેબને કોણ સમજાવે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 16 સપ્ટેમ્બર 2017

Loading

અર્થકારણ વિ. અનર્થકારણથી હટીને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 September 2017

મોટા દઈતવાદના ધોરણે ઢેકો કાઢતો રાષ્ટૃવાદ કથિત વિકાસને કારણે થતા વંચિતોની સંભાળ સારુ થોભતો નથી.

ઊગતા સૂર્યના દેશથી આવેલ સર્વોચ્ચ મુલાકાતી અને આપણે ત્યાંનો ઊગતો, ઊગી ચૂકેલો દીસતો સૂર્ય : બબ્બે સૂરજના અંજાપે અને એથી સ્તો આપણા અધધ અંધાપે આ પોસ્ટ-ટ્રુથ સોસાયટીમાં કિયું સત્ય ઋતની સાખે સંભારવું, કિયું ન સંભારવું અંજાપેઅંધાપે અને ઘોર ઘોંઘાટે, કહો કે આક્રાન્ત અપહૃત અને બલાત્કૃત વિમર્શના આ દિવસોમાં અને આ રાતોમાં લગરીક અજવાળું બની ઝબકતા અવાજો અને મૂંગે મૂંગે પણ અવાજ રૂપ બની રહેતાં અજવાળાં, જેમ કે ગૌરી લંકેશ પ્રકરણ … બને કે એમાંથી કંઈકે વારણ અને કંઈકે હૈયાધારણ મળી રહે.

આ લખું છું ત્યારે કેમ જાણે ‘કહાની મેં ટિ્‌વસ્ટ’ જેવી, ક્‌વચિત્‌ બેસ્વાદ જેવી લાગણી પણ નીંભર વર્તુળોની કૃપાએ અનુભવું છું. રાજ્ય સરકારોને હલાવી શકનાર પુરુષાર્થી પત્રકાર પિતા લંકેશની પુત્રી પેઈજ થ્રીથી માંડીને બીજા સગવડિયા ને ટંકશાળી વિકલ્પોવાળી દૈનિક પત્રકારિતા છાંડીને પિતૃતર્પણની લડાકુ પત્રકારિતામાં સક્રિય બન્યાં એ કર્ણાટકના જાહેર જીવનની એક ખુશકિસમતી હતી.

પાંચમી સપ્ટેમ્બરે ગૌરીની નિર્ઘૃણ હત્યાના સમાચાર મળ્યા ત્યારે સ્વાભાવિક જ દાભોલકર, પાનસરે, કલબુર્ગી એ આખો સિલસિલો સાંભરી આવ્યો અને જે વિચારધારાથી સેવાયેલી માનસિકતાનો એક હિસ્સો એ સૌમાં નિમિત્ત મનાય છે તેની જવાબદારી આ કિસ્સામાંયે હોઈ શકે એવા પ્રાથમિક પ્રતિભાવને અવશ્ય અવકાશ હતો. તે પછી, હમણેના દિવસોમાં કલબુર્ગીની હત્યામાં વપરાઈ હતી એ જ સામગ્રી અહીં પણ સંયોજાયાના હેવાલો આવ્યા છે. ઉલટ પક્ષે, આરંભના દિવસોમાં જ કુટુંબના કોઈક છેડેથી આ નકસલ ચેષ્ટા હોવાનોયે ઇશારો થયો હતો. જ્યાંથી ઇશારો આવ્યો હતો તે ભાજપ સાથે કશીક ગોઠવણની ફિરાકમાં હોવાનું અનુમાન પણ વાંસોવાંસ ચાલી આવ્યું હતું. ગૌરીની કીર્તિદા કામગીરીમાં નકસલ મિત્રોને મુખ્ય ધારામાં થાળે પાડવાની કોશિશનો ય સમાવેશ થતો હતો એ જોતાં એની હત્યામાં નકસલ સંડોવણીની થિયરી એક પા પેલી શંકાસ્પદ માનસિકતા બાબતે એસ્કેપ રુટની સગવડ પૂરી પાડે છે તો કથિત નકસલ અભિગમ વિશે સવાલો પણ જગવે છે.

જ્યાં સુધી સંઘર્ષ અને રચનાની રાજનીતિ અગર લોકનીતિને વરેલી અને એ નાતે વહેમજવન સામે પણ ઝૂઝતી પત્રકારિતાનો સવાલ છે, સ્થાપિત માત્રને એને અંગે અસુખ હોવાનું, હોવાનું અને હોવાનું. દાભોલકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશને એ રીતે ચોક્કસ જ એવા એક નિશાની દાયરામાં મુકાય છે જેમાં વીતેલી અને આવનારી સદીઓના શલાકાપુરુષ ગાંધી હતા. આ પ્રકારની વિચારધારાકીય માનસિકતામાં અને નકસલ મનોવલણોમાં હત્યાને ધર્મ્ય માનવી એ એક વિવાદાતીત બાબત બની રહે છે. આતતાયીવધનું એક કથિત ધર્મશાસ્ત્રસંમત લૉજિક પણ એમાં ઉપયોગી થઈ પડે છે, અને પછી જેમ કંસવધ તેમ ગાંધીવધ એવું સમીકરણ સરળતાથી સ્થાપિત પણ થઈ જાય છે. આ ‘વધ’ પરિભાષા નકસલ વર્તુળોમાં પણ એમની તરેહના વિચારસંપ્રદાયની રીતે ગ્રાહ્ય બની રહે છે, જેમ ફ્રેન્ચ ક્રાન્તિ સંદર્ભે રોબેસ્પિયરની એ ઉક્તિ મશહૂર છે કે ‘અવર્સ ઈઝ અ ટિરની ઑફ લિબર્ટી’ (હા, અમે આપખુદ જુલમશાહી ચલાવીએ છીએ પણ આ આપખુદી ‘સ્વતંત્રતા’ની – સ્વતંત્રતાને નામે – છે.)

ગમે તેમ પણ, તમે જુઓ કે શોષણમુક્તિ માટેના સંગ્રામની હોઈ શકતી નકસલ ભૂમિકા બાબતે ગૌરી સહિત કોઈને પણ તાત્ત્વિક કદરબૂજ ન હોવાને કારણ નથી. પણ આ સંગ્રામને તેઓ ચાલુ પ્રવાહમાં રહીને લોકશાહી રાહે લડી શકે તે ઇષ્ટ અને સલાહભર્યું લાગે છે. ખુલ્લા લોકશાહી માર્ગે પળનાર નકસલને ગુપ્તતાવાદી હિંસ્ર નકસલો પોતાનાથી છૂટા પડેલા એક ‘રેનેગેડ’ તરીકે જુએ અને આવા ‘રેનેગેડ’ને સુવિધા આપનાર ગૌરી લંકેશમાં સ્પર્ધી કે શત્રુ જુએ તેવું ન જ બની શકે એવું નથી. માત્ર, હમણે સુધીના ઘટનાક્રમના ઉજાસમાં આ એક દૂરાકૃષ્ટ એવી થિયરી લાગે છે.

હત્યાની જવાબદારી આ બેમાંથી કોની (અગર તો તપાસને અવળે પાટે ચડાવવા માટે કોઈક ક્ષુલ્લક કારણ આગળ ધરાય તો તેની પણ) ચર્ચાને અવશ્ય અવકાશ છે. પણ આ ક્ષણે એમાં અધિક નહીં ખેંચાતાં વિમર્શ-સફાઈની દૃષ્ટિએ જે એક બુનિયાદી મુદ્દો કરવો રહે છે તે હિંસા-અહિંસા વિષયક છે. ડાબેરી ઇતિહાસકાર બિપનચંદ્રની એ એક મૂલગ્રાહી નિરીક્ષા સંભારવાનું અહીં બનતું રહ્યું છે કે ભગતસિંહ લાંબું જીવ્યા હોત તો તે ગાંધીવાદી તરીકે ઊભર્યા હોત. અલબત્ત, એમના માર્ક્‌સીય વિચારવલણો ઠીક ઠીક યથાવત્‌ હોત, પણ તે ધોરણે સંઘર્ષ માટેની પદ્ધતિમાં એમને લાંબે ગાળે ગાંધીની પદ્ધતિની ઉપયોગિતા વસી હોત, એ અર્થમાં તે ગાંધીવાદી હોત.

નહીં કે અહીં આ ચર્ચામાં વધુ ઊંડા ઊતરવાનો કે આગળ જવાનો ખ્યાલ છે. માત્ર, જેમ કોઈ કૂતરાને હડકાયું જાહેર કરવાથી એને મારી નાખવાનો પથ બેહિચક પ્રશસ્ત થઈ જાય છે તેમ સામેવાળાને, દાખલા તરીકે, તે ‘રાષ્ટ્રવિરોધી’ છે એવો થપ્પો મારી એની હત્યાને વિશે સ્વીકૃતિ  બલકે ‘લૅજિટિમસી’નો માહોલ બનાવાય છે. ચોક્કસ સંજોગોમાં તેને ‘ગણશત્રુ’ કહીને પણ આવી લૅજિટિમસી રળી શકાય. ડાબેરી સરકાર  હસ્તક નંદીગ્રામમાં જે બન્યું એને હમણાં જ જ્ઞાનપીઠ પુરસ્કૃત શંખ ઘોષે અસંદિગ્ધ શબ્દોમાં વખોડી કાઢ્યું હતું – અને એ વખોડવામાં એમને પોતાનાં ડાબેરી વિચારવલણો આડે નહોતાં આવ્યાં એ સમજવા જેવું છે. રાષ્ટ્રવાદી ભાવનાઓમાં રમવું કે પ્રગતિશીલ માનવતામાં રાચવું, તે સુધ્ધાં એક વિવેક માગી લે છે. હત્યાનું રાજકારણ ધર્મ્ય લાગે એ પ્રકારની લેજિટિમસી એ રચનામૂલક સંઘર્ષની દૃષ્ટિએ પથ્ય નથી તે નથી.

આરંભે અંજાપાઅંધાપાની (કે પછી કાનના સંદર્ભમાં કહીએ તો બધિરતાની) જે જિકર કરી એમાં જગાડવા ઝંઝેડવા ઝકઝોરવાની રીતે ગૌરી જેવી શહાદતો વિપળવાર પણ વહેલી નથી. મા નર્મદાનાં ઉજવણાં અને રિવરફ્રન્ટની રમણભૂમિ પરના ધૂમધડાકા વચ્ચે નર્મદાના દાવાઓની વાસ્તવિકતા ક્યાં ય ડૂબી જાય છે, એને કારણે થયેલાં વંચિતોના ડૂસકાં ક્યાં ય દબાઈ જાય છે. મોટા દઈતવાદના ધોરણે ઢેકો કાઢતો રાષ્ટ્રવાદ કથિત વિકાસને કારણે થતા વંચિતોની સંભાળ સારુ સ્વાભાવિક જ થોભતો નથી. અર્થકારણ વિ. અનર્થકારણ જેવી બુનિયાદી પરિપૃચ્છાથી ઉફરાટે બુલેટ ટ્રેન એક વિશ્વસત્તા અને વિશ્વનેતાના પ્રતીક તરીકે એનાં ખાણદાણ સારુ ખપ આવી શકે છે. સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને ઊંચાઈમાં પાછળ મૂકતી સૂચિત સરદાર પ્રતિમાના કીર્તિકળશની પૂંઠે, પછીતે અને પુરાણમાં પ્રજાનાં વાસ્તવિક સુખદુઃખના સવાલો ઢંકાઈધરબાઈ જાય છે. તમારાં વાસ્તવિક સુખદુઃખ છો માર્યાં ફરતાં, રોશનીના અંધાપે જે સાક્ષાત્‌ સ્વર્ગાનુભવ કરો છો તે ઓછો છે? આનંદો.

સૌજન્ય : ‘બુલેટ-ગતિ’, “દિવ્ય ભાસ્કર”, 16 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,2843,2853,2863,287...3,2903,3003,310...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved