પ્રાયોજિત સોશિયલ મીડિયાનો ઉદ્રેક અને ઉત્પાત, સેક્સ સીડીનો સંજય જોશી-ખ્યાત રાબેતો અને ગાંડા વિકાસનું ગુજરાત મોડેલ : જામતા ચૂંટણી માહોલમાં એટલું સારું છે કે મનમોહન અને ચિદમ્બરમ્ કે યશવંત સિંહાના અધિકૃત અવાજો વિપરીતપરિણામી નોટબંધી-જી.એસ.ટી. જેવા મુદ્દે સંભળાતા થયા છે. જો કે, આ અર્થનીતિ (વિકાસને નામે જૉબલેસ ગ્રોથ થકી મસમોટો રસોળો) ક્યાં લઈ જઈ રહી છે એની અરુણકુમારે ગુજરાતની મુલાકાત દરમિયાન આપેલી સંવેદનમંડિત સમજૂત કે તમે એ તો જુઓ કે વંચિતો વધવાનું ચાલુ છે, અને જેઓ છેવાડાના કહેતાં સીમાન્ત છે તે અતિસીમાન્ત અનવસ્થામાં મુકાઈ રહ્યા છે – હજુ આપણા વિમર્શના કેન્દ્રમાં નથી. હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ ઉદ્રેકે આંદોલિત ને ઉદ્યુક્ત સમુદાયોથી કૉંગ્રેસ પોતાને કંઈક વાજીકૃત અનુભવે છે એ સાચું; અને ગુજરાતમાં ભા.જ.પ. બે દાયકાની જે જવાબદેહી માટે બંધાયેલ છે તે દૃષ્ટિએ એ ઠીક જ છે. માત્ર, આ પ્રક્રિયામાં જે હાંસલ થશે તેણે આગળ ચાલતાં સીમાન્ત તબકાનો પથ પ્રશસ્ત કરવો રહેશે.
ખરું જોતાં, જવાબદેહીની સાદી સમજૂતથી હટીને સ્વરાજના લાંબા પટ પર ઇતિહાસપ્રક્રિયાની રીતે આખી વાતને જોવી રહે છે. ગુજરાતના ભાજપી સત્તાપ્રતિષ્ઠાનને એ વાતે કદરબૂજ નહીં તો પણ કંઈક તો ઓસાણ હોવાં ઘટે છે કે કોઈ એકલદોકલ ધારાસભ્યને બદલે ગુજરાત વિધાનસભામાં એના ધોરણસર પ્રવેશ ને પ્રતિષ્ઠાનું શ્રેય જયપ્રકાશના આંદોલનની આબોહવામાં બનેલ જનતા મોરચાને (જનસંઘ ઘટકને નાતે) ઘટે છે. ગુજરાતમાં ૧૯૯૫માં ભા.જ.પ.ને જે સુવાંગ જનાદેશ મળ્યો એ જનસંઘના જનતા અવતારને આભારી છે. ૧૯૭૫-૭૭માં જે જનતાઅવતાર કોળ્યો એ સ્વરાજ પરંપરામાં આવેલો એક વિકલ્પ હતો, કૉંગ્રેસને ચડેલ મેદ અને કાટ બાદ કરતાં બેઉ હતા તો સ્વરાજધારામાં જ. બલકે, ખરેખર તો આ જેપી જનતા અવતારે જ સંઘ-જનસંઘ માથેનું મહેણું (તમારા પૂર્વસૂરિઓ સ્વરાજની લડત વખતે ક્યાં હતા) ભાંગવાની પશ્ચાદ્વર્તી આસાએશ પણ કરી આપી. ૧૯૪૭માં ગાંધીનેહરુપટેલ એકંદરમતીથી ચાલતી કૉંગ્રેસનો આછોપાતળો ને કાલોઘેલો સ્વરાજવિકલ્પ જેપી કૃપાએ જનતા મોરચારૂપે શક્ય બન્યો હતો. એમાં અનુસ્યૂત સર્વધર્મ સમભાવ અને બિનસાંપ્રદાયિકતાના સંસ્કારો, મધ્યમમાર્ગી ને ડાબે ઝૂકતી ભૂમિકા, અને સ્વરાજની રાષ્ટ્રીય પ્લેટફોર્મશી કૉંગ્રેસની નવ્ય આવૃત્તિ રૂપે ધોરણસરના વિકલ્પનું કદ ને કાઠી સંપડાવી શકે એવી આશા અસ્થાને નહોતી. એક રીતે, ઇંદિરાઈ એકાધિકાર સામે ગાંધીનેહરુપટેલ એકંદરમતીનું એ ગુજરાત મોડેલ હોઈ શકતું હતું.
નરેન્દ્ર મોદી જે ગુજરાત મોડેલ વેચી વેચીને નવી દિલ્હી પહોંચ્યા એ જેને સહારે જનસંઘ-ભા.જ.પ.ને ગુજરાતમાં વિધિવત પ્રવેશ ને પ્રતિષ્ઠા મળ્યાં તે ૧૯૭૫-૧૯૭૭ના જનાદેશથી બિલકુલ વિપરીત હતું અને છે. આ મોડેલની તળેઉપર તપાસ વાસ્તે વીસબાવીસ વરસ એ તરત સામે આવતો ગાળો હશે; પણ ૧૯૯૫ના જનાદેશે નહીં અટકતાં ભા.જ.પે. વસ્તુતઃ ૧૯૭૫ના જનાદેશને ધોરણે હિસાબ આપવો રહે છે અને જાતતપાસ પણ કરવી રહે છે. જે સૌએ વિકલ્પની લાયમાં ભા.જ.પ.વટું કીધું હતું તે પૈકી જેમણે (ભલે અત્યાર સુધી એમણે તટસ્થ નાગરિક તપાસ અને ટીકાટિપ્પણ ભણી, એક સમાંતર વિચાર ભણી, દુર્લક્ષ સેવ્યું હોય) તેમણે પણ પુનર્વિચારની આ પળ પકડવી ઘટે છે.
વસ્તુતઃ ૧૯૪૭ કે ૧૯૭૫-૭૭ના જનાદેશથી પણ લાંબે અને ઇતિહાસપ્રક્રિયાની રીતે જોઈએ તો ૧૯૧૫માં ગાંધીના ભારતપ્રવેશ પછીની હર શતવર્ષી કને પ્રજાસત્તાક સ્વરાજનાં આગેકદમની સંબલસામગ્રી પડેલી છે. નવેમ્બર ૧૯૧૭માં તમે જુઓ કે ગોધરામાં ગુજરાતની પહેલી રાજકીય પરિષદ મળી હતી જેને પગલે ગાંધીની અધ્યક્ષતામાં ને વલ્લભભાઈના સંયોજનમાં ગુજરાતમાં ધોરણસરના રાજકીય જીવનની હવા બની હતી. એમાં અલબત્ત અગાઉનાં મવાળ પ્રવાહનીયે એક ભૂમિકા હતી. ગોધરા ૨૦૦૨માં બહુ જ વરવી રીતે દેશના નકશે મૂકાયું, કેમ કે ૧૯૧૭ની ગોધરા પરિષદે કંડારેલા રાહથી ચાતરતી વિચારધારાઓ થકી આપણો વિમર્શ બલાત્કૃત, અપહૃત, વિકૃત શો હતો. ગોધરાની રાજકીય પરિષદે ટિળક અને ઝીણાની વિશેષ ઉપસ્થિતિ(અને સહભાગિતા)માં હિંદુ-મુસ્લિમ એકતા તેમ જ અંત્યજોદ્ધાર(અસ્પૃશ્યતા નાબૂદી)ને ધોરણે સ્વરાજ ઝંખ્યું હતું. વેઠ પ્રથાની નાબૂદી સહિતનાં વાનાં એના એજન્ડા પર હતા. અને હા, મોટી વાત તો એ પણ બની હતી કે નેકનામદાર અંગ્રેજ સરકાર બહાદુર બાબત વફાદારીનો શ્રી ગણેશાય નમઃ સરખો રસમી ઠરાવ આ પરિષદે પસાર કરવાપણું જોયું નહોતું. ૧૯૧૭થી ૨૦૦૨ સુધી પહોંચતે પહોંચતે, ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે ! ગમે તેમ પણ, ૨૦૦૨એ રક્તરંજિત કોમી ધ્રુવીકરણની રાહે ભા.જ.પ.નો પથ પ્રશસ્ત કર્યો અને ૨૦૧૭માં એ અંગે સ્વરાજસુધારના અવસર શી ચૂંટણી આપણાં દ્વાર ખખડાવી રહી છે.
નાગરિક વકટલેંડ, કાશ, તું ઉંબરે ઊભી આ વાલમબોલ સાંભળતી હો!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 01-02
![]()


ભારતમાં ૧૯૯૧માં ઉદારીકરણની નીતિ અપનવવામાં આવી એ પછી આર્થિક વૃદ્ધિ (જી.ડી.પી.ની વૃદ્ધિ) આર્થિક નીતિનો સર્વોચ્ચ ઉદ્દેશ બની છે. બજારવાદી અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે દેશની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આર્થિક વૃદ્ધિમાં રહેલો છે, ખાસ કરીને ગરીબી અને બેકારીના પ્રશ્નનો ઉકેલ તો આર્થિક વૃદ્ધિમાં જ રહેલો છે. ભારતમાં બે દાયકા સુધી જી.ડી.પી.નો વૃદ્ધિદર આઠ ટકાથી વધુ રહે, તો દેશની બેકારીની અને ગરીબીની સમસ્યા ઊકલી જાય અને દેશ મધ્યમસ્તરના વિકસિત દેશોની હરોળમાં આવી જાય એવો એક અંદાજ મૂકવામાં આવ્યો છે. નીતિઆયોગના પૂર્વઉપાધ્યક્ષ પાનસરિયાએ આવો એક દાખલો ગયા એપ્રિલમાં તેમના ‘વિઝન’ના એક ભાગરૂપે ગણ્યો હતોઃ ૨૦૧૫-૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથાદીઠ આવક રૂ. ૧૦,૬૫૮૯ હતી. ૨૦૩૧-૩૨માં કુલ જી.ડી.પી. વધીને રૂ. ૪૬૯ લાખ કરોડ અને માથા દીઠ આવક વધીને રૂ, ૩,૧૪,૭૭૬ થશે. આ દાખલામાં તેઓ એવી ધારણા પર ચાલ્યા છે કે ઉપર્યુક્ત ૧૫ વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી. એકંદરે વાર્ષિક આઠ ટકાના દરે વધતી રહેશે. આ વિચારણાના આધાર પર આઠ ટકાનો અને બને તો દસ ટકાનો આર્થિક વૃદ્ધિનો દર બે દસકા સુધી ટકાવી રાખવાનું ધ્યેય સરકાર અને દેશ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ ઊંચા વૃદ્ધિદરની ચર્ચા અહીં ગરીબી અને બેકારીના સંદર્ભમાં કરી છે.
ભારતમાં આર્થિક વૃદ્ધિનો ઊંચો દર ગરીબી ઓછા પ્રમાણમાં ઘટાડી શકે છે. એનો ખુલાસો, સર્જાતી આવકની અત્યંત અસમાન રીતે થતી વહેંચણીમાં શોધવાનો છે. ભારતમાં આવકની વહેંચણી અંગેનો એક સંશોધન-લેખ તાજેતરમાં પ્રગટ થયો છે. (‘ભારતમાં આવકની અસમાનતા, ૧૯૨૨-૨૦૧૪ઃ બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી?’) એના એક લેખક પિકેટી૧ આવકની અસમાનતા અંગેના એમના અભ્યાસથી વિશ્વસ્તરે પ્રસિદ્ધિ પામ્યા છે. ભારતમાં ૧૯૮૦થી ૨૦૧૪ વચ્ચે આર્થિક વૃદ્ધિના ઊંચા દરથી સર્જાયેલી આવકની જે અસમાન વહેંચણી થઈ છે તેનું ચિત્ર આ અભ્યાસમાંથી સાંપડે છે. તળિયાના ૫૦ ટકાના ભાગે વધેલી આવકનો ૧૧ ટકા હિસ્સો ગયો હતો; બીજે છેડે ટોચના ૧૦ ટકાના ભાગે ૬૬ ટકા જેટલો મોટો ભાગ ગયો હતો અને ટોચના એક ટકાના દસમા ભાગમાં લોકો પાસે ૧૨ (બાર) ટકા જેટલી આવક ગઈ હતી, તેનાથી વધારે આવક ટોચના એક ટકાના દસમા ભાગના લોકો પાસે ગઈ હતી.
ઇશિગુરોને રૉયલ સોસાયટી ઑફ લિટરેચર દ્વારા અપાતું વિનિફ્રેડ હોલ્ટબી પ્રાઇઝ, બુકર પ્રાઈઝ, સમકાલીન શ્રેષ્ઠ યુવા બ્રિટિશ સર્જકોની યાદીમાં સમાવેશ એમ વિવિધ રીતે નવાજવામાં આવ્યા છે, પણ આ બધી બાબતોમાં તે સાવ નિર્લેપ છે. પોતાની કૃતિઓમાં માત્ર જાપાનના વારસાને વ્યક્ત કરવાને બદલે બૃહદ્દ માનવજાતની સમસ્યાઓ, વંદના અને નિસબત લઈ આવવામાં સર્જકધર્મ સમજે છે. તસલીમા નસરીનની જેમ, ભલે સ્થાપિત હિતો તેમની ઓળખ મર્યાદિત કરી નાખે પણ એક સર્જકની દૃષ્ટિએ, અનુકંપા, સંવેદન સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે.
ઇશિગુરોના વાચકોને સૌથી વધારે સ્પર્શી જતી કૃતિ ‘The Remains of the Day’ છે. જેમાં સ્ટિવન્સ નામનો બટલર, જ્યાં વર્ષો લગણ કામ કર્યું છે, તે Darlington Hall, તેના અવસાન પામેલા મૂળ માલિક, નવા માલિક શ્રીમાન ફેરેડ, પોતે જેની સાથે આ વિશાળ મકાનમાં નોકરી કરી હતી, તે કેન્ટન નામની મહિલા, અન્યત્ર કાર્યરત બટલર્સ સાથેના સંબંધોને આ સ્થળની મુલાકાત દરમિયાન સ્મરે છે અને અકથ્ય પીડા અનુભવે છે. અહીં ક્યારેક યોજાતી રહેતી પેલી ભવ્ય મિજબાનીઓ, મુલાકાતે આવતા મહાનુભાવો, તેમની ચર્ચાઓ ‘तेहिनो दिवसा: गता’ ન્યાયે બધું જ ભૂતકાળની ગર્તામાં દટાઈ ગયું. એક રશિયન કવિની સલાહ પ્રમાણે One Should not visit the place where one spent his childhood, કારણ કે ભૂતકાળનાં દૃશ્યો અને વ્યક્તિઓ હવે મુખોમુખ ન થવાથી પીડા સિવાય કશાયની ભેટ મળતી નથી. એવું જ જ્યાં જિંદગીનાં ઉત્તમ વર્ષો નોકરીના ગાળ્યાં હોય, કોઈ તેની બાબતમાં, સ્ટિવન્સની આંખો ઘણું બધું શોધી રહી પણ વ્યર્થ.