Opinion Magazine
Number of visits: 9687449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વકટલેંડ અને વાલમબોલ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|15 November 2017

પ્રાયોજિત સોશિયલ મીડિયાનો ઉદ્રેક અને ઉત્પાત, સેક્સ સીડીનો સંજય જોશી-ખ્યાત રાબેતો અને ગાંડા વિકાસનું ગુજરાત મોડેલ : જામતા ચૂંટણી માહોલમાં એટલું સારું છે કે મનમોહન અને ચિદમ્બરમ્‌ કે યશવંત સિંહાના અધિકૃત અવાજો વિપરીતપરિણામી નોટબંધી-જી.એસ.ટી. જેવા મુદ્દે સંભળાતા થયા છે. જો કે, આ અર્થનીતિ (વિકાસને નામે જૉબલેસ ગ્રોથ થકી મસમોટો રસોળો) ક્યાં લઈ જઈ રહી છે એની અરુણકુમારે ગુજરાતની મુલાકાત દરમિયાન આપેલી સંવેદનમંડિત સમજૂત કે તમે એ તો જુઓ કે વંચિતો વધવાનું ચાલુ છે, અને જેઓ છેવાડાના કહેતાં સીમાન્ત છે તે અતિસીમાન્ત અનવસ્થામાં મુકાઈ રહ્યા છે – હજુ આપણા વિમર્શના કેન્દ્રમાં નથી. હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ ઉદ્રેકે આંદોલિત ને ઉદ્યુક્ત સમુદાયોથી કૉંગ્રેસ પોતાને કંઈક વાજીકૃત અનુભવે છે એ સાચું; અને ગુજરાતમાં ભા.જ.પ. બે દાયકાની જે જવાબદેહી માટે બંધાયેલ છે તે દૃષ્ટિએ એ ઠીક જ છે. માત્ર, આ પ્રક્રિયામાં જે હાંસલ થશે તેણે આગળ ચાલતાં સીમાન્ત તબકાનો પથ પ્રશસ્ત કરવો રહેશે.

ખરું જોતાં, જવાબદેહીની સાદી સમજૂતથી હટીને સ્વરાજના લાંબા પટ પર ઇતિહાસપ્રક્રિયાની રીતે આખી વાતને જોવી રહે છે. ગુજરાતના ભાજપી સત્તાપ્રતિષ્ઠાનને એ વાતે કદરબૂજ નહીં તો પણ કંઈક તો ઓસાણ હોવાં ઘટે છે કે કોઈ એકલદોકલ ધારાસભ્યને બદલે ગુજરાત વિધાનસભામાં એના ધોરણસર પ્રવેશ ને પ્રતિષ્ઠાનું શ્રેય જયપ્રકાશના આંદોલનની આબોહવામાં બનેલ જનતા મોરચાને (જનસંઘ ઘટકને નાતે) ઘટે છે. ગુજરાતમાં ૧૯૯૫માં ભા.જ.પ.ને જે સુવાંગ જનાદેશ મળ્યો એ જનસંઘના જનતા અવતારને આભારી છે. ૧૯૭૫-૭૭માં જે જનતાઅવતાર કોળ્યો એ સ્વરાજ પરંપરામાં આવેલો એક વિકલ્પ હતો, કૉંગ્રેસને ચડેલ મેદ અને કાટ બાદ કરતાં બેઉ હતા તો સ્વરાજધારામાં જ. બલકે, ખરેખર તો આ જેપી જનતા અવતારે જ સંઘ-જનસંઘ માથેનું મહેણું (તમારા પૂર્વસૂરિઓ સ્વરાજની લડત વખતે ક્યાં હતા) ભાંગવાની પશ્ચાદ્‌વર્તી આસાએશ પણ કરી આપી. ૧૯૪૭માં ગાંધીનેહરુપટેલ એકંદરમતીથી ચાલતી કૉંગ્રેસનો આછોપાતળો ને કાલોઘેલો સ્વરાજવિકલ્પ જેપી કૃપાએ જનતા મોરચારૂપે શક્ય બન્યો હતો. એમાં અનુસ્યૂત સર્વધર્મ સમભાવ અને બિનસાંપ્રદાયિકતાના સંસ્કારો, મધ્યમમાર્ગી ને ડાબે ઝૂકતી ભૂમિકા, અને સ્વરાજની રાષ્ટ્રીય પ્લેટફોર્મશી કૉંગ્રેસની નવ્ય આવૃત્તિ રૂપે ધોરણસરના વિકલ્પનું કદ ને કાઠી સંપડાવી શકે એવી આશા અસ્થાને નહોતી. એક રીતે, ઇંદિરાઈ એકાધિકાર સામે ગાંધીનેહરુપટેલ એકંદરમતીનું એ ગુજરાત મોડેલ હોઈ શકતું હતું.

નરેન્દ્ર મોદી જે ગુજરાત મોડેલ વેચી વેચીને નવી દિલ્હી પહોંચ્યા એ જેને સહારે જનસંઘ-ભા.જ.પ.ને ગુજરાતમાં વિધિવત પ્રવેશ ને પ્રતિષ્ઠા મળ્યાં તે ૧૯૭૫-૧૯૭૭ના જનાદેશથી બિલકુલ વિપરીત હતું અને છે. આ મોડેલની તળેઉપર તપાસ વાસ્તે વીસબાવીસ વરસ એ તરત સામે આવતો ગાળો હશે; પણ ૧૯૯૫ના જનાદેશે નહીં અટકતાં ભા.જ.પે. વસ્તુતઃ ૧૯૭૫ના જનાદેશને ધોરણે હિસાબ આપવો રહે છે અને જાતતપાસ પણ કરવી રહે છે. જે સૌએ વિકલ્પની લાયમાં ભા.જ.પ.વટું કીધું હતું તે પૈકી જેમણે (ભલે અત્યાર સુધી એમણે તટસ્થ નાગરિક તપાસ અને ટીકાટિપ્પણ ભણી, એક સમાંતર વિચાર ભણી, દુર્લક્ષ સેવ્યું હોય) તેમણે પણ પુનર્વિચારની આ પળ પકડવી ઘટે છે.

વસ્તુતઃ ૧૯૪૭ કે ૧૯૭૫-૭૭ના જનાદેશથી પણ લાંબે અને ઇતિહાસપ્રક્રિયાની રીતે જોઈએ તો ૧૯૧૫માં ગાંધીના ભારતપ્રવેશ પછીની હર શતવર્ષી કને પ્રજાસત્તાક સ્વરાજનાં આગેકદમની સંબલસામગ્રી પડેલી છે. નવેમ્બર ૧૯૧૭માં તમે જુઓ કે ગોધરામાં ગુજરાતની પહેલી રાજકીય પરિષદ મળી હતી જેને પગલે ગાંધીની અધ્યક્ષતામાં ને વલ્લભભાઈના સંયોજનમાં ગુજરાતમાં ધોરણસરના રાજકીય જીવનની હવા બની હતી. એમાં અલબત્ત અગાઉનાં મવાળ પ્રવાહનીયે એક ભૂમિકા હતી. ગોધરા ૨૦૦૨માં બહુ જ વરવી રીતે દેશના નકશે મૂકાયું, કેમ કે ૧૯૧૭ની ગોધરા પરિષદે કંડારેલા રાહથી ચાતરતી વિચારધારાઓ થકી આપણો વિમર્શ બલાત્કૃત, અપહૃત, વિકૃત શો હતો. ગોધરાની રાજકીય પરિષદે ટિળક અને ઝીણાની વિશેષ ઉપસ્થિતિ(અને સહભાગિતા)માં હિંદુ-મુસ્લિમ એકતા તેમ જ અંત્યજોદ્ધાર(અસ્પૃશ્યતા નાબૂદી)ને ધોરણે સ્વરાજ ઝંખ્યું હતું. વેઠ પ્રથાની નાબૂદી સહિતનાં વાનાં એના એજન્ડા પર હતા. અને હા, મોટી વાત તો એ પણ બની હતી કે નેકનામદાર અંગ્રેજ સરકાર બહાદુર બાબત વફાદારીનો શ્રી ગણેશાય નમઃ સરખો રસમી ઠરાવ આ પરિષદે પસાર કરવાપણું જોયું નહોતું. ૧૯૧૭થી ૨૦૦૨ સુધી પહોંચતે પહોંચતે, ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે ! ગમે તેમ પણ, ૨૦૦૨એ રક્તરંજિત કોમી ધ્રુવીકરણની રાહે ભા.જ.પ.નો પથ પ્રશસ્ત કર્યો અને ૨૦૧૭માં એ અંગે સ્વરાજસુધારના અવસર શી ચૂંટણી આપણાં દ્વાર ખખડાવી રહી છે.

નાગરિક વકટલેંડ, કાશ, તું ઉંબરે ઊભી આ વાલમબોલ સાંભળતી હો!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 01-02

Loading

જી.ડી.પી. કોઈ જાદુઈ છડી નથી

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 November 2017

ભારતમાં ૧૯૯૧માં ઉદારીકરણની નીતિ અપનવવામાં આવી એ પછી આર્થિક વૃદ્ધિ (જી.ડી.પી.ની વૃદ્ધિ) આર્થિક નીતિનો સર્વોચ્ચ ઉદ્દેશ બની છે. બજારવાદી અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે દેશની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આર્થિક વૃદ્ધિમાં રહેલો છે, ખાસ કરીને ગરીબી અને બેકારીના પ્રશ્નનો ઉકેલ તો આર્થિક વૃદ્ધિમાં જ રહેલો છે. ભારતમાં બે દાયકા સુધી જી.ડી.પી.નો વૃદ્ધિદર આઠ ટકાથી વધુ રહે, તો દેશની બેકારીની અને ગરીબીની સમસ્યા ઊકલી જાય અને દેશ મધ્યમસ્તરના વિકસિત દેશોની હરોળમાં આવી જાય એવો એક અંદાજ મૂકવામાં આવ્યો છે. નીતિઆયોગના પૂર્વઉપાધ્યક્ષ પાનસરિયાએ આવો એક દાખલો ગયા એપ્રિલમાં તેમના ‘વિઝન’ના એક ભાગરૂપે ગણ્યો હતોઃ ૨૦૧૫-૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથાદીઠ આવક રૂ. ૧૦,૬૫૮૯ હતી. ૨૦૩૧-૩૨માં કુલ જી.ડી.પી. વધીને રૂ. ૪૬૯ લાખ કરોડ અને માથા દીઠ આવક વધીને રૂ, ૩,૧૪,૭૭૬ થશે. આ દાખલામાં તેઓ એવી ધારણા પર ચાલ્યા છે કે ઉપર્યુક્ત ૧૫ વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી. એકંદરે વાર્ષિક આઠ ટકાના દરે વધતી રહેશે. આ વિચારણાના આધાર પર આઠ ટકાનો અને બને તો દસ ટકાનો આર્થિક વૃદ્ધિનો દર બે દસકા સુધી ટકાવી રાખવાનું ધ્યેય સરકાર અને દેશ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ ઊંચા વૃદ્ધિદરની ચર્ચા અહીં ગરીબી અને બેકારીના સંદર્ભમાં કરી છે.

આર્થિક વૃદ્ધિના સહજ પરિણામ રૂપે રોજગારી વધે અને ગરીબી ઘટે તે એક નિર્વિવાદ મુદ્દો છે. પરંતુ આર્થિક વૃદ્ધિની રોજગારી સર્જવાની અને ગરીબી ઘટાડવાની ક્ષમતા વિવિધ દેશોમાં નોખી નોખી માલૂમ પડી છે. દા.ત., જી.ડી.પી.માં થતો એક ટકાનો વધારો ચીનમાં ગરીબીના પ્રમાણમાં ૦.૨૮ ટકાનો ઘટાડો (૧૯૯૦-૨૦૧૩ દરમિયાન) નિપજાવી શક્યો હતો. એની તુલનામાં બ્રાઝિલમાં જી.ડી.પી.નો એક ટકાનો વધારો, ૧.૧૪ ટકાનો ઘટાડો નિપજાવી શક્યો હતો. આના આધારે ગણતાં ચીનમાં ૧૦ ટકાના દરે વધતી આર્થિક વૃદ્ધિ ૨.૮ ટકાના દરે ગરીબી ઘટાડી શકે ગરીબીમાં એટલો જ ઘટાડો કરવા માટે બ્રાઝિલમાં અઢી ટકાનો આર્થિક વૃદ્ધિદર પૂરતો થઈ પડે. આમ, ગરીબી ઘટાડવાની દૃષ્ટિએ આર્થિક વૃદ્ધિના દર જેટલું જ મહત્ત્વ આર્થિક વૃદ્ધિના સ્વરૂપનું કે આર્થિક વૃદ્ધિની ગુણવત્તાનું છે. આર્થિક વૃદ્ધિની ગરીબી ઘટાડવાની ક્ષમતા આર્થિક વૃદ્ધિ દ્વારા સર્જાતી આવકની વહેંચણી પર અવલંબે છે. સમાજના વિવિધ વર્ગો વચ્ચે આવકની વહેંચણી કેટલી અસમાન થાય છે, તે ગરીબી ઘટાડવાની દૃષ્ટિએ જી.ડી.પી.ના વૃદ્ધિદર જેટલું જ મહત્ત્વનું પરિબળ છે.

આ ભૂમિકા સાથે ભારતમાં આર્થિક વૃદ્ધિ અને ગરીબીના ઘટાડાનો સંબંધ તપાસીએ. ભારતમાં ૧૯૯૩-’૯૪થી ૨૦૦૪-૨૦૦૫ દરમિયાન એક ટકાની આર્થિક વૃદ્ધિ ગરીબીમાં ફક્ત ૦.૧૦ ટકાનો ઘટાડો નિપજાવી શકી હતી. એની સરખામણીમાં ૨૦૦૪-’૦૫થી ૨૦૧૧-’૧૨નાં વર્ષોમાં એક ટકાનો આર્થિક વૃદ્ધિદર ગરીબીમાં ૦.૨૪ ટકાનો ઘટાડો નિપજાવી શક્યો હતો. એ જોઈ શકાય છ કે ભારતમાં થઈ રહેલી આર્થિક વૃદ્ધિની ગરીબી ઘટાડવાની ક્ષમતા ચીન અને બ્રાઝિલની તુલનામાં ઓછી છે. મૅક્સિકો, થાઇલૅન્ડ, ઇકવાડોર જેવા અન્ય કેટલાક દેશોમાં પણ આર્થિક વૃદ્ધિનો દર ભારતની તુલનામાં ઓછો હોવા છતાં ગરીબી ઘટવાનો દર ભારતની તુલનામાં વધારે છે.

ભારતમાં આર્થિક વૃદ્ધિનો ઊંચો દર ગરીબી ઓછા પ્રમાણમાં ઘટાડી શકે છે. એનો ખુલાસો, સર્જાતી આવકની અત્યંત અસમાન રીતે થતી વહેંચણીમાં શોધવાનો છે. ભારતમાં આવકની વહેંચણી અંગેનો એક સંશોધન-લેખ તાજેતરમાં પ્રગટ થયો છે. (‘ભારતમાં આવકની અસમાનતા, ૧૯૨૨-૨૦૧૪ઃ બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી?’) એના એક લેખક પિકેટી૧ આવકની અસમાનતા અંગેના એમના અભ્યાસથી વિશ્વસ્તરે પ્રસિદ્ધિ પામ્યા છે. ભારતમાં ૧૯૮૦થી ૨૦૧૪ વચ્ચે આર્થિક વૃદ્ધિના ઊંચા દરથી સર્જાયેલી આવકની જે અસમાન વહેંચણી થઈ છે તેનું ચિત્ર આ અભ્યાસમાંથી સાંપડે છે. તળિયાના ૫૦ ટકાના ભાગે વધેલી આવકનો ૧૧ ટકા હિસ્સો ગયો હતો; બીજે છેડે ટોચના ૧૦ ટકાના ભાગે ૬૬ ટકા જેટલો મોટો ભાગ ગયો હતો અને ટોચના એક ટકાના દસમા ભાગમાં લોકો પાસે ૧૨ (બાર) ટકા જેટલી આવક ગઈ હતી, તેનાથી વધારે આવક ટોચના એક ટકાના દસમા ભાગના લોકો પાસે ગઈ હતી.

આ ચિત્રને નક્કર સ્વરૂપે મૂકવા માટે આપણે એક ધારણા કરીએ. ૧૯૮૦થી ૨૦૧૪ના સાડા ત્રણ દસકા દરમિયાન દેશની સરેરાશ વસ્તી ૧૦૦ કરોડ ધારીએ. આ ધારણા પ્રમાણે તળિયાના ૫૦ કરોડ લોકોના ભાગે વધેલી આવકનો ૧૧ ટકા ભાગ ગયો. બીજી બાજુ ટોચના ૧૦ કરોડ લોકોના ભાગે ૬૬ ટકા આવક ગઈ અને સર્વોચ્ચ આવક ધરાવતા ૧૦ લાખ લોકોના ભાગે ૧૨ ટકા આવક ગઈ. આમ, ટોચના દસ લાખ લોકોને તળિયાના પચાસ કરોડ લોકો કરતાં વધારે આવક મળી હતી. ભારતમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ઊંચો હોવા છતાં ગરીબી પ્રમાણમાં કેમ ઓછી ઘટી છે તેનો એક મોટો ખુલાસો આ અત્યંત અસમાન રીતે થતી આવકની વહેંચણીમાં રહેલો છે. આનો અર્થ એવો થાય છે કે  દેશમાં થયેલા વિકાસમાં તળિયાના પચાસ ટકા લોકો અલ્પ પ્રમાણમાં જ સહભાગી થયા છે. પ્રચલિત શબ્દોમાં કહીએ તો દેશમાં થઈ રહેલો વિકાસ સર્વસમાવેશક (ઇન્ક્લુઝિવ) નથી.

પિકેટીએ સરખામણી માટે ચીનમાં વધેલી આવકની વહેંચણીનું ચિત્ર પણ આપ્યું છે. ચીનમાં પણ આર્થિક વૃદ્ધિ આવકની અસમાન વહેંચણી સાથે જ સંકળાયેલી છે, પણ ભારતની તુલનામાં ચીનમાં આવકની અસમાનતા ઓછી માલૂમ પડે છે. ચીનમાં તળિયાના ૫૦ ટકાના ભાગે વધેલી આવકનો ૧૩ ટકા ભાગ ગયો હતો (ભારતમાં ૧૧ ટકા) બીજે છેડે ચીનમાં ટોચના ૧૦ ટકા લોકોના ભાગે વધેલી આવકનો ૪૪ ટકા હિસ્સો ગયો હતો. (ભારતમાં ૬૬ ટકા). આવો જ મોટો તફાવત તળિયાના ૫૦ ટકા અને ટોચના ૧૦ ટકાની વચ્ચેના ૪૦ ટકાની બાબતમાં જોવા મળે છે. ચીનમાં એ મધ્યસ્થ ૪૦ ટકાના ભાગે ૪૩ ટકા આવક ગઈ હતી, જ્યારે ભારતમાં એ વર્ગના ભાગે ૨૩ ટકા આવક ગઈ હતી. આમ, ચીનની તુલનામાં ભારતમાં આવકની વધુ અસમાન રીતે વહેંચણી થઈ છે, વિશેષ કરીને ભારતમાં ટોચના દસ ટકા પાસે ઘણા મોટા પ્રમાણમાં આવક કેન્દ્રિત થઈ છે. આનો એક ખુલાસો ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની શાસકો સાથની સાંઠગાંઠમાં રહેલો છે.

પિકેટીએ એમના સંશોધન લેખને આપેલા શીર્ષકનો ઉત્તરાર્ધ માર્મિક છે : ‘બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી?’ એના મર્મને પામવા માટે ભારત અને ચીનમાં અબજપતિઓની તુલના કરવા જેવી છે. આ તુલનાત્મક ચિત્ર રુચિર શર્માએ રજૂ કર્યું હતું. ૨૦૧૨માં ભારતમાં ૫૫ અબજપતિઓ હતા; તેમની કુલ સંપત્તિ ૨૪૬ અબજ ડૉલર હતી, જે ભારતની જી.ડી.પી.ના ૧૭ ટકા જેટલી હતી. ભારતના ટોચના ૧૦ અબજપતિઓની સરેરાશ સંપત્તિ ૧૫ અબજ ડૉલર હતી. આની તુલનામાં ચીનમાં ૧૧૫ અબજપતિઓ હતા, પણ તેમની સંપત્તિ ૨૩૦ અબજ ડૉલર હતી, જે ચીનની જી.ડી.પી.ના ચાર ટકા જેટલી હતી. ચીનમાં ટોચના ૧૦ અબજપતિઓની સરેરાશ સંપત્તિ છ અબજ ડૉલર હતી. માથા દીઠ આવકની રીતે ભારત જ નહીં, ચીન કરતાં ઘણા આગળ દક્ષિણ કોરિયામાં ટોચના ૧૦ અબજપતિઓની સરેરાશ સંપત્તિ ત્રણ અબજ ડૉલર હતી. પિકેટીએ ભારત અબજપતિઓનું રાજ બની રહ્યું છે એવો ઇશારો કર્યો છે તેમાં અભિપ્રેત મુદ્દો સમજીએ. ભારતમાં આર્થિક વૃદ્ધિ જાણે કે કરોડપતિઓ અને અબજપતિઓ સર્જવા અને પોષવા માટે થતી હોય, એવું ચિત્ર ઊપસી આવે છે.’

ભારતમાં આર્થિક વૃદ્ધિ દ્વારા ઉકેલવાનો મોટો પ્રશ્ન યુવાનો માટે સારી રોજગારીની તકો સર્જવાનો છે. દેશમાં દર વર્ષે અંદાજે એક કરોડથી અધિક યુવાનો માટે રોજગારીની તકો ખેતીની બહાર સર્જવાની છે. કેમ કે  ખેતીના ક્ષેત્રે હવે રોજગારીની નવી તકો સર્જી શકાય તેમ નથી, પરંતુ દેશમાં કૃષિતર ક્ષેત્રોમાં છેલ્લા દોઢ દસકામાં જે આર્થિક વૃદ્ધિ થઈ છે, તેનાથી આપણી જરૂરિયાતની તુલનામાં ઘણી ઓછી રોજગારી સર્જાઈ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૦૦ પછીના છથી આઠ ટકા જેવા ઊંચા વૃદ્ધિદરનાં વર્ષોમાં ખેતીની બહાર બે ટકાના દરે રોજગારી વધી છે. એ પ્રમાણે ગણતાં ૨૦૧૨ સુધી દર વર્ષે લગભગ ૫૦ લાખ જેટલી રોજગારીની તકો સર્જાઈ હતી, એ પછીનાં વર્ષોમાં એનાથી પણ ઓછી રોજગારી સર્જાઈ છે. એની સામે, ઉપર નોંધ્યું છે તેમ, દર વર્ષે એક કરોડથી અધિક યુવાનો માટે આપણે રોજગારીની તકો સર્જવાની છે. જરૂરિયાતની તુલનામાં રોજગારીની ઘણી ઓછી તકો સર્જાતી હોવાથી દેશમાં થઈ રહેલી આર્થિક વૃદ્ધિને રોજગારીવિહીન વૃદ્ધિ (જૉબલેસ ગ્રોથ) કહેવામાં આવે છે.

જેને સારી રોજગારી ગણવામાં આવે છે, તે અર્થતંત્રના સંગઠિત ક્ષેત્રમાં સર્જાય છે. સાદી ભાષામાં કહીએ તો જ્યાં મજૂરકાયદાઓ લાગુ પડે છે, એવા એકમોમાં સારી રોજગારીની તકો સર્જાય છે. તેમાં તમામ સરકારી તંત્રો, જાહેરક્ષેત્રની કંપનીઓ તથા ખાનગીક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે. ૨૦૦૬થી ૨૦૧૨ના ગાળામાં સરકારી તંત્રો અને જાહેરક્ષેત્રની કંપનીઓમાં રોજગારીમાં બાર લાખનો ઘટાડો થયો હતો, જ્યારે ખાનગી ક્ષેત્રમાં રોજગારીમાં ૩૨ લાખનો વધારો થયો હતો. સરકારી ક્ષેત્રની ઘટેલી રોજગારીને બાજુ પર રાખીએ તો પણ સંગઠિત ક્ષેત્રે વર્ષે માત્ર પાંચ લાખ જેટલી રોજગારી સર્જાઈ હતી. આમ સારી રોજગારીનો દેશમાં દુકાળ પ્રવર્તે છે. આ સ્થિતિ કેટલી ગંભીર છે, તેનો ખ્યાલ નીચે વર્ણવેલી વાસ્તવિકતામાંથી આવે છે.

મધ્યપ્રદેશમાં ચોથા ગ્રેડની સરકારી નોકરી માટે શૈક્ષણિક લાયકાત દસમા ધોરણની હતી, પણ તેના માટે ૧૨,૦૦૦ એન્જિનિયરોએ અને ૩૪ પીએચ.ડી.એ અરજી કરી હતી. ઉત્તરપ્રદેશમાં પટાવાળાની ૩૬૮ જગાઓ માટે ૨૩ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. અમરોહામાં ૧૧૪ સફાઈ-કામદારો માટે ૧૯,૦૦૦ અરજીઓ મળી હતી. તેમાં એમ.બી.એ. અને એન્જિનિયરોનો પણ સમાવેશ થતો હતો. જુદાં જુદાં રાજ્યોમાં પ્રમાણમાં સારી સ્થિતિમાં રહેલી જ્ઞાતિઓ પણ અનામતની માગણી કરી રહી છે, તેનું કારણ સારી રોજગારીના દેશમાં પ્રવર્તતા દુકાળમાં રહેલું છે.

દેશ આઝાદ થયો તે પહેલાંથી બેકારીની ગંભીર સમસ્યા માટે દેશનો મોટા પાયે ઔદ્યોગિક વિકાસ કરવો પડશે, એ વિશે આપણે સ્પષ્ટ હતા. એ માર્ગે ૧૯૫૦ પછીનાં વર્ષોમાં સિંગાપુર, તાઇવાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો મોટા પ્રમાણમાં રોજગારી સર્જી પણ શક્યા છે, પણ ભારતમાં ઉદ્યોગોનો જે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી. (અહીં ઉદ્યોગો એટલે મૅન્યુફૅક્ચરિંગ સમજવાનું છે.) તેથી ઉદ્યોગોએ આપણને રોજગારી સર્જવાની બાબતમાં નિરાશ કર્યા છે. ૧૯૭૭-’૭૮માં ઉદ્યોગોના ક્ષેત્રે ૧૦.૪ ટકા કામદારો રોકાયેલા હતા. એ પ્રમાણ ૨૦૧૧-૧૨માં વધીને માત્ર ૧૨.૬ ટકા થયું હતું. જે દેશો સફળતાપૂર્વક ઔદ્યોગિક વિકાસ સાધી શક્યા છે, તેમાં ઉદ્યોગોના ક્ષેત્રે ૨૦ ટકા કે તેથી વધારે કામદારો રોજગારી મેળવે છે. અહીં આપણે વિકાસશીલ દેશોની વાત કરીએ છીએ. જી.ડી.પી.માં ફાળાની રીતે પણ દેશમાં ઉદ્યોગોનો દેખાવ નિરાશાજનક રહ્યો છે : ૧૯૭૭-’૭૮માં જી.ડી.પી.માં ઉદ્યોગોનો હિસ્સો ૧૩.૭ ટકા હતો, તે વધીને ૨૦૧૩-’૧૪માં ૧૪.૯ ટકા થયો હતો. દક્ષિણ કોરિયા આદિ દેશોમાં ઉદ્યોગોનો જી.ડી.પી.માં હિસ્સો ૨૫થી ૩૦ ટકા જેટલો હોય છે.

ભારતમાં ઔદ્યોગિક વિકાસ અપેક્ષા કરતાં ઓછો થયો છે; એટલું જ નહીં, જે ઉદ્યોગો વિકસ્યા છે તેમાં ઓછા રોજગારપ્રચુર ઉદ્યોગોનું પ્રાધાન્ય છે. ઓટોમોબાઇલ, ઓટોપાટ્‌ર્સ, ઈજનેરી સામાન, પેટ્રોલિયમ રિફાઈનરી, ફાર્માસ્યુિટકલ્સ, માહિતી ટેક્‌નોલૉજી વગેરે તેનાં ઉદાહરણો છે. ઓટોમોબાઈલમાં રૂ. એક લાખના રોકાણથી ૦.૩ રોજગારી સર્જાય છે, તેની તુલનામાં વસ્ત્રઉદ્યોગમાં ૨૪ જેટલી રોજગારી સર્જાય છે. દેશમાં શ્રમપ્રચુર ઉદ્યોગોના સાપેક્ષમાં મૂડીપ્રચુર ઉદ્યોગોનો વિકાસ મોટા પ્રમાણમાં કેમ થયો એ એક મોટા મતભેદનો મુદ્દો છે. પણ એ ચર્ચામાં અહીં આપણે નહીં જઈએ. એક બાબત સ્પષ્ટ છે : દેશમાં થતી આર્થિક વૃદ્ધિને વધુ રોજગારીપ્રચુર બનાવવા માટે દેશમાં શ્રમપ્રચુર ઉદ્યોગોનો વિકાસ મોટા પ્રમાણમાં થાય તે જરૂરી છે, કેમ કે દેશમાં જી.ડી.પી.ના એક ટકાના વધારાથી રોજગારીનું પ્રમાણ ઘટતું માલૂમ પડ્યું છે. ૧૯૭૦થી ૧૯૮૫ દરમિયાન જી.ડી.પી.માં એક ટકાનો વધારો રોજગારીમાં ૦.૪૩ ટકાની વૃદ્ધિ નિપજાવતો હતો. ૧૯૯૪-’૯૫થી ૨૦૦૯-’૧૦ દરમિયાન રોજગારીની વૃદ્ધિનું એ પ્રમાણ ઘટીને ૦.૩૩ ટકા થયું હતું.

આ નાના દેખાતા આંકડાનું મહત્ત્વ સમજીએ. ૧૯૭૦થી ૧૯૮૫ના ગાળામાં સાત ટકાનો જી.ડી.પી.નો વૃદ્ધિદર રોજગારીમાં ત્રણ ટકાનો વધારો નિપજાવી શકે. રોજગારીમાં એટલો જ વધારો નિપજાવવા માટે આજે આર્થિક વૃદ્ધિ નવ ટકાથી ઊંચા દરે થાય તે જરૂરી બન્યું છે. કેમ કે આર્થિક વૃદ્ધિની રોજગારી સર્જવાની ક્ષમતામાં ૨૦૧૦ પછી વિશેષ ઘટાડો થયો છે.

દેશમાં સરકારી રાહે આઠ ટકાથી અધિક દરે, બને તો ૧૦ ટકાના દરે દોઢથી બે દસકા સાતત્યપૂર્ણ રીતે આર્થિક વૃદ્ધિ સાધવાનું જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેનો આ ખુલાસો છે. પણ ચીનના એકમાત્ર અપવાદને બાદ કરતાં દુનિયાનો કોઈ દેશ આવા ઊંચા દરે બે-અઢી દસકા જેવા લાંબા સમય માટે આર્થિક વૃદ્ધિ સાધી શક્યો નથી. ચીનની અદ્વિતીય સિદ્ધિ માટે ત્રણ પરિબળો કારણભૂત હતાં, જે ભારતમાં મોજૂદ નથી. એક, ચીનમાં બચતદર ૫૦ ટકાની ઊંચી સપાટી પર રહ્યો હતો. ભારતમાં બચતદર ૩૦ ટકાની આસપાસ રહે છે. બીજું, ચીનમાં સરકાર સતત મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરતી રહી હતી, ભારતમાં સરકાર એવા મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાતત્યપૂર્ણ રીતે મૂડીરોકાણ કરી શકે તેમ નથી. ત્રીજું, ચીનને વૈશ્વિકીકરણનો લાભ મળ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ઊંચા દરે વધારો થયો હતો, તેથી ચીન તેની નિકાસોમાં ગંજાવર વધારો કરી શક્યું હતું. આજે દુનિયાનાં બજારો ચીનની પેદાશોથી ઊભરાય છે. દુનિયાના વિવિધ દેશોમાં બજારોનો લાભ લેવાની ચીનના ઉદ્યોગપતિઓની આવડત પણ તેમાં કામ કરી ગઈ છે. પણ હવે વૈશ્વિકીકરણનાં વળતાં પાણી થયાં છે અને રાષ્ટ્રવાદનો પ્રવાહ શરૂ થયો છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિમાં ઓટ આવી છે. આ સંજોગોમાં ભારત તેની નિકાસોમાં ચીનના જેવા ઊંચા દરે લાંબા સમય સુધી વધારો થયા કરવાની આશા રાખી શકે નહીં.

આ સ્થિતિમાં આઠ-નવ ટકાના વૃદ્ધિદર માટેના પ્રયત્નો ભલે ચાલુ રાખીએ પણ તે સમયે થઈ રહેલી આર્થિક વૃદ્ધિની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ; એક, સર્જાતી આવકની વહેંચણીની અસમાનતા ઘટાડવાની દિશામાં પગલાં ભરીએ. બીજું, થઈ રહેલી આર્થિક વૃદ્ધિની ગરીબી ઘટાડવાની ક્ષમતા વધારવાના માર્ગો વિચારીએ. અન્ય દેશોનો અનુભવ તેમાં માર્ગદર્શક નીવડી શકે. ત્રીજું, થઈ રહેલી આર્થિક વૃદ્ધિની સારી રોજગારી સર્જવાની ક્ષમતામાં મોટો વધારો કરવાની દિશામાં ગંભીરભાવે વિચારણા કરવાની તાતી જરૂરિયાત છે. કમનસીબે, આર્થિક સુધારાની મોટા ભાગની દરખાસ્તો આર્થિક વૃદ્ધિના દરને વધારવા માટે હોય છે, પણ આર્થિક વૃદ્ધિની અભિમુખતા બદલવા માટે નથી હોતી.

પાલડી, અમદાવાદ

1 પિકેટીના સંશોધન લેખ માટે જુઓ : Lucas Chancel, Thomas Piketty, Indian Income Inequality, 1922-2014: From British Raj to Billionaire Raj ? July 2017.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 03-05

Loading

નૉબેલ પુરસ્કાર વિજેતા ઇશિગુરો

રમેશ કોઠારી|Opinion - Literature|15 November 2017

જાપાનના વડાપ્રધાન એબેના તાજેતરની મુલાકાતથી જે હર્ષોલ્લાસની છોળો ઊછળી, ‘વિકાસ’નો રથ ઝડપથી દોડવાનાં સ્વપ્નો જોતા થયા, ત્યાં મૂળ જાપાનના જ પણ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા કાઝુઓ ઇશિગુરોને સાહિત્યનું સર્વોચ્ચ સન્માન, નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થવાથી, જાપાને સાધેલા આ ‘વિકાસ’માં ક્યારેક સહભાગી થવાની શક્યતાના સ્વપ્નો જોવાનો આનંદ પ્રાપ્ત થયો. આ એ ઇશિગુરો છે જે વિશ્વયુદ્ધને કારણે છિન્નભિન્ન થઈ ગયેલા પરિવારોની તેના કારણે બદલાયેલી અંગત જીવનશૈલીની, સ્થળાંતરની પીડાની વાત, વધુ સ્ફુટ થયા વિના કરે છે. તેમની પ્રત્યેક નવલકથામાં આ જ સ્મરણો વાગોળાતાં જોવા મળે છે. નાગાસાકીમાં જન્મેલા, આ પ્રથમ પંક્તિના સર્જકની કૃતિઓ તેમની વિશિષ્ટ ગદ્યશૈલીના કારણે ધ્યાનાર્હ બની છે. તેમણે ક્યારેક ગીતકાર અને ગાયક બનવાની, સંગીતક્ષેત્રે કારકિર્દી ઘડવાની-મહત્ત્વાકાંક્ષા સેવી હતી, જે ભલે અપૂર્ણ રહી પણ તેમની આ પ્રતિભાનો સરવાળે ફાયદો તો સાહિત્યને જ થયો.

ઇશિગુરોને રૉયલ સોસાયટી ઑફ લિટરેચર દ્વારા અપાતું વિનિફ્રેડ હોલ્ટબી પ્રાઇઝ, બુકર પ્રાઈઝ, સમકાલીન શ્રેષ્ઠ યુવા બ્રિટિશ સર્જકોની યાદીમાં સમાવેશ એમ વિવિધ રીતે નવાજવામાં આવ્યા છે, પણ આ બધી બાબતોમાં તે સાવ નિર્લેપ છે. પોતાની કૃતિઓમાં માત્ર જાપાનના વારસાને વ્યક્ત કરવાને બદલે બૃહદ્દ માનવજાતની સમસ્યાઓ, વંદના અને નિસબત લઈ આવવામાં સર્જકધર્મ સમજે છે. તસલીમા નસરીનની જેમ, ભલે સ્થાપિત હિતો તેમની ઓળખ મર્યાદિત કરી નાખે પણ એક સર્જકની દૃષ્ટિએ, અનુકંપા, સંવેદન સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે.

ઇશિગુરો પોતાને પ્રભાવિત કરનાર દોસ્તોવેસ્કી અને કાફકા, ચેખોવનો ઋણસ્વીકાર કરવાની સાથે જેમણે દેશનિકાલનો સામનો કરવો પડ્યો હતો તે મિલાન કુંદેરા, બેકેટ અને હેન્રી પ્રત્યેના આકર્ષણનો ય ઉલ્લેખ કરે છે. તેમણે સ્વયં પોતાની exile હોવાનો ક્યારે ય ઉલ્લેખ કર્યો નથી પણ દેશવટાનું કથાવસ્તુ તેમની ઘણી કૃતિઓમાં ડોકાયા કરે છે. તેમની નવલકથાઓ જાસુસી, વિજ્ઞાન, ફૅન્ટસી, સ્વપ્નલોક, અતિ વાસ્તવવાદ, મૅજિક રિયાલિઝમ એમ વિવિધ ક્ષેત્રોમાં વિહરે છે.

શૈશવકાળમાં, જાહેર ગ્રંથાલયમાં શેરલોક હોમ્સ અને વોટ્‌સનના વાચનથી શરૂ થયેલી આ સાહિત્યિક ખેપ, તેમના લખાણને ઉત્તરોત્તર લોકપ્રિય બનાવતી ગઈ અને સ્વીકૃતિની ક્ષિતિજો વિસ્તરતી ચાલી.

‘A Pale view of Hills’, ‘The Remains of the Day’, ‘Never Let Me Go’, ‘When we were orphans’, ‘An Artist of the Floating World’, ‘The Buried Giant’ જેવી ઇશિગુરોની નવલકથાઓમાં નાયક, કથક કે મુખ્ય પાત્ર પોતાની જાતને એવા ભૂતકાલીન વિશ્વમાં ખેંચી જાય છે, જે ક્યારે ય પુનઃજીવિત થવાનું નથી. અહીં કોઈ માતા, પોતાની પુત્રી જે આપઘાત કરી જીવનનો અંત લાવી બેઠી છે તેને યાદ કરી વિલાપ કરે છે. કોઈ વૃદ્ધ દંપતી ખોવાઈ ગયેલા પુત્રની શોધમાં વતન છોડી નીકળી પડતાં જોવા મળે છે, ગેરસમજનો ભોગ બનેલ કોઈ સદ્‌ગૃહસ્થ દેશદ્રોહીમાં ગણના પામે છે. યુદ્ધ કેટલાં સમીકરણો બદલી નાંખે છે!

ઇશિગુરોના વાચકોને સૌથી વધારે સ્પર્શી જતી કૃતિ ‘The Remains of the Day’ છે. જેમાં સ્ટિવન્સ નામનો બટલર, જ્યાં વર્ષો લગણ કામ કર્યું છે, તે Darlington Hall, તેના અવસાન પામેલા મૂળ માલિક, નવા માલિક શ્રીમાન ફેરેડ, પોતે જેની સાથે આ વિશાળ મકાનમાં નોકરી કરી હતી, તે કેન્ટન નામની મહિલા, અન્યત્ર કાર્યરત બટલર્સ સાથેના સંબંધોને આ સ્થળની મુલાકાત દરમિયાન સ્મરે છે અને અકથ્ય પીડા અનુભવે છે. અહીં ક્યારેક યોજાતી રહેતી પેલી ભવ્ય મિજબાનીઓ, મુલાકાતે આવતા મહાનુભાવો, તેમની ચર્ચાઓ ‘तेहिनो दिवसा: गता’ ન્યાયે બધું જ ભૂતકાળની ગર્તામાં દટાઈ ગયું. એક રશિયન કવિની સલાહ પ્રમાણે One Should not visit the place where one spent his childhood, કારણ કે ભૂતકાળનાં દૃશ્યો અને વ્યક્તિઓ હવે મુખોમુખ ન થવાથી પીડા સિવાય કશાયની ભેટ મળતી નથી. એવું જ જ્યાં જિંદગીનાં ઉત્તમ વર્ષો નોકરીના ગાળ્યાં હોય, કોઈ તેની બાબતમાં, સ્ટિવન્સની આંખો ઘણું બધું શોધી રહી પણ વ્યર્થ.

વ્યવસાયે સામાન્ય બટલર પણ નિષ્ઠા, સમર્પણને લાગેવળગે છે, ત્યાં સુધી તે ઉચ્ચ શિખરો સર કરે છે. તેને વિશ્વયુદ્ધ ચાલુ હતું તે ગાળાનો અને ત્યાર બાદનો પણ અનુભવ છે. તેને કેન્ટન માટે કૂણી લાગણી છે, જે અવ્યક્ત રહે છે. કેન્ટન બીજાને પરણી ગઈ છે પણ તેમનું દાંપત્યજીવન પ્રસન્ન નથી અને તે ડાર્લિંગ્ટન હૉલમાં નોકરી મેળવવા ઉત્સુક છે, તે સ્ટિવન્સ પોતાને મળેલા તેના પત્ર પરથી સમજી શકે છે. કેન્ટન એકરાર કરે છે કે સ્ટિવન્સને પરણીને તે નિશ્ચિતપણે સુખી થઈ હોત-પોતે, તે ન મળવાથી કેટલી વ્યગ્રતા અનુભવે છે, તે સ્ટિવન્સ જણાવા દેતો નથી અને અન્યોન્ય લાગણી અકબંધ રાખી બંને છૂટાં પડે છે.

ઇશિગુરોનાં પાત્રો વાચકની સહાનુભૂતિ મેળવવામાં સફળ થાય છે, કારણ કે એક યા બીજા કારણે થતું સ્થળાંતર સ્વજનોનો વિરહ, પ્રણયાનુભૂતિ, સમર્પણ, ગેરસમજ વગેરે આપણા પોતીકા ય અનુભવો ક્યાં નથી બની રહેતા?

અમેરિકા અને ઉત્તર કોરિયાના સત્તાભૂખ્યા વિકૃત મનોદશા ધરાવતા એકબીજાને પાઠ શીખવવા તત્પર, વિશ્વયુદ્ધને કારણે વેરાનારા વિનાશથી વિચલિત ન થનારા શાસકો, થોડો સમય ઇશિગુરો માટે ફાળવે તો કેવું સારું? સત્તાધીશોનો નહીં –  સાહિત્યકારોનો, સંસ્કૃિતના રક્ષકોનો સભ્ય – સમાજના નિર્માણ માટે મથનારાના વિકાસનો આપણે ખપ છે. કહેવાતા ‘વિકાસ’ના વાયુમંડળમાં વિહરતા, પ્રસિદ્ધ ભૂખ્યા સત્તાધીશોને, માનવજરૂરિયાતો બસ આટલી જ છે તે, કોણ સમજાવે?

‘Some food, some clothes, some fun and someone’ આટલું મળે, એટલે પત્યું મારા ભૈ! ઇશિગુરોએ નોબેલ પ્રાઇઝ મળવાની અપેક્ષા જ રાખી નહોતી, ઊલટાનું એમણે તો આંચકો અનુભવ્યો.

‘If I had even a suspicion, I would have washed my hair this morning’ પૂરી પાત્રતા હોવા છતાં ય, માન-અકરામ ન મળવાથી વિચલિત ન થનારા છવાઈ જવા વલખાં ન મારનારા, પોતાના સર્જનને ન બોલવા દેનારાની જમાત કદાચ નાની તો નથી જ.

‘ઊગતા સૂર્યના દેશ’ના આ સૂરજનું અજવાળું વિશ્વભરમાં પ્રકાશ પાથરતું રહે, એમ આપણે ઇચ્છીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 06

Loading

...102030...3,2833,2843,2853,286...3,2903,3003,310...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved