Opinion Magazine
Number of visits: 9584112
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીડિતાના પસંદગીના અધિકારનું શું?

શેખર ગુપ્તા|Opinion - Opinion|27 September 2017

આવા કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા મુદ્દા જોઈને જામીન આપી દેવાય, તે વાજબી ગણાય?

આખરે કોઈ યુવતી પોતાના પુરુષ મિત્રની સાથે ટાઇટ જીન્સ અને ટીશર્ટ પહેરીને મોડી રાત્રે ફિલ્મ જોવા શા માટે જાય છે? શું આનાથી સ્વચ્છંદ સંબંધો જાહેર નથી થતા? તેણે પોતાનાં માતા-પિતા અને કૉલેજને જણાવ્યું શા માટે નહીં? તે એવી ખાલી બસમાં શા માટે બેઠાં, જેમાં છ લોફર સિવાય બીજું કોઈ નહોતું? આ કેવું અવિવેકી, દુ:સાહસી અને બેજવાબદાર વર્તન હતું? બસમાં બેઠેલા લોકોએ દુષ્કર્મ કરીને અને સાથે રહેલા યુવકને માર મારીને તો ખોટું જ કર્યું, પણ તમે તેમના માટે ઉત્તેજક સ્થિતિ શા માટે ઊભી થવા દીધી?

જ્યારે તેઓ ઉત્તેજિત થઈ ગયા, તો પછી આસારામ બાપુના કહ્યા અનુસાર તેમને ભાઈ કહીને તેમના કાંડે રાખડી બાંધવાની રજૂઆત કેમ ન કરી? એ બધું નિરર્થક જાય, તો પછી શાંતિથી બધું થવા કેમ ન દીધું? આનાથી તું હિંસા અને મોત-માંથી ઉગરી શકી હોત. બીજું એ કે, તારે તો બોયફ્રેન્ડ પણ હતો, કદાચ અંતરંગ સંબંધોની આદત પણ હશે. તેવામાં ઘાતક સંઘર્ષ કરવાની જરૂર શું હતી?

કાશ! એ મૂરખ છોકરાઓએ તને મારી ન નાખી હોત, તો તેમને થોડી હળવી સજા સંભળાવાઈ હોત, જેને મુલતવી રાખી શકાઈ હોત, કારણ કે ત્યારે આવા કિસ્સાઓની પહેલાં કે પછી થનારી ગંભીર હિંસા ન થઈ હોત. બનવાજોગ છે કે એ છોકરાઓ પણ બેંગલુરુની ઇન્સ્ટિટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ(નિમહાન્સ)માં રહેલા દેશના સૌથી મોટા મનોવૈજ્ઞાનિકો પાસેથી કાઉન્સેલિંગ પછી સામાન્ય જિંદગીમાં પરત ફરી શક્યા હોત. અદાલતોએ પણ કદાચ નિમહાન્સના ડાયરેક્ટરને એ કામ પ્રાથમિકતાના ધોરણે કરવાનું કહ્યું હોત. આ એવી વીતકકથા છે, જેમાં આઠ જિંદગીઓ અને એટલા જ પરિવારોને ખાઈમાં ધકેલી દેવામાં આવ્યા.

સમગ્ર દેશને હચમચાવી નાખનારા નિર્ભયાકાંડ વિશે આવું લખવાને કારણે તમે મારા પર રોષે ભરાયા હો, તો મારો પ્રયાસ સફળ થયો. ચાલો, નિર્ભયા કાંડના એક વર્ષ પછી હરિયાણાના સોનિપતમાં બનેલી ઘટના જોઈએ. ઓ.પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની બોયફ્રેન્ડ પર બ્લેકમેલ અને તેના મિત્રો સાથે અનેક વખત દુષ્કર્મનો આરોપ મૂકે છે, જેમાં એક પરિસ્થિતિ તો સામૂહિક દુષ્કર્મ જેવી પણ હતી. પહેલાં છોકરાએ પોતાની નિર્વસ્ત્ર તસવીરો મોકલી, પછી તેને પોતાની તસવીરો મોકલવા માટે કહ્યું. પછી તેને ધમકી આપી કે તે એ તસવીરોને કેમ્પસમાં બધાને અને તેનાં માતા-પિતાને બતાવી દેશે. તેણે આ બધું એક મેજિસ્ટ્રેટની સામે નિર્ભયાકાંડ પછી ઘડાયેલા એક કાયદાના સંદર્ભે સી.આર.પી.સી. કલમ 164 હેઠળ નોંધાવ્યું. તેણે એમ પણ કહ્યું કે બોયફ્રેન્ડે તેને બ્લેકમેલ કરીને તેને એક સેક્સ ટૉય ખરીદીને તેનો ઉપયોગ કરવા માટે પણ ફરજ પાડી, જેને તેણે સ્કાઇપ પર જોયું.

નીચલી અદાલતનાં જજ સુનીતા ગ્રોવરે યુવતીના આરોપો માન્ય રાખ્યા. ત્રણ છોકરાઓને દુષ્કર્મ, બ્લેકમેલ, આઈ.ટી. કાયદાના ઉલ્લંઘન સહિત અનેક આરોપો માટે ગુનેગાર ઠેરવાયા અને દુષ્કર્મ માટે 20 વર્ષની સજા સહિત અન્ય સજાઓ પણ ફટકારવામાં આવી. દોષિતોએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી. અલબત્ત, બે અઠવાડિયાં પહેલાં હાઈકોર્ટની બેન્ચે આ કિસ્સામાં ગુનાની ગંભીરતા ઓછી કરનારા અમુક મહત્ત્વના મુદ્દા જોઈને દુષ્કર્મ/બ્લેકમેલના દોષિતોને જામીન આપી દીધા. બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે આ આદેશમાં તે જે કહી રહ્યા છે, તેની અપીલ પર કોઈ અસર ન પડવી જોઈએ.

જો કે, આપણે ત્યાં અપીલની પ્રક્રિયામાં સમય લાગે છે. માટે સારું એ રહેશે કે આ યુવાનોને છોડી દેવામાં આવે. તેઓ નવેસરથી જિંદગી શરૂ કરે, અભ્યાસ પૂરો કરે, જરૂર પડે તો અદાલતની મંજૂરી લઈને વિદેશ પણ જાય. છોકરાઓનું દિલ્હીની એઇમ્સમાં કાઉન્સેલિંગ કરવામાં આવે. એઇમ્સના ડાયરેક્ટરને આદેશ આપવામાં આવ્યો કે તેઓ સમગ્ર પ્રક્રિયાનો રિપોર્ટ અદાલતને આપતા રહે.

જજોની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવવાનો મારો જરા પણ આશય નથી. ફરિયાદીની પૃષ્ઠભૂમિ, વ્યવહાર, દોષિતો સાથેના તેના સંબંધોના આધારે તેમણે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ચર્ચાને કોઈ અવકાશ જ નથી. પણ અહીં મેં કાયદાનાં તજ્જ્ઞ, મારાં સાથી અપૂર્વા વિશ્વનાથની મદદથી આદરણીય જજોના 12 પાનાંના આદેશમાંથી અમુક અંશ કાઢ્યા છે:

પીડિતાની જુબાની અને દલીલો દર્શાવે છે કે ત્રણ આરોપીની સાથે તેને અંતરંગ સંબંધ રહ્યા છે અને કોઈ પણ તબક્કે તેણે પોતાની માનસિક પરિસ્થિતિ કૉલેજના અધિકારીઓ કે વાલીઓ અથવા મિત્રોની સામે જાહેર કરવાનો પ્રયત્નો નથી કર્યો. દલીલ વખતે પીડિતાએ માન્યું કે હોસ્ટેલના રૂમની તપાસમાં વૉર્ડનને કોન્ડોમ મળ્યા હતા, પરંતુ વાલીઓને તેની જાણ કરવામાં આવી નહોતી. તેણે સ્વીકાર્યું કે તેને ‘ક્લાસિક’ સિગારેટ પીવાની આદત છે. તેણે નશાકારક પદાર્થ લેવાની વાત સ્વીકારી પણ કહ્યું કે એ તેણે પોતાની મરજીથી નથી લીધા. આ પદાર્થ ‘જોઇન્ટ’ હતા. આ સમગ્ર ઘટનાક્રમ યુવાનોની પતનશીલ માનસિકતા દર્શાવે છે, જેમાં નશાકારક પદાર્થો, દારૂ, અંતરંગ સંબંધો અને ચરિત્રહીનતાના કીચડમાં ખૂંપેલા સંબંધો બંધાય થાય છે. આશ્ચર્યની વાત નથી કે આપણી સામે એવી કથા છે, જેમાં ચાર યુવાન જિંદગીઓ અને એટલા જ પરિવારો રસાતળમાં પહોંચી ગયા છે.

પીડિતાનું બયાન મિત્રો સાથે તેના અનૌપચારિક સંબંધ તથા એવા સંબંધોમાં દુઃસાહસ અને પ્રયોગશીલતાની કહાણી જેવું છે. આ તથ્યો સજા મુલતવી રાખવા માટેની અરજી પર વિચાર કરવાનું અકાટ્ય કારણ દર્શાવે છે અને સમગ્ર ઘટનાક્રમ એ ખૌફનાક હિંસા નથી દર્શાવતો, જે આવી ઘટનાઓ પહેલાં અને પછી સામાન્ય રીતે થાય છે. હવે તો તમે આ લેખની શરૂઆતમાં લખેલા અંશોનો આશય સમજાઈ ગયો હશે. મારી દલીલ સ્વયંસ્પષ્ટ કરે છે. ફરીથી કહું છું કે હું જજોના તર્ક સામે સવાલ નથી ઉઠાવી રહ્યો. હું કોઈ પિતૃસત્તાક વ્યવસ્થાની કે નૈતિકતાની દુહાઈ પણ નથી આપતો. હું માત્ર યુવાનોના શારીરિક સંબંધો અને જીવનશૈલીની પસંદગી મુદ્દે વધારે સંવેદનશીલ બનવાનું સૂચન કરું છું.

જોનાથન કેપ્લનની 1988ની એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘ધ એક્યૂઝ્ડ’ જોવી સારી શરૂઆત હોઈ શકે છે. જૂડી ફોસ્ટર દ્વારા અભિનીત સામૂહિક દુષ્કર્મની શિકાર બનેલી પાત્ર વર્કિંગ વુમન છે. લિયો રોસી દ્વારા અભિનીત બચાવ પક્ષનો સાક્ષી પૂછે છે, ‘દુષ્કર્મ? આ વેશ્યા છે … તેને આ બધું પસંદ છે. હવે બીજાને દોષ આપી રહી છે.’ 1988ની ફિલ્મમાં આ દલીલને સ્વીકારાતી નથી. શું તેને 2017માં, વાસ્તવિક જિંદગીમાં સ્વીકારવી જોઈએ? 

સૌજન્ય : ‘વૈચિત્રયમ્‌’, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2017

Loading

દાસ કેપિટલ : શ્રમનો સૂર્યોદય

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|27 September 2017

‘દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’

આ વાક્ય કોનું? એવો સવાલ આપણને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો મોટાભાગના સાચો જવાબ આપી શકે – કાર્લ માર્ક્સ.

માર્ક્સનું બીજું એક વાક્ય પણ આપણા કાને અને આંખે વારંવાર અથડાતું હોય છે, ‘ધર્મ એ સમાજનું અફીણ છે.’ મૂડીવાદી માહોલમાં માર્ક્સ વિશે આનાથી વધારે આપણે ભાગ્યે જ જાણી શકવાના! પણ, કાર્લ માર્ક્સ એવા મહાનુભાવ છે, જેનું નામ દુનિયાના ઇતિહાસમાં કાલજયી છે અને રહેવાનું છે. કાર્લ માર્ક્સને આટલા બધા ‘માર્ક્સ’ તેમના પ્રત્યેના ભક્તિભાવને કારણે નહીં, પરંતુ તેમના વિચારો અને પુસ્તકોએ દુનિયા પર એક જે પ્રભાવ પાડ્યો, એને ઇતિહાસ અવગણી શકે એમ નથી.

માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે મજૂરોના શોષણ અને અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની વાત કરી છે, એમાં કંઈ ખોટું છે? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના … અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869) પણ નહોતા!

આજે માર્ક્સ પારાયણ કરવાનું નિમિત્ત બન્યું છે, તેમનું પુસ્તક ‘દાસ કેપિટલ’. ગત 14મી સપ્ટેમ્બરના રોજ આ શકવર્તી પુસ્તકના પ્રકાશનને 150 વર્ષ પૂરાં થયાં. એક પુસ્તકનો શું પ્રભાવ હોઈ શકે, એની વાત કરવી હોય તો ‘દાસ કેપિટલ’ તેનું એક મોટું ઉદાહરણ બની શકે એમ છે, કારણ કે આ એક પુસ્તકે દુનિયાની કેટલીક સત્તાઓને ઊથલાવી દીધી હતી. વિશ્વમાં સૌથી પ્રભાવશાળી પુસ્તકોમાં ‘બાઇબલ’ પછી તેનો બીજો ક્રમ આવે છે. ઘણા તો આને ‘રેડ બાઇબલ’ પણ ગણાવે છે. રશિયા અને ચીન જેવા દેશોમાં આ પુસ્તકના પ્રભાવને કારણે ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી હતી. આ દેશોની ક્રાંતિએ બીજા અનેક નાના-મોટા દેશોમાં ક્રાંતિનો ચેપ લગાવ્યો હતો અને મૂડીવાદ સામે સામ્યવાદનો પડકાર સર્જાયો હતો. જો કે, માર્ક્સના વિચારો કરતાં પણ સામ્યવાદના નામે સંતોષાયેલી સત્તાવિસ્તારની લાલસાએ માર્ક્સ અને સામ્યવાદને ખૂબ જ બદનામ કર્યા છે. સામ્યવાદી શાસનમાં શ્રમિકો અને ખેડૂતોનું શોષણ અટક્યું ને તેમના ‘અચ્છે દિન’ આવી ગયા, એવું ન બન્યું, માત્ર શોષણખોર બદલાયા અને સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ લટકામાં. આને કારણે જ સામ્યવાદનાં વળતાં પાણી થયાં. તો શું માર્ક્સના વિચારો અને સામ્યવાદ નિષ્ફળ ગયા છે? અપ્રસ્તુત થયા છે? આનો જવાબ સ્પષ્ટ રીતે હા પાડી શકાય એમ નથી. સામ્યવાદે અર્થતંત્રમાં શ્રમ અને શ્રમિકના મૂલ્યને પ્રસ્થાપિત કરી આપ્યું છે અને એને કારણે જ આજે આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવાની સમજ અને શક્તિ જોવા મળે છે. કાર્લ માર્ક્સના પુસ્તક ‘દાસ કેપિટલે’ શ્રમનો સૂર્યોદય કરાવ્યો હતો, એવું કબૂલ કરવું જ પડે.

તમે શું માનો છો? 

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2017

Loading

લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|26 September 2017

કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે …

સોશિયલ મીડિયા પરથી ઉછળેલો, પ્રસાર માધ્યમોમાં ચગેલો ને સત્તાધારી પક્ષને બરાબર ચચરેલો મુદ્દો છેઃ ‘વિકાસ ગાંડો થયો છે’. સરકારના ટીકાકારો એ વાતે રાજી થયા છે કે બહુ વખતે ભાજપની નેતાગીરી ઘાંઘી થઈ છે. આ ઝુંબેશ કોંગ્રેસે ચલાવી હોત (કાશ, કોંગ્રેસ આટલી અસરકારક ઝુંબેશ ચલાવી શકે એવું દૈવત ધરાવતી હોત) તો તેને કદાચ સહેલાઈથી તોડી પડાઈ હોત. પણ એ કોંગ્રેસની ઝુંબેશ ન હોવાથી તેનો પ્રતિકાર કરવાનું ભાજપને અઘરું પડી ગયું છે. ચપ્પુથી પાકાં કેળાં કાપવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી એક દિવસ એ જ ચપ્પુથી લીલું નારિયેળ છોલવાનું આવે, એવી દશા ગુજરાત ભાજપની થઈ છે.

શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા — મૂછે લીંબું લટકાવીને ફરનારા — ‘વિકાસ ગાંડો થયો છે’ – જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ — એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.

ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા?  મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી. કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.

અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.

અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રૂમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.

અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.

છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી.

એમ.ઓ.યુ.ના નામે મીંડાંની ભરતી આવી. આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. આ જ રીતે અગાઉ ગુજરાતે પણ તાતાને ઉદાર શરતે લોન આપી હતી – નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.

આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળિયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.

હવે જેમની આંખો ખૂલી છે તેમનું વાસ્તવિક-હકીકતોની દુનિયામાં સ્વાગત છે અને તેમની પાસેથી એવી અપેક્ષા કે પક્ષીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો. સરકારની કામગીરીને આગળપાછળનું જોઈને મૂલવો. જેમને મત આપો તેમને માથે ચઢાવવાના બદલે તેમની પાસેથી જવાબ-હિસાબ માગો. નહીંતર વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.

સૌજન્ય : ‘જાગીને જોયું તો’, “દિવ્ય ભાસ્કર”, 26 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,2753,2763,2773,278...3,2903,3003,310...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved