Opinion Magazine
Number of visits: 9583671
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યનારાયણની સાક્ષીએ લોકકેન્દ્રી વિકાસ

આશા બૂચ|Opinion - Opinion|22 October 2017

‘દર્શક’ વ્યાખ્યાનમાળા : બીજો મણકો

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ – સણોસરા દ્વારા આયોજિત અને ‘ઓપિનિયન’ દ્વારા પુરસ્કૃત મનુભાઈ પંચોલી – ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો બીજો મણકો, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સૌજન્યથી, રાષ્ટ્રીયશાળા – રાજકોટના મધ્યસ્થ ખંડમાં, તારીખ 14 ઓક્ટોબરને દિવસે પરોવાઈ ગયો.

ડાબેથી, પ્રકાશભાઈ ન. શાહ, સુદર્શનભાઈ આયંગાર, દેવેન્દ્રકુમારભાઈ દેસાઈ અને વિદ્યુતભાઈ જોશી

આ ટાંકણે જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોશીએ ‘સત્યનારાયણની સાક્ષીએ લોકકેન્દ્રી વિકાસ’ અને ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક સુદર્શનભાઈ આયંગારે ‘આવતીકાલના ગૃહ ઉદ્યોગો’ વિષયો પર સુંદર વ્યાખ્યાનો આપ્યાં. કાર્યક્રમની શરૂઆત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી હિંમતભાઇ ગોડાએ મનુભાઈનું એક પ્રિય ભજન મુક્તકંઠે ગાઈને કરી. 83 વર્ષના આ યુવાદિલ હિંમતભાઈના અવાજની બુલંદી તેઓ ગ્રામભારતીના પ્રથમ વિદ્યાર્થીઓમાંના એક હતા તેની સાક્ષી પૂરી.

વક્તાઓનો પરિચય આપતાં ‘નિરીક્ષક’ના તંત્રી અને જાણીતા કટાર લેખક પ્રકાશભાઈ શાહે તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું, આ બંને પૂર્વ વાઇસ ચાન્સેલર છે તેથી તેમના પરિચય કરતાં પરચો વધુ થયો છે અને એમનો પરિચય આપવાનું વારંવાર થાય છે એટલે તેમને કહું કે જો પહેલાના પરિચય પછી તેમના વિષે કોઈ ફેરફાર થયા હોય તો જાણ કરે. આવી રમૂજના પડઘા શમતાં તેમણે આ વ્યાખ્યાનમાળાના આયોજન વિષે કેટલીક માહિતી આપી. મૂળે તો ‘ઓપિનિયન’ના તંત્રી વિપુલભાઈ કલ્યાણીને ‘દર્શક’ની સ્મૃિતમાં આ વ્યાખ્યાનશ્રેણી શરૂ કરવાનો વિચાર આવ્યો અને એમાં સ્વ. હીરજીભાઈ શાહનો સક્રિય ફાળો રહેલો. તેની પાછળનો હેતુ ‘દર્શક’ના પાયાનાં વિચારો, મૂલ્યો અને આદર્શો જાળવવા માટે, આ ક્ષેત્રમાં રસ ધરાવનારાઓ વચ્ચે, વિચાર વિનિમય થતો રહે, વિચાર વિમર્શ થાય એ છે. અને ‘દર્શક’ વ્યાખ્યાનમાળાના પહેલા મણકાના મુખ્ય વકતા લૉર્ડ ભીખુ પારેખ વાદવિવાદ એટલે કે discourseની પરંપરાને અનુસરેલા.

આપણે જાણીએ છીએ કે તત્કાલીન રાજકીય ઉપથલપાથલો નિકટથી જોઈ, તેમાંથી મનુભાઈની ‘સોક્રેટિસ’ જેવી ખમતીધર નવલકથાનો જન્મ થયો. મનુભાઈએ વિચારવિમર્શની સોક્રેટિસની પરંપરાને આત્મસાત કરેલી. સોક્રેટિસના સમયમાં કે આજે પણ લોકશાહી કેમ તેના મૂળ સ્વરૂપમાં ચાલતી નથી? સોક્રેટિસ જેવાનો ભોગ કેમ લેવાયો? તેનું કારણ એ કે એ જમાનામાં એક સોફિસ્ટ હતો જે ગમે તેમ કરીને માલ વેંચતો. બીજો હતો બરાડાબાજ, ખૂબ બોલી બોલીને પોતાનો માલ ખપાવતો. ગ્રીસની લોકશાહી સોક્રેટિસને ભરખી ગઈ કેમ કે સોફિસ્ટસ અને ડેમેગોગ ચડી વાગ્યા. આવું આ યુગમાં બનવા ન પામે એ હેતુથી વિપુલભાઈએ સોક્રેટિસની વિચારધારાને જીવિત રાખવા, આ વ્યાખ્યાનમાળા શરૂ કરવા ધાર્યું છે.

કહેવાતો વિકાસ આવળની જેમ વધવા લાગ્યો છે, તે વિષે ‘નવ ગુજરાત સમય’ અને ‘દિવ્યભાસ્કર’માં નિયમિત કટાર લખતા વિદ્યુતભાઈ જોશી વાત કરશે અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુપતિ તેમ જ અન્ય  અસંખ્ય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરતા રહેલા સુદર્શનભાઈ આયંગાર ઉદ્યોગોની આવતીકાલ વિષે વાત કરશે એ વિધાન સાથે પ્રકાશભાઈએ બેઠકનું સંચાલન અરુણભાઈ દવેને સોંપ્યું.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠના નિયામક અરુણભાઈ દવેએ વ્યાખ્યાનમાળાને આગળ વધારતા કહ્યું કે  બૂચદાદા (ન.પ્ર. બૂચ) કહેતા કે એક જ પરિવારના સભ્યો એકમેકને મળે ત્યારે ‘આવો આવો, કેમ છો?’ એટલું જરૂર પૂછે અને આનંદ આંનદ અનુભવે, તેમ આજે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, કે જે લોકભારતી ગ્રામવિદ્યાપીઠની પિતૃસંસ્થા સમાન છે તેના સભ્યોને મળતા પરસ્પરને એવો જ આનંદ થાય તે સ્વાભાવિક છે. આ સંગોષ્ઠિના મૂળ વિષય પર આવતા તેમણે કહ્યું, મનુદાદાએ ધર્મ, અર્થ અને રાજ્ય વ્યવસ્થાને સરખે ભાગે 33% સ્થાન આપે એવી સમાજરચના કરવાની વાત કરેલી. તો એ જ રીતે વિદ્યુતભાઈએ પર્યાવરણના સંદર્ભમાં GODની પણ નવીન વ્યાખ્યા આપી તે મુજબ Generator, Operator અને Decomposerની માત્રા 33% રાખવાથી જ પર્યાવરણમાં સમતુલા જળવાશે અને માનવ વિકાસ સંપોષિત બનશે. તેમણે બીજી વાત એ પણ કહી છે કે દુષ્ટ વિચારનો જરૂર વિરોધ કરો, પણ વ્યક્તિને દુષ્ટ માનીને તેનો નહીં. એના પ્રત્યે સદ્ભાવ રાખો અને પ્રાર્થના કરો કે ભગવાન તેને સદ્દબુદ્ધિ આપે. દુષ્ટ વ્યવહાર કરનાર વ્યક્તિ સાથે વિરોધ કરવાથી સમજમાં ખલેલ પડે છે.

અરુણભાઈએ એ વાતનું પણ ધ્યાન દોર્યું કે આજે વિશ્વના મહત્તમ દેશોનો આર્થિક વિકાસ થતો નજરે પડે છે પણ ક્યાં ય સુખનો અહેસાસ નથી થતો. હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ પહેલા નંબરે આવ્યું, તે શા કારણે તેનો અભ્યાસ કરવા એક પ્રતિનિધિ મંડળ ભારતથી ગયેલું તો તેઓને જાણવા મળ્યું કે ત્યાંનું શિક્ષણ એવા પ્રકારનું છે કે બાળકો પ્રસન્ન રહેતાં શીખે છે, તેનાથી ત્યાંની પ્રજાને સુખી થવાની ચાવી જડી છે. આખર માનવીને જોઈએ છે શું? તેને પોતાની આવડત વિકસાવવાની મળે તો જ એ નવસર્જન કરી શકે. વાળંદ પણ આપણને સંતોષ આપવા કામ કરે છે. મનુદાદાએ આ વાત આપણને સમજાવેલી. હવે જુઓ તો, મજાની વાત એ છે કે ફિન્લેન્ડની શિક્ષણ પ્રણાલી નઈતાલીમની ખૂબ નિકટ છે. ભારતવાસીઓ ફિનલેન્ડ પાસેથી એ શીખશે, પણ લોકભારતી સણોસરાની તેમને જાણ પણ નહીં હોય. તો આજે વિદ્યુતભાઈ આપણને એવા લોકકેન્દ્રી વિકાસની રાહ બતાવશે જેનાથી સુખની મંઝિલે પહોંચી શકાય.

સુદર્શનભાઈના વિષયને સ્પર્શતા અરુણભાઈએ કહ્યું, મનુભાઈ કહેતા, હાથી ગાંડો થાય તો એની સામે ન થવાય, હળવેથી રસ્તો બદલી નખાય. એક વખત સુદર્શનભાઈ એક વક્તવ્ય આપવા આવવાના હતા, ત્યારે મેં પૂછ્યું, તેમણે શું કહેવું જોઈએ? તો મનુદાદાનો જવાબ હતો, “વિકાસ ગાંડો થયો છે, એને કહો, ગ્રામોદ્યોગ તરફ વળે.” તો આજે આપણે ગ્રામોદ્યોગના વિકાસની દિશા અને દશા કેવી છે અને આપણે કઈ રીતે રસ્તો બદલીને ગાંડા વિકાસથી તરી જઈ, લોકોને તારવા જોઈએ તે વિષેની વાત સુદર્શનભાઈ પાસેથી સાંભળીશું.

અરુણભાઈને એ વાતનો વસવસો છે કે આજની પ્રજામાં આ પાયાનાં મૂલ્યો સમજવાની તૈયારી નથી; એમને ખપે છે માત્ર મનોરંજન. આપણે આવા વિચારોને સમજવાની, તેને આચારમાં ઉતારવાની ક્ષમતા વધારીએ તો જ થાય. ગાંધીજી કહેતા કે જ્યારે કાચો માલ જ્યાં પેદા થાય, ત્યાંની સ્થાનિક ઊર્જા વાપરશો અને વેચાણ પણ પહેલા સ્થાનિક બજારમાં કરશો તો જ ઉદ્યોગો તંદુરસ્ત અર્થવ્યવસ્થા આપશે અને માણસ સુખી થશે. પુન:પ્રાપ્ય સ્રોતમાંથી મેળવેલ માલ વેંચાય ત્યારે જ સુરાજ્ય આવે.

અરુણભાઈએ આ વાત એક અભણ ખેડૂતને કરી. તેના પાકને રોઝડાં અને ભૂંડ બહુ રંજાડે. તેમણે વાડ કાઢી ત્યાં કરમદાં વાવ્યાં. આથી રોઝડાં અને ભૂંડનો ત્રાસ ગયો અને કરમદાંમાંથી મીઠા પાનમાં મુકવાનો મસાલો તૈયાર કરી, વેંચવાનો ઉદ્યોગ શરૂ કર્યો. તે એટલા સફળ થયા કે આજે એમના સંતાનો ભણ્યા અને બંગલા ય બંધાવ્યા. આપણને આપણાં પાઠ્ય પુસ્તકોએ ભણાવ્યું છે કે ગરીબીનું કારણ વસ્તી વધારો છે. આપણી બધી નિષ્ફ્ળતાઓનું કારણ વસતી વધારો છે. ચીને સાબિત કરી બતાવ્યું કે વધુ વસતી એ પ્રશ્ન નથી, તેના મેનેજમેન્ટનો અભાવ એ પ્રશ્ન છે.

વિદ્યુતભાઈ જોશીએ પોતાના વક્તવ્યના આરંભે જ  ગીતા પર  હાથ મૂકીને કહેતા હોય તેમ કહ્યું, ભારતના વિકાસમાં પરસ્પર વિરોધના પડઘા હવે સ્પષ્ટપણે સંભળાતા જાય છે, એટલે નાગરિકોને પસંદગી કરવાનો સમય પાકી ગયો છે એટલે સત્યનારાયણની સાક્ષીએ લોકકેન્દ્રી વિકાસ કોને કહેવો તેની જ વાત કરીશ અને તે સિવાય કશું નહીં કહું.  લોકકેન્દ્રી  વિકાસના ઘણાં મોડેલ છે. હું જે મોડેલની વાત કરવાનો છું તે મોડેલ લોકકેન્દ્રી છે, ગ્રામકેન્દ્રી નહીં. ગ્રામદક્ષિણામૂર્તિમાંથી લોકભારતીનું નિર્માણ કેવી રીતે થયું? ગ્રામ નહીં પણ લોકને કેન્દ્રમાં રાખી વિકાસ કરવો. ગ્રામ ટેમ્પરરી હોય છે, લોક તો હર સમય હર જગ્યાએ લોક જ રહેશે. લોક શહેરમાં પણ રહે. સ્માર્ટ સિટીમાં પણ લોકવિકાસની વાત પાયામાં હશે.

વિકાસ છે શું? develop એ envelop(સમેટવું અથવા સંગોપવું)નું વિરોધી એટલે કે ખોલવું, unfold કરવું. કળીમાંથી ફૂલ થાય; છોડને વૃક્ષ થતાં ફળ બેસે તે વિકાસ. લોકની ક્ષમતાનો વિકાસ. જો સ્માર્ટ સીટી બનાવવાથી માત્ર કેટલાક સમુદાયોની  ક્ષમતાનો  વિકાસ વિકાસ થાય તેમ હોય તો એ એકાંગી મોડેલ બને. દરેક ઉદ્યોગ, દરેક લોકનો વિકાસ થાય તે સર્વાંગી વિકાસ કહેવાય. ગાંધીજી અને મનુભાઈ લોક વિકાસને ભારત માત્ર જ નહીં, પણ દુનિયાભરમાં સુમેળ સાધવાનું સાધન ગણાતા હતા. વિકાસ કરવાની વાત થાય ત્યારે રાજનેતાઓ કહે છે, વિકાસ કરવાનો હોય તો કોઈકે તો ભોગ આપવાનો હોય. સમાજ વિજ્ઞાન આ વાત નકારે છે. બધા સ્ટેકહોલ્ડર્સ – ભાગીદારોને તેનો લાભ-ભાગ મળવો જોઈએ.

અમદાવાદની હાઇકોર્ટે શહેરમાં ઢોર રખડતા ન મુકવાનો આદેશ આપ્યો. હવે ગામડાંઓને ગળી જઈને બનાવેલ શહેર પાસે ઢોરને રાખવાનો અને તેના ચરાણ માટે કોઈ વિકલ્પ અપાયો ન હોય તો એવું આયોજન વિકાસની વ્યાખ્યામાં કેમ બંધ બેસે? તો વિકાસનું માપ શું? મનુભાઇના મતે સત્ય એ એક જ ગજ. સર્વોદય એ જ સાચું માપ. સર્વહિતકારી વિકાસધારા એ જ માન્ય. એકને ગોળ ને એકને ખોળ એ સાચી વિકાસની પૂંજી નથી. આજે તો સમાજના ત્રણે ય પાયા અર્થકારણ, રાજકારણ ને ધર્મ વ્યવસ્થા વધુમાં વધુ સંખ્યાને પોતાના ફોલ્ડ-ગોળ કુંડાળામાં લાવવાની પેરવીમાં પડયા હોય છે. સામ્યવાદી શાસન વ્યવસ્થા સહુને સમાન કરવાનું વચન આપીને શરૂ થઈ, પણ છેવટ એ માથાભારે સાબિત થયું. તેને પગલે ઉદારીકરણ અને ખાનગીકરણે let market begin કહીને વૈશ્વીકરણ કર્યું તો દુનિયાના અર્થકારણ અને રાજકારણનું શું થયું તે આપણે જોયું. અર્થકારણ અને રાજ્ય વ્યવસ્થા પ્રજાકલ્યાણ માટે બધું જ ન કરી શકે, તેને માટે નાગરિક સમાજની જરૂર સ્વીકારવામાં આવી છે અને ઘણા દેશોમાં જી.ડી.પી. વધી, પણ સુખ નહીં, તેથી હવે ‘હેપીનેસ ઇન્ડેક્સ’ પર ધ્યાન અપાવા લાગ્યું છે.

વિદ્યુતભાઈ જોશીએ એક વાત સુંદર રીતે કહી, આપણી પાસે પ્રકલ્પો મોટા છે પણ નિર્ણાયક તંત્ર સાંકડું છે તેનો વાંધો છે. પ્રકલ્પોના અમલની વ્યવસ્થા લોક ભાગીદારીવાળી હોવી જોઈએ. GST લાવો કે નોટબંધી, તેમાં મજૂરો, નાના વેપારીઓ અને જેમનો આ દેશના વિકાસમાં ફાળો છે તે નાગરિકોને શામેલ કરો તો વિકાસ સફળ થાય. સર્વસમાવેશક તંત્ર ક્યાં છે? નર્મદા સિવાયના ભારતના એકેય ડેમ બંધાયા પહેલાં કે ત્યાર બાદ પુનર્વસન નથી થયું. લોક ભાગીદારી વિના સંપોષિત વિકાસ ન થાય. ભાવિ પેઢી માટે સંસાધનો ટકી રહેવા જોઈએ, તે માટે લોકોને બોલવા દો, તેમને નિર્ણય લેવા દો. અત્યારે તો જાણે વિકાસની દોડમાં આ માટે સમય નથી રહેતો. લોકસુનાવણીની જોગવાઈ કરી, પણ તેનો અમલ કરવાનો સમય નથી. આટલી ઉતાવળ શાને માટે? તેનાથી કોનો વિકાસ થશે?

ભારત દેશની વિકાસની તરાહની વાત કર્યા બાદ વિદ્યુતભાઈએ રચનાત્મક કાર્યો દ્વારા થતા વિકાસ તરફ સુકાન ફેરવ્યું. તેમનું કહેવું છે કે પચાસ વર્ષ પહેલાં એક સમુદાયને અમુક પ્રકારનો વિકાસ યોગ્ય લાગ્યો હોય, પણ એ સમુદાય હવે બદલાયો છે, તેમની જરૂરિયાતો અને એ પૂરી કરવાની રીતોનો ઢંગ બદલાયો હોય, તેની સાથે તાલમેલ કરશે તો ગાંધી સંસ્થાઓ ટકી રહેશે. ગ્રામ્યશાળાઓમાં ભણનારને શું બનવું છે તે જાણીને ભણાવશો તો એ શાળાઓ ચાલશે. એમ કરવાથી કામ કરવાના સંદર્ભો બદલાશે, સિદ્ધાંતો નહીં. બદલાતા જીવનના અર્થઘટનો સમજો તો જ લોક વિકાસના પ્રહરી બની રહેવાય. આજે સ્માર્ટ સીટી બનાવવાની યોજનાઓ ચાલે છે. તેનો વિરોધ કરતા પહેલાં વિચારીએ, આ યોજનાનો વિકલ્પ કયો? લોકને કેવો વિકાસ જોઈએ છે? લોકો અન્ન, વસ્ત્ર, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે નિર્ણય લઇ શકે અને સરકાર પરનું પરાવલંબીપણું ઘટાડે તે સાચો વિકાસ.

થયું છે એવું કે સ્વતંત્રતા પછી રાજ્યકર્તાઓને ખ્યાલ આવ્યો કે ભારતના પ્રશ્નો મોટા છે. પ્રજાએ માન્યું કે સરકાર બધું જ ઠીકઠાક કરી દેશે. આપણાં ગામડાંઓ પાંચ હજાર વર્ષો સુધી સ્વાયત્ત રહ્યાં, તો હવે સરકાર જ કેમ માઈબાપ લાગે? સરકારે જ પ્રજા માનસમાં પરાવલંબીપણું ઊભું કર્યું કેમ કે તો જ તેમની સત્તા જળવાય, તેમાં લોકને ફાયદો નથી. રાજ્ય કહે, તમારો વિકાસ અમે કરશું, પ્રજા માત્ર મજૂરી કરે.

જવાહરલાલ નહેરુએ બળવંતરાય મહેતાની આગેવાની હેઠળ પંચાયતી રાજની યોજના દાખલ કરી, પણ પંચાયતને સત્તા નહોતી. આદિવાસીઓના જળ, જમીન, જંગલ અને ખાણોની માલિકી તેમની હતી, પણ એ માટેના કાયદાઓ સરકાર કરે. રેલવે નાખવા સાગના વન કાપ્યાં તે માટે 1864માં જંગલ એક્ટ અસ્તિત્વમાં આવ્યો, જે હજુ હયાત છે; એથી આજે જો આદિવાસી સાગ કાપે તો ચોર ગણાય. મલિક ગુલામ બન્યો. સરકારે કહ્યું, તમે સૂતા રહો, મોટો ભાઈ જાગે છે, અને આપણે સુઈ ગયા!

આજે વિકાસને નામે સતત ડેમ, રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર બનતા જાય છે, એને માટે જમીન લેવાતી રહે છે. તો એ જમીનના માલિકોને વળતર પેટે શું મળે છે? વળતર આપવા માટે ધારા થાય પણ તેનો અમલ ન થાય એટલે ધારા નાબૂદ કરવા ચાલ્યા છે. લોકકલ્યાણ કરવાના નિમિત્તે સરકાર તેની પ્રજા પાસેથી ગમે તે મિલકત ગમે તેટલું મૂલ્ય આપીને લઇ શકે. આખર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા સચવાય તે જ લોકસત્ય. આ માપદંડથી તપાસીએ તો સેઝ કે બુલેટ ટ્રૈન એ ખરો લોકવિકાસ નથી. લોકોની કુલ શક્તિના 15%નો જ ઉપયોગ થાય છે, તેમની ક્ષમતા નથી વધતી, તો બાકીની શક્તિ અને ક્ષમતાનું શું થાય? દરેક નાગરિકને એમ પ્રતીત થી રહ્યું છે કે જેનાથી શક્તિઓનું પ્રફુલ્લન થાય તે વિકાસ. આ વિધાન સાથે વિદ્યુતભાઈએ પોતાના વક્તવ્યનું સમાપન કર્યું.

સુદર્શનભાઈ આયંગારે વ્યાખ્યાનમાળાનું સુકાન પોતાના હાથમાં લેતાં કહ્યું, “સત્યનારાયણની કથાનો હવે બીજો અધ્યાય શરૂ થાય છે, હવે સાધુ વાણિયાની વાત કરીશું.” તેમના મતે સ્વતંત્રતા બાદ અર્થવ્યવસ્થાને દેશની જરૂરિયાતોને અનુરૂપ ઘાટ આપવા ભેળા થયેલા સત્તારૂઢ લોકોમાં બે પક્ષ હતા. એક હતો બિઝનેસ એઝ યુઝવલમાં માનનારો જેમ કે પંડિત નહેરુ. એ બાબતમા તેઓ ગાંધીજીના અનુયાયી નહોતા. અને બીજો પક્ષ તે પશ્ચિમી અર્થવ્યવસ્થાના વિકલ્પે ગ્રામ આધારિત માળખું ઊભું કરવાના મતના હતા. ઉત્તમ સમાજના નિર્માણમાં જે તે દેશની શિક્ષણ વ્યવસ્થા જ પાયામાં હોય છે, તો ગૃઉદ્યોગોનું પણ એવું જ મહત્ત્વ છે.

બિઝનેસ એઝ યુઝવલની રાહે ચાલીએ તો ઉદ્યોગો કેવા હોય અને તેના વૈકલ્પિક માળખામાં કેવા હશે તેની ચર્ચાનો સુદર્શનભાઈએ પ્રારંભ કરતા કહ્યું, બિઝનેસ એઝ યુઝવલમાં 25 વર્ષ પછી વર્ચ્યુઅલ વ્યાપાર થવાની સંભાવના છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગોમાં પણ ઉત્પાદનનું પ્રમાણ ઘટવા લાગ્યું. કેમ કે ઔદ્યોગિકરણમાં ઉત્પાદનનની ઊંચાઈનો આંક જ મહત્ત્વનો હોય છે. કેવું અને કેટલું ઉત્પાદન થાય અને બીજા કરતા મારું વધુ હોય તે જ આજના ઉદ્યોગોનું ધ્યેય. આજે Soil ઈકોનોમીમાંથી S બાદ કરી Oil ઈકોનોમી તરફ દોટ મૂકી તો પર્યાવરણ પ્રદૂષિત થયું તે અનુભવ્યું. મૂડીવાદી અર્થવ્યવસ્થા જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ કૃષિ સંલગ્ન અને ઉદ્યોગોમાં મેન્યુફેક્ચરિંગ ઘટતું જાય છે અને સેવા ક્ષેત્ર વધતું જાય છે. ઔદ્યોગિકરણને કારણે આર્થિક વિકાસ થયો અને હજુ પણ ગામડાંની ઉદ્યોગ ક્ષેત્ર પર ઘણી પકડ છે. પરંતુ વિકાસની ભાગીદારીની ક્ષિતિજો વિસ્તરતી નથી. વસતી એક સમસ્યા છે. દુનિયા પર માનવ વસતીના આંકને એક અબજ સુધી પહોંચતાં 40 હજાર વર્ષ થયાં અને આજે કાબૂ બહાર વધતી જાય છે. ભારત સ્વતંત્ર થયું ત્યારે 40 કરોડ પ્રજા હતી, તે 70 વર્ષમાં વધીને 1.25 બિલિયન સુધી પહોંચી છે. હવે જો ઔદ્યોગિકરણ ન થયું હોત તો દુનિયાની સાડાસાત અબજની સંખ્યાને રોટલા ખવડાવવા મુશ્કેલ બનત. કૃષિ સંસ્કૃિતમાં આવડી મોટી સંખ્યાને પોષવાની સંભાવના હતી કે કેમ તે કહી શકાય નહીં.

આજે હવે ભારત જેવા દેશમાં પણ 40% વસતી શહેરોમાં વસે છે અને એ સંખ્યા વધતી રહેવાની. આથી હવે ગ્રામોદ્યોગથી વધીને શહેરી ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિકાસ થશે. ઔદ્યોગિકરણથી રોજગારી ઘટે છે, ઉત્પાદનનો જથ્થો વધે છે એ ખરું. અને એથી જ તો સેવા ક્ષેત્રમાં વધુ સંખ્યાને રોજગારી મળે છે. ખુદ ઉદ્યોગોમાં પણ સેવા ક્ષેત્ર મોટું થતું જાય છે. હવે ઉત્પાદનની ટેક્નોલોજી માત્ર high wearની જ નથી રહી, તેમાં soft wear ઉમેરાયો એટલે સેવા ક્ષેત્રનો વ્યાપ વધ્યો. એટલું જ નહીં, જાણે એ જ જાણે સાચી મલિક બની બેઠી. માણસને ખસેડ્યો અને તેને સ્થાને મશીન અને રોબોટને બેસાડ્યો તેને કારણે ઉત્પાદકતા વધી, પ્રિસીશન વધ્યું. આ બધાં મશીનોના સંશોધન, ઉત્પાદન, સંચાલન અને સંયોજન કરવા માટે અલગ સેવા ક્ષેત્ર ઉપજ્યું.

બિઝનેસ એઝ યુઝવલના સિદ્ધાંત પર આધારિત અર્થવ્યવસ્થામાં ગૃહોદ્યોગોનો ફાળો ઓછો થશે. રોજગાર ઓછા લોકોને મળશે પણ તેમાંના લોકો જ સર્વિસ સેક્ટરમાં કામ કરવા જોડાશે. જો કે આમ થતાં ઓછા વળતર આપતા ધંધા વધતા વધશે. આજની આજીવિકા રળવાની રીતમાં સ્વમાન નથી સચવાતું, માત્ર નાણાં મળે છે. ડિઝાઈનર ઉદ્યોગોને બિઝનેસ એઝ યુઝવલના મોડેલમાં વિકાસની ઘણી તકો મળશે, પણ ઉત્પાદન આધારિત ઉદ્યોગોનું એ અર્થતંત્રમાં સ્થાન નહીં રહે એવું લાગે છે. ભારતનો વિકાસ આઉટ સોર્સીંગ પર આધારિત છે, ઉત્પાદક ઉદ્યોગો પર નહીં એ હવે સ્પષ્ટ થતું જાય છે. ગાંડા ઔદ્યોગિકરણનો સામનો કરવા સ્વદેશીનો ખ્યાલ ગાંધી લાવ્યા. સ્થાનિક સંસાધનોથી પેદા થયેલ માલ મજબૂત અર્થકારણ ટકાવી શકે. પણ આપણો દેશ હવે બિઝનેસ એઝ યુઝવલના માર્ગે ફસાઈ ગયો છે, તેમાંથી નીકળશે કે નહીં તે કહેવાય નહીં. શહેરીકરણને રોકવા ‘થોડ઼ેમેં ગુજારા હોતા હૈ’ મંત્ર અપનાવવો જોઈએ. કદ નાનું હોય અને વિકેન્દ્રિત વેપાર અને વહીવટ કરીએ તો લોકને ફાયદો થાય. બાકી સ્વદેશી ધોરણે ઉત્પાદન અને વ્યાપાર ચલાવવો એ ચતુર વાણિયાનું કામ છે, જ્યારે કહેવાતા ‘ગ્લોબલ’ ધોરણે વેપાર કરવાનું નકામા વાણિયાઓનું કામ છે. કપાસથી કાપડ વચ્ચે તંતુ જોડો તેના કરતાં વધુ શાણપણ કશામાં નથી. આપણે આપણા પાડોશીની બનાવટો ખરીદવાનું નક્કી કર્યું હોત તો આ ગાંડપણ ન વળગ્યું હોત, એવા વિશ્વાસભર્યા વિધાન સાથે આયંગારજીનું વક્તવ્ય સમાપ્ત થયું.     

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રકુમાર દેસાઈએ સમાપન કરતાં કહ્યું, ‘દર્શક’ વ્યાખ્યાનમાળા રાષ્ટૃીયશાળાના આંગણે થઇ તે અમારું સદ્ભાગ્ય છે. અત્યારની પ્રગતિ ભ્રમિત કરનારી છે. ખરું જુઓ તો બેરોજગારી અને ગરીબાઈ સ્વતંત્રતા બાદ વધ્યાં છે. ગરીબો પાસે પણ મોબાઈલ છે પણ તેમની પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષાઈ  અને ગરીબ-તવંગર વચ્ચેની ખાઈ પહોળી થઇ છે. આજે ગૃહોદ્યોગોએ અને ગ્રામોદ્યોગે નવી દિશા પકડી લીધી છે. આમ છતાં ખાદી ઉદ્યોગથી હજુ પણ વધુ સંખ્યાના લોકોને રોજગારી પૂરી પડે છે. આપણે એ સમજવું રહ્યું કે વિદેશી કંપનીઓ ભારતમાં માલ પેદા કરે તે સ્વદેશી માલ ન કહેવાય. છરી સ્વદેશી હોય કે વિદેશી, જાન તો બકરાનો જ જાય. એ સ્વીકારવું રહ્યું કે મશીનો આવ્યાં છે અને રહેશે. ઉત્પાદન અને વેપારમાં વધુને વધુ માનવ શક્તિનો ઉપયોગ થાય એ જોવાનું આપણું કામ છે.

આમ રચનાત્મક કાર્યો સાથે સંકળાયેલા અને ગાંધી વિચારને સાચા અર્થમાં સમજી લોકવિકાસ અર્થે અમલ કરતા રહેલા વક્તાઓના સુંદર વ્યાખ્યાને સહુ શ્રોતાઓને સુંદર વિચાર ભાથું પૂરું પાડ્યું.

વ્યાખ્યાનમાળાનો ત્રીજો મણકો જામનગરમાં યોજાશે તેવી ઘોષણા સાથે આ સભાનું સમાપન થયું.

e.mail : 71abuch@gmail.com

Loading

ઘોંઘાટ, સત્યની ભૂખ અને thewire.in

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2017

તમારા હાથમાં સેંકડો અર્નબ ગોસ્વામીઓ છે, હજારો હાથવગાં અખબારો છે, સેંકડો ટ્રોલ્સની આર્મી છે, લાખો વફાદાર ભક્તો છે અને છતાં એક ન્યુઝ-પોર્ટલ ભારે પડે? આ કઈ તાકાત છે? thewire.in સામે જય અમિતભાઈ શાહે સો કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે. આ પહેલાં thewire.in સામે ઝી ટીવીવાળા સુભાષ ગોયલ અને અર્નબ ગોસ્વામી બ્રૅન્ડ રિપબ્લિક ટીવી-ચૅનલના માલિક રાજીવ ચંદ્રશેખર સો-સો કરોડ રૂપિયાના બદનક્ષીના કેસ કરી ચૂક્યા છે. સુભાષચંદ્ર ગોયલ BJPની કૃપાથી રાજ્યસભાના સભ્ય છે અને રાજીવ ચંદ્રશેખર તો BJPના સંસદસભ્ય છે.

thewire.in એક અખબાર છે જે ડિજિટલ ફૉર્મે‍ટમાં પ્રકાશિત થાય છે અને એને માત્ર ઇન્ટરનેટ દ્વારા જ વાંચી શકાય છે. એને છાપાની જેમ હાથમાં લઈને વાંચી શકાતું નથી કે ટીવી-ચૅનલોની જેમ જોઈ શકાતું નથી. આ છાપું વાંચવા માટે પહેલી શરત એ છે કે તમારી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ. દેખીતી રીતે ભારતમાં બહુ ઓછા લોકો હશે જે ઈન્ટરનેટ ધરાવે છે અને ડિજિટલ છાપાં વાંચતા હશે. આને ટેલિકૉમની ભાષામાં પોર્ટલ કહેવામાં આવે છે. ટૂંકમાં thewire.in ઇન્ટરનેટ પર વાંચી શકાય એવું ન્યુઝ પોર્ટલ છે જેને આધુનિક ટેક્નૉલૉજી ધરાવનારાઓ અને વાપરનારાઓ વાંચે છે.

આવાં ન્યુઝ પોર્ટલોની વિશેષતા એ છે કે એને ચલાવનારા લોકો જો પોતાને વેચવા માગતા હોય તો વેચાઈ શકે છે, પરંતુ જો તેઓ વેચાવા ન માગતા હોય, ટટ્ટાર ઊભા રહેવાની હિંમત અને પ્રામાણિકતા ધરાવતા હોય તો કોઈ તેમને ઝુકાવી શકતું નથી કે ખરીદી શકતું નથી. ન્યુઝ પોર્ટલ ઓછા રોકાણે અને ઓછા ખર્ચે ચાલે છે એટલે એને સરકાર માઈબાપ અને ઍડ્વર્ટાઇઝરોની કૃપાદૃષ્ટિની ખાસ જરૂર પડતી નથી. આ ઉપરાંત સરકારી અંકુશો અને વ્યવસ્થાકીય અડચણો એને ઓછી નડે છે. જેટલું નાણાકીય રોકાણ ઓછું અને જેટલું બીજાઓ પરનું અવલંબન ઓછું એટલી સ્વતંત્રતા વધારે. હા, અંદરની પ્રામાણિકતા હોવી જોઈએ અને ન્યુઝ પોર્ટલ ચલાવનારાઓમાંથી કેટલાક એવી પ્રામાણિકતા ધરાવે છે. કેટલાક પત્રકારો ધોરીમાર્ગનું પત્રકારત્વ છોડીને પોર્ટલમાં જોડાયા છે, કારણ કે ત્યાં તેમને સમાધાનો કરવાં નથી પડતાં. દેખીતી રીતે ન્યુઝ પોર્ટલોની વિશ્વાસાર્હતા વધુ હોવાની જો એને ચલાવનારાઓ પ્રામાણિક હોય. આને કારણે જગતભરમાં ન્યુઝ પોર્ટલોની સંખ્યા અને એના વાચકોની સંખ્યા વધી રહી છે.

ન્યુઝ પોર્ટલોના જર્નલિઝમનું સૂત્ર બહુ સ્પષ્ટ છે- ઓછી નિર્ભરતા, વધુ સ્વતંત્રતા. દાયકા પહેલાં ‘તહલકા’ સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલે કહ્યું હતું કે જો વાચક સંપૂર્ણપણે તટસ્થ અખબાર વાંચવા માગતો હોય તો તેણે ૪૮ પાનાંના છાપાના ૨૦થી ૨૫ રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી જોઈએ. આટલી તો સારા છાપાની પડતર કિંમત છે. જો ત્રણ રૂપિયામાં અખબાર જોઈતું હોય તો એ સરકાર અને શેઠિયાઓ દ્વારા પ્રભાવિત હોવાનું જ, કારણ કે બાકીનો ખર્ચો અને નફો તેમની પાસેથી આવે છે. ભારતમાં તમામ (હા, તમામ. તમામ શબ્દ સભાનતાપૂર્વક વાપર્યો છે) અખબારો અને ન્યુઝ-ચૅનલો સરકાર અને શેઠિયાઓનાં સ્થાપિત હિતો દ્વારા અભડાયેલાં છે. આની વચ્ચે છેલ્લા બે દાયકામાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનો વિકાસ થયો અને ન્યુઝ પોર્ટલોનો વિકલ્પ સામે આવી ગયો. અત્યારે મફત અને ભવિષ્યમાં કદાચ મામૂલી કિંમતે ટકોરાબંધ પ્રામાણિક અખબાર મળી શકશે. 

આમ thewire.in આવું એક ન્યુઝ પોર્ટલ છે જેને પત્રકારત્વના ઊંચા માપદંડો ધરાવનારા પત્રકારોએ મળીને શરૂ કર્યું છે. કોઈ શેઠ નથી કે કોઈ શેઠની મૂડી નથી. જાહેર જનતા પાસેથી ફન્ડ માગવામાં આવે છે અને દેશના જાગ્રત નાગરિકો પૈસા આપે પણ છે. તો thewire.in નામના ન્યુઝ પોર્ટલે પખવાડિયા પહેલાં એક સ્ટોરી રિલીઝ કરી હતી કે BJPના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહે ફાઇલ કરેલા રિટર્ન મુજબ તેમની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ૨૦૧૪-’૧૫ના નાણાકીય વર્ષમાં માત્ર ૫૦ હજાર રૂપિયાનો ધંધો કર્યો હતો અને ૧૮,૭૨૮ રૂપિયાનો નફો બતાવ્યો હતો. મુંબઈના પાનવાળા કરતાં પણ ઓછો ધંધો કરનારા અને કમાનારા જય શાહને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક એક્ઝિક્યુટિવ તેમ જ રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીના વેવાઈ રાજેશ ખંડેલવાલ પાસેથી ૧૫ કરોડ ૭૮ લાખ રૂપિયાની અનસિક્યૉર્ડ લોન મળે છે. સ્ટોરીનો પહેલો ભાગ અહીં પૂરો થાય છે.

સ્ટોરીનો બીજો ભાગ એ છે કે ૨૦૧૪-’૧૫ના નાણાકીય વર્ષમાં માત્ર ૫૦ હજાર રૂપિયાનો ધંધો કરનારી અને મહિને દોઢ હજાર કમાનારી કંપની માત્ર એક વર્ષમાં એટલે કે ૨૦૧૫-’૧૬ના નાણાકીય વર્ષમાં ૮૦ કરોડ ૫૦ લાખનો ધંધો બતાવે છે. એક વરસમાં ધંધામાં ૧૬ હજાર ગણો વધારો. સ્ટોરીનો ત્રીજો ભાગ એ છે કે જય શાહે ૨૦૧૫માં કુસુમ ફિન્સર્વ નામની કંપનીની સ્થાપના કરી હતી. શૅરબજારમાં ધંધો કરતી એ કંપની વીજળી ઉત્પાદનના ધંધામાં પ્રવેશે છે અને એને પણ રાજેશ ખંડેલવાલ તરફથી, કાળુપુર કોઑપરેટિવ બૅન્ક તરફથી અને ભારત સરકારની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી‍ ડેવલપમેન્ટ એજન્સી તરફથી અનસિક્યૉર્ડ લોન મળવા લાગે છે. ટૂંકમાં પાનવાળા કરતાં પણ ઓછું કમાનારા જય શાહ માત્ર બે વરસમાં અબજો રૂપિયાના આસામી બની જાય છે. પરમ આશ્ચર્ય હવે આવે છે. ગયા વરસના ઑક્ટોબર મહિનામાં (મહિનો યાદ રાખજો) ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડે અચાનક ઘંધો સમેટી લીધો અને જાહેર કર્યું કે કંપનીની બધી મૂડી ધોવાઇ ગઈ છે અને કંપનીએ એક કરોડ ચાલીસ લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઑક્ટોબર મહિનાની ઘટના છે અને નવેમ્બર મહિનાની આઠમી તારીખે નોટબંધીની જાહેરાત કરવામાં આવી.

આ સમાચાર પ્રસારિત થયા અને ધરતી ધ્રૂજી ગઈ. રાતોરાત રાહુલ ગાંધીને ઘેરવા માટે તેમના મતદારક્ષેત્ર અમેઠી મોકલવામાં આવ્યા. અચાનક રૉબર્ટ વાડ્રાને યાદ કરવામાં આવ્યા. ત્રીસ વરસ જૂના બોફોર્સ-કૌભાંડને યાદ કરવામાં આવ્યું હતું. ૧૨ વરસ પહેલાં દિલ્હીની વડી અદાલતે બોફોર્સ-કૌભાંડના કેટલાક આરોપીઓને ક્લીન ચિટ આપી હતી. હવે ૧૨ વરસ પછી CBI આરોપીઓ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની છે. અચાનક તાજમહલનો વિવાદ પેદા કરવામાં આવ્યો અને દિવાળી ટાણે અયોધ્યામાં ગોમતીના ઘાટે અને સમગ્ર શહેરમાં લાખો દીવા પ્રગટાવીને રોશની કરવામાં આવી. બિકાઉ ટીવી-ચૅનલો કાં તો વિવાદ જોઈને એક પક્ષે ભસતી રહે અથવા ઇવેન્ટની ચકાચૌંધ બતાવીને દર્શકને રોકાયેલો રાખે. હદ તો ત્યારે થઈ કે વડા પ્રધાન એક મહિનામાં ચાર વખત ગુજરાત આવી ગયા અને ચૂંટણી-કમિશનર પાસેથી ઉછીનો સમય માગીને રૅલી અને ખેરાત કરવામાં આવી.

એક ન્યુઝ પોર્ટલની આટલી અસર? ન્યુઝ પોર્ટલ નથી ધોરણસરનું અખબાર કે નથી ટીવી ન્યુઝ-ચૅનલ. તમારા હાથમાં સેંકડો અર્નબ ગોસ્વામીઓ છે, હજારો હાથવગાં અખબારો છે,  સેંકડો ટ્રોલ્સની આર્મી છે, લાખો વફાદાર ભક્તો છે અને છતાં એક ન્યુઝ પોર્ટલ ભારે પડે? આ કઈ તાકાત છે? thewire.in સામે જય અમિતભાઈ શાહે ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે અને અમદાવાદના કોઈ મૅજિસ્ટ્રેટનો પોર્ટલ સામે વધુ કાંઈ છાપવા સામેનો મનાઈહુકમ લઈ આવ્યા છે. આ કઈ તાકાત છે અને એ ક્યાંથી આવે છે? આ પહેલાં thewire.in સામે ઝી ટીવીવાળા સુભાષ ગોયલ અને અર્નબ ગોસ્વામી બ્રૅન્ડ રિપબ્લિક ટીવી-ચૅનલના માલિક રાજીવ ચંદ્રશેખર સો-સો કરોડ રૂપિયાના બદનક્ષીના કેસ કરી ચૂક્યા છે. સુભાષચંદ્ર ગોયલ BJPની કૃપાથી રાજ્યસભાના સભ્ય છે અને રાજીવ ચંદ્રશેખર તો BJPના સંસદસભ્ય છે. સુનાવણી દરમ્યાન સુભાષચંદ્ર ગોયલના ધ્યાનમાં આવ્યું હતું કે આમાં કંપનીની રેવડી દાણાદાણ થઈ રહી છે અને પોતાના હાથે જ પોતાની બદનક્ષી થઈ રહી છે એટલે તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો. રાજીવ ચંદ્રશેખર અને જયભાઈના કેસ ચાલવાના હજી બાકી છે.  

ત્રણ-ત્રણ મહારથીઓએ એક ન્યુઝ પોર્ટલ સામે સો-સો કરોડ રૂપિયાના બદનક્ષીના કેસ કરવા પડે અને વડા પ્રધાને, અમિત શાહે તેમ જ BJPએ ડૅમેજ કન્ટ્રોલ કરવા આગરાથી અયોધ્યા વાયા અમેઠી ભાગવું પડે, ગુજરાત અને ગાંધીનગર ભાગવું પડે એવું કેમ બન્યું? ક્યાંથી આવે છે આ તાકાત? આ તાકાત ન્યુઝ પોર્ટલની છે કે સત્યની છે કે પછી બન્ને મળીને છે?

આ તાકાત બન્ને મળીને છે. સત્યની તો પોતાની તાકાત છે જ અને એને છુપાવી નથી શકાતી કે નથી દબાવી શકાતી. ભગવાન બુદ્ધે કહ્યું છે કે સૂર્ય, ચંદ્ર અને સત્યને છુપાવી નથી શકાતાં કે નથી એેનાથી કાયમ માટે બચી શકાતું. એ પ્રગટ થશે થશે અને થશે, માત્ર થોડો વખત લાગે એટલું જ. તો સત્યની તાકાત તો નિર્વિવાદ છે. એમાં જો કોઈ પ્રામાણિક માધ્યમ સત્યનું વાહક બન્યું હોય તો પછી એ સત્ય શસ્ત્ર બની જતું હોય છે. એક વાર ડો. રામમોહન લોહિયાએ ગાંધીજીને પૂછ્યું હતું કે બાપુ નથી તમારી પાસે કોઈ જાદુઈ વ્યક્તિત્વ, નથી વાક્ચાતુર્ય કે નથી અદ્ભુત વક્તૃત્વ શક્તિ. આમ છતાં તમે દેશના કરોડો લોકોનો વિશ્વાસ કેવી રીતે સંપાદિત કરો છો? એવું શું કે છે કે પ્રજા તમારો પડ્યો બોલ ઝીલે છે? ગાંધીજીએ ઉત્તર આપ્યો હતો કે આનો જવાબ તો તમારે શોધવો જોઈએ, પરંતુ એક જવાબ હું જાણું છું. દેશની જનતાને ખાતરી છે કે આ માણસ જે સત્ય છે એ જ બોલશે અને બોલશે તો કરીને રહેશે. ગાંધીજી પોતાના જમાનામાં ઇતિહાસના સૌથી લોકપ્રિય માણસ હતા. એ સમયે આજના જેટલા સંદેશવાહક માધ્યમો નહોતાં એ છતાં પણ.

આમ સત્યની પોતાની શક્તિ અમાપ છે અને જો એને અભિવ્યક્ત કરવા જેટલી અને અનુસરવા જેટલી પ્રામાણિકતા હોય તો સામે પક્ષે અસત્યની ગમે એવડી મોટી તાકાત હોય તો પણ એ ઝાંખી પડે છે.

આ તો સનાતન સત્યની વાત થઈ. એક વર્તમાન સત્યની વાત પણ સમજી લેવી જરૂરી છે. કોઈ ચીજ જાણવા-સમજવા માટે એક સમયે અખબારો અને સામયિકો પર ભરોસો મૂકવામાં આવતો હતો. એ સો ટકા ભરોસાપાત્ર માધ્યમો તો નહોતાં, પણ ઠીક-ઠીક પ્રમાણમાં ભરોસાપાત્ર માધ્યમો હતાં. છેલ્લા દોઢ દાયકા દરમ્યાન ચોવીસ કલાકની ચૅનલો આવી એ પછીથી પત્રકારત્વનો ચહેરો બદલાવા લાગ્યો. જેમનાં સ્થાપિત હિતો છે એવા નવશ્રીમંતો અખબારો અને ચૅનલો ખરીદવા લાગ્યાં. આજે સ્થાપિત હિતો ભારતનાં ૯૦ ટકા અખબારો અને ચૅનલોના માલિકો છે. તેમણે ડિજિટલ મીડિયામાં પણ પ્રવેશ કર્યો છે. સમાચાર હવે પેદા કરી શકાય છે, ઊપજાવી શકાય છે. સમાચારનું હવે સ્વરૂપ બદલી શકાય છે. સમાચાર સામે બીજા સમાચાર મૂકીને ઘોંઘાટ પેદા કરીને દબાવી શકાય છે. સમાચારને પ્રસારિત નહીં કરીને મારી શકાય છે. માફક ન આવે એવા સમાચાર લઈ આવનારને ખરીદી શકાય છે, ધમકાવી શકાય છે અન જરૂર પડે તો મારી પણ શકાય છે. જય શાહના સમાચાર સામે તાજમહલના સમાચાર પેદા કરીને સમાચારને ભૂલવાડી શકાય છે.

આ બધું જ કરવામાં આવી રહ્યું છે એવી શ્રદ્ધાથી કે સત્ય ચોક્કસ મરી જશે. આવી જ શ્રદ્ધાથી તો ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી કે ગાંધીના મરવાથી તેમના વિચાર મરી જશે. છેલ્લાં દસ વરસ દરમ્યાન ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ જેવાં માધ્યમો આવ્યાં. સ્થાપિત હિતોએ એનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ફરી પાછી એ જ શ્રદ્ધા હતી કે સત્ય જરૂર મરી જશે. જેમ સહરાના રણમાં તરસ લાગે અને જેવી તીવ્રતાથી પાણી શોધવામાં આવે એમ અસત્યના મહાસાગરમાં એટલી જ તીવ્રતાથી સત્યનો ટાપુ શોધવામાં આવે છે. એક તો શું બની રહ્યું છે એની વાસ્તવિકતાની ખોજ અને એમાં ડિજિટલ મીડિયા સોંઘાં પણ છે અને લગભગ અંકુશમુક્ત હાથવગાં છે. જગત આખામાં મીઠા પાણીના વીરડા શોધવામાં આવી રહ્યા છે અને ડિજિટલ એજમાં એ આસાનીથી ઉપલબ્ધ થઈ રહ્યા છે.

હવે સત્યને ગોપિત કરી રીતે રાખવું? હવે સત્યને કઈ રીતે દબાવવું? હવે અસત્યને લાંબા સમય સુધી કઈ રીતે ચલણમાં રાખવું? હવે મહોરાંઓને લાંબો સમય કઈ રીતે ચહેરા પર ટકાવી રાખવાં? એક વાયર ખેલ બગાડી શકે છે. માધ્યમ તો એ જ છે. જે ફરક છે એ સત્ય અને અસત્યનો છે. એક બાજુ ભારતનો નાગરિક ઊપજાવી કાઢેલા ઘોંઘાટ સામે સ્વસ્થ અને સાચા અવાજની ખોજ કરી રહ્યો છે અને હવે તેને એ ઉપલબ્ધ થઈ રહ્યાં છે. અંતિમ વિજય સત્યનો હશે. કેવળ એટલા માટે નહીં કે એ સનાતન સત્ય છે. એ સનાતન સત્ય તો છે જ, પણ એનાથી વધુ એ આજની જરૂરિયાત છે અને હવે દબાવી કે ખરીદી ન શકાય એવાં પ્લૅટફૉર્મ હાથ લાગી રહ્યાં છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 22 અૉક્ટોબર 2017

Loading

અનંતકથા

યશવન્ત મહેતા|Opinion - Opinion|21 October 2017

નવી બાળવાર્તા

એક રાજા હતો. એને મોટીમોટી સભાઓ અને મેળાઓ અને રેલીઓ કરવાનો ભારે શોખ હતો. વળી, લાંબી લાંબી વાર્તાઓ સાંભળવાનો પણ ભારે શોખ હતો. એનો આગ્રહ હતો કે હું ‘પછી?’ ન કહું ત્યાં સુધી વાર્તા ચાલવી જોઈએ. જો કોઈ વાર્તા આગળ વધારી ન શકે, તો એનો દંડ થશે, પરંતુ હું ‘પછી?’ પૂછી ન શકું, તો એવી અનંતવાર્તા કહેનારને મોટું ઇનામ મળશે.

ઇનામની લાલચે ઘણા ભાટ, ચારણ, કથાકાર, ગુણિયલ કલાકાર વગેરે આવ્યા. પરંતુ કોઈ અનંતકથા કહી શક્યું નથી. જો કે આખરે એક ખેડૂતપુત્ર આવ્યો અને એણે વાર્તા માંડી.

વાર્તા દુકાળની હતી ખેતરોમાં પાક ઊતરતા નહોતા પરંતુ રાજાનો અન્નભંડાર ભરપૂર હતો. એટલે એક ચકલી આવી, એણે ભંડારમાંથી અનાજનો એક દાણો ખાધો અને ફરરર કરતી ઊડી ગઈ. બીજી ચકલી આવી, એણે અનાજનો એક દાણો લીધો અને ફરરરર કરતી ઊડી ગઈ.

રાજા ‘પછી?’ ‘પછી?’ કરતો રહ્યો અને જુવાન ત્રીજી ચકલી, ચોથી ચકલી … દસમી ચકલી … સોમી ચકલી બોલતો જ રહ્યો. એની કથાનો અંત આવતો જ નહોતો. આખરે રાજાએ કંટાળીને ‘પછી?’ પૂછવાનું બંધ કર્યું અને જુવાનને ઇનામ આપીને વિદાય કર્યો.

આમ, એક વાર ભોંઠા પડવા છતાં રાજાનો અનંતવાર્તા સાંભળવાનો શોખ ગયો નહીં. એણે તો કથાકારોને આવકારવાનું ચાલુ રાખ્યું. જો કે જે કોઈ આવે તે દંડ ભરીને પાછા જતા.

એટલામાં એક વાર ભારત નામના દેશમાંથી એક કથાકાર આવ્યો. કહે કે હું અનંતકથા કહું. રાજાએ એને ચેતવ્યો. ‘ભલા માણસ, હું ‘પછી ?’ પૂછવાનું ચાલુ રાખીશ. પૂછી ન શકું ત્યાં સુધી કથા કહેવી પડશે. જો તું વાર્તા આગળ વધારી ન શકે. તો દંડ ભરવો પડશે.

શરત કબૂલ રાખીને ભારતદેશના કથાકારે શરૂ કર્યું. ‘મહારાજ! એક ખેતીપ્રધાન દેશ હતો. ત્યાં ઘણા ખેડૂતો રહેતા હતા. પણ બન્યું એવું કે ખેડૂતો દેવાના બોજ હેઠળ કચડાવા લાગ્યા. એક ખેડૂતે આપઘાત કર્યો.’

‘હં … પછી?’

‘પછી બીજા ખેડૂતે આપઘાત કર્યો.’

‘પછી ?’

‘ત્રીજા ખેડૂતે આપઘાત કર્યો.’

‘પછી? ચોથા, પાંચમા, છઠ્ઠા ખેડૂતે આપઘાત કર્યો.’

એમ જ તારી વાર્તા ચાલવાની છે ને પેલી ચકલીની જેમ?

‘ના, મહારાજ, આ કથા જુદી રીતે ચાલે છે.’

‘હં … પછી?’

આમ ને આમ હજારો-હજારોએ આપઘાત કર્યા.

‘પછી?’

‘પછી આ ખેતીપ્રધાન દેશના રાજાએ ખેડૂતોના આપઘાતોની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે હૂકમ કર્યો.’

‘પછી?’

‘ઇન્દિરા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ આવ્યો.’

‘વાહ! પછી?’

‘તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ સાયન્સીઝનો રિપોર્ટ આવ્યો.’

‘પછી?’

‘યશવન્તરાવ ચવાણ એકાદમી ઑફ ડેવલપમેન્ટ ઍડ્‌મિનિસ્ટ્રેશનનો પણ રિપોર્ટ આવ્યો.’

‘પછી?’ રાજાએ જરાક કંટાળા સાથે પૂછ્યું.

ડૉક્ટર સુધીર ગોયિલનો રિપોર્ટ આવ્યો.

‘પણ પછી? આટલા બધા રિપોર્ટ આવ્યા પછી ખેડૂતોના આપઘાત અટક્યા કે નહીં?’

‘ધીરજથી સાંભળો, મહારાજ! પછી સ્વામીનાથન પંચનો રીપોર્ટ આવ્યો …’

‘ઓહ પછી?’

પછી ડૉ. નરેન્દ્ર જાધવ સમિતિનો રિપોર્ટ આવ્યો.

‘પછી?’

‘ખેડૂતો તો આપઘાત કરતા જ રહ્યા’

‘પ … છી?’ રાજાની ધીરજનો અંત આવી રહ્યો હતો.

‘રાજાએ પાર્લામેન્ટરી સમિતિ રચવાનો હુકમ કર્યો.’

‘વળી સમિતિ? ખેડૂતોના આપઘાતનું શું? પેલી જૂની વાર્તામાં તો ચકલીઓ આવીઆવીને ઊડી જતી હતી. અને અહીં તો ખેડૂતોના આપઘાત! મારે નથી સાંભળવી તારી આ વાર્તા! ઇનામ લે અને ભાગ અહીંથી.’

(‘સદ્દભાવના સાધના’માંથી ચંન્દ્રકાન્ત વાનખેડેની કૃતિનું રૂપાંતર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 20 

Loading

...102030...3,2593,2603,2613,262...3,2703,2803,290...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved