Opinion Magazine
Number of visits: 9584083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમ્મુ-કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2017

બ્રિટિશ આમની સભામાં ભારતને આઝાદ કરવાનો ખરડો પસાર થયો એ પછી ભારત સરકારે રિયાસતોને ભારતમાં ભેળવવા માટેનો એક વિભાગ શરૂ કર્યો હતો.

સરદાર પટેલ એનો હવાલો સંભાળતા હતા અને સનદી અધિકારી વી. પી. મેનન એમાં તેમને મદદ કરતા હતા. ૧૫ ઑગસ્ટે ભારતને આઝાદી મળી ત્યાં સુધીમાં ભારતમાંનાં કુલ ૫૬૫ રજવાડાંઓમાંથી ૫૬૨ ભારતમાં ભળવાને લગતા કરાર પર સહી કરી ચૂક્યાં હતાં. બાકી ત્રણ રહ્યાં હતાં જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ અને કાશ્મીર. જૂનાગઢના નવાબને પાકિસ્તાનમાં જોડાવું હતું અને હૈદરાબાદ તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજવીઓ નિર્ણય નહોતા લેતા.

રિયાસતોને ભારતમાં વિલીન કરવા માટેના બે કરારો હતા. એક ભારતમાં જોડાવાની ઇચ્છા દર્શાવતો કરાર (ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેસન) અને બીજો વિલીનીકરણ સંપૂર્ણ અને બંધારણીય સ્વરૂપ ન પામે ત્યાં સુધી છે એ સ્થિતિ જાળવી રાખવાને લગતો (સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ) ઠરાવ. પહેલા કરાર હેઠળ રાજવીઓએ તેમની રિયાસતોના સંરક્ષણની, વિદેશવ્યવહારની અને સંદેશવ્યવહારની જવાબદારી ભારત સરકારને સોંપવાની હતી. આ કરાર વહેલી તકે એટલા માટે કરવામાં આવતો હતો કે જો કોઈ રિયાસત પર એને આંચકી લેવાના ઇરાદાથી પાકિસ્તાન આક્રમણ કરે કે રાજ્યની અંદર રાજવીના નિર્ણય સામે બળવો થાય તો ભારત સરકાર લશ્કર મોકલવા સુધીની દરમ્યાનગીરી કરી શકે.

જમ્મુ અને કાશ્મીરના મહારાજા ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની ઇચ્છા દર્શાવતા કરાર પર સહી કરતા નહોતા અને એની જગ્યાએ તેમણે પાકિસ્તાન સાથે સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ કરી લીધું હતું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખ્યો નહોતો. ઊલટું મોહમ્મદઅલી જિન્નાહે જમ્મુ અને કાશ્મીરની આઝાદીને બહાલ રાખી હતી. એની પાછળનાં બે કારણો હતાં. એક તો તેમને ખાતરી હતી કે જમ્મુ અને કાશ્મીરનો હિન્દુ મહારાજા તેમની રિયાસતને પાકિસ્તાનમાં ભેળવવાનો નથી અને બીજું એનાથી પણ મોટું કારણ એ હતું કે કાશ્મીરની ખીણના મુસલમાનોના નેતા શેખ અબદુલ્લા પાકિસ્તાનવિરોધી છે. જો પાકિસ્તાન સરકાર જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખશે તો મહારાજા વહેલી તકે ભારતમાં જોડાવાનો નિર્ણય લેશે અને શેખ અબદુલ્લા એમાં મહારાજા પર દબાવ લાવશે. આના કરતાં આઝાદીનું વચન આપવામાં આવે તો બન્નેના મોઢામાં પાણી આવશે અને ભારત સાથે જોડાવાનો કરાર નહીં કરે. દરમ્યાન અનિશ્ચિતતાની સ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરને ગળી જશે.

૧૯૪૭ના ઑક્ટોબર સુધી પાકિસ્તાનની ગણતરી મુજબ જ બધું થઈ રહ્યું હતું. મહારાજા સ્વતંત્ર કાશ્મીરનાં સપનાં જોતા હતા જે એશિયાનું સ્વિટ્ઝરલૅન્ડ બને. તેઓ ભારતમાં જોડાવાની સંધિ કરતા નહોતા એટલે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા માટે લશ્કર મોકલી શકે એમ હતી નહીં. મોકો જોઈને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો. પાકિસ્તાની લશ્કર શ્રીનગરથી માત્ર બાર કિલોમીટર દૂર હતું ત્યારે મહારાજાએ સંધિ પર સહી કરી હતી અને એ પછી ભારત સરકાર લશ્કર મોકલી શકી હતી. જાગતિક દબાણ હેઠળ ભારતે યુદ્ધવિરામ જાહેર કરવો પડ્યો અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહી ગયો. આ બાજુ હજી તો ભારત વિધિવત યુનોમાં જાય એ પહેલાં જ ડિસેમ્બર મહિનામાં યુનોનું પ્રતિનિધિમંડળ શાંતિપ્રયાસો માટે ભારત આવ્યું હતું અને એણે લોકમત લેવાની ભલામણ કરી હતી.

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવો પડે એમ પણ હતું. જૂનાગઢમાં જનમત લેવામાં આવ્યો હતો એ જોતાં કાશ્મીરમાં જનમત ટાળી શકાય એમ હતો નહીં. બીજું, શેખ અબદુલ્લા ભારતમાં જોડાવાના મતના હતા એટલે ભારતને જનમત હારવાનો બહુ ડર નહોતો. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવામાં આવશે એવી જાહેરાત તો કરી, પરંતુ એ પહેલાં આખો મામલો મોડું થવાને કારણે ચેરાઈ ગયો. મારું એવું માનવું છે કે જો મહારાજાએ સમયસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો ભારતે જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા પ્રદેશ ગુમાવ્યો ન હોત. મોટા ભાગે લોકમત ભારતની તરફેણમાં આવ્યો હોત. ઉત્તરે ગિલગિટ અને બાલ્તિસ્તાનમાં લોકમત ભારતની વિરુદ્ધ ગયો હોત તો એટલો પ્રદેશ પાકિસ્તાનને આપીને પ્રશ્ન ઉકેલાઈ શક્યો હોત.

સંજોગવશાત જમ્મુ અને કાશ્મીરનો મામલો ગૂંચવાયો એટલે રિયાસતોના ભારતમાં વિલીનીકરણની બાકીની જે પ્રક્રિયા કરવામાં આવતી હતી એ જમ્મુ અને કાશ્મીરમાં થઈ શકી નહીં. અહીં એક ઇતિહાસસિદ્ધ હકીકત નોંધી લો કે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ સંપૂર્ણપણે નથી થયું. એ સમયે ભારતની બંધારણસભા બંધારણ ઘડવાનું કામ કરતી હતી. જો બધું સમુંસૂતરું પાર પડ્યું હોત તો જેમ જૂનાગઢ અને હૈદરાબાદમાં લોકમત લઈને વિલીનીકરણની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને બંધારણમાં એ બે રિયાસતોની ભૂમિ પર ભારતનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવામાં આવ્યું હતું એમ જમ્મુ અને કાશ્મીર પર પણ સાર્વભૌમત્વ સ્થાપિત થઈ શક્યું હોત. આવું બન્યું નહીં એટલે અધૂરા વિલીન થયેલા જમ્મુ અને કાશ્મીરને ભારતીય સંઘનો બંધારણીય હિસ્સો કઈ રીતે બનાવવાં એ પ્રશ્ન ઉપસ્થિતિ થયો હતો. બંધારણનો આર્ટિકલ ૩૭૦ આનો ઉપાય છે. એ આર્ટિકલ બંધારણ ઘડાઈ રહ્યા પછી ઉમેરવામાં આવ્યો હતો.

તો આનો અર્થ એ થયો કે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ નથી. અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે. ગઈ કાલે કહ્યું હતું એમ પરણેતરને પત્ની અને એ પછી પરિવારનું અભિન્ન અંગ બનાવવા માટે જે પ્રયન્નો કરવા ઘટે એ જમ્મુ અને કાશ્મીરમાં કરવા પડે એમ છે. બીજું, ભારતને જમ્મુ અને કાશ્મીર સાથે જોડી રાખનારી નાળ આર્ટિકલ ૩૭૦ છે. એના કારણે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે અને એના આધારે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર દાવો કરી શકે છે. આર્ટિકલ ૩૭૦ વિશે સંઘપરિવારે એવા ભ્રમ પેદા કર્યા છે કે જાણે એ કોઈ ભસ્માસુર હોય. આ આર્ટિકલ ૩૭૦ શું છે એની વાત હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે” 02 નવેમ્બર 2017

Loading

જમ્મુ અને કાશ્મીર પરણેતર છે, જેને પરિવારનો અવિભાજ્ય હિસ્સો બનાવવાનું હજી બાકી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 November 2017

લગ્નના બે પ્રકાર છે : એક પ્રેમલગ્ન અને બીજાં ગોઠવેલાં લગ્ન, જેને અંગ્રેજીમાં અરેન્જ્ડ મૅરેજ કહેવામાં આવે છે.

ગોઠવેલાં લગ્નમાં વર અને કન્યાની પસંદગી મા-બાપ કરે છે. પહેલાં તો વર-કન્યાને પૂછવામાં પણ નહોતું આવતું, પરંતુ હવે સંમતિ માગવામાં આવે છે; કારણ કે આધુનિક રાજ્યે સ્ત્રીને છૂટાછેડાનો અધિકાર આપ્યો છે. ભય પુત્રવધૂ જતી રહે અને પરિવારનું નાક કપાય એનો છે, બાકી કન્યાના ગમાઅણગમાનો આદર કરવાની કોઈ ઉદાત્ત ભાવના આની પાછળ છે એવું નથી. નિર્બળને અભિપ્રાય ધરાવવાનો અને જો ધરાવતો હોય તો એ વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો નહોતો અને હજી આજે પણ ખરા અર્થમાં આપવામાં આવ્યો નથી.

હવે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તાજી પરણીને આવેલી નવોઢાનો પરિવારમાં દરજ્જો શું કહેવાય? પરણેતરનો કે પતિ અને પરિવારનો અવિભાજ્ય હિસ્સો? કહેવા માટે તો કહી શકાય કે સાત-સાત જનમ સુધીનો પરિવારનો અવિભાજ્ય હિસ્સો, પરંતુ વ્યવહારિક અને કાનૂની દરજ્જો શું કહેવાય? એ દરજ્જો પરણેતરનો હોવાનો. લગ્નસંસ્થા દ્વારા સંમતિપ્રાપ્ત પત્ની કે પુત્રવધૂ અર્થાત પરણેતર. અંગ્રેજીમાં કહીએ તો વાઇફ ઑર ડૉટર-ઇન-લૉ બાય ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ મૅરેજ. તે પતિના જીવનનો અને પરિવારનો અવિભાજ્ય હિસ્સો તો એ પછીથી બને છે અને એ પણ બનશે કે નહીં એની કોઈ ખાતરી નથી. વ્યવહારિક અને કાનૂની દરજ્જો પરણેતરનો છે. જે કોઈએ પરણેતર શબ્દ મઢ્યો એ માણસ ખૂબ મોટો સમાજશાસ્ત્રી હોવો જોઈએ.

પરણેતરને જીવનનો અને પરિવારનો અવિભાજ્ય હિસ્સો બનાવવો એ એક પ્રક્રિયા છે. ખૂબ લાંબી અને સાધના કરતા હોઈએ એવી ધીરજ માગી લેનારી પ્રક્રિયા છે. અજાણી પરણેતરનાં કેટલાંક સ્વભાવ લક્ષણો અને મર્યાદાઓ હોય. તેનો જ્યાં જન્મ અને ઉછેર થયો હોય અને જે પરિવારમાં પરણેતર બનીને આવી હોય એ બે પરિવાર વચ્ચે સાંસ્કૃિતક, સામાજિક અને આર્થિક ખાઈ પણ હોય. આની વચ્ચે સમરસતા કેળવાતાં અને પોત બંધાતાં વાર લાગે છે. ઓછામાં ઓછો એક દાયકો લાગે છે. એમાં મુખ્યત્વે બાળકો એકત્વ વિકસાવવામાં મોટો ફાળો આપે છે; કારણ કે તે તારાં-મારાં નહીં, આપણાં હોય છે. એ પછી અનુભવ તો એવો પણ છે કે અનેક પ્રયત્નો પછી પણ અમુક કિસ્સાઓમાં સમરસતા સધાતી નથી, ઝઘડા થતા રહે છે.

આપણે ત્યાં ૧૯મી સદીમાં રાષ્ટ્રવાદનો પ્રાદુર્ભાવ થયો ત્યારે ક્વેટા(બલુચિસ્તાન)થી લઈને મોરે (મણિપુર) સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની ભૂમિ ભારતનો અવિભાજ્ય હિસ્સો હતો. આગ્રહપૂર્વક કહેવામાં આવતું હતું અને ભારતની પ્રજામાં ખાસ ભાવના વિકસાવવામાં આવતી હતી કે આ આખી ભૂમિ ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. કેટલાક તો બર્મા(મ્યાનમાર)ને, નેપાળને અને શ્રીલંકાને પણ ભારતનો અવિભાજ્ય હિસ્સો માનતા હતા. આવી ભાવના હતી, જ્યારે કે વ્યવહારિક અને કાનૂની વાસ્તવિકતા અલગ હતી. અવિભાજિત ભારતનો પ્રદેશ અંગ્રેજોએ જીતીને એને એક વહીવટી એકમ બનાવ્યો હતો એટલું જ, બાકી એમાંથી ભારત નામનું રાષ્ટ્ર નીપજાવવાનું બાકી હતું. ઘણી લાંબી પ્રક્રિયા હતી અને ઘણાં વિઘ્નો હતાં.

બીજું, ત્યારે ક્વેટાથી મોરે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનેક રિયાસતો હતી. ૫૫૬ રિયાસતો ભારતમાં જોડાઈ હતી અને પાકિસ્તાનમાં જોડાઈ એ વધારામાં. એક દેશમાં છસો દેશ હતા અને ત્યાંના રાજવીઓને ભારતીય રાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નહોતી. જો મોકો મળે તો દરેકને સ્વતંત્ર રહેવું હતું. ભારતીય રાષ્ટ્રવાદ તેમની ભૂમિમાં ન પાંગરે એ માટે તેઓ પ્રયત્નશીલ હતા. અંગ્રેજોએ તેમને નિ:શસ્ત્ર કરી નાખ્યા હતા એટલે તેઓ લાચાર હતા, પરંતુ કોઈ ને કોઈ રીતે અસ્તિત્વ ટકાવી રાખવા તેઓ તરફડિયાં મારતા હતા. છેવટે સાલિયાણાં અને ટાઇટલ દ્વારા તેમણે તેમના અવશેષ જાળવી રાખ્યા હતા. ઇન્દિરા ગાંધીએ પ્રીવી પર્સ અને ટાઇટલ્સ ખતમ કરી દીધાં હોવા છતાં હજીયે રાજકુમારોનો ઘરમેળે રાજ્યાભિષેક કરવામાં આવે છે.

તો આવો આ દેશ હતો અને એને અંગ્રેજોની વિદાય પછી પણ જોડી રાખવાનો હતો. એને માટે સંબંધો બાંધવાના હતા, સંબંધોનાં સ્વરૂપ નક્કી કરવાનાં હતાં એને બંધારણમાં લેખિત રૂપ આપવાનું હતું, જૂની ફરિયાદો કે અદાવતો હોય તો એને દૂર કરવાની હતી, વિશ્વાસ સંપાદન કરવાનો હતો વગેરે. ઘણી લાંબી અને કાથાકૂટવાળી પ્રક્રિયા હતી. જે દેશે એના ઇતિહાસમાં ક્યારે ય એકતા અને અખંડતા જોઈ નથી એને એક કરવાનો હતો. દુર્ભાગ્યે આઝાદી વખતે ક્વેટાથી લઈને મોરે સુધીના અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના ભારતને સાથે રાખવામાં સફળતા મળી નહીં. એને માટે કોણ જવાબદાર હતું એ ચર્ચાનો કોઈ અર્થ નથી. જેમ પરિવારમાં ખટરાગ માટે પરણેતર જવાબદાર કે પતિ તેમ જ પરિવાર જવાબદાર એની ચર્ચાનો કોઈ અર્થ હોતો નથી એના જેવી જ વાત થઈ. સત્ય અને અસત્ય બન્ને પક્ષે હોય છે. કમ સે કમ એક ડઝન કારણ હતાં જેને કારણે ભારતનું વિભાજન થયું હતું.

સરદાર પટેલે વિભાજિત ભારતમાંની ૫૫૬ રિયાસતો સાથે નાતરાં જોડવાનું બીડું ઝડપ્યું હતું. નાતરાં જ ગોઠવવાનાં હતાં, કારણ કે કોઈ રાજવીને અખંડ ભારતના નિર્માણમાં રસ નહોતો. આમાં તળ ભારતમાં તો જૂનાગઢ અને હૈદરાબાદને છોડીને કોઈ જગ્યાએ ખાસ મુશ્કેલી આવી નહોતી, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં મુશ્કેલી મોટી આવી હતી. ત્રણ કારણ મુખ્ય હતાં.

એક જમ્મુ અને કાશ્મીરના હિન્દુ રાજવી પોતાના રાજ્યને ભારત અને પાકિસ્તાનથી સ્વતંત્ર રાખવા માગતા હતા અને કાશ્મીરીઓના નેતા શેખ અબદુલ્લા સ્વતંત્ર કાશ્મીર જો શક્ય હોય તો એના હિમાયતી હતા. બીજું કારણ એવું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાનોની બહુમતી હતી અને આઝાદી વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સ્થૂળ સમજૂતી મુજબ જે રિયાસત પાકિસ્તાનની સરહદને લાગીને હોય અને જ્યાં મુસલમાનો બહુમતીમાં હોય એ રિયાસતે પાકિસ્તાનમાં જોડાવું જોઈએ. આ સ્થૂળ સમજૂતી હતી, વ્યવહારુ પણ હતી; પરંતુ રાજવીઓ માટે બંધનકારક નહોતી. આમ મહારાજા હરિ સિંહનો અધિકાર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થૂળ સમજૂતી વચ્ચે વિરોધાભાસ હતો. ત્રીજું કારણ એવું હતું કે જમ્મુ અને કાશ્મીર મહારાજ હરિ સિંહની રિયાસત તરીકે એક એકમની ઓળખ ધરાવતું હતું, બાકી એ રિયાસત સો ટકા કૃત્રિમ હતી. અંગ્રેજોએ જીતેલા, ખરીદેલા અને વેચેલા પ્રદેશો જોડીને જમ્મુ અને કાશ્મીર બનાવવામાં આવ્યું હતું. ત્યાંની પ્રજાને એકબીજા સાથે સ્નાનસૂતકનો ભાવનાત્મક સંબંધ નહોતો અને આજે પણ નથી.

આની વચ્ચે ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર સાથે સગાઈ કરવાની હતી. મહારાજા હિન્દુ હતો, પરંતુ આઝાદીની જીદ લઈને બેઠો હતો અને મૂલ્યવાન સમય બગાડતો હતો. શેખ અબદુલ્લાને આઝાદી જોઈતી હતી, પરંતુ જો એ મળે એમ ન હોય તો જમ્મુ અને કાશ્મીર ભારત સાથે જોડાય એમ ઇચ્છતા હતા. પાકિસ્તાન રિયાસતો બાબતે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સ્થૂળ સમજૂતી માટે આગ્રહ રાખતું હતું. ૧૯૪૭ના ઑગસ્ટ પછીનો છ મહિનાનો ઇતિહાસ માત્ર છ મહિનાનો હોવા છતાં ઘણો લાંબો છે. મહારાજા હરિ સિંહે પાકિસ્તાન સાથે આઝાદ રહેવા માટેની સંધિ કરી અને પાકિસ્તાને મહારાજાને જમ્મુ અને કાશ્મીરની આઝાદીનું વચન પણ આપ્યું. એ પછી તરત જ સંધિનો ભંગ કરીને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર આક્રમણ કર્યું. હવે મહારાજા પાસે ભારતમાં જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. નાછૂટકે લાચારીમાં ઘડિયાં લગ્ન ગોઠવાયાં હતાં જે વી. પી. મેનન ચાર્ટર્ડ વિમાનમાં શ્રીનગર જઈને કરી આવ્યા હતા.

એ પછી પરણેતરને પરિવારનો અવિભાજ્ય હિસ્સો બનાવવાની હતી, જેમાં હજી સફળતા મળી નથી. એનાં કારણોની ચર્ચા હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 નવેમ્બર 2017

Loading

‘હળવાં કર્મ’નો હું નાગરિક

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 November 2017

વાત અલબત્ત સાચી કે હમણેના દિવસો ગુજરાતમાં મોદી ભા.જ.પ.ને માટે સુનામીઆંચકા શા બની રહ્યા છે. આમ તો, હિમાચલ પ્રદેશની હારોહાર ગુજરાતમાં પણ ચૂંટણીતારીખોની જાહેરાત અપેક્ષિત હતી. પણ એમાં મુદત પડી તે સાથે સમજાઈ રહ્યું હતું કે આચારસંહિતા અમલી બને એ પૂર્વે ભા.જ.પ. ઘડિયા અવસરો ઉકેલી લેવા માગે છે. જે પણ થોડો સમયગાળો એને વધુ મળ્યો એમાં વિક્રમી લોકાર્પણો અને જથ્થાબંધ જાહેરાતો પક્ષ જરૂર કરી શક્યો, પણ અલ્પેશ ઠાકોરના કૉંગ્રેસપ્રવેશ સાથે તે બધું કેમ જાણે હવાઈ ગયા જેવું થઈ ગયું.

એક રીતે, અલ્પેશ ઘટના સાથે એક ચક્ર પૂરું થાય છે એમ પણ તમે કહી શકો, કેમ કે પછીથી વિકાસનો વરખ આવ્યો હોય તો પણ મોદી ઘટના મૂળભૂત રીતે મંદિર અને મંડલના જોડાણની હતી. ૨૦૦૨ના ઘટનાક્રમે એને માંજો પાયો અને બનવા કાળ બનીને રહ્યુંઃ વિશ્વનાથ પ્રતાપસિંહે મંદિર સામે મંડલનો મોરચો ખોલી નાખ્યો અને ઉત્તરપ્રદેશ-બિહારમાં લાલુ, નીતીશ, મુલાયમની તાજપોશી શક્ય બની. ગુજરાતમાં કેશુભાઈ પટેલના નેતૃત્વ સામે ખૂલેલો મોરચો એક અર્થમાં મંડલ પરિબળોનો હતો. કાળક્રમે શંકરસિંહ વાઘેલા અને કાશીરામ રાણાની સત્તા-શક્યતાને વટીને ભા.જ.પ.માં તે મોદીમાં ઠર્યો. આજે અલ્પેશ સાથે ઓ.બી.સી. ઉદ્યુક્તિ કૉંગ્રેસ પાસે જાય છે, અને એ રીતે ચક્ર પૂરું થાય છે.

સોલંકીના ખામ વ્યૂહ સામે ભા.જ.પે. જે ખાસ (કે-ક્ષત્રિય, એચ-હરિજન, એ-આદિવાસી, એસ-સવર્ણ) વ્યૂહ ધુણાવવા તાક્યું તેમાં જે બનીને રહ્યું તે એ કે બધા ભેગા તો થયા પણ હિંદુત્વ રાજનીતિ એમને કોઈક તબક્કે ગોળબંદ કરી શકતી હોય તો પણ નાતજાતગ્રસ્ત વાસ્તવ સામે હિંદુ ઓળખ ઓછી અને પાછી પડે છે.

જે ત્રણ યુવા નેતાઓએ ગુજરાતના રાજકારણને આ ગાળામાં તળેઉપર જેવું કરી નાખ્યું છે તે પૈકી અલ્પેશ સિવાયના બે – હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી – કૉંગ્રેસમાં નથી. હાર્દિક કોઈક ફોર્મ્યુલા ઉપસાવવાની કોશિશમાં હશે. બને કે ચાલુ અઠવાડિયે સુરતની સૂચિત રેલી સાથે આ બાબતે ચિત્ર સ્પષ્ટ થઈ જાય. જિજ્ઞેશ અને હાર્દિક બંને ભા.જ.પ. તો નહીં એ બાબતમાં અસંદિગ્ધ ભૂમિકાએ છે. ચીમનભાઈ-કેશુભાઈ સંક્રાન્તિ સાથે પટેલો અને ભા.જ.પ. એક તબક્કે બિલકુલ સમીકૃત થઈ ગયા હતા. એમ તો બાબુભાઈ જશભાઈ પણ હતા તો પટેલ, પણ હાડના સ્વાતંત્ર્યસૈનિકને નાતે એમણે આવી સીમિત ઓળખમાં સમાવું ને ખોવાવું, ખાસ તો એનું રાજકારણ કરવું પસંદ નહોતું કર્યું. બલકે, નહીં વાજો, નહીં ગાજો એમ લગભગ નિત્યક્રમની સરળતાથી એમણે બક્ષી પંચના અમલની જે કોશિશ કીધી તે પોપ્યુિલસ્ટ પ્રયુક્તિઓ(અને પ્રાયોજિત વધામણાં)ના કુળની નહોતી.

ખેર, ઇતિહાસમાં નહીં અટવાતા એટલું કહીએ કે કૉંગ્રેસને અત્યારના સંજોગોમાં પુનર્જીવન અને નવજીવનનો સુખાનુભવ થાય એ સ્વાભાવિક છે. સૌને ટિકિટફાળવણીમાં ઘરઆંગણેના મુમુક્ષુઓ સહિત કેવી રીતે જોગવવા એ પ્રશ્ન પણ થવાનો. વળી, બધા ઉદ્રેક બધો વખત વાસ્તવિક પરિણામદાયી મતદાનમાં પરિવર્તિત થતા હોય છે એવું પણ નથી. એક રીતે ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં ભા.જ.પ. જો એક છેડેથી કટોકટી અને કસોટીની પળોમાં છે તો બીજે છેડેથી કૉંગ્રેસ પણ કસોટીની પળોમાં છે. બને કે, બલકે બનશે કે, ૨૦૧૭માં જ નહીં પણ ૨૦૧૯માં યે પ્રક્રિયા બેઉ માટે પડકારભરી હશે.

ભા.જ.પ.નો ઓસરતો પ્રભાવ, જીતે તો પણ એક વાસ્તવિકતા બની રહેવાનો છે. પણ કૉંગ્રેસ પાસે એક તક છે જે એણે વચગાળામાં ગુમાવ્યા જેવી છે. આ તક, પ્રજાસત્તાક સ્વરાજ અને નાગરિક સમાજને શોભીતી રીતે જુદા જુદા સમુદાયોને એમની ઓળખના સહજ સ્વીકાર છતાં એના ’અતિ’થી ઉગારી નાગરિક ધોરણે વિચારતા કરવાનો છે. જેને મતબૅંકનું રાજકારણ કહેવાય છે એમાં અલાયદી ઓળખના સહજ સ્વીકાર સાથે અને છતાં ’નાગરિક’ ઓળખ ઓજપાઈ જાય છે. નવા નવા સમુદાયો કથિત મુખ્ય પ્રવાહમાં આવશે – અને આવવા જ જોઈએ – પણ સમગ્ર પ્રક્રિયા નાગરિક સમાજ તરીકેની વ્યાપક ભૂમિકામાં ઠરવી જોઈશે. જેમ પક્ષોએ તેમ સૌ સમુદાયોના નેતૃત્વે અને સાથીઓએ પણ આ મુદ્દો ગંભીરતાથી લેવો રહે છે. અન્યથા, ભા.જ.પ.ને લાભમાંથી ખોટમાં જવું કે કૉંગ્રેસને ખોટમાંથી લાભમાં જવું, બધું ચાલ્યા કરશે અને નાગરિક સમાજ તો રાબેતા મુજબ નુકસાનનો નુકસાનમાં રહેશે.

ખરું જોતાં ગુજરાતમાં અત્યારે જે બની રહ્યું છે – બાવીસ વરસ પછી ભા.જ.પ. એન્ટિ-ઇન્કબન્સીનો અનુભવ કરી રહ્યો છે ત્યારે સ્વાભાવિક એવો ઉમંગ થઈ આવે કે ૧૯૭૫માં ગુજરાતમાં કૉંગ્રેસ વિ. જનતા મોરચો એવી જે દ્વિપક્ષવત્ વ્યૂહરચના શક્ય બની હતી તે પ્રમાણે આજે ભા.જ.પ. વિ. બાકી બધા એવું કાંક થવું જોઈએ. પણ કૉંગ્રેસનો લાંબો સત્તાસંસ્કાર જોતાં એ બાકી સૌ બિનભા.જ.પ.બળોને ધોરણસર સમાવી શકે તે શક્ય જણાતું નથી. પાટીદાર, ઓ.બી.સી., દલિત ઉદ્યુક્તિઓ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. પણ તે સિવાય કેટલાં બધાં તળ આંદોલનો અપ્રતિનિધિત છે, ન જાણે! સ્થાપિત ડાબેરી પક્ષો ઉપરાંત એસ.યુ.સી.આઈ. જેવા દેખીતા નાના પણ લોકઆંદોલનનો મહિમા કરતા પક્ષો, સદ્ભાવનાના કનુભાઈ કલસરિયા કે સુખદેવ પટેલ જેવા અદના ઝુંબેશકારો, બધા સાથે સંવાદ અને સમાસના અભિગમ વગર વિકલ્પ અંગેની ચર્યા અને ચર્ચા અધૂરાં રહેવાનાં છે. ભા.જ.પ.ની રણનીતિ આપ કે જનવિકલ્પમાં પોતાની સામેના મતો વહેંચાઈ જાય તેવા ઉમેદવારો ઊભા કરવાની જણાય છે તે અંગે  સતર્ક રહેવું એ એક વાત છે, અને હમણાં ચીંધી તે સિનર્જીની તાકીદ એ બીજી વાત છે.

બાવીસ વરસના શાસનને છેડે ભા.જ.પે. જવાબ આપવા જોગ સવાલોનો સુમાર નથી. કૉંગ્રેસ કે બીજા પાસે શો કાર્યક્રમ છે, શું શક્તિ છે, બધી ચર્ચા કરીએ, જરૂર કરીએ. એમની મર્યાદાઓને પણ મૂલવીએ. પણ બધી ઝીણી નુક્તેચીનીમાં જો બાવીસ વરસના સવાલોનો જવાબ પૂછવાનું રહી જશે તો જવાબ-દાર સરકાર અને સવાલ-દાર જનતાની બુનિયાદી લોકશાહી ફોર્મ્યુલાનો એ કમનસીબ ધ્વંસ લેખાશે. સુરેશ મહેતાના દત્તચિત નેતૃત્વમાં અને ગૌતમ ઠાકરના યોજકત્વમાં હેમંત શાહ, મહેશ પંડ્યાએ તથ્યને ધોરણે પૂછવા જોગ દસ્તાવેજી સામગ્રી ગુજરાતવગી કરી જ છે. માત્ર, સવાલની સફાઈની સાથોસાથ જનતા છેડે જાતમાં ઝાંખવું જરૂરી હતું, છે અને રહેશે. જાતમાં ઝાંખવું તે શું એનો સૂત્રાત્મક ઉત્તર કોઈ આપવાનો હોય તો તે એ છે કે રાજકીય જાગૃતિની જોડે સમાજસુધારનું જે સાર્થક સંધાન હોવું જોઈએ તે કે’દીનું અટકી પડેલું છે.

વાત સમેટતાં પહેલાં દેખીતો અળગતનો લાગે એવો એક મુદ્દો પણ ભેગંભેગા લઈ જ લઈએ. ત્રણ યુવા નેતાઓના આંદોલનઉદય સાથે જે નવી હવા બની તે એવી તો ઝલાઈ અને ઝિલાઈ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં સિતાંશુ યશશ્ચંદ્ર યશસ્વી બન્યા ત્યારે કોઈક અખબારે શીર્ષચીસોટે આ ઘટનાને ‘ભા.જ.પ.નો સફાયો’ એમ વર્ણવી હતી! દેખીતી વાત પણ સાચી કે પ્રતિસ્પર્ધી ઉમેદવારની તરફેણમાં સરકારે અને સંગઠને પ્રત્યક્ષ ને પરોક્ષ બળ તો નાખ્યું હતું. તેમ છતાં સિતાશુ ચૂંટાયા. પણ આ ચૂંટણીને પક્ષોના ખાનામાં ખતવવાને બદલે આપણે વ્યાપક રીતે જોઈએ તો તે એક એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ ચુકાદો ચોક્કસ છે. સિતાંશુની પોતાની ઓળખ, સર્જક પ્રતિભાને ધોરણે પૂરતી બુલંદ રહી છે. પણ હમણેના ગાળામાં એમની ફરતે જે ભામંડળ બન્યું તેમાં સ્વાયત્તતાના મૂલ્ય માટે પ્રગટપણે ઊભા રહેવાનો સિંહફાળો હતો. સત્તાપક્ષની નીતિરીતિના ટીકાકાર છતાં વિચારધારાની રીતે એની નજીક હશે તેમણે પણ આ મુદ્દે સત્તાવાર ઉમેદવાર જેવા પ્રતિસ્પર્ધીને બદલે સિતાંશુની સાથે રહેવું પસંદ કર્યું. તે અર્થમાં આ એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ વલણનું ઔચિત્ય જોવાપણું છે. એક રીતે અકાદમી અધ્યક્ષે સિતાંશુમાં જોયેલી ‘પ્રબુધ્ધ’તાને મતદારોએ દાદ આપી એમ જ કહેવું જોઈશે. મુશ્કેલી માત્ર એટલી છે સ્વાયત્તતાને મુદ્દે સિતાંશુભાઈ આ લખનાર સહિતના સંખ્યાબંધ અબુધજનોની સાથે છે. અલબત્ત, સ્વાયત્તતાની ચર્ચાને અપ્રસ્તુત માનતા અકાદમી અધ્યક્ષને પ્રબુદ્ધ મતદાનની કદર અગર રગ ન હોય એ સમજી શકાય એવી વાત છે. જો કે, સ્વાયત્તતા પ્રકારના મુદ્દાઓ ઉઠાવવાની દિલી કોશિશમાં એમને હાસ્યલેખ વંચાય તેને હસનીય કહેવું કે દયનીય, એ સમજાતું નથી.

અહીં ડંકેશ ઓઝાના ૧૬/૧૦ના અંકમાં પ્રકાશિત એ મૈત્રીપૂર્ણ ટીકાવચનોની ચર્ચા લાજિમ છે કે ‘ખિસાવસ્યમ્’ જેવો પ્રયોગ કરવો ઘટારત હતો કે નહીં. મિસાવાસ્યમ્ સાથે આ પ્રયોગનો સંબંધ જોતાં એને કમરપટા નીચેના વાર તરીકે લેખીએ તો જરૂર આ ટીકાવચનો લાજિમ છે. પણ સરકારમાત્રની ગજવેઘાલ માનસિકતા અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષસ્થાનેથી એની અનુમોદનાનો સમગ્ર સંદર્ભ જોઈએ તો જે છે તે ખિસાવાસ્યમ્ અને ખિસાવાસ્યમ્ જ છે. સરકારે તો કરતાં કર્યું. પણ એની અનુમોદનાનો એકંદર બૌદ્ધિક ખટાટોપ ઘટાટોપ જોતાં વળી વળીને કહેવાનું બને, કેમ કે આપણે ક્યાંથી ક્યાં પહોંચવામાં છીએ તે સમજાય તો દોહરાવવાનું વરદાન તો વરદાન અને અભિશપ્ત નિયતિ કહો તો નિયતિ છે તે છે જ.

નાગર નરસિંહે પોતાને ‘હળવાં કર્મ’નો કહ્યો હતો, એનો મહિમા ને એનું મહત્ત્વ કાશ, આપણા સૌ ગુર્જર ગિરાનુરાગીઓને (અને માબોલીનાં ઘેલાં કાઢનારાઓને) સમજાય! મહેતાજીના ‘જેવા તમે કહો છો તેવા’ એવા ઉરબોલમાં ખરું જોતાં નવા જમાનાનો ઢંઢેરો છે. આ ક્ષણે લગરીક ફંટાયા જેવું લાગે તો પણ આદિકવિના ઉદ્ગારોને સંભારવાનું નિઃશંક નિમિત્ત પ્રમુખની સાથોસાથ મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સ્વાયત્તતા સમર્થકોની બહુમતી છતાં એને લાગેલા એક વણછાનું છે. નાતજાતને ધોરણે (સવિશેષ જો કે વર્ણગત) ભેદભાવની  સભાન હોઈ શકતી પ્રક્રિયા(ખરું જોતાં વિક્રિયા)નું આ વાસ્તવ ફરી એકવાર એ વાનું અંકે અને અધોરેખિત કરે છે કે રાજકીય એસ્ટાબ્લિશમેન્ટ સામે લડવાનું સમજાય છે ત્યારે પણ સામાજિક એસ્ટાબ્લિશમેન્ટ સામે લડવાનું સોરવાતું નથી. સ્વતંત્રતા અને સમતાનાં સહીપણાં એ આપણો બાકી ખેંચાતો એજન્ડા છે. અને આ સ્થાનેથી એ આરડી આરડીને પણ કહેવાવું જોઈએ; કેમ કે આપણે ‘હળવાં કર્મ’ના નાગરિક મુઆં છીએ તે મુઆં છીએ.

ગમે તેમ પણ ડિસેમ્બર ૨૦૧૭માં નાતજાતગત ઉદ્રેકના રાજકીય જોડાણથી ઊભી થયેલી પરિવર્તન-શક્યતાએ આ વાનું લક્ષમાં લીધા વિના ચાલવાનું નથી. હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ જો લાંબી રેસના ઘોડા હોય તો એમની ઓળખ ને પરખ વસ્તુતઃ આ મુદ્દે થઈ રહેશે, અને સંભવિત રાજકીય વિકલ્પ વિશે પણ આખરે તો આ જ કહેવાનું રહે છે.                                                                

લખ્યા તા. ઑકટો. ૩૦, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 01, 02 અને 04

Loading

...102030...3,2543,2553,2563,257...3,2603,2703,280...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved