Opinion Magazine
Number of visits: 9583936
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રિપુરાનાં આદિવાસી અને ટાગોર

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|30 November 2017

મેં લગભગ દસ વર્ષ પૂર્વે શાંતિનિકેતનની મુલાકાત લીધી હતી અને મારે ત્યાંના વાઈસ ચાન્સેલરના સચિવ તરીકે કાર્યરત બૌદ્ધ ભિક્ષુને મળવાનું થયું હતું. તે બૌદ્ધ ભિક્ષુ ત્રિપુરાના હતા અને શાંતિનિકેતનની સ્થાપના થઇ ત્યારબાદ ત્યાં ત્રિપુરાનાં ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે.

કેટલાંક દિવસો બાદ હું મણિપુર ગયો અને ત્યાંની નૃત્ય અને સંગીતની પરંપરા ખરા અર્થમાં આકર્ષિત કરી દે તેવી છે. ત્યાં મને જણાવવામાં આવ્યું હતું કે ટાગોર ક્યારે ય મણિપુર આવ્યા નહોતા પરંતુ, ત્રિપુરા મહારાજના દરબારમાં મણિપુરી નૃત્ય જોઇને તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે શાંતિનિકેતનના પાઠ્યક્રમમાં આ નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો અને ખાસ મણિપુરથી શિક્ષકોને શાંતિનિકેતનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ટાગોર તેમનાં જીવનકાળ દરમિયાન લગભગ સાત વખત ત્રિપુરા ગયા હતા. જ્ઞાન બિચિત્ર પ્રકાશની દ્વારા પ્રકાશિત બિકાચ ચૌધરીની પુસ્તિકામાં આ મુલાકાતનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. મને આ પુસ્તિકા મારી ત્રિપુરાની પ્રથમ યાત્રા દરમિયાન મળી હતી. ત્રિપુરામાં લાંબો વખત મુખ્યમંત્રી રહેનાર માણિક સરકાર વિશે મેં ત્રિપુરા આવતાં પૂર્વે ઘણી સારી બાબતો સાંભળી હતી. તેમનાં વિશેની ચર્ચા ખાસ કરીને તેઓની પ્રમાણિકતા, આત્મનિર્ભરતા અને શિક્ષણનાં ક્ષેત્રમાં તેમની અભિરુચિ માટે થાય છે.

ત્રિપુરાની યાત્રા દરમિયાન ત્યાંના વિદ્યાર્થીઓને મેં આ વિષયક પ્રશ્ન પૂછ્યો હતો કે મુખ્યમંત્રી વિશેની આ ધારણાઓ કેટલી હદે સાચી છે? અને અપેક્ષા પ્રમાણે આ પ્રશ્નનાં મને મિશ્ર પ્રતિસાદ સ્વરૂપે ઉત્તર પ્રાપ્ત થયા. ત્યાં હાજર એક વિદ્યાર્થીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીની માફક માણિક સરકાર દરેક જગ્યાએ પોતાનાં પોસ્ટર ચોંટાડવાના શોખીન નથી. તે વિદ્યાર્થીની દ્રષ્ટિએ માણિક સરકારનું રોજિંદુ જીવન અને નાગરિક પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને અન્ય નેતા કરતાં વિશેષ બનાવે છે. ત્યાં હાજર અન્ય એક વિદ્યાર્થીએ પણ માણિક સરકારની પ્રશંસા કરી અને સાથે ચેતવણી આપતાં કહ્યું કે તેમની પ્રમાણિકતા અને નિષ્ઠા બાબતે મને કોઈ શંકા નથી પરંતુ, ઉદ્યમવંત અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું તથા અન્ય કાર્યો તેમણે હાથ ધરવા જોઈએ. તે વિદ્યાર્થીનું એવું પણ માનવું હતું કે ત્રિપુરાનો સાક્ષરતાનો દર ઊંચો છે છતાં તે પ્રમાણમાં રોજગારીના સારા અવસર ઘડવામાં તેઓ નિષ્ફળ સાબિત થયાં છે. જેનું મુખ્ય કારણ ત્રિપુરાની ભૌગોલિક અલગતા અને તે સાથેની કનેક્ટિવિટી સાધવામાં પડતો વિલંબ છે. અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના યોગ્ય પ્રયાસ પણ કરવામાં આવ્યા નથી.

ત્યારબાદ અન્ય ત્રીજા વિદ્યાર્થીનું સરકાર પ્રત્યેનું તીખું વલણ જોવા મળ્યું અને તેના મત પ્રમાણે ત્રિપુરાના આદિવાસીઓ શરૂઆતથી જ બંગાળી અને બંગાળીભાષીના ભેદભાવનો શિકાર બન્યા છે. ત્રિપુરામાં ઘણાં ઓવરબ્રિજ બન્યાં છે પરંતુ, ત્યાંના આદિવાસી વિસ્તારો અત્યારે પણ સારા રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલ માટે તરસી રહ્યા છે. અને સાથે આ આદિવાસીઓ સાંસ્કૃિતક ભેદભાવના પણ શિકાર બન્યા છે. ત્યાંના સાર્વજનિક સ્થળોનાં નામકરણમાં પણ બંગાળનું વર્ચસ્વ જોવા મળે છે.

આ સંવાદો દરમિયાન હું ત્રિપુરાના સંગ્રહાલયમાં પહોંચ્યો. આ સંગ્રહાલય એક સમયમાં મહેલ હતો. અહીં નાના-નાના ખંડોમાં ત્રિપુરાની સાંસ્કૃિતક પરિસ્થિતિઓનો અને તેની વિવિધતાઓનો પરિચય થાય છે. જે પૈકીનો એક ખંડ સામાજિક અને ઐતિહાસિક સંદર્ભોની સાથે ત્રિપુરાની તે વિવિધતાઓનો પરિચય કરાવે છે કે જેમાં વિભિન્ન જાતિ, સમુદાય, ધર્મ અને જનજાતિઓની વચ્ચેનો એક અનન્ય સમન્વય જોવા મળે છે. એક અન્ય ખંડ ત્રિપુરાની પ્રાકૃતિક સંપદાનો અનુભવ કરાવે છે કે જેનાથી દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઇ શકે છે. આ સંગ્રહાલયમાં સાંસ્કૃિતક અને પ્રાકૃતિક વિરાસતની સાથે જ આદિવાસી કલા અને શિલ્પનું પણ ઉદાહરણ મળશે. અન્ય સરકારી સંગ્રહાલયો કરતાં આ સંગ્રહાલય થોડું અલગ છે. પોતાનાં સીમિત સંસાધનો અને પડકારોની વચ્ચે પણ પરિકલ્પનાકારોએ આ સંગ્રહાલયને જે સ્વરૂપ આપ્યું છે તેની પ્રશંસા કરવી ઘટે છે. હા, આ સંગ્રહાલય જોતી વેળાએ જે-તે વિદ્યાર્થીના બંગાળી વર્ચસ્વ પર કરવામાં આવેલ આરોપોની ખાતરી પણ થઇ આવી. અહીં ટાગોર અને ત્રિપુરાને સમર્પિત એક અલગ જ ખંડ છે. પરંતુ, અહીં સૌથી વિશાળ ખંડ ટાગોરનાં જીવન, દર્શન અને તેમની રચનાત્મકતાને સમર્પિત છે. બાળપણથી લઈને ટાગોર જીવિત રહ્યા ત્યાં સુધી અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વિશ્વવિભૂતિઓની સાથેનાં તેમનાં ચિત્રો અહીં જોવા મળશે. ભાગ્યે જ ટાગોરનું કોઈ એવું પુસ્તક, ચિત્ર અથવા સ્કેચ હશે કે જે આ પ્રદર્શનમાં ના હોય. ટાગોર પ્રત્યે અહીં અતિશય પ્રેમ જોવા મળે છે જે તમને કદાચ કલકત્તામાં પણ નહિ જોવા મળે કારણ કે કલકત્તામાં ટાગોર સાથે તમને રામમોહન રાય, બંકિમચંદ્ર, વિવેકાનંદ, સત્યજીત રાય, નજરૂલ ઇસ્લામ અને અન્ય બંગાળી વિભૂતિઓ પણ જોવા મળશે. પણ ત્રિપુરાની વાર્તા કાંઇક આ પ્રકારે છે કે ત્રિપુરાના લોકોને એવું જણાવવામાં આવે છે કે તેમનાં માટે સર્વાધિક મહત્ત્વપૂર્ણ અને પૂજનીય વ્યક્તિ માત્ર ટાગોર જ છે કે જેઓ પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ ઓછાં મુલાકાતે ત્રિપુરા આવ્યા હતા.

આધુનિક ત્રિપુરામાં આદિવાસી-બંગાળી સંબંધો પર આધારિત મણિશંકર મિશ્રના એક સંશોધન પત્રમાં આ વિષયક વિસ્તૃત ચર્ચા જાણવા મળે છે, તે અનુસાર ૧૯૫૦ના દાયકામાં આદિવાસી કમ્યુિનસ્ટ અને બંગાળી દેશાંતરવાસી પોતાને કોંગ્રેસની નિકટનાં સમજતા હતાં. ૧૯૬૦ના દાયકા બાદ તેઓની વચ્ચે તિરાડ પડી અને સતર્ક આદિવાસી આ બંનેથી અલગ પોતાની નવી રાજનૈતિક ઓળખ પ્રાપ્ત કરવા માટેની મથામણમાં જોવા મળ્યાં. ૧૯૭૦નો દાયકો આવતા સુધીમાં તો જાતીય સંઘર્ષે બંગાળીઓ વિરુદ્ધ વિદ્રોહી સ્વરૂપ ધારણ કર્યું. હવે તો રાજ્યમાં શાંતિ છે પરંતુ ત્યાં સાંસ્કૃિતક સંઘર્ષ એટલી હદે જોવા મળતો નથી કે જેટલો સંગ્રહાલયના પરિકલ્પોએ દેખાડ્યો છે.

માકપા અહીં સત્તામાં ત્રણ કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલ છે પરંતુ મુખ્યમંત્રીની સાથે તેના વધારે મંત્રીઓ તો આજે પણ બંગાળી જ છે. ત્રિપુરાના યુવાઓ આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્ય સંગ્રહાલય ટાગોર દીર્ઘ ત્રિપુરાના ભૂતકાળ અને વર્તમાનનો એક પક્ષ દેખાડે છે. સંગ્રહાલયમાં પ્રવેશતાની સાથે જ બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા જોવા મળે છે કે જેનું લોકાર્પણ વર્ષ ૧૯૯૫માં મુખ્યમંત્રી દશરથ દેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આધારે દશરથ દેબને ત્રિપુરાના વંચિતોના પ્રથમ મસીહા કહી શકાય. દશરથ દેબ આદિવાસી હતા અને અવિભાજિત કમ્યુિનસ્ટ પાર્ટીમાં આવ્યા તે પૂર્વે ઉગ્ર ખેડૂત આંદોલનો અને ત્યારબાદ કેન્દ્ર સરકાર વિરોધી સશસ્ત્ર સંઘર્ષમાં પણ તેઓ જોડાયેલા રહ્યા હતા. વર્ષ ૧૯૫૨માં ચૂંટણી લડવા માટે તેમણે હથિયારોનો ત્યાગ કર્યો અને ચાર વખત લોકસભા માટે ચૂંટાઈને પણ આવ્યા. વર્ષ ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ રાજ્યની રાજનીતિમાં પરત આવ્યા અને વર્ષ ૧૯૯૩માં ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સંગ્રહાલયના મુખ્ય દરવાજા પર હોવું પણ એક દૂરંદેશી રાજનીતિનું અગત્યનું પ્રતીકાત્મક પગલું હતું કે જેમાં રાજસી નિરંકુશતાનો પ્રતિકાર હતો. આદિવાસી અને દલિતો ઘણા દાયકાઓ સુધી માકપા શાસિત પશ્ચિમ બંગાળમાં પણ ઉપેક્ષિત જ રહ્યાં છે. રાજનૈતિક જીવનમાં તેઓ આજે પણ હાંશિયા પર જ છે. પશ્ચિમ બંગાળ માકપાને ક્યારે ય કોઈ દશરથ નથી મળ્યા. જ્યોતિ બસુ પણ ખરા અર્થમાં બાબા સાહેબ આંબેડકરનાં મૂલ્યોને સમજી શક્યા નહોતા. પરંતુ, ત્રિપુરાના કેટલાક કટ્ટરપંથીઓએ એક વખત આવું કર્યું હતું. તેમનાં જીવન અને રાજનૈતિક દર્શનનો ફરી વખત અનુભવ કરવા માટે રાજ્યના હિતમાં તેને ફરી વખત ગ્રહણ કરવાની જરૂરિયાત છે.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

વાજીકરણથી કાયાકલ્પ કેટલે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 November 2017

એ તો નક્કી જ હતું કે કોઈ અવળમતિ ને અદકપાંસળા યુવક કૉંગ્રેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ચા-વાળા’ પૂર્વરંગને ટિ્‌વટમુદ્દો બનાવ્યો તે સાથે ભાજપને સોનેરી સ્પિન અવસર મળી રહેશે : ૨૬ નવેમ્બરનો બંધારણ દિવસ કે રાષ્ટ્રીય કાયદા દિવસ ગુજરાતના ચૂંટણી માહોલમાં ‘ચાય પે ચર્ચા’માં કોલાહલભેર ડૂબી ગયો. અહીં આ મુદ્દે નમો પર કોઈ ટિપ્પણી કરવાનો આશય અલબત્ત નથી, કેમ કે નમોનો ઉદય જેમ એમના પેચપવિત્રા કૌશલની દ્યોતક બીના છે તેમ એમના ઉદયમાં દેશની લોકશાહી ગુંજાશ પણ જોઈ શકાય છે. સ્વરાજની સિત્તરીએ (જેમાં, ઇતિહાસવસ્તુ તરીકે કૉંગ્રેસના શાસને સિંહભાગ રોક્યો છે) એક એવી ભોંય જરૂર કેળવી છે જેમાં આ પ્રકારનો વિકાસઆલેખ શક્ય બની શકે છે.

સ્વરાજ આગમચ ખાસાં બારતેર વરસ પૂર્વે કૉંગ્રેસના સભ્ય મટી ગયેલા ગાંધીએ એટલું નૈતિક અને રાજનૈતિક દબાણ સતત બનાવી રાખ્યું હતું કે આમ આદમી આપણા વિમર્શમાં રહે. આ જ સ્વરાજપરંપરામાં નેહરુપટેલ હસ્તક જેમ દેશના ઔદ્યોગિકીકરણ પાયો નખાયો તેમ સામાન્ય જનલક્ષી ઉપક્રમો પણ હાથ ધરાતા રહ્યા. નેહરુના ઉત્તરકાળમાં અને તે પછીનાં પાંચસાત વરસમાં, આ ઉપક્રમો અને ઔદ્યોગિકીકરણની મર્યાદા રામ મનોહર લોહિયાએ દેશજનતાની ગરીબીના વાસ્તવદર્શનથી તો ઇંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’ના રાજકારણથી પોતપોતાની રીતેભાતે ઉજાગર કરી આપી હતી.

આગળ ચાલતાં દેશના સામાજિક વાસ્તવનું લોહિયાનું આકલન દેશમાં મંડલ બળોના ઉદય ભણી લઈ ગયું તો ઇંદિરાઈ રાજકારણની મર્યાદા કટોકટીરાજ સાથે બહાર આવી : લોહિયાની સમાજવાસ્તવની સમજ અને ઇંદિરાની રાજકીય શૈલી, બેઉના લાભાર્થીઓમાં હાલ તો મોદી મોખરે છે. ગુજરાતમાં ગાદીએ આવતા વેંત એમણે જાતદેખરેખ નીચે પ્રસારિત બાયોડેટામાં પોતાની મંડલ ઓળખ અધોરેખિતપણે ઉપસાવી હતી – અને એમાં, પછીથી, ‘ચા-વાળા’ની વાર્તાત્મક મેળવણી ખાસી ઉપયોગી બની રહી એ હવે જુદેસર કહેવાનું રહેતું નથી. આજે ગુજરાતમાં ભાજપ જે પડકારમાંથી પસાર થઈ રહ્યો છે એ મોદીના મંડલમંદિર જોડાણમાં જુવારાની સંભાવનાને કારણે છે તે કહેવા માટે કોઈએ પંડિત હોવું જરૂરી નથી.

સમગ્ર ચિત્ર આપણા ખયાલમાં રહે તે માટે આ વિગતો આપ્યા પછી અને છતાં જે દોહરાવવાનું રહે છે તે એ છે કે કોઈને એની જાત બતાવવાનું અને એ પ્રક્રિયામાં ખુદ જાત પર જવાનું રાજકારણ ઇષ્ટ નથી. ગાંધીની હિંદ-સ્વરાજ પૃષ્ઠભૂ કે લોહિયાની સપ્તક્રાન્તિ પૃષ્ઠભૂ અગર જયપ્રકાશની સંપૂર્ણ ક્રાન્તિ પૃષ્ઠભૂ અને સર્વોદયી પિછવાઈ આપણી સામાજિક ઊંચનીચની વાસ્તવિકતા વચ્ચે નવાં પ્રવેશતાં બળોને સારુ સોઈ કરી આપવા સાથે આ બળોના ઓળખના રાજકારણને એક વ્યાપક ચિત્રના ભાગરૂપે મૂકી આપવાની ગુંજાશ ધરાવતી હતી. એટલે ઓળખનો અતિ-ડંખ નાગરિક પોતને છેક જ પિંખાવા દે એવું બનતું નહીં તેમ જ એક સર્જનાત્મક તનાવવશ નવાં બળોનો સમાસ શક્ય બનતો રહેતો. જો વ્યાપક ચિત્રની રગ ન રહે તો શું થાય એ નવનિર્માણ-ખ્યાત ગુજરાતમાં અનામત વિરોધના ઉત્પાતરૂપે આપણે જોયું હતું. આજે હાર્દિક પટેલ સાથે સમાધાનની ફોર્મ્યુલા સુધી પહોંચવામાં જે શક્યતા ઊભી થઈ છે તે ૧૯૮૧-૮૫ના ગાળામાં ઉત્પાત અને ઉદ્રેક પછી પથસંસ્કરણની દિશામાં એક વર્તુળ પૂરું કરવાની રીતે જોવા જેવી છે. એક રીતે હિંદુત્વ પ્રોજેક્ટની અવધ પૂરી થઈ શકે અને એણે આલાપવા માંડેલ ‘વિકાસ’ને નવેસર પરિભાષિત કરવો પડે એવો આ સંજોગ છે.

ભાજપ શ્રેષ્ઠીઓને આ કેટલું સમજાય છે તે આપણે અલબત્ત જોવું રહે છે. હિંદુત્વ રાજકારણની ગળથૂથીગત મર્યાદાઓને તે કેટલે અંશે લાંઘી શકે છે તે હજુ લગી તો એક ભરીબંદૂક સવાલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ટોણો બિલકુલ સચોટ છે કે કૉંગ્રેસની હાલની તાકાત ઘણે અંશે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી પ્રકારના ઉઠાવો થકી સંભવિત આઉટ સોર્સિંગને આભારી છે. દેશમાં જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહે જનતા રાજ્યારોહણના એક અંતરાલ પછી મિશ્ર સરકારનો મહિમા કીધો ત્યારે એમણે રાજકીય સત્તા-ભાગીદારીની જેમ જ સામાજિક સંકલના (સોશ્યલ કોએલિશન)ના અભિગમ પર ભાર મૂકવાપણું જોયું હતું તે અહીં સાંભરે છે. જે વાનું ભાજપ શ્રેષ્ઠીઓની સમજમાં ઝમવું જરૂરી છે તે એ છે કે હિંદુત્વ થકી ગોળબંદ થતાં જણાતાં બળો બધો વખત આ સંમિશ્ર સમાજસંકલના જાળવી શકતાં નથી; કેમ કે ઊંચનીચ આપણે કેડો મેલે એ એટલું સહેલ નથી. પરિણામે આ સંકલનાએ ગોળબંદ ટકવા માટે કોઈ એક શત્રુનિશાન પર મદાર રાખવો રહે છે. છેલ્લાં વર્ષોમાં દલિત અને આદિવાસી પરિબળો ભાજપની જોડે આવ્યાં એ જો સાચું છે તો કથિત હિંદુત્વ ગોળબંદ પ્રક્રિયા એમને કેટલાક કિસ્સામાં કોમવાદી રાજકારણમાં ભાલાનું ફળું બનવા લગી લઈ ગઈ એ પણ એટલું જ સાચું છે.

આ આખી ચર્ચા કોઈને અકારી ને અણગમતી લાગે અને દૂરાકૃષ્ટ પણ લાગે, પણ ૨૦૦૨ વખતે આશિષ નંદીએ જેમ પોતાનું ચારપાંચ વરસ ઉપરનું આકલન મોદી વિશે બહાર પાડ્યું હતું (એક કૉપીબુક ફાસિસ્ટ બની શકે) તેમ કોઈક મોદીના અંતરમનમાં ઝાંખીને ‘ચાવાળો’ હોવું ક્યારેક પક્ષપરિવારમાં પણ કેવી કનડગત કે અવમૂલ્યન અગર ઉપહાસની બાબત હશે અને આગળ ચાલતાં એમને એ ‘પટેલવિરોધી કૉંગ્રેસ’ની જેમ જ ગુજરાતમાં કેશુભાઈ પટેલને અપદસ્થ કરવા સુધી લઈ ગઈ હશે એનો અભ્યાસ જરૂર હાથ ધરી શકે. કેશુભાઈ વિરોધી ફાઈલબદ્ધ રજૂઆત માટે દિલ્હીનાં નિર્વાસન (પણ રાજકીય મૂડીરોકાણ) વર્ષોમાં એ કેવી કોશિશ કરતા હશે એનો કંઈક ખ્યાલ આઉટલુક-ખ્યાત વિનોદ મહેતાની આત્મકથામાંથી પસાર થનારાઓને મળ્યો પણ હશે.

અહીં ‘પટેલવિરોધી’ કે ‘દલિતદ્વેષી’ અગર ‘મુસ્લિમદ્વેષી’ રાજકારણના સ્વીકારપુરસ્કારની કોઈ વાત નથી. માત્ર, સમજવાનું એટલું છે કે તમારું ટૂંકનજરી સત્તાકારણ ઇતિહાસમાં પ્રગતિશીલ માનવતાનાં બળોને નહીં સમજીને, નહીં સ્વીકારીને લોકશાહી રાજકારણને કેવુંક દૂષિત કરી શકે છે. બીજું, વિરોધ મૂલ્યગત છે કે જાતિગત તે બાબતે પણ સભાન રહેવાપણું છે. જગજીવનરામ વડાપ્રધાન ન બની શક્યા અને મોરારજીભાઈની પસંદગી થઈ ત્યારે જો જગજીવનરામ એનું કારણ પોતે એક ચમાર હોવામાં શોધે તો એમને ખ્યાલ હોવો જોઈએ કે કૃપાલાની-જયપ્રકાશ સમક્ષ પ્રધાન કસોટી ઇંદિરાઈ રાજકારણ કટોકટીરાજ સુધી પહોંચ્યું એ પ્રક્રિયામાં તમે ક્યાં હતા એ હતી. આ જો જગજીવનરામે સમજવું પડે તો મારે અને તમારે એ પણ સમજવું પડે કે ખાસા નેવું લોકસભા સાંસદોના ધણી ચરણસિંહ ‘ચમાર’ના સ્વીકાર વાસ્તે રાજી નહોતા એ પણ હકીકત છે. માધવસિંહ સોલંકી, ઝીણાભાઈ દરજી, સનત મહેતાના ખામ અભિગમમાં જો કોઈક છેડે વિદ્વેષ વરતાયો હશે તો સર્વસમાવેશી રાજકારણ માટેનો એક ઇતિહાસધક્કો પણ એમાં પડેલો હતો.

વાતની શરૂઆત આપણે ‘બંધારણ દિવસ’થી કરી હતી. ૨૬ નવેમ્બર ૧૯૫૦ના રોજ જો આપણું બંધારણ પસાર થયું હતું તો ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ એના ઘડવૈયાની ખ્યાતિ પામેલા આંબેડકરનું નિધન થયું હતું. બંધારણ અમલી બનવાનું હતું ત્યારની આંબેડકરની એ એક માર્મિક ટિપ્પણી હવે તો વખતોવખત ટંકાઈને આપણા જાહેર જીવનના ચેતાકોશમાં લગભગ અંકિત થઈ ગયા જેવી છે કે આપણે એક વિલક્ષણ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ જ્યારે રાજકીય સમાનતા કે અધિકારો સામે આર્થિક-સામાજિક વાસ્તવ કેવળ વિષમતામૂલક છે. પ્રશ્ન, આ વિષમતાના નિર્મૂલનનો છે એ વાત ત્યારે જો સાચી હતી તો આજે પણ એટલી જ સાચી છે. વિકાસ ગાંડો છે તે એ વાસ્તે કે એણે ગતિ પકડી હોય ત્યારે પણ વિષમતાનું વિવર્ધન, ફૅક્ટરી ઍક્ટની કોઈ પણ મર્યાદા વગર ત્રણે પાળીમાં અહોરાત્ર જારી રહે છે.

કૉંગ્રેસે જે આઉટસોર્સિંગ કર્યાનું કહેવાય છે એમાંથી પ્રાપ્ત ઉર્જા તે આ વિષમતા નિર્મૂલનના રાજકારણ તરફ કેટલી વાળી શકશે, એ લાખ રૂપિયાનો સવાલ છે. એણે જિજ્ઞેશ મેવાણીને કૉંગ્રેસની સ્થાપિત બહુમતીવાળી બેઠક અપક્ષ તરીકે જોગવી આપી એવો વિવેક એને ૨૦૦૨માં સૂઝ્‌યો હોત – પ્રજાના માણસોને બિનશરતી સમર્થનનો – તો બનત કે ગુજરાતમાં છેલ્લાં પંદર વરસનો દોર જુદો હોત. હાર્દિક, જિજ્ઞેશ, અલ્પેશ સૌ મન મૂકીને ભાજપનો વિરોધ કરવામાં સહભાગી જણાય તો લાંબા શાસન પછીના ઉત્તરદાયિત્વની રીતે જે ઠીક જ છે. કનુભાઈ કલસરિયા જેવા અપક્ષ ઉમેદવાર, એસ.યુ.સી.આઈ. જેવી લોકઆંદોલનને પ્રમુખતા આપતી ડાબેરી ચળવળ, નાગરિક સ્વરાજ મંચ (સુખદેવ પટેલ), સ્થાપિત ડાબેરી પક્ષો સાથે સિનર્જીની શક્યતા સારુ એની તૈયારી કેમ નહીં હોય ? ગમે તેમ પણ, જે ભાજપવિરોધી મોરચો ઉભરી રહ્યો છે તે ઇતિહાસનાં બળોની, જાહેર જીવનમાં નાગરિક ઊંજણ વાટે સ્વતંત્રતા ને સમાનતાના પ્રવાહોની શુદ્ધિ કે પુષ્ટિની વ્યાપક સમજથી ચાલે તો એથી રૂડું શું : વાજિકૃત કૉંગ્રેસને એથી વાસ્તવિક કાયાકલ્પની સુવિધા મળી શકશે. ૨૦૧૯ના સંભવિત પ્રજાસૂય વિકલ્પ વાસ્તે ભોંય પણ કેળવાશે.

લખ્યા તા. ૨૮-૧૧-૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 01-02 અને 10

Loading

ઉત્સાહના નવા આધારોની ભીતરમાં

રોહિત શુક્લ|Opinion - Opinion|30 November 2017

તાજેતરમાં કેન્દ્ર સરકારની આર્થિક ક્ષેત્રની કામગીરી બાબતે બે સમાચારો આવ્યા. આ બંને સમાચારો આંતરરષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અપાયા હોવાથી સરકારનો ઉત્સાહ ઊછળીને ઉમળકાભેર બહાર આવ્યો. નોટબંધી અને જી.એસ.ટી.ની બાબતે પોતે અતિ ઉત્સાહમાં અને સાવ અહંકારભર્યાં તથા આપખુદ પગલાં ભર્યાં છે, તેવી સમજણ ઊભી થઈ રહી હતી ત્યાં જ મૂડીનું રેન્કિંગ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના, ભારત માટે ઉત્સાહપૂર્વક આંકડા બહાર પડ્યા. આ આંકડા કોઈ સરકારના પેદા કરેલા નથી અને વિશ્વખ્યાત સંસ્થાઓ દ્વારા રજૂ થયા છે, તે બાબત પોતે જ એક વિશ્વાસ જગવે તેવા છે. બાકી, સરકારશ્રીની સાતત્યપૂર્ણ જુમલાબાજીને કારણે એકંદરે જનમાનસમાં દરેક વાતે શંકા કરવાનું વલણ બંધાઈ ગયું છે. દરેકના ખાતામાં રૂ. પંદર લાખ આવે એટલું કાળું ધન વિદેશમાં છે, ‘અચ્છે દિન’ હાથવેંતમાં છે, વર્ષે બે કરોડ નવી નોકરીઓ ઊભી કરીશું, ખાઈશું નહીં અને ખાવા દઈશું નહીં વગેરેથી માંડી ફેદરા(ભાવનગર પાસે)માં વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું અને હવે તેનાથી માંડ પચાસ કિલોમીટર છેટે ચોટીલા (રાજકોટ પાસે)માં પણ વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવીશું, જેવા નાનામોટા જુમલાથી લોકોને ઠીક ઠીક મનોરંજન સાંપડ્યું છે. વાત ગંગાસફાઈની કરો કે (કાશ્મીરમાં) એકની સામે દસ માથાં વાઢી લાવવાની શૂરાપૂરા રણબંકાની પ્રચંડ વીરતાની કરો; બધે જ અને સાતત્યપૂર્ણ જુમલાબાજી કરનારી સરકારનો આ જુમલો નથી જ પણ આ બંને વાતોને સમજવા જેવી તો ખરી જ!

૧. મૂડી[Moody’s]નું રેટિંગ :

જગતમાં મુખ્ય ત્રણ કંપનીઓ વિવિધ દેશોની શાખપાત્રતા અંગેના સૂચકાંકો જાહેર કરે છે. આ ત્રણ સંસ્થાઓ એટલે ‘મૂડીજ’, ‘એસ ઍન્ડ પી સ્ટાન્ડર્ન્ડ ઍન્ડ પુઅર’ અને ‘ફિન્ચ’. આ સંસ્થાઓનું રેટિંગ જગતના શાહુકારોને ધરપત આપવા અને જોખમોથી સાવચેત કરવા માટે છે. દેશના રેટિંગનો આંકડો જેમ મોટો તેમ જોખમ વધુ અને આંકડો નાનો તેમ જોખમ ઓછું. દરેક એજન્સી માત્ર આંકડામાં જ રેટિંગ જાહેર કરે તે જરૂરી નથી. ‘A’, ‘A+’ થી માંડી B, C વગેરે અંગ્રેજી આદ્યાક્ષરો દ્વારા પણ રેટિંગ થાય છે. રેટિંગમાં વધુ ચોકસાઈ અને તુલનાત્મકતા આણવા માટે B, BB, BBB, BBB+ કે BBB–, એવાં આદ્યાક્ષર આધારિત રેટિંગ કરાય છે. BBB2, BBB3,, એવા પણ રેટિંગ થાય છે. તાજેતરમાં મૂડી દ્વારા ભારતનું રેટિંગ BBB3 થી સુધરીને BBB2 થયું છે. અત્યાર સુધી જુમલાબાજીમાં રમમાણ આ દેશ માટે આટલી ય સારી વાત ક્યાંથી !

પણ આપણી ખુશીના અર્થ, સંદર્ભ અને મર્મને પારખવા રહ્યા. આ માટે આપણે થોડાક અન્ય દેશોનાં રેટિંગ ઉપર પણ નજર નાંખીએ; રેટિંગ આ પ્રમાણે છેઃ

દેશ           રેટિંગ        રેટિંગની તારીખ

આયર્લૅન્ડ    A+          ૫-૬-૨૦૧૫

ઇટાલી        BBB       ૨૭-૧૦-૨૦૧૭

ગ્રીસ           B–          ૨૨-૧-૨૦૧૬

પોર્ટુગલ       BBB–     ૨૭-૯-૨૦૧૭

સ્પેન           BBB+     ૩૧-૩-૨૦૧૭

આ પાંચેય યુરોપીય દેશો ભારે દેવાદાર હતા અને હજુ તેમની હાલત ખાસ સુધરી નથી. આમ છતાં તેમાં કરાતું ધિરાણ ખાસ જોખમી નથી, એવું એસ ઍન્ડ પી કહે છે. આ પદ્ધતિ પોતે જ ખરેખર કેટલી દુરસ્ત છે અને ધિરાણ કરનારાની મૂડીની સલામતી બાબતે ખરેખર કેટલી ખાતરી આપી શકે છે, તે એક અવઢવનો મુદ્દો તો બને જ છે.

આ એસ ઍન્ડ પીએ ગયે સપ્ટેમ્બરે ભારતનું પણ રેટિંગ કરેલું. તેમાં આપણો આંક ખાસ સારો નહીં અને તેથી આર્થિક સલાહકાર શ્રી અરવિંદ સુબ્રમણ્યમને ભારે માઠું લાગી ગયેલું. ક્વાટ્‌ર્ઝ નામની સમાચારસંસ્થા એમ પણ માને છે કે સરકારશ્રીએ તે સમયે આપણું રેટિંગ સુધરાવવા (નાપાસ વિદ્યાર્થી પોતાના માર્ક્સ સુધારવા મથે તેમ જ ને ?) થોડુંક લોબીંગ પણ કરેલું ! તે સમયે ભારતને BBB – અને ચીનને AA – મળેલું. આપણી દલીલ એવી હતી કે ચીનનું અર્થતંત્ર ઢીલું પડ્યું અને અમે હરણફાળ ભરી, છતાં આમ કેમ ?

આવી રેટિંગ એજન્સી ખરેખર શ્રદ્ધેય ખરી કે કેમ, તે પ્રશ્ન ઊભો થાય જ. પોલ ક્રુગમેન નામના અર્થશાસ્ત્રી કહે છે, ‘… It is hard to think of anyone less qualified to pass judgement on America.’ ક્રુગમેને આવું કહ્યું, કારણ કે આમાં તેણે અમેરિકાનું ક્રૅડિટ રેટિંગ ઘટાડ્યું. જેથી અમેરિકાને લગભગ બે ટ્રિલિયન ડૉલરનું નુકસાન થયું.

ક્રૅડિટરેટિંગના કારણે લાભ કે નુકસાન શા માટે થાય છે અને તેની અર્થતંત્ર ઉપર કેવી અસર પડે છે, તે પણ વિચારવાનો મુદ્દો બને છે.

જેમ વ્યક્તિની શાખપાત્રતા ચકાસીને ધિરાણ કરાય તે રીતે દેશોની શાખપાત્રતા પણ ચકાસાય છે. જે દેશની શાખપાત્રતા ઊંચી હોય તેને આખા જગતમાંથી ઓછા વ્યાજે જરૂરી ધિરાણ મળી રહેતું હોય છે. શાખ પાત્રતા જેમ નીચી તેમ વ્યાજનો દર ઊંચો અને ધિરાણ પણ ઓછું મળે. અમેરિકાની શાખપાત્રતા નીચી જવાથી તેને બે ટ્રિલિયન ડૉલરની નુકસાનની જે બાબત બની તે આ કારણે.

શાખપાત્રતા વધવાથી હંમેશાં સારાં પરિણામો જ આવે તેવું પણ નથી. ભારતની શાખાપાત્રતા વધી, તેથી ભારતમાં આવનારી વિદેશી મૂડીનું પ્રમાણ વધવાનું. આમ ડૉલરનો પુરવઠો વધે તેથી રૂપિયો મોંઘો બને. આ કારણે ભારતની નિકાસો ઘટી જાય. બીજી તરફ ભારત માટે ક્રૂડઑઇલ, શસ્ત્રસરંજામ, ક્યારેક અનાજ, ખાદ્યતેલ વગેરેની આયાતો પણ અનિવાર્ય હોય છે. આમ, રૂપિયો મજબૂત થતાં નિકાસો ઘટે પણ આયાતો ઘટે નહીં તો લેણદેણની તુલામાં ખાધ ઊભી થાય. આ ખાધ પૂરવા માટે વિદેશી દેવું કરવું પડે. આમ, આપણા રેટિંગને સુધારવાથી આપણે બહુ લાભ મેળવી લઈશું તેવું નથી. ખરેખર તો ચીન પોતાના ચલણનું જાણીજોઈને અવમૂલ્યન કરી રાખે છે, જેથી તેનો સામાન વિશ્વભરમાં સસ્તામાં વેચાય. આ નીતિના ફલસ્વરૂપે ચીનમાં ઊંચી રોજગારી અને ઊંચા વૃદ્ધિદર જોવા મળે છે. આની સામે એક અહેવાલ એવા પણ છે કે ભારતે પોતાનું રેટિંગ સુધારવા વાસ્તે વૉશિંગ્ટનમાં લોબિંગ કર્યું છે. (વિગતો મટે જુઓ : http://www.counterview.net/2017/11/improved-ratings-modis-top-gujarat.html#more … ). જો ખરેખર આવું થયું હોય, તો તેથી માત્ર જુમલાબાજીનું સાતત્ય જ જળવાશે.

આર્થિક સમૃદ્ધિ વાસ્તે ખરેખર તો દેશમાં આર્થિક શિસ્તના પાલનથી તથા લોકાભિમુખ વહીવટની જરૂર હોય છે. રેટિંગની પ્રક્રિયા સમજનારા લોકો સલાહ આપે છે કે આવા આંકડાને સાધ્ય ગણવાને બદલે જરૂરી આર્થિક સુધારા અને શિસ્તનું પાલન કરવું જોઈએ. ભારતનો દેવા : જી.ડી.પી. ગુણોત્તર હાલમાં ૬૮ ટકા છે, જ્યારે ચીનનો માત્ર ૪૩ છે. જો આ ગુણોત્તરમાં સુધારો થાય તો મૂડી, એસ. ઍન્ડ પી કે ફિન્ચ સઘળાનાં રેટિંગ આપોઆપ જ સુધરે !

બીજી તરફ આ રેટિંગમાં સુધારા માટે આર્થિક સુધારાને વેગ આપવાની જરૂર છે તેમ કહેવાય છે. કેરોસીન અને ખાતર ઉપરની સબસિડી નાબૂદ કરવી, રેલવે, સંરક્ષણ વીમાક્ષેત્ર વગેરેમાં પ્રત્યક્ષ મૂડીરોકાણ વધારવું, છૂટક વેપાર પણ ખુલ્લો મૂકવો વગેરે ‘સુધારા’ દાખલ કરવાની જરૂર છે. ખેડૂતોની જમીનોનું ઉદ્યોગો માટે સંપાદન, ટેકાના ભાવોની નાબૂદી વગેરે પણ આવા ‘સુધારા’ છે.

ભારતનાં રાજકારણ અને સમાજકારણ ઉપર આવાં પગલાંના અતિ ગંભીર પ્રત્યાઘાતો આવી શકે તેમ છે અને તેથી સરકાર આવા ‘સુધારા’ કરી શકતી નથી.

ઉપરના પૈકી થોડાક જ સુધારા સરકાર કરી શકે છે અને છતાં તેનું રેટિંગ સુધર્યું છે તે બાબતે – પેલા લોબિંગ બાબતે શંકા તો જન્મવાની જ!

૨. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ :

સરકારે ભારતમાં વેપાર-ધંધા કરવાનું ઘણું સરળ બનાવી દીધું છે અને આ પણ એક મોટી સિદ્ધિ છે, તેવું દાખવવા પ્રયાસ થયો છે. આ મુદ્દે પણ થોડીક વિચારણા કરીએ.

(ક) એમ કહેવાયું કે ભારત દુનિયાના ૧૮૦ દેશોમાં છેક ૧૩૦મું સ્થાન ધરાવતું હતું અને હવે ૩૦ પગલાં કૂદીને સોમા સ્થાને આવ્યું છે. સામાન્ય તર્ક પણ કહેશે કે સ્થાનનો ફેરફાર ક્યારેક અન્યોની અધોગતિને આધારે પણ થઈ શકે. વળી, કોઈ પણ સ્થાનક્રમ એકસમાન હોઈ ન શકે. ૨૦૧૩માં ભારતનું સ્થાન ૧૩૨મું હતું જ. છતાં વધુ સ્પષ્ટ થવા વાસ્તે કેટલાક આંકડા જોઈએ :

દેશ                      વર્ષો અને સ્થાનક્રમ

                   ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮

કૅનેડા                ૧૯      ૧૩     ૧૪      ૨૨      ૧૮

જર્મની               ૨૧      ૧૪     ૧૫      ૧૭     ૨૦

ભારત               ૧૩૪    ૧૪૨   ૧૩૦    ૧૩૦  ૧૦૦

આમ, સ્થાન હંમેશાં ઊર્ધ્વગામી જ હોય અથવા સ્થિર જ રહે તેવું નથી. ભારત ૨૦૧૩માં ૧૩૨મા ક્રમે હતું જ.

ધંધારોજગારની સરળતા કોઈ મહાનતા સૂચવે છે તેવું પણ નથી. ૨૦૧૭-૧૮ના વર્ષમાં જ, આપણાથી આગળ અને પાછળ કેવા દેશો છે તેની, નમૂનાદાખલ વિગતો જોવાથી આ બાબત ચોખ્ખી થશે.

દેશ          ક્રમાંક         દેશ           ક્રમાંક

ન્યુઝીલૅન્ડ      ૧         ચીન             ૭૮

સિંગાપુર         ૨       ભારત            ૧૦૦

યુ.એસ.          ૬ નિકારાગુઆ           ૧૩૧

રશિયા         ૩૫   સોમાલિયા           ૧૯૦

આ વિગતો આપણે કઈ કંપનીમાં ઊભા છીએ તેની થોડીક ઝલક આપે છે. પણ આપણે આ ‘સિદ્ધિ’ મેળવી કયા કારણે તે પણ જાણી-સમજી લઈએ. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ એક આંકડાકીય રચના છે. તેના આધાર રૂપે પ્રત્યેક દેશમાંથી વિગતો એકઠી કરાય છે. આ માપદંડોમાં પ્રગતિ થાય તો તેના ફલસ્વરૂપે જે આંક નીપજે, તે આ સૂચકાંક છે. વિવિધ દેશો વચ્ચે તેની સમસામયિક તુલના કરવાથી વૈશ્વિક મૂડીપ્રવાહે કઈ બાજુ વળવું તેનો અંદાજ આવે છે. આમ, સૂચકાંક જેમ નીચો તેમ મૂડીરોકાણ માટે આકર્ષણ વધુ. આ દસ પરિણામો અને તેમાં ભારતની ‘પ્રગતિ’ની વિગતો નીચે પ્રમાણે છે.

પરિણામ                                           ૨૦૧૭       ૨૦૧૮

૧. વેપારનું સ્થાપન                                ૧૫૫         ૧૫૬

૨. બાંધકામની કામગીરીમાં સરળતા           ૧૮૫          ૧૮૧

૩. વીજજોડાણ મેળવવું                            ૨૬          ૨૯

૪. નોંધણીની સરળતા                             ૧૩૮        ૧૫૪

૫. ધિરાણ મેળવવું                                  ૪૪          ૨૯

૬. લઘુમતી(શૅરહૉલ્ડર્સ)નાં                          ૧૩            ૪
હિતોની જાળવણી 

૭. કરવેરાની ચુકવણી                            ૧૭૨         ૧૧૯

૮. દેશની સીમા પારનો વેપાર                    ૧૪૩         ૧૪૬

૯. કરાર પ્રમાણે જ કામ લેવાની શક્યતા      ૧૭૨         ૧૬૪

૧૦. નાદારીનો નિકાલ                               ૧૫૬         ૧૦૩

કુલ                                                      ૧૩૦         ૧૦૦

ઉપર નોંધેલાં પરિમાણો પૈકી નાદારીની પ્રક્રિયામાં સરળતા, ધિરાણ મેળવવામાં સરળતા, કરવેરા ચૂકવવામાં સરળતા તથા લઘુમતી શૅરહૉલ્ડર્સનાં હિતોની જાળવણી જેવા ચાર મુદ્દામાં, અગાઉના મુકાબલે વધુ સુધારો જણાયો છે. આ કોઈ બહુ મોટા સુધારા નથી; વેપારનું સ્થાપન, નોંધણી તથા સીમા પારના વેપારની બાબતમાં પણ વેપારધંધામાં વહીવટી ક્ષમતા દાખવવાનો પૂરતો અવકાશ છે.

દેશ માટે આવા સૂચકાંકો કરતાં વધુ મહત્ત્વનું બીજું ઘણું છે. ગોરખપુર અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલોમાં ઓછાં શિશુમૃત્યુ થાય, દેશભરમાંથી ભૂખમરો અને કુપોષણ નાબૂદ થાય, ધોરણસરનાં વેતન કે પગારોએ કમદારોને પૂરતી રોજી મળે, મોંઘવારી કાબૂમાં રહે, ભ્રષ્ટાચાર ખરેખર ઘટે – આ બધું વધુ જરૂરી છે. મૂડીઝ કે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ પોતે કોઈ સાધ્ય હોઈ જ ન શકે. તેના ફલસ્વરૂપે માનવવિકાસના સૂચકાંકમાં વધારો થવો જોઈએ, સાચી કસોટી એ જ ગણાય.

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 03-04

Loading

...102030...3,2323,2333,2343,235...3,2403,2503,260...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved