Opinion Magazine
Number of visits: 9584034
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૉસ્પિટલમાં

નિરંજના દેસાઈ|Poetry|8 December 2017

માથે સ્કાફ બાંધીને રિસેપ્શનીસ્ટ
સ્તબ્ધ ચહેરે બેઠી હતી −
ન કોઈ ભાવ − ન આવ
ન આવકાર !
એક આછી −
સ્મિતની રમ્ય રેખા
એનાં મોં પર ફરકતી ના !
લાડવા જેવો સુંદર −
ચહેરો ગોળમટોળ
પણ લાડવાની, સ્હેજ અમથી
મીઠાશ એની આકૃિતમાં
એની આંખોમાં ભાળી ના !
નાક – નકશો કોઈ ફોટોગ્રાફરના
આલ્બમમાં જડવા જેવો અહા !
પરંતુ −
સ્કાફથી માથું, ગરદન – પીઠ ઢાંકી
ભાવવિહીન ચહેરે – રિસેપ્શનીસ્ટ બેઠી હતી !
કોણ જાણે … શા કારણે ?
એ વિચારે −
એક પછી એક બોલાતાં નામમાં
હું −
મારા નામની રાહ જોતી − કંટાળાભર્યા −
કલાકોથી −
એની બરાબર સામે બેઠી હતી !
બે કલાક પછી −
કદાચને ડ્યૂટી બદલાતાં
એક હસમુખા ચહેરાવાળી −
‘કાળકી’ ઓહ ! નો ! સોરી !
એક આફ્રિકન રિસેપ્શનીસ્ટ આવી.
ને મને મારી યુગાન્ડાની
‘માનાઓવાંગે’નું હાલરડું ગાતી
આવા જ સ્મિતભર્યા ચહેરાવાળી
ને ચમકતી આંખોવાળી
અમારી ‘આયા’ની યાદ આવી ગઈ !
ને અદમ્ય લાગણીથી − ઊભા થઈ
મેં હાથ લંબાવી − અભિવાદન કર્યું − જાંબો !
આશ્ચર્ય ચકિત થઈ − ચમકતી હસતી આંખે
એ બોલી ઊઠી − ‘જાંબો મામા !’
ને − મારો ત્રણ કલાક સુધીનો
મારું નામ બોલાવવાની રાહનો
થાક − એક પલકમાં ઊડી ગયો !
ને હૃદય ગૂંજી ઊઠ્યું :
જાંબો આફ્રિકા ! − જાંબો યુગાન્ડા !

08 નવેમ્બર 2017

Loading

અયોધ્યા વિવાદ કેસ : સર્વોચ્ચ અદાલતે કેસના મેરિટથી દોરવાઈને ચાલવું જોઈએ કે પછી એનાં રાજકીય પરિણામોથી?

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2017

૧૯૯૪માં બાબરી મસ્જિદના કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે રાજકીય ઉદ્દેશો માટે શાસકો અને રાજકીય પક્ષો ન્યાયતંત્રનો દુરુપયોગ ન કરે એમાં દેશનું કલ્યાણ છે.

એ સમયે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માએ સર્વોચ્ચ અદાલત પાસેથી અભિપ્રાય માગ્યો હતો કે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર કે બીજું કોઈ સ્થાપત્ય હતું કે નહીં અને બાબરી મસ્જિદ એ સ્થાપત્યને તોડીને બાંધવામાં આવી હતી કે કેમ? એ દરમ્યાન ભારત સરકારે બાબરી મસ્જિદ વિશેના વિવિધ અદાલતોમાં જેટલા કેસ પડ્યા હતા એ બધાને બાજુએ હડસેલી દેવાની અને વિવાદાસ્પદ અને બિનવિવાદાસ્પદ એમ બધી જ જમીનનો કબજો લેવાની તજવીજ કરી હતી.

જ્યારે કોઈ મામલો ગૂંચવાયેલો હોય અને રસ્તો ન નીકળતો હોય ત્યારે સર્વોચ્ચ અદાલત પાસેથી માર્ગદર્શન માગવાનો રાષ્ટ્રપતિ બંધારણના આર્ટિકલ ૧૪૩(૧) હેઠળ અધિકાર ધરાવે છે અને સર્વોચ્ચ અદાલત તથ્યોનો અભ્યાસ કરીને સરકારને મદદ કરે છે. બંધારણીય ભાષામાં આને પ્રેસિડેન્શિયલ રેફરન્સ કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતની મદદ વાસ્તવમાં કેન્દ્ર સરકાર માગતી હોય છે જે રાષ્ટ્રપતિના નામે માગવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રપતિ રાજ્યના વડા (હેડ ઑફ ધ સ્ટેટ) છે.

અયોધ્યાના મામલામાં જ્યારે પ્રેસિડેન્શિયલ રેફરન્સ માગવામાં આવ્યો ત્યારે જ દેશમાં ભારે ઊહાપોહ થયો હતો અને વ્યાપક માગણી થઈ હતી કે અદાલતે રેફરન્સ પાછો કરી દેવો જોઈએ. ઇતિહાસ ઉખેળવાનું કામ અદાલતોનું નથી, અદાલતમાં જે જજો બેસે છે એ કાયદાના તેમ જ બંધારણના જાણકાર છે અને એ જ તેમનું કામ છે. તેઓ નથી ઇતિહાસકાર કે નથી પુરાતત્ત્વવિદ અને માનો કે કોઈ જજ ઇતિહાસ અને પુરાતત્ત્વનો જાણકાર હોય તો પણ અદાલત તેના માટેનો મંચ નથી. બાબરી મસ્જિદની જગ્યાએ કયું સ્થાપત્ય હતું અને એ પહેલાં કયું સ્થાપત્ય હતું એની કડાકૂટમાં પડવાની અદાલતને જરૂર પણ નથી અને એ એનું કામ પણ નથી. પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારો પણ ક્યાં ખાતરીપૂર્વક કહી શકે છે કે ક્યાં શું હતું અને ક્યારે કેવી ઘટના બની હતી. બીજો મુદ્દો એ હતો કે ઇતિહાસમાં ક્યાં સુધી ન્યાય તોળતા પાછા જવાનું? છસો વરસ જૂના બાબરીના વિવાદ વિશે અભિપ્રાય આપશો તો કાલે કોઈ બે હજાર વરસ જૂનો ઇતિહાસનો ઝઘડો અદાલતમાં લઈ આવશે.

પ્રબુદ્ધ જનતાનો અને બંધારણના જાણકારોનો સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે જ્યારે ભારતીય રાજ્ય એના બંધારણ સાથે અસ્તિત્વમાં આવ્યું એ પછીથી વિવાદોની બાબતમાં અદાલતોની ભૂમિકા શરૂ થાય છે, એ પહેલાં નહીં; સિવાય કે કોઈ ઝઘડો અદાલતમાં અંગ્રેજોના સમયથી પડ્યો હોય અને ન્યાયની પ્રતીક્ષા કરતો હોય. ફોજદારી અને દીવાની કાયદા હેઠળના અંગ્રેજોના વારાના પેન્ડિંગ કેસો અદાલતોએ સાંભળવા જોઈએ, પરંતુ ઇતિહાસ ઉખેળીને પેદા કરવામાં આવતા ઝઘડાઓનો નિકાલ કરવાનું કામ અદાલતોનું નથી.

તો બે મુદ્દા હતા. એક તો ઇતિહાસ અને પુરાતત્ત્વ વિશે અભિપ્રાય આપવા એ અદાલતનો વિષય નથી અને બીજો, ભારતીય રાજ્યની સ્થાપના પહેલાંના અતીતમાં પાછા ફરવાની અદાલતને કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકાર પ્રેસિડેન્શિયલ રેફરન્સ દ્વારા મામલો અદાલતમાં ધકેલીને અને વિવાદાસ્પદ જમીન કબજે કરીને હાથ ખંખેરી નાખવા માગતી હતી. આઝાદી પહેલાંના અને પછીના ટાઇટલ વિશેના બધા કેસ સંકેલી લેવડાવવા પાછળ પણ એ જ ઇરાદો હતો. જેના પક્ષે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે એને જમીન આપી દેવાની અને એ સાથે જૂના ઝઘડાનો અંત આવે. જે થવું હશે એ સર્વોચ્ચ અદાલતમાં થશે અને સરકાર ઝંઝટ અને જવાબદારીથી મુક્ત થઈ જશે.

સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠને સમજાઈ ગયું હતું કે કેન્દ્ર સરકારનો ઇરાદો બળતું ઘર સર્વોચ્ચ અદાલતને હવાલે કરીને હાથ ખંખેરી નાખવાનો છે. એને એ પણ સમજાઈ ગયું હતું કે ઇતિહાસ ઉખેળવાનું કામ અદાલતોનું નથી. ખંડપીઠે ઉપર કહી એ બન્ને દલીલ ધ્યાનમાં લીધી હતી અને પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ ત્યારે પ્રારંભમાં કહી એવી નુક્તેચીની કરી હતી કે મહેરબાની કરીને રાજકીય હેતુ માટે અદાલતોનો ઉપયોગ ન કરો. સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો. માનવસમાજમાં વિવાદો અને ઝઘડાઓ હોવાના, પરંતુ એ ઝઘડાઓ ભૌતિક ચીજોના હોય, શ્રદ્ધાઓના ન હોવા જોઈએ. વળી જો શ્રદ્ધાઓના ઝઘડાઓ હોય તો પણ એ ઉકેલવાનું કામ અદાલતોનું નથી. અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે.

છેલ્લું વાક્ય ફરી વાંચો – અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે. અયોધ્યાવિવાદ શ્રદ્ધાનો છે એના કરતાં ભૌતિક વધુ છે, બલકે ભૌતિક જ છે અને શ્રદ્ધાનો તો પાછળથી રંગ ઉમેરવામાં આવ્યો છે. અયોધ્યામાં જ્યાં મસ્જિદ હતી એ ઇમારતની માલિકી વિશે, એમાં કરવામાં આવેલા પગપેસારા વિશે, એની પોણાત્રણ એકર જમીન વિશે, એની આજુબાજુમાં આવેલી ૭૭ એકર જમીન વિશે આઝાદી પહેલાંથી અને પછીથી ઝઘડા ચાલે છે અને દાયકાઓથી અદાલતોમાં કેસ પડ્યા છે. આ બધા કેસ માલિકીને લગતા ટાઇટલ સૂટ છે અર્થાત ભૌતિક અસ્કામતોના છે. ૧૯૯૪માં ભારત સરકાર આ બધા કેસોને આટોપી લેવડાવવા માગતી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતના જજો રાજકીય રમત પામી ગયા હતા એટલે તેમણે કહ્યું હતું કે અદાલતો શ્રદ્ધાના મામલામાં નહીં પડે, ઇતિહાસને નહીં ઉખેળે; પરંતુ માલિકીને લગતા ટાઇટલ સૂટ જરૂર સાંભળશે.

૧૯૯૪ના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી જે મામલો અદાલત સમક્ષ છે એ અયોધ્યામાં બાબરી મસ્જિદની અસ્કામતોની માલિકીને લગતો છે, એને મંદિર કે મસ્જિદ અને એની સાથેની શ્રદ્ધા સાથે લેવાદેવા નથી. બન્ને પક્ષકારો; સુનની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડો પણ સ્થાવર મિલકત પરની માલિકીનો દાવો કરે છે. ટાઇટલ વિશેનો એક ચુકાદો ૨૦૧૦ની સાલમાં અલાહાબાદની વડી અદાલતે આપ્યો હતો જેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે.

રાજકારણીઓ આખરે રાજકારણીઓ હોય છે. અસ્કામતની માલિકી વિશેના કેસનો રાજકીય લાભ લેવાની પેરવી કરવામાં આવી રહી છે અને બાબરી મસ્જિદની પચીસમી વરસીની પૂર્વસંધ્યાએ સર્વોચ્ચ અદાલતમાં છ નામી વકીલો બાખડી પડ્યા હતા. સવાલ એવો હતો કે સર્વોચ્ચ અદાલતે કેસના મેરિટથી દોરવાઈને ચાલવું જોઈએ કે પછી એનાં રાજકીય પરિણામોથી? આની વધુ ચર્ચા આવતી કાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 ડિસેમ્બર 2017

Loading

શ્રદ્ધાના નામે રમાતા કોમી રાજકારણને ટાઇટલના કેસ તરીકે હાથ ધરીને સર્વોચ્ચ અદાલતે બતાવી આપવું જોઈએ કે આ દેશમાં કાયદાનું રાજ ચાલશે, શ્રદ્ધાનું ધતિંગ નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2017

ગઈ કાલે આપણે જોયું કે ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કરતાં કહ્યું હતું કે મહેરબાની કરીને રાજકીય હેતુ માટે અદાલતોનો ઉપયોગ ન કરો.

સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો. માનવસમાજમાં વિવાદો અને ઝઘડાઓ હોવાના, પરંતુ એ ઝઘડાઓ ભૌતિક ચીજોના હોય, શ્રદ્ધાઓના ન હોવા જોઈએ. વળી જો શ્રદ્ધાઓના ઝઘડાઓ હોય તો પણ એ ઉકેલવાનું કામ અદાલતોનું નથી, અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે. અદાલતે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે ભારતની અદાલતો શ્રદ્ધાના મામલામાં નહીં પડે, ઇતિહાસને નહીં ઉખેળે; પરંતુ માલિકીને લગતા ટાઇટલ સૂટ જરૂર સાંભળશે.

આ ૧૯૯૪નો અભિપ્રાય છે. અત્યારે ૨૦૧૭ ચાલે છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એની પચીસમી વરસી છઠ્ઠી ડિસેમ્બરે હતી અને પાંચમી ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં છ નામી વકીલો અને અદાલતના ત્રણ જજો ચર્ચા કરતા હતા કે શુદ્ધ સંપત્તિને લગતો ટાઇટલ સૂટ અત્યારે સાંભળવો જોઈએ કે ૨૦૧૯ના જુલાઈ મહિના પછી.

શા માટે ૨૦૧૯નો જુલાઈ મહિનો? કારણ કે ૨૦૧૯ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને BJP સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી સુનાવણીનો કે કદાચ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો રાજકીય લાભ લઈ શકે છે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે જો અત્યારે ડે-ટુ-ડે ખટલો સાંભળવામાં આવે તો એનો રાજકીય ઉપયોગ કે દુરુપયોગ થવાની શક્યતા છે. આ એટલો મહત્ત્વપૂર્ણ કેસ છે જે દેશના ઇતિહાસને બદલી શકે એમ છે. કપિલ સિબલે સર્વોચ્ચ અદાલતના ૧૯૯૪ના અભિપ્રાયની યાદ અપાવતાં કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે પોતે જ ચેતવણી આપી હતી કે રાજકીય હેતુઓ માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવામાં ન આવે. સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો વગેરે. આ રીતની દલીલ કરવામાં કપિલ સિબલ સાથે બે અન્ય મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવન અને દુષ્યંત દવે પણ જોડાયા હતા.

હરીશ સાળવેનું નામ તમે સાંભળ્યું હશે. બહુ મોટા વકીલ છે જે ૧૯૯૩થી ૨૦૦૨નાં વરસોમાં ભારત સરકારના સૉલિસિટર જનરલ હતા. ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કર્યો અને જે અભિપ્રાય આપ્યો ત્યારે હરીશ સાળવે ભારત સરકાર વતી અદાલતમાં ઉપસ્થિતિ થતા હતા. હરીશ સાળવે ધર્મે ખ્રિસ્તી છે અને અયોધ્યાવિવાદનો ઉપયોગ બહુમતી કોમવાદીઓ કરે તો એમાં લઘુમતી કોમને નુકસાન થવાનું છે એ હરીશ સાળવે સારી રીતે જાણે છે. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા બાબરી કેસમાં હરીશ સાળવે હિન્દુ પક્ષકાર વતી ઊભા રહે છે. કપિલ સિબલને એમ લાગ્યું કે હરીશ સાળવે ખ્રિસ્તી છે એટલે બાબરી કેસનો બહુમતી કોમવાદીઓ લોકસભાની ચૂંટણી વખતે રાજકીય દુરુપયોગ ન કરે એવી તેમની રજૂઆતને હરીશ સાળવે ટેકો આપશે અને જો ટેકો નહીં આપે તો વિરોધ તો નહીં જ કરે.

આની સામે હરીશ સાળવેનું અદાલતમાં વલણ કેવું હતું? આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. આ વાક્યનો અનુવાદ કરવાની જરૂર નથી. જગતભરમાં વકીલોનો આ મુદ્રાલેખ છે. અસીલના પક્ષે દલીલ કરવાની, સત્યના પક્ષે નહીં. અસત્યને પકડી પાડવાની જવાબદારી સામેના પક્ષના વકીલની છે અને સત્યને શોધવાની જવાબદારી જજોની છે. જો પૈસા મળતા હોય તો ધર્મ આડો ન આવે, દેશનું સેક્યુલર પોત આડું ન આવે, દેશનું ભવિષ્ય આડું ન આવે, લઘુમતી કોમનાં હિત આડાં ન આવે, ફાસીવાદની ચિંતા કરવાની ન હોય વગેરે. ૧૯૯૪માં કૉન્ગ્રેસ સરકાર બાબરી કેસ સર્વોચ્ચ અદાલતના ખોળામાં ધકેલીને જવાબદારીમાંથી છટકવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવા માગતી હતી જેમાં હરીશ સાળવે કૉન્ગ્રેસ સરકારના વકીલ હતા અને અત્યારે હિન્દ્દુત્વવાદીઓ બાબરી કેસનો રાજકીય દુરુપયોગ કરવા માગે છે અને હરીશ સાળવે તેમના વકીલ છે. આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. વાત પૂરી.

હજી બે મહિના પહેલાંની વાત છે. શાસકો જેની તપાસ ચાલી રહી હોય એવા સંવેદનશીલ મુદ્દે વાણીસ્વાતંત્ર્યના નામે જાહેર નિવેદનો કરીને અભિપ્રાય આપી શકે? સર્વોચ્ચ અદાલતમાં આવો એક કેસ ચાલી રહ્યો છે જેમાં હરીશ સાળવે અને ફલી એસ. નરીમાન પિટિશનર છે. દેખીતી રીતે આ જાહેર હિતનો કેસ છે એટલે એને ક્લાયન્ટ સાથે નહીં પણ કૉઝ સાથે નિસબત છે. શાસકો અને રાજકારણીઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને કઈ રીતે જુઠ્ઠાણાં, બકવાસ, ઇંગિત, હલકા ઇશારાઓ કરે છે અને ટાર્ગેટ કરીને કોઈને બદનામ કરે છે એની તેમણે અદાલતમાં આપવીતી સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજનો કેસ લડતા હતા ત્યારે ચોક્કસ વિચારધારાના ટ્રોલ્સે તેમની ધર્મશ્રદ્ધા વિશે એટલા અભદ્ર ઇશારા કર્યા હતા કે તેમણે આખરે થાકીને ટ્વિટર અકાઉન્ટ બંધ કરવું પડ્યું હતું. આપણે હરીશ સાળવેને એટલી જ યાદ અપાવવી છે કે ટ્રોલ્સ ટૂ આર વર્કિંગ ફૉર અ ક્લાયન્ટ.

ખેર, આપણે અયોધ્યાના પ્રશ્ને સર્વોચ્ચ અદાલતમાં પાછા ફરીએ. રાજકીય હેતુ માટે શાસકો અને રાજકારણીઓ ન્યાયતંત્રનો દુરુપયોગ ન કરે અને દેશનો સેક્યુલર ઢાંચો જળવાઈ રહેવો જોઈએ એવો સર્વોચ્ચ અદાલતે ૧૯૯૪માં અભિપ્રાય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે માલિકીના ઝઘડાનો ટાઇટલ સૂટ અદાલતો સાંભળશે. અલાહાબાદની વડી અદાલતે ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં બાબરી મસ્જિદના ટાઇટલ સૂટમાં એક ચુકાદો આપ્યો હતો જે વાસ્તવમાં ન્યાય કરનારો ચુકાદો નહોતો, પણ સમાધાનકારી ફૉમ્યુર્લા હતી. એ ચુકાદારૂપી ફૉમ્યુર્લાને બધા જ પક્ષકારોએ નકારી કાઢી હતી અને તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં ગયા હતા. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં જે કેસ ચાલી રહ્યો છે એ આ અપીલ છે.

હવે સર્વોચ્ચ અદાલતને અને કપિલ સિબલ જેવા સંબંધિત વકીલોને કેટલાક સવાલ પૂછવાના રહે છે.

એક. ૧૯૯૪ના સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય મુજબ અદાલતો શ્રદ્ધાના નહીં, ટાઇટલના કેસ સાંભળશે તો પછી આટલા મહત્ત્વપૂર્ણ ઝઘડામાં કરવામાં આવેલી અપીલ સાત વરસ સુધી કેમ સાંભળવામાં ન આવી? સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં આટલો લાંબો સમય લાગતો નથી સિવાય કે અદાલત કેસ ન સાંભળવા માગતી હોય. અયોધ્યાનો કેસ સાત વરસ સુધી હાથ ન ધરવા પાછળનું કારણ કેસમાં રહેલી કોઈ ખામી છે કે પછી એનાં રાજકીય પરિણામોનો ભય છે? જો ખામી હોય તો ખામી બતાવીને કેસને ફગાવી દેવો જોઈએ, પણ સુનાવણી જ હાથ ધરવામાં ન આવે એની પાછળનું શું કારણ હતું? એ જ જેના તરફ કપિલ સિબલે ઇશારો કર્યો હતો. ખટલાનો રાજકીય દુરુપયોગ.

બે. ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે અયોધ્યાના કેસમાં રોજેરોજ સુનાવણી કરીને સત્વરે ચુકાદો આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે તેમની અપીલ દાખલ કરી હતી અને તેમની અપીલના જવાબમાં અદાલતે ઠરાવ્યું છે કે આવતા વરસના ફેબ્રુઆરી મહિના પછીથી ખટલો રોજેરોજ ચાલશે. હવે સુબ્રહ્મણ્યમ સ્વામી તો મૂળ પક્ષકાર સુધ્ધાં નથી તો પછી તેમની ઉત્સુકતા પાછળનો ઇરાદો રાજકીય નથી તો બીજો શો છે? અદાલતોનો રાજકીય હેતુ માટે ઉપયોગ થવા નહીં દેવાનો ૧૯૯૪નો અભિપ્રાય સામે છે. સાત વરસ સુધી કેસને હાથ નહીં લગાડવાનો ઇતિહાસ સામે છે અને હવે ત્રાહિત માણસની રાજકીય ઇરાદાવાળી અપીલમાં સર્વોચ્ચ અદાલત સક્રિયતા બતાવી રહી છે એ વિચિત્ર નથી લાગતું? અત્યારે જ અયોધ્યાના કેસનો રાજકીય ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં થઈ રહ્યો છે.

ત્રણ. આજે નહીં તો ક્યારે? સર્વોચ્ચ અદાલતે આજે નહીં તો કાલે અયોધ્યાનો ટાઇટલનો કેસ હાથ ધરવો જ પડે એમ છે તો આજે શા માટે નહીં? એનો રાજકીય દુરુપયોગ તો થવાનો જ છે અને એને કોઈ રોકી શકે એમ નથી, પણ એનો અર્થ એવો નથી કે કેસને કાર્પેટ તળે ઢબૂરી રાખવામાં આવે. અદાલતે ઓછામાં ઓછો રાજકીય દુરુપયોગ થાય એની બની શકે એટલી ચીવટ રાખવી જોઈએ અને તમામ પક્ષકારો પાસેથી સોગંદનામા દ્વારા લેખિત બાંયધરી લેવી જોઈએ કે ચુકાદો તેમના માટે બંધનકર્તા રહેશે. ભારત સરકાર પાસે પણ ચુકાદાના અમલની બાંયધરી સોગંદનામા દ્વારા અદાલતમાં આપવી જોઈએ.

ચાર. શ્રદ્ધાના નામે રમાતા કોમી રાજકારણને ટાઇટલના કેસ તરીકે હાથ ધરીને સર્વોચ્ચ અદાલતે બતાવી આપવું જોઈએ કે આ દેશમાં કાયદાનું રાજ ચાલશે, શ્રદ્ધાનું ધતિંગ નહીં.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ડિસેમ્બર 2017

Loading

...102030...3,2243,2253,2263,227...3,2303,2403,250...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved