Opinion Magazine
Number of visits: 9583883
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિખંડન બાબતે નાગરિક ચિંતા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|9 December 2017

કેટલાને આ ક્ષણે અહેસાસ હશે કે હજુ પણ આપણે વિખંડિત તબક્કામાં, ભલે કંઈક જુદી રીતે પણ છીએ

ખંડ ગુજરાત આજે મતદાન કરશે. ખંડ એ અર્થમાં કે આ તો પહેલો દોર છે. બીજો અને છેલ્લો દોર હજુ પાંચ દિવસ પછી હશે. પણ આ તો ‘ખંડ’ એ પ્રયોગનો સાચો પણ ઉભડક-ઉપલક અર્થ થયો. કેન્દ્રમાં વચલાં કેટલાંક વરસ મિશ્ર સરકારનાં ગયાં. તે વખતે એક લાગણી (અને વાસ્તવિકતા પણ) એ હતી કે જનાદેશ ફ્રૅક્ચર્ડ કહેતાં વિખંડિત રહેતો. આજે ગુજરાત અને ભારત બેઉ સ્તરે પૂર્ણ બહુમતપૂર્વકની – અને એ રીતે અખંડ – સરકારો છે. પણ ખબર નથી, ગુજરાતના સમાન્ય મતદાર બાંધવો પૈકી કેટલાને આ ક્ષણે અહેસાસ હશે કે હજુ પણ આપણે વિખંડિત તબક્કામાં, ભલે કંઈક જુદી રીતે પણ છીએ.

એક વિખંડિતતા તો ગાંધીનગર અને નવી દિલ્હીની વર્તમાન સરકારોમાં લગભગ ગળથૂથીગત જેવી છે. એને નઠારા ‘ધ અધર’ વગર સોરવાતું નથી એટલે ધર્મને ધોરણે રાષ્ટ્રની વ્યાખ્યાપૂર્વક એક નિત્યશત્રુ એણે નક્કી કરેલ અને નિર્ધારેલ છે. એક ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જ્યારે ચૂંટણીમાં ‘રાષ્ટ્રવાદી’ઓની કૃષ્ણછાયા બાબતે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા ત્યારે સ્વાભાવિક જ એમના ચિત્તમાં આ ‘અધરામૃત’ની વિષાક્ત-વિભાજક સંભાવનાઓ હશે.

અલબત્ત, એમનું આ રીતે કહેવું, સત્યાંશ સંભાવના છતાં, ‘પોલિટકલી કરેક્ટ’ ઉર્ફે રાજ્કીય રીતે સલાહસગવડવાળું નહોતું અને સ્પિનોડીને સારુ તો એમાં બખ્ખેબખ્ખા હતા. ખ્રિસ્તી ધર્માધ્યક્ષ રાજકારણના ખેલાડી નહીં એટલે એ કાં તો આ વાનું વીસરી ગયા, કે પછી પોતે ઉમેદવાર નહીં અને ગુજરાતમાં ખ્રિસ્તી સમાજની કોઈ નિર્ણાયક હાજરી નહીં એટલે વ્યાપક અભિગમપૂર્વક એમને આ કહેવાનું સાહસ સૂજી રહ્યું હશે, એવા અનુમાનને પણ અવકાશ છે.

પણ એમણે જે ચિંતા વ્યક્ત કરી એમાં રાષ્ટ્રવાદને નામે વિખંડનની રાજનીતિ જોતાં સચ્ચાઈ નથી એવું કહી શકાતું નથી. આ સચ્ચાઈ બોલી બતાવવામાં નાગરિક દૃષ્ટિએ વિચારતાં વિખંડનને બદલે અખંડ–સમગ્ર રીતે પ્રીછવા જોગ એક મૂલ્ય ચોક્કસ પડેલું છે.

પણ વિખંડન બાબતે નાગરિક ચિંતા માત્ર આટલા પૂરતી સીમિત નથી. જેને આધારે રાષ્ટ્રની વ્યાખ્યા કરવાની રાજનીતિ હાલનો સત્તાપક્ષ કરે છે તે હિંદુસમાજને જ્ઞાતિગત ધોરણે ઊંચનીચની મૂર્છા સ્વરાજસિત્તેરી પછી પણ ઊતરી નથી. હિંદુ હોવાને ધોરણે ગોળબંદ થયા પછી પણ, નઠારા ‘ધ અધર’ની તીવ્રતા કંઈક ઓછી થાય ન થાય કે તરત ઊંચનીચનો ખ્યાલ ઢેકો કાઢ્યા વગર રહેતો નથી.

નાગરિક અપીલ પર હિંદુ અપીલ હાવી થાય ન થાય અને નાતજાતની અપીલ એકદમ સામે આવે છે. એમાંથી ઓળખનું રાજકારણ એવી રીતે બહાર આવે છે કે રાષ્ટ્રીય પોત સુઘટ્ટ થવાની નાગરિક પ્રક્રિયા પાછી પડે છે.

મજ્જાગત એવાં આ ઊંચનીચ, પછીથી, એવાં એવાં સ્પિન વાસ્તે પીચ પૂરી પાડે છે જે ન તો ઈષ્ટ હોય, ન તો અભીષ્ટ હોય. તમે આટલા નીચે કેમ જાઓ છો એવો મુદ્દો ઉપસ્થિત કરવા માટે અંગ્રેજીના તરજુમાશાઈ ગોથામાં મણિશંકર અય્યરે ‘નીચ’ પ્રયોગ કર્યો અને ભાષાચૂક એટલી જ જીભચૂક સાથે એમણે બાણું લાખ વૈખરીના ઘણીને આઠો પ્રહર સ્પિનની સવલત કરી આપી. કૉંગ્રેસે અય્યરને સસ્પેન્ડ કર્યા, પણ બુંદસે ગઈ હોજ સે નહીં આતી – અને ભાજપ આ પ્રકારના ઉદ્્ગારોવાળી એક આખી બીજી હરોળ અને ટ્વિટસેના નભાવે છે એ મુદ્દો પણ કોઈક મનોવૈજ્ઞાનિક ક્ષણે ગૌણ થઈ જાય છે.

2017ના ગુજરાતમાં જે રીતે પાટીદાર, ઓબીસી અને દલિત સમુદાયો ‘રાજકીય હિંદુ’ મટતા મામૂલ પડે છે એમાં કોમી ગોળબંદને ધોરણે થતાં એકત્રીકરણ(અને કોમી રાહે વિખંડન)ની કળ વળવાનાં ચિહ્ન હોય તો પણ વ્યાપક નાગરિક વલણની દૃષ્ટિએ આ પ્રક્રિયા સારુ દિલ્હી હજી પૂરતું નજીક નથી. ભલે સુદૂર ન હોય, દૂર તો છે જ. તેમ છતાં, ધીમી પણ એક સ્વાગતાર્હ શક્યતા ખૂલી છે.

પાટીદાર આંદોલન વળ અને આમળા ખાઈ ખાઈને આજે દલિત-ઓબીસી જોગવાઈઓના સમાદરપૂર્વક પોતાની હકમાંગને સમાયોજવાનું વલણ દાખવી રહ્યું છે એને જરૂર એક નાગરિક ઉન્મેષરૂપે ઘટાવી શકીએ. અલબત્ત, બેઉ છેડાની શક્યતાઓનો દોર હજુ એણે નિર્ણાયકપણે વટાવ્યો નથી. કિસન સોસા જેને રણ તરફ કે નદી તરફ એવી નિર્ણાયક ક્ષણ લેખે વર્ણવવી પસંદ કરે એ તરેહની પરિસ્થિતિ આ છે. વિધાયક વિકલ્પબારી ખૂલી છે પણ ખેંચાણ બેઉ છેડાના છે.

બેઉ  છેડાનાં ખેંચાણ અને સત્યનિરપેક્ષ સ્પિનસાલારોના દુર્દૈવ વાસ્તવ વચ્ચે આજે ખંડ ગુજરાતે મતદાન કરવાનું છે ત્યારે એની નજર સમક્ષ અખંડ-અભંગ મુદ્દો શો હોવો જોઈએ, એ સવાલનો જવાબ આમ તો સાવ સાદો છે. એટલો બધો સાદો કે તે બોલી બતાવવા સારુ આપણી વચ્ચે ‘એલિમેન્ટરી, માય ડિયર વોટ્સન’–ખ્યાત કોઈ શેરલોક હોમ્સનુંયે હોવું અનિવાર્ય નથી. સાદો મુદ્દો આ છે – ભાઈ, તમે કેન્દ્રનાં દસ વરસ અને ગાંધીનગરનાં વીસ વરસનાં કામને ધોરણે સરખો જવાબ તો આપો.

તરેહવાર સ્પિન-શોરમાં અને દબંગ માહોલમાં ડૂબી જાય એવો આ સવાલ છે, અને વિકાસની મરીચિકા સમજાવા છતાં ઝાંઝવાનાં ભળતાં સળતાં ખેંચાણે મતદાનની ગુંજાશ બરકરાર રહે એવો આ માહોલ છે.

જે એક પરિપ્રેક્ષ્ય હાલના પરિદૃશ્યમાં કેળવવા જોગ છે તે વસ્તુત: આ સવાલ-દાર ભૂમિકા સાથે અને ઉપરાંત એ છે કે અત્યારે મતદારે ભાજપ વિ. કૉંગ્રેસ કે કૉંગ્રેસ વિ. ભાજપ – એ ધોરણે પરિચાલિત થવા કરતાં પણ સવિશેષ તો અખંડ ગુજરાત અને રૂંવે રૂંવે નાગરિકને ધોરણે વિચારવાપણું છે. આ અખંડ અલબત્ત ભારતનું સહજ અંગ છે એ જુદું કહેવાની જરૂર ન હોય. પ્રધાનમંત્રીએ ‘ગુજરાતના પુત્ર’ તરીકે દાવેદારી ન કરવાની હોય, જો એ ભારતીય નાગરિક હોય તો! ભૂતકાળમાં પણ કથિત ‘ગુજરાત મોડેલ’ની ટીથિંગ ટ્રબલ્સ વખતે એમણે આવો ખેલ પાડેલ છે.

લોકની સ્મૃિત પેલી કહેતી પ્રમાણે ટૂંકી હોય છે એટલે જરી સમજ ખાતર થોડું સંભારી લઈએ તે ઠીક રહેશે. રાજ્ય સરકાર જ્યારે નિ:શાસન કે દુ:શાસન તરીકે ટીકાપાત્ર બની ત્યારે ટીકાકારને ગુજરાતશત્રુ તરીકે અને સરકારની ટીકાને ગુજરાતદ્રોહી તરીકે ચીતરવાનું વલણ, દુ:શાસન મૂરતને દાબી દેવા સારુ કર્ણબધિર ગૌરવનાદ, ચૂંટણી પંચ – લઘુમતી પંચ – માનવ અધિકાર પંચ જાણે વિપક્ષ જ નહીં ‘બહાર’નાં હોય એમ એમની સામે શત્રુબોધપૂર્વકનું ‘ગુજરાત …’ હવે જો આજે હું છું વિકાસ અને હું છું ગુજરાત એવું કહેવાય તો એ તો ફ્રાન્સના લુઈ રાજાઓની જેમ ‘આય્ એમ ધ સ્ટેટ’નો હુંકાર થયો. ગમે તેમ પણ, સૌને – રિપીટ, સૌને – ઓળખ ઓળખનો આદર અને એની સીમારેખાની પણ સમજ, આ બે સાથેલગાં હશે તો એ મતદાન ખંડથી અખંડ ભણીનું હશે.

સૌજન્ય : ‘જનાદેશની પાછળ’, “દિવ્ય ભાસ્કર”, 09 ડિસેમ્બર 2017

Loading

સાજણ

‘બાબુલ’|Poetry|9 December 2017

પીવડાવું આસવ
આંખોથી, અધરથી
આવ સાજણ નિકટ
પીડ આ જાણી શકે તો

તોડું દ્રઢ આશ્લેષથી
શ્વાસોનાં આવાસો
પાંસળીઓનાં વેગીલા પ્રવાસો
રોકી જો- રોકી શકે તો

પયોધર પર ત્રોફેલાં
રંગીન મુક્તકો
પૂર્ણવિરામ વિનાનાં
તું જો વાંચી શકે તો

રૂંવાડેદાર વળાંકે
ભૂલાયેલાં પ્રાસો, લયો
છતાં રસીલી એક કવિતા
માણ, જો માણી શકે તો

Loading

EVMને કારણે નાગરિકની શક્તિ હણાતી હોય તો એને તિલાંજલિ આપી દેવી જોઈએ : ચૂંટણીકીય સુલભતા કરતાં નાગરિકની શ્રદ્ધાનું મૂલ્ય અદકેરું

રમેશ ઓઝા|Opinion - Opinion|9 December 2017

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન થવાનું છે ત્યારે ચર્ચાનો, ચિંતાનો અને શંકાનો વિષય ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) છે.

ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પાલિકાઓની ચૂંટણીમાં બે ભાતનાં પરિણામો આવ્યાં એ પછીથી કેટલાક લોકોનો ભરોસો ઊઠી ગયો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં EVM દ્વારા મતદાન થયું હતું એ મહાનગરપાલિકાઓમાં BJPએ ભવ્ય વિજય મેળવ્યો હતો અને જ્યાં EVMની જગ્યાએ મતપત્રક (બૅલટ પેપર) દ્વારા મતદાન થયું હતું એ નગરપરિષદો અને નગરપંચાયતોની ચૂંટણીમાં BJPનો પરાજય થયો હતો. જ્યાં મશીન વપરાયાં ત્યાં વિજય પણ ભવ્ય છે અને મશીનના અભાવમાં પરાજય પણ કમર ભાંગી નાખે એવો છે.

તો શું આ બે અંતિમોવાળાં પરિણામોનું કારણ EVM છે? ઘણું કરીને એવું નહીં જ હોય. ઘણું કરીને શું, એવું બિલકુલ નહીં હોય; કારણ કે આ ભારત દેશ છે જેણે લોકશાહીનું જતન કર્યું છે. જ્યારે ભલભલા દેશોએ લોકશાહી ગુમાવી દીધી ત્યારે ભારત જેવા ગરીબ અને એ સમયે સાવ નિરક્ષર મતદાતાઓના દેશે લોકશાહી અપનાવીને તેમ જ લોકતંત્રને સોળે કળાએ વિકસાવીને જગતને અચંબિત કરી મૂક્યું હતું. આજે ભારત જગતના સૌથી મોટા લોકશાહી દેશ તરીકેની ખ્યાતિ ધરાવે છે. આમ EVM પરિણામો નક્કી કરવામાં કોઈ ભાગ ભજવે છે કે ભજવી શકે એમ માનવાનું મન નથી થતું.

આમ છતાં ય લોકતાંત્રિક પ્રક્રિયામાંથી લોકોનો જ્યારે ભરોસો ઊઠી જાય ત્યારે એને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ વરસના પ્રારંભમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અણધાર્યા પરિણામ આવ્યાં એ પછીથી EVM વિશે શંકા થવા લાગી હતી. આમ આદમી પાર્ટીએ પત્રકાર-પરિષદ બોલાવીને EVMમાં કઈ રીતે ચેડાં શક્ય છે એનો લાઇવ ડેમો આપ્યો હતો. ભારે વિવાદ પછી લોકોની શંકાનું નિરાકરણ કરવા ચૂંટણીપંચે કહ્યું હતું કે હવે પછી દરેક ચૂંટણી વખતે વોટર-વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) નામનું પ્રિન્ટર EVM સાથે જોડવામાં આવશે અને એમાંથી નીકળનારી પ્રિન્ટ મતદાતાને ખાતરી કરાવશે કે તેણે આપેલો મત તે જેને આપવા માગે છે તેને ગયો કે નહીં.

VVPAT અટૅચ્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એ પછી પહેલી ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પાલિકાઓની યોજાઈ હતી અને બીજી આજે ગુજરાતમાં યોજાઈ રહી છે. પહેલી ચૂંટણીનાં પરિણામો ઉપર કહ્યું એવાં બે અંતિમોવાળાં છે અને ગુજરાતમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે એ પહેલા EVM અને VVPATના લેવામાં આવેલા ટ્રાયલ-રનમાં ભૂલો નજરે પડી હતી. બટન એકનું દબાવવામાં આવે અને સ્લિપ કોઈ બીજા જ ઉમેદવારની તરફેણમાં નીકળે એવું જોવા મળ્યું હતું. આવી કેટલીક ઘટનાઓ બહાર આવ્યા પછી નરવા લોકતંત્ર માટે EVMની ઉપયોગિતા વિશે ઊહાપોહ થઈ રહ્યો છે.

અત્યાર સુધી મેં EVMનો વિરોધ નથી કર્યો. ઝડપી પરિણામો માટે EVM ઉપયોગી છે. ચૂંટણીપ્રક્રિયા સરળ બને છે, કાગળનો વપરાશ ઘટે છે, મતગણતરી ઝડપથી થાય છે, ફેરચૂંટણી અને ફેરગણતરી ભાગ્યે જ કરવી પડે છે એમ ફાયદાઓ અનેક છે. સવાલ શ્રદ્ધાનો છે અને લોકતંત્રમાં નાગરિકની શ્રદ્ધા લાખેણી છે. ચૂંટણીઓ તો ચીન અને પાકિસ્તાન સહિત જગતના મોટા ભાગના દેશોમાં થાય છે, પરંતુ એને લોકતાંત્રિક દેશ તરીકે નથી ઓળખાવવામાં આવતા, કારણ કે ત્યાં નાગરિક સત્તાધીશને ચૂંટવા જેટલો સ્વતંત્ર નથી. લોકતંત્રનો અર્થ છે વિકલ્પ અને જો નાગરિક પાસેથી વિકલ્પ છીનવી લેવામાં આવે તો એને લોકતંત્ર ન કહેવાય. હવે મને એમ લાગવા માંડ્યું છે કે EVM આજે નહીં તો કાલે મતદાતાને મળતા વિકલ્પ અને ગુપ્તતા સાથે ચેડાં કરવામાં સહાયભૂત થઈ શકે છે.

ત્રણ મુખ્ય કારણો છે – એક તો જગતમાં આજ સુધી એવું એક પણ મશીન નથી બન્યું જે બગડે નહીં અને જેની સાથે ચેડાં થઈ શકે નહીં. મશીન માત્રની આ મર્યાદા છે. બીજું કારણ એવું છે કે ચૂંટણીપંચ અને ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલા લોકો તટસ્થ છે અને કાયમ તટસ્થ રહેશે એની કોઈ ખાતરી નથી. અત્યારના મુખ્ય ચૂંટણી કમિશનરની તટસ્થતા વિશે જ શંકા થઈ રહી છે. તેમણે ગુજરાતમાં મતદાતાઓને રીઝવનારી યોજનાઓ જાહેર કરવાનો સરકારને મોકો મળે એ માટે ચૂંટણી મોડી જાહેર કરી હતી. કારણ એવું આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં પૂરરાહતનું કામ ચાલી રહ્યું છે માટે સરકારને સમયની જરૂર છે. ૨૦૧૪માં આ જ ચૂંટણીપંચે જમ્મુ અને કાશ્મીરની સરકારને પૂરરાહતની કામગીરી માટે સમય નહોતો આપ્યો જેમાં વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિ નંબર ટૂ હતા.

ત્રીજું કારણ મતદાનમાં હોવી જોઈતી અને જળવાવી જોઈતી ગુપ્તતાનું છે. EVMમાં આવી હોવી જોઈતી ગુપ્તતા જળવાતી નથી. સમર્થ માણસને ડરાવી પણ શકાય છે અને ખરીદી પણ શકાય છે. આજે ભારતીય મીડિયા જે રીતે ડરેલાં અને ખરીદાયેલાં છે એ એનું પ્રમાણ છે. બીજી બાજુ અદના નાગરિકને અર્થાત મતદાતાને ડરાવવો એ અઘરું કામ છે. માત્ર બે ચીજની બાંયધરી આપવામાં આવે; એક વિકલ્પની અને બીજી ગુપ્તતાની. મતદાતા પાસે પસંદગીનો વિકલ્પ હોવો જોઈએ અને તે કોને પસંદ કરી રહ્યો છે એની ગુપ્તતા જળવાવી જોઈએ. લોકતંત્ર આ બન્ને ચીજ આપે છે અને એ નાગરિકની શક્તિ છે. EVMને કારણે નાગરિકની શક્તિ હણાતી હોય તો એને તિલાંજલિ આપવી જોઈએ. ચૂંટણીકીય સુલભતા કરતાં લોકતંત્રનો પ્રાણ (વિકલ્પ અને ગુપ્તતા) અને નાગરિકની શ્રદ્ધા જળવાઈ રહે એનું વધારે મૂલ્ય છે.

આમ પણ જગતના બહુ ઓછા દેશોમાં EVMનો ઉપયોગ થાય છે. આખા જગતમાં માત્ર ૧૮ દેશોમાં EVMનો ઉપયોગ થાય છે. જે દેશોમાં ટકોરાબંધ પરિપક્વ લોકતંત્ર છે એવા દેશોમાં ભારત, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને બ્રિટનમાં જ EVM વાપરવામાં આવે છે, બાકીના દેશોમાં EVMનો ઉપયોગ કરવામાં નથી આવતો. કારણ બહુ સ્પષ્ટ છે – નાગરિકની લોકતંત્રમાં શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ અને શ્રદ્ધા જાળવવી હોય તો નાગરિકને મળતા વિકલ્પ અને ગુપ્તતાનાં કવચ જળવાઈ રહેવાં જોઈએ. EVM આની કોઈ ખાતરી નથી આપતું એટલે સમય આવી ગયો છે કે EVMને તિલાંજલિ આપવામાં આવે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 ડિસેમ્બર 2017

Loading

...102030...3,2233,2243,2253,226...3,2303,2403,250...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved