Opinion Magazine
Number of visits: 9583738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થાપિતોની હિતરક્ષા માટેનું લોકતંત્ર : સેતુરામન, ગુલામ હુસેન અને આપણે સૌ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|19 December 2017

વાત ભારતીય નાગરિક  અને લોકતંત્રની છે. એ કહેવા માટે મારી પાસે ઘણા જીવંત ચરિત્રો છે. એ મદુરાઈમાં વસતા ટેક્ષી ડ્રાઈવર સેતુરામન હોઈ શકે છે, અથવા શ્રીનગરમાં વસતા ગુલામ હુસેન હોઈ શકે છે. એ પૌરાણિક વિદિશાનગરીનો અબુ ઘોડાગાડીવાળો પણ હોઈ શકે છે અથવા તો એ જગન્નાથપુરીમાં ફેનિલ વાવાઝોડા વચ્ચે મળેલી દુર્ગા ચાવાળી ય હોઈ શકે છે અને કોલકાત્તાના હાવડા બ્રિજ ચાર રસ્તે મળેલો કવિ નહીં બની શકેલો કોન્સ્ટેબલ પણ હોઈ શકે છે. મારા જેવા એક અણઘડ માણસમાં આ દેશની સાંસ્કૃિતક પરંપરા અને રાજનીતિની જે આછી પાતળી સમજણ પણ વિકસી છે તે કાંઈ માત્ર મોટા મોટા સાહિત્યકારોને કે રાજકીય વિચારકોને વાંચી-સાંભળીને જ નથી વિકસી પણ એમાં અહીં જણાવ્યા એવા અનેક જીવંત ચરિત્રોનો ફાળો છે. આ બધા આજે એટલે યાદ આવે છે કે આજે પણ આ લોકો ભારતના જુદા જુદા ભૂભાગો પર પોતાની રોજીરોટી અને ખુશહાલ જિંદગી માટે સંઘર્ષ કરી રહ્યા છે પણ શમશેર કહે છે તેમઃ ‘પતા નહીં ક્યું મહજ બાદલો કે દો તાર ક્યું ઉસે ઉલઝા દેતે હૈ.’

આજે આપણને અકળાવી મૂકે એવો સવાલ તો એ હોવો જોઈએ કે આ ચૂંટણીનો ઉપક્રમ શેના માટે? મુઠ્ઠીભર સ્થાપિત હિતોની રખેવાળી કરે એવું વહીવટી તંત્ર સ્થાપવા માટે કે કોઈ સૈદ્ધાંતિક-વૈચારિક ભૂમિકા લઈ વ્યાપક હિત માટે કામ કરે એવાં સત્તા મંડળો રચવા માટે?  આ પ્રશ્ન પાસેથી જ ભારતીય લોકતંત્રનું આંખમાં પાણી લાવી દે એવું ટ્રેજિક-કોમિક નાટક આરંભાય છે. અહીંથી જ લોકંત્રમાં જનતાના મત અને મુઠ્ઠીભર સ્થાપિતોની મરજી વચ્ચેનો સંઘર્ષ આરંભાય છે. મહેરબાની કરી મારી વાતને અતિશયોક્તિ ન માનતા, આટલાં વર્ષોમાં આપણે મુઠ્ઠીભર સ્થાપિતોના હિત માટે નહીં પણ વ્યાપક હિત માટે કામ કરે એવાં સત્તામંડળો સ્થાપવામાં વિફળ રહ્યા છીએ. કોટી કોટી સેતુ રામન, ગુલામ હુસેન, અબુ કે દુર્ગા શું ચાહે છે? એ જ કે એને એવું વહીવટી તંત્ર મળે જે એની સુખાકારી માટે, એને સ્પર્શતા હોય એવા મુદ્દા માટે તહેદીલથી કામ કરે. પણ થાય છે તદ્દન વિપરીત. મત એનો લેવાય છે અને સરકારો રચાય છે મુઠીભર લોકોના હિતોની રક્ષા માટે ખડે પગે રહે અને આમને સૌને નોંધારા મૂકી દે એવું સત્તા તંત્ર રચાવાતો. એના મતથી સરકાર રચવા મથતા પક્ષો એવા મુદ્દા લઈ આવે છે જેને એની  સુખાકારી કે બહેતરી સાથે કોઈ જ સબંધ નથી હોતો પણ એ મુદ્દાઓના કારણે એનું જીવવું ઝેર બની જાય છે.

ચારેક વર્ષ પહેલાં દિવાળીના સમયે કેરળ અને તામિલનાડુના પ્રવાસે એકલો ગયેલો. મદુરાઈથી મારી સાથે સેતુ રામન નામના ઊંચા દુબળા શ્યામ રંગી ટેક્ષી ડ્રાઈવર ભાઈ હતા. શોફરનો સફેદ લેબાસ, ભાંગી તૂટી તમિળ છાંટવાળી અંગ્રેજી હિંદી. દિવાળીના સમયે દક્ષિણમાં ચોમાસુ હોય છે. અમે વરસતા વરસાદમાં મદુરાઈથી રામેશ્વરમ્‌ જઈ રહ્યા હતા. રસ્તામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે બસો મળે તે પીળા અને લીલા રંગના વિચિત્ર ચટાપટા વાળી હતી એટલે મેં એમને પૂછ્યું કેઃ

‘હમારે યહાં ગુજરાત મેં તો પહેલે સે એક હલકે બ્લૂ રંગ કી સ્ટેટ ટ્રાન્સપોર્ટ કી બસે હોતી હૈં, યહાં યહ પીલે ઔર હરે રંગ કી લકિરોં મેં ઉલઝી હુઈ બસે ક્યું હૈ.’

સેતુરામને જવાબમાં દક્ષિણી હિંદીમાં કહેલું કે : ‘યહ હમારા પોલિટિકલ કોમ્પ્રોમાઈઝ હૈં, પહલે યહ હોતા થા કિ જૈસે અમ્મા પાવર મેં આતી થી સ્ટેટ ટ્રાન્સપોર્ટ કી બસોં કા રંગ પીલા હો જાતા થા ઔર જેસે હી કરુણાનિધિ આતે થે તો બસો કા રંગ હરા હો જાતા થા. ફિર બાર બાર રંગ બદલને કી ઝંઝટ સે બચને કે લિએ હમને પીછલે કુછ સાલોં કે યહ રાસ્તા નિકાલા હૈં. હરે પીલે પટ્ટે વાલી બસે કર દી હૈ. હું વરસાદમાં દોડતા રાજનીતિના સુવર્ણ મૃગ જેવી એ લીલા-પીળા પટ્ટાવાળી બસો જોઈ રહ્યો.

આગળ જતાં રામેશ્વરમ્ ‌બ્રિજ પર ગાડી ખડી કરી સેતુરામને મારા ફોટા પાડ્યા અને પછી નીચે વહેતા સમુદ્રના પાણીમાં ખોવાઈ ગયા. રામેશ્વરમ્‌થી દરિયામાં થોડે આગળ શ્રીલંકાની હદ શરુ થાય, અહીં જ એ રામસેતુ પણ છે. સેતુરામન અચાનક વ્યક્તિ મટી ઇતિહાસનું એ ફલક બની ગયા, જેમણે દક્ષિણનું પ્રાદેશિક તમિળ પોલિટિક્સ પછીનું અને પહેલાંનું તામિલનાડુ જોયું હતું. સાતમાં દાયકામાં અન્ના દુરાઈએ તમિળોની પ્રદેશવાદી રાજનીતિ આરંભી તે પહેલાં અહીં રાષ્ટ્રીય પક્ષ તરીકે કૉંગ્રેસનો દબદબો હતો. મદુરાઈના  મ્યૂિઝયમમાં ગાંધી અહીં આવ્યા એનો ઇતિહાસ દર્જ છે. મદુરાઈ પાસેના જ કોઈક ગામડાંમાં ગાંધીએ જર્જરીત કપડાંમાં ભૂખ્યા ગરીબોને જોયા, ખાસ તો એક વૃદ્ધ સ્ત્રીને જોઈ, અને પછી એક જ વસ્ત્ર ધારણ કરવાનો નિર્ણય લીધો. ગાંધીની રાજનીતિને કામરાજે બરાબર અનુસરેલી. આપણે સહુ કામરાજને ઈંદિરા ગાંધીના તરફદાર અથવા ખાસમખાસ તરીકે જાણીએ છીએ પણ કામરાજનું સાચું સ્વરૂપ નથી જાણતા. સેતુરામન જાણે છે. રામેશ્વરમ્‌ના બ્રિજ પર ખોવાયેલા સેતુરામન ગાડીમાં બેઠા પણ ગાડી ચાલુ ન કરી. બહાર જોતા રહ્યા. પછી એણે મને કહ્યું કે એનો જન્મ પચાસેક વર્ષ પહેલાં એ સમયે થયેલો, જ્યારે એના પિતા કામરાજની ગાડી ડ્રાઈવ કરતા હતા અને એ વખતે આ પુલ પરથી રામેશ્વરમ્‌ ગયેલા. જ્યારે એમને પુત્રજન્મની વધામણી મળી તો એમણે એનું નામ સેતુરામન રાખ્યું.

સેતુરામન અત્યારે ચાલતી તમિળ રાજનીતિથી ત્રસ્ત છે. એ વિચારે છે કે મારા રાજ્યની સરકારો અહીં વસતા નાગરિકોની ચિંતા કરવાને બદલે શ્રીલંકામાં વસતા તમિળોની ચિંતા કેમ વધારે કરે છે? હવે તો લિટ્ટે નહીં બરાબર છે, પણ ત્યારે લિટ્ટેને અહીંથી ભરપુર સમર્થન મળતું. આ આગવી રાજનીતિ – ‘આગવા તમિલનાડુ’ની અન્ના દુરાઈએ શરૂ કરેલી. એ વખતના સીને સ્ટાર એમ.જી. રામચંદ્રન્‌ અને કરુણાનિધિ એમના  શિષ્યો, પછી બંનેની અલગ અલગ તમિળ પાર્ટી બની જે આજ સુધી વારાફરતી સત્તા ભોગવી રહી છે. પણ આમાં સેતુરામને શું ગુમાવ્યું? એ કામરાજને યાદ કરતા કહે છે કે તેઓ માત્ર એક નાનકડી સુટકેસ સાથે ફરનારા રાજનેતા હતા જેમાં બે-ત્રણ લુંગી અને પહેરણ હોય. કોઈ એક વાર મદુરાઈના એક ઉત્સાહી મ્યુિનસિપાલિટી પ્રમુખે એમની માતા રહેતી હતી એ ઘરમાં હેન્ડપંપ નંખાવી આપ્યો, એને હતું કે કામરાજ ખુશ થશે, શાબાશી આપશે, પણ થયું વિપરીત. કામરાજે પૂછ્યું કે આખી શેરીની સ્ત્રીઓ ક્યાંથી પાણી લે છે? જવાબ મળ્યો કે શેરીના નાકે જે સાર્વજનિક હેન્ડપંપ છે ત્યાંથી. એમણે તાત્કાલિક પોતાના ઘરનો હેન્ડપંપ હટાવવા આદેશ આપ્યો અને કહ્યું જો અહીંની બધી સ્ત્રોઓને એ હેન્ડપંપ સુધી જવામાં તકલીફ ન પડતી હોય તો મારી માને ન પડવી જોઈએ.

આ હતી લગભગ ૧૯૬૫-૭૦ સુધીની તમિલનાડુની રાજનીતિ, જેના પર પડદો ત્યારે પડ્યો જ્યારે શ્રીલંકામાં તમિળ સમસ્યા શરુ થઈ અને નેહરુએ એવું સ્ટૅન્ડ લીધું કે પડોશી દેશમાં ચાલતી આવી ચળવળને આપણે સમર્થન ન આપી શકીએ. બીજા દેશમાં આ રીતનો હસ્તક્ષેપ એના સાર્વભૌમત્વ પર પ્રહાર કરવા સમાન છે. પછી ઈંદિરાથી લઈને રાજીવ સુધીનાએ આ નીતિ પર અમલ કર્યો અને ક્રમશઃ તામિળનાડુની રાજનીતિમાંથી કૉંગ્રેસ સાફ થઈ ગઈ. રાજીવ ગાંધીની હત્યા પાછળ પણ આ નૈતિકતા જવાબદાર હતી. સેતુરામનના કહેવા પ્રમાણે આજે પણ શ્રીલંકામાં તમિળ ચેનલો અને ફિલ્મોની બોલબાલા છે અને તામિળ રાજનીતિમાં શ્રીલંકન તમિળોનો મુદ્દો ચૂંટણી દર ચૂંટણી જોર પકડતો રહે છે જેની સામે તામિળનાડુની ગરીબ જનતાના મુદ્દા ઉવેખાતા રહે છે.

કાશ્મીરના શ્રીનગરમાં વસતા ગુલામ હુસેનની વાત પણ સાંભળીએ તો એવું લાગે કે જાણે સેતુ રામન જ કોઈ અલગ રંગભૂષા-વેશભૂષા અને ભાષામાંંં બોલી રહ્યા છે. એમને મારે ૨૦૧૩માં મળવાનુ થયેલું અમરનાથ યાત્રા પ્રસંગે. મેં આ યાત્રા એટલે કરી હતી કેમ કે અહીં બેઠા બેઠા કાશ્મીર સમસ્યા પર બોલો એનો કોઈ અર્થ નથી. યાત્રાની વાત બાજુ પર રાખી મૂળ વાત પર આવું તો આ એ યાત્રા દરમિયાન ચાર દિવસ ગુલામ હુસેન સાથે રહેવાનું થયેલું. આ વ્યવસ્થા પણ  દાલ લેક પરની એક ટ્રાવેલિંગ ઍજન્સીમાં કામ કરતા ભરુચના વ્હોરા મુસ્લિમ ગુજરાતી ભાઈએ  કરી આપી હતી. પહેલે દિવસે અમે સોનમર્ગ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક દુબળો-પાતળો સુંદર નાક-નકશીવાળો યુવાન ટેક્ષી ઊભી રખાવી વાત કરતો હતો. બોલતા બોલતા એ અટકતો હતો. ગુલામ હુસેને અમારી ઓળખાણ કરાવી તો એણે દુઆ-સલામ કર્યાં. પછી ગયો. પણ મારા મનમાં રહી ગયો. મેં જોયું કે ગુલામ હુસેન પણ ગાડી ચલાવતા હતા પણ ચિંતિત હતા. બીજે દિવસે બપોરે લંચ પછી આછા તડકામાં સિગરેટ ફૂંકતા ફૂંકતા એમણે પોતાનું મન ખોલ્યું.

એમણે કહ્યું કે એ એક જ અમારા ઘરમાં ભણેલો ગણેલો છે. ત્રણ છોકરામાં સહુથી નાનો. બાકીના બે મજૂરી કરે છે. પાક્કા નમાઝી છે. ત્રણેક વર્ષ પહેલાં આ સહુથી નાનો કૉમર્સ ગ્રેજ્યૂએટ થયો અને એને થયું કે પરિવારની સ્થિતિ સુધારવા કંઈક ધંધો કરુ. એણે ટ્રાવેલિંગ ઍજન્સી શરુ કરી. કાશ્મીરમાં અમરનાથ યાત્રાના ત્રણ ચાર માસ એમને માટે કમાવવાનો સમય હોય છે. એક વર્ષ એ બરાબર કમાયો. બીજા વરસે એણે બજારમાંથી પાંચેક લાખ રુપિયા ઉઠાવીને ધંધો વિસ્તાર્યો, પણ એમાં અચાનક હુર્રિયતે બંધનું એલાન આપ્યું. અમરનાથ યાત્રા પર પથ્થરમારો થયો. યાત્રા સ્થગિત થઈ. ગુલામ હુસેનનો દીકરો લૂંટાઈ ગયો. આગળની ઘટના ટૂંકાવીને કહું તો પણ એનો દુઃખદ ભાગ એ છે કે એક રાતે આ છોકરાને આર્મીવાળા ઉઠાવીને લઈ ગયા. કોઈકે અરજી આપી હતી કે એ ટ્રાવેલિંગની આડમાં આતંકવાદીઓને સહાય કરે છે. અઠવાડિયા પછી માથામાં ઇજા સાથે પાછો ફર્યો. ત્યારથી તોતડાય છે. હવે કંઈ કામ નથી કરી શકતો. ગુલામ હુસેનના જણાવ્યા પ્રમાણે યાસીન મલિકથી લઈને કશ્મીરિયતના મુદ્દે રાજનીતિ કરતા બીજા ઘણા હુર્રિયત નેતાઓના છોકરા ઇંગ્લૅન્ડ કે અમેરિકામાં ભણે છે પણ ગુલામ હુસેનનો છોકરો … શું તમિળનાડુ કે શું કાશ્મીર કે શું પંજાબ કે શું આસામ? બધે ત્યાંના રહીશોને સ્નાન સૂતકનો ય સબંધ ન હોય એવા મુદ્દે રાજનીતિ થાય છે. સરકારો તૂટે છે અને બને છે પણ સેતુરામન હોય કે ગુલામ હુસેન …..એમની સ્થિતિ બદથી બદત્તર થતી જાય છે.

‘નિરીક્ષક’ના વાચકને જરૂર પ્રશ્ન થશે કે હું ગુજરાતની ચૂંટણી ટાણે આ તામિલનાડુ અને કાશ્મીરની કેમ વાત કરું છું? પણ મને, અને બીજા કેટલાકને દેખાઈ રહ્યું છે કે છેલ્લા બાવીસ વર્ષથી આપણને આગવા ગુજરાત, ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું ગૌરવ, ગુજરાતના પનોતા પુત્ર આદિ આદિ સ્લોગનો દ્વારા જે માર્ગે ધકેલવામાં આવી રહ્યા છે, તે માર્ગ આપણને તામિલનાડુ કે કાશ્મીર જ બનાવવા તરફનો છે. અત્યારે ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતની કે ગુજરાતના નાગરિકની વાત સત્તાધારી પક્ષ ભા.જ.પે. હાંસિયામાં મૂકી દીધી છે. પાકિસ્તાનને શું લેવાદેવા આપણી ચૂંટણી સાથે? વિપક્ષના નેતા મંદિરમાં જાય કે ન જાય તેથી શું ફેર પડે છે ગુજરાતના ગરીબ નાગરિકને? અને ખેડૂત, યુવાન, દલિત આદિના વિકાસની કે ગુજરાતના વિકાસની વાત કેમ નથી થતી. ઊનામાં જે દલિતોની ચામડી ઉતરડી નાખવામાં આવી એ શું ગુજરાત મોડલ છે? કે પછી થાનગઢ? કે પછી પાટીદાર આંદોલન? ગુજરાતની યુનિવર્સિટીઓ અને અકાદમીનું શું? ચૂંટાયેલી સરકાર ગમે તે પ્રજાકીય સંસ્થાનું લોકતંત્ર અભડાવી એની સ્વાયત્તતા નાબૂદ કરી પોતાનું આપખુદ શાસન રચે એ છે તમારી રાજનીતિ? અને જે આ મૂળભૂત પ્રશ્ન ઉઠાવે તે દેશદ્રોહી? ગુજરાત વિરોધી? આ તો નહીં ચાલે, ભાઈ. તમે ભા.જ.પ. તરીકે આ કરો તો પણ નહીં અને કૉંગ્રેસ તરીકે કરો તો પણ નહીં.

આપણે ચૂંટણી દર ચૂંટણી પ્રજાના જીવન ધોરણ સાથે નિસબત ન ધરાવતા અને લોકતંત્રના અંગે અંગમાં રોગ પ્રસરાવતા ધર્મ-જાતિ-કે શત્રુ દેશ જેવાં મુદ્દાઓના ઘોંઘાટ વચ્ચે જ મત આપીએ છીએ, આપણી સાથે સ્નાન-સૂતકનો ય સબંધ ન ધરાવતા આ બે કે ત્રણ મુદ્દા વચ્ચે આપણે શું પસંદ કરવું એની વિમાસણમાં મૂકાઈએ છીએ. આપણે એ તમામ મુદ્દાઓને હડસેલીને એમ નથી કહી શકતા કે આ તમિલિયત – કશ્મીરિયત કે ગુજરાતીયતની, ભારત પાકિસ્તાનની, કે મંદિર-મસ્જિદની  નિરર્થક રાજનીતિ બંધ કરો અને અમારું દળદર ફીટે એવું કંઈક કરો. પ્રશ્ન એ છે કે કરોડો અબજો રુપિયાના ખર્ચે ચાલતું આ લોકતંત્ર છેક છેલ્લે ઊભેલા માણસને જરા જેટલું ય અજવાળુ કે આશા આપી શકે છે ખરું? કે પછી પાંચ પચ્ચીસ સ્થાપિતોના દિવાનખંડો જ ઝળહળતા કરે છે આપણાં રક્તથી.

તારીખ : ૧૩-૧૨-૨૦૧૭

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 03-04

Loading

નાગરિકતાના પાઠ શિખવતું પુસ્તક : અમે ભારતના લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 December 2017

અમે, ભારતના લોકો …, લેખક – નાની પાલખીવાળા : પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર : પાનાં – 24+ 312 : કિંમત – રૂ. 350

બહુશ્રુત બંધારણ નિષ્ણાત, કાયદાવિદ્‌, અર્થશાસ્ત્રી, વ્યક્તિ સ્વાતંત્ર્યના કાનૂની લડવૈયા અને લેખક નાની પાલખીવાળા(૧૯૨૦ • ૨૦૦૨)નું આ પુસ્તક પ્રથમ વાર મૂળે અંગ્રેજીમાં, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ તેનો ગુજરાતી અનુવાદ છે, જેની પ્રથમ આવૃત્તિ ૧૯૮૭માં પ્રસિદ્ધ થઈ હતી. લેખકે પોતાની ૬૪ વર્ષની વયે, અગાઉના ત્રણ દાયકામાં આપેલાં ‘સંખ્યાબંધ પ્રવચનો અને લેખોમાંથી ‘સાચવી રાખવા જેવા ફકરાઓ અને લેખો, અહીં સંગ્રહિત કર્યા છે. પુસ્તકનાં ચાર ખંડો (૧) શિક્ષણ, લોકશાહી અને સમાજવાદ (૨) કરવેરા (૩) બંધારણીય સમસ્યાઓ અને (૪) વ્યક્તિઓ, મુત્સદ્દીગીરી અને કાયદોમાં ૧૭ પ્રકરણોનાં કુલ મળી ૬૬ લેખો-લેખાંશો અને વ્યાખ્યાનો છે. ભારતના બંધારણના પ્રથમ ત્રણ શબ્દો રૂપે પુસ્તકનું નામ ‘અમે, ભારતના લોકો’ અને પુસ્તકનું અર્પણ, “મારા દેશબંધુઓને, જેમણે પોતાની જાતને બંધારણ આપ્યું પણ એ જાળવવાની શક્તિ ન આપી; જેમણે એક ઝળહળતો વારસો મેળવ્યો પણ એના લાલનપાલનની સમજણ ન મેળવી, જેઓ ધીરજથી દુઃખ વેઠે છે અને ખમી ખાય છે, પોતાની સંભવિત શક્તિના ખ્યાલ વિના.”માં લેખકનો એકંદર મિજાજ અને પુસ્તકનું વિષયવસ્તુ સ્પષ્ટ થાય છે. નામ યથાર્થ ઠરે છે.

વિવિધ વિશ્વવિદ્યાલયોનાં પદવીદાન-વ્યાખ્યાનોમાં લેખકે દિલ ખોલીને યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો છે. ‘યુનિવર્સિટી છોડ્યા પછી તમે શીખવા માંડો તો યુનિવર્સિટીમાં મળેલું રીતસરનું શિક્ષણ તમને ઝાઝું નુકસાન નહીં કરે’ એમ કહીને આ વડીલ વહાલેશરી વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપે છે કે, ‘જ્ઞાનની શોધ કરતાં મનનો આંતરિક આનંદ માણજો. દરરોજ, થોડી મિનિટ મહાન સાહિત્ય માટે અનામત રાખજો.’ હજુ આઝાદી મળ્યાને માંડ પહેલી પચીસી જ થઈ છે ને ત્યાં ‘અમારે નોકરીઓ જોઈએ છે, ડિગ્રીઓ નહીં’ની રાવ ઊઠી છે. આ અંગે ચિંતિત પદવીધારકોને આશ્વસ્ત કરતાં લેખક જણાવે છે: ‘હું તમારી સમસ્યા સમજું છું અને તમારી કપરી દશા પ્રત્યે મારી સહાનુભૂતિ છે, પણ એટલું ન ભૂલશો કે ગરીબી અને બેકારીની સમસ્યાઓ આકાંક્ષાઓથી કે સૂત્રોથી ઉકેલાતી નથી. તે લોકોની શ્રદ્ધા અને પ્રતિભાવ, શક્તિ અને સાહસના અખૂટ ભંડારને કામે લગાડી શકે એવી વાસ્તવિક અને વ્યવહારુ આર્થિક નીતિઓથી જ ઉકેલી શકાય.’

લોકશાહીના અનન્ય ચાહક નાની પાલખીવાળા ૧૯૭૫-૭૭નાં વરસોની ઇંદિરાઈ કટોકટીના પ્રખર વિરોધી હોય તે સ્વાભાવિક છે, પરંતુ ‘કટોકટીના સાચા લાભ’ ચર્ચતા પાલખીવાળા જે બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે, તે આપણા રાષ્ટ્રીયવિમર્શમાં ઓછી ચર્ચાઈ છે. લેખક સ્વાતંત્ર્યની એકમાત્ર રખેવાળ પ્રજાને માને છે.

વાડીલાલ ડગલી(૧૯૨૬ • ૧૯૮૫)એ આ પુસ્તકના આરંભે નાની પાલખીવાળાના પરિચય લેખમાં તેમના વિશે નોંધ્યું છે કે ‘રૂઢ અર્થમાં ગાંધીવાદી નથી … એમણે ગાંધીની કંઠી બાંધી નથી પણ ગાંધીવિચારનું મોણ આત્મસાત્‌ કર્યું છે. આ બાબત પુસ્તકના ગાંધીજી વિષયક ચારેક લેખોમાં જોવા મળે છે. ગાંધીજી-અનંતકાળના યાત્રી’માં લખે છે “મહાત્મા ગાંધી પાસે જે હતું એને એક શબ્દમાં કહેવું હોય તો સંસ્કૃતમાં વપરાતો બુદ્ધિ શબ્દ વાપરવો જોઈએ. તેમાં સત્યને પારખવાની શક્તિ હજો એવો અર્થ છે પણ બહુ ઓછા લોકો પાસે આ શક્તિ છે.” લેખક ભારતીયો વિશે જરી આકરા થઈને લખે છે: ‘ભારતને કુદરતે અસીમ બુદ્ધિ અને આવડત આપી અથવા નિષ્ઠા આપી નથી’ અને ‘છેલ્લા બે દાયકામાં આપણે કેટલા ય ત્રિભેટે ખોટા વળાંક લીધા છે, સમયનો દુરુપયોગ કર્યો છે અને સોનાને કથીર અને કથીરને સોનું મળ્યું છે.’ તેમ છતાં લેખક આશાવાન છે. ‘આ બધી મૂર્ખાઈઓ અને કમનસીબીઓ કંઈ કાયમ રહેવાની નથી.’ કેમ કે ‘કુદરતી તત્ત્વોના વ્યવહારની જેમ રાષ્ટ્રોના વ્યવહારમાં પણ પવનની દિશા બદલાય છે, ભરતીઓટ ચાલ્યા કરે છે અને  નૌકા ડોલે છે. સદ્ભાગ્યે આપણે લંગર ખેંચી કાઢ્યું નથી.’

લેખકે ‘જેમની સમક્ષ આખી જિંદગી પડી છે તેવા યુવાન વાચકોને આ પુસ્તકમાં, રાજ્યના યૌવનને પુનઃજીવિત કરવાનો ઉત્કટ અને એકધારો ઉમંગ પ્રેરનારું કંઈક પ્રાપ્ત થાય’ એવી અપેક્ષા સેવી છે.’ પુસ્તકમાંથી પસાર થનાર પ્રત્યેક વાચકને લેખક વિચારો કરવા પ્રેરે છે. સરવાળે આ લેખસંગ્રહનું વાચન, ચિરંજીવ રસના સાંપ્રતમાં પણ પ્રસ્તુત વિચારોનું બની રહે છે.

Emial : maheriyachandu@gmail.com

(नवजीवनનો અક્ષરદેહ, જુલાઈ-સપ્ટેમ્બરમાંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 06

Loading

‘સ્વપ્નથી દુઃસ્વપ્ન’

ભરત મહેતા|Opinion - Opinion|19 December 2017

પ્રત્યેક ચૂંટણી આવતા જ રામમંદિરનો મુદ્દો જૂના ખરજવાની પેઠે વલૂરવામાં આવે છે, જેના આધ્યાત્મિક આનંદમાં સરેરાશ હિંદુ મતદાર ડૂબી જાય છે. ’૯૦ પછી, ’૯૨ની ટૉયોટાવાનવાળી રથયાત્રા પછી, આ મુદ્દામાં ચૂંટણીની બેઠકો લાવવાનું બળ છે, તે ભા.જ.પ. જાણી ગયું હોવાથી એ પછીની કોઈ પણ ચૂંટણીમાં એનો ઉપયોગ ન થયો હોય તેવું બન્યું નથી! પોતાના ગામના રામમંદિરમાં નાની ઘંટડી વગાડવા ય ભાગ્યે જ ગયેલો હિંદુ મતદાર ‘મંદિર તો ત્યાં જ બનાવવું જોઈએ’ની રટ લગાવતો થઈ જાય છે. સાહેબ, આસ્થાનો મામલો છે. કોઈ સમાધાન નહીં. હજુ આ એક જ મુદ્દામાં અનેક લાશો પડી છતાં આવા મુદ્દાને સાગમટે જ કાઢવાના હોઈ સૂત્ર આપવામાં આવે છે, ત્રિશૂળ દિક્ષા સાથે ‘અયોધ્યા તો ઝાંખી હૈ, કાશી-મથુરા બાકી હૈ.’ હજુ પેંડોરાબૉક્ષ ખોલવાનું જ છે. તાજમહાલને તેજોમહાલય નામનું શિવમંદિર બનાવવાનું જ છે! દેશ એક દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ એની શરૂઆત એક સ્વપ્નથી થઈ હતી!

એ રાત હતી ૧૯૪૯ના ડિસેમ્બરની. એક સાધુને સ્વપ્ન આવ્યું કે બાબરી મસ્જિદમાં જ રામ જન્મ્યા હતા! તેથી બીજા દિવસે રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનની મૂર્તિઓ મસ્જિદમાં મુકાઈ ગઈ! તત્કાલીન વડાપ્રધાન નહેરુએ એ મૂર્તિઓ બહાર કાઢવાની સૂચના આપી, પરંતુ દંગા-ફસાદની આશંકા બતાવીને ફૈઝાબાદ કોર્ટના ન્યાયાધીશશ્રી કે.કે.નય્યરે મસ્જિદને તાળાં લાગાવ્યાં, જે કે.કે. નય્યર ત્યાર પછી જનસંઘના સંસદસભ્ય બન્યાં! આમ, સ્વપ્ન રોપાયેલું હતું, એ સાબિત થયું. એ તાળાં લાગ્યાં એ લાગ્યાં છેક રાજીવ ગાંધીએ ખોલ્યાં!

ઈ.સ. ૧૫૨૮માં બાબરી મસ્જિદ હિંદુ રાજાએ બનાવી હતી. બાબરે જિંદગીમાં અયોધ્યાની મુલાકાત લીધી નથી, પરન્તુ બાબરની પેશકદમી કરવા હિંદુ રાજાએ આ મસ્જિદ બનાવી હતી. રામને ઉત્તર પ્રદેશના લોકોનાં હૃદયમાં જન્મ આપનાર તુલસીદાસ બાબરીનિર્માણ પછી ૫૦ વર્ષે થઈ ગયા છતાં એમણે ક્યારે ય આટલા ચોરસફૂટમાં જ રામ જન્મ્યા હતા, એવો દાવો કર્યો નથી. અયોધ્યાના સેંકડો મંદિરોનો દાવો છે કે રામ અમારે ત્યાં જન્મ્યાં છે! રાજીવ ગાંધીના, ’૪૯માં લાગેલાં તાળાં ખોલવાના નિર્ણયથી હિંદુ મતદાર ખુશ થયો, તો બીજી તરફ શાહબાનુ કેસમાં પણ સ્ત્રીઅધિકારની ઐસીતૈસી કરીને લઘુમતીને ખુશ કરી! મતોનો ઢગલો થતો રહ્યો, પરંતુ કૉંગ્રેસની આ નીતિ, રાજને કારણે સફળ થઈ રહેલા અડવાણીને વડાપ્રધાન થવાનું સ્વપ્ન પણ આવ્યું!

તેથી ’૯૦માં અડવાણીએ સોમનાથથી સજ્જધજ્જ રથયાત્રા કાઢી! બધી જ સમસ્યાનો ઉકેલ રામમંદિર છે. ‘સૌગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે’, ‘બચ્ચા-બચ્ચા રામ કા, જન્મભૂમિ કે કામ કા’ જેવાં સૂત્રો વહેતાં થયાં. ‘કારસેવક’ જેવા શીખસંપ્રદાયે આપેલા શબ્દનું શીર્ષાસન થયું. ધર્મસ્થળે સેવા કરવા જવાની બાબત કારસેવા હતી, જે ધર્મસ્થળ તોડવા સાથે જોડાઈ ગઈ! સંસદમાં ભા.જ.પ.ની બેઠકો બે હતી તે પંચ્યાસી થઈ ગઈ! રામનામનો આ જાદુ હતો. તેથી હવે ભલે બાળકો માટે રાજય પાસે ઑક્સિજન ન હોય, પરંતુ રામનવમીએ કરોડોના ખર્ચે ઘીના દીવા થાય છે!

લાશોના ઢગ પાડતો, ઠેરઠેર કોમી હુતાશન પેટાવતો પેટાવતો રથ અયોધ્યા પહોંચ્યો હતો. પોલીસના રોકવાથી ઉન્માદ રોકાય તેમ ન હતો. ‘હિંદુ-હિંદુ ભાઈ-ભાઈ,બીચ મેં વર્દી કહાઁ સે આઈ’ જેવાં સૂત્રોથી પોલીસ સ્તબ્ધ હતી! કાયદો હાથમાં લઈને મસ્જિદ તૂટી. અડવાણી મોગૅમ્બોની જેમ ખુશ થયા! ત્યારે જ એમનું માઇક પકડનાર મોદીમાં પણ ‘હિંદુસમ્રાટ’નું સ્વપ્ન રોપાયું હશે ! મુરલી મનોહર જોશીના ગળાની આસપાસ બે પગ ભેરવી, જોશીના માથે બેસી ઉમા ભારતી મસ્જિદ-ધ્વંશવેળાએ નાચ્યાં! પૂજાના નામે કરોડો રૂપિયા ભેગા થયા, ખવાઈ ગયા. અયોધ્યા પહોંચી ઈંટો રઝળતી હતી, એની ઉપર કૂતરાં ટાંગ ઊંચી કરીને પેશાબ કરતાં હતાં. લખનૌના કવિ નરેશ સકસેનાએ આ ઘટના પર  કવિતા લખી છે :

ઇતિહાસ કે બહુત સે જૂઠોં મેં
એક યહ ભી હૈ
કિ મહમૂદ ગઝનવી લૌટ ગયા થા,
લૌટા નહીં થા મહમૂદ ગઝનવી,
સેંકડો બરસ યહીં રહ કર
વહ પ્રગટ હુઆ અયોધ્યા મેં.
સોમનાથ મેં ઉસને કિયા થા અલ્લાહ કા કામ તમામ
ઇસ બાર ઉસકા નારા થા
જય શ્રીરામ

ધીમે ધીમે અયોધ્યાનું રૂપાંતર મતપેટીમાં થઈ ગયું! પ્રત્યેક ઘટનાને નાની અયોધ્યા બનાવી દેવામાં આવી. રોડ પરની પીર દરગાહ હટાવવી હોય, તો ય આવી માનસિકતા કામ કરી ગઈ. હટાવવાં જ હોય, તો મંદિર કે દરગાહ બેઉ હટાવી શકાય.

હરિશ્ચંદ્ર પાંડે એમની એક કવિતામાં લખે છે :

જહાઁ સૂર્ય વહાઁ દિવસ
જહાઁ રામ વહાઁ અયોધ્યા
કિતની બડી અયોધ્યા
સોંપ ગયે થે તુલસી હમેં,
કિતની છોટી રહ ગઈ હૈ અયોધ્યા
મતપેટિકા સે ભી છોટી!

રાજનીતિ આ રીતે આસ્થાને ચૂંટણીને ચટકેદાર ચટણી બનાવવા વારંવાર વાટે છે, જેનાથી એમને સત્તા મળે છે, પરંતુ સમાજમાં ભેદભાવ તીવ્ર થાય છે. તોફાનોમાં સામાન્ય માણસ મરે છે. અબ્દુલ બિસ્મિલ્લાહ જેવો કવિ લખે છે :

‘સૂરજ હિન્દુ, ચંદા મુસ્લિમ,
તારોં કી ક્યા જાત?
કૈસી હૈ સાજિશ, યે બેચારે
તૂટે આધી રાત?

સ્વપ્નએ સર્જેલું દુઃસ્વપ્ન કયારે પૂરું થશે? નજીબ, અખલાકની હત્યાઓ, દાભોલકર, કુલબર્ગી, પાનસરેની હત્યાઓ, ગૌરીલંકેશની હત્યા, ગિરીશ કર્નાડ, કાંચા ઇલૈયા, સોની સૂરીને ધમકીઓ – આ માનસિકતાની પેદાશ છે. ભારતીય રાજનેતાઓ વિદૂષકો વધારે લાગે છે. સંઘ-જનસંઘ સિવાય જેમનું કંઈ જ પ્રદાન નથી, એવા દીનદયાલ ઉપાધ્યાયને ‘નવા નેહરુ’ બનાવાઈ રહ્યા છે! ગોડસેનું ગ્વાલિયરમાં મંદિર બને છે. પેલી બાળવાર્તામાં બેગપાઈપરની પાછળ દોટ લગાવીને ભાગતાં બાળકો જેવા નશામાં લોકો છે. આપણા દેશની જનતા જ્યારે ભાનમાં આવશે, ત્યારે ઘણું મોડું થશે. હંગર ઇન્ડેક્ષમાં આપણે હવે ટોચ પર છીએ, એના તરફ કોઈનું ય ધ્યાન જતું નથી. આખા યુરોપખંડ જેટલી યુવાશક્તિ આપણે ત્યાં રોજગાર વિનાની છે, પણ એની ચિંતા નથી ને ‘પદ્‌માવતી’ રિલીઝ ન થવું જોઈએ! આ નવા જૌહરનું શું કરીશું? કરણ પોતે જ જૌહર થઈ ગયો! પહેલી વાર કોઈ ફિલ્મનિર્માતાને સંસદીય સમિતિ સામે હાજર થવું પડ્યું. આ કેવી કરુણતા! હિંદુ રાષ્ટ્રનું ચરમસુખ પ્રજા માણી રહી છે, જેમ એક વેળાએ જર્મનીની પ્રજા હિટલર દ્વારા માણતી હતી. જે ‘જજમેન્ટ એટ ન્યુરેમ્બર્ગ’, ‘ઑલ ક્વાયટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘લાઇફ ઇઝ બ્યુટીફૂલ’ જેવી ફિલ્મમાંએ જોઈ શકાય. અહીં પણ બુલેટ ટ્રેન અને દૈત્યાકાર મૂર્તિઓની નીચે ખેડૂતોની આત્મહત્યાના આંકડા દબાઈ જાય છે.

અત્યારે તો બસ પેલું ફિલ્મી ગીત જ વધારે યાદ આવે,

દેખોં દિવાનોં તુમ યે કામ ના કરો,
રામ કા નામ બદનામ ના કરો

આઝાદીવેળાએ ક.મા. મુનશીએ ‘સ્વપ્નદ્રષ્ટા’ નવલકથા લખી હતી. આ દુઃસ્વપ્નની, ‘દુઃસ્વપ્નદૃષ્ટા’ નવલકથા કોણ લખશે?

E-mail: bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 07-08

Loading

...102030...3,2133,2143,2153,216...3,2203,2303,240...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved