Opinion Magazine
Number of visits: 9766707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય, માનનીય જજસાહેબ

મેહુલ મંગુબહેન|Opinion - Opinion|6 April 2018

અમદાવાદમાં જજીસ બંગલો નામનો વિસ્તાર છે. ત્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સહિત જજસાહેબોના બંગલાઓ છે. ઘણા સમય અગાઉ એ રસ્તા પર એક બંગલાની આગળ એક બમ્પ યાને કે સ્પીડબ્રેકર મુકવામાં આવેલું. મજાની વાત એ હતી કે ટ્રાફિકથી ભરચક જજીસ બંગલો ચાર રસ્તા ફક્ત ૧૦૦-૨૦૦ ફૂટ જ દૂર પણ બમ્પ જજસાહેબના બંગલા આગળ. હું મજાકમાં એને ઘણીવાર જસ્ટીસ બમ્પ કહેતો.

માન સહિત મારે એ કહેવું પડે છે કે અનુસૂચિત જાતિ –જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમમાં સુપ્રિમના માનનીય જજસાહેબોએ કરેલો સુધારો મને પેલા જસ્ટીસ બમ્પની યાદ અપાવે છે. અલબત્ત એ બમ્પ તો પાકી સડક પર હતો, પણ અહીં તો ન્યાયના સાવ ધીમા ગાડાચીલા પર જાણે ખોટા કેસોની મર્સિડીઝ પૂર ઝડપે રોજે દોડ્યા કરતી હોય, એમ ધારીને સેફગાર્ડને નામે ખોટો બમ્પ ઠોકાઈ રહ્યો છે.

સૌરાષ્ટના લોકોને ગામોમાં રજવાડી ઘરો આગળ “આયાંથી કોઈ સડસડાટ નો જાવું જોયે” એનો ખોંખારો ખાતા બાપુબમ્પોનો પણ અનુભવ હશે જ!

ખેર, એમાં નથી પડતો પણ આ કેસમાં અદાલતનો ડ્રામા પણ રસપ્રદ લાગ્યો મને. રીવ્યુ પીટીશનમાં એટર્ની જનરલે કહ્યું “ દલિતો નારાજ છે, ૧૦ લોકોના મોત થયા છે, સ્ટે આપો”. મારી સા.બુ. મુજબ એટર્ની જનરલ સ્તરની વ્યક્તિ આ દલીલ કરે છે, તે સાબિત કરે છે કે પટકથા મુજબ નાટક ચાલુ છે, કેમ કે જગતની કોઈપણ અદાલત પબ્લિક પ્રેશર છે, એવું કહો તો સ્ટે ન જ આપે. એમની પ્રથમ દલીલ જ બંધારણીય હોવી જોઈએ અને કેવી રીતે કાયદાનો મૂળ હેતુ માર્યો જાય છે તે હોવી જોઈએ.

એમની બીજી દલીલ કાયદામાં માર્ગદર્શિકાની જરૂર જ નથી, એ પણ એટલી જ વાહિયાત છે. માર્ગદર્શિકા અદાલત આપી ચૂકી છે, ત્યારે ફોકસ કાયદાના હાર્દ પર અને તેને લીધે શું શું થઇ શકે છે તેના પર જ હોવું જોઈએ. વળતરની દલીલ પણ બિનજરૂરી હતી એવું મને લાગે છે. નોંધ લેવી કે હું વકીલ નથી. ઠીક છે આપણે કદાચ એમ માનીએ કે બંધના એલાન પછી લાંબી નીંદર લઈને જાગી, એટલે તૈયારી કરવાનો વખત નહિ મળ્યો હોય, સરકારને.

માનનીય અદાલત વ્યક્તિ સ્વાતંત્ર્યને શિરમોર ગણાવે છે અને તે છે જ એનો ઇનકાર થઇ શકે નહિ. પણ અહીં સવાલ એ છે કે સંવિધાન અને ન્યાયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને કોના વ્યક્તિ સ્વાતંત્ર્યનું રક્ષણ વધુ મહત્ત્વનું ગણાય ? જાતિ આધારિત હિંસા અને અત્યાચારનો ભોગ બનનારા દલિતો/આદિવાસીઓનું કે જેમના પર હિંસા/અત્યાચારનો આરોપ છે તેમનું ? ધારો કે દલીલ ખાતર માની લઈએ કે કાનૂન આંધળો હોય છે અને જજને મન સૌ સરખા તો જજ સાહેબ સાત દિવસની તપાસને નામે પોલીસ આરોપીઓ સાથે મળીને કેસની કેસની પત્તર ફાડી નાખશે એ અટકાવવા કેમ બમ્પ નથી મુક્યો માર્ગદર્શિકામાં ?

આગોતરા જામીન લઈને છૂટેલો આરોપી મોંઘા વકીલ સાથે મળી સામ-દામ-દંડ-ભેદ કરીને બળાત્કાર/હત્યા જેવા ગંભીર ગુનાઓનો કેસ પણ ફીંડલું વાળી દેશે એના માટે એક નાનકડો બમ્પ કેમ નહિ? કે પછી માનનીય જજસાહેબોને ખાતરી છે કે સાત દિવસના સેફગાર્ડમાં તપાસ કરનારા અને આગોતરા જામીન મેળવનારા તમામ આરોપીઓ સત્યવાદી જ હોય અને દેશની ચોથા ભાગની વસ્તી કાયમ જૂઠી જ હોય ? કાયદા-કાનૂનની આછી સમજ છતાં ૧૫ વર્ષના જાહેરજીવનમાં મેં એવું જોયું છે કે આ કાયદા હેઠળ અત્યાચારના કેસોમાં કર્મશીલોની પોણી જિંદગી પોલીસ ફરિયાદ લેવડાવવામાં વીતે છે, પોણી આરોપીઓની ધરપકડ થાય એમાં વીતે છે. ને જો એ થાય તો પોણી ખાઈબદેલા કાળાકોટ સરકારી વકીલોને સંવેદનશીલ બનાવી કેસ યોગ્ય રીતે ચાલે એમાં જ વીતે છે ને છેક ત્યારે બે-ચાર માંડ ન્યાય પામે છે; બાકીના અન્યાયની હતાશામાં જીવતેજીવત અધુમુઆ જ રહે છે.

જજસાહેબો વિદ્વાન હોય છે એટલે એ સમજતા જ હશે કે ન્યાયની લડાઈમાં સામ-દામ-દંડ-ભેદ થકી પરાજિત થયેલો સગો બાપ પોતાના સગા દીકરાની હત્યા થઇ હોય તો પણ અદાલતમાં ફરી જતો હોય છે! જીવ કોને વહાલો ન હોય ? વ્યક્તિ સ્વાતંત્ર્યની માનનીય અદાલતની વાત સાચી છે પણ મને તો એટલું સમજાય છે કે આ દેશનું સંવિધાન નબળાનાં રક્ષણને પ્રાધાન્ય આપે છે અથવા કહો કે તે એના માટે જ સર્જાયું છે. ધારો કે ખોટા કેસની વાત કબૂલ કરીએ તો એની સામેની હકીકત એ પણ છે કે અદાલત સુધી પહોંચતા અત્યાચારના કેસ એ તો જાતિવાદી હિમશીલાની ફક્ત ટોચ માત્ર છે કેમ કે ન્યાયની સાયબી ભોગવી શકવાની તાકાત અને તે માટે જોઈતી હિંમત હજી દલિતો/આદિવાસીઓના છેવાડાનાં ફળિયા સુધી પૂરી પહોંચી જ નથી, પણ તો ય લોહીનાં છાંટણાં હોય એના કૂંડા ન ભરાય, એમ આ સાવ ધીમા ગાડાચીલા પર ન્યાયની હડફેટે આવતા કોઈ નિર્દોષને બચાવવા એક કાંકરી જ કાફી હોય, ત્યાં આખું ગાડું ઉથલી પડે એવા મસમોટા બમ્પ ન મુકાય, કેમ કે એમ કરવામાં આખો ન્યાય જ ઉથલી પડે.

આશા છે કે ભલે ધીમું તો ધીમું પણ ન્યાયનું ગાડું આગળ ચાલશે અને આ કાયદો એના નામ મુજબ “અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ” જ રહેશે “ઉમેરણ” અધિનિયમ નહિ બને. 

e.mail : makmehul@gmail.com

Loading

જેમ્સ આઈવરીનો ભારતીય પ્રેમ

નિલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|6 April 2018

મૂળ અમેરિકન એવા ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને લેખક જેમ્સ આઈવરી(James Francis Ivory)ને આ વર્ષે યોજાયેલાં ૯૦મા અકાદમી એવોર્ડ સમારંભમાં ફિલ્મ ‘Call me by your name’ માટે શ્રેષ્ઠ એડપ્ટેડ સ્ક્રીનપ્લેની શ્રેણીમાં ઓસ્કર એટલે કે અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. અકાદમી એવોર્ડના ઇતિહાસમાં તેઓ અત્યાર સુધીમાં સૌથી વધુ (૮૯ની) વયે એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે.

જેમ્સ આઈવરી અગાઉ ભારતીય મૂળના ઇસ્માઈલ મર્ચન્ટની સાથે ભાગીદારીમાં (મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન્સ) અભિનેતા શશી કપૂરને લઈને ઘણી ફિલ્મ્સ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી ચૂક્યા છે. જેમાં શશી કપૂર સ્ટારર ધ હાઉસહોલ્ડર (૧૯૬૩), શેક્સપિયર વાલાહ (૧૯૬૫), બોમ્બે ટોકી (૧૯૭૦), ઇન કસ્ટડી (૧૯૯૩) વગેરે ફિલ્મ્સનો સમાવેશ થાય છે. સાથે આ તમામ ફિલ્મ્સ આંતરરાષ્ટ્રીયસ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. ફિલ્મ સમીક્ષક અસીમ છાબરા તેમના એક લેખમાં જેમ્સ આઈવરી વિશે વિસ્તૃતમાં વાત કરતા જણાવે છે કે ૧૯૫૦ના દાયકાના અંતિમ વર્ષોમાં જેમ્સ આઈવરી એક વખત સાન ફ્રાન્સિસ્કો સ્થિત કળા સંલગ્ન ચીજવસ્તુઓ વેચનાર એક દુકાનદારને ત્યાં ગયા હતા, તે સમયે તેઓ યુનિવર્સિટીમાં સિનેમાના વિદ્યાર્થી તરીકે કાર્યરત હતા. તે દુકાનમાં તેમણે કેટલાંક ભારતીય લઘુચિત્રો જોયાં અને તેમણે તરત જ નક્કી કરી લીધું કે તેઓ નજીકનાં જ ભવિષ્યમાં ક્લાસિકલ ઇન્ડિયન આર્ટ આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કરશે, અને બાદમાં વર્ષ ૧૯૫૯માં તેમણે The Sword and The Flute નામની એક ફિલ્મનું નિર્માણ કર્યું કે જેમાં ભારતીય અભિનેતા સઈદ જાફરીએ પોતાનો અવાજ આપ્યો હતો.

ઇસ્માઈલ મરચન્ટ, રૂથ પ્રવર ઝાબવાલા અને જેમ્સ આઈવરી

ત્યારબાદ સઈદ જાફરી થકી જેમ્સ આઈવરીની મુલાકાત ઇસ્માઈલ મર્ચન્ટ (૨૫ ડિસેમ્બર ૧૯૩૬ થી ૨૫ મે ૨૦૦૫)ની સાથે થઈ. તે વખતે ઇસ્માઈલ મર્ચન્ટ આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ભારતમાં ફિલ્મ બનાવવા માંગતા હતા. આ બંનેની મુલાકાતથી જાણે અમેરિકન સ્વતંત્ર સિનેમાનો ચહેરો જ બદલાઈ ગયો, અને તે મુલાકાતની સાંજે આઈવરી અને મર્ચન્ટે એક કાફેમાં લાંબી વાતચીત કરી. ત્યારબાદ તે બંને ગાઢ મિત્રો, પ્રેમી અને મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સ નામની કંપનીના ભાગીદાર પણ બન્યા. આ કંપનીને અત્યાર સુધીમાં કુલ ૩૦ અકાદમી એવોર્ડ નોમિનેશન મળ્યાં છે અને તે પૈકી તેઓએ કુલ છ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ વર્ષે અકાદમી એવોર્ડ સમારંભમાં એવોર્ડ લેતી વેળાએ આપેલાં ભાષણમાં જેમ્સ આઈવરીએ ઇસ્માઈલ મર્ચન્ટને યાદ કર્યા હતા, અને સાથે ભારતીય આર્કિટેક્ટ સાથે લગ્ન કરનાર મૂળ જર્મન લેખિકા રૂથ પ્રવર ઝાબવાલા(7 મે ૧૯૨૭ થી ૩ એપ્રિલ ૨૦૧૩)ને પણ યાદ કર્યાં હતાં. આ લેખિકા મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શનની કુલ 23 ફિલ્મ્સ લખી ચૂક્યાં છે, જેમાં શશી કપૂર સ્ટારર દિલ્હી આધારિત ફિલ્મ ધ હાઉસહોલ્ડરનો પણ સમાવેશ થાય છે અને આ ફિલ્મ લેખિકાની પોતાની નવલકથા પર આધારિત હતી, શ્રેષ્ઠ લેખન માટે તેમને કુલ 2 વખત અકાદમી એવોર્ડ મળ્યા છે. મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સમાં કુલ બે ભારતીય એક્ટર્સ મહત્ત્વનો ભાગ ભજવી ચૂક્યા છે કે જે પૈકી શશી કપૂર કે જેઓ તેમની કુલ 7 ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે અને પ્રખ્યાત પાકશાસ્ત્ર લેખિકા મધુર જાફરી પણ અભિનેત્રી તરીકે આ કંપની સાથે કાર્ય કરી ચૂકેલ છે.

ધ હાઉસહોલ્ડર ફિલ્મનાં નિર્માણ પૂર્વે જેમ્સ આઈવરી કલકત્તાની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં તેઓ ભારતીય દિગ્દર્શક સત્યજીત રાયને મળ્યા હતા તેમ જ અન્ય બંગાળી ફિલ્મમેકર્સને પોતાની શોર્ટ ફિલ્મ પણ બતાવી હતી. આ દરમિયાન જેમ્સ આઈવરીએ સત્યજીત રાયની ફિલ્મ જલસાઘર (૧૯૫૮) જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને બાદમાં જેમ્સ આઈવરીએ આ ફિલ્મ જોઈ અને ભરપૂર રીતે માણી પણ હતી. ભારતમાં શૂટ થયેલી મર્ચન્ટ-આઈવરીની ફિલ્મ્સમાં સત્યજીત રાયના રેગ્યુલર કેમેરામેન સુબ્રતા મિત્રાએ કુલ ચારેક જેવી ફિલ્મ્સ શૂટ કરી હતી અને આ સિવાય જેમ્સ આઈવરી તેમની ફિલ્મ ધ હાઉસહોલ્ડરના એડિટીંગ માટે સત્યજીત રાય અને તેમનાં રેગ્યુલર એડિટર દુલાલ દત્તાની સહાય લીધી હતી. સત્યજીત રાય વિશે જેમ્સ આઈવરી કહેતા હતા કે તેઓ ઊંચા કદના અને એક અતુલ્ય ક્રિયાશીલ વ્યક્તિ હતા.

મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સની ફિલ્મ ધ હાઉસહોલ્ડરમાં કરેલી સહાય માટે સત્યજીત રાયે કોઈ પ્રકારનું મહેનતાણું નહોતું લીધું અને બાદમાં વર્ષ ૧૯૬૫માં મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સની ફિલ્મ શેક્સપિયર વાલાહમાં સંગીત તૈયાર કરવા માટે સત્યજીત રાયને કમિશન આપવામાં આવ્યું હતું. બાદમાં સત્યજીત રાય દ્વારા તાલબદ્ધ કરવામાં આવેલાં આ ફિલ્મના સંગીતનો દિગ્દર્શક વેસ એન્ડરસનની વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ દાર્જિલિંગ લિમિટેડમાં પુનઃપ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમ્સ આઈવરીએ મર્ચન્ટ-આઈવરી પ્રોડક્શન્સની ફિલ્મ હેઠળ ભારતમાં કુલ છ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, અને બાદમાં ઇસ્માઈલ મર્ચન્ટે કુલ બે ફિલ્મ ઇન કસ્ટડી અને કોટન મેરીનું દિગ્દર્શન કર્યું હતું.

વર્ષ ૨૦૦૫માં જ્યારે ઇસ્માઈલ મર્ચન્ટનું નિધન થયું ત્યારે જેમ્સ આઈવરીએ તેમને યાદ કરીને કહ્યું હતું કે જ્યારે અમે મળ્યા, ત્યારે અમે યુવાન હતા અને ભારતમાં ફિલ્મ બનાવવા માંગતા હતા. જ્યારે-જ્યારે મર્ચન્ટ ખુશ થતો હતો ત્યારે તે મુમ્બૈયા ફિલ્મ્સનાં ગીતો ગાતો હતો અને બાદમાં જેમ-જેમ જીવનમાં ગંભીરતા આવવા માંડી, તેણે આ ગીતો ગાવાની આદત પણ છોડી દીધી હતી, જે જેને હું અત્યારે ખૂબ યાદ કરી રહ્યો છું. ઇસ્માઈલ મર્ચન્ટ વિના હું કશું કરી ના શક્યો હોત કારણ કે તેઓ નિર્માતા હતા અને ભારત તેનો દેશ હતો, જ્યારે મને નથી લાગતું કે હું ભારતને વધારે સારી રીતે જાણું છું.

શશી કપૂરના જીવનચરિત્ર ‘ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર’ના લેખક અસીમ છાબરા તેમના આ પુસ્તકમાં જેમ્સ આઈવરી વિશે લખે છે કે તેઓ વર્ષ ૧૯૬૧ના નવેમ્બર મહિનામાં અમેરિકાથી બોમ્બે આવ્યા હતા અને ત્યાર બાદ ગુજરાતના એક નાનકડાં ગામડાંની મુલાકાત લેવા માટે રવાના થયા હતા, તેઓ માનવશાસ્ત્રી ગીતલ દ્વારા લિખિત ફિલ્મ ‘દેવગર’ને અહીં શૂટ કરવા માંગતા હતા. પરંતુ, નાણાકીય મર્યાદાને કારણે આ ફિલ્મનું નિર્માણ ક્યારે ય પણ સંભવ થઇ શક્યું નહિ.

જેમ્સ આઈવરીની અભિનેતા શશી કપૂરની સાથે પ્રથમ મુલાકાત ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના એક ફિલ્મ સમારંભમાં થઇ હતી અને તે વખતે શશી કપૂર ૨૨-૨૩ વર્ષના હતા. જેમ્સ આઈવરીના મતે શશી કપૂર તે વખતે અસાધારણ રીતે રૂપાળા લાગી રહ્યા હતા. MGM(મેટ્રો ગોલ્ડન મેયર)ની ભલામણથી જર્મન લેખિકા રૂથ પ્રવર ઝાબવાલાનું પુસ્તક ‘ધ હાઉસહોલ્ડર’ ઇસ્માઈલ મર્ચન્ટે વાંચ્યું અને ત્યાર બાદ જેમ્સ આઈવરીને વાંચવા માટે આપ્યું. બાદમાં જ્યારે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું, ત્યારે લેખિકા રૂથને લાગતું હતું કે શશી કપૂર કાંઇક વધારે પડતાં જ રૂપાળા છે, અને ફિલ્મનાં મુખ્ય પાત્ર માટે યોગ્ય નથી. પરંતુ, બાદમાં શશી આ પાત્ર માટેની યોગ્ય પસંદગી સાબિત થયા હતા.

જેમ્સ આઈવરી વિશે શશી કપૂર કહેતા હતા કે મને જિમ(જેમ્સ આઈવરી)ની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમણે મને મારી રીતે કાર્ય કરવા દીધું છે અને તેનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે, તેમણે મારી આવડત, બુદ્ધિ અને પાત્ર પ્રત્યેની મારી સંવેદનશીલતાનો તેમની ફિલ્મ્સમાં યોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો. જ્યારે શશી કપૂરની સાથે કામ કરવા અંગે જેમ્સ આઈવરી જણાવે છે કે શશી કપૂરની સાથે કાર્ય કરવું ખૂબ જ સરળ છે, તેઓ પાત્રને યોગ્ય રીતે સમજી શકે છે અને ઘણી વખત ફિલ્મના જે-તે દ્રશ્યનું કેવી જુદી રીતે ફિલ્માંકન કરવું તેની પણ ચોક્કસ સૂઝ પૂરી પાડે છે. સંવાદની પસંદગી અને તેને કેવા પ્રકારે રજૂ કરવા તે વિશે પણ શશી કપૂરની સૂઝ મોખરે છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

નીરુભાઈ દેસાઈ સન્માન સ્વીકારતાં

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|5 April 2018

ગુજરાતના એક સમયના શીર્ષ પત્રકાર નીરુ દેસાઈની સ્મૃિતમાં રચાયેલા ફાઉન્ડેશને હાથ ધરેલા વિવિધ ઉપક્રમો પૈકી એક ચાલુ વરસથી શરૂ થયેલ પત્રકારત્વ સન્માનનો છે. નીરુભાઈ એક સ્વાતંત્ર્યસૈનિક હતા અને કૉંગ્રેસ સમાજવાદી આંદોલનમાં જયન્તિ દલાલ તેમ જ ભોગીભાઈ ગાંધીની જેમ જ અગ્રહરોળમાં યુવા નેતૃત્વ સાહનારાઓમાં લેખાતા. પ્રાંતિક સમિતિના મંત્રી હોવું કે વ્યવસાયી પત્રકાર, આ બે વિકલ્પો વચ્ચે સ્વરાજના ઉગમકાળે એમણે પત્રકારત્વ પર પસંદગી ઢોળી હતી. પછીથી, એલચી ખાતાની ને સંસદીય કામગીરીની તકો આવી મળી ત્યારે પણ એ પૂર્વપસંદગીથી ચલિત થાય નહોતા. ‘ગુજરાત સમાચાર’ સાથેના સુદીર્ઘ જોડાણ દરમ્યાન ‘લોકનાદ’ મારફતે વિકસાવેલ બપોરિયા છાપાનો ખયાલ, ‘શ્રીરંગ’ માસિક અને ‘ચિત્રલોક’ સાપ્તાહિકની પહેલકારીથી માંડીને આર્થિક સમીક્ષા અને અંગતબિઅંગત ઇતિહાસડાયરી ‘વાસરિકા’ વગેરે એમના વિશેષ પ્રદાનરૂપે સંભારાશે. ‘જન્મભૂમિ’ જૂથના ‘વ્યાપાર’ સામયિકનો પ્રથમ ગિલાણી ઍવૉર્ડ એમની આર્થિક પત્રકારિતા બદલ એનાયત થયો હતો એનું આ લખતાં સ્મરણ થાય છે.

ડાબે, ઇન્દિરા ગાંધી, જમણે, નીરુભાઈ દેસાઈ. વચ્ચે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. શ્રીમન્‌નારાયણ

રવિવાર, તા. ૨૫ માર્ચની સવારે પત્રકારત્વ સન્માનના આ ઉપક્રમ સાથે પ્રથમ સ્મૃિત વ્યાખ્યાનનું પણ આયોજન કરાયું હતું. બે’ક દાયકા પર ગુજરાતને ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના નિવાસી તંત્રી તરીકે સુપરિચિત અને પછીનાં વર્ષોમાં ‘હિંદુ’ના દિલ્હી-તંત્રીથી માંડીને ‘ટ્રિબ્યુન’(ચંડીગઢ)ના મુખ્ય તંત્રી તેમ જ વચગાળામાં વળી વડાપ્રધાન મનમોહનસિંહના અખબારી સલાહકાર તરીકે સુપ્રતિષ્ઠ હરીશ ખરે એ ‘ડુઇંગ જર્નલિઝમ ઇન ટાઈમ ઑફ મોદી’ વિષય પર આપેલું વ્યાખ્યાન ‘નિરીક્ષક’ના વાચકોને હવે પછી સુલભ કરીશું.

સન્માનિત પત્રકાર ઉર્વીશ કોઠારીનો પ્રતિભાવ આ સાથે પ્રગટ કરતાં આનંદ થાય છે. ઉર્વીશભાઈની પત્રકારિતાને અંગે ચંદુ મહેરિયાની સહૃદય ને સ્વાધ્યાયપુત નોંધ હવે પછી પ્રગટ કરવાનો ખયાલ છે.

આવી બધી સામગ્રી વાચકો સમક્ષ આગ્રહપૂર્વક રજૂ કરવાનો ને રમતી મૂકવા પાછળનો ધક્કો એ કારણે સવિશેષ અનુભવાય છે કે ચકાચોંધ કરી મેલતા ચેનલ ચોવીસાના શોરમાં પ્રિન્ટ મીડિયા પાસે અપેક્ષિત કામગીરી વિશે તેમ જ તેને અંગે સમીક્ષાત્મક દૃષ્ટિકોણ પરત્વે આપણે યથાસંભવ અતન્દ્ર રહીએ.

૧૯૯૫માં પત્રકારત્વ ક્ષેત્રે આવી ચડ્યા પછી ૨૦૦૧માં નક્કી કર્યું હતું કે હવે પત્રકારત્વમાં ફુલટાઇમ કામ નહીં કરું અને આજે માર્ચ ૨૦૧૮માં તમારી સામે ઊભો છું ત્યારે નક્કી કર્યું છે કે હવે મીડિયાની ઓફિસમાં જઈને કામ નહીં કરું. આ નિર્ણય તમારી સામે ઊભા રહીને, પ્રસંગના ઉત્સાહમાં લીધો નથી. એ સંપૂર્ણપણે બિનકેફી અવસ્થામાં, અગાઉ ઘેરથી નક્કી કરીને, ફેસબુક પર લખ્યા પછી તમારી આગળ જાહેર કરું છું. હવે લખીશ ખરો, વધારે લખીશ, પણ મીડિયાની ઓફિસમાં ગયા વિના.

મારું પત્રકારત્વ, જેના માટે મને આ સન્માન મળે છે, તે શાનાથી દોરવાયું છે અને તેમાંથી હું શું શીખ્યો તેની થોડી વાત કરવી છે. ૨૩ વર્ષની મારી કારકિર્દીમાં પત્રકાર તરીકે સૌથી વધુ સંતોષ એ વાતનો રહ્યો કે જ્યારે જે કહેવા જેવું હતું, તે મેં કહ્યું છે. અંગ્રેજીમાં જેને ‘સ્ટેન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડ’ કહે છે, તે કરી શક્યો તેનો સંતોષ છે. મારા પત્રકારત્વ માટે મારા મનમાં એવો કોઈ ખ્યાલ નથી કે મેં સમાજસેવા કરી છે. એ મારા માટે વ્યવસાય હતો. મારું ઘર એનાથી ચાલ્યું છે. પણ ‘એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ’ એ મારી મૂળ વૃત્તિ. અવિનાશ પારેખ અને કેતન સંઘવીના ‘અભિયાન’માં તે સંસ્થાગત રીતે દૃઢ થઈ. ગુજરાતના રાજકારણના અને સાંસ્કૃિતક જીવનમાં, દાઢીવાળાં ને દાઢી વગરનાં સ્થાપિત હિતોની દાઢીમાં હાથ નાખ્યા વિના ૨૩ વર્ષ સુધી મારું ચાલી ગયું છે.

સંસ્થા હોય એટલે એની મર્યાદા હોવાની – ભલે તે ગાંધીજીનો આશ્રમ કેમ ન હોય. તો મીડિયાની ઓફિસો તેમાંથી બાકાત શી રીતે રહે? પણ એક વાત હું બહુ પહેલાં સમજ્યો હતો કે સંસ્થાની મર્યાદા કદી મારી મર્યાદા બનવી ન જોઈએ અને સંસ્થાની મહત્તાને મેં કદી મારી મહત્તા તરીકે ઓઢી નથી. હું જે છું, તે આ જ છું.

ટ્રેઇન સિવાય બીજા કશાની પાછળ દોડ્યો નથી – મહેમદાવાદથી અમદાવાદ અપડાઉન કરવાનું હોય એટલે ટ્રેન તો પકડવી પડે – પણ એ સિવાય રૂપિયા, હોદ્દો … એ કશાની પાછળ દોડ્યો નથી. એવું નથી કે હું સંતમહાત્મા છું. હું એકદમ નૉર્મલ માણસ છું. પણ મને એનું ખેંચાણ નથી … કે આપણી એક કૅબિન હોય ને આપણા હાથ નીચે આટલા માણસ કામ કરતા હોય. મને એ બધું છોકરાં ઘરઘર રમતાં હોય એવું લાગે છે. એ મારો વિષય છે. બધાને એવું લાગે તે જરૂરી નથી. હું જે છું અને જે નથી તેના વિશે જરા ય ભ્રમમાં નથી. મને જે મળ્યું છે તે સહજ ક્રમમાં મળ્યું છે અને એનો સૌથી મોટો આનંદ છે.

બે વસ્તુઓ મને બહુ કામ લાગી છે : સંતોષ અને સ્પષ્ટતા. એ મારામાં છે એ મને ખબર છે. બીજો બહુ મોટો સંતોષ : મેં જે ન ઇચ્છ્યું, એ મારે કદી લખવું પડ્યું નથી. અને આ સંતોષની ક્રેડિટ હું મારા તંત્રીઓને પણ આપવા માગું છું. ‘ગુજરાત સમાચાર’માં આઠ વર્ષ શ્રેયાંસભાઈ સાથે કામ કર્યું, પછી ‘દિવ્ય ભાસ્કર’ના મિત્રો સાથે કામ કર્યું. તેમણે કદી આવું કહ્યું નથી. પહેલાં ક્યારેક કોઈ લખાણ ન છપાય એવું બને. કોઈ પત્રકારે એવો ફાંકો રાખવાની જરૂર નથી કે આપણે લખીએ તે બધું જ છપાય. પણ એનું એક પ્રમાણ હોય છે. એ તમારે નક્કી કરવું પડે. સોમાંથી નેવુ-પંચાણું લખાણ છપાય તો બરાબર કહેવાય. સો ટકા લખાણ તો આપણું પોતાનું છાપું હોય તો પણ કદાચ ન છપાય. ટૂંકમાં, મને કોઈએ દબાણ કર્યું નથી. કદાચ મારા મોઢા પર લખેલું હશે કે દબાણ ન કરવું.

મારી સમજ માટે મને બીજું કોઈ વિશેષણ મળતું નથી. એટલે હું માનું છું કે મારી સમજ મહેમદાવાદી છે. એ કોઈ વાદમાં બેસતી નથી. હું એકેય વાદી નથી. હું મહેમદાવાદી છું. ડાબેરી-જમણેરી એવું બધું મને ન આવડે. હું એવો પંડિત નથી ને થવા પણ નથી માગતો. દુનિયામાં અડધો દાટ પંડિતોએ વાળ્યો છે. મારી એવી સાદી સમજ છે કે હું મહેમદાવાદમાં રહું અને ત્યાં દાયકાઓથી અમે એકબીજા સાથે શાંતિથી રહીએ. હિંદુમુસલમાન ને બીજા બધા. બધાના બે-ત્રણ પેઢીના સંબંધ. અહીં જ્ઞાતિના ભેદભાવની વાત નથી કરતો. એ તો આપણું રાષ્ટ્રીય દૂષણ છે. પણ સામાન્ય હિંદુમુસલમાનની વાત કરું તો, અમે શાંતિથી જોડે રહેવા માટે ટેવાયેલા. અમારી વચ્ચે પેઢીઓનો સંબંધ. એટલે મારી જે કંઈ અન્ડરસ્ટેિન્ડગ અને મારું જે કંઈ સ્ટેિન્ડગ છે એ મહેમદાવાદની જમીન પર ઊભા રહીને જોતા માણસનું છે. મહેમદાવાદ અથવા એવાં નાનાં ગામની જે વૈચારિક સંકુચિતતા હોય, એ બહુ બધા મિત્રોને કારણે નીકળી શકી છે-હજુ કાઢી રહ્યો છું. અને મૂળિયાં સતત મજબૂત થયાં છે.

મને કોઈ રાજકીય વિશ્લેષક કહે ત્યારે હસવું આવે છે … હું એ ઓળખાણને કદી અપનાવી શક્યો નથી. કારણ કે મને કદી એવું લાગ્યું જ નથી કે હું રાજકારણનો માણસ છું.  હું એક દુઃખી નાગરિક છું અને મને લાગે છે કે એટલું પૂરતું છે. મને તો મારા લમણે કોણ લખાયું છે એમાં રસ છે. અને એ કેમ લખાયા છે એમાં રસ છે અને એ કેવી રીતે બદલવા જોઈએ અને એમાં હું શું કરી શકું ને તમે શું કરી શકો, એમાં રસ છે. મને ઉમાશંકર જોષીનો પ્રયોગ બહુ ગમે છેઃ પબ્લિક અફેર્સ. મને એ અભિવ્યક્તિ નહોતી મળતી, તે એમનામાંથી મળી. મને જે અડે છે તે પબ્લિક અફેર્સ છે. મને બહુ સ્પષ્ટ સમજાય છે કે આવું થાય અને આવું ન થાય. પછી આપણા જેટલા કે આપણાથી વધુ સજ્જ લોકો સાથે ઊઠીએબેસીએ ત્યારે આપણામાં અનેક સ્પષ્ટતાઓ થતી હોય છે અને મૂલ્યો દૃઢ થતાં હોય છે.

કોઈ પણ પત્રકારત્વના એવોર્ડમાં પરિવારનો હિસ્સો મોટો હોય છે. એ કરવા દે, ત્યારે જ સારું પત્રકારત્વ થઈ શકતું હોય છે. મારાં મમ્મી સ્મિતા કોઠારી, પત્ની સોનલ કોઠારીને એનો જશ જાય છે. મારે પૈસા પાછળ નહીં દોડવું એ મારી પ્રકૃતિ છે – એમની હોવી જરૂરી નથી. એ મને ધંધે લગાડે કે તું ગાડી લાવ, પછી મોટી ગાડી લાવ, પછી બીજી ગાડી લાવ, પછી બીજી મોટી લાવ … તો હું જિંદગીમાં કદી ઊંચો જ ન આવું. પણ મારો સંતોષ છે એ ફક્ત મારો નથી, અમારો બધાનો સહિયારો છે.

બીજું નામ છે : મારો ભાઈ બીરેન કોઠારી. મારું બધું જ છે – લખવાનું, વાંચવાનું, બહુ જ વ્યાપક અર્થમાં કહીએ તો સંસ્કાર – એ બધું જ એનું છે.  મારા ઘણા ગુરુજનો  છે. ઘણાને મારા ગુરુજનોની રેન્જ જોઈને નવાઈ લાગે છે. પણ એ તો દરેકની ક્ષમતાનો વિષય છે. એ બધા ગુરુઓ પાસેથી ઘણું પામ્યો છું. તેમનાં નામ આપું તો, રજનીકુમાર પંડ્યા. તેમની પાસેથી હું સાહિત્ય અને જીવનના ઘણા પાઠ શીખ્યો છું. વિનોદ ભટ્ટ, અિશ્વની ભટ્ટ, નગેન્દ્ર વિજય. પત્રકારત્વમાં આવ્યો ત્યારે મને બે જ વસ્તુ લખતાં આવડતી હતી : જૂના ફિલ્મસંગીત વિશે અને પ્રોફાઇલ (શબ્દચિત્રો). એમાંથી મને પત્રકારત્વના કેટકેટલા વિષયો કેવી રીતે લખાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન નગેન્દ્રભાઈ પાસેથી મળ્યું. હર્ષલ પુષ્કર્ણા અને તેની પત્ની ફાલ્ગુની — હર્ષલ પાસેથી હું શીખ્યો છું, એ બંને મિત્રો છે અને મિત્રોથી પણ ઘણાં વધારે છે. તારક મહેતા અને રતિલાલ બોરીસાગર પણ ગુરુજનો છે.

પબ્લિક અફેર્સવાળી વાત ૨૦૦૨માં શરૂ થઈ, તે પહેલાં હું માર્ટિનભાઈ મેકવાનના પરિચયમાં આવ્યો અને ‘નવસર્જન’ સાથે પત્રકાર તરીકે સંકળાયો. પછી ચંદુભાઈનો અને પ્રકાશભાઈનો પરિચય થયો. આ ત્રણ જણે જાહેર જીવનને લગતા મારા વિચારોના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. આ બાબતમાં મારા વિચારોનાં ધરી, ધડો અને ધાર ઘણે અંશે આ ત્રણેને આભારી છે.

મિત્રો મેળવવાની બાબતમાં હું બહુ સમૃદ્ધ છું. મને મારા દુઃખે દુઃખી અને મારા સુખે સુખી થાય એવા  અઢળક સારા મિત્રો મળ્યા છે. છેલ્લાં પચીસેક વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછો એક સારો, આજીવન ટકી શકે એવો, મિત્ર મળે છે અને એ સિલસિલો હજુ ચાલુ છે. એ બધા પ્રિય મિત્રો છે. તેમનાં બધાનાં નામ લેવાનો સમય નથી. પણ પત્રકારત્વ સંદર્ભે બે મિત્રોને ખાસ યાદ કરું છું. એક છે : પ્રશાંત દયાળ. આ સન્માન પચાસ વર્ષથી નીચેના પત્રકારને આપવાનો નિયમ ન હોત, તો મેં પહેલા વર્ષના સન્માન માટે મારે બદલે પ્રશાંતનું નામ સૂચવ્યું હોત. જે નિર્ભિકતાથી, જીવનું જોખમ ખેડીને છતાં શહીદીના વાઘા પહેર્યા વિના તે પત્રકારત્વ કરી રહ્યો છે, તેની કોઈ જોડ નથી. અમારો બાવીસ-ત્રેવીસ વર્ષનો સાથ છે. એવી બીજી મિત્ર છે પૂર્વી ગજ્જર. બિનીત મોદી પત્રકારત્વથી પણ પહેલાંનો મિત્ર છે. જીવનના તમામ વળાંકે તેની હાજરી અને હૂંફ રહ્યાં છે.

હું ઘણુંબધું સારું કરી શક્યો તે મારામાં રહેલી ખીજને કારણે. મારાં ઘણાં કામની શરૂઆત ખીજમાંથી થાય છે. કોઈ બાબત જોઉં એટલે મને થાય કે આવું કેવી રીતે ચાલે? પહેલાં ફક્ત ખીજ ચઢતી હતી. પછી આવું ન ચાલે તો શું ચાલે, તેના વિકલ્પની દિશામાં જવાનું થયું. પત્રકારત્વનું શિક્ષણ કેવી રીતે અપાવું જોઈએ, એવો એક ખ્યાલ હતો. નડિયાદની મહિલા આટ્‌ર્સ કૉલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતા સાથે એ વિશે અનેક વાર વાત થઈ હશે. છેવટે એ ખ્યાલ સાકાર કરવાની તક મળી અને બે વર્ષ પહેલાં નડિયાદમાં હસિત મહેતા, કેતન રૂપેરા, પારસ જ્હા અને પારુલ પટેલ સાથે પત્રકારત્વનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ થઈ શક્યો છે. એવી જ રીતે, આપણાં ગમતાં પ્રકાશન થઈ શકે એવી એક પ્રકાશનસંસ્થા હોવી જોઈએ, એવું ઘણા સમયથી લાગતું હતું. તેમાંથી દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ જેવા મિત્રોની સાથે ‘સાર્થક પ્રકાશન’ અસ્તિત્વમાં આવ્યું. આ એપ્રિલમાં સાર્થકને પાંચ વર્ષ પૂરાં થશે. કાર્તિકભાઈના પ્રતાપે, કારણે સાર્થક પ્રકાશન સારી રીતે ટકી શક્યું છે. તેનું છ માસિક સામયિક સાર્થક જલસો અમારું ગમતું મૅગેઝીન કેવું હોય, તેના અમારા ખ્યાલનું સાકાર સ્વરૂપ છે.

૨૦૦૨ પછી મારે જે કંઈ લખવાનું થયું, તે મને હેલિકોપ્ટરમાંથી બીજ વેરવા જેવું લાગ્યું હતું : આપણે બીજ વેરીને આગળ વધી જવાનું. ક્યાં શું ઊગ્યું તેની આપણને ખબર ન પડે.  એક વાર અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો. નામ : કેતન પટેલ. ચરોતરના. વ્યવસાયે ડેન્ટિસ્ટ. થોડી દોસ્તી થયા પછી તેમણે કહ્યું કે ૨૦૦૨ પછી હું પણ અમુક રીતે વિચારતો થઈ ગયો હતો, પણ તમારા લેખ વાંચ્યા પછી ધીમે ધીમે મને સમજાયું કે એ રીતે વિચારવા જેવું છે. પછી મારો અભિપ્રાય બદલાયો. કેતનભાઈએ જે કહ્યું, એ કહેવામાં હિંમત જોઈએ. આવી હિંમતવાળા વધારે લોકોની જરૂર છે.

પત્રકારત્વમાં આવ્યો ત્યારે મારા ઘણા મિત્રો ૭૦ વર્ષની સરેરાશ વયના હતા. પાંચ વર્ષ પહેલાં પત્રકારત્વની માસ્ટર્સ ડિગ્રી માટે ભણવા ગયો, તેમાં મારાથી વીસબાવીસ વર્ષ નાનાં મિત્રો મળ્યાં. શૈલી ભટ્ટ, નિશા પરીખ, આરતી નાયર જેવાં મારાથી એક પેઢી નાનાં મિત્રોને કહી રાખ્યું છે કે અત્યારે તો મારું ઠેકાણે છે પણ જ્યારે તમને લાગે કે ઠેકાણે નથી રહ્યું, ત્યારે મહેરબાની કરીને કહી દેજો. લખવાનું બંધ કરીશ અને બોલવાનું તો પહેલી તકે બંધ કરીશ. કારણ કે જાહેર જીવનમાં મોટી ઉંમરના ઘણા લોકોને જોઈએ છે, તે એક સમયે સરસ હોય છે. પણ પછી તે બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે, લખ્યા જ કરે છે, લખ્યા જ કરે છે. આમન્યાને કારણે કોઈ એમને કહેતું નથી, પણ એ જાય ત્યારે પોતાની આબરૂનો મોટો હિસ્સો પોતાના જ હાથે ભૂંસીને જાય છે. એમની આબરૂ તો બહુ હશે, એટલે એમને પોસાતું હશે. મારી એટલી બધી નથી. એટલે મને એ ન પોસાય.

હવે છાપાંની ઓફિસમાં જવાનું નથી. પણ લખવાનું ચાલુ જ રહેશે. ફ્રીલાન્સ લેખન ઉપરાંત લખવાનાં ઘણાં કામ રાહ જુએ છે. ગાંધીજી વિશેનાં એક-બે લાંબાં કામ, જ્યોતીન્દ્ર દવેના જીવન અને અગ્રંથસ્થ સાહિત્ય વિશે દોઢેક દાયકાથી ચાલતું કામ અને એ બધાથી પહેલાં, આવતા મહિને પીએચ.ડી.નો મહાનિબંધ જમા કરાવી દેવાનો છે.  કામ કરવામાં હું બહુ ઉત્સાહી અને ઝડપી છું. ઘરનો મોરચો મજબૂત હોય – આર્થિક નહીં, માનસિક રીતે – તો દુનિયા જોડે પહોંચી વળાય છે. એટલે એની ચિંતા નથી.

નીરુભાઈ દેસાઈના નામ સાથે સંકળાયેલા આ સન્માનની શરૂઆત માટે મારી પર વિશ્વાસ મુકવા બદલ અને મારી પસંદગી કરવા બદલ આભાર.

(સન્માન સ્વીકાર વક્તવ્યનો સંપાદિત પાઠ)

Email : uakothari@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅ પ્રિલ 2018; પૃ. 08, 09 અને 15 

Loading

...102030...3,2053,2063,2073,208...3,2203,2303,240...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved