Opinion Magazine
Number of visits: 9583078
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાલ બાલ બચ ગયે?

કેયૂર કોટક|Samantar Gujarat - Samantar|8 January 2018

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો કકળાટ શમી ગયો છે અને વિજય રૂપાણીની સરકારે ભા.જ.પ.ને પ્રાપ્ત થયેલી બેઠકોને શોભે એ રીતે સચિવાલયના પ્રાંગણમાં જ શપથ લઈને સંતોષ માની લીધો છે. દેખીતી રીતે, રૂપાણી અતિ નમ્ર અને વાસ્તવિકતા સમજે એવા નેતા છે. તેઓ સ્વીકારે છે કે બધાનાં નસીબ નરેન્દ્ર મોદી જેવાં ન હોય.

ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી તરત ભા.જ.પ.ના એક પારિવારિક વડીલમિત્ર અને ધારાસભ્ય સાથે વાત થઈ હતી. તેમણે હસતાં-હસતાં સ્વીકાર્યું કે, ‘હવે અમારા તારલાઓને જમીન પર આવવું પડશે. પણ મોદીજીના ડરથી હવે અમારે થોડું દોડવું પડશે અને કામ બતાવવું પડશે.’ બે ત્રણ દિવસ અગાઉ સુરેન્દ્રનગરના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવનાર કૉંગ્રેસના અગ્રણી હરોળના નેતા સાથે પણ વાત થઈ. આ આગેવાન નેતાએ અફસોસ સાથે કહ્યું કે, ‘આ વખતે હોઠ સુધી આવેલો વિજયનો પ્યાલો ઝૂંટવાઈ ગયો.’ શપથસમારોહમાં મોદી પણ જાણે શંકરસિંહના કાનમાં ‘બાલ બાલ બચ ગયે’ કહીને વિદાય થયા, એમ લાગ્યું.

રાજ્યના નાગરિકો પણ માને છે કે, વિધાનસભાની આ ચૂંટણીમાં વિજય મેળવવા માટે કૉંગ્રેસ માટે સારી તક હતી. આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે વિમુદ્રીકરણનો અને જી.એસ.ટી.ના ઉતાવળિયા અમલને કારણે કૉંગ્રેસને બગાસું ખાતું પતાસી આવી ગયું હતું. ગુજરાતમાં ભા.જ.પ.ને વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલી પડશે, એનો અંદાજ ૮ નવેમ્બર, ૨૦૧૬ની ઐતિહાસિક ડિમૉનેટાઇઝેશનની જાહેરાત પછી ગણતરીના દિવસોમાં જ મળી ગયો હતો. પ્રધાનમંત્રીએ શિયાળો બેસતાં જ આ જાહેરાત કરી હતી, જેથી લોકોમાં ગરમાવો આવી ગયો હતો. ડિમૉનેટાઇઝેશન પછી શિયાળાની સીઝનમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોનાં શરીરમાંથી થર્મોમીટર ફાડી નાંખે એવી ગરમી અનુભવાતી હતી. ગામડાંમાંથી કામધંધો છોડીને તાલુકાસ્થળે બૅંકોની લાઇનમાં સવારથી બેસવું અને બપોરે નોટો ખલાસ થઈ ગયા પછી વિલામોઢે ગામડે પાછાં ફરવું. ફરી બીજા દિવસે લાઇનમાં બેસવું અને વારો આવે, ત્યારે જૂની નોટો સામે હાથમાં આવે ૨૦૦૦ની નોટ!

ડિમૉનેટાઇઝશનની ભૂલનો અંદરખાને સ્વીકાર કરીને મોદી સરકારે ઝડપથી રીમૉનેટાઇઝેશનનું અભિયાન ઉપાડ્યું હતું. પછી સ્થિતિ માંડ થાળે પડતી હતી, ત્યાં મોદી સરકારે ૧ જુલાઈ, ૨૦૧૭ના તેમના શાસનના અન્ય એક ઐતિહાસિક દિવસે જી.એસ.ટી.નો ઉતાવળિયો અમલ શરૂ કર્યો હતો. નોટબંધીમાં કાળાધોળા કરવામાંથી માંડ નવરા પડેલા વેપારીઓને જી.એસ.ટી.એ અવાક્‌ કરી દીધા.

કેન્દ્ર સરકારનાં આ બંને પગલાંથી ભા.જ.પ. ખરેખર હારી જશે એવો ફફડાટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનોમાં પણ જોવા મળતો હતો. પણ કેટલાંક સૂત્રોના મતે હરહંમેશની જેમ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના નેતાઓ રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા અને તેમણે જ્ઞાતિવાદનું રાજકારણ રમીને ભા.જ.પ.ની લાજ બચાવી લીધી. ગુજરાતના અગ્રણી અખબાર ગુજરાત સમાચારે પરિણામના બીજા દિવસે પરિણામોને યથાર્થપણે પ્રતિબિંબિત કરતી હેડલાઇન આપી હતી – ‘ભા.જ.પ.ની જીતમાં હાર, કૉંગ્રેસ હારીને જીત્યું.’ આંકડાની દૃષ્ટિએ જોઈએ, તો ભા.જ.પ.ને ૪૯.૧ ટકા મત મળ્યા છે, જે વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા મતો કરતાં એક ટકા વધારે છે, છતાં ભા.જ.પ.ને ૧૬ બેઠકોનું નુકસાન થયું છે. બીજી તરફ, કૉંગ્રેસને વર્ષ ૨૦૧૨માં પ્રાપ્ત થયેલા ૩૮.૯ ટકા મત સામે વર્ષ ૨૦૧૭માં ૪૧.૪ ટકા મતો મળ્યા છે. આ રીતે તેના મતમાં લગભગ ત્રણ ટકાનો વધારો થવા છતાં ૧૬ બેઠકોનો ફાયદો થયો છે.

સામાન્ય રીતે કૉંગ્રેસની બેઠકોમાં વધારા માટે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટીના જ્ઞાતિવાદી આંદોલનને જવાબદાર ગણાવે છે. પણ હકીકતમાં આ ત્રિપુટીમાંથી એક હાર્દિક પટેલનું આંદોલન જ કૉંગ્રેસને ફળ્યું છે, જ્યારે અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસને ફાયદો કરાવવાને બદલે શિક્ષિત અને સવર્ણોમાં ફફડાટ ફેલાવવામાં વધારે ભૂમિકા ભજવી હતી. ડિમૉનેટાઇઝેશન અને જી.એસ.ટી.ની નારાજગીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હાર્દિક પટેલના આંદોલને બરોબર વધારો કર્યો હતો. તેનું પરિણામ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભા.જ.પ.ને ભોગવવું પડ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૫૪ બેઠકોમાંથી કૉંગ્રેસને ૩૦ અને ભા.જ.પ.ને ૨૩ બેઠકો મળી છે. અહીં કૉંગ્રેસને ૧૪ બેઠકોનો ફાયદો થયો છે, જ્યારે ભા.જ.પ.ને ૧૨ બેઠકોનું નુકસાન થયું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભા.જ.પ.ને ફટકો પડ્યો છે. ગ્રામીણ વિસ્તારોની કુલ ૧૨૭ બેઠકોમાં ભા.જ.પ.ને ૫૬ અને કૉંગ્રેસને ૬૮ બેઠકો મળી છે. વર્ષ ૨૦૧૨માં આ વિસ્તારોમાં ભા.જ.પ.ને ૭૦ અને કૉંગ્રેસને ૫૧ બેઠકો મળી હતી. કૉંગ્રેસને ગ્રામીણ વિસ્તારોમાં બેઠકો વધારવામાં જેટલી સફળતા મળી, તેનાથી અતિ ઓછી સફળતા શહેરી વિસ્તારોમાં મળી. કહેવાનો અર્થ એ છે કે, ડિમૉનેટાઇઝેશન અને જી.એસ.ટી. પછી શહેરી વિસ્તારોમાં મોદી સરકાર પ્રત્યે જે નારાજગી હતી, એ મતમાં પરિવર્તિત કરવામાં કૉંગ્રેસ લગભગ નિષ્ફળ નીવડી છે.

અહીં પ્રશ્ર એ છે કે, શહેરી મતદારોએ શા માટે કૉંગ્રેસને બદલે ભા.જ.પ.ને પસંદ કર્યો?

આ માટે મુખ્યત્વે બે કારણો જવાબદાર છે : એક, શહેરી મતદારોમાં હજુ પણ કૉંગ્રેસની મુસ્લિમ તરફી હોવાની અને ભા.જ.પ. હિંદુત્વને વરેલો પક્ષ હોવાની ખોટી માન્યતા પ્રવર્તે છે. પણ નરેન્દ્ર મોદી શહેરી મતદારોમાં કૉંગ્રેસને મુસ્લિમો માટેનો જ પક્ષ હોવાનું ઠસાવવામાં સફળ રહ્યા છે. બે, શહેરી વિસ્તારોમાં મતદારો જ્ઞાતિવાદના રાજકારણને વધુ પ્રાધાન્ય આપતા નથી. શહેરી મતદારોમાં હાર્દિક પટેલના આંદોલન પ્રત્યે સહાનુભૂતિ હતી, પણ અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલનથી ડરનો માહોલ પેદા થયો હતો. આ બંને નેતાઓએ ગુજરાતના શહેરી મતદારોમાં માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજીની ખામ થિયરી (ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમ) પછી સત્તામાં આવેલી કૉંગ્રેસના દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી. એટલે તેમણે ભા.જ.પ. પ્રત્યે નારાજગી હોવા છતાં જ્ઞાતિવાદના રાજકારણને જાકારો આપ્યો. પરિણામે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ જી.એસ.ટી. અને ડિમૉનેટાઇઝેશન પછી કૉંગ્રેસે નવસર્જન માટે સારી રીતે ઊભા કરેલા વાતાવરણ પર અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલન પર પાણી ફેરવી દીધું. જો કૉંગ્રેસે ડિમૉનેટાઇઝેશન, જી.એસ.ટી. અને સુશાસનને જ મુદ્દો બનાવ્યો હોત તો ચિત્ર અલગ હોત. પણ ભા.જ.પ. પર વારંવાર ટ્રેક બદલવાનો આરોપ લગાવતી કૉંગ્રેસ જ ચૂંટણી નજીક આવતાં આડી લાઇને ચડી ગઈ અને  જ્ઞાતિવાદના નાપાક રાજકારણનો માર્ગ અપનાવ્યો.

વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની સૌથી વધુ મજાની વાત એ છે કે પ્રજાની ઇચ્છા – ખાસ કરીને શહેરી નાગરિકોની ઇચ્છા – ફળીભૂત થઈ છે. શહેરી મતદારો ઇચ્છતા હતા કે, ભા.જ.પ. નિયંત્રણમાં રહે અને કૉંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે બહાર આવે. શહેરી મતદારો ઇચ્છે છે કે મોદી પ્રધાનમંત્રી છે ત્યાં સુધી ગુજરાતમાં ભા.જ.પ. રહે તો સારું. સાથે સાથે શહેરી મતદારો રાહુલ ગાંધી હવે ‘પપ્પુમાંથી છોટા ભીમ’ થઈ ગયા છે, એવું સ્વીકારી રહ્યા છે.               

E-mail: keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 07-08  

Loading

હવે ગ્રામીણ સમસ્યા પ્રત્યે શાસકોની બેદરકારી નહીં ચાલે

ગૌતમ ઠાકર|Samantar Gujarat - Samantar|8 January 2018

ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ની ચૂંટણી રંગેચંગે પૂર્ણ થઈ. ગુજરાતના મતદારોએ પોતાનો નિર્ણય ઇ.વી.એમ. દ્વારા આપી દીધો. ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક રાખનાર અને તે રણટંકાર કરનારા ભા.જ.પ.ને ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. દેશના વડાપ્રધાનશ્રીની અસંખ્ય ચૂંટણીરેલી-સભાઓ યોજવી પડી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને ૪૦ દિવસથી પણ વધુ દિવસ ગુજરાતમાં સ્થાયી થવું પડ્યું છતાં પણ કૉંગ્રેસપક્ષ ૮૦ સુધીની બેઠકો મેળવી ગયો.

૨૦૧૪ની લોકસભની ચૂંટણીટાણે ભા.જ.પે. ૬૦ ટકાથી વધુ વોટ મેળવીને તમામેતમામ ૨૬ બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસને ૪૦ ટકા મત મળવા છતાં એક પણ બેઠક મળી ન હતી. આમ તે વખતે ભા.જ.પ. આશરે ૧૬૦ વિધાનસભા વિભાગોમાં બહુમતી ધરાવતો હતો. આના સંદર્ભમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ના ૧૧ ટકા મત ઓછા થયા અને કૉંગ્રેસના ૧.૫ ટકા મત વધ્યા છે. કૉંગ્રેસ વિધાનસભામાં બહુમતીના આંકડા સુધી પહોંચાડવામાં સફળ રહી. આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ગ્રામીણ ગુજરાતમાં કૉંગ્રેસ અને શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં ભા.જ.પે. સારો દેખાવ કર્યો છે.

ગુજરાતમાં ગ્રામીણ બેઠકો પર ભા.જ.પ.ને ૨૦૧૨માં ૫૦ બેઠકો મળી હતી, જે આ વખતની ચૂંટણીમાં ૪૩ થઈ ગઈ, જ્યારે કૉંગ્રેસને ૨૦૧૨માં ૪૩ બેઠકો મળી હતી, તે હાલમાં ૫૫ ટકાનો આંકડો પાર કરી ગઈ છે. એ જ રીતે અર્ધા-શહેરી વિસ્તારોમાં ભા.જ.પ.નો ચાર બેઠકો ઉપર પરાજય થયો. જ્યારે કૉંગ્રેસને વધુ પાંચ બેઠકો મળી છે. એટલે અન્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો પણ ગ્રામીણ ગુજરાતમાં કૉંગ્રેસ કાઠું કાઢ્યું છે. કૉંગ્રેસે મેળવેલી બેઠકોમાં ડાંગ, તાપી, નર્મદા, મોરબી, અરવલ્લી, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં ભા.જ.પ.ને નામશેષ કરીને બધી જ બેઠકો જીતી લીધી છે.

આ બધી વાતો આંકડાની કરી છે, પણ ગુજરાતમાં ખેડૂતો અને ખેતીની સ્થિતિ, અત્યંત ખરાબ હોવાથી અને ખેડૂતોના અગણિત પ્રશ્નોના ઉકેલમાં શાસકપક્ષે દાખવેલી ઉદાસીનતાને કારણે ગ્રામીણ પ્રજાએ કૉંગ્રેસને વધુ બેઠકો આપીને ભા.જ.પ.ની શાન ઠેકાણે લાવી છે. ગુજરાતમાં ૫૨ લાખ ખેડૂતો અને ૬૮ લાખ ખેતમજૂરો છે. તદુપરાંત ખેતી માટેનાં ખાતર, દવાઓ, બારદન, ઉપરાંત ખેતપેદાશોની જાળવણી, પરિવહન, બજારમાં વેચાણ સાથે ઘણા લોકો સંકળાયેલા છે. બહેનો, ખેતીને આનુષંગિક એવા દૂધ અને પશુપાલન જેવા વ્યવસાયો સાથે સંકળાયેલી છે. આ બધાંનો સરવાળો કરીએ તો ગુજરાતની કુલ વસતીના ૭૦ ટકાનો સમાવેશ આ વિભાગમાં થાય છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવ બેફામ વધી રહ્યા છે, તેથી તેમનું ખેત ઉત્પાદનખર્ચ વધતું જાય છે. પોતાની ઉપજના નજીવા ભાવ મળતા હોવાથી ખેડૂતો પાયમાલ થઈ જાય છે અને આત્મહત્યાને રસ્તે વળે છે. ખેતી માટે વીજળીનું જોડાણ મેળવવાની ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. આજે, ૨૦૧૭માં પણ આશરે, ૩,૦૦,૦૦૦ ખેડૂતોને વીજળી-જોડાણો મળવાનાં બાકી છે. ખેડૂતોને સસ્તી લોન પણ મળતી નથી. સિંચાઈ અને જમીન સંપાદનધારાએ હદ કરી દીધી છે. પાકવીમો મેળવવો પણ અભિમન્યુના સાત કોઠાને પાર કરવા જેવું છે. આ બધી વિકટ પરિસ્થિતિમાં ખેડૂત અને તેની સાથે સંકળાયેલા લોકો ખૂબ જ દુઃખી અને અસહાય સ્થિતિમાં હતા. આવામાં ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો વડાપ્રધાનશ્રીનો આશય પાર પડી શકે તેમ નથી. તેવું ગ્રામીણ પ્રજાને લાગતાં તેનું પ્રતિબિંબ મતદાનમાં જણાઈ આવે છે.

ગામડાંઓમાં વીજળી, રસ્તા, સિંચાઈનું અને પીવાનું પાણી મેળવવાની અપાર મુશ્કેલીઓ તો રોજબરોજની છે. સાથોસાથ, આરોગ્ય અને શિક્ષણમાં ચાલતી ઉઘાડી લૂંટના કારણે ગ્રામીણ પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી. ગરીબીરેખાથી પણ નીચે તેમનું જીવનધોરણ ગયું હતું અને શાસકો કુંભકર્ણની નિદ્રામાં હતાં. ગુજરાતમાં શાસકોને પાઠ ભણાવવા સમગ્ર ગ્રામીણ પ્રજાએ તેમની વિરુદ્ધમાં મતદાન કરીને પોતાનો આક્રોશ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ભા.જ.પે. પોતાના સંકલ્પપત્રમાં ખેડૂતોની આવકને બમણી કરવા સસ્તું, ખાતર, બિયારણ, સિંચાઈની સુવિધા અને યોગ્ય પોષણક્ષમ ભાવ આપવાનું વચન આપ્યું છે અને તેમની સમસ્યાઓનું ત્વરિત નિદાન કરવાનું અને ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. ગ્રામીણ પ્રજાને તેમની મૂળભૂત સુવિધાઓ જેવી કે ઘર, શૌચાલય, નળજોડાણ, વાહનવ્યવહારની સુવિધાઓ આપીને ગામડાંઓનો સર્વાંગી વિકાસ કરવાનો સંકલ્પ કર્યો છે. જો આમ નહીં થાય, તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફરી પાછો આવો જ દેખાવ ગ્રામીણ પ્રજા કરશે, તેવું લાગી રહ્યું છે.

E-mail : gthaker1946@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 08-09

Loading

નિકાસ આધારિત વિકાસ

પલક વ્યાસ, પલક વ્યાસ|Opinion - Opinion|8 January 2018

નિકાસ એ રાજ્યની આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવતું પરિબળ છે. એનો સુંદર રીતે ઉપયોગ કરીને ચીન વિકાસ પામ્યું છે. ચીનની એ નીતિ અને વલણને સમજીને ભારત પણ પોતાના વિકાસનો માર્ગ નિકાસને આધારિત બનાવી શકે છે. આ લેખમાં ચીનની નીતિ ઉપરથી ભારત શું કરી શકે છે, એના વિષેની ટૂંકમાં ચર્ચા કરેલ છે.

ભારતદેશના વિકાસની વાત, જ્યારે કરવાની હોય ત્યારે અર્થવ્યવસ્થાના અમુક વિશેષ પરિબળોની ચર્ચા કરવી જોઈએ, કારણ કે હાલના વિકસિત દેશોએ વિકાસ કરતી વખતે અર્થવ્યવસ્થાને અત્યંત મહત્ત્વ આપ્યું છે, એની સાથે વિકાસનાં બીજા પરિબળોને પણ ધ્યાનમાં રાખીને દુનિયામાં પોતાનું મહત્ત્વ વધારવામાં સફળ થયા છે. આ જોતાં ભારતના વિકાસ માટે તેની અર્થવ્યવસ્થામાં આયાત અને નિકાસ દ્વારા વિકાસ કેમ કરી શકાય, એ જાણવું આપણા માટે જરૂરી બની જાય છે.

ચીન જ્યારે વિકાસ કરતું હતું, ત્યારે તેણે એક નીતિ અપનાવી હતી, ‘આયાતઅવેજી નીતિ’. આ બહુ જૂની નીતિ છે. આ નીતિ એટલે આયાતની અવેજીમાં નિકાસ વધારે કરવાની. આ માટે ચીને પહેલાં દ્વિપક્ષીય સંબંધોથી પોતાના દેશના લોકો માટે ઉત્પાદનનું કામ યુરોપ અને અમેરિકા પાસેથી મેળવ્યું. એના માટે એમની જ પાસેથી નાણાંની વ્યવસ્થા કરી, જેથી તે કાચો માલ ખરીદી શકે. હવે વધારે ઉત્પાદન માટે કાચા માલની જરૂર પડે, તે ક્યાંથી લીધો? તે કાચો માલ તેણે  પોતાના પાડોશી દેશો પાસેથી ખરીદ્યો. જેમ કે તેલ એણે કિર્ઘીસ્તાન પાસેથી લીધું/ખરીદ્યું. બીજો કાચો માલ તેણે ઉત્તરપૂર્વીય એશિયાનાં રાજ્યો પાસેથી સસ્તા ભાવમાં લીધો, પોતે તૈયાર કરેલા સામાનનું સુંદર રીતે પૅંકિંગ કર્યું અને વિકસિત દેશોને મોંઘા ભાવે મોકલતું રહ્યું. ચીનની આ નીતિએ એને સફળતા અપાવી. આ રીતે ચીન આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરતું રહ્યું. હાલમાં જ અમેરિકાના પ્રમુખ ચીનની મુલાકાતે ગયા હતા, ત્યારે ૮૦૦ વિમાનોનો કરાર કરી ચીને ફરીથી નાણાં ઊભાં કરી લીધાં. ટૂંકમાં, ચીને ઉત્તરપૂર્વીય એશિયન રાજ્યો પાસેથી પોતાની વિશાળ ઉદ્યોગની ભૂખને સંતોષવા કાચો માલ મેળવ્યો અને તૈયાર માલ યુરોપિયન દેશો અને અમેરિકાને વેચ્યો. આમાં, ચીનને લાભ થયો.

હવે ભારતદેશે પણ આપણા નાના પાડોશી દેશો એટલે કે દક્ષિણ એશિયાનાં રાજ્યો સાથે સારા સંબંધ સ્થાપિત કરવા જોઈએ અને ત્યાંથી સસ્તા ભાવે આપણા ઉદ્યોગોને જરૂરી માલ ખરીદવો જોઈએ, જેથી એ રાજ્યોને પણ પ્રોત્સાહન મળે અને આપણા પાડોશી દેશો સાથે સંબંધ પણ સુધરી શકે. આપણે ત્યાં ઉત્પાદિત થતો સામાન છે, તેની પણ નિકાસ ક્યાં કરવી જોઈએ, એના માટે આપણે વિકસિત દેશની બજારનો અભ્યાસ કરવો જોઈએ અને આનાથી આપણે ‘આયાતઅવેજી નીતિ’થી આપણી નિકાસ પણ વધારી શકીશું.

આ તૈયાર થયેલો સામાન કયા દેશને વેચવો એની પણ એક અલગ નીતિ ચીને અપનાવેલી છે. આપણે જ્યારે ઉત્પાદન કરીએ, ત્યારે સૌથી વધારે અગત્યતા-બજારમાં કઈ વસ્તુની માંગ છે, એના પર આધારિત છે. જેની માંગ વધારે હોય તેનું ઉત્પાદન કરવું જોઈએ. ચીનના એક્સપર્ટ્‌સે (નિષ્ણાતોએ) બીજા દેશોમાં ક્યા તહેવારો ઊજવાય છે અને ત્યાં કઈ વસ્તુની માગ છે, તેનો અભ્યાસ કર્યો. આજે આપણે ત્યા ચીન દિવાળી વખતે સમયસર લાઇટ્‌સ, પાવરવાળા દીવા, આવી અનેક વસ્તુઓ ઉત્પાદન કરીને આપણને મોકલી આપે છે. અને આપણા જ દેશમાં બનેલા માટીના દીવા (કોડિયા) ધૂળ ખાતા પડી રહે છે. માટે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગીએ છીએ, એનો પહેલાં અભ્યાસ કરવો પડે કે આપણા દેશની બજાર સિવાય બીજા કયા દેશમાં એ વસ્તુની માંગ છે.

આ વસ્તુનું મહત્ત્વ એટલા માટે છે કે વિકાસ માટે વિદેશ વ્યાપાર અત્યંત જરૂરી છે. ચીન વિદેશ વ્યાપારના આધારે પોતાનો નંબર ૩૨થી ઉપર લઈ જઈને નંબર-૩ સુધી પહોંચી ગયું છે. પણ આ અંતર કાપતાં તેને ૨૭ વર્ષ લાગ્યાં છે – ૧૯૭૮ થી ૨૦૦૫. આપણે ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ અને ‘મૂડીઝ’ના રેટિંગ પ્રમાણે પહેલું પગથિયું ચડ્યા છીએ. આગળ જતાં આ બધા ફેરફારો ભારતને ચોક્કસ લાભ કરાવશે. ચીનમાં પણ શરૂઆતના વર્ષમાં ૫૬ ટકા ટેરિફ રેટ હતો. ધીમે ધીમે ૨૦૦૫ સુધીમાં તેનો ટેરિફ રેટ ૯.૯ ટકા સુધી નીચે આવી ગયો. એમ ભારતમાં પણ અત્યારે જે જી.એસ.ટી. બધાને આકરો લાગે છે તે જ પછીથી આપણા દેશવાસીઓને ફાયદાકારક સાબિત થશે, એવું ચીનની હાલની પરિસ્થિતિ જોતા લાગે છે.

ચીનની બીજી વિશેષતા એ છે કે પોતાની આર્થિક સ્થિતિને સુધારવા તે દુનિયાથી પ્રતિકૂળ વિચારસરણી ધરાવવા છતાં પરિસ્થિતિને સુધારવા માટે ખૂબ અનુકૂળ બની ગયું. એક સામ્યવાદી રાજ્ય પોતાના કાયદાઓમાં કોઈ ફેરફાર ન કરે, પણ જ્યારે ચીનને ૧૫ વર્ષના પરિશ્રમ પછી ડબલ્યુ.ટી.ઓ.માં સ્થાન મળ્યું, ત્યારે પોતાના દેશના વ્યાપારના નિયમો ડબલ્યુ.ટી.ઓ. પ્રમાણે બદલાવ્યા. ચીનના આવા બદલાવ અને તેના સતત આગળ વધતા વિકાસ ને કારણે એક સમયે દુનિયામાં ચીન માટેનો ભય ઉત્પન્ન થયો. ખાસ કરીને અમેરિકાને લાગ્યું કે હવે ચીન તેનાથી પણ આગળ નીકળી જશે. ત્યારે ચીને પોતાના કોઈ પણ કાર્યમાં ફેરફાર કર્યા વગર અમેરિકાનો વિશ્વાસ જીતવા માટે નરમાશભર્યું વર્તન દાખવ્યું. આમ, ચીને પોતે અમેરિકાને public diplomacy દ્વારા સાંત્વના આપી કે એને દુનિયાના વડા દેશ બનવાની કોઈ ઇચ્છા નથી. બસ, પોતાના દેશની પ્રજાને સારી જિંદગી આપવાની ઇચ્છાથી એ આર્થિક રીતે સધ્ધર થવા માંગે છે.

આજે ભારતદેશમાં પણ વસ્તી ઘણી છે અને ભારતના વિકાસથી ચીનની ચિંતા વધી છે. તો આ સમયે ભારતના નેતાઓએ ચીનને સાંત્વના આપવી જોઈએ કે આપણે એમના લોકોની રોજગારી એમની પાસેથી છીનવી લેવા માંગતા નથી. ભારતે પણ પબ્લિક ડિપ્લોમસી દ્વારા ચીનને સાંત્વના આપવાની જરૂરત જણાય છે. અમે ભારતના વિકાસ અને લોકો તંદુરસ્ત જીવન જીવી શકે, એના માટે પર્યાવરણના સુધાર અને સ્વચ્છ જીવન માટે અમારી આર્થિક સ્થિતિને થોડીક સુધારવા માંગીએ છીએ. એ જો ભારત સ્પષ્ટતા કરી દે તો ચીનને શાંતિ થાય અને બોર્ડર ઉપર પોતાના સૈનિકોને હંમેશાં તૈનાત રાખે છે, એમાં પણ થોડી હળવાશ આવી શકે.

ચીનનો વિકાસ નિકાસ પર આધારિત હતો અને જેમજેમ પરિસ્થિતિ બદલાતી ગઈ તેમતેમ ચીનની નીતિ એ જ રહી પણ સ્વભાવને અનુકુળ રાખીને આગળ વધતું રહ્યું. આ પ્રકારના ચીનના અનુકૂળ સ્વભાવના કારણે આજે ચીન દુનિયામાં સધ્ધર અને એક વિકસિત દેશની હરોળમાં પહોંચી ચૂક્યું છે. આમ, અનુકૂળ વલણ અને ‘આયાતઅવેજી નીતિ’ ભારતને આગળ વધારવા માટે ચોકકસ મદદરૂપ થઇ શકે છે, પરંતુ ભારતને આ નીતિને અપનાવવા માટે અમુક પડકારોને પહોંચી વળવું આવશ્યક છે. જેમ કે, ચીન પહેલેથી જ દુનિયાની બજારમાં પોતાનો માલ સસ્તા ભાવે વેચે છે, તો ભારતીય વેપારીઓએ કઈ વસ્તુની દુનિયામાં માંગ છે, જે ભારત ઉત્પાદન કરી શકે છે અને ચીન જેનો વ્યાપાર નથી કરતું, એવી વસ્તુઓની નિકાસ દ્વારા ભારત પોતાનું સ્થાન દુનિયામાં બનાવી શકે છે.

ભારત સામે બીજો પડકાર એ છે કે ચીનને દ્વિપક્ષીય સંબંધોની તક મળી હતી, કારણ કે ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પણ દ્વિધ્રુવીય હતી. અત્યારની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બહુધ્રુવીય છે, જેથી ભારતને બહુપક્ષીય સંસ્થાઓ દ્વારા પોતાનાં વિવિધ પરિબળોને મજબૂત બનાવવા પડે છે. આમ, ભારતે આર્થિક તથા રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને અનુકૂળ સ્વભાવથી ‘આયાતઅવેજી નીતિ’ ઘડવી આવશ્યક લાગે છે.

E-mail : vyapalak112@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 12-13

Loading

...102030...3,2013,2023,2033,204...3,2103,2203,230...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved