Opinion Magazine
Number of visits: 9583482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ્યસભામાં આ શું ચાલી રહ્યું છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 January 2018

આજકાલ રાજ્યસભા વિવિધ કારણોસર ચર્ચામાં છે. ભા.જ.પ.નું બહુ પ્રિય તીનતલાક બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું નથી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રાજ્યસભાની વિશેષાધિકાર ભંગની નોટિસ મળવામાં છે, નીતિશ કુમાર વિરોધી શરદ યાદવ અને અલી અનવરની રાજ્યસભા સદસ્યતા અધ્યક્ષે રદ કરી છે, બ.સ.પા.ના માયાવતી, તૃણમૂલ કોંગ્રેસના મુકુલ રોય અને જનતા દળ(યુ)ના વિરેન્દ્રકુમારે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામા આપ્યાં છે, આમ આદમી પાર્ટીની રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીની સર્વત્ર ટીકા થઈ છે,  સંસદના શિયાળુ સત્રમાં લોકસભાના મુકાબલે રાજ્યસભામાં વધુ હોબાળો અને ઓછું કામ થયું છે.

કાઉન્સિલ ઓફ સ્ટેટ્સની રાજ્યસભા તરીકેની ઘોષણા ૨૩મી ઓગસ્ટ ૧૯૫૪માં થઈ હતી. આઝાદી બાદ તેની પ્રથમ બેઠક ૧૯૫૨માં મળી હતી. જો કે તેનો આરંભ તો અંગ્રજ શાસનકાળમાં, ૧૯૧૮માં, થયો હતો. સંસદના ઉપલા ગૃહ કે વડીલોના ગૃહ તરીકે જાણીતી રાજ્યસભાનું ભારતની લોકશાહીમાં અનેરું સ્થાન અને મહત્ત્વ છે. રાજ્યસભા સંસદનું કાયમી ગૃહ છે. તેનું કદી વિસર્જન થતું નથી. તેના સભ્યોની મુદત છ વરસની હોય છે અને દર બે વરસે ૧/૩ સભ્યો નિવૃત્ત થાય છે. ચૂંટાયેલી લોકસભા કરતાં તેની રચના અને ચૂંટણી પ્રણાલી ભિન્ન છે. આ વડીલગૃહના સભ્ય થવા માટે ત્રીસ વરસની ઉમર નિર્ધારિત કરી છે, જે લોકસભાના સભ્યની પચીસ વરસની ઉમર મર્યાદા કરતાં પાંચ વરસ વધારે છે. બંધારણના અનુચ્છેદ ૮૦માં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા ૨૫૦ ઠરાવી છે.

રાજ્યસભા એના નામ પ્રમાણે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં રાજ્યસભામાં બેઠકો ફાળવવામાં આવી છે એટલે રાજ્યના ધારાસભ્યો અને લોકસભા સભ્યો પોતાના રાજ્યના રાજ્યસભા સભ્યની ચૂંટણી કરે છે.રાજ્યસભાની રચનાની એક વિશિષ્ટતા એ છે કે તેમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજસેવાના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર, વ્યવહારિક અનુભવ અને વિશેષ જ્ઞાન ધરાવનાર બાર સભ્યોની રાષ્ટ્રપ્રમુખ નિયુક્તિ કરે છે. ચૂંટણીના રાજકારણથી અળગા રહેનારા આવા વિશિષ્ટ મહાનુભાવોનો આપણી સંસદીય ચર્ચાને લાભ મળે તેવો આશય આ નિયુક્ત પાછળ રહેલો છે. નિયુક્ત સભ્યોની વિશિષ્ટ જોગવાઈ ધરાવતી રાજ્યસભામાં અનુસૂચિત જાતિ-જનજાતિ માટે કોઈ બેઠકો અનામત રાખવાની જોગવાઈ નથી !

બહુ સામાન્ય વેતન ધરાવતું રાજ્યસભાનું સભ્યપદ મેળવવા મોટા ઉધ્યોગગૃહો અને અખબાર સમૂહોના માલિકો તથા પૂંજીપતિઓ કેમ આટલા આતુર અને પ્રયત્નશીલ હોય છે તે સામાન્ય માણસને કદી સમજાતું નથી. કાકા કાલેલકર અને મામા વરેરકર જેના સભ્યો હતા તે રાજ્યસભામાં, આજે ભાગેડૂ એવા, લીકર કિંગ વિજ્ય માલ્યા પણ વિરાજતા હતા.

રાજ્યસભા કેટલીક વિશેષતાઓ અને મર્યાદાઓ ધરાવે છે. નાણા ખરડો રદ્દ કરવાની કે સરકાર બનાવવા-ઉથલાવવાની તેને સત્તા નથી. ચૂંટાયેલી સરકારની પહેલી જવાબદેહી લોકસભા પ્રત્યે હોય છે. જો કે રાષ્ટ્રહિતમાં આવશ્યક એવા રાજ્ય યાદીના વિષય પર રાજ્યસભાને એક વરસ માટે અમલી રહે તેવા સંકલ્પ પસાર કરવાની અને અન્ય કેટલીક વિશેષ સત્તાઓ મળેલી છે. લોકસભામાં પસાર થયેલા વિધેયકોની પુન:સમીક્ષા કે અવલોકન-પરીક્ષણ કરવાની જવાબદારી અને સત્તા રાજ્યસભાને શિરે રહેલી છે. પરંતુ છેલ્લા ઘણાં વરસોથી એવું અનુભવાયું છે કે લોકસભામાં બહુમતી ધરાવતી સરકારોના વિધેયકો રાજ્યસભામાં તેની બહુમતી ન હોવાથી લટકાવી રાખવામાં આવે છે. બંધારણ સુધારા માટે સરકારે રાજ્યસભામાં વિપક્ષો પર આધાર રાખવો પડે છે કે સંયુક્ત સત્રનો અપવાદરૂપે વાપરવાનો વિકલ્પ પસંદ કરવો પડે છે. એ રીતે રાજ્યસભા લોકસભાએ પસાર કરેલા વિધેયકોની બારીક તપાસ કરતું બીજું સદન બનવાને બદલે સરકારી કામગીરીમાં વિલંબ અને અવરોધ સર્જતું બળ બની ગયુ છે તેવી સત્તા પક્ષની રાવ છે.

તાજેતરમાં કોંગ્રેસના ૫૭ અને ભા.જ.પ.ના ૫૮ સભ્યોની સંખ્યા રાજ્યસભામાં થતાં કોંગ્રેસનું રાજ્યસભા પરનું દાયકાઓ જૂનું વર્ચસ સમાપ્ત થયું છે. પરંતુ હજુ ય વર્તમાન સરકાર રાજ્યસભામાં બહુમતી ધરાવતી નથી. રાજ્યસભામાં બહુમતીના અભાવે શાસક પક્ષ ઈચ્છિત કાયદા પસાર કરાવી શકતો નથી. ઘણીવાર તેને વિપક્ષના સુધારા માન્ય રાખવા પડે છે. સંસદના છેલ્લા સત્રોમાં જ રાજ્યસભાએ પછાત વર્ગોના પંચને બંધારણીય દરજ્જો આપતા બિલમાં સુધારા કરાવ્યા હતા તો તીન તલાકનું બિલ સરકાર ઈચ્છતી હતી તે ઝડપે અને તે સ્વરૂપે પસાર થવા દીધું નથી. તો આધાર સંબંધી વિધેયકોને સરકારે નાણા ખરડારૂપે રજૂ કર્યા હતા.

રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિયુક્ત સભ્યો અંગેનો બંધારણીય ઉદ્દેશ અને આ સભ્યોની ભૂમિકા પણ ચર્ચાસ્પદ રહ્યાં છે. રાજ્યસભામાં સમાજવાદી પક્ષના સાંસદ નરેશ અગ્રવાલે નિયુક્ત સભ્યો સચિન તેંડુલકર અને રેખાની સતત ગેરહાજરીનો મુદ્દો ઉઠાવી તેમનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી. રાજ્યસભાના છેલ્લા સત્રમાં સચિન તેંડુલકરને વિપક્ષે તેમનું પહેલું ભાષણ કરવા ન દીધા એવા સમાચારો માધ્યમોમાં છવાયેલા રહ્યા પણ ૨૦૧૨થી નિયુક્ત આ સભ્યશ્રી એમનો છ વરસનો કાર્યકાળ પૂરો થયો ત્યાં સુધી સાવ મૂંગામંતર રહ્યા છે તે વાત સગવડપૂર્વક ભૂલાવી દેવાઈ છે. જો આવી સ્થિતિ હોય તો નિયુક્ત સભ્યની જોગવાઈનો આશય ફળીભૂત થતો નથી અને આ સભ્યપદમાત્ર શોભારૂપ જ બની રહે છે.

૧૯૫૨થી આજ દિન સુધી રાજ્ય સભામાં જે ૧૩૩ સભ્યો નિયુક્ત થયા છે તેની નામાવલી પર નજર કરતાં ગૌરવ થાય છે પણ તેમની કામગીરી વિશે વિચારતાં ખિન્ન થઈ જવાય છે. બંધારણીય જોગવાઈ મુજબ નિયુક્તિના છ માસ પૂર્વે કોઈ નિયુક્ત સભ્ય રાજકીય પક્ષનો સભ્ય હોય તો તેનું રાજકીય પક્ષનું સભ્ય હોવું  માન્ય રખાય છે. કુલ ૧૩૩ સભ્યોમાં  ૧૧ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના, ૪ કોંગ્રેસ(આઈ)ના, ૩ અન્ય રાજકીય પક્ષોના અને ૬ સભ્યો ભારતીય જનતા પક્ષના છે. હાલના ૧૨ નિયુક્ત સભ્યોમાં ૪ સભ્યો બાકાયદા બી.જે.પી.ના છે. નિયુક્ત સભ્યોમાં કોંગ્રેસની દીર્ઘ રાજવટ છતાં ૧૫ સભ્ય અને ભા.જ.પ.નો અલ્પ શાસનકાળ છતાં ૬ સભ્યોનું હોવું ચિંતા કરાવે તેવી બાબત છે. તમામ ૧૩૩ નિયુક્ત સભ્યોમાં ૨૫ સભ્યોને તો એક કરતાં વધુ ટર્મ મળી છે. તે પૈકીના એક જેરામદાસ દૌલતરામને તો લાગલગાટ ત્રણ ટર્મ માટે નિયુક્ત થવાનું બહુમાન મળ્યું હતું ! આટલા વિશાળ અને પ્રતિભાવાન દેશમાં ૨૫ વ્યક્તિઓની નિયુક્તિ જો એક કરતાં વધુ ટર્મ માટે થઈ હોય તો તે પ્રતિભાની ખોટ હશે કે પછી આ પદનો પણ ધરાર રાજકીય ઉપયોગ જ કે બીજું  કંઈ ?

રાજ્યસભાનું સભ્યપદ આમે ય લોકસભા ચૂંટણી હારેલા રાજકીય નેતાઓની ખુરશી ટકાવી રાખવાનું માધ્યમ બની ગયું છે. નરેન્દ્ર મોદી મંત્રી મંડળના અડધોઅડધ મંત્રીઓ રાજ્યસભાના સભ્યો છે. પરંતુ અગાઉ કોંગ્રેસે મણિશંકર ઐયરને કે હાલમાં બી.જે.પી.એ સુબ્રમણ્યમ સ્વામીને રાજ્યસભાના સભ્ય પદે નિયુક્ત કરીને તો તમામ હદ વટાવી દીધી છે.

રાજ્યસભા તેના ઉદ્દેશ, ગરિમા અને ઉપયોગિતા ગુમાવી બેસે તે પહેલાં ચેતવા જેવું છે. જો કે આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભા સભ્યો તરીકે કરેલી પસંદગી પછી ઝાઝી આશા બચતી નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગુજરાતનો ૨૦૧૭નો જનાદેશ

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|23 January 2018

ચૌદમી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ૨૨ વરસની રાજવટ પછી ભલે સાંકડી બહુમતીથી પણ ભારતીય જનતા પક્ષનું  પુન: સત્તામાં આવવું અસામાન્ય બાબત છે. પૂર્વેની તમામ બેઠકો કરતાં બી.જે.પી.ને આ વખતે સૌથી ઓછી બેઠકો મળી છે. છતાં તેની સત્તા ટકી છે તે કોઈ નાનીસૂની વાત નથી. ભા.જ.પ.ને ૯૯, કોંગ્રેસને ૭૭ બેઠકો મળી એ હિસાબે કોંગ્રેસે સારી લડત આપી અને એક સન્માનજનક હાર મેળવી છે.

જ્યાં સુધી બી.જે.પી.ને મળેલા મતની ટકાવારીનો સવાલ છે, ૪૯.૧ ટકા મત મળ્યા છે. પરંતુ તે મતો બેઠકોમાં પરિવર્તિત થઈ શક્યા નથી. બી.જે.પી.ને ૧.૪૭ કરોડ અને કોંગ્રેસને ૧.૨૪ કરોડ મતદારોનું સમર્થન છે.તે જોતાં માંડ ૨૩ લાખ મતદારોના ઓછા સમર્થનથી કોંગ્રેસ સત્તાવિહોણી રહી છે.

આ ચૂંટણી પરિણામો સત્તા પક્ષ અને વિપક્ષ બેઉને લોકો તરફથી મળેલો એક એવો આદેશ છે જેની અવગણના કરવી પાલવે તેમ નથી. મજબૂત અને મોટો વિપક્ષ હવે ગુજરાતને મળ્યો છે, જે સત્તાની સાવ નજીક બહુ થોડી બેઠકો માટે રહી ગયો. માત્ર સત્તાવિરોધી જ નહીં, બી.જે.પી.વિરોધી અને ખાસ તો વડાપ્રધાનવિરોધી ઠીકઠીક વાતાવરણ પછીનું આ પરિણામ છે. જે કોંગ્રેસને આગામી લોકસભા ચૂંટણી માટે પોરસ ચઢાવે છે તો ભા.જ.પ.ને ચેતવે છે.

રાજ્યની નબળી નેતાગીરી તે ભા.જ.પ. કોંગ્રેસ બંનેનો મોટો સવાલ હતો. કોંગ્રેસના ચાર વરિષ્ઠ નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ અને ડો. તુષાર ચૌધરી ચૂંટણી હારી ગયા છે. આ બાબત દર્શાવે છે કે કેવા જનાધારવિહોણા નેતાઓ કોંગ્રેસના પલ્લે પડ્યા છે. જે પોતાની જ બેઠકો જીતી શકતા નથી તે ગુજરાતના નાથ બનવાના સપનાં જોતા હતા. રાહુલ ગાંધીએ નરમ હિંદુત્વનો માર્ગ લીધો,  સતત અને લાંબો પ્રચાર કર્યો, તે પ્રદેશની યોગ્ય નેતાગીરીના અભાવે સત્તા મેળવી આપનારો ન નીવડ્યો. સામે પક્ષે વડાપ્રધાન અને બી.જે.પી. પ્રમુખે પણ ગુજરાતની નબળી બી.જે.પી. નેતાગીરી છતાં સતામાં વાપસી કરવામાં સફળતા મેળવી છે.

આ ચૂંટણી પરિણામોમાં નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન પછીના ગુજરાતના લોક આંદોલનોનો પણ ફાળો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવું પસંદ કર્યું તો જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસનું સમર્થન કર્યું અને સમર્થન મેળવ્યું. હવે તે બંને વિધાનસભાના સભ્યો બન્યા છે અને તે સત્તા પક્ષના વિરોધમાં છે. ત્યારે તેમની વિધાનસભાની અંદરની અને બહારની કામગીરી જોવી રસપ્રદ બનશે. જ્યાં સુધી દલિતોનો સવાલ છે, આ ચૂંટણી પરિણામોમાં દલિતો બી.જે.પી.થી સાવ વિમુખ થઈ ગયા છે, તેમ માત્ર અનામત બેઠકોના પરિણામો પરથી માની શકાતું નથી. એક અપક્ષ સાથે કોંગ્રેસે ૧૩માંથી ૬ બેઠકો મેળવી છે તો બી.જે.પી.ને ૭ બેઠકો મળી છે. હા, ૨૦૧૨ થી ૨૦૧૫ના સમયગાળાની વિધાનસભામાં જે ચાર દલિત નેતાઓ (રમણલાલ વોરા, આત્મારામ પરમાર, પૂનમભાઈ મકવાણા અને જેઠાભાઈ સોલંકી) પ્રધાનમંડળનો ભાગ હતા તે પૈકીના બેની હાર થઈ છે તો બેને પક્ષે ટિકિટ આપી નથી. એ રીતે જોતાં ભા.જ.પ.માં નવી દલિત લીડરશીપ ઉભરવાની તક છે.

ચૂંટણીઓ કોઈ મુદ્દાઓ પર લડાતી કે જીતાતી નથી. ભારતીય સમાજ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા જેવી જ્ઞાતિ જ કેન્દ્રમાં હોય છે. આ ચૂંટણીઓએ ગુજરાતના રાજકારણમાંથી પાટીદારોના પ્રભુત્વને કાયમ રાખ્યું છે. તેણે બંને મુખ્ય પક્ષોને પોતાના ઓશિયાળા રાખ્યા છે. બી.જે.પી. અને પાટીદારોનો દબદબો ગુજરાતના રાજકારણમાંથી સહેલાઈથી ભૂંસી શકાશે નહીં તે આ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર ઘૂંટી આપ્યું છે. ગુજરાતના ૨૦૧૭ના જનાદેશનો આ બહુ મોટો બોધપાઠ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કિંથુપ : નૈન સિંઘનું અધૂરું કામ પૂરું કરનારો દરજી

વિશાલ શાહ|Opinion - Opinion|23 January 2018

નૈન સિંઘ રાવતે ૧૫૦ વર્ષ પહેલાં, નેપાળ અને તિબેટમાં આવેલા હિમાલયની પર્વતમાળાઓમાં એકલપંડે પ્રવાસ કરીને સાંગપોનો નકશો તૈયાર કર્યો હતો. એ માટે તેમણે ૧૮૬૫માં કાઠમંડુથી લ્હાસા અને ૧૮૭૩માં લેહથી લ્હાસા સુધી આશરે પાંચેક વર્ષ ૩,૫૦૦ કિલોમીટર પહાડી જંગલોમાં રઝળપાટ કરી હતી.

હવે આગળ વાત.

નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે, લ્હાસાની પૂર્વે ચેતાંગ નામના પ્રદેશમાં ચીની સૈનિકોએ તેમને અટકાવી દીધા હતા. જો કે, ચીની સૈનિકોએ નૈન સિંઘને પકડી ના લીધા, પરંતુ તિબેટની વિરુદ્ધ દક્ષિણ દિશા (ભારત) તરફ જવાની ફરજ પાડી. છેવટે નૈન સિંઘે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની સરહદેથી ભારત પાછા આવવું પડ્યું. ભારત પાછા આવીને તેમણે બ્રિટિશરોને સાંગપો નદીની ઘણી બધી માહિતી તો આપી, પરંતુ લ્હાસામાં વહેતાં સાંગપોનાં વહેણ વિશે તેમની પાસે કોઈ માહિતી ન હતી. લ્હાસામાં વહેતી 'લ્હાસા' નામની નદી સાંગપોની જ ઉપ નદી છે એ વાત આજે તો ઉપગ્રહોની મદદથી સાબિત થઈ ગઈ છે, પરંતુ એ જમાનામાં નૈન સિંઘ જેવા જ બીજા અનેક સાહસિકોએ સાંગપો વિશે આવી નાની-નાની માહિતી ભેગી કરવા જોખમી પ્રવાસ ખેડવા પડ્યા હતા.

નૈન સિંઘનું અધૂરું કામ શરૂ કરનારા સાહસિકો

નૈન સિંઘ ભારત પાછા આવ્યાના બીજાં જ વર્ષે, ૧૮૭૪માં, સર્વે ઓફ ઇન્ડિયાએ આસામ ડિવિઝનનું કામ લેફ્ટનન્ટ હેનરી હરમાન નામના બ્રિટિશરને સોંપાયું. લેફ્ટનન્ટ હરમાન ભૌગોલિક બાબતોના જાણકાર, સાહસિક, ખડતલ અને ઉત્સાહી લશ્કરી અધિકારી હતા. તેમણે પૂર્વ ભારતની અનેક નદીઓનાં જુદાં જુદાં વહેણની માપણી કરી હતી. સિઆંગ નદીનો પ્રવાહ જોઈને તેમને શંકા ગઈ હતી કે, સિઆંગ નદી જ સાંગપો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ શંકાનો કીડો શાંત કરવા લેફ્ટનન્ટ હરમાને ૧૮૭૮માં નેમ સિંઘ નામનો એક યુવક તૈયાર કર્યો. નેમ સિંઘના મદદનીશ તરીકે તેમણે દાર્જિલિંગના કિંથુપ નામના બીજા એક યુવકની પણ ભરતી કરી. આ બંનેને તેમણે સિઆંગ કિનારે કિનારે ચાલીને તેનો રૂટ તૈયાર કરવાનું કામ સોંપ્યું.

કિંથુપ

નેન સિંઘ અને કિંથુપ સાંગપોની દિશામાં તિબેટના ચેતાંગ નજીક પહોંચ્યા અને ચીનના સૈનિકોની નજરથી બચીને શક્ય એટલી માહિતી ભેગી કરી. તેઓ ગ્યાલા પેરી અને નામચા બારવા પર્વતથી પણ દૂરસુદુરના વિસ્તારોમાં પહોંચી શક્યા હતા. નેન સિંઘ અને કિંથુપ પાછા આવ્યા ત્યારે તેમની પાસે સાંગપોના વધુ ૪૬૦ કિલોમીટરના રૂટની માહિતી હતી. આશરે ૧૩૯ વર્ષ પહેલાં આ બહુ જ મોટી સિદ્ધિ હતી. એ વખતે હિમાલયમાં રઝળપાટ કરનારા લોકો પાસે સર્વાઇવ થવા અત્યારના જેવા હાઇટેક ઇક્વિપમેન્ટ ન હતા.

લેફ. હરમાનને સાંગપોની માહિતીથી સંતોષ નહોતો

નેન સિંગ અને કિંથુપે સાંગપોની ૪૬૦ કિલોમીટરની માહિતીથી લેફ્ટનન્ટ હેનરી હરમાન ખુશ તો થયા, પરંતુ તેમને હજુયે સંતોષ ન હતો. સર્વે ઓફ ઇન્ડિયાએ ૧૮૮૦માં તેમને દાર્જિલિંગમાં નિયુક્ત કર્યા હતા. દાર્જિલિંગમાં પણ સાંગપોના બાકી કેટલાક રૂટનો નકશો તૈયાર કરવાની તેમની મથામણ ચાલુ જ હતી. આ કામ પૂરું કરવા લેફ્ટનન્ટ હરમાને ફરી એક વાર કિંથુપને તૈયાર કર્યો. કિંથુપ દાર્જિલિંગમાં દરજી કામ કરીને ગુજરાન ચલાવતો. એ ધંધામાં તેને ખાસ કોઈ ઉપજ ન હતી એટલે પૈસાની લાલચે લેફ્ટનન્ટ હરમાનનું કામ કરવા તૈયાર થઈ ગયો. કિંથુપ તાલીમ પામેલો એક્સપ્લોરર ન હતો, પરંતુ સાહસિક અને સમજદાર જરૂર હતો.

હિમાલયમાં કૈલાશ પર્વત નજીકથી શરૂ થતો બ્રહ્મપુત્રનો પ્રવાસ

જો કે, કિંથુપ નિરક્ષર હોવાથી લેફ્ટનન્ટ હરમાને તેની સાથે પ્રવાસ કરવા એક ચાઈનીઝ લામાને પણ તૈયાર કર્યા. આ બંને ૨૬ કિલોમીટરનો અત્યંત અઘરો પ્રવાસ કરીને તિબેટની મેડોંગ કાઉન્ટીમાં આવેલા પેમાકોચુંગ નામના ગામ સુધી પહોંચ્યા હતા. આ ગામથી થોડેક જ દૂર સાંગપો ૧૫૦ ફૂટ ખાઈમાં પડે છે અને આગળ જઈને સિઆંગ નદીનું સર્જન કરે છે, પરંતુ કિંથુપ કે ચાઈનીઝ લામા એ વાતથી અજાણ હતા.

આ પ્રવાસ સારી રીતે શરૂ થયો હતો, પરંતુ એક બૌદ્ધ મઠમાં ઉતારો કર્યો ત્યારે ચાઈનીઝ લામા કિંથુપને ગુલામ તરીકે વેચીને ગાયબ થઈ ગયા. કિંથુપ બે વર્ષ પછી ત્યાંથી છૂટ્યો અને ૫૬ કિલોમીટર દૂર મેડોંગ કાઉન્ટીમાં આવેલા મારપુંગ સુધી ભાગવામાં સફળ રહ્યો.

કિંથુપ વિપરિત સંજોગોમાં પણ લક્ષ્ય ના ભૂલ્યો

બૌદ્ધ મઠથી ૫૬ કિલોમીટર દૂર સુધી ભાગવામાં સફળ થયા પછીયે કિંથુપ બીજા કેટલાક ચાઈનીઝ લામાના હાથે ઝડપાઈ ગયો. એ વખતે કિંથુપે બૌદ્ધ ધર્મસ્થળોની જાત્રા કરવાનું બહાનું બતાવી માથાભારે લામાઓથી પીછો છોડાવ્યો. ત્યાર પછી તે સાંગપો નદી ઓળંગીને ભારત તરફના કિનારે આવી ગયો. તિબેટમાં ભારે મુશ્કેલીઓ પડ્યા પછી કિંથુપની સાંગપો નદી વિશે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ વધુ ગાઢ થઈ ગઈ હતી. કિંથુપ ગમે તે ભોગે સાંગપોનો રૂટ જાણવા માંગતો હતો. આ વાત સાબિત કરવા તેણે એક દેશી પદ્ધતિ અજમાવી.

ભારત તરફના કિનારે રખડપટ્ટી કરીને કિંથુપે લાકડાના ૫૦૦ મોટા ટુકડા તૈયાર કર્યા. એ તમામ પર ખાસ પ્રકારના પ્રતીકો ચીતર્યા અને રોજ થોડા ટુકડા સાંગપોના વહેણમાં તરતા મૂકી દીધા. કિંથુપ અભણ હતો, પરંતુ એટલું જાણતો હતો કે આસામના અફાટ મેદાની પ્રદેશમાં વહેતી બ્રહ્મપુત્રમાં આ લાકડાના ટુકડાના જોવા મળે તો સમજવું કે સાંગપો, સિઆંગ અને બ્રહ્મપુત્ર એક જ નદી છે. આ કામ પૂરું કરીને કિંથુપ સાંગપોના રસ્તે ૬૪ કિલોમીટર ચાલીને ભારતમાં પ્રવેશ્યો. હિમાલયની કોઈ ટેકરી પરથી તેણે આસામના મેદાની પ્રદેશમાં પથરાતી બ્રહ્મપુત્રના ધસમસતા વહેણને જોયું ત્યારે તેને અંદાજ આવી ગયો કે, આસામ ખીણમાં વહેતી બ્રહ્મપુત્ર જ સિઆંગ કે સાંગપો છે.

જો કે, ચાર વર્ષની રઝળપાટ પછી, ૧૮૮૪માં, કિંથુપ દાર્જિલિંગ પરત ફર્યો ત્યારે તેણે સાંગપોમાં નાંખેલા લાકડાના ટુકડાની રાહ જોવાવાળું કોઈ ન હતું. તેણે દાર્જિલિંગ પહોંચીને લેફ્ટનન્ટ હેનરી હરમાનને પત્ર લખ્યો, પરંતુ તેઓ ભારત છોડીને જતા રહ્યા હતા. કિંથુપે સાબિત કરી દીધું હતું કે, સાંગપો એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ તેની વાત પર કોઈને વિશ્વાસ ન હતો.

છેવટે છેક ૧૯૧૩માં કિંથુપને યશ મળ્યો

બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા કિંથુપે કરેલી સાહસયાત્રા તો સમય જતા ભૂલાઈ ગઈ કારણ કે, તે બ્રિટનનો કોઈ લશ્કરી અધિકારી કે વિજ્ઞાની નહોતો પણ દાર્જિલિંગના એક નાનકડા ગામનો દરજી હતો. કિંથુપ તિબેટનો પ્રવાસ ખેડીને પાછો આવ્યો તેના ત્રણ દાયકા પછી, ૧૯૧૩માં, બ્રિટિશ લશ્કરી અધિકારી ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં વણખેડાયેલા પ્રદેશોમાં જઈને સાંગપોનો વધુ એક વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલો પરથી સાબિત થયું કે, કિંથુપે આપેલી માહિતી સચોટ છે.

આ બે પુસ્તકમાં કિંથુપના પ્રવાસનું ઊંડું અને રસપ્રદ વર્ણન છે

લે. ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એચ.ટી. મોર્શિદ

અંગ્રેજી ભાષામાં હિમાલય એક્સપ્લોરેશનને લગતા સંખ્યાબંધ પુસ્તકો લખાયા છે, જેમાં બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા ખેડાયેલા સાહસ પ્રવાસોની વાત છેડાય ત્યારે નૈન સિંઘ રાવતની સાથે કિંથુપને પણ યાદ કરવામાં આવે છે. કિંથુપે આપેલી માહિતી સાચી છે એ વાત ફ્રેડરિક માર્શમેન બેઇલીએ સાબિત કરી હતી. સદ્દભાગ્યે, એ વખતે કિંથુપ જીવિત હતો અને બેઇલીએ દબાણ કર્યા પછી સર્વે ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ કિંથુપને સિમલા આમંત્રિત કરીને તેનું જાહેર સન્માન પણ કર્યું હતું. બેઇલીએ તો કિંથુપને જીવે ત્યાં સુધી પેન્શન આપવાની પણ ભારત સરકારને ભલામણ કરી હતી, પરંતુ કિંથુપ કુલ નેવું વર્ષ જીવે એવું વિચારીને સરકારે કિંથુપને એક જ વાર મોટી રકમનું ઇનામ આપવાનું મુનાસીબ સમજ્યું હતું.

કિંથુપ માન-મરતબો અને પુરસ્કારો લઈને દાર્જિલિંગ પાછો આવ્યો, તેના થોડા જ દિવસોમાં બેઈલીને  કિંથુપના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

અરુણાચલની વિખ્યાત 'બેઇલી ટ્રેઇલ'ની શોધ

કિંથુપની વાત કરીએ ત્યારે ફ્રેડરિક માર્શમેન બેઇલીની પણ વિગતે વાત કરવી જરૂરી છે. બ્રિટિશ રાજ વખતે અંગ્રેજ અધિકારીઓ અરુણાચલ પ્રદેશ, આસામ અને તિબેટના સરહદી પ્રદેશોનો નકશો તૈયાર સ્થાનિકોની મદદથી મથામણ કરતા હતા. એ વખતે અરુણાચલ પ્રદેશ 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી' (નેફા) તરીકે ઓળખાતું. આ પ્રકારના સર્વે વખતે વિવાદો થતાં બ્રિટિશ અધિકારી સર હેનરી મેકમોહને ૧૯૧૩માં સિમલામાં ભારત, ચીન અને તિબેટના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી. આ બેઠકમાં સર મેકમોહને એક કાચોપાકો નકશો રજૂ કરી નેફા અને તિબેટ વચ્ચે એક રેખા આંકી દીધી, જેને દુનિયા 'મેકમોહન લાઇન' તરીકે ઓળખે છે. ચીનના અધિકારીઓની હાજરીમાં ભારત અને તિબેટના અધિકારીઓએ આ સંધિ પર સહી કરી, પરંતુ ચીને તેનો સ્વીકાર કરવાની ના પાડી અને ત્યારથી આ સરહદી વિવાદ સતત સળગતો પ્રશ્ન છે.

બેઇલી અને મોર્શિદે ખેડેલા પ્રવાસનો રૂટ

આ તો જાણીતો ઇતિહાસ છે, પરંતુ એ પહેલાં થયું એવું કે બ્રિટિશ રાજને નેફા અને તિબેટની ભૌગોલિક માહિતી ભેગી કરીને નકશા તૈયાર કરવા હતા. આ કામ માટે તેમણે લેફ્ટનન્ટ કર્નલ ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એ.ટી. મોર્શિદની નિમણૂક કરી. મોર્શિદ તાલીમ પામેલા સર્વેયર પણ હતા. આ બંને બ્રિટિશ અધિકારી સાંગપો નદીની ખીણના કિનારે કિનારે તિબેટથી વાયા ભુતાન આગળ વધીને ભારત તરફ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશના તુલુંગ લા પાસ, પોશિંગ લા અને થેમ્બાંગ સહિતના અનેક દુર્લભ વિસ્તારોના સંપૂર્ણ નકશા તૈયાર કર્યા. આ માહિતીના આધારે સર હેનરી મેકમોહને તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે 'મેકમોહન લાઇન' ખેંચી હતી. લેફ્ટનન્ટ બેઇલીના નામ પરથી જ આ રૂટ 'બેઇલી ટ્રેઇલ' તરીકે ઓળખાય છે. ચીને ૧૯૬૨માં તિબેટથી આસામ તરફના આ રૂટ પરથી ઘૂસણખોરી કરીને ભારત સાથે યુદ્ધ છેડ્યું હતું.

ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં રખડપટ્ટી કરીને પશુ-પક્ષીઓ અને પતંગિયા વિશે પ્રચંડ માહિતી ભેગી કરી હતી. આજે ય લંડનના નેચલ હિસ્ટરી મ્યુિઝયમમાં બેઇલીએ ભેગા કરેલા બે હજાર નમૂના સચવાયેલા છે. ન્યૂયોર્કના અમેરિકન મ્યુિઝયમ ઓફ નેચરલ હિસ્ટરીમાં પણ બેઇલીના અંગત કલેક્શનનું કાયમી પ્રદર્શન કરાયેલું છે. બેઇલીએ તૈયાર કરેલા અહેવાલો, પેપર્સ અને અઢળક તસવીરોનું કલેક્શન બ્રિટિશ લાઇબ્રેરી પાસે છે.

***

આજે તો એરિયલ ફોટોગ્રાફી અને ઉપગ્રહોથી લીધેલી તસવીરોની મદદથી સાબિત થઈ ગયું છે કે, સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ એક સમયે તેનો નકશો તૈયાર કરવા આવી હીરોઇક એક્સપિડિશન્સ થઈ હતી અને એ પણ કોઈ જ પ્રકારના હાઇટેક સાધનોની મદદ વિના.

હિમાલયના વિવિધ વિસ્તારોના નકશા તૈયાર કરવા બ્રિટિશરોએ જબરો ઉત્સાહ દાખવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત છે કે, ૨૧મી સદીના ભારત પાસે આજે ય હિમાલયન ગાઢ જંગલો, પર્વતો, ઉપ નદીઓની વૈજ્ઞાનિક માહિતી નથી. આ પ્રદેશોની કુદરતી સંપત્તિનું દસ્તાવેજીકરણ હજુયે બાકી છે. સિઆંગ નદી ભારતમાં પ્રવેશીને બ્રહ્મપુત્ર બને છે એ ચોક્કસ સ્થળે પણ ૨૧મી સદીની શરૂઆત સુધી કોઈ પહોંચ્યું ન હતું, પરંતુ ૨૦૦૪માં એક ગુજરાતી સાહસિકે એ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી.

એ ગુજરાતી પ્રવાસીની વાત આવતા અંકે. 

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2018/01/blog-post_22.html

Loading

...102030...3,1873,1883,1893,190...3,2003,2103,220...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved