Opinion Magazine
Number of visits: 9686592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંધ્યા : સ્વપ્ન કે હકીકત

નવ્યાદર્શ|Opinion - Short Stories|27 March 2018

શહેરના મોટા રસ્તાઓ જ્યાં પૂરા થતા અને જ્યાંથી નાની નાની ગલીઓ શરૂ થતી, નદીઓ સાથે જ્યાં ગટરનાં નાળાંઓ મળતાં, ત્યાં એક બાળક રહેતો હતો. નામ એનું રોહન. જેમ કે, નામથી તો તે અમર હતો, બસ કામથી તે કોઈ પણ કામ કરી લેતો. ખબર નહિ તેનાં માતા-પિતાએ કયા શોખથી એ નામ રાખ્યું હશે, પણ તે છોટુ કરતાં તો વિશેષ જ હતો.

માતા-પિતા તેની ચિંતા કરે, આસ-પડોસના લોકો દેખાવ પૂરતી ચિંતા કરે, કે આ કરશે શું ?

અને ખરેખર હતો પણ તે તેવો જ અડગંબ-બગડંબ.

તેને ભણવામાં જરા ય રસ નહિ, રમવામાં પણ રસ નહિ, એકલહુડો.

તેને એકની જ ચિંતા પોતાના પાપી પેટની, ભૂખની.

પેટ માટે તે ગમે એ કામ કરતો.

શહેરના મોટા રસ્તાઓ પર થઈને, તે શહેર જતો. હોટલમાં ક્યારેક વેઈટર તરીકે કામ કરે તો ક્યારેક વાસણ સાફ કરવાનું. ક્યારેક ચા વેચવાનું તો ક્યારેક કપ-રકાબી ધોવાનું.

એને ક્યારે ય કોઈએ હસતો જોયો નહિ, હા, તે હસી લેતો, કોઈ સામે જોઈ હસે તો હસી લેતો, પણ તે હસવું માત્ર હસવું જ હતું, સામેના માણસને ખોટું ન લાગે, એટલે.

તે ભૂખ લાગે એટલે જમી લેતો, નિંદર આવે એટલે સૂઈ જતો, નિંદર ઊડે એટલે ઊઠી જતો.

રોહન તો રોહન હતો. તેને સ્વપ્નાંઓ આવતાં પણ તે માનતો કે સ્વપ્નાંઓ તો આવે, આંખ બંધ હોય એટલે. આંખ ખૂલે એટલે ઊડી જાય.

ફરી તે પોતાની ધૂનમાં લાગી જતો.

એના માટે કોઈ સુખ નહોતું અને કોઈ દુઃખની અનુભૂતિ નહોતી. એને જીવન શું છે એ સમજાતું જ નહિ, ભૂખ અને નિંદર સિવાય એના માટે કોઈ જિંદગી જ નહોતી. કોઈ સ્વપ્નો નહિ, કોઈ દુઃખ નહિ અને કોઈ સુખ પણ નહિ. બીજું બધું તો ઠીક પણ એને કોઈ પ્રશ્નો પણ નહોતા, ન પોતા વિશે, ન બીજા વિશે.

એક દિવસ સવારે તે પોતાની પથારીમાંથી ઊઠી, પોતાની ગલીઓને પસાર કરી મોટા રસ્તા પર આવ્યો.

તેણે જોયું કે, આજે કોઈ નવા રસ્તા પર જઈએ, એમ જ અમસ્તા. આજે તે પોતાની ભૂખથી પણ કંટાળી ગયો હતો. રોજ રોજ પેટનો ખાડો જ પૂરવાનો ?

એનાં શૂન્ય મને તેને કોઈ રાહ તો ન આપી પણ તે શહેરની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યો.

પાકા રસ્તાઓ પૂરા થયા, ખાડા-ખબડાવાળા મોટા રસ્તાઓ પણ પૂરા થયા, પગદંડીઓ પણ આખરે પૂરી થઈ.

સૂરજ પોતાના મીજાજમાં આવી તપતો હતો અને ભલભલાને પીગળાવતો હતો. તો આ નાના રોહનનું શું ગજું.

આખરે તે પણ થાક્યો. તેને પણ જોરથી તરસ લાગી, ખૂબ જ ભૂખ લાગી. એણે નજર દોડાવી, દૂર એને એક ખેતર દેખાયું અને લીલોતરી પણ.

રોહન તે તરફ ચાલ્યો અને પહોંચી ગયો.

એણે ખેતરના કુંડમાંથી પાણી પીધું અને તેને શાંતિ થઈ.

વૃક્ષો પર ચડી ચડી તેણે જે હાથમાં આવ્યું તે ખાઈ લીધું. વડનાં ટેટા, જામફળ અને બીજું ઘણું બધું. જે ભાવ્યું તે આરોગ્યું.

આખરે તે નીચે આવી, વૃક્ષની ઘટાદાર છાયામાં અને ઠંડા પવનમાં પોતાના હાથનું ઓશીકું બનાવી સૂઈ ગયો.

તેને પળવારમાં જ ઊંઘ આવી ગઈ, ઘસઘસાટ.

એ દિવસે તેને એક સપનું આવ્યું.

સ્વપ્નમાં તે એક નિર્જન ગુફામાં બેસી ગુફાઓના પથ્થરોને જોતો હતો અને તેમાં નીતનવાં ચિત્રોને દોરવાની કોશિશ કરતો હતો, પણ પથ્થર એવો હતો કે તેમાં કોઈ ચિત્ર જ નહોતું આવી શકતું.

તેમની બધી જ મહેનત વ્યર્થ.

આખરે તે બહાર આવે છે અને એમ જ એક પથ્થર પછી બીજો પથ્થર લઈ આમ તેમ ઉછાળવા લાગ્યો.

તેવામાં કોઈ એક દિશાએથી “ઓહ, આ પથ્થર કોણ મારે ?” અવાજ આવ્યો.

રોહન તે તરફ જોઈ જ રહ્યો.

તેની સામે એક સુંદર, શ્યામ પણ મોહક, આસમાની કલરનાં કપડાં પહેરેલી અને દર્દની પીડાથી મૂરઝાયેલી બાળા પ્રગટ થઈ.

રોહન તો તેને આભો બનીને જોઈ જ રહ્યો.

તે બાળાએ કહ્યું, “આમ ગાંડાની જેમ પથ્થર ફેંકાય ? કોઈને વાગી જાય તો, જો મને વાગ્યું !”

તેણે પોતાના હાથને બતાવ્યો. જેમાં લાલ ચકામાં થઈ ગયો હતો, તે તેણે જોયું.

રોહન શું બોલે ?

“તમે અહીં ક્યાંથી ? હું તો આ જંગલમાં એકલો જ હતો …. ”

એણે કહ્યું. “પાગલ, જંગલ તો જંગલ છે, તેમાં કોઈ એકલું હોતું હશે !”

તે ખૂબ જ નજીક આવી, તેણે રોહનનો હાથ થામ્યો અને આંખો બંધ કરી.

રોહનને સ્પર્શનો અહેસાસ થયો. તે જાણે સજીવન થયો હોય તેમ તેને લાગ્યું. તે આકાશ તરફ જોવા લાગ્યો. વૃક્ષોનાં પાંદડાંઓમાંથી પણ તેને આકાશ સુંદર લાગ્યું, તેણે પવનનાં સુસવાટાનો અવાજ સાંભળ્યો. તેને એમ થયું કે મારા કાનમાં કોઈ કંઈક કહે છે. પાંદડાંઓનો અવાજ જાણે કોઈ સંગીત છે અને ખળખળ વહેતાં ઝરણાંનો રવ કોઈ સુંદર કન્યાનું મોહક હાસ્ય. પહાડોનાં રહસ્યો અને સૌન્દર્ય જાણે કુદરતની લીલા અને પક્ષીઓનો કલરવ કુદરતનું ગીત ….

રોહને થોડીવાર આંખો બંધ કરી. એ બાળાએ તેનો હાથ મૂકી સામે બેસી ગઈ.

રોહને આંખો ખોલીને જોયું તો તે બાળા હસતી હતી, તેના હાસ્યમાં અદ્દભુત મોહકતા અને નિખાલસતા હતાં. તે તેને જોઈ જ રહ્યો.

તે બાળાએ કહ્યું, “બુધ્ધુ, જિંદગી કંઈ પેટ ભરવા માટે થોડી છે, ઊઠ, અને સાંભળ, તારા દિલના અવાજને. આ શૂન્ય આકાશ પણ અનેક રંગોથી સજી શકે. જો મારી નજરથી …. ”

અને રોહનથી હવે ન રહેવાયું, તે પૂછી બેઠો “તું કોણ છે ? અને અહીં …”

એ બાળાએ પોતાની પીઠ પાછળથી પતંગિયા માફક પાંખ પસારી, “હું પરી, આજે જંગલમાં આવી હતી, પણ તે મને ઘાયલ કરી. તે કંઈ કહ્યું નહિ તો મેં જાણી લીધું કે તું શું ઈચ્છે છે. બસ, મેં તો તારી વાત જ જાણી, ખાલી. પણ હવે હું જાઉં, વધુ રોકાઈશ તો બધા મને વઢશે, હો.”

એણે એક મોહક અને નિખાલસ સ્મિત આપી અલવિદા કહ્યું. રોહન તેને રોકવા ઊભો થઈ ગયો, પણ તે સુંદર મોહક પરી હસતાં હસતાં ચાલી ગઈ, આકાશ તરફ.

રોહનની આંખો ખૂલી ગઈ, તે પોતાના હાથ દ્વારા કોઈને થામવા તડપવા લાગ્યો, પહેલી વાર તેને કોઈ પાસે હોય, સાથે હોય એવો અહેસાસ થયો.

આંખો ચોળી તે ઊભો થઈ ગયો અને આસપાસ નજર દોડાવી, ઝાડનાં થડને અઢેલીને કોઈ બાળા સાવ સાદા વસ્ત્રોમાં સજ્જ, પ્રશ્નાર્થ નજરોથી રોહનને જોઈ રહી હતી. રોહન હજુ પણ પેલી પરીનાં સ્વપ્નમાંથી બહાર નહોતો આવી શક્યો ત્યાં આ શું ?

તે ધીરે ધીરે પેલી બાળા પાસે જવા લાગ્યો, પેલી બાળા થોડા ગુસ્સામાં તો થોડા આશ્વર્યમાં તેની તરફ જોઈ રહી …

તે બાળાએ કહ્યું, “કોણ છે તું ? અહી ક્યાંથી ? ભૂલો પડ્યો કે છું ?”

રોહન તેને અડકવા જ જઈ રહ્યો હતો ત્યાં આ પ્રશ્નોથી તે આસમાનમાંથી ફરી જમીન પર આવી ગયો. તે થોડો ગભરાયો સ્તબ્ધ બની જોઈ રહ્યો.

“મેં કહ્યું કે, તું કોણ છે ?”

“ર…ર….રોહન…. ? પેલા શહેરમાંથી …” તેને આંગળી ચિંધીને બતાવ્યું.

“ભાગીને આવ્યો છે ?… લે …” અને તે ખડખડાટ હસવા લાગી. “ચાલ…” કહી તે તેનો હાથ પકડી પોતાના ઘર તરફ લઇ ગઈ.

બપોરનો ઢળતો સમય હતો. તેના હાથમાં એક ઉષ્મા હતી. જાણે તેને કોઈ આ પૃથ્વી પર સાથી મળી ગયું હોય એની અનુભૂતિ. તેના હૃદયના ધબકારા તેને સંભળાવા લાગ્યા હતા. તેને પોતાના શ્વાસની ગતિનો અનુભવ થવા લાગ્યો હતો. તેની આંખો આજે અજીબ પ્રકારનું સૌંદર્ય અનુભવ કરતી હતી.“તારું નામ શું?” રોહને ઘીવાળો રોટલો ખાતા ખાતા પૂછ્યું.

“મા ને બાપુ તો નાનકી નાનકી કેય અને નામ બગાડે પણ સ્કૂલમાં મને સંધ્યા કહી બોલાવે …” અને તે હસવા લાગી.

“મારાં નામ તો કેટલાં ય બદલાયાં … ક્યારેક કોઈ છોટુ કહે, તો કોઈ રાજુ, કોઈ એ ય…. કહી બોલાવે તો કોઈ શી…સ.. કહી બોલાવે.” અને બંને ખડખડાટ હસવા લાગ્યાં.

આખરે સાંજ પડી, સંધ્યા ખીલી, એ સાથે જ સંધ્યાના ચેહરા પર પણ એક ચમક આવી. બંનેએ કેટલીયે વાતો કરી, શહેરની અને ગામડાગામની. બંને ખૂબ હસ્યાં.

“લે હવે, તારે ઘરે નથી જવું ? જો હમણાં એક બસ આવશે શહેર તરફ જવાની, તું તેમાં બેસી જા, ઘરે ચિંતા કરતા હશે.”

રોહનના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા. આખરે એને એ જગ્યા પર ફરી જવાનું જ્યાંથી તે આજે જ નીકળ્યો હતો અને ખૂદને મળ્યો હતો.

સંધ્યાએ હસતાં હસતાં કહ્યું, “તારા બા-બાપુજી પણ ચિંતા કરતા હશે. જો જે. આ દુનિયા તો આપણી છે, પણ તેની દુનિયા આપણે છીએ.”

બસ આવી. રોહન મન ન હોવા છતાં બેઠો. બસની બારીમાંથી રોહન સંધ્યાને જોઈ જ રહ્યો, સંધ્યાના રંગો વિલાઈ ગયા, ત્યાં સુધી. તેને સ્વપ્નપરી અને સંધ્યામાં કંઈ જ અલગ ન લાગ્યું. આજે તેને સ્વપ્નું પણ સાચું લાગ્યું, અને સ્વપ્નની પરી જાણે તેને મળી ગઈ હોય તેનો આનંદ પણ આંસુ બની વહી રહ્યો.

બસ જેમ જેમ આગળ વધતી જતી, તેમ તેમ તારાઓ અંધકારમાં સામ્રાજ્ય સ્થાપતા જતા હતા. રોહન અંધકારમાં તારાઓ માફક ચમકવા લાગ્યો હતો. અને એક નવું જીવન પામી પોતાના જીવનમાં જઈ રહ્યો હતો, નવા અહેસાસથી ભર્યો ભર્યો.

Email : navyadarsh67@outlook.com

Loading

ગંગાબહેન પટેલ પુરસ્કાર: પ્રતિભાવ

દીપક મહેતા|Opinion - Opinion|27 March 2018

મારી સાથે અને સામે બેઠેલા મુરબ્બીઓ અને મિત્રો,

‘ફૂલછાબ’ના પંદરમી ઓગસ્ટ ૧૯૪૧ના અંકમાં ગુરુદેવ ટાગોરને અંજલિ આપતાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું: “તમે કવિ હતા. ‘કવિ’ શબ્દ હવેથી અમે સાચવીને વાપરશું.” પણ આપણે ગુજરાતીઓ સાચવીને વાપરીએ પૈસા, શબ્દો નહિ.

જેમ ‘કવિ’ શબ્દ સાચવીને વાપરવા જેવો છે, તેમ ‘વિવેચક’ શબ્દ પણ સાચવીને વાપરવા જેવો છે. આપણી ભાષાની જ વાત કરીએ તો પણ વિવેચક તો કોઈ નવલરામ પંડ્યા કે નરસિંહરાવ દિવેટિયા, કોઈ બળવન્તરાય ઠાકોર કે કોઈ ભૃગુરાય અંજારિયા, કોઈ આનંદશંકર ધ્રુવ કે કોઈ ઉમાશંકર જોશી, કોઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કે કોઈ રામપ્રસાદ બક્ષી કોઈ રામનારાયણ પાઠક કે કોઈ જયંત કોઠારી. વધુમાં વધુ બીજાં પાંચ-દસ નામ ઉમેરી શકાય. બાકીના બધા તે પણ વિવેચક? ના રે, ના. બહુ બહુ તો સમીક્ષક, આલોચક, આસ્વાદક, કે સાહિત્યિક પત્રકાર. મારો સમાવેશ પણ તેમનામાં જ થાય, વિવેચકોમાં નહિ. વાઘ અને ‘વાઘતણી માશી’ વચ્ચે જેટલો તફાવત, તેટલો તફાવત ‘વિવેચક’ અને અમારી  સૌની વચ્ચે.

કશું સર્જનાત્મક લખવાનું તો હાડમાં હશે જ નહિ એમ લાગે છે. એટલે ભર યુવાનીમાં ય કવિતાની એકાદ પંક્તિ પણ લખી નથી. પણ પુસ્તકો સાથેનો ઘરોબો ઘરમાંથી જ બંધાયો. મારાં મા વિદ્યાબહેન આમ તો ઝાઝું ભણેલાં નહિ, પણ નામનાં થોડાં ગુણ એમનામાં ઊતર્યા હશે એટલે વાંચવાનો જબરો શોખ. નવરાશને સમયે કંઈ ને કંઈ વાંચતાં રહે. અને યાદશક્તિ સારી એટલે તેમાંનું ઘણું યાદ રહી જાય. અસંખ્ય કાવ્યો કંઠસ્થ. ગાતાં પણ મીઠું. ઘણી વાર અમારી કસોટી કરે. બે-ચાર કાવ્યપંક્તિઓ બોલે, અને પછી પૂછે: ‘કહો જોઉં, કયા કવિની પંક્તિઓ છે?’ મારા પિતા શેરબ્રોકર. આંકડામાં રસ તેટલો બારાખડીમાં નહીં. પણ મારાં માને માટે તેમણે ઘરમાં પાંચેક હજાર પુસ્તકો વસાવેલાં. પાંચ-સાત મેગેઝીનો આવે. પુસ્તકોમાંનાં જેટલાં જાતે વાંચેલાં એના કરતાં મેં સાંભળેલાં વધુ. કારણ રોજ રાતે મોટા ભાઈ – રમણકાંતભાઈ – એકાદ કલાક માટે કોઈ પણ પુસ્તકનું પઠન કરે અને ઘરનાં સૌ આસપાસ બેસી તે સાંભળે એવો રિવાજ. એટલે બાળપણથી જ સાહિત્યના શબ્દ સાથે ઘરોબો બંધાયો.

બાળક જન્મે તે પહેલાં તેને સ્કૂલમાં ધકેલી દેવાનો ચાલ ત્યારે શરૂ નહોતો થયો. એટલે આઠ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કૂલનું મોઢું જોયું. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલ. ભણતર તો ખરું જ, પણ સાથોસાથ સાહિત્ય, સંગીત, ચિત્રકલા, નાટક, વગેરે દ્વારા વિદ્યાર્થીના વ્યક્તિત્ત્વના ચણતર પર પણ એટલો જ ભાર. સાહિત્ય અંગે સ્નેહ અને સૂઝ ધરાવતા કેટલાંક શિક્ષકો સદ્ભાગ્યે મળ્યાં – પિનાકિન્ ત્રિવેદી, સોમભાઈ પટેલ, મધુભાઈ પટેલ, સુશીલાબહેન વાંકાવાળા. તેથી વાંચવાના શોખને દિશા મળી.

પણ સાહિત્ય અંગેની સમજણ મળી તે તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. મનસુખભાઈ ઝવેરી ગુજરાતી શીખવે અને ઝાલાસાહેબ — ગૌરીપ્રસાદ ઝાલા — સંસ્કૃત શીખવે. બંને ઉત્તમ શિક્ષકો, પણ બંનેની તાસીર સાવ જુદી. ઘણી બાબતોમાં એકબીજાના પૂરક થઈ શકે એવા અધ્યાપકો.

એ કોલેજનો ગુજરાતી વિભાગ દર વર્ષે ‘રશ્મિ’ નામનું વાર્ષિક પ્રગટ કરે. બી.એ.માં ભણતો હતો ત્યારે મનસુખભાઈ અને ઝાલાસાહેબે ‘રશ્મિ’ માટે લેખ લખવા કહ્યું. ત્યારે ભરતભાઈ, સ્વર્ગ હાથવેંતમાં હોય એમ લાગેલું. કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે લખીને લેખ તો આપી દીધો. પણ જીવ તાળવે ચોંટેલો. ‘રશ્મિ’માં છપાશે કે નહિ? પૂછવાની તો હિંમત જ કેમ ચાલે? અંક બહાર પડ્યો, હાથમાં આવ્યો. ‘પ્રખર સહરાની તરસથી’ અનુક્રમનું પાનું જોયું. અને આપણા રામની તરસ છીપી. ગ્રંથ-સમીક્ષાની એ પહેલી દીક્ષા.

૧૯૬૪ના જાન્યુઆરીમાં ‘ગ્રંથ’ માસિક શરૂ થયું. બીજા ઘણાને મોકલેલાં, તેમ મને પણ એક પુસ્તક યશવંતભાઈ દોશીએ અવલોકન માટે મોકલ્યું. અમારો અંગત પરિચય બિલકુલ નહિ. અવલોકન લખીને આપવા માટે પરિચય ટ્રસ્ટની ઓફિસે ગયો ત્યારે પહેલી વાર મળ્યો. પણ ત્યારથી યશવંતભાઈ, ‘ગ્રંથ’, અને પરિચય ટ્રસ્ટ સાથે જે મનમેળ થયો તે ૧૯૭૪માં યશવંતભાઈના સહાયક સંપાદક તરીકે જોડાતાં વધુ ગાઢ થયો. સમીક્ષા-લેખનની ગલીકૂંચીઓમાં હાથ પકડીને કોઈએ ફેરવ્યો હોય તો તે યશવંતભાઈએ.

પણ ગ્રંથસૃષ્ટિની વિશાળતા, વિવિધતા, અને સમૃદ્ધિનો ખરો ખ્યાલ આવ્યો તે તો ૧૯૭૬ના ડિસેમ્બરમાં લાયબ્રેરી ઓફ કોંગ્રેસની દિલ્હી ઓફિસમાં જોડાયા પછી ત્યાં દસ વર્ષ કામ કર્યું ત્યારે. અમેરિકન ડિરેક્ટર જિન સ્મિથ એટલે ગ્રંથકીટ. ગુજરાતી સહિતની ભારતની ઘણી બધી ભાષાઓ અને તેમના સાહિત્ય વિષેની જાણકારીનો તેમની પાસે ખજાનો. બધી ભાષા જાણીએ તો ક્યાંથી, પણ દેશની દરેક ભાષાના જાણકારો તે ત્યાં હતા સહકાર્યકરો. એમની સાથેની વાતચીત, ચર્ચા, આપ-લે, રોજ નવા નવા દરવાજા ખોલે. વળી રેર અને એન્ટિક્વેરિયન બુક્સના જિન સ્મિથ ભારે જાણકાર અને સંગ્રાહક. દરેક ભાષાનાં એવાં પુસ્તકો ભેગાં કરવાનો ખાસ પ્રોજેક્ટ કરેલો. વખત જતાં ઓગણીસમી સદીનાં પુસ્તકો, સામયિકો, લેખકો, વગેરેમાં જે રસ જાગ્યો તેનાં મૂળમાં આ જિન સ્મિથ. અને બીજા તે મરાઠીના અગ્રણી લેખક, સંશોધક, પત્રકાર, અને સહકાર્યકર ડો. અરુણ ટીકેકર – અડધી જિંદગી અને અડધા કરતાં વધુ કમાણી રેર બુક્સ ખરીદવા પાછળ ખર્ચી નાખનાર. ગ્રંથનિષ્ઠાની દીક્ષા, આમ દિલ્હીમાં મળી.

આટલાં વર્ષોમાં ધીમે ધીમે જે કાંઈ એકઠું કર્યું હતું તેનો નિયમિત ઉપ-યોગ કરવાની તક મળી તે તો ૧૯૯૯ની આખરમાં નિવૃત્તિ લીધી તે પછી. ઈ.સ. ૨૦૦૦ના માર્ચથી બાર વર્ષ ‘મુંબઈ સમાચાર’માં દર ગુરુવારે ‘વર્ડનેટ’ પાનાનું લેખન-સંપાદન કરવાનું બન્યું. તંત્રી પિન્કીબહેન દલાલની અને મારી પહેલેથી એવી પાક્કી સમજણ કે આને બીબાંઢાળ ‘સાહિત્યનું પાનું’ કે ‘અવલોકનનું પાનું’ નથી બનાવવું. વૈવિધ્યનો આગ્રહ. શક્ય હોય તેટલું ટોપિકલ બનાવવું. દરેક લખાણ સચિત્ર હોય જ. ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાનાં ભાષા-સાહિત્યને પણ બને તેટલો સ્પર્શ કરવો. છાપેલા શબ્દ ઉપરાંતનાં શબ્દનાં રૂપોની વાત પણ વણી લેવી. સાહિત્યિક પત્રકારત્ત્વ, ગ્રંથસમીક્ષા અને ગ્રંથનિષ્ઠાના જે પાઠ અગાઉ ભણવા મળેલા તેનો બને તેટલો સદુપયોગ કરી આ બાર વર્ષમાં ‘સાહિત્યના પાના’ને વાચકપ્રિય કરવાનો પ્રયત્ન કર્યો. લોકપ્રિયતા મેળવવી એ ગુનાહિત કૃત્ય છે તેમ માનનારા વિવેચકો કે અભ્યાસીઓએ એ પાનાની નોંધ પણ ન લીધી એનો વાંધો નહિ. આપણે ક્યાં એમને માટે લખીએ છીએ? 

‘વર્ડનેટ’નું કામ કરતાં કરતાં ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સામયિકો, સંસ્થાઓમાં એવો તો રસ પડ્યો કે બીજું બધું ધીમે ધીમે આઘું જતું રહ્યું. આપણા સાહિત્યના ઇતિહાસ કે વિવેચનનાં ઘણાંખરાં પુસ્તકો માટે ઓગણીસમી સદી એટલે દસ-પંદર લેખકો અને તેમની વીસ-પચ્ચીસ કૃતિઓ. તેમાં ય નર્મદ-દલપત પહેલાંના લેખકો અને પુસ્તકોની તો કોઈ વાત જ ન કરે. હા, એ બધાંની વાત માત્ર સાહિત્યના ત્રાજવે તોળીને ન થાય. એ જમાનાનાં મુદ્રણ, પુસ્તક-પ્રકાશન, શિક્ષણ, રાજકારણ, સમાજ, બધાંનો સાથેલાગો વિચાર કરવો પડે. ઓગણીસમી સદીને સમજવી હોય તો આપણી શરતે ન સમજાય, તેની શરતે સમજવી જોઈએ. અગાઉ અમદાવાદની એક સાહિત્યિક સંસ્થાને હાથ જોડીને જાહેરમાં વિનંતી કરેલી કે ૧૯મી સદીના સાહિત્યનાં સંશોધન, અભ્યાસ, જાળવણી, પુનઃપ્રકાશન, માટે એક અલાયદો વિભાગ શરૂ કરો. પણ એ સંસ્થાને પોતાને સાહિત્યનાં કરવા જેવાં કામો કરવામાં રસ જ નથી, બીજી વ્યક્તિઓ અને સંસ્થાને ‘સ્વાયત્તતા’ને બહાને સાહિત્યનાં કામ કરતી રોકવામાં રસ છે. અમદાવાદમાં જે ન થઈ શક્યું, તે મુંબઈમાં થઈ શકે? જવાબ આપ સૌએ આપવાનો છે.

સારે નસીબે પહેલેથી એવી વ્યક્તિઓ સાથે કામ કરવાનું બન્યું કે જેમના મનમાં વાચકનું મહત્ત્વ વસેલું હોય. એટલે પહેલી વાત એ શીખવા મળી કે લખાણ વાંચવામાં સરળ હોવું જોઈએ. એમાં આપણા શોખ ખાતરના શૈલીવેડા ન ચાલે. વાત સહેલી રીતે કહેતાં ન આવડે તો ન કહેવી. પરિભાષાનો પ્રયોગ ન છૂટકે જ કરવો. સંસ્કૃત શબ્દોનો મોહ રાખવો નહિ, આપણી ભાષાના શબ્દથી કામ સરે તેમ ન હોય તો જ તત્સમ શબ્દ વાપરવો. અંગ્રેજી શબ્દોની સૂગ ન જ રાખવી. અઘરું લખવું સહેલું છે પણ સહેલું લખવું અઘરું છે એ વાત સતત યાદ રાખી. પરિણામે જો અને જે લોકોમાં વંચાય તો અને તે સાહિત્ય નહિ. જે ઓછામાં ઓછું વંચાય અને તેનાથી ય ઓછું સમજાય તે જ ઉત્તમ સાહિત્ય એવી સમજણથી સતત દૂર રહેવાનું બન્યું. 

પ્રગતિ મિત્ર મંડળ સાથે વર્ષોથી નિકટનો નાતો છે. તેના તરફથી આ સન્માન મળે છે ત્યારે હવે આ ઉંમરે આવાં સન્માનોથી હરખ-શોક શો, એમ કહેવાનો દંભ નહિ કરું. ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી હતાં ત્યારથી જેમની સાથે આત્મીયતાભર્યો સંબંધ બંધાયો છે તે પ્રિય મુરબ્બી ધીરુબહેનનાં કર્મઠ માતા ગંગાબહેનના નામ સાથે આ પુરસ્કાર સંકળાયેલો છે તેનો વિશેષ આનંદ છે. મૃચ્છકટિક, પૂર્ણિમા, ઝેર તો પીધાં છે જાણી જાણી જેવાં વર્ષાબહેનનાં નાટકો ધોબી તળાવ પાસેના રંગભવન નામના ઓપન એર થિયેટરમાં બે-બે રુપિયાની ટિકિટ લઈને જોયેલાં. એ વર્ષાબહેનનો પહેલો અંગત પરિચય વિલ્સન કોલેજની બહારના બસ સ્ટોપ પર ૧૯૬૧માં થયેલો. તે પછી એ પરિચય વધુ ને વધુ વિકસતો ગયો છે. એટલે વર્ષાબહેન બહારગામથી ઘરે ગયા વગર સીધાં અહીં આવ્યાં અને પોતાપણાથી  જે બોલ્યાં તે માટે તેમનો આભાર માનું તો એ ન તો મને ગમે કે ન તો તેમને ગમે. તેઓ મોટા ગજાનાં લેખિકા તો છે જ, પણ સૌથી પહેલાં ઉષ્મા અને ઉમળકાનાં માણસ છે, એટલે એમ ન કરે તો જ નવાઈ.

૧૯૬૩માં સોમૈયા કોલેજમાં ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું ત્યારે બી.એ.ના ક્લાસમાં પહેલા ખોળાની બે વિદ્યાર્થિનીઓ ગીતા અને લતા. એ ન્યાયે લતાપતિ કાન્તિભાઈ તો જમાઈ થાય! તેમના બોલાતા અને લખાતા શબ્દમાં હંમેશ સ્વસ્થતાની અને સમતોલતાની કાંતિ જોવા મળે. તબિયત ઓછી સારી હોવા છતાં તેઓ આવ્યા તે માટે તેમનો આભાર. ભરતભાઈ ઘેલાણી માથે ભાર રાખ્યા વગર ‘ચિત્રલેખા’ જેવા માતબર લોકપ્રિયતા ધરાવતા સાપ્તાહિકનું સુકાન સંભાળે છે. અને સાથોસાથ સાહિત્યની ચિંતા પણ સેવે છે. તેમનાં સ્નેહ અને સૌજન્યનો પરિચય સતત થતો રહે છે. તેમની હાજરીથી આજે હૂંફ મળી છે. અને આપ સૌ સાહિત્યપ્રેમી શ્રોતાઓ ન આવ્યા હોત તો અમે બે-પાંચ જણા અહીં બેસીને શું કરી શકવાના હતા? એટલે સૌથી વધુ તો આપ સૌનો આભાર.

***

e.mail : deepakbmehta@gmail.com

Loading

અનુવાદ : ગૌણત્વની સભાનતા

અરુણા જાડેજા|Opinion - Literature|27 March 2018

આપણી આ લૌકિક દુનિયામાં સૌથી મોટી કલાકાર કે સર્જક હોય તો તે એક મા છે; તે ભાર વેંઢારનારી શ્રમિક છે, કોઈ પણ બાળકને વહાલથી સમજાવીપટાવી જાણનાર પણ એક મા જ છે! કારણ કે તેની પાસે આ સિદ્ધહસ્ત કલા છે, હથોટીનો એક કસબ છે. જુઓઃ

એક માતા પાસે પાડોશી બહેન પોતાનું બાળક થોડી વાર માટે મૂકી જાય છેઃ બહેન, હું હમણાં પાંચદશ મિનિટમાં આવું, એક કામ પતાવીને. હવે બાળક પણ બરાબર આ જ પાંચદશ મિનિટમાં રડે ચઢે છે, જિદે ચઢે છે, કોઈનું મનાવ્યું મનાતું નથી. આ માતાની સામે પોતાનું બાળક આમ રડે કે જિદે ચઢે તો તેને એ માતા, પોતાના એ બાળકને માતા બે લાફા ચોડી દે છે, પણ અહીં એવું ન થાય કારણ કે આ તો બીજાનું બાળક છે, એને મરાય-વઢાય નહીં; એ માતા મૂંઝાતી નથી, એને પટાવીને, પુચકારીને વહાલથી ધીમેકથી મનાવી લે છે અને પોતાના ખોળામાં લઈને વહાલથી પસવારે છે.

બેઠ્ઠું એવું છે અનુવાદકનું કામ. અનુવાદક બીજા કોઈના એટલે મૂળ લેખકના શબ્દો સાથે ચેડાં કરી શકતો નથી, એને એ અધિકાર પણ નથી. એણે તો મૂળ લેખકના શબ્દોને એની ભાષામાંથી હળવેકથી કાઢી લેવાનાં છે, આ કામમાં જે કલા જોવા મળે છે તે એક માતાની હથોટીએ થાય છે; કે પછી બાળકની આંખમા પડેલું કસ્તર એક માતા પોતાની જીભ ફેરવીને કાઢી લે છે. આટલી બધી નાજુકાઈથી કામ લેવાનું હોય છે, અનુવાદમાં. કારણ કે દરેક લેખકને પોતાનો એકેકો શબ્દ પોતાના દરેક બાળક જેટલો વહાલો હોય છે, પ્રકાશક કે સંપાદક લેખકનો એક શબ્દ કાઢી નાંખે તો લેખકનો જીવ કપાઈ જાય છે. એ શબ્દ લખાણની ગતિને આગળ વધારતો હોય છે, હિંદી સિનેમાનાં અમુક ગીતો ફિલ્મકથા માટે ગતિવર્ધક હોય છે. જેમ કે મારા એક લેખમાં ‘છો.’ એવંુ એક અક્ષરનું વાક્ય આવે છે. જો એ કાઢી નાંખે તો લેખના કથકનું ચરિત્રચિત્રણ અધૂરું રહે છે. કારણ કે આ ‘છો.’માં કથકનો દોલો, ઉદાર જીવ બતાવાયો છે. બરણી ફૂટી ગઈ ! છો અર્થાત્‌ કંઈ વાંધો નહીં. હવે જો આ ‘છો.’ કાંઢી નાંખો તો એક સાસુનું પાત્રાલેખન ઊઠતું નથી. ટૂંકમાં વાત છે નાજુકાઈથી કામ લેવાની. અને એ કામ કલાકારનું છે.

•

મારા વાલ્મીકિ રામાયણ અને મહાભારતના અનુવાદાની વાત કરું. આ બે મહાકવિ વાલ્મીકિ અને વ્યાસજીએ જે કહ્યું એ જ મેં ગુજરાતી વાચક સામે મૂક્યું, મારું કંઈ જ મૂકવાની ધૃષ્ટતા કરી નથી. જો કંઈ મૂક્યું હોય તો ‘અને’, ‘પછી’, ‘તથા’, ‘હવે’ જેવા કથાનકને ગતિ આપતા સંયોજકો. પોતાનુ કંઈ મૂકવાનો મોહ તો ઘણો થઈ આવે પણ અનુવાદકનું કામ અહીંની વસ્તુ ત્યાં મૂકવાની છે એને સજાવવાની નથી. અને તે ય મૂળ લેખક ઈચ્છે તે રીતે જ. એક ઓરડામાં એક ખૂણે મૂકેલી ફૂલદાની મૂક્વાની હોય તો એ કાચની ફૂલદાનીને તડ ન પડે, પેલા કૂમળા ફૂલની પાંખડી ખરી ન પડે કે એની દાંડલી બટકી ન જાય! અર્થાત્‌ લેખકના એકેક શબ્દ અને અક્ષરની નજાકતને સાચવવાની છે. આ કામ કલાકારનું જ છેને! અહીં જડ કે રોંચડનું કામ નહીં.

વાલ્મીકિ રામાયણના અનુવાદ કરતી વખતે એક મુશ્કેલી આવી. સંસ્કૃત-અંગ્રેજીના અનુવાદમાં બહુ સામાન્ય છે. સંસ્કૃતમાં બીજા પુરુષ માનાર્થે એકવચનમાં અને બહુવચનમાં ત્વમ્ ‌જ આવે છે, અંગ્રેજીના Youની જેમ. પણ આપણે ગુજરાતીમાં તો ‘તું’ અને ‘તમે’ કહીએ. હિંદીમાં ‘તુમ’  અને ‘આપ’ છે. મુશ્કેલી એ કે મેં આપણા ઘણા ગુજરાતી અનુવાદોમાં જોયું કે રામ સીતાને તુંકારે બોલાવે, માતા કૌશલ્યાને પણ તું કહીને બોલાવે કે ઉંમરમાં આવેલા અને કાલે રાજગાદીએ યુવરાજ તરીકે જેનો અભિષેક થવાનો છે તે પુત્ર રામને ભરસભામાં પિતા દશરથ પણ તુંકારે બોલાવે, મને આ બહુ ખૂંચ્યું. મારા સાહિત્યક્ષેત્રના ફાધર, ફિલોસોફર અને ગાઈડ જેવા વડીલ મુરબ્બી બોરીસાગર સાથે મારે ભારે વાદવિવાદ થયો કે ના, એ તો તુંકારે જ બોલાવાય! એ તો કાલવ્યુત્ક્રમનો દોષ લાગે. મે ંકહ્યું સાહેબ, તો હું આ અનુવાદ પડતો મૂકું, નહીં કરી શકું. જ્યાં એક ક્ષત્રિય અને તે ય રાજા પોતાની પત્ની કે માતાને તંુકારે બોલાવતો હોય – એ અશક્ય છે. કારણ કે ક્ષત્રિય સમાજને મેં પચાવેલો છે, હજારો વર્ષો પછી મેં આજે ય ક્ષત્રિય સમાજમાં માતા, પત્ની કે બાળકને પણ મોટે ભાગે તુંકારો થતો જોયો નથી. રામ તો રાજા અને તે ય એક ક્ષત્રિય! પછી તો આપણાં જુવાનિયા વિવેચક દીકરાઓ હેમંત દવે અને હર્ષવદન ત્રિવેદીને પૂછ્યું તો એમણે મને લીલી ઝંડી ફરકાવી કે અરુણાબહેન, તમતમારે કરો, કોઈ દોષબોષ નહીં લાગે!

એવું જ થયું અરબીફારસી શબ્દો માટે. સાહિત્યિક વડીલો, મુરબ્બીઓ કહે કે ના અરુણાબહેન તત્સમ કે તદ્‌ભવ શબ્દો જ વાપરવાના. હવે જુઓ આપણે રોજિંદી ભાષામાં લાચાર વધારે વાપરીએ કે નિસહાય? કદાવર કે મહાકાય? હિંમત કે ધૈર્યબળ? રજા, પરવાનગી કે અનુમતિ? મુકામ, પડાવ, છાવણી કે નિવેશ?

રામાયણ અને મહાભારતમાં યુદ્ધો ચાલતા જ હોય અને યોદ્ધાઓ વારે ઘડી ભાન ગૂમાવતા હોય. ‘ભાન’ શબ્દ સંસ્કૃત પણ એને બે ઉપસર્ગ લાગે તો એ ‘બેભાન’ શબ્દ ફારસી થઈ જાય. શુદ્ધને ‘બે’ લાગે તો એ બેશુદ્ધ ફારસી થઈ જાય. હવે બેભાનને બદલે મૂર્છિત આપણે થોડું રોજ બોલીએ? પણ સાહેબો કહેઃ એ ન ચાલે.

લાચાર, મદદ, કબૂલ, ઈરાદો, સલામત, ખલેલ, ફિકર, દુનિયા, આફત, મસલત, જોર, કાયમ જેવા રોજિંદા શબ્દો ફારસી છે. અને આમે ય હું તળપદા શબ્દોનું માણસ. પણ રામાયણના મારા અનુવાદમાં ચોમાસાના તડકાની જેમ તમને મારા આ ફારસી શબ્દો ક્યાંક ડોકિયાં કરતા દેખાશે ખરા.

હવે તમને એક મજેની વાત કરું. નાનપણમાં ભીંતે ટીંગાડેલા ભગવાનના જે ફોટા જોઈએ ને તો તેમાં પાર્વતીજી શંકર ભગવાનના કે સીતાજી રામના ખોળામાં બેઠેલા હોય, મારા ભારતીય સંસ્કારને આ બહુ ખૂંચતું. પછી સંસ્કૃત સાહિત્ય વાંચતી ગઈ તો તેમાંયે આવાં લખાણો હોય. રામાયણમાં રામભરત મિલાપ વખતે  : अंके भरतम्‌ आरोप्य – રામે ભરતને ખોળામાં બેસાડ્યો એવો ઉલ્લેખ આવે છે. તો નજર સામે કંઈ વિચિત્ર દૃશ્ય ખડું થાય કે આવડા મોટા ભરતને રામ પોતાના ખોળામાં બેસાડે! છેલ્લે અગ્નિપરીક્ષા પછી રામ સીતાને પુષ્પક વિમાનમાં બેસાડીને અયોધ્યા લઈ જઈ રહ્યા છે : ‘अंके आदाय वैदेहिम्‌’ — ‘સીતાને ખોળામાં બેસાડીને’, અને તે ય વિભીષણ, સુગ્રીવ, લક્ષ્મણની હાજરીમાં! પણ હવે તમને એક રાઝ કી બાત કહું। સંસ્કૃત શબ્દ ‘अंक’નો અર્થ ખોળો ચોક્કસ થાય પણ अंकेन आदाय, अंकम्‌ आरोप्य-નો અર્થ ‘પડખામાં લઈને’ કે ‘પડખે બેસાડીને’ થાય છે. આપ્ટેના સંસ્કૃતકોશમાં ચોખ્ખો આપેલો છો તોયે! આવા અનુવાદો થયા છે. લક્ષ્મણને પડખામાં લઈને કે સીતાને પડખે – પાસે બેસાડીને. અહીં સવાલ કોઠાસૂઝનો છે.

•

‘પુલકિત’ના અનુવાદમાં પણ મારે ભારે તો થતી રહી, ડગલે ને પગલે. કારણ કે પુ.લ. દેશપાંડે સમર્થ હાસ્યકાર, સાક્ષાત્‌ હાસ્યબ્રહ્મ! હાસ્યને અનુવાદવું અતિ કપરું કામ. “મોટે ઉપાડે ગયો તો, શું મળ્યું કોઠાં?” હવે એનું હિંદી ભાષાંતર કરો – “બડે ચાવ સે ગયે થે, ક્યા મિલા, કૈથા ?” એ તો શાબ્દિક ભાષાંતર થયું. ના, ત્યાં આ ભાવનો રૂઢિપ્રયોગ જોઈએ.

પુ.લ.નાં પત્ની સુનીતાબાઈ દેશપાંડેએ મને પહેલાં તો રોકડી ના જ પરખાવેલી કે humour & poetry can’t translated! મેં સામે દલીલ કરેલી કે but we can reach nearar! એની નજીક તો જઈ શકાયને? ભગવાનની ઝાંખી અંદર જઈને ન થાય તો કંઈ નહીં પણ બહાર કૉર્ડન-દોરડું પકડીને ય દર્શન તો થઈ શકે ને!

એવું જ સામે મરાઠી-ગુજરાતીની વાત કરું. પુ.લ. દેશપાંડેએ આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધેલો, તેની વાત કરતાં તેઓ લખે છેઃ “ત્યારે મને હાથમાંની તકલી કરતાં મોંઢાની તકલી સાથે વધું ફાવતું!” અહીં ગુજરાતી વાચક બાઘો બની જાય છે અને પછી નીચેની પાદટીપ જોતાં પહેલાં ગિન્નાઈને બોલી ઊઠે છેઃ હેં? આમાં તે વળી હસવાનું શું? પુ.લ. આઝાદી વખતે કાંતણકામ કરતા અને હાથમાંની તકલીથી તેમને કાંતવાનું હોય, પણ તેમને મોંઢાની તકલી વધુ ફાવતી. મરાઠીમાં ‘टकली’નો અર્થ કાંતણકામના સાધન ઉપરાંત બીજો અર્થ  પણ થાય છે તે એ કે બડબડ કરવી; એટલે પુ.લ. કહેવા માગે છે કે મને કાંતવા કરતાં વાતોના ગપાટા મારવામાં વધુ રસ હતો. પુ.લ. શ્લેષાધિપતિ હતા, શ્લેષની તો લૂમેલૂમ ફૂટતી જાય ને શ્રીમદ્‌ ભગવતગીતાના “સેનયોર્‌ ઉભયોર્ ‌મધ્યે”વાળા અર્જુનની જેમ મારે પણ “સીદન્તિ મમ્‌ ગાત્રાણિ” થવા લાગતું, મારા હાથ ધ્રુજવા માંડતા. એમના હાસ્યના મૂળિયે કેટકેટલા સંદર્ભો જડાયેલા હોય, એ મૂળિયું ઊખાડતાં મને તમ્મર આવી જતાં, નવ નેજે પાણી શું આવતાં’તા? આંખને નેજવે ય પાણી આવીને ઊભા રહી જાય!

તેથી મેં પુ.લ.ના એવા મરાઠી લેખ લીધેલા કે જે ગુજરાતી ભાષામાં સહેજે ઊછરી આવે. હવે જુઓ ઑર્કિડ્‌ઝ કે ટયુલિપ્સ જેવા વિદેશી છોડવાં તો જવા દો પણ ડહેલિયા કે જરબેરા જેવા ઉત્તર પ્રદેશના છોડવા પણ આપણે ત્યાં ગુજરાતમાં સહેલાઈથી ઊછરતા નથી. તેથી ગલગોટા, સેવંતી, જાઈ-જૂઈ-ચમેલી, મોગરા-ગુલાબ જેવાં જાણીતાં વેલછોડ લીધાં જે સહજતાથી ઊછરી જાય.

મરાઠી ભાષામાં બ્લાઉઝપીસ માટે ‘ખણ’ શબ્દ વપરાય છે. પણ આ અજાણ્યો ‘ખણ’ શબ્દ લેખમાં હું પાંચેક વાર વાપરું તો કેવંુ થાય! રસોઈમાં આપણે મગ રાંધ્યા છે, મીઠેમરચેમસાલે એકદમ સ્વાદિષ્ટ થયા છે પણ વીણ્યા વગરના પલાળેલા મગ સાથે ગાંગડું મગ પણ જતા રહ્યા છે, હવે સ્વાદિષ્ટ મગ જમતી વખતે એનો સ્વાદ લેતાં લેતાં વચ્ચે પેલા ગાંગડું મગ ખણણણણ કરતાંક મોંમા વાગે છે, એવું જ મારા પેલા ખણ શબ્દ માટે થાય તેથી મેં એની એક વાર પાદટીપ આપીને બ્લાઉઝપીસ શબ્દ જ રહેવા દીધો, અહીં પણ અમારે વાંધો આવે કહેઃ અંગ્રેજી શબ્દ ન ચાલે! હા પણ જેનો કોઈ પર્યાય ન હોય તો? તો શું ‘ચોળીનું કે પોલકાનું કપડું’ પેસે ખરું ? એ તો ભદ્રંભદ્રીય થઈ જાય. ‘સ્વીમિંગપુલ’ માટે આપણે ‘તરણકુંડ’ સતત બોલીએ છીએ? ‘ટેબલ’ માટે ‘મેજ’ કોઈ સમજશે? ‘ડાઈનિંગ ટેબલ’નું ગુજરાતી છે આપણી પાસે?

એવો જ એક શબ્દ હતો ‘સ્થાનબદ્ધ’ જેનો અર્થ થાય અંગ્રેજીમાં ‘કન્ફાઈમેન્ટ કે ‘ઇમ્પર્‌ીઝનમેન્ટ’ કે ‘ડીટેઈન્ડ’ એવો થઈ શકે પણ પછી એક અંગ્રેજી શબ્દ જડ્યો : ‘ઇન્ટર્ન્ડ’ એટલે ‘નજરકેદ’. પણ આ ‘સ્થાનબદ્ધ’માં ‘નજરકેદ’ ઉપરાંત ‘જેલવાસ’, ‘અટકાયત’ જેવી અર્થછાયાઓ પણ હતી, એટલે મિત્રોએ કહ્યું કે મૂળ મરાઠી શબ્દ સ્થાનબદ્ધ જ રહેવા દો! પણ એ લેખમાં ચાળીસ વાર આવતો આ શબ્દ! હું કંઈ હનુમાનચાળીસાની જેમ આ ‘સ્થાનબદ્ધ ચાળીસા’નો જાપ કરવા જરાયે તૈયાર નહોતી, કેમ?

ભલે ને સુરતી ઊંધિયું દેખાવે એકદમ લીલુંછમ્મ અને લવિંગિયા મરચે લિજ્જતદાર થયું હોય પણ ગૃહિણીએ ઊતાવળને કારણે એ સુરતી ત્રણ દાણાવાળી પાપડી નોકરને ચૂંટવા આપી દીધી હોય ને પછી, પછી? પૂરી સાથે લીધેલા ઊંધિયાને એ કોળિયે કોળિયે પાપડીની નસો દાંતમાં ભરાયા કરે, મોંમા અટવાયા કરે એવું મારે અહીં થવા દેવું નહોતું.

મેં ‘નજરકેદ’ શબ્દ જ રહેવા દીધો અને એ લેખ પુસ્તક થતાં પહેલાં ‘શબ્દસૃષ્ટિ’માં છપાયેલો તો ખૂબ ઊંચકાયો અને નવાજાયો પણ ખરો!

આપણા જાણીતા હાસ્યલેખક વિનોદભાઈ ભટ્ટસાહેબે ‘નવનીત સમર્પણ’માં એક હાસ્યશ્રેણી લખેલી નામે હાસ્યોપચાર. જેમાં તેઓ વિવિધ રોગોની વાત કરતા એક વાર એસીડિટીની વાત કરે છે તો તેમાં તેઓ એસીડિટીમાં બકરીનું દૂધ સારું, ગાંધીજીવાળી બકરી. ગાયનંુ દૂધ સારું ને પછી કહે છે ખાવાનો સોડા ગુણકારી પણ આપણે ગુજરાતીઓને વાંધો નહીં, આપણે ફાફડા ખાઈએ ને! આ સાંભળીને આપણે ગુજરાતીઓ હસી પડીએ છીએ તેમ મરાઠી કે હિંદીભાષી ન હસે. કારણ કે એ બિચારા જાણતા નથી કે ફાફડા ક્યા ચીજ હૈ! અરે ભઈ, ફાફડા તો વો ચીજ હૈ જેના વગર હમ ગુજરાતીની સવાર પડતી નથી. હવે બીજી ભાષામાં આ વાક્ય લઈ જવું હોય તો મારે નીચે પાદટીપ જેને આપણે ફૂટનોટ કહીએ છીએ તેમાં ફાફડાનો મહિમા, તેનંુ માહાત્મય સમજાવવંુ પડે, ઠીક સમજાવ્યું. પણ થાય શું – વિનોદભાઈનો પેલો સડસડાટ વહ્યો જતો હાસ્યપ્રવાહ એકદમ થંભી જાય છે, એમનંુ હાસ્ય અહીં લંગડાય છે.

•

અનુવાદમાં કલા ઉપરાંત કૌશલનું પણ કામ છે, એક સ્ત્રી અને ગૃહિણી તરીકે કહું તો કોઠાસૂઝનું કામ છે.  વર્ષ પહેલાં મેં એક બહુ સરસ અંગ્રેજી પુસ્તકનો અનુવાદ કરેલો, પુસ્તક હતું – નૉટ વિધાઉટ માય ડૉટર – મારી દીકરીને મૂકીને નહીં. આ પુસ્તક એક અમેરિકન મહિલાએ લખ્યું છેઃ નામ બેટી, એ એક ઈરાનીને – મુસ્લિમને પરણે છે, ઇરાન જાય છે. ઈરાનની વાત કરતાં એ અંગ્રેજીમાં લખે છે કે :

“એ લોકો મસ્જિદમાં પ્રેયર કરે છે”, હવે આ પુસ્તકના મરાઠી અનુવાદમાં ‘પ્રેયર’નું ભાષાંતર ‘પ્રાર્થના’ કર્યું. હા, શબ્દ પ્રમાણે અર્થ સાચો પણ આપણે જાણીએ છીએ કે મસ્જિદમાં પ્રાર્થના ન થાય ‘નમાઝ’ પઢાય, એવી રીતે મસ્જિદમાં રોજ સવારે ‘અઝાન’ બોલાય, આપણે જાણીતો શબ્દ વાપરીને શું કહીશું? — રોજ સવારે ‘બાંગ’ પોકારાય, હજી જુઓઃ “તે લોકો મુસ્લિમ મૃતદેહની સામે બેસીને ‘મંત્રોચ્ચાર’નું પઠન કરે.” ના ભઈ, મૃતદેહની સામે અંતે ‘ફાતિયો પઢવા’માં આવે. હવે તમે જ કહો કે મુસ્લિમ વાતાવરણ અને મસ્જિદ સાથે પ્રાર્થના કે મંત્રોચ્ચારનો કોઈ મેળ બેસે ખરો! ધડમાથા વગરનો અનુવાદ કહેવાય.

હવે આ મુસ્લિમ લેખિકાની દીકરીનું ઈરાની નામ અંગ્રેજીમાં ‘માહતોબ’ આપેલું છે, તો મરાઠી અનુવાદમાં આ માહતોબ ઉચ્ચાર જ રખાયો. ખરી રીતે આપણી જાણ પ્રમાણે એનો ઉર્દૂ ઉચ્ચાર ‘મહેતાબ’ થાય, આ શબ્દ જાણીતો છે, એનો અર્થ ‘ચાંદની’ થાય, હિંદી ફિલ્મોમાં અને ફિલ્મી ગીતોમાં આ શબ્દ ઘણી વાર સાંભળવા મળ્યો છે. (એક જૂનું પીક્ચર હતું આશિક, રાજકપૂર-પદ્મિનીવાળું તેમાં મૂકેશ-લતાનું એક ગીત છેઃ “મહેતાબ તેરા ચહેરા.”) હવે જો ‘મહેતાબ’ જેવો જાણીતો શબ્દ ભારતીય અનુવાદમાં હોય તો ભારતીય વાચકોને અનુવાદ વાંચવામાં સરળ પડે.

આ જ પુસ્તકમાં મુસ્લિમ સ્ત્રીઓ ઓઢે તે કાળાં કપડાં માટે અંગ્રેજી પુસ્તકમાંનો ‘ચાદોર’ શબ્દ જ રહેવા દીધો, આપણા માટે જાણીતો શબ્દ ‘બુરખો’ છે જ ! તો પછી? એવી જ રીતે એ પહેરવેશમાં એકલો બુરખો હોતો નથી, એમાં ઉપર માથે બાંધવાનું એક કપડું હોય છે જેને ‘મોન્ટો’ કહે છે, આ આપણા માટે અજાણ્યો શબ્દ તો એના માટે એ મોન્ટો, સ્કાર્ફ જેવો સમજાવીને  દર વખતે મોન્ટો માટે ‘સ્કાર્ફ’ શબ્દ વાપરવાથી અનુવાદ પાડોશી જેટલો જાણીતો અને વહાલો થઈ જાય છે. હવે આ ચાદોર, મોન્ટો કે રુઝારી જેવા શબ્દો મે ગૂગલ પર જઈજઈને ઈરાની ડ્રેસિંગ જાણીજાણીને શીખીસમજી લીધાં. અનુવાદક એક સંશોધક પણ છે, ખણખોદિયો!

આટલાં ઉદાહરણો પરથી સહેજે સમજી શકાય કે અનુવાદના કલાકસબમાં મુખ્ય કારીગરી છે તે એ કે મૂળભાષાને અનુવાદિત કરતી વખતે લક્ષ્ય ભાષાના શબ્દો ‘હોઠે ચઢેલા’ ને ‘કાને પડેલા’ હોવા જોઈએ

મરાઠી ભાષામાં બ્લાઉઝપીસ માટે ‘ખણ’ શબ્દ વપરાય છે. પણ આ અજાણ્યો ‘ખણ’ શબ્દ હું  પાંચેક વાર વાપરું તો કેવંુ થાય! રસોઈમાં આપણે મગ રાંધ્યા છે, મીઠેમરચેમસાલે એકદમ સ્વાદિષ્ટ થયા છે પણ વીણ્યા વગરના પલાળેલા મગ સાથે ગાંગડું મગ પણ જતા રહ્યા છે જે ચડ્યા નથી; હવે સ્વાદિષ્ટ મગ જમતી વખતે, એનો સ્વાદ લેતાંલેતાં વચ્ચે પેલા ગાંગડું મગ ખણણણણ કરતાંક મોંમાં વાગે છે, એવું જ મારા પેલા ‘ખણ’ શબ્દ માટે થાય તેથી મેં એની એક વાર પાદટીપ આપીને બ્લાઉઝપીસ શબ્દ જ રહેવા દીધો, અહીં પણ અમારે વાંધો આવે કહેઃ અંગ્રેજી શબ્દ ન ચાલે! હા પણ જેનો કોઈ પર્યાય ન હોય તો? તો શું ‘ચોળીનું કે પોલકાનું કપડું’ પેસે ખરું ? એ તો ભદ્રંભદ્રીય થઈ જાય. ‘સ્વીમિંગપુલ’ માટે આપણે ‘તરણકુંડ’ સતત બોલીએ છીએ? ‘ટેબલ’ માટે ‘મેજ’ કોઈ સમજશે? ‘ડાઈનિંગ ટેબલ’નું ગુજરાતી છે આપણી પાસે?

એવો જ એક શબ્દ હતો ‘સ્થાનબદ્ધ’ જેનો અર્થ થાય અંગ્રેજીમાં ‘કન્ફાઈમેન્ટ કે ‘ઇમ્પર્‌ીઝનમેન્ટ’ કે ‘ડીટેઈન્ડ’ એવો થઈ શકે પણ પછી એક અંગ્રેજી શબ્દ જડ્યો : ‘ઇન્ટર્ન્ડ’ એટલે ‘નજરકેદ’. પણ આ ‘સ્થાનબદ્ધ’માં ‘નજરકેદ’ ઉપરાંત ‘જેલવાસ’, ‘અટકાયત’ જેવી અર્થછાયાઓ પણ હતી, એટલે મિત્રોએ કહ્યું કે મૂળ મરાઠી શબ્દ સ્થાનબદ્ધ જ રહેવા દો! પણ એ લેખમાં ચાળીસ વાર આવતો આ શબ્દ! હું કંઈ હનુમાનચાળીસાની જેમ આ ‘સ્થાનબદ્ધ ચાળીસા’નો જાપ કરવા જરાયે તૈયાર નહોતી, કેમ?

ભલે ને સુરતી ઊંધિયું દેખાવે એકદમ લીલુંછમ્મ અને લવિંગિયા મરચે લિજ્જતદાર થયું હોય પણ ગૃહિણીએ ઊતાવળને કારણે એ સુરતી ત્રણ દાણાવાળી પાપડી નોકરને ચૂંટવા આપી દીધી હોય ને પછી, પછી? પૂરી સાથે લીધેલા ઊંધિયાને એ કોળિયે કોળિયે પાપડીની નસો દાંતમાં ભરાયા કરે, મોંમા અટવાયા કરે એવું મારે અહીં થવા દેવું નહોતું.

મેં ‘નજરકેદ’ શબ્દ જ રહેવા દીધો અને એ લેખ પુસ્તક થતાં પહેલાં ‘શબ્દસૃષ્ટિ’માં છપાયેલો તો ખૂબ ઊંચકાયો અને નવાજાયો પણ ખરો!

પુ.લ.ના હાસ્યલેખોના અનુવાદમાં હું હાંફી છું પણ  કંટાળી ક્યારે ય નથી.

•

મેં શરૂઆતમાં કહ્યંુ તેમ મૂળ લેખકના શબ્દને એમને એમ જ પણ એના ભાવ સાથે મૂકવાના છે પણ એને સજાવવાના નથી. એકાદ વાર એવું થયેલું કે મૂળ પુસ્તકનું કથાવસ્તુ બહુ સારું પણ, રાજસ્થાનના પાણીવાળા બાબા રાજેન્દ્રસિંહની કથાવાળું, એ પુસ્તકની શૈલી બહુ કાચી ! હું ધરમસંકટમાં હતી કે એમની શૈલીને મઠારું કે નહીં? હંમેશની જેમ બોરીસાગરસાહેબ મારી મદદે આવ્યા કે આપણે તો એને બહુ સારી રીતે જ રજૂ કરવાનું. તો ત્યાં મેં મારી હેસિયત, એક અનુવાદકની હેસિયત પ્રમાણે છૂૂટ લીધી, કેવી?

લોજમાંથી મંગાવેલા ટિફિનના દબાતા ભાતને કેવી રીતે જમવો? તો એમાં બે ચમચી પાણી રેડીને કૂકરમાં એક સીટી વગાડીને ચડાવી લેવાના છે, બસ, એટલું જ નહીં કે એને મરીમસાલાનો વઘાર કરીને પુલાવ બનાવવા બેસી જવાનું! એ અનુવાદમાં કોઈ ફેરફાર ન કર્યો પણ મૂળને થોડો ઘાટ આપ્યો.

અનુવાદકે નવી વહુની જેમ વિનમ્ર રહેવાનું હોય છે. નવી વહુએ સાસરે જઈને પિયેરની ફિસિયારીઓ મારવાની હોતી નથી; તેણે તો નમ્ર બનીને, સાસરીના રીતરિવાજ નિહાળતા રહીને તેમાં પિયેરના સંસ્કાર રેડવાના હોય છે. પિયેરના એ સંસ્કાર થકી સાસરીના રીતરિવાજને ઊજાળવાના હોય છે. અનુવાદકે પોતાની ભાષાના સંસ્કાર થકી મૂળ ભાષાને ઊજાળવાની હોય છે.

•

આમ જોઈ શકાય કે અનુવાદ કરવામાં કલા, કુનેહ, યુક્તિ-પ્રયુક્તિ, સંશોધન અને વિનયવિવેકની જરૂર હોય છે જેના દ્વારા આનંદનો ઓચ્છવ માણવાનો હોય છે. પોતાની અંદર વિનયવિવેક જેટલા વધારે તેટલો આનંદ બેવડાતો જાય.

બે વર્ષ પહેલાં જેમને હિંદુ પુસ્તક માટે જ્ઞાનપીઠ એવૉર્ડ મળ્યો તે મરાઠી સાહિત્યકાર ભાલચંદ્ર નેમાડે કહે છે કે અનુવાદકને એક વાર જ મૂળ લખાણનો અર્થ કાઢવાની કલા, કુનેહ આવડી જાય તો એની પોતાની જિંદગીના અર્થો પણ ખૂબ સહજતાથી કાઢી શકે છે! તેમણે અનુવાદકને કલાકાર કહ્યો છે.

મને અકાદેમીનો રાષ્ટ્‌ીય પુરસ્કાર મળ્યો તે પહેલાં એક રાત્રે ઉત્તમ અનુવાદક વિનોદ મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના નાના પુત્રનો ફોન આવેલો અને તેમણે કહ્યું કે તમારું ‘મુકામ શાંતિનિકેતન’ પુસ્તક એકી પડખે વાંચી ગયો, છેલ્લાં પાનાં સુધી મને ખ્યાલ પણ ન આવ્યો કે આ અનુવાદ હતો. ત્યારે મને થયું કે હવે અકાદેમીનો એવૉર્ડ ન મળે તો વાંધો નહીં.

આટઆટલું કર્યા પછી ‘સેકન્ડક્લાસ સિટીઝન’ એવા અનુવાદકને માથે પસ્તાળ તો પડવાની જ! કારણ કે અત્તરની એક શીશીમાંથી બીજીમાં તે ઠાલવતા પહેલીમાં થોડું અત્તર તો ચોંટી રહેવાનું. એટલે વિવેચકો ચોંટી પડવાના! પુ.લ.એ એક જગ્યાએ કહ્યંુ છે કે અનુવાદ એટલે પ્રિયતમાના ગાલે હાથ ફેરવવાનો પણ હાથમોજું પહેરીને!

આપણે ત્યાં એક કહેવત છેઃ “વહુ અને વરસાદને કેમેય કર્યે જશ નહીં!” મેં એમાં એક નામ ઉમેર્યંુ છેઃ અનુવાદકનું! ‘વહુ, વરસાદ અને અનુવાદકને જશ નહીં!” અહીં પેલો ‘છો-વાળો’, મોટા મને જતું કરવાનો ભાવ અનુવાદકની અંદર વિકસતો જાય છે, એ કંઈ ઓછી વાત છે!

•

અનુવાદ કરતી વખતે થયેલા જાત-અનુભવો પરથી હું કેટલાંક આવશ્યક અને સર્વસાધારણ તારણો પર આવી છું :

– હરિભક્તિના સંદર્ભે પ્રયોજાયેલા તુકારામના શબ્દોને અનુવાદ સંદર્ભે ટાંકીને કહી શકાય કે : “અહીંનો માલ ત્યાં લઈ જનારો હું એક હમાલ!”

– તેથી જ અનુવાદક પાસે મૂળ લેખકના શબ્દો સાથે ચેડાં કરવાનો કોઈ અધિકાર નથી.  મહારાષ્ટ્‌માં અવળે છેડે એટલે પાછળ પાલવ રાખીને પહેરાતી સાડી ગુજરાતીમાં આગળ પાલવે પહેરાય છે એટલું જ. સાડી એની એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી; બસ, એને પહેરવાની ઢબ જૂદી છે.

– અનુવાદકે મૂળ લેખકના રિસાયેલા ફંૂગરાયેલા શબ્દોને એક માતાની જેમ વહાલથી પટાવી મનાવીને પોતાની ભાષામાં ઊતારવાના હોય છે.

– મૂળ શબ્દોને લક્ષ્ય એવી સ્વભાષામાં ઊતારતી વખતે એને ફૂલની નાજુકાઈથી ધરીને, એને ઈજા ન થાય તેમ આપણી ભાષામાં ઊતારવાના હોય છે. અર્થાત્‌ મૂળ શબ્દોના ભાવને આપણી ભાષામાં યથાતથ ઊતારવાનો આસ્તેકથી થતો પ્રયાસ એ જ અનુવાદ.

– મૂળ કહેવતો, રૂઢિપ્રયોગો કે શબ્દપ્રયોગોને આપણી ભાષામાં લાવતી વખતે તેને સમકક્ષ જેતે પ્રયોગો પ્રયોજવાથી અનુવાદ સમજ્યે સરળ બને છે. તેથી જ આપણી ભાષાની રગેરગ અનુવાદકે પારખવાની હોય છે.

– મૂળના કાચા કથાવસ્તુના દબાતા દાણાને સહેજ ચઢાવીને એટલે કે સરખો ઘાટ આપીને આપણી ભાષામાં રજૂ કરવાનો રહે છે, એનાથી વધુ છૂટછાટ અનુવાદક લઈ શકે નહીં.

– અનુવાદક આટલી સતર્કતા રાખે તો મૂળ લેખકની સક્ષમ શૈલી અને મૂળના સૌંદર્યસ્થાનોને અનુવાદક બને તેટલી સારી રીતે પોતાની ભાષામાં રજૂ કરીને એને અનુસર્જનની તોલે મૂકી શકે છે.

– અનુવાદ કરતી વખતે પોતાની ભાષામાં વપરાતા શબ્દો ભલે જોડણીકોશમાં આપેલા હોય પણ એ ‘હોઠે ચઢેેલા’ અને ‘કાને પડેલા’ હોવા જોઈએ. અર્થાત્‌ લોકભોગ્ય હોવા જોઈએ, રોજિંદા વપરાશમાં આવતા શબ્દો હોવા જોઈએ. વાચક અને અનુવાદકની રંગત-સંગત જામવી જોઈએ. તો જ વાચક અનુવાદકની સાથે સમરસાઈને એ અનુવાદને લસલસતા શિરાની જેમ માણી શકે છે.

– અને તો જ અનુવાદ સુપાચ્ય અને સુવાચ્ય બની શકે.

– સો વાતની એક વાત કે મૂળ ભાવસોતો અનુવાદ પોતીકો લાગવો જોઈએ.

•

અનુવાદ એક કલા છે અને કૌશલ્ય પણ છે. પૂર્ણતઃ સંતોષજનક અનુવાદ એ એક કલા છે, આર્ટ છે. અંગ્રેજીના બહુ મોટા વિવેચક વિલિયમ્સ મોલિયેરે કહ્યંુ છે કેઃ Translation is not everybody’s art. આમ અનુવાદે મને વધુ સારી કલાકાર બનાવી.

અને ખાસ તો દરેક અનુવાદ મને વધુ ને વધુ નમ્ર બનાવતો ગયો, પૂછો, ક્યૂં? કારણ કે અનુવાદકનું નામ હંમેશાં મૂળ લેખકની નીચે આવતું હોય છે અને એના પોતાના નામની આગળ હંમેશાં અનુવાદક લખાતું હોય છે. જે સતત એને ભાન કરાવે છે કે આ લખનાર તું નથી બીજો કોક છે. સાથોસાથ જિંદગીના પાઠ પણ ભણાવી જાય છે આ બધું કરનારો તો ઉપરવાળો છે, તું તો નિમિત્તમાત્ર છે; સતત ઉપરવાળાની યાદ અપાવીને નિજના ગૌણત્વનું ભાન કરાવતા અનુવાદે મારા પર બહુ મોટો પાડ કર્યો છે.

•••

એ-૧ સરગમ ફ્લેટ્‌સ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા, અમદાવાદ- 380 014

Loading

...102030...3,1813,1823,1833,184...3,1903,2003,210...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved