કથાપુકુર-ત્રણ
સાચો વિકાસ મનનો હોય અને સાચી સમૃદ્ધિ પણ ચિત્તની ગણાય, એ સત્યના સમર્થન માટે બે જીવો પરમજ્ઞાની સર્વજ્ઞશ્રી પાસે પહોંચ્યા. સત્યને સમર્થનની જરૂર નથી હોતી એવું કેટલાક તર્કકાબેલ જીવોએ કહ્યું, છતાં આજના સમયમાં સત્યને પણ સમર્થનની જરૂર પડે, એમ આક્રોશપૂર્વક જણાવી એ બંને યોગ્ય સ્થળે, યોગ્ય સમયે પહોંચ્યા. સત્ય-સમર્થનમાં સર્વજ્ઞશ્રીએ જે કથા રજૂ કરી, તે સર્વ સામાન્યજન માટે પ્રસ્તુત છે :
‘જળ એ જ જીવન’ જેવું સૂત્ર આપવા છતાં જળ બચાવી ન શકાયું. (જેમ ‘બેટી બચાવો’ સૂત્રનું થયું એ જ રીતે) અનેક રાજ્યોમાં, નાનાં-નાનાં ગામોમાં, પાણી માટે પ્રજા વલખાં મારવા લાગી. ધરા રસકસહીન બની, પશુપંખીઓ ત્રસ્ત બન્યાં, મનુષ્યો વ્યાકુળ, નદીઓ નિર્જળ.
કપરા એવા એ સમયે ‘વૉટર પાર્ક’ નામે જલક્રીડા સ્થળનો મંગલ આરંભ કરવા શાસકો તત્પર થયા. જો જલ નથી તો ક્રીડા શેની, એ પ્રશ્ન ભલભલા ચતુર, મહારથી, જ્ઞાનીઓને, ક્ષુબ્ધ કરવા સમર્થ હતો. ‘વૉટર પાર્ક’ માટે જલપ્રબંધ ક્યાંથી થયો કે થશે, એ જાણવા એક નાનકડો સમુદાય શાસકવર્ગ સમક્ષ ઉપસ્થિત થયો. આર.ટી.આઈ.નો આશ્રય લેવા કરતાં મુખોમુખ વાર્તાલાપ વધુ યોગ્ય માધ્યમ છે, એવું પેલા નાનકડા સમુદાયને લાગ્યું. દેહભાષાની પણ ચોક્કસ અસર હોય.
શાસક મહાનુભાવો પાસેથી જે ઉત્તમ માહિતી પ્રાપ્ત થઈ, એમાં સુખ અને શાંતિનું પરમ રહસ્ય હતું. એમણે જણાવ્યું કે હકીકતમાં જલક્રીડા સ્થળની કેવળ કલ્પના જ કરવાની છે, એ સ્થળે સુશોભિત ચિત્રોવાળાં પાટિયાં હશે. (જલધોધ, જલરમતો, જલશિકારો, જલપરીઓ ઇત્યાદિ) ભોંય પર જલરંગી, જલતરંગો ધરાવતાં, ગાદલાં પાથરવામાં આવ્યાં હશે. ક્રીડા-ઉત્સુક, આનંદપ્રેમી, ઉત્સાહી પ્રજા આ ગાદલાં પર ઠેઠ ઉપરથી ખાબકશે. જેમ જલકુંડમાં પડે છે, એ જ રીતે ખાબકશે ત્યારે અવાજ પણ આવશે, જલમાં તરવા પડીએ, ત્યારે આવે એ પ્રકારનો. પછીની સઘળી કરામત યંત્ર દ્વારા સર્જી શકાશે. ધોધ નીચે ઊભા રહેવાનો રોમાંચ સુધ્ધાં આ રીતે જ મળશે. પાતળા પડદા પર ધોધ આલેખ્યો હશે, એની નજીક જઈને ઊભા રહેવાનું. યાંત્રિક કરામત થકી માથે, કપાળ, ગાલે પાંચદસ ટીપાં પડશે, જેને સ્નાનસુખ ગણી લેવાનું. સમસ્ત ખેલ માત્ર કલ્પનાનો, તરંગોનો જ હશે, જેથી પ્રજાની કલ્પનાશક્તિ વિકસશે, અને જલસમૃદ્ધિના આભાસથી ધન્યતાનો અદ્ભુત અનુભવ થશે. જલક્રીડા માટે વૉટર પાર્કમાં આવેલાં તમામ આનંદિત, રોમાંચિત થઈ સહુને અત્રે પહોંચી પ્રસ્તુત અનુભવ માટે પ્રેરશે. સોશિયલ મીડિયા પર સંદેશાઓ આવશે, સેલ્ફીઓ લેવાશે, પ્રજા જયજયકાર કરશે, જલ બચશે, પરંતુ જલક્રીડાની પ્રસન્નતા પ્રાપ્ત થશે. એટલે જે ઉદ્ઘાટન થશે તે વૉટર પાર્કનું નહીં, કલ્પનાનું. ચૈતસિક વિકાસ એ જ સાચો વિકાસ, એ સૂત્રની સાર્થકતા આમ સ્થપાશે; અને ‘પાણી નથી ત્યારે શું જોઈને વૉટર પાર્ક ખોલવા ગયા’ જેવા ઉપાલંભોને સણસણતો ઉત્તર મળી જશે. વિરોધીઓનાં મુખ કાળાં પડી જશે, જે ધોવા એમને સાચમસાચનું જલ શોધવું પડશે. (ના જડે તો નસીબ એમનાં! એ જ લાગનાં છે!)
‘થયુંને સત્યનું સમર્થન?’
સર્વજ્ઞશ્રીએ સૂચક દૃષ્ટિએ પેલા બે જીવો ભણી નજર કરી. બંને મુદામય સમાધિમાં લીન દેખાયા.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 16