Opinion Magazine
Number of visits: 9583697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યક્તિપૂજા પૂજનીયને અને પૂજા કરનારને નુકસાનકારી છે

નગીનદાસ સંઘવી|Gandhiana|5 February 2018

ગાંધી નિર્વાણ દિને ગાંધીજીની યાદમાં બધાં ગુજરાતી અખબારોએ પોતપોતાની રીતે અંજલિ આપી છે. આમાં ભાષા અભિમાન નથી પણ અન્ય પ્રદેશોમાંથી ગાંધીજી ભૂંસાતા જાય છે એવી દહેશત છે. આ પ્રસંગે ગાંધીજીને સમજવાના બદલે તેમને પૂજવાની મનોવૃત્તિ વધારે બળકટ હોય છે અને આવી વ્યક્તિપૂજા બંને પક્ષે પૂજનીયને અને પૂજા કરનારને નુકસાનકારી છે. પૂજા કરનારને વધારે નુકસાન થાય છે કારણ કે પૂજા કરવાની વૃત્તિનાં પરિણામે સામાન્ય રીતે અંધાપો આવે છે. અને ગાંધીજીના જીવન અને ઉપદેશમાંથી લાભ ઉઠાવવાની આપણી શક્તિ ઓછી થતી જાય છે.

જેની પૂજા કરીએ છીએ તેને પણ નુકસાન તો થાય જ છે કારણ કે જેની પૂજા થાય તે મોટાભાગે અને લાંબાગાળે કેવળ પથરો જ બની જાય છે. મંદિરોમાં દૈવી તત્ત્વ હોતું નથી મોટાભાગે પથરા પર પાણી કે દૂધ કે ફૂલ ચડાવવાની પ્રવૃત્તિ જ મુખ્ય બની જાય છે. ભગવાનને સ્નાન કરાવવું, કપડાં પહેરાવવાં કે ભોગ ધરવાથી ભગવાન કરતાં પૂજારીને જ ફાયદો મળે છે. આવી દશા ગાંધીજીની થાય તો તેમની હત્યા કરતાં પણ વધારે ભયંકર ગણાવું જોઇએ.

ગાંધીજીની હત્યા આઘાતજનક છે પણ તેમાં દુ:ખરૂપ કહી શકાય તેવું કશું નથી. ગાંધીજીને આવું જ મરણ શોભે અને ગાંધી પોતે પણ આવું જ મરણ વાંછે. ગાંધીજી ઇસ્પિતાલના ખાટલે પડીને મહિનાઓ સુધી ટાંટિયા ઘસતા જીવે તે દૃશ્ય સુખકર નથી. અને તેમાં ગાંધીજીના પયગંબરપણાને બટ્ટો લાગે. ઇસુને તો વધસ્તંભ જ શોભે અને સોક્રેટીસના હાથમાં ઝેરનો પ્યાલો જ હોવો જોઇએ તેમ ગાંધીજીને જેવું શોભે તેવું જ મરણ મળ્યું છે.

કારણ કે તેમનાં અંગત સ્વજનો મહાદેવ દેસાઈ અને કસ્તૂરબા વિદાય થઇ ચૂક્યાં હતાં અને ભારત આઝાદ થાય તેવું તેમનું જીવનસ્વપ્ન પણ સાકાર થઈ ગયું હતું. સવા સો વરસ જીવવાની ગાંધીજીની ઇચ્છા પૂરી થઈ હોત તો આઝાદી પછીનાં પચાસ વરસના ભારતને જોઈને તેમની આંતરડી કકળી ઊઠી હોત. આ પચાસ વરસે ગાંધીજીના નામે અને તેમના અનુયાયી હોવાનો દાવો કરનાર લોકોના ભ્રષ્ટાચાર અને ચરિત્રહીનતા તેમના માટે અતિ દુ:ખકર થઈ પડ્યા હોત. સ્વાર્થી હેતુ પોષવા માટે ભારતની લોકશાહીને મરણતોલ ફટકો લાગ્યો તે વખતે સંજય ગાંધીનાં કરતૂતો જોઇને ગાંધીજીએ કદાચ આમરણાંત અપવાસ અથવા અગ્નિપ્રવેશના માર્ગે આત્મહત્યા કરી હોત. અમસ્તુ પણ પોતાને ક્યારેક પોતાના પેટમાં છરી મારવાની ઇચ્છા થઈ આવે છે તેવું તેમણે પોતે જ લખ્યું છે.

ગાંધીજીની પૂજા ન કરીએ તેમ તેમનામાં દૈવીપણાનું આરોપણ પણ ન થવું જોઈએ. ગાંધી એ પૂજવાનું સ્થાનક નથી. સમજવા જેવી વ્યક્તિમત્તા છે અને દરેક માણસની જેમ ગાંધીજીમાં પણ અપૂર્ણતા છે જ. આપણામાં અને ગાંધીમાં સૌથી મોટો તફાવત એ છે કે આપણને આપણા દોષ કે નબળાઈ ધ્યાનમાં આવતા નથી. ગાંધીના ધ્યાનમાં આ બંને બાબતો સતત રહી છે. તેમને તો મહાત્મા પદ પણ કઠતું હતું અને લોકો પોતાને મહાત્મા કહે ત્યારે પોતાને થતી વેદના પણ તેમણે શબ્દબદ્ધ કરી છે.

ગાંધીજીની બધી વાત માનવા જેવી નથી. બ્રહ્મચર્ય વિશેના ગાંધીજીના ખ્યાલ અને તેમનો આગ્રહ બંને તદ્દન ખોટા છે અને ભારતીય પરંપરાના વિરોધી છે. ખ્રિસ્તીઓ-ખાસ કરીને કેથોલિક ખ્રિસ્તીઓ દેહસંબંધને સૌથી મોટું (cardinal) પાપ સમજે છે અને ગાંધીજીએ પણ આ ખ્યાલ અપનાવી લીધો છે. ઉપનિષદના તમામ ઋષિઓ સંસારી હતા અને યાજ્ઞવલ્ક્યને વળી બે પત્નીઓ હતી. આ બાબતમાં ઘણું લખાઈ અને ચર્ચાઈ ચૂક્યું છે પણ એક જ વાક્યમાં કહેવું હોય તો બ્રહ્મચર્ય અંગેની ગાંધીજીની વિભાવના તદ્દન વાહિયાત છે. આવા ખ્યાલના કારણે ગાંધીજીના અનેક અનુયાયીઓના જીવન ખરાબે ચડ્યા છે અને મોટાભાગના ‘ગાંધીવાદી’ઓ ઢોંગી બન્યા છે.

રાજકીય પ્રવૃત્તિ અંગે ગાંધીજીનો અભિગમ તે ગાંધી જીવનનું સૌથી વધારે આકર્ષક અને સૌથી ઓછી ચર્ચાયેલી બાબત છે. અધ્યાત્મ સાધનાને પોતાના જીવનનો પ્રધાન ઉદ્દેશ લેખાવનાર ગાંધી આખી જિંદગી રાજકારણમાં ગળાડૂબ રહ્યા. પણ ગાંધીજીનું રાજકારણ ચીલાચાલુ રાજકારણ નથી. ગાંધીજીએ હોદ્દા સ્વીકાર્યા છે પણ અણગમતા મને અને નાછૂટકે સ્વીકાર્યા છે અને વહેલામાં વહેલી તકે છોડી દીધા છે. ગાંધીજીના હાથમાં અમાપ સત્તા હતી. આખું ભારત એક જમાનામાં તેમના શબ્દે મરવા-જીવવા તૈયાર હતું. આ સત્તા તેમણે વાપરી છે અને ક્યારેક તેના વપરાશમાં ભૂલો પણ કરી છે પણ સત્તા તેમણે કદી ભોગવી નથી.  

ગાંધીજીનો રાજકીય અભિગમ સમજવો હોય તો ભારતથી ઘણે દૂર જવું પડે અને બે હજાર વરસ પાછા જવું પડે. ગ્રીસ દેશની બૌદ્ધિક, આર્થિક અને કલાપ્રવૃત્તિની રાજધાની ગણાય તેવા એથેન્સ શહેરમાં ત્રીસ વરસ સુધી સતત જેનું નામ ગવાયું અને જેની હાંક સંભળાઈ તેવા પેરીકલીસે કહ્યું છે તે ગાંધીજીનો અભિગમ છે. ‘જે નાગરિક રાજકારણમાં પ્રવૃત્ત નથી તે નકામો છે અને જોખમી છે.’ રાજકારણ સમાજની સેવા કરવાનું સૌથી બળવાન અને સૌથી વધારે જરૂરી સાધન છે. આવા બધા વિચાર ગ્રીસના તત્ત્વચિંતકોએ પણ દર્શાવ્યા છે અને કદાચ ગાંધીજીએ તેમની પાસેથી અપનાવ્યા છે.

ગાંધીજીનો દેખાવ ઘણો છેતરામણો છે. પોતાની જાતને વણકર અને ખેડૂત ગણાવનાર ગાંધી તે જમાનાનો સૌથી બાહોશ અને સૌથી વધારે પ્રભાવશાળી વકીલ છે અને ગાંધીજીની વાચનયાત્રા તેમના તમામ સમકાલીનો કરતાં વધારે વિસ્તૃત છે. ગાંધીજી જેટલું વાંચનાર બીજો આગેવાન શોધવો અઘરો થઈ પડે. બહુ મોટી સંખ્યામાં પુસ્તકો વાંચનાર માણસ મોટાભાગે મૌલિક વિચારશક્તિ ગુમાવી બેસે છે, પણ ગાંધીજીએ આટઆટલા વાચન પછી પણ પોતાની મૌલિકતા અખંડ જાળવી રાખી તે કેટલી મોટી ભગીરથ સિદ્ધિ છે તે આપણા જેવા સામાન્ય માણસની સમજશક્તિની બહારની બાબત છે. આપણે જે બધું સાંભળીએ કે વાંચીએ તે બધું આપણે સમજીએ છીએ તેવો દાવો કરવો તે ઘણું જોખમી થઇ પડે.

સૌજન્ય : ‘પરિક્રમા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2018

Loading

ભગતસાહેબ જેવા ગુરુ અનેક પેઢીને પ્રાપ્ત થાઓ

રઘુવીર ચૌધરી|Opinion - Literature|5 February 2018

ગુજરાતભરમાં ‘ભગતસાહેબ’ તરીકે જ ઓળખાતા. આ સાહેબ શબ્દમાં જે આદર છે, એના એ અધિકારી હતા. એક હતા જયંતિ દલાલ, અમદાવાદની ઓળખ એમના શબ્દમાં વ્યક્ત થઈ. જયંતિ દલાલને પણ ભગતસાહેબ બરોબર ઓળખતા. નગરજીવનની બોલચાલની ભાષા જયંતિ દલાલના પુસ્તક ‘શહેરની શેરી’માં આપણે જોઈએ છીએ અને ભગતસાહેબે એની બરાબર કદર કરી હતી.

એ જ રીતે ગુજરાતી કવિતાને બોલચાલની ભાષાનો રણકો નિરંજન ભગતની કવિતામાં પ્રાપ્ત થયો. જેવું તે અમદાવાદને ચાહતા એવું જ તે મુંબઈને ચાહતા. ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પૂચ્છ વિનાની મગરી .. જેવું ગીત રચીને એમણે નગરજીવનના સંદર્ભે આધુનિક સંવેદના વ્યક્ત કરી હતી. સિમેન્ટ-કોંક્રિટ, સ્ક્રુ-ખીલા જેવા શબ્દો પહેલીવાર ગુજરાતી ગીતમાં આવ્યા. એમણે અનુષ્ટુપ છંદને પણ બરાબર ખેડ્યો અને એમાં નગરની વાસ્તવિક અને અતિવાસ્તવિક સ્થિતિને વ્યક્ત કરી. એમની જાણીતી પંકિતઓ છે:  

કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે
શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે

હું અને ભોળાભાઈ પટેલ મુંબઈમાં આવેલા આ કાફેને ભગતસાહેબ સાથે જોવા ગયેલા. ભગતસાહેબ સાથે પ્રવાસ કરવો એ પણ એક લહાવો હતો. એમને કવિતા વિશે સાંભળવા એ પણ એક લહાવો હતો. અને એમનો વિરોધ કરીને એમની દલીલો, એમનાં દૃષ્ટાંતો, એમની ઇતિહાસદૃષ્ટિ, સ્વતંત્રતા માટેના એમના ખ્યાલો આપણે જાણતા હોઈએ તો પણ એમના અવાજમાં એ સાંભળીને ધન્યતા અનુભવતા. છેલ્લા ત્રણેક દાયકામાં એમણે રવીન્દ્રનાથને ગુજરાતી ભાવકો સમક્ષ સતત રજૂ કર્યા.

શૈલેષભાઈ જેવા તેમના મિત્રોએ પણ બંગાળી પર અધિકાર મેળવ્યો અને રવીન્દ્રનાથ વિશે કામ કર્યું. આ શૈલેષભાઈએ ભગતસાહેબનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કર્યો છે, જેનું સાહિત્ય પરિષદે પ્રકાશન કરેલું છે. ભગતસાહેબ અને લાભશંકર ઠાકરે ગુજરાતી કવિતાના આસ્વાદનું પ્રભાવક કાર્ય કરેલું. એમાં નરસિંહથી માંડીને દયારામ સુધીની કવિતાનો એ પાઠ કરતા. પાઠ પોતે જ આસ્વાદક હોય. આમ તેઓ મૂર્તિપૂજા વગેરેમાં માનતા ન હતા, પણ દયારામની કવિતા માણતા હોય તો એના પ્રવાહમાં ગીત પણ રચે ‘હરિવર મુજને હરી ગયો, મેં તો વહાલ કીધું નહોતું, ને તો ય મુજને વરી ગયો …’

આ ગીત અતુલ દેસાઈએ ગાયેલું અને કુમુદિની લાખિયાએ એના પર નૃત્ય કરેલું, એ જોઈને સમીક્ષક નામવરસિંહ પ્રસન્ન થયેલા. એ પછીના વર્ષમાં જ કદાચ નામવરસિંહના સૂચનથી દિલ્હી સાહિત્ય અકાદમીએ સંવંત્સર વ્યાખ્યાન માટે ભગતસાહેબને આમંત્રણ આપેલું. એમાં તેઓ રવીન્દ્રનાથની કૃતિ ‘ચિત્રાંગદા’ વિશે બોલેલા. મોરારિબાપુની નિશ્રામાં ચાલતા અસ્મિતા પર્વમાં બે વખત આવ્યા પછી ભગતસાહેબે ના પાડી તો મેં તેમને કહ્યું કે તમે એમને ‘ચિત્રાંગદા’ વિશે બોલવા કહો તો એ ના નહીં પાડી શકે. અને એ મહુવા આવેલા, બે કલાક બોલેલા.

એ પૂર્વે મીરાંબાઈ વિશે પણ બે કલાક બોલેલા. ત્યાં વ્યાખ્યાન 50 મિનિટનું હોય છે, પરંતુ ભગતસાહેબ માટે બે કલાક પણ ઓછા પડે. આવા તો અનેક પ્રસંગો છે કે અંગ્રેજી સાહિત્ય વિશેના એસ.આર. ભટ્ટના અને નિરંજન ભગતના બબ્બે કલાકના પ્રવચનો અમારી પેઢીએ સાંભળેલા હોય. મેં ‘દિવ્ય ભાસ્કર’માં એમની આજની કવિતા વિશે લેખ લખેલો. ત્રણ ચાર દાયકાના વિરામ પછી એમણે કવિતા લખવાની શરૂ કરી. તેમાં તદ્દન બોલચાલની ભાષામાં સહેજે ય રંગદર્શિતા વિના એમણે પ્રેમની કવિતા લખી છે. ગીત પણ વનવેલી છંદમાં વાંચી શકાય એવી કેટલીક રચનાઓ છે. અમે થોડાક મિત્રો (હું, રમેશ ર. દવે અને કિરીટ દૂધાત) ભગતસાહેબ વિશે અધ્યયન ગ્રંથ તૈયાર કરી રહ્યા છીએ. એમાં એમના વિશે પ્રગટ થયેલા લેખો અને નવા લેખો પણ હશે.

રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત મળીને ગુજરાતી કવિતાને એક નવો યુગ આપે છે. રાજેન્દ્રભાઈમાં અદ્વૈત દર્શન વ્યક્ત થાય છે તો નિરંજન ભગતની કવિતામાં સામાજિક સંદર્ભ સાથેની વ્યાપક યુગચેતના વ્યક્ત થાય છે. આ દૃષ્ટિએ એમના પ્રદાનનું રાષ્ટ્રીય મહત્ત્વ છે. ફ્રેન્ચ ભાષા તેઓ જાણતા હતા અને ત્યાંના પ્રવાસોની ડાયરી પણ પ્રગટ કરવા જેવી છે. એમને વિવેચન માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મ‌ળેલો. ગુજરાતના જે તે સમયના તમામ સન્માન એમને પ્રાપ્ત થયેલાં.

એ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સ્વીકારે એ માટે અમે કેટલાક મિત્રો તેમને ત્યાં ગયેલા અને વચન લઈને જ ઊભા થયેલા. એ જ રીતે તેમણે ટ્રસ્ટી પદ પણ સ્વીકાર્યું હતું. એમના સૂચનથી એમના બે શિષ્યો – પાવનભાઈ અને રૂપલબહેન પણ ટ્રસ્ટી તરીકે પરિષદને સેવા આપે છે. અમારી પેઢીના ગુરુ નિરંજન ભગત આગામી અનેક પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.

સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2018

Loading

વિજ્ઞાન: આગળ કામ ચાલુ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 February 2018

ચાર્લ્સ ડાર્વિને ૧૮૫૯માં ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પેસીસ’ પુસ્તક પ્રગટ કર્યું ત્યારથી, ‘માણસની ઉત્ક્રાંતિ બંદરમાંથી થઈ છે’ એ થિયરી રૂઢિવાદીઓના નિશાન ઉપર રહી છે. પ્રકૃતિ ક્રમિક-પરિવર્તન દ્વારા પોતાનો વિકાસ કરતી રહે છે, અને અન્ય જીવોની જેમ, આપણા સૌના પૂર્વજ એક જ હતા, પણ ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રમાણે જીવતા રહેવાના સંઘર્ષના કારણે રચનાઓમાં બદલાવ આવતો ગયો, અને (ઝાડની ડાળીઓની જેમ) અલગ અલગ પ્રજાતિમાં તબદીલ થઈને પેઢી-દર-પેઢી આગળ વધતા ગયા.

ડાર્વિનનો આ વિચાર એટલો પાવરફુલ હતો કે, તે સમયના (સંસારનું સર્જન ઈશ્વરે કર્યું છે, અને મનુષ્ય દેવનો દીધેલ છે, એવું માનતા) ધર્મપંથીઓમાં હાહાકાર મચી ગયો હતો, અને ‘આટલી સરળ વાત આપણને કેમ સમજમાં ના આવી?’ એવી ભાવના સાથે સમકાલીન વૈજ્ઞાનિકો જબ્બર ઉત્સાહમાં આવી ગયા હતા.

એટલે કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે હમણાં ગયા સપ્તાહે ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત ‘વૈજ્ઞાનિક રૂપે ગલત છે’ કહીને એને સ્કૂલ-કોલેજના અભ્યાસક્રમમાંથી હટાવી દેવાની હિમાયત કરી ત્યારે, એક રીતે તો એ સદીઓથી ચાલી આવતી રૂઢિચુસ્ત પરંપરાની જ ભાષા બોલી રહ્યા હતા, પણ આશ્ચર્ય એ વાતનું હતું કે, મૂળ આ વિવાદ પશ્ચિમનો છે, અને ભારતમાં એને લઈને, એકેડમિક રસ સિવાય, કોઈ ચર્ચા થઈ નથી. સત્યપાલ પહેલા મંત્રી છે, જેમણે આ વિવાદને આયાત કર્યો છે. તેમણે એવો (બહુ જૂનો અને જાણીતો) તર્ક કર્યો છે કે, ‘આપણા પૂર્વજોએ ક્યારે ય કોઈ બંદરને ઇન્સાન બનતાં જોયો નથી, કે ન તો એવો કોઈ ઉલ્લેખ કર્યો છે.

ઇન્સાન તો હંમેશાંથી પૃથ્વી ઉપર જોવા મળ્યો છે.’ વર્ષો અગાઉ પંજાબ યુનિવર્સિટીમાં  નૃવંશશાસ્ત્રની એક કોન્ફરન્સમાં જ્ઞાની ઝૈલસિંહે એવો સવાલ કરેલો કે, માણસ જો બંદરમાંથી આવ્યો હોય તો, તોતા (પોપટ) ક્યાંથી આવ્યો?, પણ એને ‘જ્ઞાની’ મજાક ગણીને લોકોએ હસી કાઢેલું.

યુરોપમાં તો હવે ઓછું, પણ અમેરિકામાં સૃષ્ટિવાદ (ક્રિએશનિઝમ) અને ઉત્ક્રાંતિવાદનું યુદ્ધ હજુ પણ લડાઈ રહ્યું છે. ૧૯૬૮માં આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, અને કોર્ટે (ઈશ્વરે વિવિધતા સભર જીવસૃષ્ટિનું સર્જન કર્યું હતું તેવા) સૃષ્ટિવાદને સ્કૂલ-કોલેજમાં ભણાવા મંજૂરી આપી હતી.

એ પછી ઘણાં રાજ્યોએ કાનૂન બનાવીને એને અભ્યાસક્રમ સામેલ કર્યો હતો. આજે પણ ત્યાં ઘણી સ્કૂલોમાં ઉત્ક્રાંતિના સિદ્ધાંતના સ્થાને બુક ઓફ જેનેસિસ (બાઈબલનો પહેલો ખંડ) ભણવામાં આવે છે. આ લોકો ડાર્વિનના ક્રમિક-વિકાસમાં માનવા નથી પ્રેરાતા એનું એક કારણ એ છે કે, સમયની ધારામાં એક જીવની અંદર આ વિકાસ એટલો ધીમો હોય છે કે, કરોડો વર્ષો અને હજારો પેઢીઓ પછી એ બદલાવ નજર આવે છે. એટલે એમાં માનનારી વ્યક્તિ પણ એને પુરવાર કરી શકે તેમ નથી.

બીજું કારણ એ છે કે, ઉત્ક્રાંતિવાદથી ઈશ્વરનો છેદ ઊડી જાય છે, અને રૂઢિચુસ્ત લોકોને એ મંજૂર નથી. ડાર્વિનને ઈશ્વરનો કાતિલ કહેવામાં આવે છે. એના સમયમાં પણ એની સામે સવાલો થયા હતા. ૧૮૭૯માં એક જર્મન વિદ્યાર્થી પરના પત્રમાં ડાર્વિને લખ્યું હતું, ‘હું ઘરડો અને બીમાર માણસ છું. મારે બહુ કામ કરવાનાં બાકી છે. તારા બધા સવાલોના જવાબ આપવાનું સંભવ નથી, અને મારી પાસે સમય પણ નથી. વિજ્ઞાનને (જિસસ) ક્રાઈસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. મને નથી લાગતું કે, ઈશ્વરે પ્રકૃતિ અને મનુષ્યની રચના પાછળનો એનો ઉદ્દેશ કોઈને ય કહ્યો હોય.’

સંસારની રચનામાં મનુષ્યના (બીજા જીવો કરતાં) ચડિયાતા હોવાનો (ખોટો) ખયાલ જોડાયેલો હોવાથી સંસારની રચના પાછળ ઈશ્વરનું હોવું અનિવાર્ય થઇ ગયું છે, અને એટલે જ સૃષ્ટિવાદ અને ઉત્ક્રાંતિવાદની તકરાર શ્રદ્ધા વિરુદ્ધ બુદ્ધિની લડાઈ બની ગઈ છે. યુરોપમાં વિજ્ઞાનનો વિકાસ થયો ત્યારે ધાર્મિક લોકોએ વિજ્ઞાનિકોને ધર્મભ્રષ્ટ કહીને વિરોધ કર્યો હતો, જ્યારે વિજ્ઞાનિકોએ એમને પાખંડી અને અંધવિશ્વાસુ ગણીને મજાક ઉડાવી હતી.

ભારતમાં સ્વતંત્રતાની ચેતના પ્રગટ થઈ ત્યારે એક બીજી ભાવના પણ મજબૂત થવા લાગી કે, ભારત એટલાં વર્ષો સુધી ગુલામ રહ્યું છે એનું એક કારણ ભારતીય સમાજમાં રહેલું પછાતપણું છે. ૧૯મી સદીમાં ભારતમાં જે સુધારાવાદી ચળવળ શરૂ થઈ, તેમાં ભારતીય સંસ્કૃિતને વિજ્ઞાન અને વિવેકબુદ્ધિની બુનિયાદ ઉપર વ્યાખ્યાઈત કરવામાં આવી. એમાં જ, ધાર્મિક માન્યતાઓને (કે ગેરમાન્યતાઓ) હાંસિયામાં ધકેલાઈ ગઈ. આજે બૌદ્ધિકોને ‘લેફ્ટવાળા’ કહીને જે ગાળ આપવામાં આવે છે, તે આ સુધારાવાદી સોચના પ્રતિ-આઘાતમાંથી આવે છે. હવે તો ઘણા સમયથી વૈજ્ઞાનિક સોચને ‘વિદેશી સંસ્કાર’ના આક્રમણ તરીકે પણ ગણવાનું શરૂ થયું છે.

વિજ્ઞાનની સમજ આવી તે પહેલાંના ભારતમાં પૂજારીઓ-પુરોહિતો જે ભણાવે તેણે સત્ય માની લેવાતું હતું. આઝાદી પછી ભારત પશ્ચિમની વૈજ્ઞાનિક દુનિયાના સંપર્કમાં આવ્યું પછી, સત્યના પુરાવા માગવા લાગ્યું. ભારતમાં વૈજ્ઞાનિક અભિગમ (ઈસાઈ કે ઇસ્લામિક સમાજની સરખામણીમાં) વધુ સરળતાથી સ્વીકારાયો એનું કારણ એ કે, હિંદુ ધર્મમાં એક જ ઈશ્વર, એક જ સત્ય, અને એક જ શાસ્ત્રની ધારણા નથી. અહીં બહુવિધ (સર્વગ્રાહી) ધર્મગ્રંથો છે, અને એમાં સંસારની બહુવિધ કહાનીઓ છે. બાઈબલ અને કુરાનમાં જગત વિષે એક નિશ્ચિત ધારણા છે, જે બધાયે અનુસરવાની છે.

હિંદુ પરંપરામાં વેદ, મહાકાવ્યો અને પુરાણોમાં ઉત્પત્તિની અલગ અલગ કહાની છે અને બધાનો સરવાળો એમ કહે છે કે, ભ્રહ્માંડ એક નથી અને અંતિમ નથી. ગંગામાં જેટલી બુંદ છે તેટલાં ભ્રહ્માંડ છે. બ્રહ્માંડ સર્જન અને વિર્સજનની સતત ચાલતી સાઈકલ છે, ના અંત છે, ના આરંભ છે. ઘણા લોકો દશાવતારની કહાનીને ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત સાથે સરખાવે છે, જેમાં વિષ્ણુનો પહેલો અવતાર માછલી તરીકે છે. હિંદુઓ એમ પણ માને છે કે, વિવિધ દેવોમાં વિવિધ પ્રાણીઓનાં ‘ફીચર’ એ ખયાલનો દ્યોતક છે કે, મનુષ્ય પશુ યોનિમાંથી આવે છે અને પુનઃ પ્રાણી યોનિમાં જન્મે છે.

હિંદુ વિચારમાં સમય ચક્રાકાર છે, અને (ઋગ્વેદના પુરુષ સૂક્ત કહે છે તેમ) પુરુષ (આદિ અસ્તિત્વ) અગાઉથી જ અસ્તિત્વમાં છે, અને કાયમ અસ્તિત્વમાં રહેશે. જીવન અસીમ છે, અને જીવ અસીમ વખત જીવન જીવે છે. આ વિચાર હિંદુ પરંપરામાં કેન્દ્ર સ્થાને છે.

જજમેન્ટ ડે, અંતિમ દિવસ, એ ઈસાઈ કલ્પના છે. ઇસ્લામમાં કયામત છે. એ સમયની રેખિક (લિનિયર, સીધી લીટી) સોચ છે. બ્રહ્માંડ એક બિંદુ પરથી શરૂ થયું હતું, અને બીજા બિંદુ પર ખતમ થશે. જીવ પણ જન્મીને મૃત્યુમાં અંત પામે છે. ધ એન્ડ. પછી કશું નહીં. એટલે ઈસાઈ અને ઇસ્લામમાં, સંસારનો કે મનુષ્યનો, પુનર્જન્મ નથી. હિંદુ પ્રલય એ કયામત કે અંત નથી, એ સંસારનો વિલય છે, જ્યાંથી ફરી સર્જન થાય છે.

પશ્ચિમની રેખિક સોચમાં સ્ટાર્ટ ટુ ફિનિશ છે, એટલે એનો ઇતિહાસ પણ છે. હિંદુઓની ચક્રાકાર માન્યતામાં સમયને એક લીટીમાં બાંધવો એ મૂર્ખામી છે, એટલે ઇતિહાસ એ એક પડાવથી વિશેષ કંઈ નથી. વિજ્ઞાન પણ આવી જ રીતે વર્તે છે. વિજ્ઞાનમાં કશું અંતિમ અને નિશ્ચિત નથી. જીવન એટલું વિશાળ અને સંકુલ છે કે, એમાં નિરંતર નવાં સત્ય ઉજાગર થતાં રહે છે. વિજ્ઞાન સંભાવનાઓની વિદ્યા છે.

સત્યપાલની જેમ વિચારનારાઓએ યાદ રાખવું જોઈએ કે, ડાર્વિને કોઈ અંતિમ સત્ય નથી ઉચાર્યું. આવનારા સમયમાં નવી શોધ ડાર્વિનને ખારીજ કરી શકે છે, તેમ છતાં, વિજ્ઞાનનાં પુસ્તકોમાં ડાર્વિનની જગ્યા બનેલી રહેશે. એને વિજ્ઞાનના ક્રમિક-વિકાસમાં એક પડાવ તરીકે ભણતા રહેવું જોઈએ. વિજ્ઞાન  ‘કોર્પોરેશન’ નું એક એવું બોર્ડ છે, જેના ઉપર લખેલું છે- આગળ કામ ચાલુ છે. 

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2018

Loading

...102030...3,1763,1773,1783,179...3,1903,2003,210...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved