Opinion Magazine
Number of visits: 9766539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધી પોતાની જગ્યાએ સૅમ પિત્રોડાને વડા પ્રધાનપદના અને રઘુરામ રાજનને નાણાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે તો ૨૦૧૯માં ટેબલ ટર્ન થઈ શકે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 May 2018

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન બૅન્ગલોરમાં કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કૉન્ગ્રેસને સરખી બેઠકો મળશે તો તેઓ વડા પ્રધાન બનશે.

સરખી એટલે કેટલી એ વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકસભામાં સૌથી મોટો પક્ષ અને સ્થિર સરકાર આપી શકાય એટલી બેઠકો. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીને હજી ભરોસો નથી કે કૉન્ગ્રેસને ૧૫૦ બેઠકો મળશે. જો કૉન્ગ્રેસને ૧૫૦ કરતાં વધુ બેઠકો મળે તો ત્રીજા મોરચાની સંભાવના ટળી જાય અને કૉન્ગ્રેસ UPAનો મોરચો રચીને સરકાર બનાવી શકે.

આવું બને? અસંભવ નથી. કૉન્ગ્રેસને જો કર્ણાટક વિધાનસભામાં સારી એવી સફળતા મળશે તો એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીમાં વિજય મળવાની શક્યતા નજરે પડી રહી છે અને એ સ્થિતિમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો મુશ્કેલ નથી. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી આનું ઉદાહરણ છે. એ સમયે તો અટલબિહારી વાજપેયીની સરકારની ઇમેજ અત્યારની નરેન્દ્ર મોદીની સરકાર કરતાં ઘણી સારી હતી. એટલે તો BJPના નેતાઓએ લોકસભાની ચૂંટણી મુદત પહેલાં યોજી હતી અને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર આપ્યું હતું.

આ બાજુ કૉન્ગ્રેસમાં સોનિયા ગાંધીની ઇમેજ અને આવડત વિશે પ્રશ્નો હતા. એક તો વિદેશી, હિન્દી બોલતાં આવડે નહીં. વાંચીને ભાષણ કરે. ભારતના સામાજિક-રાજકીય વાસ્તવનું બહુ ઓછું જ્ઞાન અને કમને પરાણે રાજકારણમાં પ્રવેશીને કૉન્ગ્રેસનું નેતૃત્વ કરનારાં સોનિયા ગાંધી કૉન્ગ્રેસને સૌથી મોટા પક્ષ તરીકે બહુમતી અપાવી શકે એવી કોઈ શક્યતા નજરે પડતી નહોતી. એટલે તો એ સમયના નાયબ વડા પ્રધાન અને સંભવત: વાજપેયીના અનુગામી વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ કૉન્ગ્રેસની અક્ષરશ: દયા ખાતાં કહ્યું હતું કે જુઓને લોકશાહી માટે દેશને એક મજબૂત વિરોધ પક્ષની જરૂર છે અને આ કૉન્ગ્રેસ બેઠી થઈ શકે એવા કોઈ આસાર નજરે પડતા નથી. ૨૦૦૪માં BJPના નેતૃત્વમાં NDAનો વિજય નિશ્ચિત માનવામાં આવ્યો હતો.

જે પરિણામ આવ્યાં એ ચોંકાવનારા હતાં. કૉન્ગ્રેસને લોકસભામાં ૧૪૫ બેઠકો મળી હતી અને ડૉ. મનમોહન સિંહની સરકાર રચાઈ હતી. એક વાત યાદ રહે, ૧૯૯૯ની લોકસભામાં કૉન્ગ્રેસની ૧૧૪ બેઠકો હતી અને કુલ મતમાં વધારો થવાની જગ્યાએ ૧.૬ ટકા મતનો ઘટાડો થયો હતો. એ સમયે BJPને મળેલા મતમાં પણ એટલો જ ઘટાડો થયો હતો, પરંતુ એને મળેલી બેઠકોમાં ૪૪ બેઠકોનો ઘટાડો થયો હતો. આ ફરકનું કારણ એ છે કે ૧૯૯૯માં કૉન્ગ્રેસે UPA નામનો મોરચો નહોતો રચ્યો અને ૨૦૦૪માં સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસની મર્યાદા સ્વીકારીને NDA સામે UPAના મોરચાની રચના કરી હતી. ૧.૬ ટકાનો મતોમાં ઘટાડો થયો હોવા છતાં બેઠકોમાં ૩૧નો વધારો થયો એ મોરચાનું પરિણામ હતું.

આમ કૉન્ગ્રેસ જરૂર પુર્નજીવિત થઈ શકે, પરંતુ ૧૧૪થી ૧૪૫ પર પહોંચવું અને ૪૫થી ૧૫૦ સુધી પહોંચવું એમાં બહુ મોટો ફરક છે. સો કરતાં વધુ બેઠકોની મજલ કાપવાની છે અને એ આસાન નથી. બીજું, UPA અત્યારે લગભગ અસ્તિત્વહીન છે. UPAના જૂના ભાગીદારો અત્યારે ત્રીજો મોરચો રચવાની વેતરણમાં છે. ગેરBJP-ગેરકૉન્ગ્રેસી રાજકીય પક્ષો કૉન્ગ્રેસ ને કર્ણાટકમાં કેવો દેખાવ કરે છે એ જોઈને આગળની રણનીતિ નક્કી કરશે. આ વરસના અંત સુધીમાં કર્ણાટક અને એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ કૉન્ગ્રેસનું ભાવિ નક્કી કરી આપશે. જો એમાં કૉન્ગ્રેસને સફળતા મળશે તો UPA આકાર પામી શકે છે અને જો નિષ્ફળતા મળશે તો વિરોધ પક્ષો ત્રીજા મોરચાનો રસ્તો અપનાવશે. કેટલાક વિરોધ પક્ષોએ અત્યારે જ ત્રીજો મોરચો રચવાની તજવીજ શરૂ કરી દીધી છે તો કેટલાક પક્ષો આ વરસના અંત સુધી રાહ જોવા માગે છે. રાજકારણમાં બધું જ શક્ય છે. કોઈ પક્ષ ૪૫થી ૧૪૫ સુધી પણ જઈ શકે છે.

રાહુલ ગાંધીએ જો સરખી બેઠકો મળશે તો એવી જે પૂર્વશરત મૂકી છે એનું કારણ આ છે. હવે પછી અહીં ગણાવી એ ચાર રાજ્યોની વિધાનસભાઓમાં જો કૉન્ગ્રેસને ધારી સફળતા મળશે તો આ વરસના અંત સુધીમાં રાહુલ ગાંધીની ભાષા બદલાઈ જશે. પણ BJP? BJP અને નરેન્દ્ર મોદી માટે કેવા સંજોગો હશે એનો ઉત્તર પણ આ વરસના અંત સુધીમાં મળી જશે. ત્રણ શક્યતાઓ છે : ૧. BJP જો કર્ણાટકમાં અને ઉત્તરનાં ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય મેળવશે તો નરેન્દ્ર મોદી બીજી મુદત માટે સત્તામાં આવશે. ૨. જો BJPનો વિજય ગુજરાત જેવો હાંફી જનારો હશે તો ૨૦૧૯માં BJP સૌથી મોટા પક્ષ તરીકે કેન્દ્રમાં સરકાર રચશે, પણ વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજું હશે. ઘણું કરીને નીતિન ગડકરી અથવા સુષમા સ્વરાજ. ૩. જો આ ચારેય રાજ્યોમાં પરાજય થશે તો કેન્દ્રમાં UPAની અથવા ત્રીજા મોરચાની સરકાર આવશે.

જો કર્ણાટકમાં BJPનો પરાજય થશે તો કદાચ લોકસભાની ચૂંટણી વહેલી યોજવામાં આવે અને એની સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવામાં આવે. આને કારણે રાજ્યોનો માર લોકસભાની ચૂંટણી પર ન પડે એવી ગણતરી હોઈ શકે. જો કે રાજકારણમાં છ મહિના ઘણો લાંબો સમય છે અને દરમ્યાન કોઈ નીરવ મોદી ખેલ બગાડી શકે છે.

અહીં દિમાગમાં એક તુક્કો આવે છે. રાહુલ ગાંધી વડા પ્રધાન તરીકે પોતે ઉમેદવારી કરવાની જગ્યાએ સૅમ પિત્રોડાને વડા પ્રધાનપદના અને રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને નાણાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરે તો? તો ટેબલ ટર્ન થઈ શકે છે. નકરી વાતો અને નક્કર પરિણામમાં જમીન-આસમાનનો ફરક છે. જે મધ્યમ વર્ગે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા એ કૉન્ગ્રેસને આપી શકે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 મે 2018

Loading

જનનીની જોડ સખીનહીં જડે રે લોલ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 May 2018

હૈયાને દરબાર

મા નામના એકાક્ષરી શબ્દમાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે, નહીં?

મા શબ્દ બોલતાં જ મોંમાંથી મધ ઝરવા લાગે!

મે મહિનાનો બીજો રવિવાર માને સમર્પિત છે. ૧૩મી મે એટલે મધર્સ ડે. આમ તો આ બધા ‘ડેઝ’ પાશ્ચાત્ય સમાજની દેણ છે પણ એ નિમિત્તે વિશ્વ આખાની માતાઓને મહત્ત્વ મળવા લાગ્યું છે. હવે તો સંતાનો માને ગિફ્ટ આપતાં પણ થયાં છે.

બાકી, મા એટલે કોણ? અપેક્ષા વિના સંસાર આખાનો ભાર લઈને ફરતી સ્ત્રી. હરતોફરતો રોબો. "મા, ભૂખ લાગી છે નો આદેશ આવે ને પળવારમાં જમવાની પ્લેટ હાજર. "મા, કપડાં ઈસ્ત્રીબંધ નથી. ને તરત જ ઈસ્ત્રીટાઈટ કપડાં હાજર. ઈશ્વર પાસે માગેલું કદાચ ના મળે, પણ મા તો પડ્યો બોલ ઝીલે અને માંગેલી ચીજ હાજરાહજૂર. સામાન્યત: સંતાનો માટે માનો પ્રેમ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ હોય છે. એમના ઉછેર પાછળ કરેલો પરિશ્રમ, ભોગવેલો માનસિક પરિતાપ ઈત્યાદિ સંતાનો દ્વારા સ્વાભાવિક ક્રમમાં લેવાતું હોય છે એટલે ‘મધર્સ ડે’ નિમિત્તે એક દિવસ પણ માતાને માન-સન્માન ને ભેટ-સોગાદ મળે એ આવકાર્ય જ છે. બાકી, ‘માતૃ દેવો ભવ:’નાં ગાણાં ગાતાં આપણે અનાયાસે માના નાજુક ખભા પર કેટલો ભાર નાંખી દેતાં હોઈએ છે એ કહેવાની જરૂર નથી. શંકરાચાર્યના એક શ્લોકનો સરસ અનુવાદ કવિ મકરંદ દવેએ કર્યો છે :

મા, તેં દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધી નિચોવી ના કહું ભલે તેં ધોઈ બાળોતિયાં,
આ જે એક જ, ભાર માસ નવ તેં વેઠ્યો હું તેનું ઋણ,
પામ્યો ઉન્નતિ તો ય ના ભરી શકું, એ માતને હું નમું.

સર્જનાત્મક શક્તિનું બીજું નામ મા છે કારણ કે ઈશ્વરને પણ જન્મ લેવા માની કૂખની જરૂર પડે છે. આવી માતાને યાદ કરીને આજે આપણને સૌને પ્રિય એવા ગીત જનનીની જોડ સખી (જગે) નહીં જડે રે લોલ … વિશે વાત કરીશું. આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે ‘મધર્સ ડે’ની કે આ ગીતની રાહ ન જોવાની હોય – એનો પ્રેમ તો બારેમાસ છે.

તોયે .. ફરી એક વાર આજે મમ્મીને ‘આઈ લવ યુ’ કહી દેજો. એને જરૂર છે બસ, તમારા વહાલભર્યા શબ્દો અને પ્રેમસભર વર્તનની.

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન થતું હોય તો એ કે જ્યારે કન્યા માતા બને છે. પોતાના બાળક માટે એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે. નવ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલા ય તબક્કાઓમાંથી માતા પસાર થાય છે, માત્ર એના બાળકના વિકાસ માટે!

આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્કૃિત જીવવાની છે! આપણે તો આપણા દેશ, આપણી ધરતી અને ગાયને પણ માતા કહીએ છીએ. આવી આપણી સંસ્કૃિતનું અમર ગીત એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા હયાત હોય તો અપાર હેત વરસાવવાનું મન થાય અને સમયચક્રમાં વિલીન થઈ ગઇ હોય તો આંખ ભીંજવી જાય એવા આ ગીતની એક એક પંક્તિમાં અપાયેલી ઉપમા ખરેખર માતૃત્વને સાર્થક કરનારી છે. દરેકને એમ લાગે કે આ ગીત પોતાની મા માટે જ લખાયું છે. કાનમાં મોરનું પીંછું ફરતું હોય એવી હળવાશ, સરળ શબ્દોનું માધુર્ય અને રોમેરોમમાં વાત્સલ્યના ઝરા ફૂટતા હોય એવું સદૈવ તાજગીસભર આ ગીત માતૃવંદનાનાં કાવ્યોમાં હજુ ય ટોચ પર રહ્યું છે. મા વિશે કેટકેટલાં કાવ્યો રચાયાં છે પરંતુ, દામોદર ખુશાલદાસ બોટાદકરનું આ ગીત એટલું લોકપ્રિય થયું કે એ હવે લોકગીતની કક્ષાએ મુકાઈ ગયું છે. બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦માં અને મૃત્યુ ૦૭ સપ્ટેમ્બર ૧૯૨૪માં. દોઢસો વર્ષ પછી ય આ ગીત તરોતાજા લાગે એ કેવી મોટી ઉપલબ્ધિ!

બોટાદકર આમ તો માત્ર છ ચોપડી ભણેલા છતાં તેમણે સંસ્કૃતપ્રચુર કાવ્યસંગ્રહો વધારે આપ્યાં છે. પરંતુ, ‘રાસતરંગિણી’ નામના કાવ્યસંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળમાં સરળ અને લોકભોગ્ય અભિવ્યક્તિઓ રજૂ કરી છે. સૌંદર્ય સાથે ભવ્યતાના દર્શન કરાવતાં આ ગીતકાવ્યોમાં કુટુંબજીવન અને ખાસ તો સ્ત્રી હૃદયનાં ભાવસ્પંદનો વધુ ઝિલાયાં છે. જનનીની જોડ … જેવી વિખ્યાત ગરબીમાં એટલે જ જનની એટલે કે માની સ્તુિત જ સર્વવ્યાપ્ત છે.

સૃષ્ટિમાં અસ્ખલિત, નિ:સ્વાર્થ અને અવિરત સ્નેહની પરિભાષા આપવાની હોય તો આપણને મા જ યાદ આવે. જગજિત સિંહ સાથેની એક મુલાકાતમાં માતા વિશે એમણે સરસ વાત કરી હતી કે, "માની ભૂમિકા આપણા જીવનમાં ગેરંટેડ હોય છે. કેશ ચેક જેવી. સંતાનના સુખે તો એ સુખી જ હોય પણ, દુ:ખમાં ય આપણી પડખે કોઈ નહીં હોય તો મા તો હશે જ. શી ઈઝ અ સિમ્બોલ ઓફ પ્રોટેક્શન. આ જ વાત આ મીઠા મધુરા ગીતમાં દરેક પંક્તિએ પ્રગટે છે.

માતૃવંદના સંદર્ભે કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ની આ પંક્તિઓ પણ ખૂબ સરસ છે:

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી

અલબત્ત, માતા વિશેનાં અનેક કાવ્યોમાં જનનીની જોડ … એ સૌથી વધુ લોકભોગ્ય બન્યું અને પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. છઠ્ઠા-સાતમા ધોરણમાં સિલેબસના ભાગરૂપ આ ગીત દરેક કલાકારે ક્યારેક તો ગાયું જ હશે પરંતુ, પુરુષોત્તમ ઉપાધ્યાય તથા હેમા-આશિત દેસાઈના કંઠે આ મધુરું ગીત સાંભળવું એ લહાવો અનેરો જ. આ અમારો અંગત મત છે. આ ગીત સખીને સંબોધીને લખાયું છે એટલે એમાં પોઝિટિવિટી અને મા પ્રત્યેના પ્રેમનો આનંદ જ વ્યક્ત થયો છે. અત્યારે ભલે એ પ્રાર્થનાસભાનું ગીત બની ગયું હોય પરંતુ, હયાત માતા સામે ગાઈ જોજો અથવા એને સંભળાવી જોજો, ગીતનો આખો ભાવ બદલાઈ જશે અને તમે બોલી ઊઠશો : મોમ, યુ આર ઈનકમ્પેરેબલ, આઈ લવ યુ ઈટર્નલ!

——————————

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે …જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે …જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારેમાસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

કવિ : દામોદર ખુશાલદાસ બોટાદકર

———————————————

સોજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 મે 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=409417

Loading

રાજકુમાર ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી કેમ નહોતા લડ્યા?

વિશાલ શાહ|Opinion - Opinion|10 May 2018


નવેમ્બર ૧૯૭૮ના દિવસોની વાત છે. ઇન્દિરા ગાંધીએ કર્ણાટક વિધાનસભાની ચિકમંગલુર બેઠક પરથી પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ મરણિયા થઇને છેલ્લો દાવ ખેલી રહ્યાં હતાં કારણ કે, ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરીને કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ગુમાવી ચૂકી હતી. કોંગ્રેસની હારનું મુખ્ય કારણ હતું, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી. કટોકટીના કારણે સર્જાયેલા ઇન્દિરા ગાંધી વિરુદ્ધના જુવાળમાં, આઝાદી પછી પહેલીવાર ભારતમાં કોંગ્રેસની નહીં, પણ ક્રાંતિકારી નેતા જયપ્રકાશ નારાયણે સ્થાપેલી જનતા પાર્ટીની સરકાર બની હતી. એ સ્થિતિમાં કોંગ્રેસે ‘મેડમ’ને ઉત્તર ભારતમાંથી નહીં પણ દક્ષિણ ભારતની એક ‘સુરક્ષિત’ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો, કારણ કે, ઉત્તર ભારતમાં જનતા પાર્ટી સામે કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો ખરાબ રીતે હાર્યા હતા. એ સુરક્ષિત બેઠક એટલે કર્ણાટકનું ચિકમંગલુર.

દક્ષિણ ભારતના કોંગ્રેસી નેતા ડી.બી. ચંદ્રે ગૌડાએ ખાસ ઇન્દિરા ગાંધી માટે ચિકમંગલુર બેઠક ખાલી કરી હતી. ઇન્દિરા ગાંધી ચિકમંગલુરમાં જીતે એવી પૂરેપૂરી શક્યતા હોવાથી, જનતા પાર્ટીને એવા કરિશ્માઇ નેતાની જરૂર હતી, જે કોંગ્રેસના સૌથી ‘મજબૂત’ ઉમેદવારને ચૂંટણીના રણમેદાનમાં ચકનાચૂક કરી નાંખે. જનતા પાર્ટીની આ શોધ રાજકુમાર પર આવીને અટકી. જો રાજકુમાર ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી લડવા તૈયાર થાય, તો જનતા પાર્ટીની જીત લગભગ નક્કી હતી; પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી અને જનતા પાર્ટીએ વીરેન્દ્ર પાટિલને ચૂંટણીમાં ઊભા રાખવા પડ્યા. કહેવાની જરૂર નથી કે, એ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી જીતી ગયાં.

કોણ હતા રાજકુમાર? અને તેમણે કેમ ચૂંટણી લડવાની કેમ ના પાડી હતી?  

***

રાજકુમાર એટલે કન્નડ ફિલ્મ સ્ટાર સિંગાનાલ્લુરુ પુટ્ટાસ્વામયા મુથુરાજુ. વિશાળ ચાહક વર્ગ ધરાવતા રાજકુમાર કોઈ સામાન્ય સુપરસ્ટાર ન હતા. કર્ણાટકની પ્રજા તેમને પૂજતી હતી. રાજકુમારની ફિલ્મોની રિલીઝ વખતે કર્ણાટકમાં ઉત્સવનો માહોલ સર્જાતો. તેમના જન્મ દિવસની આખા કર્ણાટકમાં ઉજવણીઓ થતી અને કરોડો ચાહકો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવતા. કન્નડો માટે તેઓ સાક્ષાત્‌ દેવ હતા. રાજકુમાર ફક્ત ઠાલી લોકપ્રિયતા ધરાવતા અભિનેતા ન હતા, પરંતુ ભારતીય સિનેમાના ઉત્તમોતમ અભિનેતાઓમાં પણ તેમનું નામ અચૂક મૂકાય છે. ભારતીય સિનેમામાં પ્રદાન બદલ ૧૯૮૩માં પદ્મભૂષણ અને ૧૯૯૫માં દાદાસાહેબ ફાળકે સન્માન મેળવી ચૂકેલા રાજકુમાર ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી લડીને ફિલ્મોની જેમ રાજકીય ઇતિહાસમાં પણ અમર થઇ શકે એમ હતા.

રાજકુમાર

જો કે, એવું ના થયું. આખા દેશના આશ્ચર્ય વચ્ચે તેમણે કોઈ જ કારણ આપ્યા વિના ચૂંટણી લડવાની ના પાડી દીધી. એ પછી રાજકુમારે અનેક ફિલ્મોમાં કામ કર્યું અને ઈન્ટરવ્યૂ પણ આપ્યા, પરંતુ જનતા પાર્ટીની અનેક વિનંતીઓ પછીયે ઇન્દિરા સામે ચૂંટણી નહીં લડવાના નિર્ણય વિશે તેમણે ક્યારે ય ફોડ ના પાડ્યો. આ રહસ્ય આશરે ૪૦ વર્ષ સુધી અકબંધ રહ્યું. હાલમાં જ ૨૩મી એપ્રિલે રાજકુમારની ૯૦મી જન્મજયંતીની ઉજવણી થઈ, ત્યારે તેમના પુત્ર રાઘવેન્દ્ર રાજકુમારે આ હકીકત વિશે ઘટસ્ફોટ કર્યો. વર્ષ ૨૦૦૫માં રાજકુમાર ઢીંચણના ઓપરેશન માટે ચેન્નાઇની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ વખતે રાજકુમારે પુત્ર રાઘવેન્દ્રને બોલાવીને ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી નહીં લડવાનું તેમ જ ફૂલ ટાઈમ રાજકારણમાં નહીં ઝંપલાવવાના કારણો જણાવ્યાં હતા.

આ કારણો અત્યારના રાજકારણીઓ અને ફિલ્મ સ્ટારો માટે ખાસ પ્રેરણાદાયી છે. રાજકુમારનું ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી નહીં લડવાનું કારણ એ હતું કે, જનતા પાર્ટી ફક્ત ઇન્દિરા ગાંધીને હરાવવા માટે તેમનો ‘ઉપયોગ’ કરવા માંગતી હતી. એ વાત રાજકુમારને ખટકતી હતી. રાજકુમાર માનતા કે, રાજકારણમાં કોઈ 'પોઝિટિવ ચેન્જ' માટે તેમને ચૂંટણી લડવાનું કહ્યું હોત તો વાત અલગ હતી, પરંતુ 'કોઈને પાડી દેવા' રાજકારણીઓ તેમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માંગતા હતા. આ દરમિયાન રાજકુમારે પુત્ર રાઘવેન્દ્રને બીજી પણ એક વાત કહી હતી કે, 'મને ગોકક આંદોલન ભાગ લેવા અનેક લોકોએ અપીલ કરી હતી. તેમાં મેં ઉત્સાહભેર ભાગ લીધો કારણ કે, ત્યાં મારી જરૂર હતી. એ ચળવળમાં ભાગ લઈને હું કંઇક હકારાત્મક પ્રદાન આપી શકતો હતો.'

રાજકુમાર અમિતાભ બચ્ચન અને નીચે (ડાબે) રાજકપૂર સાથે

કર્ણાટક સરકારની સ્કૂલોમાં કન્નડ ભાષા ફરજિયાત શીખવાડાય એ માટે ગોકક આંદોલન થયું હતું. વર્ષ ૧૯૫૬માં અસ્તિત્વમાં આવ્યા પછી કર્ણાટકે 'ત્રિ ભાષા' થિયરી અપનાવી હતી, જેના કારણે કન્નડ વિદ્યાર્થીઓ સ્કૂલોમાં હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત શીખતા હતા પણ સ્કૂલિંગ પૂરું થઈ જાય ત્યાં સુધી કન્નડ ભાષા શીખવાનું નસીબ નહોતું થતું. આ દરમિયાન કન્નડ અને અંગ્રેજી સાહિત્યના વિદ્વાન વિનાયક ક્રિશ્ના ગોકકની આગેવાનીમાં બનેલી સમિતિએ સૂચન કર્યું કે, રાજ્ય સરકારની તમામ સ્કૂલોમાં કન્નડ ભાષા ફરજિયાત ભણાવવી જ જોઈએ. વિનાયક ક્રિશ્ના ગોકક એટલે ૨૦મી સદીના સૌથી મોટા મહાકાવ્ય 'ભારત સિંધુ રશ્મિ' બદલ ૧૯૯૦માં પાંચમા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સાહિત્યકાર. વર્ષ ૧૯૬૧માં તેમને પદ્મશ્રી સન્માન પણ મળ્યું હતું. આમ, ગોકક પણ કર્ણાટકના પ્રાદેશિક અભિમાનનું મહત્ત્વનું પરિબળ હતા, જેથી તેમણે કન્નડ ભાષા વિશે કરેલા સૂચનની ધારી અસર થઇ અને કર્ણાટકમાં કન્નડ ભાષાની તરફેણમાં જોરદાર આંદોલન થયું, જે 'ગોકક આંદોલન' તરીકે ઓળખાયું.

એ આંદોલનની જવાબદારી રાજકુમારે લીધી હતી, અને, કર્ણાટક સરકારે સ્કૂલોમાં ફરજિયાત કન્નડ ભાષા દાખલ કરવી પડી હતી. રાજકુમાર અસલી હીરો નહીં પણ સુપરહીરો હતા. જાન્યુઆરી ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીનો ફરી એકવાર રાજકીય ઉદય થયો. આ દરમિયાન જનતા પાર્ટી અને કર્ણાટકના સ્થાનિક પક્ષોના નેતાઓ રાજકુમારને રાજકારણમાં ઝંપલાવવા ઘણાં વર્ષો સુધી ભારે દબાણ કરતા રહ્યા. કર્ણાટકના પાડોશી રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ફિલ્મ સ્ટારોએ ભારતીય રાજકારણમાં ઝંપલાવીને 'હીરોપંથી' શરૂ કરી દીધી હતી. સાઠના દાયકામાં તમિલનાડુમાં ‘એમ.જી.આર.’ તરીકે જાણીતા ફિલ્મ સ્ટાર એમ.જી. રામચંદ્રનનો સૂરજ સોળે કળાએ તપતો હતો. એમ.જી.આર. ૧૯૫૩ સુધી કોંગ્રેસના સભ્ય હતા અને ફક્ત ખાદી પહેરતા. એ પછી તેઓ સી.એન. અન્નાદુરાઇની પ્રેરણાથી દ્રવિડ મુનેત્ર કઝગમ(ડી.એમ.કે.)માં જોડાઇને દ્રવિડિયન રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભર્યા.


રાજકુમાર ધર્મેન્દ્ર અને ફિલ્ડમાર્શલ કે.એમ. કરિઅપ્પા સાથે

એવી જ રીતે, એન.ટી. રામારાવે ૨૪મી માર્ચ, ૧૯૮૨ના રોજ તેલુગુ દેશમ પાર્ટી(ટી.ડી.પી.)ની સ્થાપના કરીને રાજકારણમાં કાઠું કાઢ્યું. રાજકુમાર પણ કન્નડોના નેતા બનીને મુખ્યમંત્રી બની શકે એટલી લોકપ્રિયતા અને આર્થિક શક્તિ ધરાવતા હતા. વળી, રાજકુમારને તો બીજા પક્ષોના રાજકારણીઓનો પણ ટેકો હતો. વર્ષ ૧૯૫૬માં કર્ણાટક બન્યું ત્યારે સાંસ્કૃિતક રીતે તે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. પહેલો – હૈદરાબાદ કર્ણાટક, બીજો – મુંબઇ કર્ણાટક અને ત્રીજો – જૂનું મૈસુર. હૈદરાબાદ પર નિઝામોએ શાસન કર્યું હોવાથી ત્યાંની સંસ્કૃિત અલગ હતી, જ્યારે મુંબઇ કર્ણાટક પર મરાઠી પ્રભાવ વધારે હતો અને મૈસુર કર્ણાટકમાં મૈસુરના રાજવી પરિવારનું શાસન હતું. કર્ણાટકનો આ હિસ્સો પહાડો અને દરિયાઇ પટ્ટીથી છવાયેલો છે.

રાજકુમાર આ ત્રણેય કર્ણાટકમાં વસતી પ્રજા પર એક સરખો જાદુ ધરાવતા હતા. ત્રણેય પ્રદેશોમાં વસતા કન્નડોમાં તેઓ અપ્પાજી (પિતા), અન્નાવરુ (મોટા ભાઇ), નટા સાર્વભૌમા (અભિનેતાઓનો રાજા), બંગરડા મનુષ્ય (સોનાનો માણસ), વરા નટા (ઇશ્વરીય દેન ધરાવતો અભિનેતા) અને રાજાન્ના (ભાઈ રાજકુમાર) જેવા હુલામણા નામે ઓળખાતા. આમ છતાં, રાજકુમાર રાજકારણથી દૂર રહ્યા, અને, આ માટે તેમણે આપેલાં કારણો ચોંકાવનારાં છે. આ વિશે રાઘવેન્દ્ર કહે છે કે, 'મારા પિતા માનતા કે, રાજકારણી બનવા તેમના પાસે પૂરતું શિક્ષણ ન હતું. તેમણે બીજું પણ એક કારણ આપ્યું હતું. તેઓ કહેતા કે, એક લોકપ્રિય અભિનેતા તરીકે હું જવાબદાર રહેવા ઇચ્છું છું. ફક્ત રાજકીય લાભ ખાટવા હું મારા ચાહકોને મારી સાથે જોડી ના શકું …'

દક્ષિણ ભારતની રાજનીતિના બે દિગ્ગજ અભિ‘નેતા’ એન.ટી. રામારાવ અને એમ.જી. રામચંદ્રન

રાજકુમારની આ વાત હંમેશાં પ્રસ્તુત રહેશે. આજકાલ ફિલ્મ સ્ટાર તો ઠીક, ધર્મગુરુઓ, બાપુઓ, બાબાઓ અને યોગીઓ પણ તેમના ઘેંટા જેવા કંઠીબાજ ચેલાઓની રાજકીય ઉશ્કેરણી કરતા ખચકાતા નથી, ત્યારે રાજકુમારની વાત વધુ પડતી નૈતિક લાગી શકે. રાજકુમાર દૃઢપણે માનતા કે, ઈશ્વરે મને ફક્ત ફિલ્મોમાં અભિનય કરવા માટે બનાવ્યો છે અને એ જ મારા જીવનનું મુખ્ય લક્ષ્ય છે. એંશીના દાયકામાં રાજકુમાર પરિવાર સાથે ચેન્નાઇમાં એક ભવ્ય બંગલૉમાં રહેતા હતા. રાજકુમારને રાજકીય મેદાનમાં ખેંચી લાવવા ત્યાં પણ મોટા નેતાઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. એ વખતે રાજકુમાર તેમના પત્ની પાર્વથામ્મા સાથે તમિલનાડુ જતા રહ્યા હતા કારણ કે, તેઓ ફિલ્મ અને અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોવાથી ફક્ત ફિલ્મી હસ્તીઓને મળવા માંગતા હતા. પાછલી જિંદગીમાં પણ રાજકુમાર તમિલનાડુના ઇરોડ જિલ્લામાં ગજનુરમાં આવેલા તેમના ભવ્ય ફાર્મ હાઉસમાં રહેવા જતા રહ્યા હતા.

૩૦મી જુલાઈ, ૨૦૦૦ના રોજ ચંદન ચોર વીરપ્પને એ જ ઘરમાંથી રાજકુમાર, તેમના જમાઇ ગોવિંદરાજુ અને અન્ય બેનું અપહરણ કર્યું હતું. વીરપ્પનની તમિલનાડુ સરકાર સમક્ષ માંગ હતી કે, તેની ગેંગના સભ્યોને તાત્કાલિક મુક્ત કરાશે તો જ તેઓ રાજકુમારને છોડશે. આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા અને તમિલનાડુ તો ઠીક, કર્ણાટક સરકાર પણ ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગઇ. રાજકુમારના અપહરણની સુપ્રીમ કોર્ટે પણ અત્યંત ગંભીર નોંધ લીધી અને કહ્યું કે, તમિલનાડુ સરકારે 'માફ ના કરી શકાય એવી' ભૂલ કરી છે કારણ કે, સરકારને એક વર્ષ પહેલાં જ ગુપ્ત માહિતી મળી ગઇ હતી કે, વીરપ્પન રાજકુમારનું અપહરણ કરી શકે છે. જો કે, સરકારે પણ રાજકુમારને આ વાત જણાવીને ફાર્મહાઉસમાં નહીં રહેવાની ચેતવણી આપી હતી, પરંતુ રાજકુમારે આ વાત ગંભીરતાથી ના લીધી. ત્યાર પછી તમિલનાડુ સરકારે વીરપ્પનને ઝડપી લેવા રાજ્ય પોલીસ વડાની આગેવાનીમાં સ્પેિશયલ ટાસ્ક ફોર્સની રચના કરી, પરંતુ વીરપ્પન હાથમાં ના આવ્યો. છેવટે ૧૦૮ દિવસ બાદ, ૧૫મી નવેમ્બર ૨૦૦૦ના રોજ, વીરપ્પને રાજકુમારને સહી-સલામત મુક્ત કરી દીધા. જો કે, વીરપ્પન જેવા ઘાતકી ગુનેગારે રાજકુમારને છોડી કેમ દીધા એ આજે પણ એક રહસ્ય છે.

વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું ત્યારે પ્રસિદ્ધ થયેલી કેટલીક તસવીર

આજે ય રાજકીય વિશ્લેષકો દૃઢપણે માને છે કે, રાજકુમાર ચિકમંગલુર બેઠક પરથી ચૂંટણી ના લડ્યા એટલે ઇન્દિરા ગાંધી જીતી ગયાં. જો રાજકુમાર ચૂંટણી લડ્યા હોત તો ઇન્દિરા ગાંધીનો રાજકીય વનવાસ વહેલો શરૂ થઇ ગયો હોત, પરંતુ શું તેમની હત્યા પણ ના થઇ હોત?

હા, એ શક્ય છે પણ ઇતિહાસ 'જો અને તો'ના ચોક્કસ જવાબ નથી આપતો!

——

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2018/05/blog-post_10.html

Loading

...102030...3,1753,1763,1773,178...3,1903,2003,210...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved