Opinion Magazine
Number of visits: 9583595
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારડોલી આશ્રમમાં ગાંધીજી – ઉત્તમચંદકાકાના મુખે

નરેશ ઉમરીગર, નરેશ ઉમરીગર|Gandhiana|9 February 2018

‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર પાછો અહીં ન આવું’ એવા શબ્દો સાથે ગાંધીજીએ દાંડીકૂચનો આરંભ કરેલો. સ્વરાજ આશ્રમ બારડોલીના વયોવૃદ્ધ ઉત્તમચંદકાકાએ વાત આગળ ચલાવી.

અને ગાંધીજી તો વચનને વળગી રહેનારા. એ સાબરમતી આશ્રમમાં ન ગયા. પણ બારડોલી વિશે એવી પ્રતિજ્ઞા ક્યાં હતી ? એટલે સરદાર પટેલે સમય જોઈ એમની સાથે કાગળ લખી દલીલ કરી. ‘આપે સાબરમતી આશ્રમ ન જવાનું પણ લીધું છે, પણ બારડોલી સ્વરાજ આશ્રમ વિશે આપને શો વાંધો છે ?” આ મતલબનો સરદારનો પત્ર ગયો. પરિણામે ગાંધીજી નિયમિત બારડોલી આવે એવું નક્કી થયું. એક માસ બારડોલી આશ્રમમાં રહે અને પછી દિલ્હી કે બીજે જ્યાં નક્કી હોય ત્યાં જાય.

દર વરસે ડિસેમ્બરની દસમી તારીખ આવે અને જાન્યુઆરીની દસમી તારીખે ચાલ્યા જાય. આ ક્રમ છેક 1935થી 1941 સુધી ચાલુ રહ્યો.

અને કાકા કહે કે ગાંધીજી એક મહિનો અહીં રોકાય એ દરમિયાન આશ્રમ અનેક નાનામોટા માણસોથી ઉભરાય. રસોડું ધમધોકાર ચાલે. કૉંગ્રેસ કારોબારીની અહીં મીટિંગો થાય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક નામાંકિત નેતાઓ અને બીજાં ક્ષેત્રોના માણસો પણ અહીં હરતાફરતા જોવા મળે.

‘આ બધા દિવસોમાં તમે શું કામગીરી કરતા?”

‘હું સામાન્ય રીતે તો રસોડું સંભાળતો. કેટલુંક ટપાલનું કામ પણ કરવું પડતું, અને બાપુજી અને સરદારના સંદેશા લઈ જવાનું અને લાવવાનું કામ તો ખરું જ. મુલાકાતીઓ આવે ત્યારે તેમની સારસંભાળ રાખવાનું કામ પણ કરવાનું અને ગાંધીજી ને સરદાર માટે તો સદા ય સ્ટેન્ડ બાય રહેવું પડે.’

‘એક વાર આચાર્ય ક્રિપલાની આવ્યા. સાથે સુચેતા ક્રિપાલાની પણ.’

‘ક્રિપાલાની તો ગૂજરાત વિદ્યાપીઠમાં તમારા પ્રોફેસર પણ ખરા ને?”

‘હાસ્તો, એ જ કહું છું. એક વાર વિદ્યાપીઠમાં ડિબેટ થઈ. વિષય હતો : ‘જીવનમાં લગ્નની જરૂરિયાત ખરી?’ ક્રિપાલાની સાહેબ પ્રમુખ. ઘણા વિદ્યાર્થીઓ બન્ને બાજુ બોલ્યા. ક્રિપાલાનીએ ઉપસંહાર કરતાં એક વાક્ય આવું કહ્યું : Don’t marry whom you love. (જેને તમે ચાહો તેની સાથે લગ્ન કરશો નહીં.)

સુચેતા અને ક્રિપાલાની આવ્યાં એટલે ગાંધીજીએ મને કહ્યું, ‘ઉત્તમચંદ, ખબર છે ને ક્રિપાલાની તાજા જ પરણીને આવેલા છે. એમના ઓરડામાં બધું બરાબર છે કે નહીં એ જોઈ આવજે. એમની કાળજી રાખજે.’

‘હું ગયો. મને જોતાં જ ક્રિપાલાની કહે, ‘ઓહ, ઉત્તમચંદ તુમ યહાં હો?’ ક્રિપાલાની પાસે જઉં તે પહેલાં સરદારે પણ મને આ નવાં જોડાંની સંભાળ વિશે કહેલું.

‘મુઝે સરદાર ઔર બાપુજીને આપકી ….’

‘હું બોલી રહું તે પહેલાં ક્રિપાલાની કહે, ‘દેખા તુમ્હારા સરદાર … સરદાર અને ક્રિપાલાની બંને એકબીજાની ગમ્મત કરતા અને એકબીજાની ઉડાવતા. પણ થોડી વાતચીત પછી મેં એમને પેલી ડિબેટ અને પેલા એમણે કહેલા શબ્દો ‘ડોન્ટ મેરી હુમ યુ લવ’ યાદ દેવરાવ્યા. ક્રિપાલાની હસતાં હસતાં કહે : આસ્ક સુચેતા …. સુચેતાને પૂછ, મેં ક્યાં એની સાથે લગ્ન કર્યાં છે? એણે (સુચેતાએ) મારી જોડે લગ્ન કર્યાં છે!’

તમે કહો છો એ પ્રસંગોને હું સીધા જ કાગળ પર નોંધું છું. ગાંધી-ઇતિહાસની તવારીખમાં જઈ એને ચકાસતો નથી. મેં કહ્યું, ‘મને જેટલું યાદ છે અને જેટલું મારા જાતઅનુભવનું છે એ જ હું તમને કહું છું. મારે ક્યાં તમને ખોટી વાત કરવી છે, કોઈક વાર સ્મૃિતદોષ થાય ખરો … અને તે ય કોઈક તારીખ કે માસ સંબંધી હોય. પણ લગભગ બધા જ પ્રસંગોનો હું એક યા બીજી રીતે સાક્ષી રહ્યો છું. અથવા જે બન્યું તે સાવ નજીક બન્યું હોય અને અથવા તો મેં સાંભળ્યું હોય … કાકાએ કહ્યું.

ઉત્તમચંદકાકાએ આગળ ચલાવ્યું. ગાંધીજીના આગમન સાથે આખો આશ્રમ ચેતનાથી ધબકતો થઈ જાય.

‘ગાંધીજી માટે પૂજ્યભાવ છે માટે આમ કહો છો?’

‘ના, ભાઈ, ના. આ પુરુષ જ કોઈ અદ્ભુત હતો. આમ તો સાવ સામાન્ય લાગે … આપણા જેવા જ .. અમારે તો એમને સાવ નજીકથી જોવાનું થતું અને મળવાનું થતું. કામને માટે મને તો વારંવાર બોલાવતા. પણ આ પુરુષમાં એક ઘડીનો પણ પ્રમાદ મેં જોયો નથી … સદાય જાગ્રત …’ 

ઘડિયાળમાં ચારને ટકોરે ઊઠી જાય. ચાર વાગે હું બેલ મારું. ચાર અને ઉપર 15 મિનિટે બીજો બેલ મારું. 15 મિનિટમાં બધાંએ પ્રાર્થના માટે આવી જવાનું. પ્રાર્થનામાં આવવું કમ્પ્લસરી નહીં. આપણે બેઠા છીએ તેના માથા પર જે ઓરડો છે તે ગાંધીજીનો ઓરડો. પ્રાર્થના પણ ત્યાં જ થાય. નીચે આ બાજુના ઓરડામાં વલ્લભભાઈ રહે. તેઓ ચાર વાગે ઊઠે ખરા પણ અહીં આપણે બેઠા છીએ તે લૉબીમાં આંટા મારે. પ્રાર્થનામાં નહીં જાય ….’

‘તે વખતે આશ્રમમાં વીજળી તો નહીં, ખરું?’

‘વીજળી કેવી? સવારે આશ્રમના કેમ્પસ પર બધાં ફાનસ ફરતાં હોય એમ લાગે .. એંસીનેવું ફાનસ સાંજના તૈયાર કરી દેવામાં આવે .. સરોજિની નાયડુનું ફાનસ .. મૌલાના અબુલ કલામનું ફાનસ, નેહરુંનું ફાનસ, ખાન અબ્દુલ ગફ્ફારખાનનું ફાનસ, વલ્લભભાઈનું ફાનસ, મહાદેવનું ફાનસ અને ગાંધીજીનું પણ મોટું સરસ ફાનસ … ચોમેર રાતે અને વહેલી સવારે ફાનસ ચાલતાં દેખાય.’

પ્રાર્થના વીસેક મિનિટ ચાલે. પ્રાર્થનામાં ગીતાનો એક એક અધ્યાય પણ બોલાય અને ગાંધીજી સાથેના કાર્યકર્તાઓને એ મોઢે જ હોય. પછી સૌ પોતપોતાના કામે લાગે.

ગાંધીજી છમાં પાંચ કમ હોય ત્યારે ફરવા જાય. સાથે એકબે સાથીદારો હોય. બારડોલી રેલવે-સ્ટેશનથી રેલના પાટે પાટે ચાલે. દોઢ-બે કિલોમીટર ચાલે. સાંજે પણ એ જ કાર્યક્રમ. મારે તો સવારે રાષ્ટ્રીય નેતાઓની તહેનાતમાં રોકાવું પડે. તેમાં ખાસ કરીને મૌલાના સાહેબ (આઝાદ) અને નેહરુને ખાસ સંભાળી લેવા પડે. નેતાઓ પોતપોતાના ઓરડામાં સૂતા હોય. બારણું ફક્ત બંધ હોય, અંદરથી સાંકળ નહીં. મૌલાના સૂતા હોય ત્યારે અમે હળવેકથી એમના રૂમમાં જઈએ, સ્ટવ સળગાવી કીટલી પર પાણી ગરમ કરવા મૂકીએ. સ્ટવના અવાજથી જાગી જાય અને ‘બેટે, આ ગયે …’ કહી ઊઠે. દૂધનો પ્યાલો, ચા, બટર, બિસ્કિટ અને એક સિગારેટનું પાકિટ મૂકવાં પડે. સિગારેટના ભારે શોખીન.

કૉંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ ચાલતી હોય ત્યારે પણ એમને સિગારેટ જોઈએ. પણ ગાંધીજીની આમાન્યા રાખે. પછી તો ગાંધીજીએ જ એમને ચાલુ મીટિંગમાં પણ સિગારેટની છૂટ આપી.

નેહરુ, ખાન અબ્દુલ ગફ્ફારખાન, એમનો દીકરો વલીખાન અને ઇંદિરા ચારે એક ઓરડામાં રહે. આ બધાંને સવારે આઠદસ કપ કૉફી, મલાઈના બે મોટા વાટકા અને મોટી ટ્રે ભરીને બિસ્કિટ આપવાં પડે. કૉફીમાં મલાઈ નાખતા જાય અને ખાતા જાય. અને શું ખાય ! બધું સફાચટ કરી જાય .. અને આ બધાં તે દિવસોમાં તો જુવાન. શરીરને કસે પણ અને સતત દેશનું ચિંતન કરનારાં ….

મારે તો મારી ફરજ તરીકે રાઉન્ડ લેવા પડે. એક દિવસ નેહરુના ઓરડામાં ડોકિયું કર્યું. પંડિતજી કંઈ લખવાના કામમાં ગૂંથાયેલા હતા. મેં વિવેક ખાતર પૂછ્યું : ‘પંડિતજી, આપકો કુછ પાનીબાની ચાહીએ.’ પાણીનું માટલું તો બાજુમાં જ હતું. ડોકું ઊંચું કરી તરત જ ભભૂકી ઊઠ્યા. ‘ક્યા પાનીબાની ચાહીએ … મૈં ક્યા નહીં લે સકતા …’ મને થયું કે આમને ક્યાં મોઢું આપ્યું. હું પાછો વળી બહાર નીકળતો હતો ત્યાં જ બોલ્યા, ‘અરે ,ઉત્તમચંદ, યહાં આઓ.’ જવાહર બહુ ઊર્મિશીલ. રોષ પણ પવનની લહેરખી જેવો, નજીક બોલાવી પૂછ્યું કે આશ્રમનું રસોડું કોણ સંભાળે છે ? જ્યારે મેં મારું નામ દીધું તો કહે, ‘યે ક્યા તૂફાન મચા રખા હૈ ? હરરોજ દાલભાત, રોટી, શાક … દાલભાત, રોટી, શાક …’

મેં સરદારને વાત કરી. સરદાર સમજી ગયા. ગામના ખેડૂત ઇબ્રાહીમ પટેલને બોલાવી મંગાવ્યા. સરદારે ઇબ્રાહીમને કહ્યું કે તમે નહેરુને મળો અને એમને આજે સાંજે તમારા ત્યાં દાવત માટે બોલાવો. ઇબ્રાહીમે નેહરુને હાથ જોડી ‘હમ ઈસ ગાંવકે ગરીબ નેક મુસ્લિમ હૈં ઔર હમ ચાહતે હૈં કિ આજ આપ હમારે યહાં ભોજન કે લિયે પધારેં … હમ આપકો દાવત દેનેકે લિયે આયે હૈં’ એમ કહ્યું. એટલે નેહરુએ સરદારને પૂછવા કહ્યું. સરદારની તો સંમતિ હતી જ. તે સાંજે નેહરુ, મૌલાના, સરોજિની, ઇબ્રાહીમ પટેલને ત્યાં ગયાં, અને ભાવતું ભોજન કર્યું.

આશ્રમના નિયમો આશ્રમ માટે બરાબર હતા. બહાર સ્વતંત્રતા હતી. અને આ બધા માણસો પણ તેવા જ સ્વતંત્ર હતા. ગાંધીજીના બધા ફોલોઅર્સ ખરા, પણ પોતપોતાની રીતે સ્વતંત્ર પણ ખરા.

* * *

આશ્રમમાં તો અનેક માણસો આવે. મેં તમને વાલચંદ હીરાચંદની વાત કરેલી. આશ્રમને રસોડે તો બધાંને સાદી પણ તાજી અને પૌષ્ટિક રસોઈ મળે જ. પણ કોઈક વાર અપવાદ પણ કરવો પડે. અને વાલચંદ હીરાચંદ તો આશ્રમ નિભાવે. દસબાર હજાર રૂપિયા મોકલી આપે અને સરદાર જ આ બધું ગોઠવે. એ જ ‘હોસ્ટ’, એટલે ‘ગેસ્ટ’ની સરભરા સરદારના કહ્યા પ્રમાણે કરવી પડે. એટલે પોતાના કેમ્પ દરમિયાન ગાંધીજીનો આદેશ સાદા ભોજનનો હોવા છતાં કોઈક વાર પૂરણપોળી જેવી વાનગી પણ બનાવવી પડે, અને ગાંધીજી મને પૂછે ત્યારે મારે તો ‘બાપુજી આપ તો અમારા ગેસ્ટ છો. હોસ્ટ તો અમે, સરદાર સાહેબ છીએ. અને મારે તો હોસ્ટનું કહ્યું માનવાનું એમ કહી ગાંધીજી આગળ ઊભા રહેવું પડે. અને આ પુરુષ પણ નિખાલસ એવા જ. આપણી વાત સાચી હોય તો હસીને સ્વીકારી લે. આવી દલીલ કરી હું એમને નમન કરવા વાંકો વળ્યો તો મારી પીઠ પર જોરથી ધબ્બો મારી, ઉત્તમચંદ, તારી વાત સાચી છે એવા શબ્દો સાથે એમની સહજતા અને નિરભિમાનપણાનું ભાન કરાવ્યું. ગાંધીજીમાં રિજિડિટી (જડતા) ભાગ્યે જ જોવા મળે.

* * *

ગાંધીજી 1935થી 1941 સુધી આવતા રહ્યા. એક મહિનો એમના રસાલા સાથે રહે અને આ વરસો દરમિયાન તો એમનો સૂરજ માથે તપતો. સ્વરાજની વાત સાથે એમના મનમાં હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરેના વિચારો સતત ચાલ્યા કરે. એ બાબતમાં ચર્ચાઓ થાય, નામી-અનામી માણસો ગાંધીજી સાથે ચર્ચાવિચારણા કરવા આવે.

એક દિવસ ખબર આવ્યા કે ખોજાઓના ધર્મગુરુ આગાખાન ગાંધીજીને મળવા આવે છે. નવ-સવા નવ વાગે એમની સ્પેિશયલ ટ્રેન બારડોલી સ્ટેશને આવી પહોંચી. એમની બોગીઓ જુદી. એકમાં રસોડું, એકમાં ઑફિસ, એકમાં આરામગૃહ, વગેરે …’

આગાખાન આઝાદીની લડતને એક્ટિવ ટેકો આપતા હતા ?

એવું તો કદાચ નહીં પણ એ સજ્જન પુરુષ હતા, અને ગાંધીજીને પોતે કઈ રીતે મદદરૂપ થઈ શકે એ જાણવા માગતા હતા. એટલા માટે જ એ ગાંધીજીને મળવા માગતા હતા. આગાખાન આવે છે એવા સમાચારથી આશ્રમમાં ચેતનાની એક લહેર પ્રસરી ગઈ. ગાંધીજીએ એમને અગિયાર વાગે મળવાનો સમય આપ્યો. વળી, એમના સમય દરમિયાન આશ્રમમાં ભોજનનો પણ સમય થતો હતો. એટલે કોઈકે યાદ આપ્યું કે એમને જમવાનું આમંત્રણ પણ આપો ને ? ગાંધીજીએ એમનું અહીં સ્વાગત છે એવો ટૂંકો કાગળ લખ્યો. તેમાં એક વાક્ય આમ પણ લખ્યું : Will you kindly break bread with us ? (તમે કૃપા કરી અમારી સાથે ભોજન લેશો ?)

‘તમે કાગળ વાંચેલો ?’

‘હા, એ કાગળ મેં જાતે વાંચેલો અને છેલ્લું વાક્ય break-bread તો બરાબર યાદ છે.’

આગાખાન ટાંગામાં આવ્યા. આ પગથિયાં પાસે ગાંધીજીએ એમનું સ્વાગત કર્યું.

થોડી વાતચીત પછી આ બાજુના જ ઓરડામાં ગાંધીજીએ એમને જમવા બેસાડ્યા. એક નાની ટિપોય પર ખાદીનો રૂમાલ પાથરી એના પર આગાખાનની ભોજનની ડિશ મૂકવા ગાંધીજીએ સૂચના આપી. આગાખાન ખુરસી પર બેસી જમતા જાય અને ગાંધીજી બાજુમાં ઊભા રહી જમાડતા જાય. ગાંધીજીએ મને કહી મૂકેલું કે એક-પછી-એક વાનગી લઈ આવવાની એટલે બાજરીનો રોટલો, કઢી, અને ત્યાર પછી લીલવા(પાપડીના લીલા દાણા)નું શાક અને રવૈયાં બનાવેલાં તે મૂક્યાં. એમને તો રવૈયાં ખૂબ ગમ્યાં. ગાંધીજી બાજુમાં જ ઊભા રહી વાત કરતા જાય, અને મહેમાન માટે કઈ આઈટમ લાવવી તે કહેતા જાય.

આગાખાન કહે, એમને લંડન અને પેરિસમાં પણ આવું સ્વાદિષ્ટ ખાવાનું નથી મળ્યું. એમાં થોડો વિવેક હશે. પણ મહેમાનના ચહેરા પર ખુશાલી જોઈ શકાતી હતી. ખાસ તો ગાંધીજી સાથેની મુલાકાતનો આનંદ પણ ભોજનની પ્રશંસામાં આવી જતો હતો. 1940નો આ પ્રસંગ છે.

* * *

ગાંધીજી સ્વરાજ આશ્રમમાં આવે ત્યારે અહીં કંઈ ને કંઈ અવનવું બનતું હોય. આપણા ગોરધનદાસ ચોખાવાળાના વિવાહ અહીં થયેલા. ગાંધીજીએ સગાઈ કરેલી. વાત એમ બની : ગાંધીજીની સેવામાં તો અનેક માણસો હોય. તેમાં એક શારદા નામની છોકરી પણ હતી. તે કુંવારી. ગાંધીજીની સેવા કરે. એક દિવસ અમે બધા ગાંધીજી પાસે બેઠા હતા. ગાંધીજીએ શારદાને પૂછ્યું, ‘શારદા, તું કેટલાં વરસની થઈ.’ ‘એકવીસ-બાવીસ વરસ હશે,’ શારદાએ કહ્યું. ‘તો તું અમારી સાથે ક્યાં સુધી રહેવાની. પરણી જા ને.’ ગાંધીજીએ કહ્યું.

‘તમારી સાથે તો મને નવું નવું શીખવાનું મળે. કેટકેટલા માણસો અહીં આવે એ બધાં વિશે જાણવાનું મળે.’ ‘પણ અમારો શું ભરોશો. આજે અહીં છીએ. આવતી કાલે જેલમાં હોઈએ. એટલે મારું કહ્યું માનતી હોય તો પરણી જા.’

શારદા ઘડીભર ચૂપ રહી. પણ પછી એ દરરોજના પરિચયે, સહજ રીતે બોલી : ‘તો બાપુજી, તમે જ મારે માટે યોગ્ય માણસ શોધી આપો ને ?’

ગાંધીજી જરા વિચારમાં પડ્યા. હું, મહાદેવ ગાંધીજીની બાજુમાં જ બેઠા હતા. મને ચોખાવાળાની ખબર હતી કે તે કુંવારો છે. વળી ચોખાવાળાની પ્રતિજ્ઞા પણ જળવાતી હતી.

શું પ્રતિજ્ઞા હતી એમની ?

‘એ સમયનાં જુવાનો જાતજાતની પ્રતિજ્ઞા રાખતા. કોઈ પોતાના હાથે કાંતેલાનું કપડું બનાવી પહેરવાનું પણ લેતા, કોઈ વળી ખુલ્લા પગે ચાલવાની કે ગામડાંમાં જઈ સેવાની વાતને વળગી રહેતા. ચોખાવાળાએ પોતાની જ્ઞાતિમાં ન પરણવાની પ્રતિજ્ઞા લીધેલી. એટલે મેં મહાદેવને ધીરેકથી ચોખાવાળા વિશે કહ્યું. મહાદેવે ગાંધીજીને કહ્યું. એટલે ગાંધીજીએ મને તરત જ કહ્યું કે ‘જા સુરતથી ચોખાવાળાને બોલાવી લાવ.’

ચોખાવાળા પણ ગૂજરાત વિદ્યાપીઠના મારા પછીના સ્નાતક. અમને બંનેને સારું બને. એટલે બપોર પછીની ગાડીમાં હું ચોખાવાળાને લઈ આવ્યો. ગાંધીજીએ એક નજર ચોખાવાળા પર નાંખી, અને એમને એ શારદા માટે યોગ્ય લાગ્યો, ‘આ બંનેને એક ઓરડીમાં અર્ધા કલાક માટે સાથે બેસાડો અને બંનેની સંમતિ હોય તો અહીં લઈ આવો.’ ગાંધીજીની આજ્ઞા થતાં આ સામે (કાકાએ સામેની એક ઓરડી તરફ બતાવતાં કહ્યું) ઓરડી છે તેમાં હું, શારદા અને ચોખાવાળાને લઈ ગયો. બારણું વાસીને ગાંધીજીના કહ્યા પ્રમાણે હું બહાર બેઠો. અર્ધા કલાક પછી આ બંને બહાર આવ્યાં. તેઓ રાજી હતાં.

બીજી સવારે સરદાર ભવન(આપણે જ્યાં બેઠા છીએ તેના માથા પરના ઓરડા)ના ઉપરના મોટા ઓરડામાં શારદા-ચોખાવાળાના વિવાહ થયા. આશ્રમમાં વાત ફેલાઈ ગયેલી. એટલે આખો ઓરડો માણસોથી ભરાઈ ગયેલો. કસ્તૂરબાએ બંનેને કપાળે તિલક કર્યું, ચોખા ચોડ્યા. પછી બંને વારાફરતી બધાંને પગે લાગ્યાં. પહેલાં કસ્તૂરબા અને ગાંધીજીને, પછી સરદાર, મહાદેવ, રાજકુમારી અમૃત કૌર વગેરેને. ગાંધીજીના જૂના મિત્ર કૅલનબેક પણ હાજર હતા. કૅલનબેકે ચોખાવાળા સાથે હસ્તધૂનન કર્યું, અને તે ઠીક ઠીક લંબાયું. બાજુમાં ઊભેલા સરદારે આ લાંબું હસ્તધૂનન જોઈ ગમ્મત કરી. સરદાર કહે, ‘મિ કૅલનબેક વાય ડુ યુ ટેઈક સો મચ ઇન્ટરેસ્ટ ઈન ધીસ ?’ સરદારનો ઇશારો કૅલનબેક જીવનભર કુંવારા રહ્યા તે તરફ હતો. કૅલનબેક ઘડીભર તો અવાક્ રહ્યા. પણ તે સરદારની વિનોદની ધાર તરત જ પામી ગયા. કૅલનબેક કહે, ‘ઇફ આઈ એમ સચ ટૂડે, ઈટ ઈઝ બિકૉઝ ઑફ ધ સીન ઑફ ધીસ ઓલ્ડ મૅન.’ [‘મારી જો આજે આવી દશા હોય તો તે આ બુઢ્ઢા(ગાંધીજીને બતાવીને)ને પાપે છે.’] બધા ખડખડાટ હસ્યા. એટલે ગાંધીજી બોલ્યા. ‘મિ. કૅલનબેક, ડોન્ચ્યુ નૉ નાવ આઈ ઍટૉન ફૉર ધેટ … ગાંધીજીએ આ વિવાહવિધિ તરફ નિર્દેશ કરીને કહ્યું કે આમ કરીને (આવાં લગ્ન કરાવીને) હવે હું એનું પ્રાયશ્ચિત કરું છું.’

ગોરધનદાસ અને શારદાનાં લગ્ન સેવાગ્રામમાં લેવાયાં. કસ્તૂરબાએ લાપસી બનાવી. સ્થાનિક લોકો ઢોલક લઈ આવ્યા. નાચ્યાં. આમ એક યાદગાર લગ્ન તદ્દન અનોખી રીતે થયાં. એ નવાઈ જેવું લાગતું કે ગાંધીજીની હાજરીમાં તમામ ચીલાચાલુ પરંપરાઓ ગાયબ થઈ જતી. એક નવી જ આહ્લાદકતા આપણા કાર્યને વિચારને ઘેરી વળતી.

* * *

શરૂઆતમાં ગાંધીજી પણ આશ્રમમાં કૉમન પાયખાને જતા. પણ એમની સંભાળ રાખનાર સરદાર પટેલ અને બીજા એમની અંગત સેવામાં હાજર રહેનારા જોતા કે એમને આશ્રમના કૉમન પાયખાને જતાં થોડી તકલીફ રહેતી. મેડા ઉપરથી ઊતરવાનું અને દૂર પાયખાનાની જગ્યા સુધી જવાનું. એટલે સરદારની સૂચનાથી મેડા પર જ ખપરડાનું બૉક્સ જેવું પાયખાનું ઊભું કરવામાં આવ્યું. અને ત્યાં જ કમોડ રાખવાની વ્યવસ્થા કરી. ગાંધીજી તો કમોડ જાતે જ સાફ કરવાનો આગ્રહ રાખતા. પણ એમને જ જો એ કરવાનું હોય – એ માટે વળી નીચે ઊતરવાનું હોય તો તો પાયખાનું બનાવવાનો કોઈ અર્થ પણ નહીં. એટલે અમે કમોડ લેવાને માટે ખડે પગે તૈયાર રહેતા. મોટા ભાગે મારે પાયખાના બહાર ઊભા રહેવું પડતું.

ગાંધીજીને આ વ્યવસ્થા ગમી. ‘ઉત્તમચંદ, આ સારું કર્યું.’ પછી કહે, ‘પણ મારે પાયખાનામાં બહુ સમય જાય છે. લગભગ ચાળીસેક મિનિટ મારે કમોડ પર બેસી રહેવું પડે છે. એટલે તારે મારા માટે પાયખાનામાં કંઈ વાંચનની વ્યવસ્થા કરવાની.’

એક વખત એમણે આકાશદર્શન વિશેનાં પુસ્તકો પાયખાનામાં મૂકવા કહ્યું. મને ઘણી વાર વિચાર આવતો કે ગાંધીજી આખો દિવસ તો કંઈ ને કંઈ લેખન-વાચન ચર્ચામાં ગૂંથાયેલા રહેતા. અહીં પાયખાનામાં એટલો સમય શાંતિથી બેસતા હોય તો. એક દિવસ પાયખાનામાંથી બહાર આવી મારે ખભે હાથ મૂકી ચાલતા હતા ત્યારે મેં કહ્યું, ‘બાપુજી, આપ આખો દિવસ તો કામમાં રોકાયેલા રહો છો. આપને પાયખાનાનો સમય મળે છે તેમાં ન વાંચો તો ન ચાલે ? આપને એટલી શાંતિ મળે. અને આપે ક્યાં ઓછું વાંચ્યું છે ?’

મારા ખભા પર એમનો હાથ હતો. એટલે મારો કાન પકડી જોરથી આમળી કહે, ‘ઉત્તમચંદ, આપણે હંમેશાં નવું શીખવું જોઈએ.’ અને પછી અંગ્રેજીમાં કહે, “Every man or woman is a life-long student” (દરેક પુરુષ કે સ્ત્રી જીવનભર વિદ્યાર્થી છે.)

કંઈ ને કંઈ વાંચવું, જાણવું એવું ગાંધીજી આશ્રમના જુવાનોને કોઈક આવા પ્રસંગે કહેતા. પણ કહેવા કરતાં એમનો દાખલો જ અમારી આગળ તો મોજૂદ હતો.

[“જનકલ્યાણ”, અૉક્ટોબર 2001]

સૌજન્ય : “શાશ્વત્‌ ગાંધી”, પુસ્તક 53, સપ્ટેમ્બર 2017; પૃ. 31-35  

Loading

BJP Ideology and Future of Scientific Enterprise in India

Ram Puniyani|English Bazaar Patrika - OPED|7 February 2018

With Indian independence and coming of Indian Constitution; the foundations for progress in the society were laid. This was to be for an all out progress and the basis of this was the principles of scientific temper. This process was guided by the architect of modern India, Jawaharlal Nehru. We saw the surge of the institutions which contributed to the progress of the country; with great contributions of Indian scientists. There were flaws and weaknesses, of course, but the direction was a rational, direction was that of scientific approach. This fulfilled the clause of the Article 51a of the Indian constitution which enjoins upon citizens the “fundamental duty” to develop “the scientific temper”.

The Bharatiya Janata Party and its leaders, who are currently ruling and dictating the direction of scientific research and development, seem to have different ideas. While we have good foundations in all round areas of science and technology be it the area of basic science and technology, health, atomic energy, space science and what have you, it seems that currently direction being pursued by ruling dispensation is putting the things in the reverse gear.

During last seventy odd years the way our institutions have developed we can see their massive all round contribution in most areas of science and technology, though one can add, things could have been better. The inkling of this retrograde direction began with the previous BJP led NDA Government when Murali Manohar Joshi, the then MHRD minister introduced courses like astrology and Paurohitya (rituals) in Universities. In continuation with this pattern Dr. Satya Pal Singh, who is currently minster in MHRD, recently stated that Darwin’s theory is wrong as our ancestors did not mention that they saw ape turning into man in our scriptures. He was duly backed up by the RSS ideologue turned BJP leader Ram Madhav.

He himself a while ago he had stated that Wright brothers were not the first one’s to discover aero plane, it was and Indian, Shivkar Bapuji Talpade who had discovered it. He emphasized that such books should be taught in the schools which highlight the likes of Talpade. Theory of evolution has been one of the turning point discoveries of science, based on the painfully collected evidence by Darwin for a period of decades. As science is not based on faith there is always a scope to fill the gaps of knowledge of the original discoverer, and that’s how science develops. In contrast to the methods of science, the fundamentalists harp that all knowledge is already there in the Holy Scriptures, the word of almighty. Singh-Joshi-Ram Madhav clone is not the only ones’ in this retrograde thinking. The Christian fundamentalists went on to counter the theory of Darwin by putting together ‘Creation science’ and similarly Islamic fundamentalists like Zakir Naik also dismiss this theory on frivolous grounds.

Singh’s statement has been very disturbing for the scientific community in India. A large number of them expressed their anguish in a letter, which they sent to the Minister. The letter says that the minister’s statement was simplistic and misleading. “There is plentiful and undeniable scientific evidence to the fact that humans and the other great apes and monkeys had a common ancestor.” The letter further says that the minister’s claim that the Vedas contain answers to all questions is exaggerated and “is an insult to the genuine research work on history of Indian scientific traditions”.

“When a minister working for the human resource development in the country makes such claims, it harms the scientific community’s efforts to propagate scientific thoughts and rationality through critical education and modern scientific research,” reads the letter. “It also diminishes the image of the country at the global level and reduces faith of the international historical research community in the genuine research by the Indian researchers.”

At another level there are claims that Kauravas were born through the techniques mentioned in our holy scripture based on which Balkrishan Ganpat Matapurkar has patented the technique for body part generation, inspired by Gandhari’s giving birth to 100 sons and Karna taking birth from ear of Kunti. At equally interesting level is the understanding of the Chief of Indian Council of Historical Research, Y. Sudarshan. As per him reading of the Hindu epic Mahabharata can make us infer that the weapons described in them were the result of atomic fission and/or fusion. He also claims that stem cell research was there in Iron Age India.

It is not difficult to imagine that with this pattern of thinking among policy makers our science policy will get a strong jolt. Currently on most of issues the policy has been to encourage research and funding on topics, which are purely based on figments of imagination. Huge top level funding has recently been announced for Panchgavya, a mixture of cow urine, dung, ghee, curd and milk. The efforts to prove that Ram Setu (Adam’s bridge), bridge between India and Srilanka was for real and was built by Lord Ram with the help of Monkey army; are also on. In matters of History efforts are on to prove the existence of River Sarswati, to prove historicity of the epics like Ramayana and Mahabharata are among the few of them.

The twin processes involved here are to claim that all the knowledge is already there in our scriptures and that science-technology research and development should be along those lines. Second is to claim that all discoveries have their roots here in India, more so in India before the coming of Christians and Muslims. This seems to be running in parallel with identifying India with Hindus and Hinduism alone. One does feel that already during last many decades good foundation of scientific enterprises has been laid, the question is whether this community of scientists and Indian society at large will be able to resist these impositions on the march of direction of our science? Will our next generations be able to benefit from the rational thinking and achievements of science in coming times?

Loading

ભારુલતા કામ્બલે – એક અસાધારણ વ્યક્તિત્વ

આશા બૂચ|Opinion - Opinion|7 February 2018

ભારુલતાનું નામ કદાચ બ્રિટન અને ભારતમાં વસતા કર્મશીલો અને સાહસિકોથી અજાણ નહીં હોય.

ટૂંકમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે એક પ્રતિભાશાળી, મક્કમ નિર્ધારવાળી, અદ્દભુત કલ્પનાશક્તિ ધરાવનારી, વિવિધ પ્રકારની બુદ્ધિ પ્રતિભાનાં ધણી અને બિલકુલ વાસ્તવિક દ્રષ્ટિકોણ ધરાવનાર એવી આ મહિલા છે.

ભારુલતાની સિદ્ધિઓ વિષે જાણતાં પહેલાં તેમનું આવું લોખંડી મનોબળ અને સાહસિક વ્યક્તિત્વ કેમ ઘડાયું તે સમજવા તેમના ઉછેર અને સંયોગો જાણવા ઉપયોગી થઈ પડશે. નવસારી પાસેના એક નાના ગામ આટમાં તેમનો જન્મ. ચારેક વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. માતા ખાસ ભણેલાં નહીં. તેઓ પુનર્વિવાહ બાદ ઇંગ્લેન્ડ આવ્યાં. કઇંક શિક્ષણનો અભાવ અને કઇંક અંશે સામાજિક માન્યતાઓની અસરને પરિણામે તેઓ પોતાની બંને પુત્રીઓ શાપ રૂપ છે તેમ માનતાં. આથી જ તો કદાચ ભારુલતા અને તેમની બહેનને ભારત છોડીને તેઓ વિદેશ ગયાં. બંને દોહિત્રીઓને નાના, કે જેઓ શિક્ષિત હતા અને સારી વગ ધરાવતા હતા તેમણે ઉછેરી. નાનાજીના મૃત્યુ બાદ ભારુલતાના મોટા મામાએ ભાણીઓને કમ સે કમ માની છાયા મળે એ હેતુથી બહેનને સમજાવી ભારુલતા અને તેમની બહેનને લંડન મોકલ્યાં. હવે ગુજરાતના સાવ નાના ગામડામાંથી આવેલી બે કુમારિકાઓ, સાવકા પિતાનો ખાસ સાથ નહીં, ઇંગ્લિશ ઝાઝું જાણે નહીં એટલે વેમ્બલીની એક સાડીની દુકાનમાં કામ કરવું શરૂ કર્યું. એ દુકાનનાં માલિકણ બહેનની ભલામણથી ESOL કોર્સ કરી ઇંગ્લિશ શીખ્યાં. બહેન એર હોસ્ટેસ બની અને ભારુલતાએ પૂરા સમયની કામગીરી બજાવતાં બજાવતાં ઉચ્ચ શિક્ષણના ચઢાણ સર કર્યાં. તેમણે The Chartered Institute of Legal Executives, UKમાંથી ઉપાધિ મેળવી અને તે જ સંગઠનના એસોસિએટ સભ્ય પણ બન્યાં. ત્યાર બાદ તેમણે યુનિવર્સીટી લંડનમાં કાયદાનો અભ્યાસ પણ કર્યો. તેઓ સિવિલ સર્વિસમાં જોડાયાં અને લોયર પણ થયાં. ભારુલતાના શબ્દોમાં કહું તો “એક સાવ ગામની છોકરીમાંથી બ્રિટિશ ગર્લ બની પછી ડોક્ટર પતિ મળ્યો.” સાસરું જોઈએ તેવો સહયોગ તેમના કામને આપી નથી શકતું, પણ પતિએ દહેજ ન આપવાની બાબતમાં ભારુલતાને જ સાથ આપ્યો. આજે યુરોલોજિસ્ટ પતિ અને બે હોનહાર પુત્રો સાથે તેઓ સુખેથી જીવન વિતાવે છે.

આવી કઠિનાઈઓમાંથી માર્ગ કાઢીને ઉચ્ચ ધ્યેયોને આંબવાની પ્રેરણા થવાનાં કારણો જણાવતાં ભારુલતાએ કહ્યું, “અમે બે બહેનો નાનાને ઘેર ઉછરીને મોટી થઈ હતી. એક દિવસ મારા કાકા મળવા આવ્યા, ત્યારે નાનાએ અમ બે બહેનોની જવાબદારી ઉઠાવવા કહ્યું જેના જવાબમાં કાકા બોલ્યા, ‘છોકરી અને રસ્તામાં પડેલ પથ્થરમાં શો ફેર? મારે માટે એમની કોઈ કિંમત નથી.’ એ વાત મારા મનમાં ખૂબ ચોટ પહોંચાડી ગઈ.” સદ્નસીબે નાનાજીને ભારુલતાના હીરની પહેલેથી પરખ થઈ અને તેની શક્તિઓને ઓળખીને એ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું તેમ કહી શકાય. આથી જ તો તેઓ ભારુલતાને દરેક કાર્યક્રમમાં ગીતો ગાવાં અને વાર્તાઓ કહેવા પ્રોત્સાહન આપતા. માત્ર ચૌદ વર્ષની ઉંમરે તેમનું પ્રથમ લખાણ પ્રકાશિત થયું. ત્યારથી તેમણે કદી પાછું વાળીને જોયું નથી અને સફળતા તમના કદમો ચુમતી આવી છે. ‘દીકરી છે, ઝાઝું ભણાવીને શું કરવાનું?’ એવી માનસિકતા હજુ પણ કેટલાંક સમૂહો અને પરિવારોમાં ઘર કરીને બેઠી છે જેનો ભોગ ભારુલતા પણ બન્યાં. પરંતુ તેનાથી જરા પણ ડગી ગયા વિના તેઓ અભ્યાસમાં આગળ ધપ્યે ગયા એટલું જ નહીં, ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પણ ઉચ્ચતમ તાલીમ મેળવી. આગળ જતાં આત્મવિશ્વાસ અને ભરપૂર ઉત્સાહથી ભરેલ આ તરુણીને નાટિકાઓનું દિગ્દર્શન કરવાની તકો મળી. એમ તો યુનાઇટેડ કિંગ્ડમના એક ફેશન શોમાં ભારતીય ફેશનના મોડેલ તરીકે પણ થોડા સમય માટે ઝળક્યાં. આટલું હજુ ઓછું હોય તેમ તેમણે ઘણી દસ્તાવેજી ફિલ્મનું લખાણ, પ્રોડક્શન અને દિગ્દર્શન પણ કર્યું છે.

ભારુલતામાં મજબૂત નિર્ણય શક્તિ, બેજોડ હિંમત અને અડગ મનોબળની સાથે મૃદુતાનો સુંદર સંગમ જોવા મળે છે, જેને કારણે તેઓ જરૂરિયાતમંદોને મદદ કરવા તત્કાલ પ્રવૃત્ત થતાં રહ્યાં છે. તેમની અંદર છુપાયેલ એક ક્રાંતિકારી વ્યક્તિત્વ હંમેશ સમાજમાં કઇંક બદલાવ લાવવા તડપતું હોય છે. સામાજિક અન્યાયો સામે અવાજ ઉઠાવવાની તેમની રીત અનોખી છે. તેઓએ સ્ત્રી-પુરુષ સમાનતા અને માનવ અધિકારનાં પ્રચારકની રૂએ અનેક દેશોમાં ભ્રમણ કર્યું છે.

ડ્રાઇવિંગનાં શોખીન આ સન્નારીનાં સાહસોનાં કેટલાક દ્રષ્ટાંતો જોઈએ. ભારતના સ્વાતંત્ર્યના 70 વર્ષની ઉજવણીના ભાગ રૂપે તેઓએ યુનાઇટેડ કિંગ્ડમના Lands Endથી John ‘O’Groat એટલે કે દેશના એક છેડેથી બીજે છેડે એકલ પંડે લગભગ 1,500 માઈલની સફર 15થી 16 કલાકમાં કરી. આ સફરનો હેતુ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. એ જ હેતુસર તેમણે 120 મહિલાઓ સાથે લંડનથી લેસ્ટર સુધીની યાત્રા પણ કરેલી, જેની માહિતી અને તસ્વીર અહીં સામેલ છે.

કન્યાઓ અને સ્ત્રીઓની કેળવણી માટે સુવિધા કરવાની તમન્ના ભારુલતાને પોતાની જાત માટે એક બીજો પડકાર આપવા તરફ દોરી ગઈ જેમાં તેમણે 32 દેશોમાં કોઈના પણ સાથ વિના મુસાફરી કરી.

બે ખંડ, 9 ટાઈમ ઝોન, 3 રણ પ્રદેશ, 9 પર્વત માળાઓ અને 32 દેશોને ખૂંદી વળવા 5,500 કિલોમીટરની યાત્રા કરીને આ નિર્ભય અને મક્કમ નિર્ધારવાળી મહિલાએ દરિયાની સપાટીથી 13,000 ફૂટ ઊંચાઈ સર કરીને પોતાના વ્યક્તિત્વને દુનિયા સમક્ષ ખડું કર્યું.

કોઈ એક મહિલા અને તેમાં ય ભારતીય મૂળની મહિલાએ કદી ન મેળવી હોય તેવી સિદ્ધિઓ હાંસલ કરી હોવાને લીધે, ભારુલતાને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં છે, તેમ કહું તો તેમાં કશું આશ્ચર્ય નહીં થાય. તેમાંનો એક એવોર્ડ હતો ઓલ ઇન્ડિયા અચીવર્સ કોન્ફરન્સમાં મળેલ ‘Woman of substance award’ જે તેમની વ્યક્તિગત સિદ્ધિઓ ઉપરાંત દેશની અસ્મિતા જાળવવાના પ્રયાસ રૂપે આપવામાં આવેલ. અહીં તેની કચકડે મઢેલ ઝાંખી છે.

ભારુલતાને જાણે નિર્ભયતાનું વરદાન મળ્યું છે અને એટલે એકલ પંડે અનેકાનેક સફરો ખેડી ચુક્યાં છે, જે બે-ચાર કે આઠ-દસ સાહસવીરોની ટુકડીમાં જનાર પુરુષો પણ હિંમત નથી કરતા હોતા. એમાંનો એક સાહસ પ્રવાસ તે Arctic Circleનો પ્રવાસ. પૃથ્વી પરના અત્યંત વિષમ ગણાતા ભૂ ભાગની આરપાર એકલાં સફળ ખેડાણ કરીને તેમણે પોતાનાં વ્યક્તિત્વની મક્કમ નિર્ણય શક્તિ દર્શાવી. આ તેમની પહેલી મોટી સાહસ યાત્રા હતી જેમાં 2,792 કિલોમીટરનું અંતર માત્ર ચાર દિવસમાં કાપ્યું. વળી આ સાહસ માટે તેમને મદદ કરનાર કોઈ ટીમ, કોઈ વાહન કે નિષ્ણાતો નહોતા રોકેલાં. જો કોઈ જોખમકારક સ્થિતિ આવી હોત તો શું થાત એ તો કલ્પના બહારની વાત છે. કોઈ મહિલાએ Arctic Circleનો પ્રવાસ એકલાં કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નોંધાયેલ છે. એક મહિલા એકલાં પોતાની સામાન્ય ફેમિલી કાર લઈને યુનાઇટેડ કિંગ્ડમથી પ્રયાણ કરી ફ્રાન્સ, લક્સમબર્ગ, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ વગેરે દેશો ખૂંદીને Arctic Circle પહોંચ્યાં એમ કહીએ તો માનવું મુશ્કેલ પડે તેવી તેમની આ સફર કહી શકાય. આ હજુ પૂરતું ન હોય તેમ લગભગ 50,000 કિલોમીટર ડ્રાઈવ કરીને 50 દેશોની મુસાફરી કરવાની યોજના ભારુલતાએ કરી છે. અત્યન્ત જોખમકારક રસ્તાઓ અને વિષમ હવામાનવાળા પ્રદેશોમાંથી પસાર થવાનું આવશે અને જ્યાં ભાગ્યે જ કોઈ માનવીએ પગ મુક્યો હોય તેવાં વેરાનમાંથી પણ માર્ગ કાઢવાનો રહેશે એ વાતથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં આવું જોખમ ઉઠાવવા પાછળ ભારુલતાનો ઉદ્દેશ દરેક ઉંમરની બાળા અને સ્ત્રીને પોતાની શક્તિ અને અધિકારનો અહેસાસ કરાવી બધા પ્રકારની મર્યાદાઓને ઉલ્લંઘીને જીવનમાં આવતા પડકારોને પૂરેપૂરી તાકાતથી લલકારવા જરૂરી શક્તિ કેળવવાનો સંદેશ પહોંચાડવાનો છે. અલબત્ત આ સફર દરમ્યાન તેઓને વિવિધ સંસ્કૃિતના લોકોનો ભેટો થશે જેમની જીવનરીતિ સાથે પોતાની માન્યતાઓ અને ખ્યાલોનો મેળ ન પણ થતો હોય. પરંતુ અશક્યને શક્ય બનાવે તેનું નામ જ ભારુલતા.

આટલી માહિતી વાંચનારને કદાચ એવો ભાસ થાય કે એક અત્યન્ત હિંમતવાન મહિલા કે જેને ડ્રાઈવીંગનો શોખ છે અને સ્ત્રીઓનું હિત દિલમાં વસેલું છે, એટલે આવા અસાધારણ પ્રવાસો ખેડવા એટલું જ એમનું કાર્ય છે. આ ભારતીય નારીનું કાર્યક્ષેત્ર સાહસ પ્રવાસોથી અટકી નથી જતું. તેઓ અનેકવિધ ટ્રસ્ટ્સ અને પ્રકલ્પોમાં પણ સંલગ્ન છે, જેમ કે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન, પ્રિશ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હેલ્થ કેર ઈન ઇન્ડિયા, આદિવાસી વિસ્તારોમાં પૂરી પડાતી પ્રાથમિક સારવાર અને સાવિત્રીબાઈ ફૂલેના નામના નેજા હેઠળ ચાલતી સેવાઓ અને તેના જેવા અન્ય અનેક સંગઠનોને પોતાની દ્રષ્ટિ અને શક્તિનો લાભ આપતાં રહે છે. તેમની આવી બહુવિધ સેવાઓની કદરરૂપે આ વર્ષની 20મી જાન્યુઆરીને દિવસે અન્ય 111 નારીઓની જોડે ભારુલતાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે ‘નારી શક્તિ પુરસ્કાર’ એનાયત થયો. ભારતની અને સમગ્ર  જગતની નારીઓને ગૌરવ અપાવનાર આ એક અનોખી મહિલા છે તે નિ:શંક છે.

બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારુલતાના સાહસ પ્રવાસોમાં જોડાવા કેટલાંક લોકો ભાગ્યશાળી હશે, પરંતુ જેઓ તેવા અભિયાનોમાં સક્રિય પણે ભાગ ન લઈ શકે, તેઓ તેમનાં કાર્યોને અન્ય પ્રકારે સહાય કરી શકે તો પણ તેમના આ યજ્ઞના પુણ્યમાં હિસ્સો મળી શકે. બાળકીઓ અને સ્ત્રીઓનાં ઉત્થાન માટે શરૂ કરેલી આ સાહસ સફર ભારુલતાને ધારેલી સફળતા અપાવે તેવી શુભકામનાઓ યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતના મહિલા જગત વતી આપીને વિરમું.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,1743,1753,1763,177...3,1803,1903,200...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved