Opinion Magazine
Number of visits: 9582428
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નહેરુ વિરુદ્ધ પટેલ કેમ?

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|13 February 2018

કારણકે આ યુક્તિ સરકારની નિષ્ફળતાઓને વિચલિત કરે છે, સાથે કોંગ્રેસ પક્ષનાં અધ્યક્ષ રાહુલ ગાંધી આખરે તો નહેરુ રાજવંશનાં જ વ્યક્તિ છે.

અહીં એક સીધો સવાલ એ થાય છે કે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ ના બન્યા હોત, તો શું આપણા વડાપ્રધાન તાજેતરમાં લોકસભામાં એ વાત કહી શક્યા હોત કે આઝાદી બાદ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ કરતાં સરદાર વલ્લભભાઈ પટેલ યોગ્ય સાબિત થઈ શક્યા હોત? નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમિયાન નહેરુ વિરુદ્ધ પટેલની યુક્તિનો પ્રચાર કર્યો હતો. હવે ચાર વર્ષ બાદ તેઓ ફરી કેમ આ મુદ્દો ચગાવી રહ્યા છે? કારણ કે પોતાની સરકારની નિષ્ફળતાઓના મુદ્દા પરત્વે મતદાતાઓને વિચલિત કરવાની આ યુક્તિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે તેમ છે. આ સરકારે દેશના યુવાઓ અને ખેડૂતોને ‘અચ્છે દિન’ની જે ખાતરી આપી હતી તે હજુ સુધી પ્રત્યક્ષત શક્ય બની શકી નથી અને મુસ્લિમો તેમ જ અન્ય લઘુમતીઓ માટે (દલિતો માટે તો ખાસ) ‘ખરાબ સમય’ પ્રત્યક્ષત શક્ય બની શક્યો છે.

ભારતમાં સામાન્ય ચૂંટણી માટે હવે માત્ર એક વર્ષનો સમયગાળો બચ્યો છે. હવે કયા આધાર પર દેશના વડાપ્રધાન ફરી એક વખત ચૂંટણી જીતી શકશે? દેશ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે તે પ્રકારની ટિપ્પણીથી તેઓ સહેલાઇથી છટકી રહ્યા છે. અને આ જોતાં એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન એ વાત જાણે છે કે નોટબંધી એ એક ભૂલ હતી અને GSTની યોજનાને પણ કાળજીપૂર્વક અમલમાં મૂકવામાં આવી નથી. દેશનું અર્થતંત્ર પણ સરકારનાં બેવકૂફીભર્યા વર્તનનાં શ્રેષ્ઠતમ સ્તરે બિરાજે છે. સાથે દેશનો સમાજ પણ ચાર વર્ષ પૂર્વે જે હતો તેનાં કરતાં પણ ભારે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાનની નજર હેઠળ ભારતના ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો પણ વધુ પ્રમાણમાં વણસી ચૂક્યા છે. જ્યારે આપણા દેશના આંતરિક વ્યથિત વિસ્તાર જેવા કે કાશ્મીર અને નાગાલેંડ પણ વર્ષ ૨૦૧૪માં હતા તેનાં કરતા પણ વધારે વિક્ષુબ્ધ થઈ ગયા છે.

હાલની સ્થિતિમાં લોકસભામાં બી.જે.પી. પાસે બહુમતી મર્યાદિત છે. વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં બી.જે.પી.એ પોતાની જીતનો ઉમળકો વ્યક્ત કર્યો હતો અને તે સમયે તેઓના વ્યૂહરચનાકાર વિશ્વાસપૂર્વક એવું કહી રહ્યા હતા કે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં અમારી પાર્ટી વર્તમાન કરતાં પણ વધારે બેઠકો જીતી લાવશે. અને હવે જ્યારે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તેમને એ વાતની પ્રતીતિ થઈ રહી છે કે હવે બી.જે.પી. તેમની હાલની બેઠકો પણ બચાવી શકે તો બહુ છે. વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડની સંપૂર્ણ અથવા લગભગ તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી અને જ્યાં તેઓનું ગઠબંધન હતું તેવા રાજ્યો જેવા કે બિહાર અને મહારાષ્ટ્રમાં પણ બી.જે.પી.એ બહુમતી પ્રાપ્ત કરી હતી. અહીં એક વાત દેખીતી જણાઈ આવે છે કે આ તમામ રાજ્યોમાં બી.જે.પી.નો જીતનો ગ્રાફ ધીરે-ધીરે નીચે ઉતરી રહ્યો છે અને આ વાસ્તવિકતા બી.જે.પી. પણ જાણે છે. ઉત્તરપ્રદેશ કે જ્યાં તેઓને વર્ષ ૨૦૧૪માં ૭૧ બેઠકો મળી હતી ત્યાં તેઓ આગામી ચૂંટણીમાં બેઠકો ગુમાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. કદાચ બી.જે.પી. અન્ય કેટલાક રાજ્યોમાં વધારે બેઠકો મેળવી શકશે, પણ દેશની અત્યારની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કરવી એ બી.જે.પી. માટે એક પડકાર છે. પરંતુ, વર્ષ ૨૦૧૯માં બી.જે.પી. જીતશે કેવી રીતે? એક નહિ તો બીજા પ્રકારે અને એકલા નહિ તો ગઠબંધનમાં, તેમજ મતદારમંડળનું કોમી મુદ્દે ધ્રુવીકરણ કરીને અને પાર્ટીના પ્રમુખપદને લક્ષ્યમાં રાખીને ચૂંટણી રચીને તેઓ જીતી શકશે. તેઓ કદાચ કોમી મુદ્દાને પોતાનું હથિયાર બનાવશે નહિ તો વડાપ્રધાનનાં ચહેરાને ધ્યાનમાં રાખીને તો ચોક્કસ ચૂંટણી લડશે. વડાપ્રધાન ફરી એક વખત એવો પ્રચાર કરશે કે જેમાં તેઓ મોદી વિરુદ્ધ રાહુલનો મુદ્દો પ્રકાશમાં લાવી શકે. તેઓ ફરી એક વખત આ ખાડો તૈયાર કરશે. વડાપ્રધાનની આમ આદમીની છબી વિરુદ્ધ રાજકીય વંશજ રાહુલ ગાંધીનો સંઘર્ષ ફરી એક વખત રચાશે. વડાપ્રધાનનો નોંધપાત્ર વહીવટી અનુભવ (હવે વધારીને વડાપ્રધાન તરીકેનો પાંચ વર્ષનો અનુભવ) અને તેની વિરુદ્ધ જ્યારે રાહુલ ગાંધી છે કે જેઓ રાજ્ય અને કેન્દ્રિય કક્ષાએ મંત્રીપદનો સહેજ પણ અનુભવ ધરાવતા નથી, સાથે વડાપ્રધાનની અદ્દભુત વકતૃત્વકળાની આવડત વિરુદ્ધ તટસ્થ જાહેરસભાનો આ સંઘર્ષ રચાશે. દેશની કેટલીક ટેલિવિઝન શ્રેણીની હિન્દી ભાષામાં થતી ચર્ચાઓમાં દેશના વડાપ્રધાન, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘણી વખત પડકારી ચૂક્યા છે. અને જો રાહુલ ગાંધી જ્યારે આ પડકાર નકારે (ત્યારે સાબિત થાય છે કે જમીની ક્ષેત્રે આ પક્ષો અને સિદ્ધાંતોનું યુદ્ધ છે નહિ કે કોઈ વ્યક્તિત્વનું યુદ્ધ) આવા સમયે મોદી અને ઘણી મીડિયા ચેનલ્સ રાહુલ ગાંધી પ્રત્યે લાગણી વ્યક્ત કરે છે અને રાહુલ ગાંધી ચર્ચામાં નિષ્ફળ રહ્યા એ પ્રકારની વાત આખો દિવસ, આખું અઠવાડિયું અને આખો મહિનો સોશિયલ મીડિયામાં ચર્ચાયા જ કરે છે.

બર્કલીના ભાષણમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે વ્યક્તિગત સફળતાથી પર એવી પારિવારિક વંશની ઊંચાઈ એ ભારતીય હોવાપણું દર્શાવે છે. આ આક્ષેપ અનુસાર રાજકારણ કરતાં વિવિધ ક્ષેત્રનો અનુભવ પણ વિશેષ છે અને આ એક શ્રેષ્ઠ અર્ધસત્ય હતું. કેટલાંક કારણોસર પણ મહેન્દ્રસિંહ ધોની અને નંદન નિલેકાની એવી પ્રતિભાઓ છે કે જેઓ અગાઉ રાંચી જેવા શહેરમાં રહેતા હતા નહિ કે મુંબઈમાં. અને બિરલા, તાતા અને અંબાણી એ પછીની છે. અપ્રસિદ્ધ અને પછાત પરિવારોમાંથી આવતા એવા ભારતીયો કે જેમણે વ્યક્તિગત સફળતા પ્રાપ્ત કરી છે તેમની આ સિદ્ધિ ખરા અર્થમાં વખાણવાલાયક છે. ધીરી ગતિએ સામંતશાહીથી દૂર રહીને આગળના ક્રમમાં વધી રહેલી લોકશાહી એ નૈતિક સિદ્ધાંતોનું ચિહ્ન છે. ચોક્કસપણે, કેટલાંક બાળકો તેમનાં માતાપિતા જે ક્ષેત્રમાં સફળ હોય તે ક્ષેત્રમાં પોતાની સફળતાની સરસાઈ કરવા માટે મથતા હોય છે. પણ, તે બાળકો એવું દેખાડીને સફળ થાય છે કે તેઓ પણ ધંધાકીય દ્રષ્ટિએ સફળ થવા મળે તેની પૂરતી લાયકાત ધરાવે છે. અને જ્યારે જે-તે બાળક કોઈ હિસાબ પદ્ધતિનો સ્વીકાર કરે છે ત્યારે તેની કાયદાકીય ગતિવિધિઓ તેના જૈવિક વારસામાંથી પસાર થાય છે. વિશ્વની વિશાળ લોકશાહી પૈકીની એક ભારતીય લોકશાહીમાં સૌથી જૂના રાજકીય પક્ષની પાંચમી પેઢીમાંથી વંશજ આવે તે વિચાર કોઈપણ પ્રમાણિક લોકશાહીનો હિમાયતી છે.

જ્યારે પણ મોદી નહેરુનું કદ ઘટાડવા કશું કહે છે અથવા નહેરુ વિરુદ્ધ પટેલની વાત કરે છે ત્યારે ટ્વીટર પર પણ એવું જણાય છે કે કેટલાક લોકો એવી વિનંતી કરતા હોય છે કે આ વિશે ઐતહાસિક સત્ય જાણો કે જે મોદી ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. નહેરુ અને પટેલ તેઓ સાથીદારો હતા કોઈ હરીફ નહોતા, તેઓ સહકાર્યકરો હતા કોઈ પ્રતિસ્પર્ધકો નહોતા. તેઓએ ભારતને એકઠું કર્યું અને તેને એક લોકશાહીનો નમૂનો બનાવ્યો. તેમ છતાં, સતત વડાપ્રધાનની ભૂલોનું અર્થઘટન કરવું અને તેની હકીકતોને સુધારવી તે અંતે તો તેમના જ હાથમાં છે. કારણકે બી.જે.પી.ની પાસે તેમનાં પોતાના ‘વૈકલ્પિક તથ્યો’ છે, ભૂતકાળમાં આ અંગે તેઓ સતત ચર્ચા કરી ચૂક્યા છે. આપણા વડાપ્રધાન દલીલપૂર્વક કોંગ્રેસ રાજવંશ અને તેનાં અખંડનીય હકીકત પર પ્રહારો કરતા જ રહેશે. જેથી ભવિષ્યમાં પોતાની અને સરકારની નિષ્ફળતાઓ મુદ્દે કોઈનું જલદી ધ્યાન ખેંચાશે નહિ.

દોકલામ વિવાદ અંગે જ્યારે આ સરકારની ટીકા કરવામાં આવે ત્યારે તેઓ વર્ષ ૧૯૬૨નાં યુદ્ધમાં નહેરુની નિષ્ફળતાતો ઉલ્લેખ કરશે, દેશમાં જ્યારે કલાકારની આઝાદીનો મુદ્દો આવે છે ત્યારે આ સરકાર વર્ષ ૧૯૭૫ દરમિયાન ઇન્દિરા ગાંધીની કટોકટીની વાત કરે છે, જ્યારે લઘુમતી પર અત્યાચારની વાત આવે, ત્યારે આ સરકાર વર્ષ ૧૯૮૬માં રાજીવ ગાંધી અને શાહ બાનોનો ચુકાદાનો ઉલ્લેખ કરે છે. મોદી સતત આ ૨૦, ૪૦ અને ૬૦ વર્ષ જૂની ઘટનાઓની ચર્ચા કર્યા જ કરશે અને આ ભૂલો (સત્ય અથવા કથિત) માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા કરશે અને સાથે તેમનાંના દાદા અને પરદાદાનો પણ ઉલ્લેખ કરશે. જ્યારે ચર્ચાઓમાં પોતાની ભૂલોનો ઉલ્લેખ આવે ત્યારે મોદીની આ ભૂલોનું સ્થાન રાહુલ ગાંધીના રાજકીય વંશના શિરે જાય છે.

પોતાનાં પક્ષનાં અધ્યક્ષ તરીકે કોને સ્થાન આપવું તે કોંગ્રેસ પક્ષનું અંગત કારણ છે અને તેનાં ભવિષ્યના જે કોઈપણ પરિણામ માટે પણ તેઓ જ જવાબદાર રહેવાના છે. કારણ કે રાહુલ ગાંધી નહેરુ પરિવારમાંથી આવે છે એટલા માટે તે આજે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે આ વાતને લઈને અને રાહુલ ગાંધીના પૂર્વજોએ કઈ ભૂલો કરી હતી તે વાત આપણા વડાપ્રધાન સતત કર્યા જ કરશે અને આખા વંશજને આ ભૂલો માટે જવાબદાર ઠેરવશે. સાથે મતદાતાઓને એવી ચેતવણી પણ આપશે કે તમે કોંગ્રેસને મત આપતા પહેલાં વિચારજો કારણ કે તેમનાં પૂર્વજો જે-તે ભૂલો કરી ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ સિંઘ, નેગી, દિવાન અને ગાંગુલી જેવી અટક ધરાવતા લોકો કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને સાથે આપણા વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પણ વાત નહિ કરે. વડાપ્રધાનને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે હવે સરકારની નિષ્ફળતાઓ છુપાવવી અશક્ય છે માટે સતત કોંગ્રેસની ભૂતકાળની ભૂલોને તેઓ વાગોળ્યા કરે છે અને એવું પણ કહે છે કે બિનરાજકીયવંશના વ્યક્તિને મુખ્ય પદ નહિ મળે તે આપણી વિરોધ પક્ષનો સિદ્ધાંત છે અને આમ તેઓ પ્રજાનું ધ્યાન સતત સાચા મુદ્દાઓ પરથી વિચલિત કર્યા કરે છે.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું પોણાબસ્સો વર્ષ પહેલાંનું પુસ્તક: ‘શરીર શાંનતી’

દીપક મહેતા|Opinion - Literature|13 February 2018

કાળચક્રની ફેરીએ 

ઓગણીસમી સદીના મધ્યાહને કવિ દલપતરામે ગાયું હતું: “ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ.” આજે આપણા દેશમાં ચક્રવર્તી કે વક્રવર્તી મહારાજ રહ્યા નથી. પણ આપણા જેવા અદના આદમી પણ આજે કાળચક્રની ફેરીએ જઈ શકીએ તે શક્ય બન્યું છે, ૧૮મી સદીનાં છેલ્લાં વર્ષોમાં આપણે ત્યાં એક નવી નોખી વસ્તુ આવી તેને પ્રતાપે. એ વસ્તુ તે છાપખાનું. છાપખાનું આવ્યું અને સાથોસાથ આપણા જીવનમાં કેટલા બધા અને કેટલા મોટા ફેરફાર લાવ્યું તે આજે સહેલાઇથી નહિ સમજાય. પણ ફરી દલપતરામને જ સાંભળીએ:

“લહિયા સો લખતાં છતાં, વર્ષ એક વહી જાય,
એક દિવસમાં એટલું, છાપથી જુઓ છપાય.”

છાપખાનાને પ્રતાપે ૧૯મી સદીમાં પુષ્કળ લખાયું, પુષ્કળ છપાયું, પુષ્કળ વંચાયું, પુસ્તકોમાં, અખબારોમાં, ચોપાનિયાં(સામયિકો)માં. ઘણા બધા લેખકો, અનુવાદકો, સંપાદકો, ‘અધિપતિઓ’, આવ્યા. અને ગયા. પણ આપણે એ બધું સાચવ્યું નહિ. સાચવ્યું નહિ એટલે જાણ્યું નહિ. જાણ્યું નહિ એટલે એનું મહત્ત્વ પ્રમાણ્યું નહિ. તેમાં ય આપણા સાહિત્યનાં વિવેચન અને ઇતિહાસ લખનારાઓએ મોટે ભાગે ૧૯મી સદીનાં પહેલાં પચાસેક વર્ષોમાં જે લખાયું-છપાયું તેના તરફ અછડતી નજર પણ ન કરી. ક્યારેક કરી, તો ઉપહાસ કે ટીકા કરવા માટે. હા, આજે આપણા મનમાં ‘સાહિત્ય’નો જે ખ્યાલ છે, તેમાં બંધબેસતું થાય એવું કદાચ ઝાઝું નથી લખાયું-છપાયું એ વર્ષોમાં. કારણ તેમાં વધારે તો પાઠ્યપુસ્તકો છે, ધર્મ પ્રચારનાં પુસ્તકો અને લખાણો  છે, ‘ઉપયોગી’ પુસ્તકો અને લખાણો છે, અનુવાદો છે. વળી, એ બધું લખનારાઓમાં આપણા ‘ઉજળિયાત’ વર્ગના લોકો ઓછા. વધુ તો પારસીઓ, પાદરીઓ, પરદેશીઓ. અને એ બધાંને આપણે પોતીકાં ક્યાં માન્યાં છે? આંગળીથી નખ વેગળા. એટલે, એમનાં નામ-કામના દામ આપણા મનમાં ભાગ્યે જ વસ્યા છે. આ લેખમાળા દ્વારા એક નાચીઝ કોશિશ કરવી છે, આજે અજાણ્યાં કે ઓછાં જાણીતાં બની ગયેલાં ૧૯મી સદીનાં કેટલાંક પુસ્તક, અખબાર, ચોપાનિયાં, તેના લેખકો, એ બધાંને આશરો આપતી કે પોષતી સંસ્થાઓ, વિષે થોડી વાત કરવી છે. કાળચક્રને જરા પાછળ ફેરવીને એકવીસમી સદીમાં રહીને પણ ઓગણીસમી સદીમાં લટાર મારવાની મુરાદ રાખી છે. અલબત્ત, છેવટે તો પ્રયત્ન અમારો, પારખું તમારું.

— દીપક મહેતા

•••••••

સેલ્ફ હેલ્પનાં પુસ્તકો આજે તો ઢગલાબંધ છપાય છે અને વેચાય છે. પણ છેક ૧૮૪૧માં સેલ્ફ હેલ્પનું પુસ્તક? અને તે ય પૂરાં ૪૬૪ પાનાંનું! એનું નામ ‘શરીર શાંનતી’ (એટલે કે શરીર શાંતિ. અવતરણ ચિહ્નો વચ્ચે બધે જોડણી મૂળ પ્રમાણે). મુંબઈ કે સુરતમાં નહોતું છપાયું. તે કિતાબ  તો “શ્રી દમણ મધે કાવશજી ફરદુનજીએ છાપી છે.” પૂરાં ૪૪ પાનાંના દીબાચામાં આ પુસ્તકને ‘નાંધલી શરીખી વૈદકની કિતાબ’ તરીકે ઓળખાવીને લેખક તેની પાછળનો હેતુ સમજાવતાં કહે છે: “હરેક વેલાએ પરવીણ વઇદની ગેર હાજરીએ હરેક કુંટમબ પરીવાર વાલાને તુરત હરેક બીમારીની દવા કરવાને બની આવે કે તેથી કરીને લોકોને ફાઇદો પોંહોંચે.” સ્વાસ્થ્ય અને સારવાર અંગેના પુસ્તકની આજે આપણને નવાઈ ન લાગે. જાણકાર, ઓછા જાણકાર અને અ-જાણકાર લોકો આજે એવાં પુસ્તકો બનાવતા રહે છે. પણ આ પુસ્તક પ્રગટ થયું તેની સાલ છે ૧૮૪૧. આખા હિન્દુસ્તાનની પહેલવહેલી મેડિકલ કોલેજ ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’ મુંબઈમાં ૧૮૪૫માં શરૂ થઈ. તે પહેલાં ચાર વર્ષે આ પુસ્તક પ્રગટ થયું હતું.

સ્વાસ્થ્ય અને સારવાર અંગેનાં આજનાં પુસ્તકો જુઓ તો મોટે ભાગે ચિકિત્સા અને સારવાની કોઈ એક પદ્ધતિને આધારે તે લખાયાં હોય છે. જેમ કે એલોપથી, આયુર્વેદ, નેચરોપથી, વગેરે. પણ ૧૮૪૧માં પ્રગટ થયેલા આ પુસ્તકની એક વિશિષ્ટતા એ છે કે તેના લેખકે એક સાથે ત્રણ પદ્ધતિઓનો સહારો લીધો છે: યુનાની, આયુર્વેદ, અને એલોપથી. એટલે ઘણાં રોગ કે માંદગીની સારવાર માટેનાં આ ત્રણે પદ્ધતિ પ્રમાણેનાં ઔષધોની માહિતી તેમણે અહીં આપી છે. આવું પુસ્તક તૈયાર કરવાની પોતાની લાયકાત અંગે લેખકે દીબાચામાં વિસ્તારથી ખુલાસો કર્યો છે. પહેલું, તેમને બાળપણથી જ યુનાની પદ્ધતિ અંગેનાં પુસ્તકો વાંચવાનો શોખ હતો, એટલું જ નહિ તેમાંની બાબતો અંગે જાણીતા હકીમો સાથે ચર્ચા કરવાની ટેવ હતી. બાર વર્ષની ઉંમરે સુરતના એક પ્રખ્યાત યુનાની હકીમ પાસે તાલીમ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. ત્યાર બાદ મુંબઈમાં મુલ્લા ફિરોઝ જેવા વિદ્વાન પાસેથી પણ તેમણે આવી તાલીમ લીધી હતી. તેમના અવસાન બાદ ભરૂચના એક ‘નામીચા હકીમ’ પાસેથી તાલીમ લીધી. યુનાની પદ્ધતિનું તો જાણે સમજ્યા, પણ એ જમાનામાં એલોપથીની જાણકારી ક્યાંથી મેળવી? તો કહે, ડોક્ટર ટેલર, ડોક્ટર વ્હાઈટ, ડોક્ટર જેફરસન, જેવા સરકારી કે ખાનગી અંગ્રેજ ડોકટરો પાસેથી. આ ઉપરાંત કેટલાક ફિરંગી (પોર્ટુગીઝ) ડોક્ટરોનાં નામ પણ આ સંદર્ભે લેખકે આપ્યાં છે. એટલું જ નહિ, એલોપથીની પોતાની જાણકારીનો લેખક લોકોની સારવારમાં ઉપયોગ પણ કરતા હતા. પણ એમ કરવું તે એક વાત, અને પુસ્તક લખવું તે જરા જૂદી વાત. પોતે જે જાણતા હતા તેની ચકાસણી કોઈ જાણકાર તબીબ પાસે કરાવ્યા વગર આવું પુસ્તક લખવું યોગ્ય ગણાય નહિ. લેખકના સદ્ભાગ્યે આવા એક ડોક્ટર મળી ગયા – પૂનામાં કામ કરતા ડોક્ટર એલેક્ઝાન્ડર ગિબ્સન. તે એલોપથીના ડોક્ટર તો હતા જ, પણ સાથોસાથ આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિષે સંશોધન કરી રહ્યા હતા અને હિન્દી, મરાઠી તથા ગુજરાતી ભાષાના જાણકાર હતા. લેખકે કેટલાક દિવસ સુધી તેમની સાથે ચર્ચાઓ કરી, જરૂરી નોંધો લઈ લીધી. પુસ્તકના ટાઇટલ પેજ ઉપર લેખકે આ ડોકટરના નામ સાથે ઋણસ્વીકાર કર્યો છે. બલકે, તેમનું નામ પહેલાં, અને પોતાનું પછી મૂક્યું છે. પોતે જે પુસ્તક લખવા ધારતા હતા એવા પુસ્તકની ‘દેશીઓ’ માટે ખૂબ જરૂર છે એવો તે ડોકટરનો અભિપ્રાય મળવાથી લેખકને પાનો ચડ્યો. પણ માત્ર સાંભળેલી અને નોંધેલી વાતો પર બધો મદાર કેમ રખાય? એટલે તેમણે ફારસી અને અંગ્રેજી કિતાબો વાંચવા માંડી. તેનાં નામ પણ દીબાચામાં નોંધ્યાં છે. બંને ભાષાના શબ્દોના અર્થોની ચોકસાઈ કરવા માટે જરૂરી ડિક્ષનરીઓ પણ ઉથલાવી. પોતે ત્રણ પદ્ધતિઓનો આશરો લીધો છે તો તેની ચિકિત્સા અને સારવારની પદ્ધતિની સરખામણી પણ લેખકે દીબાચામાં કરી છે. એકંદરે તેમને એલોપથી પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી લાગી છે. તે માટેનાં કારણો પણ તેમણે આપ્યાં છે. આ કિતાબમાં જણાવેલી દવાઓ ક્યાંથી મળે, કેવી રીતે આપવી, તેની આડ અસરોનું કઈ રીતે ધ્યાન રાખવું, વગેરે અંગેની ચર્ચા પણ લેખકે કરી છે. તેના અનુસંધાનમાં દવાઓ માટેનાં તોલ-માપની સમજણ પણ આપી છે.  

પુસ્તકમાં માહિતી આપવાની લેખકની પદ્ધતિ પણ નોંધપાત્ર છે. પહેલાં તો રોગોને તેમણે બે ભાગમાં વહેંચ્યા છે: શરીરની બહારના ભાગના રોગો, અને શરીરની અંદરના રોગો. તાવ અને તેની સારવાર અંગે અહીં પૂરાં ૨૬ પાનાં રોકાયાં છે. તે પછી આવે છે માથાનો દુખાવો અને તેની સારવાર. આ પુસ્તકમાં જે રોગોની વાત કરી છે તેમાંના કેટલાક: કમળો, કોલેરા, ખીલ, ખુજલી, ખાંસી, ગુમડાં, જલંદર, દમ, પથરી, પક્ષઘાત, બદહજમી, મરડો, હરસ. આવા સર્વસામાન્ય રોગો ઉપરાંત આંખ, કાન, નાક વગેરેનાં દર્દો તથા સ્ત્રીઓ અને બાળકોના રોગો વિષે પણ પુસ્તકમાં વિગતે વાત કરી છે.

રોગો અને તેની સારવારની વાત ૩૦૭મે પાને પૂરી થાય છે. તે પછી પહેલાં તો ઔષધોનો કોશ આપ્યો છે જેમાં ત્રણે પદ્ધતિની દવાઓનો વર્ણાનુક્રમે પરિચય આપ્યો છે. જો કે તેમાં શરૂઆત ‘ક’થી કરી છે અને બધા વ્યંજનો પૂરા થયા પછી સ્વરોને સ્થાન આપ્યું છે. કેટલીક યુનાની અને આયુર્વેદિક દવાઓની બાબતમાં તે ઘરે કઈ રીતે બનાવી શકાય તે પણ જણાવ્યું છે. ૪૦૧મે પાને આ કોશ પૂરો થાય છે. તે પછી ઔષધો માટેનાં તોલ-માપ અંગેની વિગતવાર માહિતી આપી છે. ત્યાર બાદ જુદી જુદી ઉંમરના દર્દીઓને કેટલી અને કેવી રીતે દવા આપવી તે જણાવ્યું છે. સામાન્ય બીમારીના ઈલાજ માટે એલોપથીની કઈ કઈ દવાઓ ઘરમાં રાખવી જોઈએ તે પણ જણાવ્યું છે. અને અંતે આપ્યું છે પુસ્તકનું ‘શાંકલીઉઁ.’ તેમાં પણ વ્યંજનો પછી સ્વરોને સ્થાન આપ્યું છે.

જોઈ, જાણી, સમજી, વિચારીને, મહેનતપૂર્વક આ પુસ્તક બનાવ્યું હોવા છતાં દીબાચામાં એક વાત લેખકે ચાર-પાંચ વખત ભારપૂર્વક કહી છે: કોઈ જાણકાર તબીબ હાજર ન હોય ત્યારે, અને ત્યારે જ, આ પુસ્તકનો ઉપયોગ કરવો. તબીબ હાજર હોય અને સારવાર કરતો હોય ત્યારે આ પુસ્તકને નામે તેના કામમાં દખલ કરવી નહિ. કારણ રોગોની સારવારની બાબતમાં જાણકાર તબીબ જે કામ કરી શકે તે કોઈ પુસ્તક કરી ન જ શકે.

પણ આ પુસ્તકના લેખકનું નામ? એવણનું નામ હતું ફરદુનજી મર્ઝબાનજી. પહેલવહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક-તંત્રી. માત્ર ગુજરાતી છાપકામ કરતું પહેલું છાપખાનું ૧૮૧૨માં મુંબઈમાં શરૂ કરનાર ફરદુનજીસાહેબ. લેખક, અનુવાદક, સંપાદક, પુસ્તક-વિક્રેતા, મુદ્રક, પત્રકાર, ૧૯મી સદીના અર્વાચીનતાના એક અગ્રણી મશાલચી. પણ ‘શરીર શાંનતી’ જેવું પુસ્તક તેમણે લખેલું એ વાત આજે ભાગ્યે જ કોઈ જાણે છે. અને આ કાંઈ તેમનું એકલ દોકલ પુસ્તક નહોતું. પૂરાં પચીસ પુસ્તકો તેમનાં પ્રગટ થયાં હતાં, જેમાં ‘દબેસ્તાન’ અને  ‘પંચતંત્ર’નો અનુવાદ, ‘ગુલેસ્તાન’નો તરજુમો, વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ‘પોતે સુધારીને છાપેલાં પુસ્તકો’ની સંખ્યા ૨૨ની થવા જાય છે. પણ ફરદુનજીનું પોતાનું છાપખાનું, અખબાર, તો મુંબઈમાં હતું. તો પછી તેમણે આ પુસ્તક દમણમાં કેમ છાપ્યું? પારસી કેલેન્ડરની કાળગણના અંગે એ વખતે પારસીઓમાં જબરો વિવાદ ચગ્યો હતો. કદમી અને શહેનશાહી એવા બે પક્ષ સામસામે આવી ગયા હતા. ફરદુનજી કદમીઓનો પ્રચાર જોરશોરથી કરવા લાગ્યા. વિરોધીઓએ પહેલાં તેમને વારવાનો પ્રયત્ન કર્યો. નિષ્ફળતા. એટલે એક ‘મિત્ર’ની મદદથી ફરદુનજીને એક આર્થિક બાબતમાં ખોટી રીતે સંડોવ્યા. તેમની બધી માલમિલકત જપ્ત થઈ. છતાં માથે દેવું તો રહ્યું જ. એ વખતના બ્રિટિશ કાયદા પ્રમાણે દેવાદારને લાંબી અને આકરી જેલની સજા થતી. તેમાંથી બચવા ન છૂટકે મુંબઈ છોડી ફરદુનજી ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે તે વખતે પોર્ટુગીઝોના તાબામાં આવેલા દમણ જઈ વસ્યા. મુસાફરી માટેના એંસી રૂપિયા પણ એક મિત્ર પાસેથી ઉછીના લેવા પડેલા. દમણના ગવર્નરના આગ્રહથી પહેલાં એક નાનકડું શિલાછાપ છાપખાનું શરૂ કર્યું. પણ મુંબઈના છાપખાનામાં મુવેબલ ટાઈપથી ટેવાયેલા ફરદુનજીને લિથોગ્રાફથી સંતોષ ન થયો. એટલે ૧૮૩૮માં દમણમાં જ બીબાં વાપરી છાપકામ કરતું પહેલવહેલું છાપખાનું શરૂ કર્યું. અલબત્ત, પોતાને માથે કાયદાની જે તલવાર લટકતી હતી તેનાથી ફરદુનજી પૂરેપૂરા સજાગ હતા, એટલે આ છાપખાનું પોતાને નામે નહિ, પણ પોતાના એક દીકરા કાવસજીને નામે કર્યું હતું. એ જ પ્રેસમાં છપાયું હતું આ પુસ્તક. પુસ્તકની છપામણી અંગેની એક લાક્ષણિકતા પણ નોંધી લઈએ. બીબાં વાપરીને છાપેલા આ પુસ્તકમાં શબ્દો છૂટા પાડીને છાપ્યા છે એટલું જ નહિ, બે શબ્દો વચ્ચે બધે જ મધ્યરેખાબિંદુ પણ મૂક્યાં છે. વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણવિરામને બદલે મધ્યરેખા પર અક્ષરના કદની જ ફુદરડી (*) મૂકી છે. જો  કે આ બંને લાક્ષણિકતા ફરદુનજીએ છાપેલાં બીજાં કેટલાંક પુસ્તકોમાં પણ જોવા મળે છે. આ પુસ્તક છપાયું ત્યારે ફરદુનજી બ્રિટિશ ઇન્ડિયાના રહેવાસી નહોતા, છતાં મુંબઈના ગવર્નરની કાઉન્સિલે આ પુસ્તકની પચીસ નકલ ખરીદી, એટલું જ નહિ, જો ફરદુનજી તેનો મરાઠી અનુવાદ કરાવે તો સરકાર પોતાને ખર્ચે તે છાપી આપશે તેમ પણ ઠરાવ્યું.

ફરદુનજીનો જન્મ સુરતમાં, ૧૭૮૭માં. (ચોક્કસ તારીખ મળતી નથી, પણ તેમના પોરિયાના પોરિયા કેકોબાદ બેહેરામજી મર્ઝબાને લખેલ અને ૧૮૯૮માં પ્રગટ થયેલ ‘ફરદુનજી મર્ઝબાનજી: ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ’ નામના પુસ્તકમાં આ સાલ આપી છે.) ૧૮૪૭ના માર્ચની ૨૩મી તારીખે દમણમાં અવસાન.

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, ફેબ્રુઆરી 2018]

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

e.mail : deepakbmehta@gmail.com

Loading

In Just Three Days ….

'Surendra'|Opinion - Cartoon|13 February 2018

courtesy : "The Hindu", 13 February 2018

Loading

...102030...3,1713,1723,1733,174...3,1803,1903,200...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved