Opinion Magazine
Number of visits: 9686476
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજકાલ પૉઝિટિવ થિન્કિંગનો મારો ચાલ્યો છે એનું કારણ આ સ્વીકાર્ય નથી એવું કોઈ ન કહે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2018

અસ્વીકારની કૂખમાંથી પરિવર્તનનો જન્મ થાય છે

મૂલ્યભાન સમયસાપેક્ષ હોય છે અને કાયદાનો કડપ કે ભય વ્યવસ્થાસાપેક્ષ હોય છે. જ્યારે ગાંધીજી જેવા મહાનુભાવ, રાષ્ટ્રીય આંદોલન, દેશને નવા યુગમાં લઈ જવાની તમન્ના પ્રબળ હોય ત્યારે લોકો ચોરી નથી કરતા, ત્યાગ કરવા લાગે છે. કાળનો પ્રભાવ હોય છે. એવો એક સમય હતો જ્યારે જે.આર.ડી. તાતા ખાદી પહેરતા હતા અને લોકકલ્યાણ માટે સખાવત ન કરે એ શ્રીમંત નહોતો ગણાતો. એ દિવસોમાં કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો કાયદો કરવો નહોતો પડ્યો. ભારતના દરેક શહેર અને કસબામાં પ્રજાકીય વિકાસ માટે મંડળો રચાયાં હતા જે સરકાર તરફ નજર કર્યા વિના સ્વપ્રયત્ને શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરતાં હતાં. કવિ નર્મદ તો ૧૯મી સદીમાં મંડળી મળવાથી થતા લાભ ગણાવીને ગયો હતો. એ સમયે સરકાર પાસેથી રાહત અને સબસિડીની અપેક્ષા રાખવામાં નહોતી આવતી, કારણ કે દરેક માણસ પોતાની કમાણીનો એક હિસ્સો જરૂરતમંદો માટે રાખતો હતો. એ સમયે આજ જેટલા સાધુસંતો પણ નહોતા જે સમાજને નૈતિકતાના પાઠ ભણાવતા હોય. કદાચ માગ અને પુરવઠાનું અર્થશાસ્ત્ર એમાં કામ કરતું હશે.

જ્યારે મૂલ્યભાનનું ધોવાણ થાય છે ત્યારે કાયદાના રાજની અર્થાત્ કાયદાના કડપની જરૂર પડે છે, પરંતુ એ વ્યવસ્થાસાપેક્ષ હોય છે. વ્યવસ્થામાં છીંડાં હોય તો કાયદો નિસ્તેજ સાબિત થાય અને એ સંજોગોમાં સાચાને ન્યાય મળતો નથી અને ખોટાને સજા થતી નથી. આને કારણે સાચા પ્રામાણિક માણસો કાયદાના રાજમાંથી શ્રદ્ધા ગુમાવી દે છે અને ખોટા માણસો કાયદાનો ભય ગુમાવી દે છે. જ્યારે શ્રદ્ધા અને ભય બન્નેનો લોપ થાય ત્યારે વ્યવસ્થા પડી ભાંગે છે. ભારતમાં અત્યારે આ બન્ને સ્થિતિ જોવા મળી રહી છે. મૂલ્યભાનનો લોપ થયો છે અને કાયદાનો કડપ રહ્યો નથી.

આ સ્થિતિમાં અંગ્રેજીમાં જેને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય એવા પ્રકારના જાહેરમાં બૌદ્ધિક વિમર્શ અને ઊહાપોહ કરે એવા લોકોની જરૂર પડે છે. તેઓ પરિસ્થિતિની છણાવટ કરે છે અને માર્ગ ચીંધે છે. જોઈએ તો રસ્તા પર પણ ઊતરે છે. જેટલો વિમર્શ અને ઊહાપોહ પ્રબળ એટલી સંકટમાંથી બહાર નીકળવાની શક્યતા પ્રબળ. આ જગતમાં દરેક પ્રજાને આવા સંકટનો સામનો કરવો પડ્યો છે એટલે એમાં આપણે અપવાદ નથી. જરૂર છે નીરક્ષીર વિમર્શ અને ઊહાપોહની. બીજી બાજુ મૂલ્યહૃાસ અને સડેલી વ્યવસ્થામાં જેમનાં સ્થાપિત હિતો છે એવા લોકો વિમર્શ અને ઊહાપોહ ન થાય એવા પ્રયત્નો કરે છે. બસ, મારામાં શ્રદ્ધા રાખો, હું વ્યવસ્થા બદલી આપીશ એવાં ખોટાં વચનોનાં ગાજર ફેંકનારા નેતાઓ અને બસ, મારામાં શ્રદ્ધા રાખો, હું તમારું જીવન બદલી આપીશ એવાં ગાજર ફેંકનારા બાવાઓની યુતિ રચાય છે. એક સ્થાપિત હિતોને ચોરી કરવામાં મદદ કરે છે અને બીજા પ્રજાને પોઢાડી રાખવાનું કામ કરે છે.

યુતિ રચાય છે એનો અર્થ એવો નથી કે તેઓ કોઈક ગુપ્ત સ્થળે એકઠા થયા હતા અને સમજૂતી કરી હતી. દરેક યુગમાં આવી સમજૂતીઓ એની મેળે થઈ જતી હોય છે. પરિવર્તનના યુગમાં પરિવર્તનની યુતિઓ થઈ હતી. ગુજરાતમાં ભિક્ષુ અખંડાનંદે ગુજરાતી પ્રજાને સસ્તા ભાવે મૂલ્યવાન કાલજયી સાહિત્ય ઉપલબ્ધ કરાવી આપવા સસ્તું સાહિત્યવર્ધક મુદ્રણાલય સ્થાપીને સસ્તું સાહિત્યનું આંદોલન કર્યું હતું. પચાસ વરસથી મોટી ઉંમરનો એવો ગુજરાતી ભાગ્યે જ મળશે જેના ઘરમાં સસ્તા સાહિત્યનું કોઈ પુસ્તક ન હોય કે વાંચ્યું ન હોય. ‘અખંડ આનંદ’ સામયિક એક જમાનામાં ગુજરાતી ભાષામાં સૌથી વધુ વંચાતું સાહિત્ય હતું.

મહારાષ્ટ્રમાં મરાઠવાડામાં જન્મેલા સ્વામી રામાનંદ તીર્થે હૈદરાબાદને નિઝામથી મુક્ત કરવા સત્યાગ્રહ કર્યો હતો અને મરાઠવાડામાં શિક્ષણના પ્રસાર માટે જીવનભર કામ કર્યું હતું. બિહારમાં સ્વામી સહજાનંદ સરસ્વતી હતા જેમણે ખેડૂતોને સંગઠિત કર્યા હતા અને કિસાન સભાની સ્થાપના કરી હતી. ગયા મહિને મુંબઈમાં ખેડૂતોએ જે વિરાટ મોરચો કાઢ્યો હતો એનું આયોજન આ કિસાન સભાએ કર્યું હતું. અત્યારે એ સંગઠન સામ્યવાદીઓના કબજામાં છે. તેમને કોઈએ કહ્યું નહોતું કે તમારે આ કરવાનું છે. એ યુગનો સાદ હતો.

આવા બીજા સેંકડો સાધુઓના દાખલા આપી શકાય જેઓ એ યુગમાં પ્રજાજાગૃતિના કામમાં લાગ્યા હતા. તેઓ આજના પરમપૂજ્યોની માફક પોઢાડવાનું કામ નહોતા કરતા. બે ડૂસકાં, બે ટુચકા, બે-ચાર ગીતોના તાલે ભોળી પ્રજાને નચાવતાં તેમને પણ આવડતું હતું. આજકાલ ઇવેન્ટના સહારે નેતા લોકપ્રિય બને છે અને સાધુ પ્રતિષ્ઠિત બને છે. બન્ને પાછા એકબીજાની પીઠ ખંજવાળતા હોય છે. એમાં વળી શ્રીમંતો અને સેલિબ્રિટીઓ પહેલી પંક્તિમાં બેસીને સાધુના શ્રેષ્ઠત્વનું માર્કેટિંગ કરી આપતા હોય છે. કલ્પના કરો કે ભિક્ષુ અખંડાનંદે નેતાઓની પીઠ ખંજવાળી હોત અને શેઠિયાઓ અને સેલિબ્રિટીઓની ગુલામી કરી હોત તો ગુજરાતી પ્રજા સાંસ્કૃિતક રીતે કેટલી રાંક હોત! ઇવેન્ટો યોજતાં તેમને પણ આવડતું હતું, પણ તેમણે નક્કર કામ કર્યાં હતાં. કાળનો પ્રભાવ હતો.

પૉઝિટિવ થિન્કિંગ એ આ યુગની બીમારી છે કે પછી નેતા-બાવાજીની યુતિનું પરિણામ છે એ કહેવું મુશ્કેલ છે. પૉઝિટિવ થિન્કિંગ એટલે કાંઈ નહીં કરો, બેસી રહો. પૉઝિટિવ થિન્કિંગ એટલે વિચારવાનું નહીં અને ઊહાપોહ કરવાનો નહીં. પૉઝિટિવ થિન્કિંગ એટલે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેવાનું. જો સૉક્રેટિસથી લઈને ગાંધીજી સુધીના લોકોએ પૉઝિટિવ થિન્કિંગ કર્યું હોત તો આજે આપણે ક્યાં હોત? અસ્વીકારની કૂખમાંથી પરિવર્તનનો જન્મ થાય છે. આજકાલ પૉઝિટિવ થિન્કિંગનો મારો ચાલ્યો છે એનું કારણ આ સ્વીકાર્ય નથી એવું કોઈ ન કહે. નેતાઓ, બાવાઓ, છીછરા ચિંતકો સમાજમાં પરિવર્તનલક્ષી વિમર્શ અને ઊહાપોહ ન થાય એ માટે પ્રયત્નશીલ છે અને જો થાય તો એ પ્રજા સુધી ન પહોંચે. વૉટ્સઍપ પર રોજ સવારે શુભચિંતનનો મારો હવે અસહ્ય બની રહ્યો છે.

એટલે આજે દેશને જરૂર છે સાંગોપાંગ ચર્ચાની અને નિર્ભય ઊહાપોહની.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૅપ્રિલ 2018

Loading

કાશીબાનું રસોડું

આનન્દરાવ લિંગાયત|Opinion - Short Stories|14 April 2018

‘હલો ….’

‘અલ્યા, કાશીબા આવ્યાં છે. તને બહુ યાદ કરે છે.’ પ્રવીણનો અવાજ હતો.

‘કાશીબા? આપણી કૉલેજવાળાં કાશીબા?’ મને આશ્ચર્યનો ધક્કો લાગ્યો.

‘કેવી રીતે આવ્યાં? એમની ઉંમર તો ..’

‘હું ઇન્ડિયા ગયો હતો. મારી સાથે પરાણે ખેંચી લાવ્યો છું. બીજી વાત પછી ..’ એણે ફોન મૂકી દીધો.

કાશીબાના હાથના રોટલા ખાઈને જ તો પ્રવીણ આજે શીકાગોનો મોટો શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયો છે.

મારી સ્મૃિતમાં રહેલી કાશીબાની યાદ સળવળી ઊઠી. એમની સાથે કશું સગપણ તો નહોતું. ‘દર મહિનાની પહેલી તારીખે પૈસા લો અને તમારે રસોડે અમને જમાડો.’ બસ, આ અમારું સગપણ. અમે કુલ ચાર વિદ્યાર્થીઓ હતા. નવા નવા કૉલેજના પહેલા વર્ષમાં દાખલ થયેલા. સાંકળમુકડ ભાડાની એક રૂમમાં રહેતા અને સામે આવતી જિન્દગી વિશેના જાતજાતનાં રંગબેરંગી સપનામાં રાચતા રહેતા.

કાશીબાના રસોડા વિશે પ્રવીણે જ કહેલું એટલે અમે એમને મળવા પહોંચી ગયેલા. અમારા રૂમની નજીક જ હતાં. જગ્યા બહુ નાની હતી. એક જ રૂમ હોય એવું લાગ્યું. એક ખૂણામાં પિત્તળના બે સ્ટવ પડ્યા હતા. સ્ટવની બાજુમાં એક નાના ખોખામાં દીવાસળીની પેટી, સ્ટવની એકબે પીન અને સ્ટવ સળગાવવાનો કાકડો પડ્યાં હતાં. બાજુના પાણિયારા પર બે માટલાં અને પિત્તળનો ડોયો લટકતો હતો. બારણા પાછળના ખૂણામાં ગ્યાસતેલનો ડબ્બો અને પંપ મૂકેલા હતા. લાકડાનો એક પટારો દેખાતો હતો એમાં એમની બીજી બધી ઘરવખરી હશે એવું લાગતું હતું.

‘આવો, ભૈ ….’ કાશીબા એક કથરોટમાં લોટ ચાળતાં હતાં. એ બંધ રાખી એમણે લોટની એ કથરોટ અને ચાળણી બાજુમાં મુક્યાં અને અમને આવકાર્યા. અમે પલાંઠી વાળીને નીચે ગોઠવાઈ ગયા.

‘નમસ્તે કાશીબા ….’ કહી મેં શરૂઆત કરી. ‘કાશીબા, અમારે તમારા રસોડામાં જમવાની ગોઠવણ કરવી છે.’

‘તમારા ચાર જણ માટે ?’

‘હા,’ મેં કહ્યું.

‘ભૈ, ચાર જણાનું રાંધવાનું તો મારાથી નહીં પહોંચી વળાય. અત્યારે મારે ત્યાં બે જણ જમે છે. એમાંથી એક જણ ભણી રહ્યો છે, એટલે એ જવાનો છે. એની જગ્યાએ હું એક જણને જમાડું. બહુ તો બે જણાને. ચારે જણાને તો નહીં. પણ ભૈ, તમને અહીં મારે ત્યાં આવવાનું કોણે કહ્યું?’

‘એણે જ. જે ભણી રહ્યો છે એ પ્રવીણે જ. અમે એમને ઓળખીએ છીએ .. એ હવે અમેરિકા જાય છે.’

‘એ તો મને કહેતો હતો કે પરદેશ જવાનો છે!’

‘એ જ, પરદેશ એટલે જ અમેરિકા. ત્યાં ભણવા જવાનો છે.’

‘એ મૂઓ, ભણવામાં બહુ હોશિયાર. પણ ખાવા–પીવામાં જરાયે ધ્યાન નહીં. ધમકાવીને પરાણે મારે એની થાળીમાં મૂકીને ખવરાવવું પડે. ભૈ, ઊગતું શરીર હોય એટલે શરીરને બરાબર પોષણ તો આપવું જ પડે ને! આ ભાવે ને પેલું ન ભાવે એવું નાના છોકરા જેવું કંઈ ચાલે? ચાર વરસથી હું એને જમાડતી આવી છું; પણ મારે તો રોજનો જ કકળાટ.’

એમ કહીને કાશીબા એકાએક ગળગળાં થઈ ગયાં. એમના ‘મૂઓ’ શબ્દમાં પણ વહાલ હતું. આંખો ને નાક લૂછી આગળ બોલ્યાં, ‘એ જમવા નહીં આવે તે દહાડે મને ….’ અમે ગમગીન બનીને કાશીબા તરફ જોતાં જ રહ્યા.

‘ભૈ, બહુ હારુ…. એ તો જ્યાં જશે ત્યાં ભણીને નામ કાઢશે. મને કહ્યા કરતો હતો કે અહીંની કૉલેજમાં પણ પોતે પહેલા નંબરે પાસ થાય છે. ભૈ, છોકરો ભલો અને સીધો છે. નોકરી કે ધંધો કરીને બહુ કમાશે. ફક્ત એના ખાવા–પીવાનું ધ્યાન રાખે એવી બૈરી એને મળી જાય, એટલે બસ.’

કાશીબાને ત્યાં જમનારા છોકરાઓ માત્ર એમના ‘ઘરાક’ જ નહોતા તે આ વાતચીત દરમિયાન મેં કાશીબાને બરાબર ઓળખી લીધાં. એ માત્ર પૈસા માટે રાંધવાવાળાં ‘રસોયણ બાઈ’ નહોતાં. પૈસા લઈને જમાડવા કરતાં કાળજી વધારે રાખતાં. સાથે ‘વાત્સલ્ય’ અને ‘માતૃત્વ’ પણ પીરસતાં.

કાશીબા હા–ના કરતાં રહ્યાં અને સમજાવી–પટાવીને મેં અમારા ચારેનું જમવાનું એમને ત્યાં ગોઠવી દીધું. પહેલા મહિનાના પૈસા પણ આપી દીધા. કાશીબાએ અઠવાડિયાની વાનગીમાં શું શું જમાડશે તે અમને સમજાવી દીધું. એક કડક સૂચના પણ આપી દીધી. થાળીમાં સહેજ પણ એંઠું રાખીને અનાજ અને પૈસાનો બગાડ પોતે નહીં ચલાવી લે. ભાવે કે ન ભાવે, બધું જ ખાવાનું.

કાશીબાની મારા પર બહુ ઊંડી અને ઉમદા છાપ પડી. વિધવા હતાં. પચાસેકની ઉમ્મર, પ્રેમાળ અને સૌમ્ય ચહેરો. એકલે હાથે જિન્દગી સામે ટક્કર ઝીલી રહ્યાં હોય એવું લાગ્યું.

*  *  *

ચારેક મહિના વિત્યા. અમારું ભણતર બરાબર ગોઠવાઈ ગયું હતું. કાશીબાને ત્યાં જમવાનું તો અમે ધાર્યું હતું તેના કરતાં ક્યાં ય વધારે સારી રીતે જામી ગયું હતું. અમે ચારે જણા એકસાથે જમવા જઈ શકતા નહોતા. મને બે ત્રણ ટ્યુશનો મળી ગયાં હતાં. એટલે હું અનિયમિત થઈ ગયો હતો. પણ કાશીબા મારી થાળી બરાબર ઢાંકીને મારી રાહ જોતાં. હું પહોંચું કે સ્ટવ પર બધું ફરી ગરમ કરીને મને વહાલથી જમાડતાં.

એક સાંજે હું જમતો હતો.

‘અલ્યા, પેલો રમણ ગઈકાલે સાંજે જમવા ન્હોતો આયો. આજે બપોરે પણ નહીં દેખાયો. કમ નો આયો ?’ દાળ પીરસતાં કાશીબાએ પૂછ્યું.

‘કાશીબા, એને શરદી–તાવ છે. એટલે સૂઈ રહ્યો છે.’

‘સાવ ભૂખ્યો? પેલા બે જણા આવીને જમી ગયા; પણ મને કશું કહ્યું નહીં! તુંયે મૂંગો રહ્યો છું.’ કાશીબાએ મને તતડાવ્યો.

એમણે તરત બે ઢેબરાં બનાવી નાખ્યાં. ચોખાની બે પાપડી શેકી નાખી. અભેરાઈ પરથી નાનું થરમસ ઉતાર્યું. આદુનો ઉકાળો બનાવીને તેમાં ભર્યો.

‘આ લઈ જા. ગરમ ગરમ એને પીવરાવજે. મસાલાવાળાં થેપલાં અને આ પાપડીથી એનું મોઢું સારું થશે. પેટમાં રાહત થશે. તમારી રૂમમાં બામ કે એવી કોઈ દવા રાખો છો ? નહીંતર આ ડબ્બી લઈ જા. એના કપાળે ઘસજે. સાજે–માંદે એકબીજાની કાળજી રાખતા રહો. ચાર ભાઈઓની જેમ પ્રેમથી જીવો. બાકી આ દુનિયામાં બીજું કંઈ નથી.’

*  *  *

દર રવિવારે કાશીબા અમને મીઠાઈ જમાડતાં. વાનગીઓ પણ વધારે બનાવતાં; પણ પછી સાંજે રસોડું બન્ધ ! એમને એટલો આરામ મળતો. અમે સાંજે ભૂખ્યા ન રહીએ માટે અમને થોડી મીઠાઈ અને બીજું કોરું સાથે બાંધી આપતાં.

એક રવિવારની સાંજે બસમાંથી ઊતરીને હું મારી રૂમે જતો હતો. સામે કાશીબા મળ્યાં. બહુ જ અસ્વસ્થ લાગતાં હતાં. એક હાથમાં શાકભાજીની મોટી થેલી હતી. બીજા હાથમાં નાની થેલી હતી. તે થેલી છાતી સરસી દાબીને ઉતાવળે પગલાં માંડતાં હતાં.

‘કાશીબા, લાવો, આ શાકની થેલી મને આપી દો. હું આવું છું તમારી સાથે.’ પરાણે મેં થેલી લઈ લીધી. અમે કાશીબાની ઓરડીએ પહોંચ્યાં. કાશીબાએ ચાવી કાઢીને તાળું ખોલ્યું. મેં શાકની થેલી દીવાલ પાસે મૂકી. પેલી નાની થેલી કાશીબા ખીંટી ઉપર લટકાવવા જતાં હતાં; પણ થેલી નીચે પડી ગઈ. એમાંથી ફ્રેમ કરેલો એક ફોટો બહાર પડ્યો.

‘આ કોનો ફોટો છે, કાશીબા?’ ફોટો ઊઠાવતાં મેં પુછ્યું.

કાશીબા ધ્રૂસકે ચડી ગયાં.

‘બેટા આ મારો એકનો એક દીકરો હતો. એ અને એના બાપા બન્ને જણા એક ખટારાની હડફેટમાં આવીને ગુજરી ગયા. આજે હોત તો તારી ઉમ્મરનો હોત. આજે એનો જન્મ દિવસ છે. એટલે મંદિરે પગે લગાડવા લઈ ગઈ’તી.’

કાશીબાને ત્યાં જમતા બધા છોકરાઓમાં એમને એમના આ દીકરાનું પ્રતિબિમ્બ દેખાતું હશે. માટે જ આટલો પ્રેમ આપીને બધાને લાડથી જમાડતાં હશે.

આ સંસારમાં કાશીબા તો એકલાં જ હતાં.

સર્જક–સમ્પર્ક : 23834-Palomino Dr., Diamond Bar, CA 91765-USA

eMail:  gunjan_gujarati@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 398 –April 15, 2018

Loading

‘પંચ’ના પાંચ અવતાર

દીપક મહેતા|Opinion - Opinion|13 April 2018

કાળચક્રની ફેરીએ

આ વાત છે, ૧૯મી સદીની એક મુસાફરીની. કોઈ માણસની મુસાફરીની નહિ, પણ એક મેગેઝીન કહેતાં સામયિકની મુસાફરીની. અથવા ૧૯મી સદીમાં મેગેઝીન માટે વપરાતો શબ્દ વાપરીને કહીએ તો એક ચોપાનિયાની મુસાફરીની આ વાત છે. માત્ર પચીસ પાઉન્ડની મૂડીથી એ મેગેઝીનની શરૂઆત થઇ હતી. પણ પૂરાં ૧૬૧ વર્ષ સુધી એ પ્રગટ થતું રહ્યું. એટલું જ નહિ, એનું નામ બ્રિટન બહાર, યુરોપ બહાર, આખી દુનિયામાં જાણીતું થયું. દુનિયાના કેટલાયે દેશોમાં, કેટલીયે ભાષાઓમાં એના અનુકરણ રૂપે, અથવા તો આજની રીતે કહીએ તો એમાંથી ‘પ્રેરણા લઈને’ મેગેઝીન શરૂ થયાં. વિક્ટોરિયન યુગના બ્રિટનમાં કઠપૂતળીના ખેલો લોકપ્રિય હતા. એ ખેલોમાંના એક જાણીતા પાત્રના નામ ઉપરથી એ મેગેઝીનનું નામ રખાયું ‘પંચ.’ તો પંચ નામના પીણામાં જેમ જુદાં જુદાં પીણાંનું મિશ્રણ હોય છે તેમ અહીં પણ રાજકારણ, હાસ્ય-કટાક્ષ, અને કાર્ટૂનનું અફલાતૂન મિશ્રણ થતું. થેકરે અને પી.જી. વૂડહાઉસ જેવા વિખ્યાત હાસ્યકારોનાં લખાણો પણ તેમાં પ્રગટ થતાં. પણ બહોળો ફેલાવો મળ્યો તે તો તેમાં છપાતાં કાર્ટૂનને પ્રતાપે. વર્ષો સુધી ‘પંચ’ અને ‘કાર્ટૂન’ એ બે શબ્દો એકબીજાના પર્યાય બનીને રહ્યા. પહેલો અંક ૧૮૪૧ના જુલાઈની ૧૭મી તારીખે પ્રગટ થયો. વખત જતાં ‘પંચ’ બ્રિટનની એક રાષ્ટ્રીય સંસ્થા જેવું બની રહ્યું.

ઓગણીસમી સદીના હિન્દુસ્તાનમાં ઘણી વસ્તુઓ બ્રિટનની વસ્તુઓના અનુકરણ રૂપે શરૂ થઇ. પહેલું દેશી ‘પંચ’ ૧૮૫૯ના જૂનની ૧૩મી તારીખે શરૂ થયું. દિલ્હીથી પ્રગટ થતા આ મેગેઝીનનું નામ હતું ‘ધ ઇન્ડિયન પંચ.’ એ પ્રગટ થયું અંગ્રેજીમાં. એનું છાપકામ પણ જરા આગવી રીતે થતું. તેમાંનું લખાણ મૂવેબલ ટાઈપ વાપરીને છપાતું, જ્યારે ચિત્રો, કાર્ટૂન શિલાછાપથી છપાતાં.

ઇન્ડિયન પંચ પછી લખનૌથી ઉર્દૂમાં ‘અવધ પંચ’ શરૂ થયું. ૧૮૫૬માં જન્મેલા મુનશી મહમ્મદ સજ્જાર હુસેને એ શરૂ કરેલું. તેનો પહેલો અંક ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૬મીએ પ્રગટ થયો. ‘શૌક’ અને ‘વઝીરઅલી’ નામના બે ચિત્રકારો તેને માટે કાર્ટૂન તૈયાર કરતા. ‘શૌક’ના ઉપનામથી કાર્ટૂન તૈયાર કરનાર હકીકતમાં ગંગાસહાય નામનો એક હિંદુ ચિત્રકાર હતો. છેક ૧૯૩૬ સુધી તે ચાલુ રહ્યું હતું. ‘અવધપંચ’ના અનુકરણમાં લાહોરથી ‘દિલ્હી પંચ’ અને ‘પંજાબ પંચ’ નામનાં બે મેગેઝીન શરૂ થયાં.

પછી ‘પંચ’ આવ્યું ઉત્તર હિન્દુસ્તાનથી પશ્ચિમ હિન્દુસ્તાન. અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. પહેલા અંકમાં ‘આ ચોપાનિયું કાઢવાની મતલબ’ નામના તંત્રીલેખમાં જણાવ્યું હતું: “જેઓ પોતાની જાહેર ફરજો બરાબર અદા નાહી કરશે તેઓના શોંગ કાઢી ચીતારેઆમાં આવશે કે તેઓની હશી થાએઆથી બીજાઓ કશુર ભરેલાં તથા નાલાએક કામો કરવાને આચકો ખાએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું.

પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઇ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધુ ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. બરજોરજી વિષે ‘પારસી પ્રકાશ’ લખે છે: “જાહેર સવાલો ઉપરની એમની રમૂજ, એમનામાં સમાયેલી ઊંચી કુદરતી બક્ષેસ અને ઓરીજીનાલીટીનો ખ્યાલ આપતી હતે.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ઘણાં વરસ રૂખ અંગ્રેજ-તરફી વધુ રહી હતી. પણ વખત જતાં તે ‘દેશી’ઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું થયું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલી રંગભેદ વિરોધી ચળવળને વ્યંગ ચિત્રો દ્વારા તેણે સબળ ટેકો આપેલો. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિન્દ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. પહેલાં તે હસ્તપ્રતોમાં ચિત્રો દોરતો. પછી કાર્ટૂન દોરતો થયો. અસલ લંડનના પંચના કાર્ટૂનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.

પારસી પંચ(પાછળથી હિન્દી પંચ)માંથી પ્રેરણા લઈને મરાઠીમાં ‘હિંદુ પંચ’ મુંબઈ નજીકના ઠાણેથી શરૂ થયું. ઠાણેથી નીકળતા ‘અરુણોદય’ની હરીફાઈમાં ગોપાલ ગોવિન્દ દાબક નામના પત્રકારે પહેલાં ‘સૂર્યોદય’ નામનું ચોપાનિયું કાઢ્યું. ત્યાર બાદ ૧૮૭૨ના માર્ચની ૨૧મી તારીખે તેમણે ‘હિંદુ પંચ’ શરૂ કર્યું. એ પણ તેમના સૂર્યોદય છાપખાનામાં છપાતું. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા દસ આના હતું. લોકહિતવાદી ગોપાળ હરિ દેશમુખ તેમાં નિયમિતપણે લખતા. વામન બાળકૃષ્ણ રાનડે દાબકેના સહાયક હતા. ઘડપણને કારણે દાબકેએ ૧૮૨૯મા ‘હિંદુ પંચ’ ગણેશ કૃષ્ણ શહાણે અને આપાજી ગોપાળ ગુપ્તેને વેચી દીધું અને પોતાના વતન પેણમાં રહેવા ચાલ્યા ગયા. ૧૯૦૪ સુધી શહાણે અને ગુપ્તેએ એ ચલાવ્યા પછી પોતાના હરીફ ‘અરુણોદય’ના માલિક ફડકેને વેચી દીધું. પણ ૧૯૦૯માં ‘હિંદુ પંચ’ અને ફડકે બેવડી મુશ્કેલીમાં સપડાયા. ૧૯૦૮માં લોકમાન્ય ટીળકને છ વર્ષની જેલની સજા થઇ ત્યારે ફડકેએ એ ચુકાદાની અને સરકારની આકરી ટીકા કરી. સાથોસાથ આ સજા માટે ગોપાલ કૃષ્ણ ગોખલે જવાબદાર છે એવો આક્ષેપ પણ છાપ્યો. ગોખલેએ તે અંગે બદનક્ષીનો દાવો માંડ્યો. કોર્ટે ફડકેને પાંચ રૂપિયાનો દંડ કર્યો અને ગોખલેને દાવા અંગે થયેલો ખર્ચ પણ ભરપાઈ કરવા જણાવ્યું. બીજી બાજુ સરકારે હિંદુ પંચનું છાપખાનું જપ્ત કર્યું. ‘અરુણોદય’ સામયિક સામેના બીજા એક ખટલામાં પણ ફડકેને સજા થઇ, અને અરુણોદય તથા હિંદુ પંચ બંધ થયાં. ફડકેની આવી માઠી દશા જોઈ ગોખલેને પારાવાર દુઃખ થયું અને ફડકેને બોલાવી તેમને આર્થિક મદદ કરી! એટલું જ નહિ, ૧૯૨૦માં ફડકેનું મૃત્યુ થયું ત્યાં સુધી ગોખલે અવારનવાર તેમને મદદ કરતા રહ્યા.

લંડનનું ‘પંચ’ ૧૫૦ વર્ષ સુધી પ્રગટ થયા પછી સતત ઘટતા જતા વેચાણને કારણે ૧૯૯૨માં બંધ કરવું પડ્યું. ૧૯૯૬માં તેને ફરી બેઠું કરવાનો પ્રયત્ન થયો પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. ૨૦૦૨માં તે કાયમ માટે સમેટાઈ ગયું, કારણ તેનું અવતાર કાર્ય પૂરું થયું હતું. પણ હજી આજે ય અંગ્રેજીભાષીઓ અસલ ‘પંચ’ને ભૂલ્યા નથી. આપણે ‘પારસી પંચ’ અને ‘હિન્દી પંચ’ જેવા તેના અવતારોને સદંતર ભૂલી ગયા છીએ.

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

(“શબ્દસૃષ્ટિ”, અૅપ્રિલ 2018)

Loading

...102030...3,1683,1693,1703,171...3,1803,1903,200...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved