Opinion Magazine
Number of visits: 9583592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માથા પરની રેફ…..

કિરીટ દૂધાત|Opinion - Opinion|18 February 2018

[નિરંજન ભગતની લક્ષ્યવેધી પંક્તિઓ પ્રમાણે ‘નર્મદ’થી ‘ન મર્દ’ ભણી. − તંત્રી, “નિરીક્ષક”]

તા. ૧/૨/૨૦૧૮ના રોજ થયેલા નિરંજન ભગતસાહેબના અવસાનથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અને ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદારોએ પરિષદમાં પોતાનો હોદ્દો જાળવી રાખીને અકાદમીના કાર્યક્રમોમાં પડદા પાછળ કે આગળ રહીને ભાગ ભજવવો કે કેમ એ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અને સર્જકની સ્વાયત્તતા ન અળપાય એટલે આ બંને સંસ્થામાં એકસાથે વિચરણ કરવાનું વ્યક્તિ-સ્વાતંત્ર્ય હોવું જોઈએ, એવી લેખિત અને મૌખિક માંગ ઊઠી છે. આ અંગે હું મારો દૃષ્ટિકોણ રજુ કરું છું.

અકાદમી અત્યારે સંપૂર્ણપણે સરકારી નિયંત્રણ નીચે કામ કરતી કચેરી છે. શું સરકાર પોતાના તાબાના  કર્મચારીઓને બે જગાએ હોદ્દો ભોગવવાની છૂટ આપે છે? ઉદાહરણ તરીકે કોઈ કર્મચારી સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકે કાર્યરત છે અને બાદમાં એ પરીક્ષા પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બને અને સરકારની બેવડી સેવા કરી શકે, તેવા ઉમદા હેતુથી (ઉમદા હેતુથી જ હોંકે, અહીં આ ગૂંચવાડા માત્ર ને માત્ર મારા ગુજરાતી સર્જકના હેતુઓ ઉમદા હોવાથી જ થયા છે.) ડેપ્યુટી કલેક્ટર ઉપરાંત ક્લાર્ક તરીકે મૂળ જગાએ પણ ચાલુ રહેવાની ઑફર કરે, તો સરકાર એ દરખાસ્ત સહર્ષ સ્વીકારી લેશે? ના જી, એને જણાવવામાં આવશે કે ‘પહેલા ક્લાર્ક તરીકે રાજીનામું મૂકીને આવો, પછી બીજી જગાએ નિમણૂક મળશે.’ જો કે મારો વ્યક્તિસ્વાતંત્ર્યનો હિમાયતી એવો ગુજરાતી સર્જક તરત કહેશે કે ‘હું કાંઈ ક્લાર્ક છું?’ (નથી?)

પણ કોઈને આ પાઘડી બંધબેસતી ન જણાય, તો અમે બીજી પાઘડી રજૂ કરીએ છીએ. (આવી તો અમારી પાસે અનેક પાઘડીઓ છે, એમાંથી અમે એકાદ તો મારા ગુજરાતી સર્જકને બંધ બેસી જાય એવા આ લખાણમાં ભરપૂર પ્રયત્નો કરીશું.)

તો પાઘડી બીજી. ધારો કે કોઈ એક તાલુકા પંચાયતનો નાના એવા હોદ્દા ઉપર ચૂંટાયેલો કૉંગ્રેસપક્ષનો નાનો-શો રાજકીય કાર્યકર છે અને તેને પ્રજાની સેવા વધારે સારી રીતે કરી શકાય તે માટે પોતાનો મૂળ પક્ષ છોડીને ભારતીય જનતા પક્ષમાં જવાની પ્રેરણા એના અંતરાત્માએ ( હી..હી…) આપી છે, પણ જનતાની બેવડી સેવા થઈ શકે એવા એકમાત્ર ઉમદા હેતુથી ( ઉમદા હેતુથી જ હોંકે, અહીં આ ગૂંચવાડા માત્ર અને માત્ર મારા ગુજરાતી સર્જકના હેતુઓ  ઉમદા હોવાથી જ થયા છે.) એ શરત કરે કે હું બંને પક્ષમાં પાયાના કાર્યકર તરીકે ચાલુ રહીશ અને બંને પક્ષની મિટિંગોમાં હાજરી પુરાવીને બંને જગ્યાએ સાધિકાર મારો અવાજ રજૂ કરીશ, તો માનનીય જિતુભાઈ વાઘાણીસાહેબ જાહેર કાર્યક્રમ યોજીને એને ભગવો ખેસ પહેરાવશે? એને કહેવામાં આવશે કે પહેલા તમારા મૂળ પક્ષમાંથી ફારેગ થઈને આવો. જો કે મારો વ્યક્તિ- સ્વાતંત્ર્યનો હિમાયતી એવો ગુજરાતી સર્જક તરત કહેશે કે ‘હું કાંઈ તાલુકા કક્ષાનો નાનો-શો કાર્યકર છું?’ (નથી?)

કશો વાંધો નહીં, આવી કારકુનિયત અને તાલુકા પંચાયત જેવી ગ્રીડી મનોદશામાંથી બહાર નીકળીને એકાદ લટાર આંતરરાષ્ટ્રીય ઓટલે લગાવી આવીએ. ધારો કે મારો ગુજરાતી સર્જક ભારતભૂમિમાં જન્મ્યો છે પણ યુરોપ અને અમેરિકા જઈને વસ્યો છે અને ત્યાંની સિટીઝનશિપ પણ  લીધી છે. એટલે કે એ ભારતનો નાગરિક મટી ગયો છે પણ હમણાં હમણાંથી એને વતનની ધૂળ ખૂબ જ યાદ આવે છે અને બંને દેશોની સેવા એકસાથે થઈ શકે એવા ઉમદા હેતુથી (ઉમદા હેતુથી જ હોંકે, અહીં …….) બેવડું નાગરિકત્વ મેળવવા એ ભારતનાં વિદેશમંત્રી સુષમાજીને ટિ્‌વટ કરીને પોતાને ભારતનું નાગરિકત્વ તાબડતોબ ધોરણે જારી કરવા વિનંતી કરે છે. હવે  સુષમાજી તરત એને વળતાં ટિ્‌વટે શું જવાબ આપશે? રાઇટ યુ આર! કે પહેલાં તમારી ત્યાંની નેચરલાઇઝ્‌ડ સિટીઝનશિપ છોડીને આવો, પછી જરૂર આપીશું.

આ તો માળું અઘરું થતું જાય છે! હજી એક વધુ પ્રયત્ન કરીએ. ધારો કે વ્યક્તિસ્વાતંત્ર્યનો હિમાયતી મારો ગુજરાતી સર્જક કૉલમનિષ્ઠ પણ છે અને અમદાવાદનાં ચાર મોટા અખબાર ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘દિવ્યભાસ્કર’ અથવા ‘નવગુજરાત સમય’માંથી કોઈ એક અખબારમાં કૉલમ લખે છે, પણ એકસાથે બે અખબારના વાચકોની જ્ઞાનપિપાસા સંતોષાય એવા ઉમદા હેતુથી (…………..) એ એકસાથે બંને અખબારોમાં પોતાની કૉલમ લખવા માટે એક અખબારના તંત્રી પાસે જઈને પોતાની લાગણી રજૂ કરે, તો તંત્રીશ્રી એને કઈ બિનશબ્દકોશીય ભાષામાં જવાબ આપશે, એ કલ્પના તો હે વાચક, તું સ્વાયત્તતાનો હિમાયતી હોય કે ન હોય તો પણ કરી જ શકીશ.

તો હવે પ્રશ્ન એ થાય કે હે મારી ભાષાના સર્જક કારકુન, સામાન્ય રાજકીય કાર્યકર, નૅચરલાઈઝ્‌ડ સિટીઝન કે કૉલમસેવીઓને જે વાત લાગુ પડે એ તને લાગુ ન પડે તે તારી શી વિશેષ લાયકાત? તું આ શેનાં બખાળાં કાઢે છે? તું કહીશ કે સરકાર અમારા વ્યક્તિસ્વાતંત્ર્યની કદર કરીને અમને તો મૂળ સંસ્થામાંથી રાજીનામું આપવાનું કોઈ દબાણ નથી કરતી તો પરિષદ જ કેમ આ લઈને મંડી છે? તો વ્યક્તિસ્વાતંત્ર્ય એમ બોલતી વખતે તારી છાતી ગજગજ ફૂલતી હશે. પણ રહે, ‘સ્વાતંત્ર્ય’ જેવા ભારેખમની આગળ ‘વ્યક્તિ’ જેવો આજકાલ લઘુ થઈ ગયો છે, એવો એક શબ્દ મોજૂદ છે? જે તંત્ર ક્લાર્ક ઇત્યાદિની હાજરી બે જગાએ ઇચ્છતું નથી, એ તારી હાજરી અકાદમીમાં બિનશરતી ધોરણે આવકારે છે એ તને ‘વ્યક્તિ’ ગણે છે કે એક સદીથી પણ જૂની સંસ્થાને તોડવાનું ‘પ્યાદું માત્ર?’ તારે શેની સ્વતંત્રતા જોઈએ છે? પ્યાદું થવાની?

સરકારને હૈયે સાહિત્યપ્રેમ છે, એવું તું માનતો હોય, તો એણે નીમેલા છેલ્લા બે અધ્યક્ષોની સાહિત્યિક ક્ષમતા જોઈ લે અને પરિષદના સામાન્ય સભ્યોએ ચૂંટેલા છેલ્લા ત્રણેય પ્રમુખોનાં વિદ્વાન અને સાહિત્યકાર તરીકેનાં કદ જોઈ લે. હું તો વિચારું છું કે ભાગ્યેશ જહાના અધ્યક્ષસ્થાને મળતી અકાદમીની મિટિંગમાં આદરણીય ધીરુબહેન પટેલ જેવાં સાહિત્યકાર સામાન્ય સભ્ય તરીકે બેસતાં હશે, ત્યારે ત્યાં હાજર રહેલા અને ખુદને સાહિત્યકાર કહેવરાવતાં બીજાં સભ્યોનાં માથાં શરમથી ઝૂકી નહીં જતાં હોય? અરે, આવા તો કેટલા અફસોસ કરવા!

ખેર, ભગતસાહેબના સંદર્ભે શરૂ કરેલી વાત એમની આ એક પંક્તિથી પૂરી કરીએ,

‘સાતડે સાત
બોબડા ને તોતડાની નવી કરો નાત!’

તા.૭/૨/૨૦૧૮

E-mail : kiritdoodhat@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 14

Loading

ભગતસાહેબ ગયા, હવે શું

બારીન મહેતા|Opinion - Opinion|18 February 2018

પ્રિય સાહિત્યકાર સાથીઓ,

ભગત સાહેબને અલવિદા, પણ …..

બુઝનેવાલા બુઝેગા, જાનને કા હક ફિર ભી હૈ,
વહ હવા કા ઝોંકા થા યા કિસીને ફૂંક મારી થી

પરિષદની ૨૮-૦૧-૨૦૧૮ની મધ્યસ્થ સમિતિની બેઠક હવે પૂરી થઈ ગઈ હશે એવી ખાતરી સાથે મેં સાંજે ૭ વાગે પ્રવીણ પંડ્યાને ફોન કર્યો. અને સામેથી જે અવાજ અને લયમાં એમણે કહ્યું, ‘બારીન, મૂલ્યનિષ્ઠા માટે ભગતસાહેબ શહીદીને આરે પહોંચી ગયા. એમને ચાલુ બેઠકે બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. હું હોસ્પિટલમાં છું, પછી વાત કરું છું …’   તે પછી મેં યાંત્રિક રીતે ફોન મૂકી દીધો અને ‘મૂલ્યનિષ્ઠા માટે ભગતસાહેબ શહીદીને આરે પહોંચી ગયા …’ એ શબ્દો સાંભળતો તાકી રહ્યો અવકાશને અને પછી … 

એક કવિ અને સાહિત્યકાર તરીકે મારી જેમ અનેક ભગતસાહેબના પ્રશંસક હશે અને એ સહુને બેઠકમાં જે બન્યું એની વિગતો જાણવાની જરૂર હોય, એ સ્વાભાવિક પણ છે. એક તો, એમણે સરકારે છીનવેલી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા પુનઃ સ્થપાય એ માટે આ ઉંમરે પણ સક્રિયતા દાખવી. બીજું, ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત બને અને ટકી રહે એ માટે ઉમાશંકર જોશી અને દર્શકના પ્રયાસોથી ઊભી થયેલી પ્રણાલિ પરંપરા રૂપે આગળ વધે એ માટે, નારાયણ દેસાઈએ પરિષદ પ્રમુખ તરીકે કરેલા ઠરાવનું અને એના અનુસંધાને ઠરાવેલા અસહકારનું પાલન નવી પેઢી અને પરિષદ પોતે પણ કરે – એટલે કે એના સંલગ્ન સભ્યો કરે અને કરતા રહે એ માટે સતત જાગરુકતા દાખવનારા ભગતસાહેબને આવેલા બ્રેઈનસ્ટ્રોક માટે પરિષદની બેઠકમાં જે કંઈ બન્યું તે જવાબદાર છે એમ કહેવાને બદલે પરિષદની બેઠક જવાબદાર નથી, એ તો આકસ્મિક હોઈ શકે .. એમ કહેવાનું વલણ વાજબી લાગતું નથી.

ભગતસાહેબને આવેલો બ્રેઈનસ્ટ્રોક એક જાહેર સાહિત્યિક સંસ્થાની નિર્ણાયક બેઠકમાં આવ્યો અને એ મુદ્દા પરત્વે જે વિવાદ ઉપસ્થિત થયો એના કારણે ૯૨ વર્ષના આ મૂલ્યનિષ્ઠ કવિના મનોવ્યાપારને લાગેલા આઘાતની અસર આવી થઈ શકે છે. એમાં હાજર રહેલા સહુ કોઈ જાણે છે કે શું થયું, કેમ થયું, ભગતસાહેબે સમજાવ્યા કર્યું અને જે ત્રણ જણ સંકળાયેલા હતા, એમાંના રાજેન્દ્ર પટેલે તો કારોબારીની બેઠકમાં (ઉપપ્રમુખ તરીકે તેઓ નવી કારોબારીમાં ચુંટાયા છે) જ માફીપત્ર લખી આપેલું. પણ માફીપત્રની વાત જ્યારે મધ્યસ્થ સમિતિમાં મુકાઈ ત્યારે બીજા એમ કરવા તૈયાર ના થયા અને મામલો એ રીતે આગળ વધતો રહ્યો. વળી એમને મુદત આપવાની વાતને વરિષ્ઠો પૈકી કોઈક ટેકો આપતા રહ્યા, અને બીજા મૂક સંમતિ.

મધ્યસ્થની એ બેઠકમાં હાજર સહુ જાણતા જ હશે કે સ્વાયત્તતાના મુદ્દે ગુજરાત સાહિત્ય અકાદમી સાથે અસહકાર શા માટે છે! ભગતસાહેબની એ અસહકારના મુદ્દે શી ભૂમિકા છે અને એમનો અભિગમ શો અને શા માટે છે એ પણ સહુ જાણતા જ હોય. તેઓ એક રીતે ટ્રસ્ટીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તેમ પરિષદે સોંપેલી જવાબદારી નિભાવવા એક મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર તરીકે પણ બોલી રહ્યા હતા. આમ છતાં જે સાંભળવા મળ્યું છે તે પ્રમાણે હાજર રહેલામાંનાં જૂજ સભ્યો જ ભગતસાહેબના ટેકામાં બોલ્યા. બાકી મોટા ભાગના ચૂપ રહ્યા, સ્મશાનભૂમિમાં જે વાતો થતી હતી એમાંથી એક એવું ચિત્ર ઊપસતું હતું, જે આખી ઘટના અંગે સ્પષ્ટ સૂચિતાર્થ ભણી લઈ જતું હતું.

ગુજરાતી સાહિત્ય પરિષદની એ મધ્યસ્થ સમિતિની બેઠકમાં નિરંજન ભગત અને બીજાં સૌ. માધવ રામાનુજે લીધી આ એમની હવે આખરી છબિ ઠરે છે.

હકીકતે તો કારોબારીમાં અસહકારના ઠરાવના ભંગ બદલ ઉપરોક્ત ત્રણેય જણાની બરતરફી/ હોદ્દા પરથી રૂખસદ આપવાની દરખાસ્ત જ મૂકી શકાઈ હોત, છતાં પ્રમુખ સિતાંશુભાઈએ તેમ જ ભગતસાહેબે ત્રણેય જણાને માફીપત્ર લખી આપવા અને હવેથી એનું પાલન કરવાની બાંહેધરી આપવાની વાત જ મધ્યસ્થમાં મૂકી હતી, કારણ કે આ એક સાહિત્યિક સંસ્થા છે, માનવીય પાસાંને અવગણતી નથી એવી એક પ્રતીતિ પણ એની સાથે સંકળાયેલી છે. આમ છતાં એ સ્વીકારવાને બદલે એનો વિરોધ કરનારઓએ ના વિચાર્યું કે રૂખસદ આપવાને બદલે માત્ર માફી માગવાની વાત એમની સામે મૂકવામાં આવી છે. એથી ઊલટું, એમણે માફી ના માગવાની બાબત પકડી રાખી અને એવી દલીલ કરી કે પૂર્વપ્રમુખ ધીરુભાઈએ એમ કહ્યું છે કે એ મરજીયાત છે. એના જવાબમાં ધીરુભાઈએ સ્પષ્ટતા કરી કે એ તો સામાન્ય સભ્ય માટે ત્યાંના કાર્યક્રમમાં હાજર રહેવા અંગે છે, એ હોદ્દેદાર અને મધ્યસ્થના સભ્યને લાગુ પડતું નથી. પ્રવીણ પંડ્યાએ બંધારણના નવા સુધારાનો હવાલો આપીને એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ મધ્યસ્થની ચૂંટણીમાં ઊભી રહે ત્યારે ભરવાના ફૉર્મમાં જ લખેલું છે કે અમે પરિષદના નિયમો અને વખતોવખત થતા ઠરાવોને પાળવા બંધાયેલા છીએ.

કોણ જાણે કેમ એમનો દલીલોનો દોર ચાલુ રહ્યો. એ સાથે આ બાબત અંગે મગનું નામ મરી ના પાડનારા કેટલાક સભ્યો અસહકાર હટાવી લેવો જોઈએ, એવી રજૂઆત કરતા રહ્યા .. જાણે કે વાતને આડે પાટે ચડાવવાની પ્રક્રિયા ના હોય! છતાં ભગતસાહેબ, શાંતિથી વાત મૂકતા રહ્યા, પ્રમુખ તરીકે સિતાંશુભાઈ પણ સમજાવતા રહ્યા. પ્રકાશ ન. શાહ, પ્રવીણ પંડ્યા અને ભરત મહેતાએ પણ પોતપોતાની રીતે ભગતસાહેબની વાતને ટેકો પૂરો પાડ્યો. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આટલાં વર્ષોથી એમની સાથે બેસનારા, સલાહ લેનારા અન્ય ઘણા ત્યાં હાજર હતા તેઓ ઘણુંખરું ચૂપ રહ્યા. એમાંનું એક પણ જણ એકવાર પણ એમ બોલ્યું નહીં કે ભગતસાહેબની વાત સાચી છે અને પ્રમુખ સિતાંશુભાઈ પણ એમ જ સૂચવે છે, એનો સ્વીકાર કરવો જોઈએ! સ્મશાનભૂમિમાં કેટલાક એમ કહેતા સંભળાયા હતા કે સહુ મનમાં તો કંઈ ને કંઈ બોલ્યા જ હોય, પણ શું બોલ્યા તે એમના મન સિવાય કોણ જાણી શકે, પોતે પણ નહીં!!

એકની એક દલીલોના દોરમાં એકે થોડો સૂર બદલ્યો – હું માફીપત્રનું વિચારી જોઈશ, મને થોડા દિવસનો સમય આપો. ભગતસાહેબે કહ્યું, સમય તો પૂરો થઈ ગયો છે, તમે જે કર્યું એના કેટલા બધા દિવસો પછી આ બેઠક મળી છે. એ સમયે વરિષ્ઠો પૈકી કોઈકે કહ્યું કે એમને થોડો સમય આપો ને! અને એ વાત દોહરાવતા રહ્યા …

આ સાંભળીને એમ થવું સ્વાભાવિક છે કે એક સ્તરે ભગતસાહેબ, સ્વાયત્તતાના મૂલ્ય કાજે, એને લગતા ઠરાવનું જાણી જોઈને ઉલ્લંઘન કરનારને બરતરફીને બદલે માત્ર માફીપત્ર આપવાનું કહે છે, ત્યારે બીજા સ્તરેથી  જેમણે ઉલ્લંઘન કર્યું છે એમની તરફેણમાં વિચારવા થોડો વધારે સમય આપવાનું કહેવામાં આવે છે!

સામૂહિક ચૂપકીદી જેવી પરિસ્થિતિ મોટે ભાગે કોઈ ભય કે પછી કોઈ લાભને કારણે હોય છે, એમાં ય જ્યારે સંબંધિત મુદ્દા અંગે જાહેરમાં સર્વસંમતિ દાખવી હોય અને પછી એને લગતા આનુષંગિક પગલાં, ભારપૂર્વક ફરી લખું છુ કે એને લગતાં આનુષંગિક પગલાંને ટેકો ના આપવા જેવી ચેષ્ટા કરવી, ધરાર ચૂપ રહેવું, એ છળમાં સત્ય તો હોતું જ નથી, અસત્ય પણ વસતું નથી, કેવળ આત્મઘાતી સડો વસે છે. આ આત્મઘાતી સડો એમની જાત સાથે તો જે કરશે તે કરશે પણ આ સંસ્થા અને એના અન્ય સાહિત્યકારો સાથે તે જે કરે એ કેટલું વિઘાતક હોઈ શકે એની એમને જાણ છે? એમને એ પણ વિચાર ના આવ્યો કે રણજીતરામથી માંડીને નારાયણ દેસાઈ સુધીના મહાનુભાવો આ સંસ્થાની ધરોહર છે અને તેઓ એની સાથે ચેડાં કરી રહ્યા છે, એના મૂળમાં એ એવું કાંક રેડી રહ્યા છે જે એને ખોખલી બનાવવા તરફ લઈ જાય છે!

મધ્યસ્થમાં બેઠેલા તમામ મહાનુભાવોને સામાન્ય સભ્યોએ ચૂંટ્યા છે અને એટલે સામાન્ય સભ્યોને એ જાણવાનો અને માગવાનો હક છે કે જો એક સાહિત્યિક સંસ્થાને પૂરી સાહિત્યિક રાખવી હોય તો રાજકીય દોરીસંચાર અને સત્તાકીય દાવપેચની રમતો બંધ કરી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતા પ્રજાસૂય કર્મની વેદી પર બરકરાર હોવાનું દાખવે અને એનો દ્રોહ ના કરે. ભગતસાહેબની આ મૂલ્યપરસ્ત શહીદીને વ્યર્થ અને નિરર્થક બનાવવાની કોઈ ચેષ્ટાને હવે ચલાવી લેવામાં ના આવે તેમ જ જેમનામાં એને જાળવવાની અને જતન કરવાની નિસબત ના હોય તેઓએ જાતે જ સમજીને સાહિત્ય, સાહિત્યકારો, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, અને સ્વાયત્તતાને હકારાત્મક સમર્થન આપવા સાથે વ્યાપકપણે એને સાહિત્યિક અને પ્રજાકીય વારસા જેમ જાળવીને જતન કરવા ભણી વળવું જોઈએ અન્યથા સત્તાસ્થાનો છોડવા જેટલો વિવેક દાખવવો જોઈએ. આવું સખેદ કહેવાની આ ઐતિહાસિક પળ આવી ગઈ છે.

આપણે દોષારોપણ ના કરીએ તો પણ જેઓ સીધી રીતે જવાબદાર છે એ અંગે સ્પષ્ટ વાત થવી જોઈએ. સાહિત્યિક સંસ્થાને એનું બંધારણ હોય ત્યારે એનું પાલન થવા અને કરવા અંગે ખોટી અને પક્ષપાતી બાંધછોડ કરવાની જરૂર હોવી જોઈએ નહીં. બંધારણની જોગવાઈઓનું પાલન સાહિત્યિક ધોરણે ઉદારતા દાખવીને જરૂર થાય પણ એ કોઈ નબળાઈ કે શેહશરમમાં આવીને કરવાનો કશો અર્થ નથી.

તદુપરાંત, એક આ મુદ્દો અત્યારે મૂકવો અને સ્પષ્ટ કરવો જરૂરી લાગ્યો છેઃ પરિષદ પ્રમુખો સિવાયના શીર્ષસ્તરેથી ચતુરાઈ સતત એવી રીતે પ્રવૃત્ત રહી છે કે જેના પરિણામે સ્વાયત્ત અકાદમી આંદોલન અને પરિષદની સ્વાયત્તતા અંગેની લડતે ભોગવવું પડ્યું છે. ‘ભાગ્યેશભાઈને બે વર્ષ આપો, તેઓ એક નવું અને સારું બંધારણ આપશે.’ આમ કહેવાનો અર્થ વાચનાર સમજી શકે છે. આ ચતુરાઈ વિશે, સ્વાયત્તતા અને અસહકારના અમલ વિશે ૨૮-૧-૨૦૧૮ ની બેઠકમાં સરજવામાં આવ્યા એ ખેલ અંગે એટલે લખવું જરૂરી હતું કે ઘટના પાછળનાં પરિબળોનો આછો પરિચય સહુને થઈ રહે. જ્યારે કોઈ પણ સાચી વાતને છાવરીને બિનજરૂરી સમાધાન સરજવા માટે એક એજન્ડા ઘડી કાઢવામાં અને એનો સિફતથી ઉપયોગ કરવામાં એક સમૂહને સક્રિય કરવામાં આવે છે ત્યારે વણધારેલું નિપજી આવે પછી કશું કહી શકાય તો તે આટલું છેઃ    

હો રહા હૈ હુક્મ-એ-અમલ કા આલમ ઇસ તરહ યારોં,
ફસ્લ તો કયા, ના મિટ્ટી મિલેગી, ધૂઁએ કી પરછાઈયોં મેં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 15-16

Loading

ડિબેટિંગ ઇન્ડિયા : ભારતનું નવદર્શન

ઉપેન્દ્ર બક્ષી|Opinion - Opinion|18 February 2018

Debating India : Essays on Indian Political Discourse (ડિબેટીંગ ઇન્ડિયા : ભારતીય મીમાંસા અંગેનાં નિબંધો) : ભીખુ પારેખ :ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ન્યુ દિલ્હી, 2015

ભારતની અનેક તાણાવાણા ધરાવતી સભ્યતાના ઇતિહાસને લગતું ભીખુ પારેખનું આ સીમાચિહ્ન પુસ્તક છે. કોઈને ખુશ કરવાના ઈરાદાથી નહીં, પરંતુ ભરપૂર નક્કર તથ્યો અને તારણોથી સજ્જ આ પુસ્તક પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે નથી ગ્લાનિ અનુભવતું કે છાજિયા લેતું, પરંતુ તેની નૈતિક સજ્જતા, બંધારણીય અને રાજકીય આશ્રય આપવાની ભાવના અને વિવિધતામાં એકતા અંગે ગૌરવની અનુભૂતિ પ્રતીત કરાવે છે. આ પુસ્તકમાં તથા અન્ય લખાણોમાં પણ પારેખની લેખિની વિવાદી લેખનશૈલીનાં ખાનામાં નથી પડતી; તેઓ નીરદ સી. ચૌધરી (ધિ કૉન્ટિનન્ટ ઑફ સિરકે – જાદુટોણાંનો ખંડ) કે વી.એસ. નાયપોલ (કે જેણે ભારતને ઍન એરિયા ઑફ ડાર્કનેસ (અંધકારભર્યો પ્રદેશ) કે એ વૂન્ડેડ સિવિલાઇઝેશન(જખમી સભ્યતા) તરીકે વર્ણવ્યું છે)ની જેમ લખવાનું પસંદ કરતા નથી, પણ આ પુસ્તકના સૌથી મોટા જમાપાસાની તરજ પર ચાલવાનું એટલે કે સંયમપૂર્વકના ચિંતનને પસંદ કરે છે.

મોટી-મોટી થીઅરિને ક્યાં ય વચ્ચે લાવ્યા વગર (જો કે વ્યાવસાયિક રીતે તો પારેખ એક નામી રાજકીય ફિલોસોફર છે અને તેમણે વિદ્વદ્‌ભોગ્ય થીઅરિ પર પણ લખ્યું છે); સ્પષ્ટ અને પોતાની વિદ્વત્તાનો ક્યાંય દેખાડો કર્યા વગર હળવાશથી વાત કરી છે. તેઓ (જેક્સ લેકનની જેમ) એવું નથી માનતા કે લેખક અસાધ્ય હોવો જોઈએ, થીઅરિનું હાર્દ શબ્દોની સરળતા અને અભિવ્યક્તિમાં છે. પારેખ માને છે કે કોઈપણ ગંભીર લાગતી વાતચીતની શરૂઆત પહેલાં વિશ્લેષણાત્મક (ઍનલિટિકલ) રીતે સ્પષ્ટ હોવું જરૂરી છે, જો કે ઘણીવાર આટલું પણ પૂરતું નથી. તેઓ માને છે કે જો કોઈ ગલત હોય તો, તેમાં (તમે વૈચારિક) ચોક્કસ સ્પષ્ટ હોવા જોઈએ, નહીં કે આડાંદોઢાં કરી (તમે) સાચા ઠરો.

આ પુસ્તક દરેકને ભારત વિશે ચર્ચા કરવા પ્રેરિત કરે છે. પુસ્તકમાં હકીકતોનાં આધારે દાવો કરવામાં આવ્યો છે કે (પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન કે વૈશ્વિકીકરણના સમયમાં પણ) ભારતમાં ચર્ચા અને વિચારભેદની તગડી પરંપરા રહી છે. પારેખ પ્રામાણિક દાવો કરે છે કે તંદુરસ્ત વિચારભેદ બહુજન લોકશાહી અને સાંસ્કૃિતક વૈવિધ્ય માટે જરૂરી છે.

રચનાત્મક કુતૂહલ આ પુસ્તકમાં ઠેકઠેકાણે વાંચવા મળે છે અને પારેખ વાચકોને પણ જિજ્ઞાસુ બનવા કહે છે, કેમ કે કુતૂહલવૃત્તિ વગર જાણવું અને (જ્ઞાન) ગ્રહણ કરવું અશક્ય છે. રૂપકને થોડું  બદલાવીને કહીએ તો, તેઓ માને છે કે દરેકમાં કુતૂહલ ઝીલવાની મોકળાશ હોવી જોઈએ, આશ્ચર્યચકિત થવાની ક્ષમતા હોવી જોઈએ. એક ઉદાહરણ જોઈએ … પારેખે મને રાષ્ટ્ર ચિહ્નને લગતા કેટલાક મુશ્કેલ સવાલો પૂછ્યા હતા : આ અંગે તેઓએ બીજા પ્રકરણમાં સમજૂતી આપી છે, હિંદુ હોવા છતાં આપણે કેમ અને કેવી રીતે બુદ્ધ પ્રતિકૃતિને પસંદ કરી, પંડિત જવાહરલાલ નેહરુ અને બી.આર. આંબેડકર વચ્ચેની અણકહી અને વિલક્ષણ સામ્યતા પણ વર્ણવી છે. પારેખે, ‘પ્રચ્છન્ન-હિંદુ’ અથવા મુસ્લિમોને નઠારા ચીતરવાને કારણે નહીં, પણ ભાગલાનાં કારણે સર્જાયેલ અંધાધૂંધી(હોલકોસ્ટ)ની ચિંતાનાં દેખાડાને બદલે બીજા પણ અગત્યજોગ કામ હોવાને કારણે, રાષ્ટ્રવાદી નેતાઓ અને બંધારણીય નેતાગીરીએ ઇસ્લામને નજરઅંદાઝ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે (પૃ. ૫૮) – હવેથી આપણે પુસ્તકનાં જે તે પાન નંબરનો જ ઉલ્લેખ કરીશું.

સંવાદની લુપ્તતા અને ચર્ચાનો લોપ

અંગ્રેજી શબ્દ ‘ડિબેટ’ના અર્થને લઈને બધે મુશ્કેલી છે. પારેખ આપણને ‘ડિબેટ’ની કોઈ સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યા કહેતા નથી કે ‘ડિબેટ’, ‘ડાયલૉગ’ અને ‘સોલિલોક્વિ’ (સ્વગત સંભાષણ) (એમ.કે. ગાંધી અને ઓસામા બિન લાદેન વચ્ચેનો કાલ્પનિક સંવાદ, જુઓ પ્રકરણ ૧૦) વચ્ચે ભેદ પાડતા નથી; પણ જટિલ ઉદાહરણો દ્વારા આપણને અનેક ભારતીય અર્થો સાથે પરિચય કરાવે છે.

જેમ કે બહુસૂત્ર (આચાર્ય ઋષિઓ દ્વારા રચાયેલ કે શાસ્ત્રો અંગે વિવેચન કરાયેલ), વિશે પારેખ પરંપરાગત સંસ્કૃત શબ્દ આપે છે, વાદ; જો કે ચર્ચા અંગે ગંભીર ન હોવાથી સામે પક્ષે દલીલ કરતાં વિરોધીને કચડવો, ગૂમ કરવો કે ઝઘડવું જેવા વિતંડાનાં સ્વરૂપથી ક્યાં અજાણ્યા છીએ. જો આપણને પૂછવામાં આવતું હોત કે ચર્ચા માટે કોણ ‘યોગ્ય’ છે, તો કર્મકાંડી કરતો બ્રાહ્મણ જેવો એક માત્ર વર્ગ જ યોગ્ય ગણાતઃ ચાર્વાક, નાસ્તિક કે મુક્ત વિચારકો … ને વીસમી સદીની શરૂઆત દસકા સુધી ચર્ચામાંથી બહાર રાખવામાં આવતા હતા (પૃ. ૭). આની સામે જ્ઞાનીઓ (મર્મજ્ઞ) વચ્ચેની ચર્ચા આકર્ષક બની રહેતી અને અફરાતફરી અને હિંસાથી મુક્ત રહેતી. ચર્ચાનાં બીજા પ્રકારો વધતે-ઓછે અંશે લોકશાહી ઢબનાં રહેતા : દા.ત. વિજિગીષુ (વિજયની ઇચ્છા રાખનાર) પ્રકારની ચર્ચામાં સારા એવા પ્રમાણમાં લોકોની ઉપસ્થિતિમાં વિરોધીઓની સાથે વિચારોને પણ મહત્ત્વ આપી (સર્વસંમતિથી ચૂંટાયેલ) નિર્ણાયક અંતિમ ફેંસલો જાહેર કરતા હતાં. ઘણીવાર હારનાર માટે સજા પણ રહેતી – તેણે જાહેરમાં વિજેતા પક્ષની કંઠી (વૈચારિક) પહેરવી પડતી. પારેખ આપણને ભારતીય તત્ત્વદર્શન, ધર્મ, સભ્યતા અને રાજકીય પરંપરાને આકાર આપનાર ‘તંદુરસ્ત જાહેર ચર્ચાની સંસ્કૃિત’ (પૃ. ૧૩) વિવિધ સ્વરૂપોમાં રહેલી ખામીઓ વિશે વિચારવા કહે છે.

ઇસ્લામયુગમાં પણ ધર્મ ચર્ચા ખાસ્સી પ્રભાવી રહેતી (પૃ. ૧૪-૧૭) પણ હવે ‘સંવાદ’, ‘વિચારભેદ’ અને ‘ચર્ચા’ વગેરે વચ્ચે કંઈક અંશે તફાવત પડવા લાગ્યો હતો. પારેખના મતે, ‘ધર્મ અને અન્ય વિષયો પર થતી માહિતીસભર ચર્ચા’ ભાગ્યે જ જાહેર ચર્ચાનાં મંથનનાં સ્વરૂપની રહેતી (પૃ. ૧૬). અહીં મંથન શબ્દ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે જ જાહેર ચર્ચાનાં સ્વરૂપને ઘડે છે. દા.ત. આપણે જોઈ ગયા કે (પૃ. ૨૯), ભારતીય રાજકીય વાર્તાલાપ ભાગ્યે જ હોવા જોઈએ તેવાં આત્મમંથન કે જાત-તપાસનાં રહ્યા છે, અને તે કેટલીક વખત સામ્રાજ્યવાદી વૈચારિક જાળમાં ફસડાઈ પડે છે ‘હિંદુ’ શબ્દનું વિચાર્યા વગર ‘હિંદુઇસ્ટ’ શબ્દમાં રૂપાંતર કરી નાંખવું. પારેખ જેમ કે, એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે હિંદુ સંસ્કૃિત માન્યતા કરતાં ક્રિયા પર વધારે ભાર આપે છે, અને સર્વેદિશામાંથી સાધન અને સાર ગ્રહણ કરનારી છે. પારેખે આપણને પશ્ચિમની દરેક બિન-અબ્રાહિમ ક્રિયાને ‘વાદ’માં ફેરવવાની વિચિત્ર કવાયતથી દૂર રહેવા કહ્યું છે.

‘સર્વસંમતિ’ તરફનો આપણો ઝોક વધારે છે અને ‘સામવેદની ભાવના …’ (એકપક્ષી મંથનનો સંગ્રહ; પૃ. ૩૦) પારેખ ભારતીય સંવિધાન-ઘડતરનાં અર્ક તરીકે જુએ છે. તેઓ સંવિધાન સભાની અંદર અને બહાર, પૂરતા પ્રમાણમાં થયેલી ચર્ચા તરફ આપણું ધ્યાન દોરે છે અને આશા રાખે છે કે પશ્ચિમમાં આકાર પામેલી ચર્ચા (ફ્રાન્સ, ૧૭૮૯; ફિલાડેલ્ફિયા, ૧૭૮૭) સાથે સરખામણીથી કંઈક નવું પ્રાપ્ત થશે, પારેખ સ્પષ્ટપણે માને છે કે બંધારણ એ ‘સુધારાવાદીઓનો દસ્તાવેજ’ છે.

બીજી રીતે જોઈએ તો, આપણે જાણીએ છીએ કે આપણી પાસે (સામાજિક સુધારણા માટે પરંપરાગત, સુધારાવાદી અને સર્વસારગ્રાહી જેવા) ચર્ચાનાં અનેક સ્વરૂપો  છે, તેમાંથી વાચકોએ નક્કી કરવાનું છે કે ખરેખર સમસ્યા શું છે. (૧) ચર્ચા (પ્રથા) લુપ્ત થઈ તેની ખરેખર કોઈ ચર્ચા જ નથી અને (૨) ચર્ચાની ફળશ્રુતિ. હવે, પરિસ્થિતિ (૨) ત્યારે સર્જાય જ્યારે પરંપરાવાદી કે તેમની નવી આવૃત્તિઓ, સમાજનાં ચોક્કસ વર્ગને હિંસાત્મક રીતે સંવાદમાંથી જ બાકાત રાખે. ખુન્નસી સામાજિક આભડછેટને કારણે જાહેર ચર્ચામાં તેમને દરેક પ્રકારની હિસ્સેદારીથી વંચિત કરી દેવામાં આવે છે અને આના કારણે તેમનાં રાજકીય ભવિષ્ય સામે જોખમ ઊભું થાય છે. પરિસ્થિતિ (૧) પરંપરાનાં ઠેકેદારો દ્વારા સંવાદની પરંપરાને જ નષ્ટ કરવાથી ઊભી થાય છે.

ગાંધી અને ટાગોરઃ જીવનમાં દૃષ્ટિકોણનું સ્થાન

આ પુસ્તકનું સાચું જમા પાસું તો, એમ.કે. ગાંધી અને, તેમની અને રવીન્દ્રનાથ ટાગોર (પૃ. ૫૯-૯૨), આંબેડકર (પૃ. ૯૩-૧૨૪), નહેરુ (પૃ. ૧૨૫-૧૬૧), આલ્બર્ટ આઇન્સ્ટાઇન (પૃ. ૨૩૩-૨૪૬) વચ્ચેનાં પરામર્શ, આંતરધર્મીય ચર્ચા (પે.નં. ૨૯૨-૩૦૭) અને ઓસામા બિન લાદેન સાથેનો કાલ્પનિક સંવાદ છે. (ઉપરોક્ત) ઘટનાઓનું પારેખે એટલું સચોટ વર્ણન કર્યું છે કે, અત્યારની તેમ જ આવનારી પેઢીને આ સંવાદ વાસ્તવિક હોય તેમ જ લાગશે.

ટાગોરે, તેમની અને ગાંધી વચ્ચેનાં ભેદને તપસ્યા અને આનંદ સાથે સરખાવ્યો છે, (જ્યાં) ગાંધી એ ‘પાર્ષદ’ (દેવદૂત) છે અને પોતે ‘કવિ’ છે. કવિ શેલીએ કહ્યું છે કે, ‘કવિઓ આવતીકાલનાં અણપિછાણ્યા ઘડવૈયાઓ છે!’ ગુરુદેવ માટે આ ચર્ચા ‘સત્ય કાજે એકબીજા સાથેની બથ્થમબથ્થી છે’, જ્યારે મહાત્મા માટે આ, ‘નમ્રતાપૂર્વક’ ‘એકબીજાનાં પૂરક બળ બનવાની છે’ (પૃ. ૫૯). વિરોધીને વિકૃત ન ચીતરવાની, બંને પક્ષે પાયાની સુજનતાની હદમાં જ નક્કર જાહેર ચર્ચા પાંગરી શકે છે. વ્યક્તિ(ઓ) કે જેની સાથે ચર્ચા કરવામાં આવે છે તે દુશ્મન નહીં પરંતુ સોબતી (કે સંભવિત મિત્ર) છે, જેની સાથે ઉદાર વિચારભેદ હોઈ શકે છે.

કદાચ ગાંધી-ટાગોર વચ્ચેની ચર્ચાનો સૌથી મહત્ત્વનો ભાવ ‘બહુ જ્ઞાનમીમાંસા’(પૃ. ૬૭)નો સ્વીકાર – એટલે કે દૃષ્ટિકોણ(માન્યતા)ની મર્યાદાનો સ્વીકાર છે. બંને એ વાતે સહમત છે કે દૃષ્ટિકોણ એક મહત્ત્વની ક્ષમતા છે, (પણ) તે મુખ્ય કે પોતાનાં પૂરતી મર્યાદિત નથી (પૃ. ૬૬). બંનેને ભગવાનમાં વિશ્વાસ છે પણ ટાગોર ઈશ્વરને ‘ધર્મશિલ્પી’ તરીકે જોવે છે, જે ‘ટ્રાયલ ઍન્ડ એરર’નાં ધોરણે ‘સુંદરમાંથી શ્રેષ્ઠ અને શ્રેષ્ઠમાંથી સર્વોત્તમ’નાં માપદંડે ‘વિશ્વને વધુને વધુ સુંદર બનાવવા’ ‘સંઘર્ષ અને સખત મહેનત’ કરતો હતો (પૃ. ૬૩). ગુરુદેવ માટે પ્રાર્થના એટલે દુનિયા અને કુદરતની ઉપાસના. જ્યારે ગાંધી માટે તે ‘સ્વની સાંકડી માયામાંથી પોતાની જાતને મુક્ત કરવી’, ‘દેહની સભાનતાનો લોપ કરવો કે મુક્ત કરવામાં’ અને પાર્થિવ સુખ છોડી, વેરણછેરણ બનેલી દુનિયાને માણવાને બદલે તેની સેવામાં લાગી જવામાં છે (પૃ. ૬૪). આમ, સંયમી અને રસિકના વિશ્વ પ્રત્યેના નજરિયા એકબીજા સાથે અથડાય છે, અને શરૂઆતના તબક્કે જ તેમની વચ્ચેની ખાઈ દેખાઈ આવે છે.

૧૯૩૪માં આવેલા ભૂકંપને કારણે બિહારમાં જે પાયમાલી અને જાનહાનિ થઈ અને તેને પગલે છેડાયેલી ચર્ચાને (પૃ. ૮૨-૮૭) કારણે ગાંધી-ટાગોર વચ્ચે થયેલી મસલતને ઘણીવાર ભારતીય સંસ્થાનવાદનાં ઉત્તરાર્ધમાં આકાર પામેલી લાક્ષણિક જાહેર ચર્ચા તરીકે ગણવામાં આવે છે. ગાંધીએ બિહારનાં ભૂકંપને આપણાં અસ્પૃશ્યતાનાં વિચારદોષ અને વ્યવહારનાં ‘પાપ’ની સજા તરીકે ખતવ્યો. ટાગોરે આ વલણની ટીકા કરી, (અને ભૂકંપને) વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવ્યો તથા નવી શોધાયેલી ટેક્નૉલોજીનો હવાલો આપ્યો. પણ જ્યારે આપણે આ સંતલસને વધારે ચીવટથી જોઈએ તો, ગાંધી અને ટાગોરનાં કથનોમાં વિજ્ઞાન અને ‘અંધશ્રદ્ધા’ કે વિજ્ઞાન અને શ્રદ્ધાથી કંઈક વધારે વિચારભેદ હોવાનું અનુભવાય છે. પારેખે તારવેલ તારણ અનુસાર બંને વ્યક્તિઓને ભગવાન અને કુદરતમાં શ્રદ્ધા હતી. ગાંધીજી વિચારતા હતા કે ‘વાસ્તવિક અને ભાવજગત બંને એકબીજા પર અસર કરે છે, જો કે તે કેવી રીતે અસર કરે છે તે કહી શકાય નહીં’, જ્યારે ટાગોર વિચારતા કે જો આપણે ‘વિજ્ઞાન’ અને ‘શ્રદ્ધા’ને ભેગાં ન કર્યાં હોત તો, બંને અલગ જ ગણાતા હોત. મૂળભૂત રીતે તો ટાગોરને શ્રદ્ધા છે કે (કંઈપણ) સમજવા-જાણવા માટેનો સાચો રસ્તો વિજ્ઞાન જ છે, પણ જ્યારે ચર્ચા ‘અનિમિત્ત (કારણશૂન્ય) નિમિત્ત’ (મહાભારતમાં કર્ણ દ્વારા છેડાયેલી) અને (જ્યોર્જ ડેલેયુઝે અને કંઈક અંશે ઓલન બડીઓ સાથે સંકળાયેલ) ‘અનિમિત્ત (કારણશૂન્ય) ફળ(પરિણામ)’ની થતી હોય ત્યારે ‘નિમિત્ત’ અને ‘ફળ’ની વ્યાખ્યા નિશ્ચત કરવી પડે. જો કે આધ્યાત્મિક ફળના સિદ્ધાંતના સમર્થક ન હોવા છતાં, પારેખે તેનું સરસ વર્ણન કર્યું છે.

•••••

આંબેડકર અને ગાંધી :

આ ચૅપ્ટરને બુકથી સ્વતંત્ર રીતે જોઈએ તો ‘આંબેડકરના તલસ્પર્શી અભ્યાસ’ તરીકે પણ ગણી શકાય. પારેખે આદર્શ બંધુત્વની જે વ્યાખ્યા કરી છે, તે આંબેડકરને સમજવામાં ઘણી ઉપયોગી છે. પહેલાં બંધુત્વ, સમાનતા અને સ્વતંત્રતાને ‘એકબીજા સાથે જોડતી લાક્ષણિકતા’ જોઈએઃ એકલપણે જોઈએ તો સમાનતા નિજી-સ્વાર્થને જ પોષે છે અને સ્વતંત્રતા સાધન અને બજારને સ્વચ્છંદ બનાવે છે. પારેખે આંબેડકર માટે સાચું જ કહ્યું છે તેમ, ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને એકબીજાથી અલગ પાડી શકાય નહીં’ (પૃ. ૧૧૫). બીજું, બંધુત્વ ‘સ્વતંત્રતા અને સમાનતાને’ બળ પૂરું પાડે છે (પૃ. ૧૩૩). ત્રીજું, સાર્વભૌમ ગુણ તરીકે બંધુત્વ એટલે ફક્ત ‘સહાનુભૂતિ કે સમભાવ’ નહીં, પણ સમાજનાં દરેક વ્યક્તિની સુખાકારીમાં, સ્વભોગે પણ સક્રિયતા દાખવવી. ચોથું, બંધુત્વ એટલે એવો સિદ્ધાંત જેને આંબેડકરે બંધારણમાં પાયાના સિદ્ધાંત તરીકે ઉલ્લેખ કર્યો છે અને આ સિદ્ધાંતને કલમ ૧૭, ૨૩, ૨૪ અને ૩૫માં મૂળભૂત અધિકારો તરીકે સ્પષ્ટપણે મૂકી આપ્યા છે. પાંચમું, બંધુત્વની ભાવનાને ‘કાયદાની મર્યાદા પાર’ (પૃ. ૧૩૩) સામાજિક વ્યવહાર, વર્તન અને રીતરિવાજો દ્વારા પોષવી જોઈએ. છઠ્ઠું, બંધુત્વનાં ખયાલને રોજબરોજનાં જીવનમાં સામાજિક અને બંધારણીય અમલમાં મુક્યા વગર, ‘અસ્પૃશ્યતાનાં કારણો, તેને વાજબી ઠેરવતી આંટીઘૂંટી, જુલમની ઢબ, અને તેને નાબૂદ કરવાની પ્રયત્નો વિશે પૂરેપૂરા વાકેફ થતા નથી’ (પૃ. ૧૧૫).

શું ગાધી અને આંબેડકર એકબીજાની ‘પૂરક ભૂમિકા’માં હતાં, જ્યાંજ્યાં એકે હિંદુઓની જ્ઞાતિપ્રથા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો બીજાએ અસ્પૃશ્યતા પર. એકે વૈચારિક અને સામાજિક સ્તરે તો બીજાએ કાયદાકીય અને રાજકીય દબાણ દ્વારા હિંદુ રૂઢિચુસ્તા પર પ્રહાર કર્યાં. શું તેમને દરેક પ્રકારની અસ્પૃશ્યતા સામે સમાનપણે વિરોધ હતો, અને આ માટે આંતરિક ચર્ચા અને તકરારને દાબી દીધા હતા? (પૃ. ૧૧૯). અને છેલ્લે, શું આંબેડકરે બંધુત્વનાં ‘વિકાસ અને પોષણ’ માટે ખાસ કશું ચિંતન કર્યું નથી તેમ કહેવું યોગ્ય છે? (પૃ. ૨૫૭). ઉપરનાં દરેક પ્રશ્નનો પારેખે ‘અભ્યાસપૂર્ણ સંતોષકારક’ જવાબો આપ્યા છે અને આંબેડકર પર વધુ સંશોધન માટે દરવાજા ખોલી આપ્યા છે.

વર્તમાનઃ આધુનિક ઇતિહાસની મુશ્કેલીઓ

પ્રકરણ ૭માં ભારતીય લોકશાહીને (પૃ. ૧૭૮-૨૨૯) પાંચ માપદંડનાં આધારે અભ્યાસપૂર્ણ રીતે મૂલવવામાં આવી છે.

પ્રચલિત સાર્વભૌમત્વ અને સક્રિય નાગરિકતા, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ, જાહેર મનન અથવા જાહેર કામોમાં લોકહિતની તપાસ, સંસ્થાગત નૈતિકતા અથવા જાહેર કચેરીનાં વ્યવસ્થાપન અને સત્તા ઉપયોગ અંગેનાં નિયમો વિશે જાગરૂકતા, પાયાની જરૂરિયાતથી આગળ વધી આર્થિક સમાનતાનાં ધોરણ સુધી સામૂહિક સુખાકારી હાંસલ કરવાનાં પ્રયત્નો (પૃ. ૧૮૩).

દરેક ઘટક અંગે એક એક પુસ્તક જેટલું લખાય તેમ છે, પણ સિદ્ધહસ્ત લેખકે એક જ પ્રકરણમાં ઝીણું કાંતીને થોડામાં ઘણું કહી દીધું છે.

(ઉપરોક્ત) પાંચ ઘટક મહત્ત્વપૂર્ણ અને સર્વસમાવિષ્ટ નિર્ણય લેવા માટે મહત્ત્વનાં છે. આપણે અહીં પરાપૂર્વથી જોવા મળતા અને અત્યારે સારા એવા વકરેલા, શાઇનિંગ (માલેતુજાર) અને ડાર્ક (દરિદ્ર) ઇન્ડિયા, આ એક જ ઘટક, વિશે વાત કરીશું.

માલેતુજારો, જે કુલ વસ્તીના પાંચમાં ભાગના અને બીજા પાંચમા ભાગનાં આ વર્ગમાં સામેલ થવા ઉત્સુક, એવો વર્ગ આર્થિક સુપરપાવર બનવાનાં સ્વપનાં જુએ છે, (તેમ જ) મોટાભાગનાં પશ્ચિમી વર્ગની પણ હેસિયત બહારની લાઇફસ્ટાઈલ રાખે છે.

જ્યારે બીજી બાજુ,

બીજું ભારત, કે જે કુલ વસ્તીના ૨/૫નો બનેલો અને ૧/૫ લોકો પર ગમે ત્યારે આ વર્ગમાં આવી પડવાનો ભય ઝળૂંબે છે, તેવા ગરીબ, કોહવાતા, અસ્તિત્વ ટકાવવાં ફાંફા મારતા, વૈશ્વિક તેમ જ રાષ્ટ્રીય સ્તરે પણ હાંસિયામાં ઘકેલાયેલા, મોટા પ્રમાણમાં ગામડામાં રહેતા તેમ જ નાનાં-મોટાં શહેરોની ધાર પર જીવતા, અને વૈશ્વિકીકરણનાં આ દૌરમાં થોડું પામીને ઝાઝું સહન કરતો વર્ગ. (પૃ. ૨૧૫).

સંવાદ તરફ પાછા ફરીએ

જાહેર ચર્ચા મહત્ત્વની છે, પણ પૂરતી નથી. સંવાદ જરૂરી છે, કારણ કે તે ‘અરસપરસની સમજણને વધારે છે, કંઈક અંશે મતભેદોને દૂર કરે છે, વિશ્વાસ પેદા કરે છે અને બૌદ્ધિક તેમ જ રાજકીય વાતાવરણને સ્વચ્છ બનાવે છે’ (પૃ. ૨૯૧). પણ હવે, પરિસ્થિતિ સંવાદથી આગળ વધી રાજકીય નેતાગીરી અને સક્રિયતાનો તકાદો કરે છે.

[અનુવાદ : આનંદ આશરા]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 10-11 તેમ જ 16 ફેબ્રુઆરી 2018; પૃ. 20  

Loading

...102030...3,1663,1673,1683,169...3,1803,1903,200...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved