Opinion Magazine
Number of visits: 9766539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મૃિત-શેષ નિરંજન ભગત–એક અંજલિ

પન્ના નાયક|Poetry|19 May 2018

(પૃથ્વી)


નિરંજન તમે, કવિ કુશળ, શબ્દ, શબ્દે, લયે,
સ્વતંત્ર, પણ ના સ્વચ્છંદ, લયબદ્ધ છંદોલયે,
ઉપાસન કર્યું તમે સતત કાવ્યના મંત્રનું,
બહુશ્રુત કવિ તમે જીવન, સત્ય, સાહિત્યના.

નિરંકુશ તમે, કદી ભભૂકતા પૂરા રોષથી
પડે નજર જો વળી નકલી, દંભી, ઢોંગી કશું,
ખડા ખડક શા તમે અડગ ઉગ્ર ઊભા રહ્યા:
ન કો’થી ડરવું, સદાય મથવું, સદા જીવવું!

નિરંતર તમે મથ્યા સમજવા નવા માનવી,
નવીન રીત ભાત ને નગર, દેશ દેશે ભમી,
તમે નીરખી ભગ્ન ઉરની વ્યથા, કથા સાંભળી
કરુણ, ક્રૂર, કલાન્ત, ક્રૌંન્ચવધની, પુરાણી, ઘણી.

નિરીક્ષક તમે, હતા સમજતા, બધાં બંધનો,   
વિવેક નીર ક્ષીરનો, ઘડીક સંગ, સમ્બન્ધનો.

e.mail : naik19104@yahoo.com

Loading

કેફિયત

રજની પી. શાહ|Opinion - Literature|19 May 2018

અામ તો નિરંજન ભગત સાથે મારે અંગત રીતે કોઇ નિસ્બત નહીં. જોવા જઇએ તો હું સાહિત્યનો અોરમાન પુત્ર ગણાઉં. તેમાં ય કવિતા સાથે તો મારે અાડવેર. પણ અમારા એક સાહિત્ય ગુરુ છે, મધુસૂદન કાપડિયા જેમણે અમારી મિત્ર મંડળીને અા ભગત સાહેબની એક કવિતા ક્વોટ કરેલી,

                            હું તો બસ ફરવા અાવ્યો છું
                            હું ક્યાં એકે કામ તમારું કરવા અાવ્યો છું.

તમે માનો કે ન માનો પણ એ કવિતાથી અમારી મંડળીમાં કાપડિયા સાહેબે સોપો પાડી દીધેલો. મેં એ પણ નોંધેલું કે મારી વાઇફે એ પંક્તિઅો પેશોનેટલી વધાવી લીધેલી. રહી મારી વાત. મને તો અા લાઈન્સ એટલી બધી ગમી ગયેલી કે જાણે મારી સમસ્ત લાઇફનો એક મોક્ષમંત્ર મળી ગયો. અણીના સમયે વપરાય તેવી પ્રેક્ટીકલ છટકબારી. હવેથી કોઇ પણ કામ ના કરીએ તો એનો ગિલ્ટજ ના લાગે. બે હોઠ ફફડાવવાના, ‘હું તો બસ ફરવા અાવ્યો છું, પીરિયડ. વાત બંધ.’ જો કે એમાં એક ઈન્સી વીન્સી નજીવો પ્રોબલેમ હતો, કે ભગત સાહેબ અાજીવન કુંવારા હતા માટે એમને કોઇ અોર્ડર અાપતું ન’તું  કે ‘ચલ પીઝાવાળાને ફોન કરી દે, બે અનિયન-પેપર’. હી વોઝ એ ફ્રી મેન. એમને એ લાઇન પરવડે.

મારી વાત અલગ છે. મારે વાઇફ છે. દર રવિવારે એ મને એક લીસ્ટ અાપે જેમાં એક અાદર્શ હસબંડે શું શું કરવાનુું હોય, એ કલર માર્કરથી લખેલું હોય જેમ કે બેઝમેન્ટ સાફ કરવાનું અથવા ફોર મેન અોન્લી કામ્સ : અાખા વીકની રીસાયકલ કરવાની અાઇટમ્સને કોથળામાં ભરી પીપડામાં મુકવાના, અમારી બન્નેવ કારના બધા ટાયર્સની હવા ચેક કરવાની, કોકોનટ ચટણીના રેફરન્સમાં નાળિયેર તો મારે જ ફોડી અાપવાનું. અા બધાં કામ મારે લંચ પહેલાં કરવાના. એ વખતે હું ચર્ચિલની જેમ મારાં ચશ્માં નાક પરથી અડધા સરકાવીને કહું, ‘મડામ, કાપડિયા સાહેબે અાપણને પેલા નિરંજન ભગતની વાત નો’તી કરી? યાદ કર, “હું તો બસ ફરવા અાવ્યો છું,” યાને કે, અો ચરોતરની રાણી, “ડોન્ટ બોધર મી. હું ક્યાં એકે કામ તમારું કરવા અાવ્યો છું? અાપણે એવું કોઇ બોન્ડ થોડું સાઇન કર્યું છે, હની? બેઉ જેન્ડર સરખાં”. પછી થોડી વર્બલ ટશમ્ ટશી થાય. દલીલો પર દલીલ્સ કરતાં જઇએ ને અંતે અમે બન્ને બારોબાર કંઇ બોગ્ગસ વાતમાં ઊતરી જઈઅે દા.ત. વહીદા રહેમાનને પીન્ક સાડી ના શોભે અથવા સુભાષ બોઝને કોણે મારી નાંખ્યા હશે અને કેમ, વગેરે … વગેરે … એ સાંજે અમે બહાર જમવા જઇએ. લવ-ઓલ મોટેથી બોલીને ટેનિસની નવી બાજી મંડાય. સારાંશ એ કે ભગત સાહેબની એ ધ્રુવ પંક્તિઅોથી અમારું લગ્ન બરાબર ચાલે. વાઇફ પણ નિરંજનનું  ક્વોટ મારી સામે અચૂક વાપરે. અાબાદ રીતે કવિએ એવું જેન્ડર ન્યુટ્રલ વિધાન કર્યું છે. યુઝર ફ્રેંડલી.

હવે અાપણા મહાકવિ નિરંજન ભગત અમેરિકા અાવેલા ત્યારની એક વાત કરું. અહીં અમેરિકામાં ગુજરાતી લિટરરી એકેડેમી અોફ નોર્થ અમેરિકાના એક અધિવેશનના એ અામંત્રિત મહેમાન હતા. એમની સાથે સિતાંશુને પણ અાવેલા. ત્યારે અમે ન્યુ જર્સીમાં બે ટૂંકા નાટકો કરેલા. જો કે એવું કશું પૂર્વયોજીત ન હતું કે અાયોનેસ્કો નાઈટ કરીએ છતાં યોગાનુયોગ બન્ને નાટકો યુજીન અયોનેસ્કોના જ લખેલાં નિકળ્યાં. પહેલું નાટક હતું ‘ધી લેસન’. એનું ગુજરાતી રૂપાંતર સિતાંશુઅે કરેલું, એને બોસ્ટન નિવાસી ચન્દ્રકાન્ત શાહે મંચસ્થ કરેલું. બીજું નાટક હતું ‘ ધી ચેર્સ’  એનું મુક્ત રૂપાન્તર મેં પોતે કરેલું. એ નાટક મેં અને મારી પત્ની બિનિતાએ ભજવેલું. બન્ને નાટકો એબ્ઝર્ડ હતા, ટ્રેજિક/ ફારસ કેટેગારીના. ગુજરાતી ભાષાની જ એકેડેમી હોય તો તેમાં પણ માત્ર સભારંજક કે ચીલાચાલુ કે ‘પૈસા-વસૂલ’ અાઇટમો બતાવવી એ હિતાવહ નથી. માટે જ અાવાં નાટકો પસંદ કરેલાં. મેં પહેલાં પણ એકેડેમી માટે અાવો પ્રયોગ કરેલો જેમાં વિદેશી લેખકોનાં ચાર એકાંકી, (ગુજરાતીકરણ કરીને) રજૂ કરેલા અને તેમાં સારો પ્રતિસાદ મળેલોઅા લેખ મારી કેફિયત છે, માટે ફકત મારા નાટકની જ વાત કરીશ. એક સહેજ એકરાર કરી લઉં. હું ઉદ્દામ લેખક છું અને મિનિમલીસ્ટ ડિરેક્ટર છું. મને એમ છે કે મોટાં ભાગનાં નાટકો બે ચાર ફોલ્ડિંગ ખુરશીથી થઇ શકે. તાજેતરનો એક દાખલો અાપું, સોડરબર્ગ નામના એક હોલિવુડના બોકસ અોફિસ હીટ મુવી ડિરેકટરે અેની નવી ફીલ્મ બનાવી માત્ર એક સાદા અાઈ-ફોનથી! અા ફોનથી કે જેમાં અાપણે કેમ છો – સારા છોની ગપસપ કરીએ છીએ, ઢંગ ધડા વગરના વિડીઅો ઊતારીએ છીએ! અો માય ગોડ! અા માણસ અાખ્ખુ કોમર્શિયલ ચલચિત્ર બનાવે! ટૂંકમાં વગર ફોગટનાં વાઘાં વગરનું નાટક કરવાનું મને ગમે. રંગબેરંગી લાઇટો કે ‘એલાગ્રાન્ડ સેટ’ કે ભારે રેકોર્ડેડ મ્યુિઝકના સ્ટ્રોક્સ વગેરેથી હું બહુ ડરું છું. તો એવી સાદગીથી પ્રસ્તુત કરેલાં નાટકનો ટૂંક સાર હું તમને પહેલાં કહી દઉં.

એક વૃદ્ધ દંપતી છે. વૃદ્ધને થાય છે કે જિંદગીમાં પોતે બહુ બધું  શીખ્યો તો હવે ગામ અાખાને બોલાવી પોતાની લાઇફનો એ મર્મ સૈાને કહી સંભળાવે, જેથી વન્સ – ફોર – અોલ સમસ્ત માનવ જીવનનો ઉદ્ધાર થઇ જાય. એની પહેલી શરત એ છે કે પોતાની જિંદગીના નિચોડની ચબરખી કોઇ પ્રોફેશનલ (જે હેન્ડસમ હોય, જેના અવાજથી જનસમુદાય મંત્રમુગ્ધ થઇ જાય .. વગેરે, વગેરે લક્ષણોવાળો) પ્રવક્તા વાંચે જેથી હાજર રહેલા શ્રોતાઅોના દિમાગમાં સદીઅો સુધી પોતાનું  ‘સત્ય’ કંડારાઇ જાય. બીજી શરત એ કે બન્ને જણાં પહેલાં અાત્મહત્યા કરશે અને ત્યાર પછી જ એ પ્રવક્તા ચબરખી ખોલશે અને એમાંનો સંદેશો વાંચશે કે જે સર્વ દિશાઅોમાં ઘોષિત થશે – મનુષ્ય જીવનનો નિચોડ અને એમાંથી ઊપજતા નિર્વાણની અલબ્ધ ચાવી હશે. અાત્મહત્યાનું કારણ ફક્ત એટલું જ કે એ બન્ને પોતે એવો મર્મ પામી ચુક્યાં છે, અેનું જ પાલન કરીને સુખેથી જીવ્યાં છે. હવે એ લક્ષ હાંસલ કર્યા પછીની જિંદગી જીવવાનો કોઇ અર્થ નથી. બસ. ફિનિશ્ડ. ગેટ અાઉટ. ગેટ લોસ્ટ.

હવે અા નાટકનું  મૂળ શીર્ષક છે : ધી ચેર્સ. મેં એને બદલ્યું : ‘સંદેશો’. ‘ચેર્સ’માં ડોસો-ડોસી ૯૪ વર્ષનાં બતાવ્યાં. મેં એમને ૬૦ની અાસપાસ બતાવ્યાં. ૯૪ વર્ષનું પાત્ર અાપઘાત કરે તે પ્રેક્ષકોને ડ્રામેટિક ન લાગે. મેં નાટકનાં દંપતીના સંવાદમાં શબ્દ-સરવાણી કરી. લાલિત્ય ઊમેર્યું. જુઅો અા એક સેંપલ:

રાણી: પેલી વારતા કહો .. ‘પછી અમે ત્યાં પહોંચ્યા .. ભમ્..ભમમ્..ભમબમ.’

રાજા:  પાછી એની એ જ વારતા? રાણી, તમારું ચસકી ગયું છે. મારે એ જ નકલ કરવાની ને એના એ જ જોક્સ?

રાણી: અરે અો મારા પ્રાણસુખ, મારા લાલ.. ચંદર્,..કાન્ત!.. તમારી લાઇફની સ્ટોરીઝ મને વારંવાર સાંભળવાની ગમે છે..ઈટ્સ ફન.

રાજા: ભલે. તમારી મરજી. “છેલ્લે અમે ત્યાં પહોંચ્યા. ભમ્..ભમમ્..ભમબમ.’ તો સામે મોટી વાડ. ઠંડી અને વરસાદ. કાન ઠરી ગયેલા, સામેના બાગમાં ઝાંપો. બધુ બંધ. બાગમાં ચારેકોર ..’         

રાણી:  ઘાસ ભીનું ભીનું હતું.

રાજા : યસ. એ બાગમાંથી એક પગદંડી એક ચર્ચ તરફ જાય. એ ચર્ચનું નામ અત્યારે ભૂલી ગયો છું. પણ સિટીનું નામ યાદ છે, અયોધ્યા નગરી.                                                 

રાણી: અરે, અો મારા ચકોર પક્ષી ..(ડચકારો) તમે કંઇ ગોથું ખાધું .. અયોધ્યા નગરીમાં ચર્ચ – ફર્ચ ના હોય .. સમથીંગ ઇઝ રોંગ.

મૂળ નાટકમાં બન્ને પાત્રો બારીમાંથી ભૂસકો મારે છે ને નીચેથી પાણીના ધબાકાનો સાઉન્ડ અાવે છે. મેં મારાં પાત્રોને લમણે પિસ્તોલથી મરતા બતાવ્યા. તે પણ માત્ર હાથની બે અાંગળીની મુદ્રાથી. મરતાં પહેલાંની લાઇન અા હતી:

રાણી:  બસ. બસ. મારા મણિયારા ! અાજ મોમેન્ટ, અાજ મોમેન્ટ. સબકો મેરા સલામ, કહી દો હવે.

રાજા: સબકો મેરા સલામ. (લમણે ગોળી) ઠુશૂમ્…ઠુશૂઉઉઉઉમ્ !   

(બધું સ્તબ્ધ થઇ જાય છે)

હવે પહેલી હરોળમાં બેઠેલા નિરંજન ભગતને અા ચેન્જ નવો લાગેલો, કારણ એમની યાદદાસ્તમાં અા નાટક ક્યાંક લપાઇને પડ્યું હશે માટે પાત્રો સદેહે એમના માનસપટપર ના દેખાય. માટે એમણે એમની જોડે બેઠેલા જયંતી પટેલ / રંગલો ને વાત કરી. પટેલે મારા માટે કશું કહ્યું હશે એટલે ભગત સાહેબ અોર રંગતથી નાટક જોવા લાગી ગયા. પછી તો નાટકના અંતમાં પેલા પ્રોફેશનલ પ્રવક્તાને બદલે મેં અોપેરા સિંગર તરીકે મારી પુત્રી તોરલને રાખી. એ સીનમાં પ્રેક્ષકો સ્પેલબાઉન્ડ હતા કારણ અા છોકરીના હાથમાં પેલી ચબરખી હતી જે વાંચવાની હજુ બાકી હતી. મરનાર વૃદ્ધે એમાં શું લખ્યું છે? તોરલ પોતે સ્ટેજ પર પડેલાં બે મડદાં ને એક પછી એક કોઇ લંગડીના દાવની માફક અોળંગે છે અને જાણે બધું નોરમલ હોય તેમ માઇક્રોફોનમાં ટેસ્ટીંગ કરતી હોય તેમ ફૂંકો મારે છે. પછી ચબરખીના જીબરીશ .. કક્કો-બરાખડીના અક્ષરો બોલે છે..ક..ચ..ટ..ત..પ. અને પછી મંદ ગતિથી એ અોપેરા ગાતી ગાતી પુન: મડદાં અોળંગી હોલમાંથી એક્ઝીટ લે છે.

એબ્ઝર્ડ નાટકની અસર હવે દેખાય છે. અો માય ગોડ! અા લવીંગ કપલનું મોત જોવાનું? અને વસિયતની ચબરખીમાં અા  ક..ચ..ટ..ત..પ.? * વોટ ધ હેલ? એનો અર્થ શું ?

નિરંજન તો રાજી રાજી. બસ, અા મારી બે ફોલ્ડિંગ ચેર્સ પ્લસ એક માઇક્રોફોન = એક નાટક. અા સમીકરણથી મને મહાકવિ મળેલા એ મારી અનફરગેટેબલ ક્ષણો. નાટકમાં મેં કરેલા ફેરફારો મારા બદલે એ પોતે જ બીજા બે ચારને સમજાવવા માંડેલા. ધારો કે પંડિતો સૈાને સમજાય તેવી ફોરમ્યુલા શોધી પણ લાવે, તો એ ક ચ ટ ત પની ગૂંચથી સહેજે બહેતર નહીં નીવડે.

(સંપૂર્ણ)

* નાટકના અંતને સમજાવવા મને પ્રેક્ષકોએ સ્ટેજ પર બોલાવ્યો. ન સમજાય તેવા અક્ષરોમાં જેમ કોઇ મિનિંગ નથી તેમ અા નાટકમાં પણ કોઇ ચિરંજીવી સત્ય નથી. જીવનને સમજવા ભાષા ટૂંકી પડે છે.

488 Old Courthouse Rd. New Hyde Park, NY 11040

E-mail : rpshah37@hotmail.com

(“ગુર્જરી ડાયજેસ્ટ”, અૅપ્રિલ 2018; પૃ. 33-35)

Loading

રમોલા દલાલની યાદો

નવીન બેન્કર|Opinion - Opinion|19 May 2018

૧૭મી મે ૨૦૧૮ને ગુરુવારના રોજ, રમોલાબહેને આપણી વચ્ચેથી વિદાય લીધી. અહીં મારે ચીલાચાલુ શ્રદ્ધાંજલિ લખવાનો ઇરાદો નથી. મારે તો તેમની કેટલીક યાદોને વાગોળવી છે.

પચીસેક વર્ષ પહેલાં – કદાચ ૧૯૯૪માં – હ્યુસ્ટન નાટ્યકલા વૃંદે એક નાટ્ય મહોત્સવ ઉજવેલો અને તેમાં કેટલાંક એકાંકીઓ ભજવેલાં. હું હ્યુસ્ટનમાં સાવ નવો નવો આવેલો. મને કોઇ ઓળખે પણ નહીં. પાંચ ડોલરની ટિકિટ લઈને, હું ઓડિટોરિયમની પાછળની કોઇ હરોળમાં બેઠેલો અને નાટકો જોતો હતો. અને મારી ટેવ પ્રમાણે, મને જે ગમતું એની નોંધ હું ગુજરાતી ભાષામાં ટપકાવતો હતો.’ હું, તમે અને આપણે બધાં’  એ નામની એકાંકીમાં મેં રમોલાબહેનને જોયાં. અને મને થયું કે આ સ્ત્રીને હું ઓળખું છું. એ નાટકમાં ઉલ્કાબહેન અમીન અને હેમંત ભાવસાર પણ હતાં. બીજા એક નાટક ‘બ્રહ્મ લટકા કરે’માં પણ આ ત્રણે ય કલાકારો હતાં. એ જમાનામાં એમ કહેવાતું કે જે નાટકમાં હેમંત અને રમોલા હોય એ નાટક સરસ જ હોય!

જીવનના સામાન્ય પ્રસંગોમાંથી હાસ્ય નિષ્પન્ન કરીને એને પોતાના અભિનયથી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાની કળા આ કલાકારો પાસે હતી. ૧૯૯૦ના વર્ષમાં પણ હેમંત-રમોલાની જોડીનું એક નાટક ‘પડદા પાછળ’ આ બે કલાકારોએ સફળતાપૂર્વક ભજવેલું. ‘સંતાકૂકડી’ નાટકમાં રમોલાબહેને નીલાફોઇની ભૂમિકા ખૂબ સરસ રીતે ભજવેલી. પ્રેક્ષકોને એ નીલાફોઇ જ યાદ રહી ગયાં હતાં. એ નાટકમાં હેમંતી શાહ, સંદીપ શાહ પણ હતાં. રમોલાબહેન ના પતિ કિરણ દલાલે એ નાટક વખતે રંગમંચ નિયોજન કરેલું. રમોલાબહેન દલાલે માસ્ટર ઓફ સેરિમની તરીકે પણ સુંદર સેવા બજાવેલી. રમોલાબહેને સોવેનિયર બનાવવા માટે પણ ખાસ્સી જહેમત ઉઠાવેલી. જાહેરાતો મેળવવા અને લેખોની પસંદગી કરવાથી માંડીને, પ્રિન્ટીંગવાળાને ત્યાં ધક્કા ખાવા જેવી દોડાદોડી કરતા મેં તેમને જોયાં હતાં.

આ તો થઈ પચ્ચીસ વર્ષ પહેલાંની વાતો.

નાટક જોઈને ઘેર જતાં, મને થયું કે આ રમોલા દલાલ તો મારી સાથે રંજનબહેન દલાલના મોન્ટેસોરી બાલમંદિરમાં ભણતી હતી. એની મોટીબહેન શીલા મારા ક્લાસમાં હતી. અને રમોલા અને અમોલા બે વર્ષ પાછળ હતાં. રમોલા અને અમોલા, બન્ને બહેનો ગોરી ગોરી, રૂપાળી અને બધાંથી જુદી તરી આવતી. સાંકડી શેરીમાં, હરિભક્તિની પોળમાંથી પતાસાપોળમાં જઈએ ત્યાં, ચોકઠામાં, ચબૂતરા પાસે, એક જૂના જમાનાની હવેલીમાં એ બહેનો રહેતી. એમનો ભાઈ સુકેતુ એટલે જાણે બીજો રાજકપૂર જ. એક્દમ હેન્ડસમ.

એ જ પોળના ચોકઠામાં, બીજી એક હવેલીમાં, અમારા બાળમંદિરમાં મારી સાથે, મારા જ ક્લાસમાં ભણતો કૈયૂર નાણાવટી નામનો સોહામણો છોકરો રહેતો હતો. જે પાછળથી શીલા સાથે પરણ્યો હતો અને શીલા બી.ડી. આર્ટસ કોલેજમાં પ્રોફેસર બની હતી. આ તો મારી યાદો છે, કદાચ, એમાં મારી કોઇ શરતચૂક પણ હોય કે હકીકતદોષ પણ રહી ગયો હોય. આજે આ ઉંમરે, (૭૭) આવું થવું સામાન્ય છે.

હું આ લોકોને ઓળખતો હતો, જોતો હતો પણ ક્યારે ય, જુવાનીમાં મળ્યો નથી કે વાતચીત સુધ્ધાં કરી નથી. હા! ૧૯૬૧માં એ બાલમંદિરના રજતજયંતી પ્રસંગે, મેં અને અમીત દિવેટિયાએ સ્વ. જયંતિ દલાલના લખેલા એકાંકી નાટક ’જોઇએ છે, જોઇએ છીએ’માં અભિનય કરેલો ત્યારે અમારી અછડતી મુલાકાત થયેલી એવું યાદ આવે છે. પણ અમે વાત તો નહીં જ કરેલી. રંજનબહેન દલાલ એટલે જયંતિ દલાલનાં પુનર્લગ્નનાં પત્ની.

એ રાત્રે બાર વાગ્યે ઘેર જઈને, મેં કિરણભાઇને ફોન કરીને, રમોલાબહેન વિશે પૂછપરછ કરીને, મારી વાતની ખાતરી કરી લીધી હતી. ત્યાર પછી તો અમે – એટલે કે કિરણભાઈ, રમોલાબહેન અને હું – ઘણીવાર મળ્યાં છીએ અને એમના કુટુંબી જનોના સમાચાર મેં જાણ્યા છે.

એમની માંદગીના સમાચાર, મને મારી બહેન ડોક્ટર કોકિલા પરીખ પાસેથી મળતા રહેતા. એમના અવસાનના સમાચાર અને ફ્યુનરલના સમાચાર પણ કોકિલાબહેને જ આપ્યા હતા.

મારાં સ્મરણમાં રમોલા મારી નાની બહેન જ નહીં, એક ઉત્તમ કલાકાર તરીકે પણ રહેશે. કેટલાક માણસો જાય છે અને છતાં જતાં નથી. દેહના અવસાન પછી એ દેખાતાં નથી, પણ અનુભવાય છે.

રમોલાબહેનનું હાસ્ય, એમની આંખની જ્યોત, એમનો ભાતીગળ મિજાજ શું શું યાદ કરીએ અને કોને કહીએ ? આવી વ્યક્તિઓ ધરતીમાંથી ફૂલ થઈને પ્રગટે છે. અગનજ્વાળાઓમાંથી સિતારા થઈને આકાશમાં ઝળહળે છે.

રમોલાબહેનનો દેહ ભલે વિલાઇ ગયો હોય, પણ એ એના ચાહકોમાં, એના મિત્રોમાં કે હ્યુસ્ટન નાટ્યકલા વૃંદના સાથી કલાકારોના હૃદયમાં જીવે જ છે.

પરમકૃપાળુ પ્રભુ તેમના આત્માને ચિરશાંતિ અર્પે એ જ પ્રાર્થના.

ક્મનસીબે, મારી પાસે રમોલાબહેનનો એકે ય ફોટો નથી. એમનાં નાટકોના ફોટા પણ નથી. કોઇ આ વાંચીને, મને મોકલાવશે તો હું એને મીડિયામાં મોકલી આપીશ.

(લખ્યા તારીખ- ૧૮ મે, ૨૦૧૮ )

6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 

Blog : navinbanker.gujaratisahityasarita.org

Loading

...102030...3,1663,1673,1683,169...3,1803,1903,200...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved