Opinion Magazine
Number of visits: 9582765
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરીક્ષા અને અગ્નિપરીક્ષાનો સમય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 February 2018

‘એક્ઝામ વૉરિયર્સ’ સમક્ષ ભાષણ કરતા વડાપ્રધાનશ્રીને દેશના શિક્ષણની ખરી સમસ્યા દેખાઈ નથી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેિડયમમાં હજારો વિદ્યાર્થીઓ સમક્ષ ‘પરીક્ષા પર ચર્ચા’ કરી. હાડોહાડ રાજકારણી એવા વડાપ્રધાને વિદ્યાર્થીઓ સમક્ષ એમની સમાજસુધારકની છબી પેશ કરતાં ઘણી સુષ્ઠુસુષ્ઠુ વાતો કરી. વિદ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ કે આત્મવિશ્વાસ કેળવાય તેવી સલાહો આપી. મુખ્યત્વે એકતરફી સંવાદમાં વડાપ્રધાને કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા.

ભારતના દરેક બાળકને જન્મથી જ તે રાજકારણી હોવાનો શિરપાવ આપીને નમોએ 2019ની ચૂંટણી સંદર્ભના એક સવાલના જવાબમાં, ‘ચૂંટણીઓ તો આવે ને જાય, તૈયારી જરૂરી છે અને હું પૂરી નિષ્ઠાથી મહેનત કરીશ,’ એમ કહ્યું હતું. એપ્રિલ 2014માં મોદી થાઉંથાઉં વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે દસમા-બારમાના પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ જોગ ટેલીફોનિક શુભેચ્છા સંદેશમાં કહ્યું હતું કે, ‘આ વરસે(2014)માં તમારી સાથે મારી પણ પરીક્ષા છે. પણ હું તેની બહુ ફિકર કરતો નથી.’

નરેન્દ્ર મોદીનો દેશના ભાવિ મતદારો સાથેનો આ સંવાદ કેવો વાસ્તવિકતાથી પર હતો તેનો પુરાવો બે દિવસ પછી જ મળ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની ચેસ્તા ગ્રામ પંચાયતની શાળાના વિદ્યાર્થીઓને શાળા મેનેજમેન્ટ કમિટીના એક વગદાર અને ઉચી જાતિના આગેવાનના ઘરે ટી.વી. પર આ ચર્ચા સાંભળવા લઈ જવાયા હતા. ત્યાં આ ‘એક્ઝામ વૉરિયર્સ’ દલિત વિદ્યાર્થીઓને ઘરની બહાર જુદા બેસાડવામાં આવ્યા હતા! આવા ભેદભાવ અને અસમાનતા હોય છે એનો ઉલ્લેખ સુધ્ધાં વડાપ્રધાનની પેલી સુફિયાણી વાતોમાં નહોતો.

એમ તો ઉત્તર પ્રદેશ ધારાસભાની ચૂંટણીઓમાં પરીક્ષામાં ચોરીઓનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વડાપ્રધાન તેમની ચૂંટણીસભાઓમાં આ મુદ્દો ઉછાળીને સમાજવાદી પક્ષની આલોચના કરતા હતા. આ વખતની યુ.પી.ની બોર્ડ એક્ઝામમાં નકલપ્રેમી લાખો વિદ્યાર્થીઓ બેઠા જ નહીં એવી વાતોનો યોગી આદિત્યનાથ સરકારે બહુ પ્રચાર પણ કર્યો, પરંતુ પરીક્ષામાં થતી ચોરીઓની કશી જિકર વડાપ્રધાને તેમના ભાષણમાં કરી નહીં. દેશમાં ભલે આજકાલ પરીક્ષાઓનો સમય હોય, પણ કાળ તો કસોટીનો છે. એટલે વડાપ્રધાન અને તેમના સાથીઓ પરીક્ષા અને કસોટીથી બચી શકવાના નથી.


હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત વિદ્યાર્તી રોહિત વેમુલાની આત્મહત્યા એ જો સંસ્થાનિક હત્યા હતી, તો ઘરઆંગણે ભાનુભાઈ વણકરના આત્મદાહને એક રીતે વહીવટી હત્યા કહી શકાય. માત્ર બે દલિતોની ચાકરિયાત ભોંયને કાયમી કરાવવા એક દલિત કાર્યકરને જાહેરમાં સળગી મરવું પડે તે સરકાર અને શાસનની નાલેશી છે. પણ મોદી હોય કે રૂપાણી, બહુમતીએ મળેલી સત્તાના નશામાં એવા તો ગુલતાન હોય છે કે 2019ની પરીક્ષા એમનો કસોટી કાળ છે તેનાથી એ સાવ જ બેતમા લાગે છે.

રોજેરોજ આ દેશમાં અગ્નિપરીક્ષાઓ જેવી પરીક્ષા થતી રહે છે. પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓની જ નથી થતી. રાજકીય પક્ષોની, સત્તાપક્ષ અને વિપક્ષની, બિનસાંપ્રદાયિક પરિબળોની, દલિતો, આદિવાસીઓ, પછાતો, લઘુમતીઓ, મહિલાઓ, નાગરિક સમાજની અને દેશના એકેએક નાગરિક થાય છે. આ વરસ ખાસ્સાં આઠ-નવ રાજ્યોની ચૂંટણીનું વરસ છે. તો 2019માં લોકસભાની ચૂંટણી માથે ઊભી છે. કેન્દ્ર અને રાજ્યોના અંદાજપત્રો જાણે કે રાજકીય પક્ષોના ચૂંટણીઢંઢેરા બનીને આવી રહ્યા છે. આ કે તે યોજનામાં બજેટ ફાળવણીમાં વધારા ઘટાડા સિવાય તેમાં દેશની કે રાજ્યની ખરી સમસ્યાઓનું નિદાન ગાયબ છે.

કેન્દ્રની મોદી સરકારની ખરી કસોટી આર્થિક મોરચે છે. ખાસ કશી નાણાકીય જોગવાઈઓ વિના નાણામંત્રીએ ‘ઓબામાકેર’ જેવી ‘નમોકેર’ની આરોગ્યવીમાની યોજના તો જાહેર કરી દીધી છે, પણ એ જગજાહેર છે કે સરકારો શિક્ષણની જેમ આરોગ્ય સેવાઓનું પણ મોટા પાયે ખાનગીકરણ કરી રહી છે. ગરીબોને તે ખાનગી સેવાઓના ભરોસે છોડીને કસોટીથી ભાગી રહ્યા છે. વળી અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકાર નાણાકીય ભ્રષ્ટાચારોની જાહેર ચર્ચાઓથી બચતી રહી હતી, પરંતુ નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિક્રમ કોઠારીના કૌભાંડોએ સરકારની આબરૂ ઉઘાડી પાડી દીધી છે.

લલિત મોદી, વિજ્ય માલ્યા, સુબ્રતો રોય અને રાફેલ સોદો પણ સરકાર સામે ઊભા છે. યુ.પી.એ. સરકારનાં બહુ ગાજેલાં કૌભાંડોમાંથી નેતાઓ છૂટી રહ્યા છે, ત્યારે જ પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ મોદી સરકારની વિશ્વનીયતાની પરીક્ષા લેનારું જ નહીં તેમની આકરી કસોટી કરનારું બની રહેવાનું છે.

ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા પણ સરકારની કસોટી કરનાર બાબતો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ લોકાયુક્તની નિમણૂક થવા દીધી નહોતી અને ‘કૅગ’ના અહેવાલો વિધાનસભાના સત્રના અંતિમ દિવસે રજૂ થતા હતા. અણ્ણા હઝારેના લાડકા નમો હજુ ચાર વરસે ય કેન્દ્રમાં લોકપાલ નીમતા નથી. સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોએ જે રીતે પ્રેસ સમક્ષ આવી અસંતોષ વ્યક્ત કર્યો તેનાથી ન્યાયતંત્રમાં બધું સમુંસૂતરું ચાલી ન રહ્યું હોવાનું જણાય છે.

જસ્ટિસ લોયાના મૃત્યુુનું રહસ્ય પણ સરકારની કસોટી કરનાર બનનારું છે. દેશમાં વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા ખતરામાં હોવાના બનાવો બનતા રહે છે. તે અંગેનું સરકારોનું વલણ રાજસ્થાન સરકારના કાળા કાનૂનમાં દેખાય છે. પત્રકારો, વકીલો અને નાગરિક સમાજના સતત વિરોધ પછી રાજસ્થાનની ભાજપ સરકારે એ બિલ પાછું ખેંચવું પડ્યું છે, પણ તેથી લોકોનો કસોટી કાળ સાવ પૂરો થતો નથી. 

કાવેરી જળવિવાદ હોય કે નર્મદાના પાણીની ઘટતી જળસપાટી- સર્વત્ર માહોલ પરીક્ષાનો નહીં એટલો કસોટીનો છે. કાશ્મીર સરહદે રોજરોજ જવાનોની શહીદીના સમાચારો આવે છે અને મંત્રીઓ પત્રકાર પરિષદો યોજીને ‘બદલા લેંગેં’ની ભાષામાં ગર્જ્યા કરે છે. સંઘ સુપ્રીમો ત્રણ જ દિવસમાં સંઘના સ્વંયસેવકો લશ્કર બની જશેનો, એવો લલકાર કરે છે પણ કાશ્મીર હોય કે અયોધ્યા કોઈના શાંતિપૂર્ણ લોકશાહી ઉકેલની પહેલ કરતા નથી. હા, લાલ કિલ્લે યજ્ઞ જરૂર કરે છે. એમની લલકારની ભાષામાં અગ્નિ વધુ અને પ્રકાશ ઓછો હોય છે. એટલે તે ખરાખરીની કસોટીએ ભાગતા લાગે છે.

શાયદ 2000ના વરસમાં ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ‘ઈસરો’ના પૂર્વ ચેરપર્સન પ્રો. યુ.આર. રાવે કાળગ્રસ્ત પરીક્ષાપદ્ધતિના કારણે સાયબર યુગને સમજી શકે તેવા વિદ્યાર્થીઓ ન હોવાની રાવ ખાધી હતી. વિજ્ઞાનનો વિષય લઈને તૈયાર થનારાની ટકાવારી ઘટી રહી હોવાની પણ આ વિજ્ઞાનીને ચિંતા હતી. ‘એક્ઝામ વૉરિયર્સ’ સમક્ષ ભાષણ કરતા વડાપ્રધાનશ્રીને દેશના શિક્ષણની આ ખરી સમસ્યા દેખાઈ નથી પરંતુ વર્તમાન કાળગ્રસ્ત પરીક્ષા પદ્ધતિમાં સફળ થવા વિદ્યાર્થીઓ અને તેમનાં માબાપોના ઉધામામાં થોડો આત્મવિશ્વાસ ઉમેર્યો છે. લાગે છે કે નરેન્દ્ર મોદીને અને દેશની જનતાને તેની ખરી કસોટીની ખબર નથી અને 2019 તો માથે આવી ઊભું છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘કઠણાઈ’, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2018

Loading

તારાબહેન પટેલ : ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં સમાજશાસ્ત્ર વિષયના એક આધારસ્તંભ સમાં અધ્યાપક

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|23 February 2018

શતાબ્દી વર્ષની માસિક  વ્યાખ્યાનમાળાનું પહેલું વ્યાખ્યાન બુધવારે યોજાશે

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગે તાજેતરમાં તેના પહેલાં અધ્યક્ષ તારાબહેન પટેલ(૧૯૧૮-૨૦૦૭)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત એક સ્મરણ-વંદન કાર્યક્રમથી કરી. સમાજશાસ્ત્રના મૂર્ધન્ય અધ્યાપક તારાબહેનની કારકિર્દીમાં વર્ગશિક્ષણ અને વિદ્યાર્થી વાત્સલ્ય, વિષયના સંશોધન અને વિભાગના વ્યવસ્થાપનનો ઉત્તમ સુમેળ હતો. ગુજરાતમાં અનામત બેઠકોની જોગવાઈ અંગે રચાયેલાં બક્ષીપંચની કાર્યવાહીમાં તેમણે નિર્ણયાત્મક ભૂમિકા ભજવી હતી. આદિવાસી મહિલા શિક્ષણ વિશે પણ તેમણે નોંધપાત્ર સંશોધન કર્યું . તેમનું વ્યક્તિગત જીવન પરોપકારી, અને એક અર્થે અરુઢ પણ હતું.

સદી પહેલાંના રૂઢિવાદી ચરોતર પાટીદાર સમાજના હોવા છતાં તેમણે પરદેશ જઈને શિક્ષણ લીધું, કારકિર્દી બનાવી, અપરિણિત રહ્યાં. તેમનાં ઘડતરની હકીકતો પણ તેમના જમાનાના સંદર્ભે  રસપ્રદ છે. તેમના પિતા ખેડા જિલ્લાના સુણાવ ગામના વતની, પણ વ્યવસાયાર્થે ભારત-આફ્રિકા વચ્ચે અવરજવર કરતા એટલે તારાબહેનનો જન્મ યુગાન્ડાના કમ્પાલા શહેર નજીકના નાના ગામમાં થયો, પણ ઉછેર મોસાળમાં પીજ ગામે થયો. તેમણે ગુજરાતી અને અંગ્રેજી સાથે બી.એ. ઑનર્સની પદવી ૧૯૪૧માં અને ત્રણ વર્ષ બાદ એમ.એ.ની પદવી ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે વડોદરાની યુનિવર્સિટીમાંથી મેળવી. પછી બે વર્ષ તારાબહેન  સુણાવની હાઇસ્કૂલમાં માનદ શિક્ષક રહ્યાં. ગામમાં મોખરાનું સ્થાન ધરાવતાં તેમનાં ઘરે એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા હતા. ત્યારે તેમની સામે ગામના વડીલોએ તારાબહેનને શાળાનાં આચાર્ય બનાવવાની ઇચ્છા બતાવી. પણ બહેને આગળ અભ્યાસ માટે અમેરિકા જવાની ઇચ્છા વ્યક્ત કરી. સરદારે કહ્યું, ‘હા દીકરી, જરૂર જા.’ સરદાર સાહેબના આ એક વાક્યે તારાબહેનનાં પરદેશ ભણતરનાં દરવાજા ખૂલી ગયા.

પરદેશ જવાનું, વિશ્વયુદ્ધ પછીના એ દિવસોમાં કપરું હતું. કોલકાતાથી ઊપડતાં, પૅસેન્જર જહાજમાં ફેરવવામાં આવ્યું હોય તેવાં એક માલવાહક જહાજમાં, છસો પાદરીઓ તેમ જ  છસો વિદ્યાર્થીઓ સાથે તારાબહેન અઠ્ઠ્યાવીસ દિવસે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યાં. તારાબહેને ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં ૧૯૪૬-૪૮ દરમિયાન સમાજશાસ્ત્ર વિષય સાથે એમ.એ. કર્યું. એમાં તેમણે ‘સોશ્યલ સ્ટડી ઑફ રુરલ ગુજરાત’ વિષય પર શોધ નિબંધ રજૂ કર્યો. પી.એચડી. તેમણે લંડનની બેડફર્ડ કૉલેજમાંથી મેળવી. છ વર્ષ અભ્યાસથી લખેલો મહાનિબંધ હતો ‘ધ્ સોશ્યલ સ્ટેટસ ઑફ ઇન્ડિયન વિમેન ડ્યુરિન્ગ ધ લાસ્ટ ફિફટી યર્સ : ૧૯૦૦-૧૯૫૦’.

તેઓ ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીમાં નવા જ શરૂ થયેલાં સમાજશાસ્ત્ર વિભાગમાં રીડર અને અધ્યક્ષ નીમાયાં. બે તપ બાદ ૧૯૭૮માં ત્યાંથી નિવૃત્ત થયાં બાદ સહજ નિર્લેપ વૃત્તિથી ફરીથી ત્યાં ગયાં નહીં. અધ્યક્ષ તરીકે તેમણે વિભાગને લોકશાહી ઢબે દોરવણી આપી. નિવડેલાં અધ્યાપકો દ્વારા નિયમિત વર્ગોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓને સ્વઅધ્યયન-સંશોધનની કડક તાલીમ, સમયાનુરૂપ પ્રસ્તુત અભ્યાસક્રમો, વિવિધ ઍકેડેમિક કાર્યક્રમોનું આયોજન જેવી અનેક બાબતો થકી તારાબહેને સમાજશાસ્ત્ર વિભાગને ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાન અપાવ્યું. તદુપરાંત એમના વિષય માટેની અધ્યયન સામગ્રી ગુજરાતી ભાષામાં નહીંવત્‌ હતી. એટલે તેમણે અંગ્રેજી ગ્રંથોનો નિચોડ આપતાં સમાજશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં લખ્યાં, જેમાંથી કેટલાંક આજે પણ ઉત્તમ ગણાય છે. તેમણે સમાજશસ્ત્રની ગુજરાતી પરિભાષા તૈયાર કરવામાં પણ ઘણો રસ લીધો. ક્ષેત્રકાર્ય આધારિત સંશોધન નિબંધને તેમણે અભ્યાસનો ફરજિયાત ઘટક બનાવીને સમાજશાસ્ત્રમાં ફીલ્ડ વર્કની જરૂરિયાત અને અગત્યતાને ઉજાગર કરી. ખુદ તારાબહેને અમદાવાદના ભીક્ષુકો પર કરેલાં સંશોધનમાં શહેરના વિસ્તારોમાં અલગ અલગ દિવસે અને સમયે વંચિતોની મોટી સંખ્યામાં લીધેલી રૂબરુ  મુલાકાતોનો સમાવેશ હતો. આ અભ્યાસ ભિક્ષુકોને લગતા કાયદાના ઘડતરમાં ઉપયોગી નીવડ્યો. તારાબહેનનાં અન્ય સંશોધનમાં સાડા ત્રણસો વ્યવસાયી બહેનોની બેવડી ભૂમિકા અને બારસો દંપતીઓનાં કુટુંબજીવન તરફનાં વલણોના અભ્યાસોનો સમાવેશ થાય છે. સાથી અધ્યાપક વિમળભાઈ પી. શાહ જોડે રહીને તેમણે કરેલાં ‘હુ  ગોઝ ટુ કૉલેજ?’ અને ‘સોશ્યલ કૉન્ટેક્સ્ટ્સ ઑફ ટ્રાઇબલ એજ્યુકેશન’ અભ્યાસ મહત્ત્વના ગણાય છે. સ્ત્રીઓની આત્મહત્યાની સમસ્યા અંગે રાજ્ય સરકારે નીમેલી સમિતિમાં તેમ જ નિવૃત્તિ બાદ જ્યોતિસંઘની પ્રવૃત્તિઓમાં પણ તારાબહેને નોંધપાત્ર કામગીરી બજાવી હતી.

‘તારાબેન : સ્મરણાંજલિ’ નામે સ્મરણિકા પાંચેક વર્ષ પૂર્વે પ્રસિદ્ધ થઈ છે. મોટાં કદનાં સવાસો પાનાંની આ સચિત્ર સ્મરણિકામાં તારાબહેન વિશેનાં અઠ્ઠાવન લખાણો છે. તેમનાં વિદ્યાર્થીઓ, સાથી અધ્યાપકો, સમાજશાસ્ત્રીઓ, સંબંધીઓ, સ્નેહીઓ, પાડોશીઓ અને સેવકોએ તેમને ઉચિત રીતે સાંભર્યાં છે. પૂરી તૈયારી સાથે સ્વચ્છ ગુજરાતીમાં થતાં તેમના વર્ગવ્યાખ્યાનોને તેમનાં વિદ્યાર્થીઓએ  યાદ કર્યાં છે. વિદ્યાર્થી ગ્રંથાલયમાં જઈને પુસ્તકો શોધે, તેની યાદી બનાવે અને પછી તેનો સમજપૂર્વક ઉપયોગ કરે તે (હવે લગભગ ખતમ થઈ ગયેલી) પ્રક્રિયા પર તારાબહેન ઘણો ભાર મૂકતાં એમ વિદ્યાર્થીઓએ નોંધ્યું છે. ભણવા-ભણાવવાની બાબતે કડક તારાબહેન વિદ્યાર્થીઓ તરફ ઊંડી મમતા ધરાવતાં. છેલ્લાં વર્ષનાં વિદ્યાર્થીઓને પોતાના ઘરે પાર્ટી ગોઠવીને વિદાય આપતાં. વિદ્યાર્થીઓને ભેદ કે અહેસાનના ભાવ વિના હંમેશાં મદદ કરતાં. તેમણે વિદ્યાર્થીઓની ફી ભરી હોય, વિદ્યાર્થિનીને તેમણે અમદાવાદના પોતાનાં કે જરૂર પડ્યે વડોદરમાં માતુશ્રીનાં ઘરે રહેવાની સગવડ આપી હોય, નાનું-મોટું કામ અપાવ્યું હોય, વિદ્યાર્થીની જરૂરિયાતવાળું પુસ્તક પોતાનાં અમદાવાદનાં ઘરમાં ક્યાં છે તે અમેરિકાથી પત્ર લખીને જણાવ્યું હોય, પરદેશ ગયેલા વિદ્યાર્થીને ભારતમાં બેઠાં બેઠાં ચલણી નાણાં માટે જોગવાઈ કરી હોય, ઘર વસાવવામાં સહાય કરી હોય – આવા કિસ્સા સ્મરણિકામાં નોંધાયાં છે.

તેમાં એમ પણ જોવા મળે છે કે એક તબક્કે ગુજરાતમાં સમાજશાસ્ત્રના લગભગ બધાં અધ્યાપકો તારાબહેનના વિદ્યાર્થીઓ હતાં. ‘યોગ્ય વિદ્યાર્થીની યોગ્ય જગ્યાએ માત્ર ભલામણ જ નહીં ગોઠવણ પણ તારાબહેને કરી જ હોય’ એમ પીઢ સમાજશાસ્ત્રી વિદ્યુત જોષી લખે છે. તારાબહેને કોઈને ઑપરેશનમાં મદદ કરી હોય, હેમખેમ સુવાવડ કરાવી હોય, લાંબા-ટૂંકા ગાળા માટે કોઈનાં છોકરાં સાચવ્યાં હોય, સગાંને ઘરમાં રાખ્યાં હોય એવાં હવે ઓછાં થતાં પરગજુ કામ પણ છે. સમાજશાસ્ત્રના વરિષ્ઠ અધ્યાપક-અભ્યાસી વિમળ પી. શાહનું આખું જીવન તેમણે કેટલી હદ સુધીની મદદ કરીને ઘડ્યું તે વિમળભાઈએ પોતે જ સ્મરણિકામાં વિગતે વર્ણવ્યું છે. તારાબહેને ઘરના સેવક વર્ગને પોતાનાં બંગલાના પરિસરમાં સમાવી લીધાં હતાં, એટલું જ નહીં પણ તેમની પછીની પેઢીને ભણાવવા ઉપરાંત ઘર પણ માંડી આપ્યાં હતાં.

અમદાવાદના સ્ટેિડયમ વિસ્તારમાં આવેલી પ્રજ્ઞા સોસાયટીના ‘મનીષા’ બંગલાનો ઉલ્લેખ ઘણી વાર આવે છે. તેનો ફળ-ફૂલ અને શાકભાજીથી હર્યોભર્યો બગીચો તારાબહેને કુદરત માટેના લગાવ અને મહેનતથી સીંચ્યો હતો. ‘મનીષા’ તારાબહેનનાં સગાસંબંધીઓ ઉપરાંત અમદાવાદમાં આવતાં દેશપરદેશના અનેક વિદ્વાનો-અભ્યાસીઓ માટે આતિથ્યસ્થાન હતો. અલબત્ત, તારાબહેને આતિથ્ય કે ઉપકાર કરતાં હોવાનો ભાવ અને ભાર ક્યારે ય ઊભો થવા દીધો ન હતો એમ પણ બધાએ લખ્યું છે. વિદ્યુતભાઈ લખે છે : ‘ખેડા જિલ્લાના ધનિક કુટુંબમાં જન્મેલાં તથા પરદેશ રહીને ભણેલાં તારાબહેન ‘અલ્ટ્રા મૉડર્ન’ હશે,  એવી પૂર્વછાપથી જો એમને મળીએ તો ભોંઠાં પડીએ. ગુજરાતી સાડી, ચાંદલો, સાવ સાદી ફ્રેમનાં ચશ્માવાળાં તારાબહેન ગૃહિણી લાગે. હસીને પૂછે : કેમ છો ?’ સમાજશાસ્ત્રના જાણીતા અધ્યાપક ગૌરાંગ જાની નોંધે છે : ‘ગુજરાતમાં સમાજશાસ્ત્રના ઉદ્દભવ અને વિકાસનો ઇતિહાસ તારાબહેનનાં પ્રદાનની ચર્ચા કર્યા વિના લખી જ ન શકાય.’

++++++++

૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 23 ફેબ્રુઆરી 2018

Loading

ખોટી આર્થિક વિચારધારા એ કૃષિ સંકટનું મુખ્ય કારણ છે

દેવેન્દર શર્મા|Opinion - Opinion|23 February 2018

વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને નિરાશા સાંપડે છે. અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદો પાડી દીધો છે, તેઓને એ દેખાડવું જોઈએ કે આખરે વાસ્તવિકતા શું છે અને ખેડૂતો કેમ મરી રહ્યાં છે. અથવા આ પ્રકારનાં બેકાર નીતિનાં દસ્તાવેજ કેમ રજૂ કરવામાં આવે છે. આપણા દેશમાં કૃષિ સંકટનું મુખ્ય કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે અને જેનો ઉદ્દભવ એ આર્થિક સર્વેક્ષણ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે, તેઓ એ વાત માનવા તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર તેઓ જણાવે છે તે તો ખરેખરમાં દેશનાં કૃષિ સંકટનું મૂળ છે.

ગત ૧૦-૧૧ વર્ષોમાં હું વાર્ષિક આર્થિક રીપોર્ટ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચતો રહ્યો છું. સામાન્ય રીતે તો આ ભારે રીપોર્ટ બજેટના બે દિવસ પહેલાં રજૂ કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાનનાં આર્થિક સરવૈયાને આ રીપોર્ટમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવે છે. સાથે જ આપણને આ રીપોર્ટમાં એ પણ જાણવા મળે છે કે દેશમાં દરેક સરકારનો આર્થિક સ્થિતિઓ પરત્વેનો વિચાર કેવો અદૂરદર્શી રહ્યો છે. જો તમે આ રીપોર્ટને ધ્યાનથી વાંચશો તો તમે એ વાત સમજી શકશો કે આ રીપોર્ટ લખનાર અર્થશાસ્ત્રીઓ વિશ્વ બેંક, આઇ.એમ.એફ. અને ક્રેડિટ રેન્કિંગ એજન્સીઓ દ્વારા ભણાવવામાં આવી રહેલાં આર્થિક પાઠોનું આંખ બંધ કરીને અનુસરણ કરી રહ્યાં છે. જો તમે આર્થિક સર્વેક્ષણનાં કેટલાંક દસ્તાવેજો વાંચ્યા હશે તો એ વાત સ્પષ્ટ થઇ જશે કે અર્થશાસ્ત્રીઓ રૂઢીવાદી પરંપરામાંથી નીકળવાની કલ્પના પણ નથી કરી રહ્યાં. ગત વર્ષોમાં નિષ્ફળ સાબિત થયેલાં વિચારો અને ભલામણોને જ વારંવાર રજૂ કરવામાં આવે છે. ઓછામાં ઓછાં છેલ્લાં દસ વર્ષમાં કે જ્યારથી હું આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે.

જે રીતે ઘોડાઓને રસ્તા પર સીધાં ચાલવા માટે તેમની આંખો પર ડાબલા લગાવી દેવામાં આવે છે તે રીતે મારા વિચારના મુખ્યધારાનાં અર્થશાસ્ત્રી પણ ક્યારેક પોતાનાં મગજ પર મનોવૈજ્ઞાનિક ડાબલા બાંધી રાખે છે. કદાચ તેઓની પાસે ચોક્કસ મર્યાદાની બહાર વિચારી શકવાની ક્ષમતાની અપેક્ષા રાખી શકાય જ નહિ. આપણે એ વાત ભૂલવી જોઈએ નહિ કે આ ડાબલા થકી ઘોડાઓ પ્રકૃતિ જોઈ શકતાં નથી કે જે પ્રકૃતિ તેઓ જોવા માંગતા હોય છે અને આવી જ હાલત આપણા અર્થશાસ્ત્રીઓની છે.

જ્યારે પણ તમે લકીરનાં ફકીર બની જાઓ છો ત્યારે તેનાં પરિણામનાં સ્વરૂપે ભારે ભૂલો ભોગવવી પડે છે. ઉદાહરણ તરીકે જો આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્ર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ પ્રકારે દેશની ૫૨ ટકા જેટલી વસ્તીને આજીવિકા પ્રદાન કરે છે. ઓછામાં ઓછા ગત દસ વર્ષોમાં કે જ્યારથી હું આ આર્થિક સર્વેક્ષણનો અભ્યાસ કરી રહ્યો છું ત્યારથી મારો દ્રઢ મત એ રહ્યો છે કે આપણા દેશમાં કૃષિ સંકટનું મૂળ કારણ એ ખોટી આર્થિક વિચારધારા છે. જેનું ઉદ્દગમ સ્થાન એ આર્થિક સર્વેક્ષણ છે. તેનાં કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે જે લોકો આ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે તે લોકો એ વાત માનવા માટે તૈયાર જ નથી કે જે આર્થિક ઉપચાર અંગેની વાત તેઓ કરતાં આવ્યા છે તે જ કૃષિ સંકટનું મૂળ છે.

દર વર્ષે કૃષિની સ્થિતિમાં સુધારો લાવવા માટે આર્થિક સર્વેક્ષણ થકી તે જ નિષ્ફળ પ્રયોગો ફરી વખત આદરવામાં આવે છે. પાકની ઉત્પાદકતા વધારો, સિંચાઈ વ્યવસ્થાનો વિસ્તાર કરો, જોખમભર્યું કાર્ય કરો, લાભકારી મૂલ્ય ઉપલબ્ધ કરો અને બજારનું ખાનગીકરણ કરો. ઓછામાં ઓછા ગત દસ વર્ષથી હું આર્થિક સર્વેક્ષણને કૃષિમાં સુધારો કરવા માટે આ ભલામણ કરતો રહ્યો છું. એ વાતમાં સહેજ પણ આશ્ચર્યચકિત થવા જેવું નથી કે દર વર્ષે કૃષિ સંકટ માત્ર ઓછું નથી થઇ રહ્યું, પણ આ સંકટ ઊંડું પણ થઇ રહ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ આ દેશમાં દિવસે-દિવસે વધી રહી છે, છતાં પણ આર્થિક સર્વેક્ષણમાં એ જ જૂની વિચારધારા અને કામનાં ના હોય તેવાં ઉપચાર સૂચવવામાં આવી રહ્યાં છે. ગત ૨૨ વર્ષમાં અંદાજીત ૩.૩૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને છતાં દેશનાં અર્થશાસ્ત્રી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ફળ રહ્યા છે. આ આપણા દેશનાં નીતિગત માળખાં પર એક દુઃખદ ટિપ્પણી છે.

પોતાનાં અને આ અગાઉ કરવામાં આવેલાં તમામ ઉપાયોની નિષ્ફળતા વિશે જાણતા છતાં પણ આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭માં પૂરતું ધ્યાન વિવાદાસ્પદ જેનેટિકલી મોડિફાઇડ (જી.એમ.) પાક પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દોષપૂર્ણ તર્કનો ઉપયોગ કરીને કૃષિ સંકટમાંથી બહાર આવવા માટેનો એક માત્ર રસ્તો એ છે કે પાકની ઉત્પાદકતા વધારો અને આર્થિક સર્વેક્ષણ હવે જી.એમ. ઉદ્યોગને જ તમામ સમસ્યાઓનો ઉકેલ જણાવી રહ્યો છે. તેમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે વાણિજ્યિકરણનો રસ્તો ખુલવાની રાહમાં ભારતે તમામ પ્રકારનાં જી.એમ. પાક માટે બજાર ખોલી નાખવું જોઈએ.

જી.એમ. ઉદ્યોગની વાત આધારિત આ લોકોએ જી.એમ.નાં પાકને બજારમાં ઉપલબ્ધ કરાવવો યોગ્ય છે તે જણાવવા માટેની રૂપરેખા પણ તૈયાર કરી લીધી છે. કઠોળનું ઉત્પાદન વધારવાની બાબતના રીપોર્ટમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની અધ્યક્ષતા હેઠળની એક સમિતિમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે જી.એમ. ઉદ્યોગને તેમાં સામેલ કરવો જોઈએ એ વાતનું ખુલ્લું સમર્થન કર્યું છે. સામાજિક સ્તરે આ ભલામણની આકરી નિંદા કરવામાં આવતાં મુખ્ય આર્થિક સલાહકારે એક પગલું આગળ વધીને આ નીતિ દસ્તાવેજનો પ્રયોગ ખાનગી બીજ કંપનીઓનાં વાણિજ્યિક હિતોને પ્રોત્સાહન આપવા માટે કર્યો.

વૈજ્ઞાનિક તથ્ય એ છે કે વિશ્વમાં એવો કોઈ જી.એમ. પાક નથી કે જેનાથી પાકનું ઉત્પાદન વધે અને આ તથ્યને સીધી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યું છે. એકમાત્ર જી.એમ. પાક કે જેનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે તે છે બી.ટી. કોટન. જો જી.એમ. કોટનથી કપાસની ખેતી કરનાર ખેડૂતોની આવકમાં વધારો થયો છે, તો બી.ટી. કોટન ઉગાડનાર ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યાં છે? એક અનુમાન પ્રમાણે ભારતમાં કૃષિ સંલગ્ન આત્મહત્યાઓમાં ૭૦ ટકા મૃત્યુ માત્ર કપાસનાં ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે.

આ સિવાય જો પાકનું ઉત્પાદન વધારવું એ જ આગળ વધવાનો રસ્તો છે તો દેશનાં ફૂડ બાઉલ તરીકે ઓળખાતા પંજાબમાં ખેડૂતો આટલી મોટી સંખ્યામાં કેમ આત્મહત્યા કરવા પ્રયાસ કરી રહ્યાં છે? પંજાબ એ વિશ્વનું સૌથી વધુ પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરનાર મથક છે અને તે ૯૮ ટકા સુનિશ્ચિત સિંચાઈ સુવિધાયુક્ત હોવાથી તેની પાસે વિશ્વનું સૌથી મોટું સિંચાઈ ક્ષેત્ર છે. છતાં પણ એક દિવસ એવો નથી જતો કે જ્યારે અહીં ત્રણથી ચાર ખેડૂતોએ આત્મહત્યા ના કરી હોય.  

જી.એમ. પાકનાં ઉપયોગ વિના પણ આ વર્ષે કઠોળનું ઉત્પાદન ઘણું વધારે થયું પરંતુ ઉત્પાદનમાં એકદમ વૃદ્ધિ થવાનાં કારણે તેને યોગ્ય રીતે સંભાળી શકવાની સમજ સરકાર પાસે નહિ હોવાને કારણે ભાવ ઘટ્યા અને ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું. ૫૦ ૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં ખરીદ મૂલ્યનાં સ્થાન પર ખેડૂત ૩૫૦૦થી ૪૨૦૦ પ્રતિ ક્વિન્ટલથી વધુ કિંમત પ્રાપ્ત કરી શક્યા નહિ. ઉત્પાદન તો ઓછું હતું જ નહિ, ક્યાં સુધી અર્થશાસ્ત્રીઓ ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતાં કાચા માલના અપૂર્તિકર્તાઓનાં હિતને પ્રોત્સાહન આપવા માટે ખોટાં દ્રષ્ટિકોણ સૂચવતા રહેશે?

મને એ વાત કહેવામાં કોઈ ખેદ નથી કે વર્ષ ૨૦૧૭નો આર્થિક સર્વેક્ષણ વાંચીને હું ખૂબ જ  નિરાશ થયો છું. જ્યારે અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખો પર પડદા નાખી દીધા છે ત્યારે એમને એ દેખાડવાનો સમય આવી ગયો છે કે ખરી વાસ્તવિકતા શું છે અને ખેડૂતો આત્મહત્યા કેમ કરી રહ્યા છે. નહિ તો આપણને આ પ્રકારનાં બેકાર નીતિ દસ્તાવેજ પીરસવામાં આવતા રહેશે અને એટલે જ મારે એ કહેવું છે કે આર્થિક સર્વેક્ષણ તૈયાર કરનાર અર્થશાસ્ત્રીઓના દળ માટે એ અનિવાર્ય હોવું જોઈએ કે તેઓ ઓછામાં ઓછાં ત્રણ મહિના ગ્રામીણ વિસ્તારમાં વ્યતીત કરે અને ત્યાર બાદ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે. આ દળની આગેવાની મુખ્ય આર્થિક સલાહકાર કરે અને તેમાં નીતિ દળના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે. મને એ વાતનો વિશ્વાસ છે કે તમે ચોક્કસ માનશો કે અર્થશાસ્ત્રીઓ / નોકરશાહીને ગ્રામીણ સ્થિતિ સાથેનો પરિચય કરાવવો એ ખૂબ જ જરૂરી છે. નહિ તો જે ભયંકર સંકટમાંથી દેશ ગત દસ વર્ષથી પસાર થઇ રહ્યો છે તે ઓછું થવાની જગ્યાએ વધુ ઊંડું થતું જશે.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,1633,1643,1653,166...3,1703,1803,190...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved