Opinion Magazine
Number of visits: 9686453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. આંબેડકરનાં ભણતર, ભાષા, વાચન અને કર્તવ્યનિષ્ઠા પ્રબુદ્ધ પિતા રામજી સકપાળને આભારી છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|20 April 2018

લશ્કરમાં સુબેદાર રામજી એ એમના જમાનામાં પ્રગતિ કરી રહેલા દલિત સમાજનું પ્રતીક હતા

ડૉ. આંબેડકરનું નામ તેમના પિતાનાં નામ સાથે લખવાનો આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યો છે. રામનામનો ઉપયોગ હિંદુત્વની હિચકારી રાજનીતિ માટે કરવાનો આ વળી એક નવો દાવપેચ છે. આમ તો પિતાનાં નામ સિવાય અન્ય કોઈ રીતે ડૉ. બાબાસાહેબનું નામ ભગવાન શ્રીરામની કે સાથે કે રામભક્તિ પરંપરા સાથે જોડી શકાય તેમ નથી. બાબાસાહેબે તો ‘રિડલ્સ ઇન હિન્દુઇઝમ’માં કૃષ્ણ અને રામ વિશે આધારસહિત મૂર્તિભંજક લખાણો કર્યાં છે. તેમના પિતાનું નામ રામજી હોય એ કેવળ અકસ્માત છે, અને એ કબીરપંથી રામજીને શ્રીરામ કે તેના નામનો દુરુપયોગ કરતાં કટ્ટર હિન્દુત્વવાદ સાથે કંઈ  લેવાદેવા ન હતા, એ ચરિત્રસિદ્ધ હકીકત છે.

રામજી માલોજી સકપાળ (૧૮૪૮-૧૯૧૩) વિશે ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેએ બાર ખંડમાં લખેલાં મરાઠી જીવનચરિત્રના પહેલા ભાગના પહેલાં ચાર પ્રકરણમાં ઘણી વિગતો મળે છે. આ ભાગ ચરિત્રનાયકના જીવનકાળમાં જ ૧૯૫૨માં બહાર પડ્યો હતો. તેમાં અનેક જગ્યાએ બાબાસાહેબે ઓશિંગણભાવ સાથે વર્ણવેલાં પિતાનાં સંભારણાં તેમના પોતાના શબ્દોમાં વાંચવા મળે છે. તેમાંથી કેટલાંક ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણોમાંથી સંકલિત કરેલાં ‘દિલના દરવાજે દસ્તક’ (૨૦૧૦) નામના નાનાં પુસ્તકમાં પણ છે. ધનંજય કીર લિખિત બહુ જાણીતા વિશ્વસનીય ચરિત્ર(૧૯૬૬, ગુજરાતી અનુવાદ કર્ણિક અને ખુમાણ, ૧૯૯૩)માં ખૈરમોડેના આકરગ્રંથમાંની વિગતો ઉપરાંત રામજી વિશે થોડીક નવી બાબતો છે. આ બંને સ્રોતોની સામગ્રીને ભાઉસાહેબ ભગવાન વંજારીએ ‘સુભેદાર રામજી માલોજી આંબેડકર’ (૨૦૧૪) પુસ્તકમાં  ભાવુક અને વાચાળ રીતે મૂકી છે.

આ બધી ચરિત્રસામગ્રીમાંથી બાબાસાહેબના પિતાનું એક નોંધપાત્ર ચિત્ર ઊભું થાય છે. રામજી અંગ્રેજોનાં લશ્કરમાં મહાર રેજિમેન્ટમાં બાહોશ સૈનિક હતા. સદાચાર, વાચન અને લોકસંગ્રહને કારણે તેમનો મહાર સમાજમાં મોભો હતો. તેમનાં લગ્ન તેમની જ રેજિમેન્ટના ધનવાન અધિકારી સુબેદાર મુરબાડકરનાં સ્વમાની દીકરી ભીમાબાઈ સાથે થયાં.  કુલ તેર સંતાનોમાંથી જીવી ગયેલાં છ સંતાનોનાં યોગક્ષેમ રામજીએ સારી રીતે પાર પાડ્યાં હતાં. સહુથી નાના ભીમે  જે અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી તે ભણતરના પાયામાં રામજીનો શિક્ષણ કઠોર આગ્રહ હતો.

ભીમરાવનાં માતાપિતા

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરના એક સૈનિક માલોજીના પુત્ર તરીકે રામજીને ફરજીયાત શિક્ષણ મળ્યું હતું. સુદૃઢ, મહાત્ત્વાકાંક્ષી અને ટેકીલા રામજી કવાયત, ક્રિકેટ અને ફુટબૉલમાં માહેર હતા. તેમની કદર તરીકે એક ઉપરીએ તેમને શિક્ષકના વ્યવસાયની તાલીમ લેવાની વ્યવસ્થા કરી આપી. તેને આધારે તે છાવણીઓની શાળામાં ચૌદેક વર્ષ શિક્ષક રહ્યા અને એ સમયે તેમની કક્ષાના કોઈપણ સૈનિક માટે સર્વોચ્ચ ગણાય તેવા સુબેદારના મેજરના હોદ્દા પરથી આંબેડકરનાં જન્મગામ મધ્યપ્રદેશના મહુની લશ્કરી શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. એ વખતે ભીમાની ઉંમર અઢી વર્ષ જેવી હતી. ત્યાર બાદ રોજીરોટી માટે તેઓ દાપોલી અને સાતારા ફરીને અંતે મુંબઈમાં વસ્યા. તેમના સમાજના કેટલાક લોકોની જેમ રામજીએ પણ સમાનતાવાદી કબીરપંથનાં ભજન-કીર્તન અને ચર્ચાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. કીર નોંધે છે કે તેમણે રામાયણ, પાંડવપ્રતાપ, જ્ઞાનેશ્વરી તેમ જ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તે પૂજાપાઠ અને પરોણાગતમાં ઘણો સમય આપતા. બીજી બાજુ તેઓ સમાજહિતનાં કામ પણ કરતા. અંગ્રેજ સરકારે લશ્કરી દૃષ્ટિએ ખૂબ નિવડેલા મહાર સમુદાયને લશ્કરમાં  ભરતી નહીં કરવાની ઘાતક નીતિ જાહેર કરી. આ અન્યાયના વિરોધમાં જે ચળવળ ચાલી તેમાં રામજી ઘણા સક્રિય હતા. એમણે પ્રસિદ્ધ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેના માર્ગદર્શનથી એક આવેદનપત્ર તૈયાર કરીને સરકારને આપ્યું. આ નોંધીને  કીર ઉમેરે  છે કે રામજી તેમના મિત્ર મહાત્મા જોતીરાવ ફુલેએ પછાત વર્ગો અને કન્યાઓનાં શિક્ષણ માટે  ચાલવેલાં મિશનથી પ્રભાવિત હતા. 

શિક્ષણ માટેની  રામજીની નિસબત બાબાસાહેબનાં સંભારણાંમાં  હૃદયસ્પર્શી રીતે વર્ણવાઈ છે. આ સંભારણાં ખૈરમોડેએ મરાઠી સામયિક ‘નવયુગ’ના તેરમી એપ્રિલ ૧૯૪૭ના આંબેડકર વિશેષાંકમાંથી લીધાં છે. તેમાં આંબેડકર કહે છે: ‘અમારામાં વિદ્યા માટે અભિરુચિ પેદા થાય, અમારું ચારિત્ર્ય ઉજ્જ્વળ થાય તે માટે અમારાં પિતા સતત જાગૃત રહેતા.’ આંબેડકરનાં આવાં લાંબાં સ્વકથનોનો અહીં સાર આપી શકાય. રામજીને  કારણે  કુટુંબમાં મહિલાઓ અને બાળકો સહિત સહુને સારી રીતે લખતાં-વાંચતાં આવડતું હતું. મુક્તેશ્વર, તુકારામ જેવા સંતકવિઓની રચનાઓ રામજી ગાતા, બાળકો પાસે ગવડાવતાં. બાબાસાહેબનાં સંતસાહિત્ય અને ધર્મનાં ઊંડા અભ્યાસના બીજ અહીં હતાં. ભીમા સંસ્કૃત શીખે એવી રામજીની ઇચ્છા શિક્ષણમાં ચાલતી આભડછેટને કારણે બર ન આવી. એમને અંગ્રેજી શીખવા-શીખવવાની ખૂબ હોંશ હતી. તેમણે ભીમા પાસે એ સમયે અંગ્રેજી શિક્ષણ માટે વપરાતાં ‘હાવર્ડનાં પુસ્તકો’ તેમ જ ‘તર્ખડકરની ભાષાંતરમાળાના ત્રણ ભાગ’ મોઢે કરાવ્યા હતા. ‘મરાઠી શબ્દો માટે બંધબેસતા અંગ્રેજી શબ્દો, રૂઢપ્રયોગો  અને ભાષાશૈલી’ ની તાલીમ ‘પિતાએ જેવી આપી તેવી બીજા કોઈ માસ્તરે આપી ન હતી’. કુમારવયમાં ભીમાના તોફાની, બેફિકર અને ચીડિયા સ્વભાવને ધ્યાનમાં લઈને રામજી તેને ક્યારેક હેતથી તો ક્યારેક ધાકથી ભણવા બેસાડતા. રામજી દીકરાના સારાં ભણતર માટે ૧૯૦૪માં સાતારાથી મુંબઈ આવ્યા. પરળની પોયબાવાડીની ચાલીના ઘરમાં દીકરાના ભણતર માટે પિતા ઉજાગરા કરતા. એ બી.એ. થયો ત્યારે તેમણે બહુ પેંડા વહેંચ્યા હતા. ભીમાને ઇતરવાચનનો ખૂબ શોખ હતો, જ્યારે રામજી પહેલાં અભ્યાસક્રમનાં પુસ્તકો વાંચીને પછી સમય રહે તો બીજાં પુસ્તકો વાંચવાનું સૂચવતા. જો કે દીકરાના પુસ્તકો વસાવવાના શોખને પિતાએ આર્થિક હાલત કફોડી હોવા છતાં પ્રોત્સાહન આપ્યું. બાબાસાહેબ લખે છે : ‘હું નવાં નવાં પુસ્તકો અપાવવા માટે એમની પાસે હઠ કરતો. મેં કોઈક પુસ્તક માગ્યું હોય અને સાંજ સુધી મારા પિતાએ મને લાવી ન આપ્યું હોય એવું ક્યારે ય થયું જ નથી.’ સાસરે ગયેલી દીકરીઓ પાસેથી ઉછીના પૈસા લઈને કે તેમના ઘરેણાં ગિરવે મૂકીને પણ પુસ્તકો ખરીદવા માટે પોતાને કેવી રીતે પૈસા લાવી આપતા એનું વાચકને હલાવી મૂકનારું સંભારણું બાબાસાહેબે વર્ણવ્યું છે.

બાપ-દીકરા વચ્ચે મનદુ:ખના બે બનાવ નોંધાયા છે. એક વાર પિતાનાં આકરાં વેણ બહુ લાગી આવતાં ભીમરાવે એણે બાપાના પૈસે જીવવાને બદલે પોતાના પગ પર ઊભા રહેવાનું નક્કી કર્યું. એટલે કેટલાક મહિના ઢોર ચારવાં, રખોપાં કરવાં અને સાતારા સ્ટેશન પર હમાલી કરવી એવાં કામ પણ કર્યાં. ભીમરાવ મુંબઈ છોડીને સયાજીરાવ ગાયકવાડની નોકરીમાં મુંબઈ ગયા તે પણ રામજીને પસંદ ન હતું. તેમણે તેનું મન વાળવાની નાકામયાબ કોશિશ કરી. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડી. તાર મળતાં વડોદરેથી ભીમ આવે ત્યાં સુધી ટકાવી રાખેલાં પ્રાણ તેમણે બીજી ફેબ્રુઆરીએ છોડ્યા. પિતાની શિક્ષણની અપેક્ષાઓને પૂરી ન કરવા માટે બાબાસહેબ અપરાધભાવ  અનુભવતા. તે કહે છે : ‘ અમારા પિતાની કડક લશ્કરી શિસ્તથી અમે કંટાળતા. હવે મને દુ:ખ થાય છે કે મારા પિતાના મારા ભણતર માટેની આરત મુજબ હું વધુ સારી રીતે ભણ્યો હોત તો મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓમાં બીજો વર્ગ મેળવવાનું મારા માટે અશક્ય ન હતું.’

જો કે બાબાસાહેબ આંબેડકરના રામજી અને યોગી આદિત્યનાથના રામજી વચ્ચે મેળ પાડવો અશક્ય છે.

++++++

૧૦ એપ્રિલ ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, “નવગુજરાત સમય”, 13 અૅપ્રિલ 2018

Loading

ભાજપે અને ભક્તોએ સમજવાનું છે કે પીડિતા એ પીડિતા છે, તે કોમવાદી રાજકારણનું સાધન નથી …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|20 April 2018

કથુઆ-ઉન્નાવના દુષ્કર્મના આરોપીઓને સત્તાધારી પક્ષે ખૂબ છાવર્યા છે ….

દેવીઓને પૂજતાં આપણા ભારતવર્ષમાં ૨૦૧૬ના એક વર્ષમાં, બળાત્કારના ૩૮,૯૪૭ એટલે કે દર કલાકે ૩૯ ગુના નોંધાયા હતા, એમ સરકારની ખુદની એજન્સી નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (એન.સી.આર.બી.)ના આંકડા જણાવે છે.

આ જુમલામાં આવતાં વર્ષોમાં કથુઆ અને ઉન્નાવની પીડિતાઓ ઉમેરાશે. પણ આ બે પરનાં  દુષ્કૃત્યો તેમની પહેલાંનાં દુષ્કૃત્યો કરતાં વધુ શરમજનક રીતે યાદ રહેશે. માત્ર એટલા માટે નહીં કે આ બંને કિસ્સામાં હેવાનોની ધરપકડમાં વિલંબ થયો. માત્ર એટલા પણ માટે પણ નહીં કે જે દિવસે કૉમનવેલ્થ રમતોમાં મહિલા શૂટર મનુ ભાકેરને ચન્દ્રક મળ્યો એ દિવસે ઉન્નાવની પીડિતાએ ન્યાય મેળવવા માટે મુખ્ય મંત્રી આદિત્યનાથનાં નિવાસસ્થાન સામે આત્મવિલોપન કરવા પ્રયત્ન કર્યો હતો. (બાય ધ વે, સુવર્ણ ચન્દ્રક વિજેતા મહિલા વેઇટ લિફ્ટર પૂનમ યાદવ પર તેની સિદ્ધિ પછીનાં જ અઠવાડિયે વડા પ્રધાનના પવિત્ર મતવિસ્તાર વારાણસીમાં હુમલો થયો હતો). કથુઆ-ઉન્નાવ શરમજનક રીતે યાદ રહેશે, માત્ર એટલા માટે પણ નહીં કે ઑસ્ટ્રેલિયામાં ભારતનાં મહિલા ખેલાડીઓના ચન્દ્રકોની સંખ્યા વધતી જતી હતી, અને બીજી બાજુ બે પીડિતાઓની યાતનાઓની માહિતી વધતી જતી હતી, દેશભરની મહિલાઓનો આક્રોશ. ઘરઆંગણે પીડા હતી, પરદેશમાં ભારત પર પસ્તાળ હતી અને મોદી સાહેબ સ્વીડન જવાની તૈયારીમાં હતા. ખૂબ દુ:ખી મહિલાઓના દેશના વડા દુનિયાના એક સહુથી સુખી દેશની રાજદ્વારી મુલાકાતે ગયા.

 

કથુઆની બાળકી અને ઊન્નાવની યુવતી પરના જુલમો સહુથી વધુ શરમજનક રીતે યાદ એટલા માટે રહેશે કે આ વખતે સમાજનો એક હિસ્સો હેવાનોની તરફેણ જ નહીં બચાવ કરી રહ્યો છે, અને તે પ્રક્રિયામાં પોતે વૈચારિક રીતે હેવાનોની હરોળમાં મૂકાવાની તૈયારીમાં છે. આવા લોકો માટે અંગ્રેજીમાં ‘અનસિવિલાઇઝડ’ શબ્દ વપરાય છે. માણસાઈના સંસ્કાર ખુદ પર ન પડવા દીધેલા, દોંગા, નાલાયક લોકો. આ બધાં કોઈ પછાત પંથકના રહીશો નથી. તેઓ જગદગુરુ બનવા જઈ રહેલા પ્રગતિશીલ દેશના નાગરિકો છે. તેમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સરકારી કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, વકીલો, લેખકો, પત્રકારો, વિદ્યાર્થીઓ, યુવકો, બિઝનેસપર્સન્સ અને કંઈ કેટલા ય વર્ગના માણસો છે. તેમનો વાસ સર્વત્ર છે – ઑફિસો, દુકાનો, દીવાનખાના, સોસાયટીઓ, ટેલિવિઝનના પડદા. છેલ્લે ક્યાં ય નહીં તો આ લોકો ફેઇસબુક, વૉટસએપ કે ટ્વિટર પર તો મળી જાય છે. આ લોકો કુકર્મનો બચાવ  વૈચારિક, રાજકીય, કાનૂની, સામુદાયિક એમ શક્ય તમામ રીતે કરી રહ્યા છે. એ બચાવનો એક મોરચે  છે  ધર્મઝનૂન; અને બીજા મોરચે  ધર્મઝનૂનને આધારે  સત્તા મેળવનાર, ટકાવનાર અને વધારનાર ભા.જ.પ..

કથુઆકાંડની બાબતમાં બચાવકારોની બેહૂદી દલીલ એ મતલબની છે કે હિન્દુ રાષ્ટ્રમાં એક મુસ્લિમ કન્યા પર બળાત્કાર થાય ત્યારે હોબાળો મચે છે, જ્યારે હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારો અંગે મૌન સેવવામાં આવે છે. બોકો હરામ કે આઇ.એસ. આ જ કરે છે, સીરિયા અને પૅલેસ્ટાઇનમાં આવું જ ચાલે છે, એટલા માટે કાશ્મીરમાં પણ અત્યાચાર વાજબી છે. હિન્દુ એકતા મંચ કથુઆની તપાસમાં વિરોધ-અવરોધ ઊભા કરે તે ન્યાયપૂર્ણ છે એ ખ્યાલ ખૂની કક્ષાનો છે. મંચ મુખ્યત્વે ભા.જ.પ.ના મંત્રીઓ અને વકીલોનો (અનેક કેટલાક કૉન્ગ્રેસ અને પૅન્થર પક્ષના સભ્યોનો) બનેલો છે. આરોપીઓને બચાવવાની તેની  કોશિશો પાછળ મુસ્લિમ બકેરવાલ માલધારીઓને જંગલની (કે ચરિયાણની) પેઢીઓ જૂની જમીન પરથી હાંકી કાઢવાનો કારસો હોવાનું તારણ ખુદ પોલીસે આ કેસની ચાર્જશીટમાં આપ્યું છે.

યાદ રહે કે દુનિયાની દરેક પીડિતા એ જીવંત હસ્તી છે અને ભારતની પીડિતા આ દેશની નાગરિક છે. તેને કપડાં, વાન, ધંધો, ભાષા, પ્રદેશ કે ધર્મ જેવાં ખાનામાં વહેંચવી એ નરી જડતા છે. છતાં પણ આમ કરનારાનો એક નોંધપાત્ર વર્ગ છે. એટલા માટે, દલીલ ખાતર, સવાલ ઊભો કરી શકાય કે હિન્દુ રાષ્ટ્રની મહાત્ત્વાકાંક્ષા સેવનાર પક્ષની સરકારે હિન્દુ મહિલાઓ માટે શું કર્યું ? તેના ચાર વર્ષમાં મહિલાઓ પરના અનેક પ્રકારના અત્યાચારોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. ઉન્નાવની યુવતી રજપૂત છે. પડદા પરના ‘પદ્માવત’માં નારીઅપમાન માટે હિંસાચાર આચરનારા કરણી સેના જેવાં ટોળાં નારી પરના વાસ્તવિક જુલમ સામે સાવ ચૂપ છે. કચ્છના નાલિયાની પીડિતા મુસ્લિમ નથી, કયા હિન્દુત્વવાદી સંગઠનો એની વહારે ધાયા ? નાલિયા કેસમાં સરકારે બબ્બે વખત જાહેરખબર આપ્યા પછી પણ કોઈ હિન્દુ જૂથ  બોલવા માટે તૈયાર થયું નથી. પાટણકાંડ વખતે ક્યાં હતા આ આવાં સંગઠનો ? આસારામ પરના બળાત્કારના કેસની તપાસ બહુ ધીમી ગતિએ કરવા માટે પંદર દિવસ પહેલાં જ સર્વોચ્ચ અદાલતે ગુજરાત પોલીસની ઝાટકણી કાઢી છે.

ગુજરાતમાં બાવીસ વર્ષથી ભા.જ.પ. સરકાર છે. બળાત્કારના નોંધાયેલા ગુનાઓનો આંકડો ૧૯૧૫ માં ૫૦૩ હતો તે વધીને પછીનાં વર્ષે ૯૮૬ થયો છે. દિલ્હીની નિર્ભયાના કેસમાં એવાં કેટલા ય હિન્દુઓ હતા જે શબ્દફેરે કહેતા હતા ‘એણે સાચવવા જેવું હતું’, કે છેક છેડે જઈને માનતા હતા ‘રાત્રે ભાઈબંધો સાથે ફરનારીઓ આ જ લાગની હોય છે’. હરયાણાની રુચિકા ગેહેરોત્રા કે મણિપુરનાં મનોરમા, તે પહેલાંના વર્ષોમાં  મહારાષ્ટ્રની મથુરા કે રાજસ્થાનનાં ભંવરી દેવી જેવી હિન્દુ પીડિતાઓ તો જાણે આ કોમવાદી સંગઠનો માટે અસ્તિત્વમાં જ ન હતી. જો કે ડૉ. આંબેડકરે  ઘડેલા અને મહિલાઓને અનેક અધિકાર આપનારા ‘હિન્દુ કોડ બિલ’નો રાષ્ટીય સ્વયંસેવક સંઘે ૧૯૪૮ના અરસામાં વિરોધ કરેલો. અભ્યાસ બતાવી શકે કે મહિલાઓ પર અન્યાયના વિરોધમાં નારાબાજ હિન્દુ કે ફતવાબાજ મુસ્લિમ સાંપ્રદાયિક સંગઠનોની કોઈ જ નોંધપાત્ર ભૂમિકા રહી નથી. તાજેતરમાં ટ્રિપલ તલાક કે મહિલાઓ માટે મંદિરપ્રવેશ પર પ્રતિબંધ સામેની ચળવળોમાં આ આપણે જોયું છે. એ પણ ધ્યાનમાં આવવું જોઈએ કે આ બધા કિસ્સામાં ન્યાય માટે સરકાર પર દબાણ લાવનાર છે નિસબત ધરાવનાર લોકોના બનેલા સમૂહો જેમાં કર્મશીલો, લેખકો, કલાકારો, ધારાશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, એન.જી.ઓ., સંવેદનશીલ જનસામાન્યો, વિદ્યાર્થીઓ જેવાં અનેકનો સમાવેશ થાય છે. એને નાગરિક સમાજ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ગ જેટલો મૂલ્યનિષ્ઠ અને મજબૂત તેટલી લોકશાહી તંદુરસ્ત. કથુઆની બાળકીના પરિવાર માટે લડનાર મહિલા વકીલ અને પોલીસ અધિકારીઓ નાગરિક સમાજનો હિસ્સો છે.

નાગરિક સમાજ જાણે છે કે સત્તાધારી ભા.જ.પ. હવસખોરોનો અને તેમના બચાવકારોનો ટેકેદાર છે. આ પક્ષે બળાત્કારના આરોપી ધારાસભ્યને છ મહિનાથી વધુ સમય છાવર્યો. તે પીડિતાના ફરિયાદી પિતાના મોતનું કારણ બન્યો. એ પછી પણ પક્ષ કે આદિત્યનાથના પેટનું પાણી ન હાલ્યું. આખરે અલ્હાહબાદની વડી અદાલતના હસ્તક્ષેપથી ધરપકડ થઈ. કથુઆના આરોપીઓના ટેકામાં કાશ્મીરના વકીલોના એક વર્ગે તપાસ અને કાનૂની કાર્યવાહીમાં આડખીલી કરવા માટે હડતાળ સહિતના રસ્તા અપનાવ્યા. તેની સર્વોચ્ચ આદાલતે સુઓ મોટો નોંધ લીધી. બાળકી પર જઘન્ય જુલમની સામેની કાર્યવાહીના વિરોધમાં કાશ્મીરમાં પી.ડી.પી. સાથેનાં ગઠબંધનની સરકારમાંથી ભા.જ.પ.ના બે  મંત્રીઓએ રાજીનામાં આપ્યાં. પક્ષે તેમને કશું ન કર્યું.

નરેન્દ્ર મોદીનું નિંભર મૌન દસેક દિવસે તેરમી તારીખે સાવ મોળી અને ફિસ્સી રીતે તૂટ્યું. વળી ભા.જ.પ.ના સભ્ય એવા કોઈ પણ આરોપી અંગે તેમણે કંઈ જ નક્કર ન કહ્યું. પછી હમણાં બુધવારે લંડનમાં તેઓશ્રી એ મતલબનું બોલ્યા, ‘રેપ ઇઝ રેપ, નો પૉલિટિક્સ ઓવર ઇટ !’

+++++++

૧૯ એપ્રિલ ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 20 અૅપ્રિલ 2018

Loading

વિદાય !

નિરંજના દેસાઈ|Poetry|20 April 2018

એક પછી એક,
                 કેટલાં ય આપ્તજનોએ,
                         ને સ્નેહીજનોએ,

હમણાં હમણાં વિદાય લીધી.
કોક તો કંઈ પણ કીધા વિના,
કશા ય અણસાર દીધા વિના,
ચિર નિદ્રામાં પોઢી ગયાં,
થંભ્યા ય ના અલવિદા કહેવા !
કોઈક −
     સર્જરીની સતત મુલાકાતે,
     હોસ્પિટલોની અવિરત દોટંદોટે;
     હામ ખોતાં, હાંફી જાતાં
     અટવાતાં, આથડતાં !
     સ્વાસ્થ્યને ઢંઢોળતાં !
અમુક −
    “વાંસાસિ જિર્ણાની યથા વિહાય”
     જીર્ણ વસ્ત્રોને હાવાં દો વિદાય;
     “નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ”,
     શસ્ત્રો આત્માને ન શકે હણી,
એ −
     ભગવદ્દગીતાના અમૂલ્ય બોધે,
     સ્થિતપ્રજ્ઞ શાં, અનન્ય ધૈર્યે;
     વહ્યાં મહાનિર્વાણે !

60 Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ

Loading

...102030...3,1613,1623,1633,164...3,1703,1803,190...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved