Opinion Magazine
Number of visits: 9686592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આસારામ સામે જોધપુરની એ વીરાંગનાની જીત એટલે હવસખોરી સામે મહિલાશક્તિનો સપાટો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|28 April 2018

પાખંડ સામે પર્દાફાશ, નફ્ફટાઈ સામે નિર્ધાર, સાંઠગાંઠ સામે સચ્ચાઈની લડતની પ્રેરક કથા…

એ વીરાંગનાએ એક મહિના સુધી, કુલ એકસો ચોસઠ સેશન્સમાં, અત્યાચારી આસારામની વિરુદ્ધ બયાન આપ્યું. શેતાનની હવસખોરીની વિગતો પુરુષો સહિતના તપાસ અધિકારીઓ સામે બોલવામાં એ યુવતી પર શું વીતી હશે, એની કલ્પના પુરુષકેન્દ્રી સમાજમાં ભાગ્યે જ થઈ શકે. સામે  આસારામનો આતંક તો હતો જ. બાવાના ગુંડાઓએ તેની સામેના ગવાહો પર હુમલા અને હત્યાની હારમાળા ચલાવી હતી. યુવતીના ઘરનાંને ધમકીઓ મળતી હતી. પિતા આર્થિક ભીંસમાં આવી ગયા હતા. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનાં સપનાં રોળાઈ રહ્યાં હતાં, ભાઈનું ભણતર છૂટી ગયું હતું. બહાર નીકળતાં ગાળો અને ગંદકી વેઠવાનાં આવતાં. પાંચ-પાંચ વર્ષ માટે પોતાનાં જ ઘરમાં નજરકેદ,તે પણ વિકાસશીલ ભારતના એક વર્ગે પોષેલા એક ભોરિંગના પાપે.

બળાત્કાર સામે ઝૂઝનારી આ (અને એવી બધી જ) યુવતીને પીડિતા કરતાં પ્રતિરોધિતા કહેવી ઘટે. તેના અને તેની સાથે રહેનાર પોલીસ અધિકારીઓ તેમ જ વકીલોનો પ્રતિરોધનો રાહ કપરો હતો. એટલા માટે કે આ થોડાક લડવૈયાઓએ એ દૈત્યના સામ્રાજ્યના પાયા પર ઘા કરવાની શરૂઆત કરી હતી કે જેના ચરણસ્પર્શ કરવામાં અને પછી તેને પોંખતું ભાષણ કરવામાં નરેન્દ્ર મોદીએ એમના મુખ્યમંત્રીકાળમાં ધન્યતા અનુભવી હતી. એનાં અત્યારે વાયરલ થયેલાં દૃશ્યો ગયાં બે વર્ષનાં અમદાવાદના પુસ્તકમેળામાં આસારામના સ્ટૉલની બહાર બતાવવામાં આવી રહ્યાં હતાં.

‘આસારામ ગુનેગાર સાબિત થયાં તે પહેલાં તેમની સાથે મંચ શેર કરવો એ કોઈ ગુનો નથી’ એવી ફરહાન અખતર અને ભક્તોની દલીલમાં દમ એટલા માટે નથી કે મુખ્યમંત્રી મોદી કે એ કક્ષાનો સત્તાધારી, કોઇ વ્યક્તિ સાથે તે અંગેની પૂરી તપાસ વગર મંચ પર બેસે એ શક્ય નથી. મોદીને કેવી રીતે મળી શકાય તેની આંટીઘૂંટી પર તો બાહોશ પત્રકારોએ લેખો કર્યા છે. વળી, મોદીએ ક્યારે ય તેમના આસારામ સાથેના સંબંધોનો ઇન્કાર કર્યો નથી. તેમણે બાવાને ક્યારે ય વખોડ્યો નથી. એટલું ખરું કે આસારામના મોટેરાના આશ્રમમાં દીપેશ-અભિષેકના અપમૃત્યુની તપાસ મુખ્યમંત્રી મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન શરૂ થઈ હતી અને જુલાઈ ૨૦૦૮માં જસ્ટીસ ડી.કે. ત્રિવેદી તપાસ પંચ નીમાયું હતું . જો કે ભાજપની સરકારે તેનો  અહેવાલ હજુ સુધી લોકો સમક્ષ મૂક્યો નથી. જિજ્ઞેશ મેવાણીએ આ અંગે વિધાનસભામાં તેરમી માર્ચે સવાલ પણ ઊઠાવ્યો હતો. એટલું જ નહીં, તે પછી પાંચમી એપ્રિલે આસારામ પરના મોટેરા આશ્રમમાંના બળાત્કારના આરોપની ધીમી તપાસ માટે સર્વોચ્ચ અદાલતે ગુજરાત પોલીસની આઠ મહિનામાં બીજી વાર ઝાટકણી કાઢી હતી.

હિન્દુ રાષ્ટ્રવાદનો લોહિયાળ ખેલ પાડવામાં મોદીના સાથીદારો લાલ કૃષ્ણ અડવાણી અને પ્રવીણ તોગડિયાએ પણ હિન્દુ ધર્મના કૃષ્ણ ભગવાનને નામે યુવતીઓની જિંદગીનો નાશ કરનાર ધૂતારા સાથેના સંગના ફોટા તો મળે જ, બીજું કોણ જાણે શું ય મળે ? હિન્દુ હૃદયસમ્રાટ નરેન્દ્ર મોદીને ઇસ્લામિક આતંકવાદી હુમલાથી બચાવવા માટે ‘પવિત્ર’ એનકાઉન્ટરના આરોપ હેઠળ જેલ ભોગવી ચૂકેલા પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા એક ‘હિન્દુ’ યુવતી પર જુલમ માટે સજા પામનાર તેમના ગુરુ આસારામનો બચાવ કરી રહ્યા છે.

ભાજપનાં શાસનમાં આસારામને ગુજરાતમાં પચીસ હજાર ચોરસ મીટર જમીન મળી હોવાનું નોંધાયું છે. કૉન્ગ્રેસના રાજમાં સાડા ચૌદ હજાર ચોરસા મીટરની લ્હાણીની નોંધ છે. દિગ્વિજય સિંગ, કમલ નાથ, અશોક ગેહલોત, મોતીલાલ વહોરાની આસારામ સાથેની સાંઠગાંઠના સમાચાર પણ વહેતા થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ નારાયણન અને અબ્દુલ કલામે પણ આસારામને પ્રશસ્તિપત્રકો આપ્યાં છે એ વાત સજા હળવી કરવાની વિનંતીમાં અદાલતને તેમના વકીલે જણાવી હોવાનું પણ લખાયું છે. 

આસારામના બચાવમાં આવીને તેમના માટે જામીન મેળવવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર  વકીલોમાં  ભાજપના બંને ટીકાસ્પદ ધારાશાસ્ત્રીઓ  રામ જેઠમલાણી અને સુબ્રમણ્યમ સ્વામી જેવા હોય એ સમજી શકાય. પણ એ ઉપરાંત આ બધાં પણ હોય ? –  રાજુ રામચન્દ્રન, જેમની એક સંદર્ભે સર્વોચ્ચ અદાલતે ‘હાઇ પ્રોફેશનલ એથિક્સ’ માટે પ્રશંસા કરી હતી અને જે ગુજરાતના રમખાણોનાં કેટલાંક કેસેસમાં ન્યાય મિત્ર, એમિકસ ક્યુરી તરીકે નીમાયા હતા. કે.ટી. તુલસી કે જે રાજ્ય સભાના કૉન્ગ્રેસે નિયુક્ત કરેલા સભ્ય છે અને  જેમણે સોહરાબુદ્દિન એનકાઉન્ટર કેસમાં ગુજરાત સરકાર તરફથી લડવાનો ઇન્કાર કર્યો હતો. બે દિવસ પહેલાં ‘ધેર ઇઝ બ્લડ ઑન અવર હૅન્ડસ’ એવું કોમી રમખાણોમાં કૉન્ગ્રેસની ભૂમિકા અંગે કહેનારા વરિષ્ટ વિદ્વાન કૉન્ગ્રેસી આગેવાન અને પૂર્વ મંત્રી સલમાન ખુરશીદ. આસારામના  જામીન  માટેનો કેસ ઉદય યુ. લલિતનો વકીલ તરીકેનો આખરી કેસ હતો કે જે પછી તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બન્યા અને ટ્રિપલ તલાકને રદ કરનાર ન્યાયમૂર્તિઓમાં તેઓ હતા. ઉપર્યુક્ત વકીલોમાંથી મોટા ભાગનાની ફી દસ લાખથી પચીસ લાખની વચ્ચે હોવાનું કહેવામાં આવે છે.

આ માંધાતાઓની સામે છે યુવતી માટે લડનારા એક વકીલ રાજેન્દ્રસિંહ ચારણ. સ્ત્રીઓ, દલિતો અને માનવ અધિકાર ભંગ અંગેના મુકદમા વિના મૂલ્યે કે નજીવી ફીથી લડનારા ચારણ તેર વર્ષ જૂની મારુતી મોટરમાં ફરે છે. એટલી જ જૂની આલ્ટોમાં ફરનારા પૂનમચંદ સોલંકી યુવતીનો કેસ વિનામૂલ્યે લડી રહ્યા છે. રામ જેઠમલાણીની સામે આત્મવિશ્વાસપૂર્વક દલીલો કરીને આસારામને જામીન ન મળવા દીધા એને પૂનમચંદ પોતાની સિદ્ધિ માને છે. ન ભૂલીએ તપાસ કરનાર પોલીસ અધિકારી અજયપાલ લાંબાને કે જેમને ધમકીના સોળસો જેટલા પત્રો મળ્યા હતા. એટલું જ નહીં પણ કેટલોક સમય માટે તેમણે તેમની દીકરીને શાળાએ મોકલવાનું બંધ કરવું પડ્યું હતું.

આસારામની ઇન્દોરથી ધરપકડ કરનાર ચંચલબહેન મિશ્રાએ એવી મજબૂત ચાર્જશીટ  બનાવી હતી કે જેને કારણે તેને છેક સુધી જામીન ન મળી શક્યા એમ કાનૂની નિષ્ણાતોએ નોંધ્યું છે. તદુપરાંત આસારામના ભક્તો દ્વારા ઊભા થનારા સંભવિત જોખમ અને સમયની ખેંચ વચ્ચે ચંચલે આસારામની ધરપકડ કરી તેને જોધપુર પોલીસ સમક્ષ હાજર કરવાનું કામ પૂરું પાડ્યું હતું. ન ભૂલવા જોઈએ એ વડોદરાના વૈદ અમૃત પ્રજાપતિને. આસારામના એક સમયના અંતેવાસી અમૃત દીપેશ-અભિષેક અપમૃત્યુ પછી આસારામની સામે પડ્યા હતા, માધ્યમો થકી એમના અનેક દુષ્કર્મોને ખુલ્લાં પાડવાની શરૂઆત કરી હતી, જેને પગલે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આસરામ સામે યુવતીના બળાત્કાર કેસમાં સાક્ષી આપનાર તેના એક ડ્રાઈવર કૃપાલ સિંહ તેમ જ સૂરતમાં મહિલા પર બળાત્કારના કેસમાં આસારામના પુત્ર નારાયસાઇ વિરુદ્ધ જુબાની આપનાર આસારામના આસિસ્ટન્ટ અખિલ ગુપ્તાને પણ ગોળીએ દેવાયા હતા.

અરધો ડઝન સાક્ષીઓ પર હિચકારા હુમલા થયા છે. આ બધાને આસારામ સામે અવાજ ઊઠાવાનાં પરિણામોની ગંભીરતાનો અંદાજ હોય કે ન હોય, તો પણ તેમણે જે કર્યું તેનાથી સમાજને  બહુ  મદદ મળી છે. હજુ આસારામ અને તેના ફરજંદો સામેના કેસો ઊભા છે. તેમના મૂરખ ભક્તો પ્રાર્થના કરે છે. કેટલાક રાજકારણીઓ પણ કરતાં હશે. પણ હજુ બે મહિલાઓ સહિત અનેક લડવૈયા મક્કમ છે. માધ્યમો, લોકો અને મહિલાઓની શક્તિથી ભક્તોની પ્રાર્થનાઓ ફળવાની નથી.

+++++

૨૬ એપ્રિલ ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 અૅપ્રિલ 2018 

Loading

સજન મારી પ્રીતડી …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 April 2018

હૈયાને દરબાર

૧૯૭૦-૭૫ પહેલાં ઘરમાં મનોરંજનનું મુખ્ય માધ્યમ હતું રેડિયો. નવરા પડીએ ત્યારે રેડિયો પાક્કા દોસ્તની ગરજ સારે. બિનાકા ગીતમાલા અને એ પ્રકારના કાર્યક્રમોના આશિક તો આપણે ખરાં જ પણ એ વખતે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ સવારે અને સાંજે દરરોજ આવતો હતો. અમારા ઘરમાં સદ્ભાગ્યે સાહિત્ય-સંગીતનું વાતાવરણ એટલે ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ અચૂક સાંભળવાનો. એમ અનાયાસે અમારાં કૂમળાં મન પર કાવ્યસંગીત હાવી થવા માંડ્યું હતું.

શું અદભુત ગીતો રજૂ થતાં એ વખતે! સુગમ સંગીતમાં કૌમુદી મુનશી, પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, આશિત દેસાઈ, હેમા દેસાઈ, હર્ષિદા-જનાર્દન રાવલ, રાસબિહારી અને વિભા દેસાઈ તથા લોકસંગીતમાં હેમુ ગઢવી, દિવાળીબહેન ભીલ, દમયંતિ બરડાઈ, ઈસ્માઈલ વાલેરાનાં નામો ડિસ્ટંક્ટિવલી યાદ છે, પરંતુ આ ઉજળાં નામો સાથે બિનગુજરાતી કલાકારોના કંઠે ગવાયેલાં ગુજરાતી ગીતો પણ એટલાં જ લોકપ્રિય હતાં. આ કલાકારો ય કેવા! લતા મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોરકુમાર, મુકેશ, સુમન કલ્યાણપુર, ગીતા રોય (ગીતા દત્ત) અને મન્નાડે જેવાં પ્રથમ પંક્તિના કલાકારો. આહા … એમના કંઠે ગવાયેલાં સદાબહાર ગીતો યાદ આવતાં જ મન પ્રસન્ન થઇ જાય.

આવાં ગીતો તથા તમને ગમતાં બીજાં કેટલાં ય ગીતોની વાતો આપણે દર ગુરુવારે રજૂ કરવાના જ છીએ. આજે વાત કરવી છે મને, તમને, સૌને જચી ગયેલા, સ્પર્શી ગયેલા એક મીઠા-મધુરા લાજવાબ ગીતની. ચુનીલાલ વર્ધમાન શાહની ‘જીગર અને અમી’ નવલકથા ઉપરથી એ જ નામે જાણીતા નિર્માતા-દિગ્દર્શક ચંદ્રકાન્ત સાંગાણીએ ફિલ્મ બનાવી ‘જીગર અને અમી’. ૧૯૭૦ની સાલમાં રજૂ થયેલી ફિલ્મના કલાકારોમાં અભિનયના ખેરખાં હરિભાઈ જરીવાલા યાને કિ આપણા લાડીલા સંજીવકુમાર અને અભિનેત્રી તરીકે કાનન કૌશલ. ચુનીલાલ શાહ ગાંધીયુગના લેખક. તેમણે સામાજિક, ડિટેક્ટિવ, અનુવાદિત અને રૂપાંતરિત નવલકથાઓ લખી હતી, પરંતુ સામાજિક નોવેલ્સ પર તેમની વધુ હથોટી. તેમણે લગભગ ૨૫ સામાજિક નવલકથા લખી હોવાનું કહેવાય છે. લેખનકાળની શરૂઆતમાં એમની નોવેલ જરા વિચિત્ર પ્લોટની રહેતી પણ સમયાંતરે એ પરિપક્વ-સમૃદ્ધ થતી ગઈ અને કેટલીકને તો એવોર્ડ પણ મળ્યા હતા. સત્યઘટના પર આધારિત ‘જીગર અને અમી’ પણ આ જ કેટેગરીની નોવેલ હતી.

આ નવલકથા બાદ ચુનીલાલ વર્ધમાન શાહનું નામ એમની ઓળખ બની ગયું હતું. આ નવલકથા ત્યાર બાદ ચંદ્રકાન્ત સાંગાણીના હાથમાં આવી અને તેમણે એ કથા પરથી સફળ ફિલ્મ ‘જિગર અને અમી’ બનાવી. જે ફિલ્મ સફળ નવલકથા પર આધારિત હોય, જેમાં સંજીવ કુમાર જેવા સંવેદનશીલ અભિનેતા હોય, કવિ કાંતિ અશોક તથા બરકત વિરાણી ‘બેફામ’નાં શબ્દસમૃદ્ધ ગીતો હોય અને મુકેશ, મનહર ઉધાસ જેવા લોકપ્રિય ગાયક કલાકારો હોય એ ફિલ્મ અને ગીતો સફળ ન થાય તો જ નવાઈ. અલબત્ત, ફિલ્મ થોડી મેલોડ્રામેટિક લાગે, પરંતુ નાટકીય તત્ત્વ દ્વારા જ એને લોકભોગ્ય બનાવી શકાય એ હકીકતને લક્ષ્યમાં લઈને જ મોટાભાગની ફિલ્મો બનતી હોય છે, એ દૃષ્ટિએ તથા એ સમયની અન્ય ગુજરાતી ફિલ્મોની સરખામણીએ ‘જીગર અને અમી’ લોકહૃદય પર અનન્ય સ્થાન જમાવી ચુકી હતી.

‘સજન મારી પ્રીતડી’ એ સમયનું સદાબહાર ગીત. સુગમ સંગીતના રેડિયો કાર્યક્રમમાં અઠવાડિયામાં બે-ત્રણ વખત તો અચૂક આવે જ અને નવા નવા પ્રેમમાં પડેલા પંખીડાઓ ગીતના શબ્દો સાથે શમણામાં ખોવાઈ જાય. ‘જીગર અને અમી’ ફિલ્મનો ઉઘાડ જ આ સુંદર ગીતથી થાય છે. રાજગાયક જેવા જ દીસતા સોહામણા સંજીવકુમારની ભાવવાહી આંખો અને દર્દભર્યા કંઠમાંથી શબ્દો નિતર્યાં જળની જેમ વહે છે, સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી, ભૂલી ના ભુલાશે પ્રણયકહાણી … ! સંજીવકુમારનો ઓજસ્વી ચહેરો અને હાવભાવ જોવા તથા મુકેશનો ભાવવાહી અવાજ સાંભળવા પણ આ ગીત તમારે યુ ટ્યુબ પર જોવું જ જોઈએ એટલું સુંદર, કર્ણપ્રિય અને હૃદયસ્પર્શી છે. વાયોલિન અને બાંસુરીના સૂરો સાથે ગીતનો અંતરો શરૂ થાય છે.

જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી
પ્યારી કરી તેં શાને મરણ પથારી
જલતા હૃદયની તેં તો વેદના ન જાણી …

ગીત જેમ જેમ આગળ વધે છે એમ હૃદયની કસક ગાઢ થતી જાય છે. કશુંક ગુમાવ્યાની લાગણી તીવ્ર બને છે. દર્શકો અનુમાન લગાવી શકે છે કે અમી(કાનન કૌશલ)ના વિરહમાં જિગર (સંજીવકુમાર)નું જીવન ધૂળધાણી થઈ ગયું છે. કથા શું હશે આગળ એ જાણવાની ઉત્કંઠા વધે છે. અમીની શોધમાં જિગર ગંગા કિનારે સાધુવેશે ભટકી રહ્યો છે. હિમાલયની પહાડીઓ વચ્ચે નિશ્ચેત પડેલો જીગર અસ્તિત્વ ભૂલીને જીવવા ઇચ્છે છે અને ભાનમાં આવતાં જ પાસેના કોઈક રાજદરબારમાં જઈ પહોંચે છે. દરબારના માહોલમાં એ ગીત શરૂ કરે છે … સજન મારી પ્રીતડી, સદીઓ પુરાણી, ભૂલી ના ભુલાશે પ્રણય કહાણી ..! સામે સ્વરૂપવાન રાજરાણી બેઠાં છે. પરંતુ, જિગરની વેદનાસભર આંખો તો કંઈક બીજું જ શોધતી હોય છે. સજન મારી પ્રીતડી ગીત સાથે ફિલ્મનો આરંભ થાય છે અને પછી ફ્લેશબેકમાં આખી ફિલ્મ ચાલે છે.

ગાયન પૂરું થતાં જ જિગર પોતાના ઓરડામાં દોડી જાય છે બેચેનીથી પડખાં ઘસતો હોય છે. એની પાછળ પેલી રાણી પણ દોડે છે. રાજગાયકના રૂપ અને કંઠ પાછળ મોહાંધ થઈ ગયેલી રાણી ગાયકને પોતાના શરીરમાં ભડકેલી વાસનાની આગને તૃપ્ત કરવા વિનંતિ કરે છે ત્યારે જિગર કહે છે કે હું કંઇ ગાયક-બાયક નથી. આજીવન દોડની ગતિમાં અનેકવાર દોડ્યો છું છતાં ગતિ માપી કે પામી શક્યો નથી. તમે મારી વીતક કથા સાંભળશો તો મનના બધા વિકાર દૂર થઈ જશે.

રાણીને અનુકંપા જાગે છે અને ગાયક તેની વિરહકથા રાણીને સંભળાવે છે, જેમાં વિશ્વંભર (જિગરનું મૂળ નામ) અને ચંદ્રાવલિ (અમી) નામનાં બે પ્રેમીઓ છે, જે વહાલથી જિગર (હૃદય) અને અમી (આંસુ) તરીકે એકબીજાને સંબોધતાં હોય છે. અપર મા જિયા (દીના પાઠક) પાસે ઉછરતો વિશ્વંભર અપર માના ત્રાસથી વારંવાર ઘરેથી ભાગી જતો હોય છે. પગ થાકે નહીં ત્યાં સુધી એ દોડતો રહેતો. એવી જ રીતે બીજી એક વાર અપર માના ત્રાસથી ઘરમાંથી ભાગેલો વિશ્વંભર પિતાના વકીલ મિત્રના હાથે ઝડપાય છે. એ વકીલ સમજાવીને એને ઘરે પાછો મોકલે છે. કારણ કે વિશ્વંભર પરિણીત છે. અનિચ્છાએે ઘરે પહોંચેલા વિશ્વંભરને મિત્રો અરબી ઘોડા પર સવાર થઈને ઘોડેસવારી કરવા પ્રેરે છે, પરંતુ પાણીદાર ઘોડા પર સવારી કરીને ટહેલવા નીકળેલા વિશ્વંભરને અકસ્માત નડે છે. ઘોડા પરથી પડી જઈને એ ઘાયલ થાય છે. જેની સાથે એના લગ્ન થયાં છે એ ચંદ્રાવલિને આ સમાચાર મળતાં એ પતિની સેવા કરવા દોડી આવે છે. એ જમાનામાં તો એકબીજાંને જોયા વિના જ લગ્ન થઈ જતાં અને પતિ ઠરીઠામ થાય પછી જ પત્ની સાસરે જતી. એટલે મા-બાપની ઈચ્છા વિરુદ્ધ હિંમત કરીને અલીગઢથી દિલ્હી પતિ પાસે દોડી આવેલી ચંદ્રાવલિને તો વિશ્વંભર ક્યાંથી ઓળખે? જો કે, પોતાનો પરિચય જાતે જ આપીને ચંદ્રાવલિ વિશ્વંભરની સેવામાં લાગી જાય છે અને પતિ પાસેથી વચન લઈ લે છે કે હવે પછી એ કોઈ દિવસ ઘર છોડીને નાસી નહીં જાય.

ચંદ્રાવલિ તેના મીઠા સ્વભાવથી કુટુંબીજનોનાં દિલ જીતી લે છે, સિવાય કે પેલી અપર મા. એને તો ચંદ્રા કાંટાની જેમ ખૂંચતી હોય છે. બાબા-સાધુઓ પાસે જઈને એનો કાંટો કઈ રીતે કાઢવો એ માટે દોરા-ધાગા કરતી હોય છે. બીજી બાજુ જિગર અને અમી એકબીજાંના ગળાબૂડ પ્રેમમાં હોય છે, પરંતુ ઘરમાં એક એવી ઘટના બને છે કે જિગરને અમીના પ્રેમ પર શંકા જાય છે. કથા હવે અમી તરફ ફંટાય છે.

નારીહૃદય અને નારી સંવેદના ફિલ્મમાં કઈ રીતે પ્રગટે છે એ વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે જેની કથા આવતા અંકે. આ ફિલ્મનો ૮૦ ટકા હિસ્સો ‘લંચ અવર્સ’માં શૂટ થયો હતો એ તમે જાણો છો? ‘જીગર અને અમી’ ફિલ્મ સાથે સંકળાયેલી આ અને આવી અન્ય રસપ્રદ વાતો સાંભળવા આવતા ગુરુવારની રાહ જોજો. વિલ બી બેક સૂન!

સજન મારી પ્રીતડી, સદીઓ પુરાણી
ભૂલી ના ભુલાશે, પ્રણય કહાણી
જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી
પ્યારી કરી તેં શાને મરણ પથારી
જલતા હૃદયની તેં તો વેદના ન જાણી…સજન મારી


ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠાં અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી…સજન મારી

ફિલ્મ : જીગર અને અમી • ગીતકાર : કાંતિ અશોક  • સંગીતકાર : મહેશ-નરેશ  • ગાયક : મુકેશ

—————————

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=408354

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 અૅપ્રિલ 2018

મુકેશને કંઠે અને સંજીવકુમારના અભિનયમાં ગવાયેલા આ ગીતની લિંક. − ત્યારે સાંભળો …

https://www.youtube.com/watch?v=ov_Eybk6gmg

Loading

ત્રણ ત્રણ તપ્તતા

મહેન્દ્ર દેસાઈ|Opinion - Opinion|26 April 2018

ગ્રીષ્મમધ્યાહ્નમાં             • નિરંજન ભગત

તપ્ત ધરણી હતી,
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતલે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જે ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી;
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ, તપ્ત ધરણી હતી.
શાંતિ ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી ?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી ?
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિ:શ્વાસતી,
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છ્વાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાનીરની પ્યાસમાં બ્હાવરી કોક હરણી હતી !
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી;
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી !
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડ્યો !
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાં
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેઘનો માંડવો, છાંય ન્હોતી છતાં,
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.

ત્યાં અચાનક કશી ભીંસતી ભીંત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું ? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝૂલી;
એક હેલારથી
દૂર જે ઓટમાં ઓસર્યાં પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ !
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો’ કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું, અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું,
પાંખથી પિચ્છ એકાદને ખેરતું,
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું;
આભ જેવું હતું તેવું ખાલી થયું !
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં !
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોચને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
પલકભર મુજ ઉરે ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ !
શી અહો આ લીલા !
નીરની ધારથી શું તૂટી ર્‌હૈ શિલા ?
આ બધું છળ અરે છાનુંછપનું હતું ?
પલકભર શૂન્યનું ભ્રાન્ત સપનું હતું ?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી ?

જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી !

[1947]

(સૌજન્ય : ‘નિરંજન વિશેષ’, “નવનીત સમર્પણ”, અૅપ્રિલ 2018; પૃ. 23-24)

*****

ભદ્રાબહેન,

ઈ.મૈલથી તમે મોકલાવેલી નિરંજન ભગતની આ કવિતા હું ડાઉનલૉડ ન કરી શક્યો. … પરંતુ ગઈ કાલે “નવનીત સમર્પણમાં છપાયેલી એ કવિતા : ‘ગ્રીષ્મમધ્યાહ્નમાં’ વાંચી. … … ‘તપ્ત ધરણી હતી’.

તમે બરાબર કહ્યું કે, ‘ધાડ’માંની શુષ્કતાની સામે અહીં ગ્રીષ્મના તાપને અન્તે જે મળે છે તેમાં આનંદ છે.

જયંત ખત્રીની વાર્તા ‘ધાડ’ અને નિરંજન ભગતની આ કવિતામાં, બન્નેમાં, તપ્તતા છે. ધરણી તપ્ત છે. ધાડ શબ્દથી મન પર સરજાતું ચિત્ર એ ભયનું ચિત્ર છે. અને એ ભયથી સર્જાતી શુષ્કતાને લેખકે એવી વ્યાપક અને ઘેરી બનાવી છે કે તેમાં વસતા માનવીનાં દિલ-ભાવનાને પણ સુકવી નાખે છે, તેથી છેવટે સ્ત્રીની અતૃપ્તિ એ વાર્તાનો અન્ત બને છે.

જ્યારે ‘ગ્રીષ્મમધ્યાહ્નમાં’ નિરંજન ભગતે પણ એવો જ શુષ્ક વિષય લઈને કવિતા રચી છે. પણ અહીં જે ભીષણતા છે તે કુદરતના સમયચક્રથી રચાતી એક પ્રાકૃતિક ઘટના છે, એટલે ગ્રીષ્મ શબ્દથી વાચકના મન પર ભય ઉપજતો નથી. હા એમાં બળબળતા તાપની ઝાળ જરૂર લાગે છે. ‘તપ્ત, બસ તપ્ત ધરણી હતી’. અહીં આ તપ્તતા એવી રીતે દર્શાવાયી છે કે સમગ્ર સૃષ્ટિ જાણે એક તપ આદરવા ઊભી હોય. એ તપમાં કઠણાઈ છે, સમગ્ર અસ્તિત્વને છેક અન્તિમ છેડા સુધી લઈ જાય એવી ક્લાન્ત. ‘સૃષ્ટિ ને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી ?’ પણ એ તપની ફલશ્રુતિ એ પ્રસાદી રૂપે ‘પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચઢી’, અને ધરણી જે તપ્ત હતી તે હવે સંતૃપ્ત થઈ.

‘ધાડ’માં અન્તે અતૃપ્તિ છે જ્યારે ‘ગ્રીષ્મમધ્યાહ્નમાં’ સંતૃપ્તિ. અહીં હું સરખામણી – અળખામણી નથી કરતો કારણ કે એકમાં માનવરચિત ઘટના છે, તો તેનો વિષાદ છે, જ્યારે બીજામાં પ્રાકૃતિક ઘટનાચક્ર હોઈ અન્તે પવનની લ્હેરનો આનંદ છે.

બન્નેમાં તપ્તતા છે; તો ત્રીજામાં હવે મારી તપ્તતા રજૂ કરું ?

અહીં, ઇંગ્લૅન્ડમાં માર્ચની આખરે કે અૅપ્રિલની શરૂમાં વૃક્ષોમાં ફેરફાર થવો શરૂ થાય. અને એકાએક ગુલાબી ઝાંયની ટશરોથી વૃક્ષની નાની નાની ડાળીઓ છવાઈ જાય. જોતજોતાંમાં તો આખાં ય વૃક્ષો ગુલાબી, આછાં ગુલાબી, ઘેરાં ગુલાબી ફૂલોથી ઉભરાઈ જાય. ચેરી બ્લૉસમના બહારથી સારી ય સૃષ્ટિ લાંબા શિયાળાની ઠંડીથી શુષ્ત થયેલા અંગોને મરડી ને ઊભી થઈ ડોલી ઊઠે છે. વાતાવરણમાં હજુ પણ ઠંડી છે. આકાશ પણ આછાં આછાં વાદળોથી ઘેરાયેલું છે. સૂર્ય પણ હજુ મૃદુલ છે. પણ પવન બદલાય છે. ધીરે ધીરે નવયૌવનમાં ડગ માંડતી આ વાદળની આછી આછી પિછોડી ઓઢીને ઊભી છે. પવનની લહેરખીથી સૂર્ય વાદળ-વસ્ત્રને સહેજ ખસેડીને ડોલતી-લોલતી આ વનરાજીનાં સૌંદર્યને નિહાળી રહે છે. તો ક્યારેક સુવર્ણ તડકાથી મૃદુ-મીઠો સ્પર્શ પણ કરી લે છે. સૃષ્ટિની આ પ્રણયલીલા નિહાળવા માનવી ત્યારે અંતરપટ જેવું ઓઢીને (વાતાવરણમાં ઠંડી હોવાથી ગરમકોટ – સ્વેટર – મફલર કે માથે કાને ટોપી પહેરીને) આ સમયની પવિત્ર મર્યાદા જાળવીને, બાગબગીચામાં ઊમટી પડે છે. ફૂલોના ભારથી ઉભરાયેલાં – લચેલાં વૃક્ષો પણ, આ માનવીઓને જેઓને સૃષ્ટિના જ એક અંગરૂપે માનીને. ફૂલપાંખડીઓની ચાદર બિછાવી આવકાર કરે છે, ત્યારે સર્વત્ર પ્રણયલીલા જ છવાઈ જાય છે.

વર્ષોથી ચાલતી આવતી આ પ્રણયલીલાનું ઋતુચક્ર આજે બદલાયું. કુદરતના ક્રમની અવમાનના તો નહીં પણ ક-મને ફૂલોએ મોડે મોડે વૃક્ષો પર દેખા દીધી. વાતાવરણમાં ઠંડીએ અચાનક વિદાય લીધી. આકાશમાંથી વાદળીઓ પણ હઠી ગઈ. 28ના તાપમાને તપતો સૂરજ વિષયી બન્યો અને ફૂલો – ગુલ્મો પર ત્રાટક્યો. અ-સહાય પુષ્પો સ્તબ્ધ થઈ ગયાં. પવનની લ્હેર પણ સહાય કરવા ન આવી. સૃષ્ટિના જ એક અંગરૂપ માનવી આજે પવિત્ર-મર્યાદાનો અંતરપટ ફગાવીને, બિભત્સરૂપે આછા પાતળા વેશ ધરીને, પુષ્પો પર થતા આ આતંક પર સ્હેજ પણ દૃષ્ટિ કર્યા વગર પોતાપોતાના છંદમાં રત થઈ પસાર થવા લાગ્યા. ત્યારે મુરઝાઈ રહેલાં ફૂલો પોતાનાં જીવનની સમાપ્તિ અર્થે વૃક્ષોની ડાળીઓને છેવાડે લટકી રહ્યાં. એના દેહ પરની પાંખડીઓ ધીરે ધીરે ધરતી પર ખરવા લાગી, ઢળવા લાગી. ઢળી પડી.

સૃષ્ટિ શાન્ત. પશુપંખી શાન્ત. માનવ પણ શાન્ત.

Rest in Peace.

(22 અૅપ્રિલ 2018)

e.mail : mndesai.personal@gmail.com

Loading

...102030...3,1573,1583,1593,160...3,1703,1803,190...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved