Opinion Magazine
Number of visits: 9583198
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગાલૅન્ડ જેવા જુદા જ ભારતીય પરિવેશની ભૂમિકાએ માતૃભાષામાં સાહિત્યસર્જન થાય એવું છેલ્લાં ૫૦ વર્ષમાં બન્યું ન

સુમન શાહ|Opinion - Literature|12 March 2018

‘ગુજલિટ’-ની ટીમે કિશોર જાદવના સાહિત્યને વેબ પર મૂકીને એમને સર્વ-સુલભ કર્યા છે

કિશોર જાદવને ભાવાંજલિ

જાણીતા સાહિત્યકાર અને અમારા વ્હાલા મિત્ર કિશોર જાદવનું નાગાલૅન્ડના દિમાપુરમાં ૧ માર્ચ ૨૦૧૮-ના રોજ અવસાન થયું. છઠ્ઠા-સાતમા દાયકાના આધુનિક કથાસ્વામીઓમાં કિશોર જાદવ અનોખી હસ્તી હતા. સાતેક વર્ષ વડોદરા રહેલા. ૧૯૬૦-માં નાગાલૅન્ડ ચાલી ગયેલા. બી.કોમ.-ઍમ.કોમ.-પીએચ.ડી. ૧૯૬૫-થી ૧૯૮૨ દરમ્યાન નાગાલૅન્ડ સરકારમાં કોહિમામાં જુદાં જુદાં ખાતાંઓમાં સૅક્રેટરી હતા. ૧૯૯૫-માં નિવૃત્ત. પછી નાગાલૅન્ડ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર. નૉર્થઈસ્ટ લિટરરી અકાદમીના ચૅરમેન, વાઇસ-પ્રેસિડેન્ટ. હમેશાં કોટ-પૅન્ટ-ટાઈ પ્હૅરવાં પસંદ કરે. બીમાર હતા. લખવાનું છૂટી ગયેલું. કિડની ફેઇલ્યૉર અને સ્ટ્રોકથી અવસાન થયું. હું કોહિમા અને દિમાપુર એમને ત્યાં બે વાર ગયો છું. એ પણ ગુજરાત આવે ત્યારે મારે ત્યાં જ ઊતરે. સુન્દર નાગાકન્યા કમસાંગકોલા સાથે ૧૯૬૭-માં લગ્ન. પાંચ સન્તાનો – ૨ પુત્ર – ૩ પુત્રીઓ. ૨૦૧૧માં કમસાંગકોલાનું અવસાન. કિશોરની તબિયત પહેલેથી નાજુક. દૂધ, ભાત અને બાફેલાં શાક જમે. એક વાર દીકરી સાથે આવેલા તો બે-એક કિલો ચોખા લઈને આવેલા – હું ભાત જ ખાઉં છું સુમનભાઈ, એટલે …રમૂજો સરસ કરી જાણે. ૧૯૩૮માં ધૉળકા પાસેના આંબલિયાળામાં જન્મેલા. ૮૦ વર્ષ જીવ્યા.

આધુનિક સાહિત્યકારો પ્રયોગશીલ હોય દુર્બોધ હોય છતાં જીવનનાં અતળ ઊંડાણોને તાગતા વિચારપ્રેરક પણ હોય એવી સંમિશ્ર ઓળખ કિશોરની પણ હતી. કડક સમીક્ષાથી કિશોરસૃષ્ટિ ક્યાંકક્યાંક જરૂર દુર્બોધ પુરવાર થાય. પણ પરમ્પરાગતોએ તો કશી સમીક્ષા વિના જ એમની ઉપેક્ષા કરેલી. જો કે કિશોરને જ્ઞાનભાન કે પોતાની સર્જકકલાની અપીલનું ક્ષેત્ર સીમિત છે. છતાં એઓ એથી સંતુષ્ટ હતા. કૃતિમાં કૌવત હોય તો સમયાન્તરે સુજ્ઞોની નજરે ચડે જ અને સર્જકની ઓળખ આસ્તે આસ્તે પ્રસરે જ એવી એમની સમ્યક્ સમજ હતી. એટલે, ઉપેક્ષાથી ડગ્યા ન્હૉતા. ક્હૅતા, મચક આપું એવો હું કાચા કોઠાનો નથી. આત્મશ્રદ્ધાળુ. સર્જનશક્તિ વિશે મુસ્તાક, મગરૂર. એવા રહ્યાસહ્યા વિલક્ષણ સર્જકોમાં હવે કિશોર નથી એ વાતે હું ઉદાસ છું.

૧૯૮૪-થી ૧૯૮૭ દરમ્યાન સાહિત્ય અને સમૂહમાધ્યમોની સમીક્ષાનું હું ‘સન્ધાન’ નામનું વાર્ષિક ચલાવતો’તો. વર્ષ વાર એમાં લાભશંકર ઠાકર, કેતન મહેતા અને ગુલામ મોહમ્મદ શેખના મેં દીર્ઘ ઈન્ટર્વ્યૂ કરેલા. કિશોરનો ઇન્ટર્વ્યૂ એમના કોહિમાના ઘરે લીધેલો. (જુઓ ‘સન્ધાન’, ૧૯૮૬-૮૭, પાર્શ્વ પ્રકાશન). જન્મભૂમિથી અતિ દૂરનું ભોગવાદી નાગાલૅન્ડ એમના માટે વિસ્મય અને જિજ્ઞાસાનો વિષય. ત્યાંની પ્રકૃતિનો અને આખા એ આદિમ જગતનો કિશોર પોતાની આદિમતા સાથે અતૂટ સમ્બન્ધ અનુભવતા. પોતામાં વસતા સર્જકના આન્તરવિકાસમાં એનો પ્રભાવ અનુભવતા. મને કહેલું કે ગુજરાતીનાં કક્કો-બારાખડીયે નહીં જાણતી પત્ની કમસાંગકોલાને એ વાતનું ગૌરવ હતું કે પતિ નાગાજીવનની ભૌતિકવાદી રેસમાં બૌદ્ધિકની રીતે જુદા પડતા’તા, તસુ ઊંચેરા લાગતા’તા. એમના જેવો સુજ્ઞ ગુજરાતી નાગાલૅન્ડ જેવા વિભિન્ન ભારતીય પરિવેશની ભૂમિકાએ માતૃભાષામાં સાહિત્યસર્જન કરે એવું છેલ્લાં ૫૦ વર્ષમાં બન્યું નથી. એ વિરલ હકીકતની ઇતિહાસલેખકોએ નોંધ લેવી જોઇશે.

૪૮ વર્ષ પૂર્વે કિશોરે ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’-થી વાર્તાસાહિત્યમાં પ્રવેશ કરેલો. સૌને રચનાઓ પ્રયોગમુખર લાગેલી. ‘સૂર્યારોહણ’ ‘છદ્મવેશ’ ‘યુગસભા’ વાર્તાસંગ્રહોથી એ લાગણી દૃઢ થયેલી. ૧૯૭૯માં પહેલી નવલકથા ‘નિશાચક્ર’. પછી ‘રિક્તરાગ’ ‘આતશ’ ‘કથાત્રયી’. એમ સિગ્નેચર બનેલી. વાર્તાઓનાં સમ્પાદનો અને અનુવાદો થયા છે. ’એતદ્’માં એક દીર્ઘકથા પ્રકાશિત થયેલી – શીર્ષક યાદ નથી આવતું. ‘નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા’માં વિવેચક કિશોરને પામી શકાય છે.

મને કહેલું : અહીં કશાં આકરા વિધિનિષેધોનું પાલન યા ચલનવલન નથી. ફ્રી સોસાયટી. અહીંની રીતરસમો અને જીવનની ઢબછબમાંથી સારું હોય તે અપનાવી બીજી પાસથી થોડાક વેગળા રહેવાની મારી લાગણી ખરી : જો કે એ જ પરિવેશ ધરાવતું એમનું સમગ્ર સાહિત્ય, ખાસ તો ’નિશાચક્ર’ અને ‘રિક્તરાગ’ નવલકથાઓ, સૂચવે છે કે સર્જક કિશોર એથી જરા ય છેટા નથી રહી શક્યા બલકે ઊંડે ઊતરી ગયેલા છે. બન્નેમાં નાયકના ત્રણ ત્રણ સ્ત્રીઓ સાથેના પ્રેમપ્રણયની શૃંગારમય પણ કરુણ કહાણીઓ આલેખાઈ છે.

અહીં માત્ર ‘નિશાચક્ર’ વિશે થોડુંક કહી શકીશ : નાયક પોતે કથા કહે છે. વાર્તા સીધેસીધી નથી કહેવાઈ. જો કે ત્રણ સ્ત્રીઓ અનંગલીલા, કમસાંગકોલા (પત્નીના નામને જોડ્યું છે) અને લાનુલા સાથેના ઉચ્છલ નિર્મુકત પ્રણયજીવનની વાત એમાં ક્રમે ક્રમે વિકસી છે. ખ્રિસ્તી રીતરસમોની જાણકાર કમસાંગકોલાના વ્યક્તિત્વમાં પહાડી જાતિના આદિમ અધ્યાસો પણ છે. ચોપાસના સ્થૂળ ભોગવાદી કુટુમ્બ-સમાજનું કમસાંગકોલા પ્રતીક છે. એવા માહોલમાં હર નિશાએ એ આવતી-જતી રહે છે, એટલે, નિશાઓનું ચક્ર. જો કે એની સામે પ્રકાશનાં રૂપો પણ છે.

નાયકના ‘સાહેબ’ ગૌણ પાત્ર છે. કમસાંગકોલાનો ચ્હૅરો મોટો, અનંગલીલાનો પ્રકાશમય જ્વલન્ત. અનંગલીલામાં પ્રેમના તળપદા આવેગોની સુકુમારતા. કમસાંગકોલા એને પ્રજ્વલિત રાખે છે, દાહ દઇને છેવટે નષ્ટ કરે છે. લાનુલાના અભિજાત રૂપનું નાયકને અતિ આકર્ષણ છે. ચાંદનીના લંબચોરસ ટુકડાના સંગમાં લાનુલા સાથેના ભોગ વિશે કહે છે : ભૂરા તેજના પમરાટમાં આ નારી મારા શરીરને વળગી પડી હતી : નવલકથા આવા હૃદયંગમ કાવ્યત્વથી તેમ જ ઉપકારક કલ્પનો-પ્રતીકોથી ખચિત છે. એમાં સ્વપ્ન-વાસ્તવિકતા છે. જાતીય આવેગો વૈર અસૂયા ક્રોધ ચીડ મત્સર નિર્ભર્ત્સના સૂગ તુચ્છકાર વગેરેથી સંમિશ્ર ભાવસૃષ્ટિ છે. સાથોસાથ એમાં આદિમ તાઝપ અને તાકાતની લીલા છે. હેવાસ ઘાંઘું ભીડણ ભીંસટ ઢણક ઘમચૂલો કળેળાણ જેવા અનેક જૂનાનવા શબ્દોનો એમાં આવિષ્કાર છે. પોમાઈ જવું ઘૂરી કરવી જેવાં ક્રિયાપદોનાં પ્રવર્તન છે. મસૃણ હવા, ઉત્કલિક ફુસવાટ, જૈવાતૃક, ઉદ્ભ્રાન્ત, જેવા સંસ્કૃત શબ્દોની ભરમાર છે. તાત્પર્ય, રચના વાચક જાતે વાંચી લે અને પછી કોઇ સદ્ વિવેચકની સહાય લે, એ અહીં અનિવાર્યતા છે.

ત્રણેય સ્ત્રીઓથી નાયક પ્રેમની સભરતા અને એટલી જ રિક્તતા અનુભવે છે. ચાહના, પણ ઝૂરાપો. સૌન્દર્યરાગી પ્રેમ, પણ વાસનાને ભડકાવ્યા કરતી પશુતા. એવા સંદિગ્ધ ભાવવિશ્વમાં નાયક સ્વયંને પામવાનાં વલખાં મારે છે, પણ ખોવાઈને રોળાઈ જાય છે. પ્રેમતોષને માટેની એની ઝંખના ફળી નહીં. એ નિષ્ફળતા એના જીવનમાં ઉત્તરોત્તર ફંગોળાતી ચાલી. એને ક્રમે ક્રમે થાય છે, પોતે મરી રહ્યો છે. એ પ્રકારનાં સંવેદનોએ એના જીવનમાં પણ નિશાઓના ચક્રને ઘૂમતું કરેલું. પ્રેમપ્રણયથી રસિત સમગ્ર લીલા માટે પોતાને જવાબદાર ગણે છે. વાચકને પણ થાય કે નાયકની પીડાનું કારણ જિન્સી વૃત્તિઓ છે કે દુર્દમ્ય જિજીવિષા. નવલકથામાં પ્રેમ અને જાતીયતાના પરિપૂર્ણ માહોલ વચ્ચે જીવનનું દારુણ ચિત્ર ઊપસે છે. અન્તે નાયક બારીમાંથી કૂદી પડે છે. એ પલાયન નથી, નિ:સારતાની અવધિ સૂચવતી એક ન-નિવાર્ય ચેષ્ટા છે. સંભવ છે કે એ કદી પાછો ન યે ફરે.

કિશોરના પ્રારમ્ભકાલીન મિત્રોમાં મુખ્ય ગણાય, સુમન શાહ, રાધેશ્યામ શર્મા. બન્નેએ એમને વિશે અવારનવાર લખ્યું છે. શરૂમાં વિજય શાસ્ત્રી ઉપરાન્ત બીજા ઘણાઓએ અને પછીથી નરેશ શુક્લ અને જયેશ ભોગાયતા આદિ નવીનોએ એમના સાહિત્ય પર ઘણું કામ કર્યું છે. તાજેતરમાં ‘ગુજલિટ’-ના સંયોજક વિકાસ કૈલા અને એમની ટીમે કિશોરના સાહિત્યને વેબ પર મૂકીને એમને સર્વ-સુલભ કર્યા છે. આશા રાખીએ કે નવી પેઢી કિશોરસૃષ્ટિને માણશે અને પ્રમાણશે.

= = =

સૌજન્ય : શનિવાર તારીખ ૧૦/૩/૨૦૧૮-ના રોજ “નવગુજરાત સમય” દૈનિક

Loading

દાંડીકૂચઃ જાણીતી હકીકતોથી આગળની વાત

ઉર્વીશ કોઠારી|Gandhiana|12 March 2018

ગાંધીજીએ 61 વર્ષે જે ટુકડીની આગેવાની લીધી હતી એમાં 20 વર્ષ સુધીના 14 અને 21 વર્ષથી 35 વર્ષ સુધીના 53 સાથી હતા

અત્યંત જાણીતી હસ્તીઓ અને ઘટનાઓની એક નિયતી હોય છે— ભારતમાં તો ખાસઃ તેમના વિશે બધાએ સાંભળ્યું હોય, તેમને પૂજવામાં કે ઊજવવામાં આવતાં હોય, પણ પ્રાથમિક માહિતીથી આગળ મોટા ભાગના લોકોને જવાની જરૂર લાગતી ન હોય. કારણ કે, મોટા ભાગના લોકોના જીવનમાં એ વ્યક્તિ કે ઘટના ઇતિહાસના પેપરની ટૂંકનોંધ કે ખાલી જગ્યાથી વિશેષ મહત્ત્વ ધરાવતી ન હોય. મીઠાના વેરાના વિરોધમાં અને એ નિમિત્તે અંગ્રેજ સરકારને હચમચાવવા માટે ગાંધીજીએ કરેલી દાંડીકૂચ એવી જ એક ઘટના છે.


1930ની 12મી માર્ચની સવારે 6:20 કલાકે ગાંધીજી સાબરમતી આશ્રમથી નીકળ્યા, ત્યારે તેમણે ચોઘડિયું કે મુહૂર્ત જોવડાવ્યું ન હતું. પાકા ધાર્મિક-આસ્તિક ગાંધીજી ઇશ્વરની માન્યતા સાથે વળગેલી અંધશ્રદ્ધાથી સદંતર દૂર હતા. 78 અહિંસક સૈનિકો અને 79મા ગાંધીજી — આ બધામાં ગાંધીજીની ઉંમર સૌથી વધારે, 61 વર્ષ હતી. (ગાંધી શતાબ્દી નિમિત્તે દાંડીકૂચ વિશે પુસ્તક લખનાર કલ્યાણજી મહેતા અને ઇશ્વરલાલ દેસાઈએ કૂચ કરનાર સાથીઓનો કુલ આંકડો 80 આપ્યો છે અને તેમની યાદી પણ આપી છે. પરંતુ આધારભૂત ગાંધીસાહિત્યમાં તે આંકડો 78નો છે.) સૈનિકોમાં ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધી (38 વર્ષ) અને પૌત્ર કાંતિ (હરિલાલના પુત્ર, 20 વર્ષ) સામેલ હતા. આખી ટુકડીમાં ત્યાર પછી પણ જાણીતાં બન્યાં હોય એવાં નામ ત્રણ જ ગણી શકાયઃ પંડિત નારાયણ ખરે (42 વર્ષ, દાંડીકૂચના ચિત્રમાં હાથમાં તાનપૂરા સાથે દેખાતા), વાલજી ગોવિંદજી દેસાઈ (ગાંધીવાદી) અને સૌથી વધારે જાણીતા બનેલા ગાંધીજીના મંત્રી, ડૉ. સુશીલા નાયરના ભાઈ, ‘ધ લાસ્ટ ફેઝ’ના દળદાર ચાર ગ્રંથોના લેખક પ્યારેલાલ (30 વર્ષ).


ગાંધીજીમાં આત્મવિશ્વાસની જરા ય કમી ન હતી. એટલે જ, તે પોતપોતાની રીતે સમર્થ એવા નેતાઓને (પોતાનું સ્થાન જોખમાઈ શકે એવી ચિંતા વિના) સાથે રાખી શક્યા. દાંડીકૂચમાં તેમણે 61 વર્ષે અને ચાલતા જવામાં — એટલે કે શારીરિક કસોટીમાં— જે ટુકડીની આગેવાની લીધી હતી એ ટુકડીમાં 20 વર્ષ સુધીના 14 અને 21 વર્ષથી 35 વર્ષ સુધીના 53 સાથી હતા. સૌથી મોટા રામજીભાઈ વણકર 45 વર્ષના એટલે કે ગાંધીજીથી ખાસ્સા 16 વર્ષ નાના હતા.

કૂચ ગુજરાતનાં બે મથક વચ્ચે હતી, ભાગ લેનારા મોટા ભાગે મુંબઈ પ્રાંતના (વર્તમાન ગુજરાત-મહારાષ્ટ્રના), પણ તેનું સ્વરૂપ રાષ્ટ્રીય રહે તે માટે સંયુક્ત પ્રાંત (ઉત્તર પ્રદેશ), બિહાર, ઉત્કલ (ઓરિસ્સા), બંગાળ, પંજાબ, રાજપૂતાના (રાજસ્થાન), સિંધ, કેરળ, (પછીનું) આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા પ્રાંતોનું પણ પ્રતિનિધિત્વ કૂચમાં હતું. હિંદુઓ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી, દલિત અને નેપાળી યાત્રી તેમાં સામેલ હતા. એક ભાઈ નામે હરિદાસ મજુમદાર વિસ્કોન્સિન(અમેરિકા)માં એમ.એ, પીએચ.ડી. થઈને તાજા જ આવ્યા હતા ને તે કૂચમાં જોડાયા.
સ્ત્રીઓને ઘરનાં બંધનોમાંથી બહાર કાઢનાર ગાંધીજીએ દાંડીકૂચમાં બહેનોને કેમ સામેલ ન કરી, તેનો જવાબ કૂચ પહેલાંની છેલ્લી જાહેર સભામાં આપ્યો. તેમણે કહ્યું કે બહેનો માટે હજી વાર છે. આ વખતે મારે આપણા જુવાનો અને આધેડોને માથાં ફોડાવતાં અને છાતીમાં ગોળીઓ ઝીલતાં શીખવવું છે. બ્રિટિશ સરકારને હું શેતાની સરકાર કહું છું. છતાં તેનામાં બહેનો ઉપર લાઠી અને ગોળી નહીં ચલાવવાની સભ્યતા રહેલી છે એમ હું માનું છું. એટલે બહેનોને દાખલ કરીને મારે તેમની ઓથે ભાઈઓને બચાવી લેવા નથી …


દાંડીકૂચ પહેલાં ગાંધીજીની ધરપકડ થશે એવી જોરદાર હવા હતી. સરકારે કૉન્સ્ટેબલની ઉપરના દરેકને સૉલ્ટ ઑફિસરનો હોદ્દો આપ્યો હતો. એ લોકો ગેરકાયદે મીઠાનું ઉત્પાદન અટકાવી શકે અને એવું કરનારની ધરપકડ કરી શકે. પરંતુ વાઇસરૉય ઇર્વિનને જાસૂસી ખાતા તરફથી એવા ખબર મળ્યા હતા કે ગાંધી આટલું લાંબું અંતર ચાલશે તો વચ્ચે જ ઢળી પડશે. એટલે તેમણે બ્રિટનના ગૃહમંત્રીને વધામણી ખાધી હતી કે ગાંધીની તબિયત સારી નથી. એ રોજ કૂચ કરશે તો રસ્તામાં જ મૃત્યુ પામશે ‘અૅન્ડ ઇટ વુડ બી એ વૅરી હૅપી સૉલ્યુશન’ (અને એવું થશે તો નિરાંત થશે.


પણ વાઇસરૉયની આશાઓ ફળી નહીં. ગાંધીજીની ધરપકડ કરવાની થાય તો તરત કરી શકાય એ માટે, સરકારે 28 વર્ષની લાંબી નોકરી ધરાવતા દેશી ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજી દેસાઈને કૂચની સાથે રાખ્યા હતા. પરંતુ એ નોબત આખી કૂચ દરમિયાન આવી નહીં. કૂચ ખેડા જિલ્લામાં પ્રવેશી ત્યારે ખેડાના અંગ્રેજ કલેક્ટરે સાથે રહેલા ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજીને કહ્યું કે કૂચ પર મનાઈહુકમ આપો. ત્યારે દુર્લભજીએ તેમને જ્ઞાન આપ્યું કે અમદાવાદમાં કોનું રાજ છે? અંગ્રેજનું. ત્યાં કલેક્ટર પણ હતા અને બધાના ઉપરી જેવા કમિશનર પણ. એ કોઈએ ધરપકડ ન કરાવી, તો તમે શા માટે માટે જોખમ વહોરો છો?


આમ, ધરપકડની વાત ટળી. દાંડી પહોંચીને કાયદાનો ભંગ કર્યા પછી કરાડી મુકામેથી ગાંધીજીની અડધી રાતે ધરપકડ થઈ ત્યારે તેના વિરોધમાં દુર્લભજી દેસાઈએ રાજીનામું આપી દીધું. કલ્યાણજી મહેતા – ઇશ્વરલાલ દેસાઈએ તેમના પુસ્તક ‘દાંડીકૂચ’માં આ પ્રસંગ નોંધીને લખ્યું છે કે દુર્લભજી દેસાઈ આગળ જતાં ગુજરાતમાં પ્રધાન બનેલા (‘નવજીવન’ના ટ્રસ્ટી) ઠાકોરભાઈ દેસાઈના કાકા થાય.


ધરપકડની શક્યતાઓ વચ્ચે કૂચના પાંચમા દિવસે ગાંધીજીએ આણંદમાં કહ્યું, ‘આ નીકળેલો કાફલો નાટકી નથી. થોડા દિવસનો એ ચટકો નથી. એ મરીને પણ પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી આપશે …’ એ વિધાન દાંડીકૂચના અંતે થયેલા રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહમાં લોકોએ સાચું પાડી બતાવ્યું. ધરાસણામાં મીઠાની ફૅક્ટરી પર કરેલી કૂચમાં સત્યાગ્રહીઓએ જે શિસ્તબદ્ધ ઢબે પોલીસનો માર વેઠ્યો, તે ‘ગાંધી’ ફિલ્મનું જ નહીં, ગુજરાતના-ભારતના ઈતિહાસનું અવિસ્મરણીય દૃશ્ય છે.


25 દિવસમાં આશરે 329 કિલોમીટરનું અંતર કાપીને પાંચમી અૅપ્રિલના રોજ ગાંધીજી સાથીદારો સાથે દાંડી પહોંચ્યા. (ક્યાંક 241 માઇલ એટલે કે 385 કિલોમીટર અંતર મળે છે. છતાં 329 કિલોમીટરના હિસાબે પણ રોજની 13 કિલોમીટરની સરેરાશ થઈ — 61વર્ષની વયે.) પાંચસોથી પણ ઓછા માણસની વસ્તી ધરાવતા દાંડીમાં ખાદીધારી સિરાજુદ્દીન શેઠે ગાંધીજીને આવકાર્યા અને પોતાના બંગલામાં ઉતાર્યા (જ્યાં હવે રાષ્ટ્રીય સ્મારક છે). છઠ્ઠી અેપ્રિલે દાંડીકૂચની સમાપ્તિ પછી ગાંધીજી એ જ વિસ્તારમાં રહ્યા, પણ સાથીદારોને પોતપોતાના ઠેકાણે જવાની રજા આપી. કારણ કે પ્રાંતોમાં પણ લડત ફેલાઈ ચૂકી હતી.


એકાદ મહિને, 5 મેની રાત્રે દોઢ વાગ્યે કરાડીથી ગાંધીજીની ધરપકડ થઈ. ત્યાં સુધીમાં ગાંધીજી આસપાસનાં ગામડાંમાં જતા હતા. તેમાં 9 અૅપ્રિલના રોજ ભીમરાડની મુલાકાત દરમિયાન જમીન પરથી મીઠું ઉપાડતા ગાંધીજીનો ફોટો (ખોટી રીતે, દાંડીકિનારાની તસવીર તરીકે) અત્યંત પ્રસિદ્ધ બન્યો.


જેલો ઉભરાઈ ગયા પછી અંગ્રેજ સરકારને ગાંધીજી સાથે, પહેલી વાર તેમને બરાબરીના દરજ્જે સ્વીકારીને, સમાધાન કરવાની ફરજ પડી. મુલાકાત વખતે વાઇસરૉય ઇર્વિને સમાધાનના માનમાં ચાનો વિવેક કર્યો. ત્યારે ગાંધીજીનું પીણું હતું લીંબુપાણી અને અંદર ચપટી મીઠું.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપતાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 11 માર્ચ 2018

Loading

સાર્વજનિક બ્રેસ્ટફીડિંગ અને સ્તનનું સેક્સ્યુલાઇઝેશન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 March 2018

હોલિવૂડમાં જુલિયા રોબર્ટ્સ અને બોલિવૂડમાં દીપિકા પાદુકોણે સવાલ પૂછ્યો હતો: આ સિર્ફ સ્તન જ છે, અને હજારોની સંખ્યામાં છે.


મહિલા માટેની મલયાલમ પત્રિકા ‘ગૃહલક્ષ્મી’ના કવર ઉપર ગીલું જોસેફ નામની એક મૉડલ બાળકને સ્તનપાન કરાવતી હોય તેવી તસવીર છપાઈ છે, તેને લઈને વિવાદ થયો છે. અાંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે પત્રિકાના સંપાદક મંડળે સાર્વજનિક રીતે બાળકને દૂધ પીવડાવું તેમાં કંઈ ખોટું નથી તેવા સંદેશા સાથે આ તસવીર છાપી હતી. તસવીરમાં લખવામાં આવ્યું છે, ‘કેરળની માતાઓ કહી રહી છે, મહેરબાની કરીને આંખો પહોળી કરીને જોશો નહીં, અમારે બ્રેસ્ટફીડિંગ કરાવાનું છે.’


એ પછી કોલ્લમની જિલ્લા કોર્ટમાં સ્ત્રી અશિષ્ટ રુપણ નિષેધ અધિનિયમ, 1986 હેઠળ એક મુકદ્દમો પણ દર્જ થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ તસવીર લક્ષણથી જ કામોત્તેજક છે અને સ્ત્રીત્વની ઈજ્જતને ઉતારે છે.’ તસવીરનો વિરોધ કરતા લોકોને વાંધો એ બાબતે પણ છે કે, મૉડલ જોસેફે ઈસાઈ હોવા છતાં સિંદૂર લગાવ્યું છે. પત્રિકાના સંપાદક મોંસી જોસેફે કહ્યું છે કે, અમે સાર્વજનિક જગ્યાઓ પર સ્તનપાન કરાવવાની માતાઓની જરૂરિયાત પ્રત્યે લોકોને જાગૃત કરવા માગતાં હતાં.


એક તરફ સ્તનપાન માતૃત્વનો અહમ હિસ્સો છે, તો બીજી તરફ એને ‘ખરાબ નજર’થી જોવાવાળા પણ કમ નથી. થોડા સમય પહેલાં અાંતરરાષ્ટ્રીય ‘ટાઇમ’ પત્રિકાએ પણ આવી જ તસવીર પ્રગટ કરી હતી, જેની બહુ ટીકા થઇ હતી. હમણાં બ્રાઝિલની નેશનલ એસેમ્બલીમાં એક મહિલાએ એના આઠ મહિનાના બાળકને સ્તનપાન કરાવાતી હાલતમાં ચર્ચામાં ભાગ લીધો હતો. જાગૃતિના આવા જ ઉદ્દેશ્ય સાથે કોલંબિયાના એક મૉલમાં બ્રેસ્ટફીડિંગ કરતી મહિલાનું એક પૂતળું મૂકવામાં આવ્યું છે જેથી સ્ત્રીઓ જાહેરમાં દૂધ પીવડાવતાં શરમાય નહીં.


અમેરિકામાં 47 રાજ્યોમાં જાહેરમાં સ્તન ખુલ્લા રાખીને કે ઢાંકીને મહિલાઓ સ્તનપાન કરાવી શકે તેવો કાયદો છે. ભારતમાં કોઈ સામયિકે સ્તનપાનની આવી તસવીર પહેલીવાર છાપી છે. આપણે ત્યાં સાડી પહેરેલી કેટલી ય મહિલાઓ સહજ રીતે સાર્વજનિક રીતે સ્તનપાન કરાવતી હોય છે. ગામડાઓમાં તો આવાં દૃશ્યો બહુ જ સામાન્ય છે. બ્લાઉઝ અને સાડીના છેડાની મદદથી આ સ્ત્રીઓ એમનું એકાંત ઊભું કરી લેતી હોય છે, પણ જેમણે સાડી ન પહેરી હોય તેમને ઘણી દિક્કત આવે છે.


મલયાલમ પત્રિકાએ સમાજને સંદેશને નામે સનસની ઊભી કરવા આવી તસવીર છાપી એવો આરોપ થવો બહુ સ્વાભાવિક છે કારણ કે, તસવીરમાં સાચે કોઈ માતા નથી, પણ એક અવિવાહિત મૉડલ છે. રાજ કપૂરે 1985માં ‘રામ તેરી ગંગા મૈલી’માં મંદાકિનીને પણ આવી જ રીતે સ્તનપાન કરાવાતી પેશ કરી હતી, ત્યારે ન તો કોઈ વિરોધ થયો હતો કે ન તો કોઈ કેસ. 1981માં કેન્દ્રના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડી હતી, તેમાં પણ મૉડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને એ સરાહનીય કદમ ગણાવાયું હતું.

ભારતમાં સ્તનપાનને લઈને આ વિરોધાભાસ શા માટે? જે બાબત અત્યાર સુધી પ્રાકૃતિક હતી, તે હવે શરમજનક કેમ લાગવા લાગી? ગામડાંઓમાં જે ક્રિયા તરફ કોઈનું ધ્યાન પણ નથી જતું, એ જ કામ શહેરોમાં ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો છે? પૌરાણિક ભારતમાં સ્તનને ઢાંકવાની પ્રથા જ નહોતી. આજે પણ આદિવાસી સ્ત્રીઓ સ્તન પ્રત્યે એટલી સજાગ નથી હોતી, જેટલી આધુનિક નારી શર્મસાર હોય છે.

કેમ? જે કેરળની પત્રિકાએ આ ચર્ચા છેડી છે, તે કેરળમાં છેક 18મી અને 19મી સદી સુધી સ્તનને ઢાંકવા વર્જિત ગણાતું હતું, અને માત્ર નામ્બુદ્રી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને નાયર સમાજની મહિલાઓ જ સ્તનને કવર કરતી હતી. સહજતા અને શર્મનો આ વિરોધાભાસ કેમ?


આનું એક સીધું કારણ છે, સ્તનનું સેક્સ્યુલાઇઝેશન. ભારતમાં નગ્નતા અને શર્મનો સંબંધ બહુ નવો છે. પૌરાણિક ભારતના જેટલા સંદર્ભો છે, તેમાં ભારતીય સમાજની નગ્નતા પ્રત્યેની સહજતા દેખાય છે. અાધ્યાત્મિક ભારતમાં શર્મનો સંબંધ નગ્નતા સાથે નહીં, ખરાબ કર્મ સાથે હતો, એની ગવાહી નાલંદા અને તક્ષશિલાના પ્રવાસે આવતા પરદેશીઓએ પણ પૂરી છે. સ્ત્રીએ શરીરને સંપૂર્ણપણે ઢાંકવું જોઈએ એ ખયાલ જ વિદેશી છે.

અબ્રાહમિક ધર્મોના સંપર્કમાં આવ્યા પછી જ ભારતીયો એમની નગ્નતા પ્રત્યે સજાગ થયા, અને શર્મ મહેસૂસ કરવા લાગ્યા. સ્તન બાળકને દૂધપાન કરાવવા ઉપરાંત નરની વાસનાનું કેન્દ્ર છે એ સજાગતા પણ પાછળથી આવી. એવું નથી કે એ વૃતિ નવી પેદા થઇ. માત્ર એટલું જ કે, આપણે એનાથી બહુ સચેત ન હતા.


સ્તનની પ્રાથમિક ઉપયોગિતા નવજાતને દૂધપાન માટેની જ છે, અને એટલે જ પ્રકૃતિએ, પુરુષને પણ સ્તન હોવા છતાં, સ્ત્રીના સ્તનમાં જ દૂધ પણ મૂક્યું છે. એનો સેકન્ડરી મકસદ સેક્સુઅલ આકર્ષણનો છે. માદા સ્તન તંદુરસ્તી અને ગર્ભધારણ(ચાઇલ્ડ્બેરિંગ)ની ક્ષમતાનું પ્રતીક છે.

સ્તન ઉપરથી નર નક્કી કરે છે કે, માદા તંદુરસ્ત રીતે બાળકને જીરવી શકશે કે નહીં. ચાઇલ્ડ્બેરિંગ હિપ્સની પાછળ પણ આ જ વૃતિ છે. જેટલાં મોટાં સ્તન અને હિપ્સ, એટલી તંદુરસ્તીની સાબિતી, અને એટલે એ આકર્ષણનું કેન્દ્ર. માણસ જ નહીં, તમામ પ્રાણીઓમાં સેક્સુઅલ સિલેક્શન આ પ્રમાણે જ થાય છે. તમામ નર આ જ રીતે સમાગમ માટે માદાની પસંદગી કરે છે. ચાર્લ્સ ડાર્વિને સૌથી પહેલાં આ સેક્સુઅલ સિલેક્શનની થિયરી વિકસાવી હતી.


સ્તનના આ પ્રાઇમરી (દૂધપાન) અને સેકન્ડરી (આકર્ષણ) હેતુ વચ્ચેના અસંતુલનમાંથી આધુનિક સમયમાં એનું સેક્સ્યુલાઇઝેશન થયું છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા દ્વારા પ્રકાશિત એક પુસ્તક Inventing Baby Foodમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દ્વિતીય મહાયુદ્ધમાં અમેરિકન સરકારે સૈનિકોને લડવાનો જુસ્સો આવે તે માટે સૈન્યની ટુકડીઓમાં મોટી છાતીઓ અને હિપ્સવાળી પીન-અપ ગર્લ્સનાં કેલેન્ડર પ્રમોટ કર્યાં હતાં, તેના પગલે જે સોફ્ટ-પોર્ન આવ્યું અને હોલિવૂડનું મેરિલીન મુનરોકરણ થયું તેમાંથી સ્તનના સેક્સ્યુલાઇઝેશનમાં ગતિ આવી. અહીંથી સ્તન બાળકના પોષણ તરીકે ઓછાં, અને પુરુષોના આનંદના સોર્સ તરીકે વધુ જોવાવા લાગ્યાં.


સ્તનને મજબૂત રાખે તેવા બ્લાઉઝ અને બ્રાની લોકપ્રિયતા પણ અહીંથી જ આવી હતી. સ્તન જ્યારે પુરુષોની નજરોના ઓબ્જેક્ટ બનવા લાગ્યાં ત્યારે તેમાં શર્મનો પ્રવેશ થયો અને અમેરિકામાં પણ સાર્વજનિક સ્થળોએ સ્તનપાન ઘટવા લાગ્યું. અમેરિકન સંસ્કૃિતમાં સ્તન સેક્સનો એટલો જબરદસ્ત પર્યાય બની ગયાં હતાં કે, 60ના દશકમાં અમેરિકામાં નારીવાદીનું એક કાઉન્ટર-રિએક્શન આવ્યું,

જેમાં 1968ની મિસ અમેરિકન પ્રતિયોગિતામાં 400 સ્ત્રીઓએ પુરુષની ગુલામીના પ્રતીક સમી બ્રા સળગાવી હતી. 1999માં ‘નોટિંગ હિલ’ ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સે આવા જ ભાવ સાથે કહ્યું હતું, ‘આ સિર્ફ સ્તન જ છે. દુનિયામાં દરેક બીજી વ્યક્તિ પાસે એ છે … એ દૂધ માટે છે, તમારી મા પાસે પણ છે, હજારોની સંખ્યામાં જોયા હશે, આટલી ઝંઝટ શું કામ?’ 2014માં દીપિકા પાદુકોણનો ચોક્કસ એન્ગલથી ફોટો પાડવામાં આવ્યો ત્યારે તેણે એ સમાચારપત્રને લખ્યું હતું, ‘હું સ્ત્રી છું, મને સ્તન પણ છે અને ક્લીવિજ પણ. કોઈ પ્રોબ્લેમ છે?’ આવો જ સવાલ મંદાકિનીએ ટ્રેનમાં સ્તનપાન કરાવતી વખતે એને તાકી રહેલા ‘મણિલાલ’ને પૂછ્યો હતો. ગૃહલક્ષ્મીની ગીલું જોસેફ પણ સ્તનના સેક્સ્યુલાઇઝેશન સામે એવો જ સવાલ ઉઠાવી રહી છે: આપણે પાછા સહજ બની શકીશું?

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપતાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 11 માર્ચ 2018

Loading

...102030...3,1543,1553,1563,157...3,1603,1703,180...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved